Opinion Magazine
Number of visits: 9576320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યશવંત દોશી : ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક અને ચરિત્રકાર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 March 2020

પરિચય પુસ્તિકા શ્રેણી અને ‘ગ્રંથ’ માસિકનાં સંપાદનનું અનન્ય કામ કરનાર ય.દો.એ આ બે પ્રકાશનો માટે ડૉલરમાં મળતાં પગારની નોકરી છોડી દીધી હતી. બારસો જેટલાં પાનાંમાં તેમણે  લખેલું સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર તેમનાં નામ જેટલું જ ઓછું જાણીતું છે. તેમનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

પુણ્યશ્લોક રવિશંકર મહારાજના ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક યશવંત દોશીનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જ્ઞાન અને પુસ્તક ખાતર વ્યવહારુ જિંદગીને ગૌણ ગણીને ઓછી આવકમાં જીવનાર યશવંત દોશી(1920-1999)નો આપણા સમયના સાહિત્યજગતમાં તો જોટો જડે તેમ નથી. પુસ્તકોમાં ધોરણસરનો રસ ધરાવનાર નવી પેઢીના વાચકની પણ આંખો ‘પરિચય પુસ્તિકા’ શબ્દ સાંભળતા ચમકી ઊઠે છે. એ પહેલાંની પેઢીના વાચકો ‘ગ્રંથ’ માસિકને પણ ખૂબ આદરથી યાદ કરે છે. આ બંને યશવંતભાઈની અનન્ય દેણ છે. એપ્રિલ 1958થી શરૂ થયેલી પરિચય પુસ્તિકા શ્રેણીમાં દર મહિને બે પુસ્તિકા પ્રમાણે અત્યાર સુધી 1,457 પુસ્તિકાઓ બહાર પડી છે. ગુજરાતી વિશ્વકોશ, કે વિકિપીડિયાથી વર્ષો પહેલાંની આ પ્રકાશનશ્રેણીનો વિષયવ્યાપ ઘરઘથ્થુ લઘુ જ્ઞાનકોશ જેવો છે. અરધી સદી સુધી પરિચય પુસ્તિકા નિરૂપણના ઊંડાણ અને રજૂઆતની ચુસ્તીનો દાખલો ગણાતી. તેના રચયિતા યશવંતભાઈ નિષ્ઠા, પ્રામાણિકતા, નિરપેક્ષ ઉદ્યમ, પ્રસિદ્ધિવિમુખતા જેવા ગુણોનો સમુચ્ચય ગણાતા. 

પરિચય પુસ્તિકા પ્રકાશનપ્રવૃત્તિનો પ્રારંભ પત્રકાર અને લલિત નિબંધકાર વાડીલાલ ડગલી (1926-85) અને યશવંતભાઈનાં ગુજરાતી વાચકને માહિતીથી સમૃદ્ધ કરવાના જ્ઞાનસ્વપ્નથી થયો. એ વખતે વાડીભાઈ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં વાણિજ્ય તંત્રી હતા. યશવંતભાઈ કાપડ, સ્ટેશનરી, ચા વગેરેના નાના વેપાર ઉપરાંત શિક્ષક અને ગૃહપતિની નોકરીઓ પછી, માત્ર ગુજરાતી-સંસ્કૃતમાં બી.એ.ની પદવીને આધારે મુંબઈની અમેરિકન માહિતી કચેરીમાં અખબારી વિભાગમાં જોડાઈને ચીવટ અને મહેનતથી તેના વડા બન્યા હતા. આ વિખ્યાત મિત્રબેલડીએ જુલાઈ 1959માં ‘પરિચય ટ્રસ્ટ’ સ્થાપ્યું અને તેનાં નેજા હેઠળ પાંચેક વર્ષ પુસ્તિકાઓ બહાર પાડી. પણ ખોટ વધવા માંડી. એટલે એક માસિક શરૂ કર્યું કે જેની જાહેરખબરોની આવકમાંથી ટકી રહેવાય. આવું માસિક તે પૂરા સમયનું કામ, એટલે સુકાનીઓ માટે નોકરી છોડવાનું જરૂરી બન્યું, જે યશવંતભાઈએ સપ્ટેમ્બર 1963માં છોડી. ડૉલરમાં સારો પગાર અને એનાથી ય વધુ સલામત ભવિષ્ય આપતી પેન્શન-પી.એફ. સાથેની નોકરી પુસ્તકઘેલા યશવંતભાઈએ છોડી; મુંબઈમાં રહીને, દીકરી અને દીકરાના ઉછેરની વચ્ચે છોડી. એક રીતે જોઈએ તો પુસ્તકોને લગતાં એ માસિક માટે છોડી જેનું નામ ‘ગ્રંથ’. એ ય.દો.એ 1964થી 1986 સુધી ભેખ તરીકે  સંભાળ્યું. 

