જૂની માનવતાની યાદ અપાવે છે આ કોરોના
માણસને માણસથી દૂર ભગાવે છે આ કોરોના
કેટલાક ભૂખ્યા છે ને કેટલાક ઘરવિહોણા,
ને કેટલાકને વતનની રાહ બતાવે છે આ કોરોના
ઘણા દાતા, દાનવીર ને સેવકો છે મેદાને,
તો ઘણાને ભ્રષ્ટ પણ બનાવે છે આ કોરોના
પોલીસ, ડોકટર ને સફાઈકર્મી પણ છે સેવારત,
છતાં તેમને પણ રોજ સતાવે છે આ કોરોના
ચાહવા છતાં પણ નથી ચાહી શકતા પરિવારને,
કેવો આ સેવાનો ભેખ ધરાવે છે આ કોરોના
તમે જ ખુદ તમારા ઉદ્ધારક છો દોસ્તો,
ઘરમાં જે રહે છે તેને જ બચાવે છે આ કોરોના
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020
![]()


પ્રાણીચિકિત્સા(વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું થોડા મહિના પહેલાં આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’
દેશ અભૂતપૂર્વ લૉક ડાઉનના બીજા (હવે ત્રીજા) તબક્કા નીચે કચડાઈ રહ્યો છે, ત્યારે લૉક ડાઉન સફળ થયું કે નહીં અને એ સફળતા એટલે શું, તેના પર નજર નાખવાનું યોગ્ય ઠરશે. લૉક ડાઉનથી કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં રાખી શકાયો છે, તેવા દાવાને અત્યારે બાજુ પર રાખીએ, એટલા માટે કે જો સફળતા મળી જ હોત, તો લૉક ડાઉન લંબાવવામાં આવ્યું ન હોત અને એટલા માટે પણ કે નિષ્ણાતો કદાચ આપણને એમ કહે છે કે વાઇરસને આસાનીથી નાથી શકાય તેમ નથી, તે કદાચ થોડાક વધુ સમય માટે આપણી વચ્ચે રહેશે અને અને થોડા થોડા સમયે તે માથું ઊંચક્યા કરશે. પણ કોરોના વાઇરસ સામેના ‘યુદ્ધ’માં વિજય મળે તો પણ જ્યારે ભારત સામાન્યવત્ સ્થિતિમાં પાછું ફરશે ત્યારે તે પહેલાંના જેવી નહીં, પણ એક નવી જ સામાન્ય સ્થિતિ હશે.