‘ગ્રંથ’ ગુજરાતી ભાષાનું પહેલું ગ્રંથ-સામયિક હતું કે જેનો હેતુ ‘પુસ્તકો વિશે વધુમાં વધુ માહિતી અને નવાં પુસ્તકોનાં અવલોકનો’ આપવાનો હતો. ‘ગ્રંથ’નાં અંકોની ફાઇલો જોતાં રોમાન્ચ થાય. કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનને હરી લેનાર સામયિક. ‘ગ્રંથે’ સરેરાશ એંશી પાનાંનો એક એવા 270 અંકોમાં દસ હજારથી વધુ પુસ્તકોનાં અવલોકનો આપ્યાં. વળી, દર મહિને ગુજરાતી ઉપરાંત ભારતીય ભાષાઓના સાહિત્યનાં અને માનવવિદ્યાઓને લગતાં અંગ્રેજી પુસ્તકો વિશે વાંચવા મળતું. વિવેચન લેખોને પણ સ્થાન હતું. વિખ્યાત પુસ્તકોના સારનો અને દુનિયા બદલનારાં પુસ્તકોનો વિભાગ ન્યાલ કરી દેનારો રહેતો. ય.દો. ખુદ સાહિત્યિક બનાવો, પ્રવાહો અને સમીક્ષાના લેખો તેમ જ ગ્રંથાવલોકનો લખતા. ‘ગ્રંથ’ પછી તેને કેટલેક અંશે મળતું આવતું સાહિત્ય ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ પણ રમણ સોનીએ 1991થી 26 વર્ષ સુધી ઉત્તમ ગુણવત્તા સાથે ચલાવ્યું. ‘ગ્રંથ’ (અને ‘પ્રત્યક્ષ’) જોતાં અત્યારનાં ‘બિબ્લિઓ’ કે ‘બુકરિવ્યૂ’ જેવાં અંગ્રેજી કે ‘લલિત’ જેવાં મરાઠી સામયિકો નજર સામે આવે. પુસ્તકો અને લેખકોની પસંદગી, લેખોના વિષયો અને એકંદર સંમાર્જનમાં પણ ય.દો.ની દૃષ્ટિને કારણે ‘ગ્રંથ’ એક ઉજ્જ્વલ પુસ્તક-સામયિક બન્યું હતું.

જો કે ‘ગ્રંથ’નો ઉજાસ પરિચય પુસ્તિકાના વિષયો, લેખકો, વેચાણ અને વાચકસંખ્યાના પ્રકાશ સામે ઝાંખો પડ્યો હોય એવી છાપ ઉપજે. પરિચય પુસ્તિકા ગુજરાતી વાચકો માટે સામાન્ય જ્ઞાનનું લાઘવયુક્ત, વાચનીય, વિશ્વાસપાત્ર અને પોષાય તેવું હાથવગું સાધન હતું. તેના માટે ય.દો.એ જેમની પાસે પુસ્તિકાઓ લખાવી તેમાં ગૃહિણીઓથી માંડીને ન્યાયાધીશો સુધીની અનેક પ્રકારની વ્યક્તિઓ હતી. આ બધાં લખનાર પોતપોતાનાં ક્ષેત્રનાં જાણકાર હતા, પણ તેમણે કલમ પકડી ન હતી. એટલે સેંકડો પરિચય પુસ્તિકાઓની મઠારણી ય.દો.એ કરી અને તેમના સહસંપાદકો પાસેથી કરાવી. તેમાંથી નગીનદાસ સંઘવી અને હસમુખ ગાંધી સહિત અનેક નામાંકિત પત્રકારો બન્યા ત્યારે તેમણે ય.દો.ની તાલીમ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. યશવંતભાઈએ પોતે પણ ‘ગ્રંથ’ ઉપરાંત છાપાં-સામયિકોમાં કટારલેખન કર્યું. તેમાંથી દોઢસો જેટલા ચૂંટેલા લેખોના ‘કિતાબી દુનિયા’ અને ‘ગ્રંથ વિવેક’ નામનાં પુસ્તકો ય.દો.ના એક આત્મીય સહકાર્યકર અને ગ્રંથજ્ઞ દીપક મહેતાના સંપાદન હેઠળ બહાર પડ્યા છે. આ સંચયોમાં વિચારસિક્ત ચુસ્ત લેખન સાથે ય.દો.ની નિર્દંભ સાહિત્યરુચિ અને તેમનું નીડર સ્પષ્ટવક્તાપણું જોવા મળે છે. અનંતરાય રાવળ, ઉમાશંકર જોશી, દર્શક, નિરંજન ભગત, મુનશી, રમણલાલ જોશી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાહિત્યકારોનાં પુસ્તકો કે મંતવ્યોની તેમણે જુદા જુદા પ્રસંગે વ્યક્તિગત નહીં પણ સાહિત્યિક ધોરણે સ્પષ્ટ ટીકા કરી છે.

યશવંત દોશીનું એક બહુ મોટું અને એટલું જ અજાણ્યું કામ એટલે સરદાર પટેલનું તેમણે બે દળદાર ગ્રંથોમાં લખેલું જીવનચરિત્ર. મોટાં કદનાં બારસો જેટલાં પાનાં, 71 પ્રકરણ. અભ્યાસમાં લીધેલાં 70 ગુજરાતી અને 80 અંગ્રેજી પુસ્તકોની યાદી. આવેગહીન તટસ્થ શૈલી. રાજમોહન ગાંધીએ લખેલા વિશ્વવિખ્યાત અંગ્રેજી જીવનચરિત્રના ગુજરાતી અનુવાદક અને તડનું ફડ કરવા માટે જાણીતા શતાયુ પત્રકાર નગીનદાસ સંઘવીએ ઑન રેકૉર્ડ કહ્યું છે રાજમોહનનાં પુસ્તક કરતાં ‘યશવંત દોશીનું કામ વધુ મોટું છે’. બંને પુસ્તક સાથે પ્રકાશિત કરવા એમ ‘પ્રકાશકનો મૂળ વિચાર હતો … પણ રાજમોહને કહ્યું કે પહેલાં મારું પુસ્તક પ્રગટ થઈ જાય પછી બે-એક વર્ષે યશવંતભાઈનું પુસ્તક પ્રગટ કરવું. એ વાત પ્રકાશકે સ્વીકારી એટલે યશવંતભાઈનું પુસ્તક એમની હયાતીમાં પ્રગટ થઈ શક્યું નહીં’, આ નોંધનાર દીપક મહેતાએ ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી’ નામે યશવંતભાઈનું ટૂંકું જીવનચરિત્ર લખ્યું છે, જે વિશ્વકોશ ટ્રસ્ટે બહાર પાડ્યું છે. તેને ય.દો. પરનાં અધિકરણની ખોટ પૂરવાનું આકસ્મિક કે આયોજિત જેશ્ચર ગણી શકાય. વળી વિશ્વકોશે આવતી 14 માર્ચના શનિવારની સાંજે સાડા પાંચ વાગ્યે તેનાં સભાગૃહમાં દીપક મહેતાનું યશવંત દોશી પર વ્યાખ્યાન પણ યોજ્યું છે. 

દીપકભાઈ ઉપરાંત નગીનદાસ સંઘવી અને હસિત મહેતાએ નોંધ્યું છે કે ય.દો.એ ગૃહપતિપદનાં વર્ષોમાં પત્નીએ છાત્રાલયના કોલસામાંથી રસોઈ બનાવી એટલે યશવંતભાઈએ ઉપવાસ કર્યા હતા. પરિચય ટ્રસ્ટની પેન્સિલ સુદ્ધાં પોતાનાં કામ માટે વાપરી નથી. એક તબક્કે ટ્રસ્ટનું ખર્ચ બચાવવા એ અરધો જ પગાર લેવા પણ તૈયાર થયા હતા એમ પણ દીપકભાઈએ નોંધ્યું છે.  ઉપર્યુક્ત ત્રણેય અભ્યાસીઓએ જીવનમાં જે તીવ્ર પીડા તિતીક્ષાથી વેઠી હતી તેના વિષે પણ લખ્યું છે. જે ‘ગ્રંથ’નું તેમણે જન્મ આપીને ખૂબ લગનથી સંગોપન કર્યું તેનું સંપાદન પરિચય ટ્રસ્ટે તેમની પાસેથી કોઈ કારણ વિના આંચકી લીધું, નિરંજન ભગતને સોંપ્યું અને માંડ એક વર્ષ પછી વળી પાછું યશવંતભાઈને સોંપ્યું. એ તેમણે કોઈ ટીકા કે કડવાશ વિના ફરી સ્વીકાર્યું. વાડીલાલ ડગલીનાં અવસાન બાદ ‘ગ્રંથ’ બંધ કરવાનો નિર્ણય યશવંતભાઈનાં યોગક્ષેમની દરકાર વિના લેવામાં આવ્યો. આ પૂર્વે ‘ગ્રંથ’ ખાતર ય.દો.એ ડૉલરિયા નોકરી છોડી હતી તેની ખાતરીનું પાલન તો થયું જ  ન હતું. ગ્રંથ બંધ કરવાના નિર્ણયમાં ઉમાશંકર અને નિરંજન ભગતની સંમતિ હતી. આ બંને એકાએક ગ્રંથના આખરી અંકના સંપાદકો બન્યા હતા. તેમનાં નામ પહેલાં હતાં અને ત્રીજું નામ યશવંત દોશીનું હતું ! 

યશવંત દોશીએ દૈનિકો અને સામયિકોમાં લખેલાં અગ્રંથસ્થ લખાણોની સી.ડી. તેમના ચિરંજીવી અભિજિતે બનાવી છે. ‘ગ્રંથ’ના અંકો પુસ્તકચાહકો માટેનો ખજાનો છે. તે ડિજિટાઇઝડ કરીને સાચવી લઈને ગુજરાતના વાચનપ્રેમીઓ યશવંત દોશીનું ઋણકંઈક અંશે અદા કરી શકે.

******

12 માર્ચ 2020

[“નવગુજરાત સમય”, શનિવાર, 13 માર્ચ 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

પ્રમાણ

ચિરાગ ત્રિવેદી|Poetry|13 March 2020

સૂરજને કહી દો, કાલથી ઊગવું છે ભૈ? તો કાગળ લઈને ઊગે,
પકડો પવનને, પૂરો પાંજરે, પછી પૂછ્યા વગર પાછો ક્યાં ય ના પૂગે.

આકાશ ધરે આધાર તો આભારવશ બસ આમ ઊભા રહેવાશે,
ધરતી પુરાવા પાડે પૂરા માટીના, નહિ તો માટી ભેગી થાશે.

વડલાના વડવા – ભડના ભૈ, ન્યાં પીપળે કેમ જઈને વળગ્યાં?
સરનામે સાગર શોધતી નદીયુંના ઘર વડવાનલ થઇ સળગ્યાં.

શું ભાળીને યમુનાનીરે કાળીધોળી પ્રીતિ, સંગમરમર સંગ જોડી!
કોના કીધે ચાંદો એનો સૂરજ મારો રમતાં'તા, રમતાંમાં મળી કોડી!

કેવું પ્રમાણ લ્યા! વળી કોણ પ્રમાણે, કોણ જુએ, કોણ જાણે,
અક્કલમઠાધિપતિ આડા ફાટ્યા છ', એ તો એના બાપનીયે આણે.

કહી દો, નથી …
નથી દાખલો, ઓળખ-બોળખ, પરવાનો, ચિઠ્ઠી ચપાટી, કોઈ પ્રમાણપત્ર,
કુદરત છું હું, નીચે-ઉપર, અંદર-બા'ર, પાછળ-આગળ, અત્ર તત્ર સર્વત્ર.

જળ છું જળમાં ભળી ગયેલું, તળ છું તળમાં ગળી ગયેલું, એ જ તો હું જે તું છું, 
આધાર આપણ બંને, કાગળ પણ આપણ બંને, ચલ લખીએ, તું લખાણ, હું લખવું છું.

e.mail : chirag.trivedi@ahduni.edu.in

Loading

આશાની દિશા

કાકાસાહેબ કાલેલકર|Gandhiana|12 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે. 

•••

… સત્યાગ્રહની મીમાંસા કોઈ કાળે પૂરી થઈ એમ કહેવાય જ નહીં. સત્યાગ્રહ એક રીતે યુદ્ધનો એક પ્રકાર છે; બીજી રીતે એ સંસ્કારી માનવજાતનો જીવનધર્મ છે. અને તેથી યુગે યુગે સત્યાગ્રહના નવા નવા અવતાર પ્રગટ થવાના જ. સત્યાગ્રહના આદ્ય આચાર્ય મહાત્મા ગાંધીએ, પોતાના જીવનકાળમાં, એની અનેક વિભૂતિઓ પ્રગટ કરી. હિંદુસ્તાન સ્વતંત્ર થતાં એના જે ભાગલા પાડવામાં આવ્યા, અને એના જ અનુસંધાનમાં આખા દેશમાં જે ઝેર રેડાયું, તેને પહોંચી વળવાના પ્રયત્નમાં ગાંધીજીએ સત્યાગ્રહતત્ત્વને એક અવનવું રૂપ આપ્યું, જે એટલું અદ્ભુત અને સૂક્ષ્મ હતું કે, તેનું સ્વરૂપ ન ઓળખવાથી, પોતાની જ ભૂલોથી અકળાયેલા અને આંધળા થયેલા દેશે એ રાષ્ટ્રપિતાનો જ ભોગ લીધો અને એમના આખરી પ્રયોગને સત્યાગ્રહની અદ્ભુત શક્તિ પ્રગટાવતો અટકાવ્યો.

એક પ્રશ્ન ઘણાના મનમાં ઊઠે છે કે, સત્યાગ્રહનો હવે પ્રતિનિધિ કોણ છે? સત્યાગ્રહથી ટેવાયેલા અનેક લોકો અને અધીરી વ્યક્તિઓ જ્યાંત્યાં સત્યાગ્રહ કરી બેસે છે અને થોડી ચર્ચા બાદ ઓછોવત્તો વિજય મેળવીને અથવા માંડવાળ કરીને સત્યાગ્રહ પાછો ખેંચી લે છે. ઘણી વાર હવે સત્યાગ્રહ ઉપવાસનું રૂપ લે છે, અને થોડીક ચિંતા પેદા કરી સમાધાન ઉપર આવી જાય છે. પણ આવાં નાનાંમોટાં પ્રકરણોને સત્યાગ્રહના પ્રયોગ તરીકે ભાગ્યે જ ઓળખી શકાય.

ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ યુદ્ધમાં અનેક સાથીઓ મેળવ્યા અને કેળવ્યા. એમાંના કેટલાકને ભાગે સ્વરાજ સરકારના અધિકારી થવાનું આવ્યું છે, જ્યારે બીજા એ સરકારને સામાન્યપણે ટેકો આપવાને બંધાયેલા છે. એટલે એ બંને પ્રકારના સત્યાગ્રહીઓ રાજકીય કે સામાજિક અન્યાય દૂર કરવા માટે જે કાંઈ કરવું હોય તે હવે સરકારી તંત્ર મારફતે કરી શકે. સામાજિક, ધાર્મિક અન્યાયો દૂર કરવા માટે તેમ જ ધર્મ ધર્મ વચ્ચેના ટોળાધર્મી ઝઘડાઓ પતાવવા માટે સત્યાગ્રહને ઘણો અવકાશ છે. પણ અત્યારે તો કોઈને એ સૂઝતું નથી. લોકો તરફથી કાં તો કાયદો હાથમાં લઈ ગુંડાશાહી ચલાવવામાં આવે છે અથવા ‘એ બધું સરકારનું કામ છે’ એમ કહી ઉદાસીનતા ધારણ કરવામાં આવે છે.

દાંડીમાં મીઠું ઉપાડતા સત્યાગ્રહીઓનું દૃશ્ય. તસ્વીર − વૉલ્ટર બોશાર્ડ

એક વાત સ્પષ્ટ છે કે, સત્તા ગમે તેના હાથમાં હોય. સત્તાધારી જો પોતાનો રાજધર્મ ઓળખી મજબૂત હાથે કાયદાનું રાજ્ય ન ચલાવે તો અધીરી થયેલી પ્રજા સરકારની તત્પરતા ઉપરનો વિશ્વાસ ખોઈ બેસી કાયદો પોતાના હાથમાં લેવાની જ. પોતે જ સત્તાધારીને આપેલી સત્તા જો એ ન વાપરે તો પ્રજા બીજું કરી પણ શું શકે?

આવી હાલતમાં પ્રજા અવળે રસ્તે ન જાય એટલા માટે એને દોરનારા સત્યાગ્રહી નેતાઓ મળવા જ જોઈએ. પ્રજા જો કાયદો પોતાના હાથમાં લે તો તે પોતાની સરકારને નબળી પાડે છે અને જોતજોતામાં એનો નાશ કરે છે. પ્રજાએ મોટા પાયા ઉપર કાયદો હાથમાં લીધો કે સત્તાધારીઓએ રાજીનામું આપી સત્તાનો ત્યાગ કર્યે જ છૂટકો. તેઓ તેમ ન કરે તો તેમણે પોતાના હાથમાં ટકી શકે એવું પશુબળ સંગઠિત કરી, પ્રજાને દબાવી, જોહુકમી રાજ્ય ચલાવ્યે જ છૂટકો. બંને રીતે પ્રજાજીવન જોખમમાં જ આવે છે. આનો એકમાત્ર ઇલાજ સત્યાગ્રહ છે. સત્ય, અહિંસા અને લોકકલ્યાણ એ ત્રિવિધ મર્યાદા જાળવીને સજ્જન લોકો જ્યારે સત્યાગ્રહ આદરે છે, ત્યારે લોકસત્તા પર નભનારું રાજ્ય નબળું પડવાને બદલે આત્મશુદ્ધિ કરી મજબૂત થાય છે. સત્યાગ્રહની આ બાજુની મીમાંસા હવે આપણે ખીલવ્યે જ છૂટકો.

અત્યાર સુધી વ્યક્તિઓ અને સંગઠિત પક્ષો સત્યાગ્રહ કરતા આવ્યા છે. આખી પ્રજાએ સ્વતંત્રતા મેળવવા માટે અનેક વાર સત્યાગ્રહ કરી બતાવ્યો. હવે પછીનો સવાલ છે કે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદોમાં કે ઝઘડાઓમાં રાષ્ટ્રો, એટલે કે તેમના પ્રતિનિધિરૂપ સરકારો, સત્યાગ્રહ કરી શકે કે નહીં? સરકાર પાસે પશુબળ છે એટલા માટે એણે એ વાપરવું જ જોઈએ, એમ સિદ્ધ નથી થતું. કોઈ પહેલવાન પાસે શરીરબળ છે એટલા માટે તે સત્યાગ્રહ ન જ કરી શકે એમ જેમ આપણે કહી શકતા નથી, તેવી જ રીતે સરકારો વિશે પણ છે. દાખલા તરીકે, હિંદુસ્તાન જેવું પ્રબળ રાષ્ટ્ર પોતાની શક્તિના ભાનમાં હૈદરાબાદ જેવી નાની સરકારની સામે પશુબળ વાપરવાને બદલે સત્યાગ્રહના બધા પ્રકારો અજમાવી શકે છે. હિંદની પ્રજા જ્યાં સુધી પોતાની સરકાર ઉપર વિશ્વાસ રાખી શકે છે અને તે સરકાર પ્રજાના જાનમાલના રક્ષણના કર્તવ્યમાં ચૂકતી નથી, ત્યાં સુધી એ જરૂર સત્યાગ્રહનાં અનેક પગલાં અજમાવી શકે છે.

પણ સવાલ એથી વ્યાપક છે. આખી દુનિયાની (લગભગ ૫૭ કે વધારે) [હાલમાં ‘યૂનો’ 193 દેશોનું સંગઠન છે.] સરકારો જો અંદર અંદરના વહેવારમાં સર્વ રાષ્ટ્રીય પરિષદ (‘યૂનો’ — સંયુક્ત રાષ્ટ્રમંડળ) આગળ ન્યાય મેળવવામાં અસફળ થાય તો સત્યાગ્રહ કરી શકે કે નહીં, અને કરી શકે તો તે કઈ રીતે, એની પણ મીમાંસા હવે થવી જોઈએ.

વ્યાપક સત્યાગ્રહ માટે હજી પણ અનેકાનેક પ્રસંગો કલ્પી શકાય. આજકાલની અમેરિકા, ઇંગ્લંડ, રશિયા જેવી સરકારો શસ્ત્રબળની અસાધારણ શક્તિ ધરાવે છે. એવી સરકારની પ્રજા, પ્રજા તરીકે લગભગ નિઃશસ્ત્ર જ હોય છે. હવે જો કોઈ પણ કારણે એવી કોઈ સરકાર લોકસભાને પોતાની ધાકમાં રાખી જોહુકમી બની શકી તો પોતાની સ્વતંત્રતા જાળવવા માટે અથવા પાછી મેળવવા માટે જનતાએ શું કરવું? સરકાર પાસે આધુનિક વિજ્ઞાને તૈયાર કરેલાં શસ્ત્રોનું શસ્ત્રબળ કલ્પનાતીત હોય અને પ્રજા પાસે શસ્ત્રબળનો પૂરો અભાવ હોય, એવે વખતે પ્રજાના હાથમાં કેવલ સત્યાગ્રહ જ રહેવાનો. એ સત્યાગ્રહ પ્રજા કેવી રીતે વાપરી શકે એનો પણ વિચાર હવે થવો જોઈએ.

જગતમાં લગભગ બધાં જ રાષ્ટ્રો લોકશાહીના તત્ત્વને સ્વીકારતાં થયાં છે. એટલે હડહડતા અન્યાયના નિરાકરણ માટે લોકમતનો કોલ લેવાનો ઇલાજ પ્રજાના હાથમાં આવેલો હોવાથી, હવે પછી લોકમત જ્યાં જાગ્રત નથી એવે ઠેકાણે, સરકારને તેમ જ લોકમતને જાગ્રત કરવા માટે, ન્યાયની કલ્પનામાં લોકમતથી ઘણે દૂર સુધી ગયેલા સુધારકો જ સત્યાગ્રહ કરી શકવાના છે. એવા પ્રસંગો એક તો વિરલા હશે, અને બીજી બાજુ લોકમતના ટેકાને અભાવે તે ઉગ્ર રૂપે ચલાવવા પડવાના. સરકારમાં જો અહિંસા તત્ત્વ ઊતર્યું હોય તો જ આવા સત્યાગ્રહ સૌમ્ય રૂપમાં ચાલી શકે. પણ એ સત્યાગ્રહો લોકમતને અને લોકરૂઢ આદર્શને નહીં ગણકારતા હોવાથી સરકાર તેમ જ જનસમાજ બંને એવા સત્યાગ્રહીઓની પૂરતી કસોટી કરવાની જ. કેમ કે સરકારો પોતાની શક્તિનો ઇનકાર સાંખી શકતી જ નથી. દરેક સરકારમાં આત્મરક્ષાનું તત્ત્વ એટલું બધું જાગ્રત હોય છે કે, બીજાં કર્તવ્યો પાર પાડી શકે કે નહીં, પણ આત્મરક્ષાનું કર્તવ્ય તે પાર પાડવાની જ. અને તેથી સત્યાગ્રહની હવે ઘણી જ ઊંડી અને વ્યાપક કસોટી થવાની છે.

ગાંધીજી હતા ત્યાં સુધી તેઓ સત્યાગ્રહના પ્રમાણભૂત આચાર્ય ગણાતા. એ સત્યાગ્રહનો પ્રતિનિધિ આપણા દેશમાં કે દુનિયામાં હવે કોણ છે? વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહેવું પડે છે કે, સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી. સત્ય અને અહિંસાની જેનામાં એકાગ્ર નિષ્ઠા છે તે જ સત્યાગ્રહનો શાસ્ત્રકાર થઈ શકે છે. પણ એનામાં સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને હવે આંતરરાષ્ટ્રીય બળોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. દરેક પ્રકારના માણસનું મન કઈ રીતે કામ કરે છે એનું પણ ઊંડું અને નાજુક જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ, અને એની સાથે સત્યાગ્રહ જેવા સૂક્ષ્મ આધ્યાત્મિક તત્ત્વનાં થતાં ઇંદ્રિયાતીત પરિણામોનું સૂક્ષ્મ ભાન પણ એને હોવું જોઈએ. ઉપરટપકે જ્યાં પરાજય દેખાય છે ત્યાં પણ વિજયનો ઉદય થતો જોવાની ક્રાન્તદૃષ્ટિ જો એનામાં ન હોય, તો તે સત્યાગ્રહનો સફળ સેનાની ન જ બની શકે.

જેનું હૃદય જાતિ, ધર્મ, ભાષા, પંથ અને પૂર્વગ્રહની સંકુચિતતાને વીંધીને, પોતાની આસપાસની એકેએક વ્યક્તિ પ્રત્યે દોડી શકે છે, અને સ્વજન-પરજન, પાપી અને પુણ્યવાન, નાજુક અને રીઢા — બધાંને અપનાવી શકે છે, તેને હાથે જ સત્યાગ્રહની દોરવણી સફળ રીતે થઈ શકે છે.

પોતાની આસપાસના સમાજને દોરનાર સત્યાગ્રહી સામાજિક જીવનથી અલિપ્ત રહી શકે ખરો? “અત્યારે મારી પાસે કોઈ સત્યાગ્રહી ઇલાજ નથી, તે હું શોધીશ અથવા ઘડતો રહીશ, ત્યાં સુધી સમાજની જવાબદારી બીજા કોઈ લે અને એને સૂઝે તેમ કરે,” એમ જવાબદાર સત્યાગ્રહી કહી શકે ખરો? કે પરિસ્થિતિ પરત્વે જે યોગ્ય હોય તે ઇલાજ અજમાવીને જ સમાજને આગળ લઈ જાય?

યુદ્ધ ટાળવા માટે અને રાષ્ટ્રોમાં કુટુંબધર્મની સ્થાપના કરવા માટે ‘હેગ કાઉન્સિલ’ સ્થપાઈ. એની જ વ્યાપક આવૃત્તિરૂપ ‘લીગ ઑફ નૅશન્સ’ સ્થપાઈ. એના દોષો દૂર કરી આંતરરાષ્ટ્રીય દરબાર જેવી ‘યૂનો’ સ્થપાઈ. અને છતાં એ બધી સંસ્થાઓનું વાતાવરણ જોતાં એમને હાથે વિશ્વકુટુંબ સ્થપાય એવાં લક્ષણો દેખાતાં નથી. ‘યૂનો’ને હાથે જ અન્યાય થાય તો એની સામે નાનું મોટું ગમે તે રાષ્ટ્ર સત્યાગ્રહ કરી શકે અને સત્યાગ્રહ દ્વારા માનવવ્યાપી રાષ્ટ્રકુટુંબ સ્થપાય, એવી આશા ઉત્પન્ન થઈ છે? એને માટે કાળ પરિપક્વ થયો છે? અને પરિપક્વ ન હોય તો પોતાનાં બલિદાનથી તે પરિપક્વ કરવાના દિવસો આવ્યા છે?

જબરદસ્ત રાષ્ટ્રો ગમે ત્યારે ‘યૂનો’થી નોખાં પડી ‘તરવારનો ન્યાય’ અજમાવી શકે છે અને ‘યૂનો’ને નિરર્થક બનાવી શકે છે. અને તેથી ‘યૂનો’ને હંમેશાં બલાઢ્ય રાષ્ટ્રથી બી બીને ચાલવું પડે છે. નાનાં રાષ્ટ્રોએ હજી સુધી ‘યૂનો’ પાસેથી ન્યાય મેળવ્યો નથી. ‘યૂનો’ના અન્યાય સામે સત્યાગ્રહ કરવાની પોતાની યોગ્યતા પણ તેઓએ માની નથી. કેટલાક દેશો સરકાર તરીકે બલાઢ્ય હોય, પણ રાષ્ટ્ર તરીકે શિથિલ હોય. એવા દેશો આંતરરાષ્ટ્રીય દરબાર સામે સત્યાગ્રહ કરી શકે ખરા?

આવા મોટા મોટા જગદ્વ્યાપી સવાલો આપણી આગળ પ્રત્યક્ષ થતા જાય છે. એ સવાલોની શાસ્ત્રીય મીમાંસા દુનિયા આગળ રજૂ થવી જોઈએ.

‘યૂનો’ની નબળાઈ કે નાલાયકી સિદ્ધ થતાં આખી પૃથ્વીનું એટલે કે આખી માનવજાતિનું એક રાજ્ય સ્થાપન થઈ શકે ખરું? અને તેમ થાય તો તેવા રાજ્યની પ્રજા નિઃશસ્ત્ર હોય તો ઠીક કે સશસ્ત્ર હોય તો ઠીક? અને પ્રજાને જો નિઃશસ્ત્ર રાખવામાં આવે અને જગદેક-રાજ્ય જુલમી બની જાય તો એ સરકાર સામે પ્રજા શી રીતે ઝૂઝી શકે? એ વખતે સત્યાગ્રહનું રૂપ કેવું હોય? એ સવાલ તો જોતજોતામાં વહેવારુ સવાલ થવાનો છે. અને એ સવાલ સાથે જ સરકારની શક્તિ અહિંસક ઢબે તોડવા માટે ભાંગફોડ (‘સૅબોટેજ’) કેટલે દરજ્જે યોગ્ય ગણાય અને એની મર્યાદા કે વ્યાકરણ શું, એ સવાલ આપણે ટાળી શકવાના નથી.

અત્યાર સુધી આપણે જેટલા સત્યાગ્રહો અજમાવ્યા, તેટલા પરથી આપણે એટલું તો જોઈ શક્યા કે, સાચા સત્યાગ્રહ દ્વારા આપણે નક્કર શુદ્ધ વસ્તુ જ માગણીમાં મેળવી શકીએ છીએ. આપણી માગણીમાં જો મલિનતા હોય, અન્યાયભર્યો સ્વાર્થ હોય, અદૂરદૃષ્ટિ હોય અથવા માનવતાનો અભાવ હોય, તો તે સત્યાગ્રહ — શુદ્ધ સત્યાગ્રહ હોય તો — તો ફળી શકવાનો નથી. એટલે જેમ જેમ સત્યાગ્રહ કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી માગણીઓ શુદ્ધ કરવી જ પડે છે. સત્યાગ્રહ દ્વારા થતી આ અંતઃશુદ્ધિ જ સત્યાગ્રહનો સૌથી મોટો લાભ છે. સામા પક્ષ ઉપર સત્યાગ્રહની થતી અસરનો આપણે એટલે બધો વિચાર કરતા આવ્યા છીએ કે, એની પોતાના પર થતી અસર જોવા માટે આપણે થોભ્યા જ નથી. સત્યાગ્રહની ખરી શક્તિ આ આંતરિક શુદ્ધિને લીધે જ પ્રગટ થાય છે અને તેથી જ સત્યાગ્રહ સર્વહિતકારી પરમ મંગલ તત્ત્વ સિદ્ધ થાય છે.

આ યુગના સર્વશ્રેષ્ઠ શસ્ત્રનું સ્વરૂપ ઓળખવા માટે દરેક રીતે ઉપયોગી એવી આ સત્યાગ્રહની મીમાંસા પ્રજાએ અભિનંદન સાથે આવકારવી જોઈએ, અને ઉચ્ચ કેળવણીની સંસ્થાઓએ રાજનીતિના તેમ જ સમાજશાસ્ત્રના અધ્યયનમાં એને આવશ્યક સ્થાન આપવું જોઈએ.

… શસ્ત્રયુદ્ધશાસ્ત્ર પોતાની વિકરાળ સિદ્ધિમાં અણુબૉમ્બ સુધી પહોંચ્યું છે અને ગાંધીજીએ ધર્મયુદ્ધ-શાસ્ત્રને સત્યાગ્રહ સુધી પહોંચાડી દીધું છે. એ બે શસ્ત્રો જ ભવિષ્યની માનવતાનો નિવેડો આણનાર છે. બેમાંથી એક્કેની આપણે ઉપેક્ષા કરી શકવાના નથી અને બે વચ્ચે માંડવાળ તે અશક્ય જ છે.

જૂન, ૧૯૪૮ 
[‘સત્યાગ્રહની મીમાંસા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 03-06

Loading

...102030...2,5162,5172,5182,519...2,5302,5402,550...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved