Opinion Magazine
Number of visits: 9575351
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિઠ્ઠી આઈ હૈ ….. બડે દિનોંકે બાદ

ભરત મહેતા|Opinion - Opinion|3 June 2020

મોટે ભાગે દૃશ્યશ્રાવ્ય માધ્યમોમાં હરહંમેશ અવનવા પોશાકમાં રજૂ થતાં પ્રધાનમંત્રીએ ઘણે દિવસે, 30મી મેએ રાષ્ટ્રજોગ પત્ર લખ્યો છે. ઘણાં વર્તમાનપત્રોએ આ પત્રને આખેઆખો છાપ્યો છે. એ પેઇડ ન્યૂઝ છે કે સરકારને સારું લગાડવા છે એ તો રામ જાણે! આ પત્રમાં પોતાની સરકારનું એક વર્ષ પૂરું થયું તેથી ‘છ સાલ કેવાં  બેમિસાલ’ છે એની વાત છે. પત્ર નરી નમ્રતાથી લથબથ છે. મીઠાશથી ભરેલો છે. તેમ છતાં પોતાની પીઠ થાબડવાના એમના જાણીતા સંસ્કાર પણ પ્રગટ થયા છે. તે પત્રની વિગતો અને પત્રમાં નથી તેવી, બાકોરાંમાંથી દેખાતી ગુપચાવી દીધેલી વિગતોની અહીં ચર્ચા કરવી છે.

પહેલી વાત એ છે કે પત્રમાં આર્થિક બાબતનો નાનો સરખો ય ઉલ્લેખ નથી. તેથી તે એક રીતે નિષ્ફળતાનો સ્વીકાર ગણાય. 'વિકાસ'ના મુદ્દે 2014નો જંગ જીતેલા, એ વિશે એક શબ્દ પણ અહીં નથી. એક તબક્કે વિકાસ સામે સવાલ ઉઠાવનારાઓ દેશદ્રોહી ગણાતા હતા. હવે ખુદ વડાપ્રધાન જ આ શબ્દ ભૂલી ગયા છે. નવી સિદ્ધિમાં અયોધ્યા (જેમાં બંધારણના લીરેલીરા ઊડયા), 370મી કલમ (હજુ કાશ્મીરની આમજનતાને આર્થિક તબાહીમાંથી કળ નથી વળી.) અને તીન તલાક છે. ત્રણેય મુદ્દા લોકપ્રિય અને વોટબેંકની રાજનીતિવાળા છે. પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હવે ભુલાઈ ગઈ છે! કોરોનાકાળમાં આ સિદ્ધિઓ ગણાવાય એ વરવું  લાગે છે. વધુ એક સિદ્ધિ CAAની છે, પણ એ વિશે આગળ જોઈશું.

સંસદને વંદન કરીને પ્રવેશ લીધો ત્યાર બાદ સંસદીય ગરિમાનો ઠેકઠેકાણે તેમણે ભંગ કર્યો. કોઈ સંસદીય સમિતિની ચર્ચા-વિચારણા વિના જે દેશમાં કમરતોડ નોટબંધી લાદી હતી તેનો ઉલ્લેખ સુદ્ધાં નથી! કાળું નાણું લાવશે, આતંકવાદ ઓછો થશે, બજારમાં તેજી આવશે — એ ત્રણ દાવા નોટબંધી પાછળ હતા, તે સિદ્ધ થયા? કોરોના તો માર્ચથી આવ્યો. 12 વર્ષની સૌથી નીચી GDPમાં નોટબંધીનો ફાળો મોટો છે. રઘુરામ રાજન કહે છે કે તમે અર્થ વ્યવસ્થાને એવી ચગદી નાખી છે કે તેને બહાર કાઢવી મુશ્કેલ છે. તેથી આવનારા દિવસો કાળાડિબાંગ હશે. આવો અંધારપટ સર્જીને તમે દીવા પેટાવવાનું કહો છો! કોરોનામાં ચારે તરફ દીપકો બૂઝાઈ રહ્યા છે. અગાઉની સરકારે સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) 51 ટકા કર્યું ત્યારે તમે ચારે ય બાજુ રોકકળ કરી મૂકી હતી અને તમે આવીને 100 ટકા કરી! પહેલાં પાંચ વર્ષમાં પ્રભુએ સમસ્ત બ્રહ્માંડમાંથી વિદેશી રોકાણ લાવવા વિચરણ કર્યું અને હવે મેળ પડતો નથી, એટલે આત્મનિર્ભરતાનો રાગ આલાપવો શરૂ કર્યો છે.

GSTમાં પણ વારંવાર નિયમો બદલાયા, હજુ એ વિભાગના માણસોને નિયમો સમજાતા નથી! તેમના નીતિગત નિર્ણયો ઉતાવળા હોવાથી અશાંતિ અને અરાજકતા સર્જે છે. તે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે કાશ્મીરમાં સ્થિતિ સારી હતી. ચૂંટણી થઈ શકી. તેમની છાવણી જેમને દેશદ્રોહી ગણતી હતી એ PDP સાથે સરકાર પણ બનાવી શકાઈ, કલમ 370ની નાબૂદી પછી કાશ્મીરની આમજનતા ભૂખે મરી રહી છે. એવું જ CAAમાં. બસ, છાકો પાડી દેવાનો, પ્રવર સમિતિમાં કોઈ પ્રસ્તાવ નહીં, કોઈ સંસદીય પ્રક્રિયા નહીં.

તમારી એક સિદ્ધિ રાફેલની ખરીદી હતી. એનો ઉલ્લેખ કેમ નથી આ પત્રમાં? ભ્રષ્ટાચારની આટઆટલી ફરિયાદ આવી હોવા છતાં તમે દૂધે ધોયેલા છો, તો કેમ નિષ્પક્ષ તપાસપંચ ન બનાવ્યું? જે લોકપાલ માટે તમે બાબા રામદેવ, અન્નાજી અને કિરણ બેદી સાથે મેદાનો ગજવતા હતા એ લોકપાલ ક્યાં છે? રામદેવબાબાને ઉત્તરાખંડમાં જમીન મળી ગઈ અને લોકપાલ-લોકપાલ કરતાં કિરણ બેદી રાજ્યપાલ બની ગયાં! નોટબંધીની વિગતો જનતા સમક્ષ આવતી જોઈતી હતી પણ તમે એકાએક RTIના ક્ષેત્રમાંથી નોટબંધીની વિગતોને કાઢી નાંખી! RTIના કાયદાને તમે પાણીપાતળો કર્યો છે.

આવો જ એક ભ્રષ્ટાચાર હમણાં બીજો બહાર આવ્યો છે. તે મુખ્યમંત્રી હતા ત્યારે G.S.P.C. દ્વારા 15 બેન્કો તરફથી ગૌતમ અદાણીને રૂ. 20,000 કરોડ રૂપિયા અપાયા. 2007માં તે કહેતા હતા કે હવે ગુજરાતમાં જ્યાં પાઇપો નાખશો ત્યાંથી ગેસ અને ઓઈલ નીકળશે. આ ઠેકો અદાણીને અપાયો. ગેસ ઓઇલ ન નીકળ્યાં. અદાણી રૂ. 20,000 કરોડ પરત કરતા નથી. RBIએ ગૌતમ અદાણી સામે કેસ કર્યો છે ત્યારે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા RBI પર કેસ ઠોકી દીધો! 70 વર્ષમાં આવું તો પહેલી વાર બન્યું કે કેન્દ્ર સરકાર RBI સામે કેસ કરે — એક ઉદ્યોગપતિને બચાવવા માટે! કદાચ એટલે જ કહેવાય છે કે  મોદી હૈ, તો  મુમકિન  હૈ. આ રાફેલ જેટલો જ મોટો ગોટાળો હોવાની શંકા જાય છે.

તે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નું સૂત્ર લઈને આવ્યા હતા. ભય તો કેવો છે! પાર્ટીમાં કે પાર્ટી બહાર બોલાતું નથી. જે કોઈ બોલે એના પર FIR — પછી ભલે એ રોમિલા થાપર હોય, રામચંદ્ર ગુહા હોય, નવલખા હોય કે આનંદ તેલતુંબડે. સવાઈ કટોકટીનું નિર્માણ થયું છે. મોબ લિચિંગ, બળાત્કાર વધ્યા છે. તેમનાં પાંચ વર્ષમાં દલિત અત્યાચારોની નોંધાયેલી ફરિયાદો અઢી લાખ છે! કોઈ IPS, IAS બોલી ન શકે. કોઈ ન્યાયાધીશ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું કહે, તો એની તાત્કાલિક બદલી થઈ જાય. ભયની આંધી પેદા કરે છે.

પત્રના બીજા દિવસે તેમણે કહ્યું કે ભારતમાં 1 કરોડ દરદીનો કોરોનામાં 'ફ્રી' ઈલાજ  થયો છે! અમિત શાહ જણાવે છે કે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોને તત્કાળ વહેંચવામાં આવ્યા, તો તો 1 રૂપિયો અને 29 પૈસા થાય! શું બોલો છો એ ખબર જ નથી પડતી. રસ્તે જતાં મૃત્યુ પામેલા છસો મજૂરો, ટ્રેનમાં ભૂખથી મરેલા 80 પ્રવાસીઓને આ પત્રમાં પણ શ્રદ્ધાંજલિ નથી.

ભારતના પ્રત્યેક નાગરિકને આર્થિક સહાય કરો. કોરોનાગ્રસ્ત દરદીઓની સેવા કરતાં મૃત્યુ પામેલાં નર્સ, ડોક્ટર, કર્મચારી, પોલીસ અધિકારીને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા આપો, એમને શહીદનો દરજ્જો આપો. ફૂલ વરસાવવાની  કોઈ જરૂર નથી. તે સત્તા પર આવ્યા પછી ત્રણેય પડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથેના સંબંધો વકર્યા છે, એ તેમની વિદેશનીતિની નિષ્ફળતા છે. તેની અસર ખાડીના દેશો પર પણ પડી છે.

પત્રમાં અગાઉના ગાળાની ઉજજવલા યોજનાની વાત છે. ગેસ તો મળ્યો, પણ બોટલની કિંમત રમણે ચઢી છે એનું નથી કહેતા! જે પેટ્રોલમાં થતા ભાવવધારાથી તમે સળગી ઊઠતા હતા, એનો આજે ય વિશ્વભરમાં સહુથી વધુ ભાવ અહીં થયો એ સિદ્ધિની વાત પણ પત્રમાં નથી. ચિઠ્ઠીમાં છે એ તો બધા વાંચશે. તેમાં નથી, એ મેં વાંચ્યું છે. મીઠી ભાષામાં લખાયેલા તમારા પત્રમાં જનતાની આર્થિક તબાહી કેમ થઈ અને એમાંથી બહાર શી રીતે નીકળવું તે ગેરહાજર છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020

Loading

લૉક ડાઉનના સમયમાં લઘુ ઉદ્યોગોની સ્થિતિ

મુનિ દવે|Opinion - Opinion|3 June 2020

જે લોકો એન્જિનિયરિંગ કંપનીઓ સાથે સંકળાયેલા હોય તેમને ખબર હશે કે આવી કંપનીઓ માટે માર્ચ મહિનો બહુ અગત્યનો હોય. સામાન્ય રીતે એ મહિને વર્ષનું સૌથી વધુ કામ થાય. ઘણી રાતોના ઉજાગરા થાય. એ મહિને સૌથી વધુ માલ રવાના થાય. આમ, માર્ચ મહિનો એ કમાવાનો મહિનો. મને યાદ છે કે આજથી 20 વર્ષ પહેલાં મશીનો મોકલવા અમારે એક મહિના પહેલાં ટ્રકો બૂક કરાવવી પડતી. એક-બે દિવસમાં બહારના રાજ્ય માટે ટ્રક માગો તો ન મળે. તેમાંયે માર્ચનું છેલ્લું અઠવાડિયું તો ભારે વ્યસ્ત હોય. કંપનીના દરેક સ્તરનો કર્મચારી — એન્જિનિયર કે કારીગર, ક્યારે ઘરે જશે તેનું કોઈ ઠેકાણું ના હોય. પછી એપ્રિલનો મહિનો એકદમ આરામનો મહિનો.

આ વર્ષે લૉક ડાઉન માર્ચના લગભગ છેલ્લા અઠવાડિયામાં જાહેર થયું અને તે પણ અગાઉ જાણ કર્યા વગર. તેને કારણે બહુ લોકોનો તૈયાર થયેલો માલ, જેને જલદી મોકલવા ગ્રાહકો ભારે દબાણ કરતા હતા, તે બધો રવાના થયા વગરનો પડી રહ્યો. પછીથી દુનિયાભરની પરિસ્થિતિ જે રીતે બગડી, તેને કારણે એ બધા ઓર્ડરો કેન્સલ થઈ ગયા. આને કારણે મોટા ભાગની કંપનીઓ પાસે લાખો-કરોડો રૂપિયાનો માલ એમ જ પડ્યો રહ્યો. એટલું જ નહીં, તેના પૈસા પણ નહીં આવે. આને કારણે બહુ મોટો આર્થિક ધક્કો લાગ્યો. તેમાંયે કેટલાક મશીનો તો એવાં હોય, જે ગ્રાહકની ખાસ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝઈન થયેલાં હોય. તેના ઑર્ડર જો કેન્સલ થાય, તો બીજું કોઈ એ મશીન લેવા તૈયાર ન થાય. તે બધા પૈસા ડૂબી ગયા સમજી લેવાના.

એક ઉદ્યોગપતિના કહેવા મુજબ એ માત્ર ખાસ પ્રકારનાં મશીનો જ બનાવે છે, જેને સ્પેશ્યલ પરપઝ મશીન – SPM કહેવાય. માર્ચની 23 તારીખે તેમનાં રૂ. 2 કરોડની કિંમતનાં બે મશીન નિકાસ માટે તૈયાર હતા. બેન્કનું ક્લિયરન્સ પણ આવી ગયેલું અને 24મીએ લૉક ડાઉન જાહેર થયું. મશીનોની રવાનગી અટકી પડી. આજે એ બંને મશીનોના ઑર્ડર કેન્સલ થઈ ગયા છે. તે ઉપરાંત તેમની પાસે બીજાં મશીન બનાવવા માટેનો એક કરોડ રૂપિયાનો કાચો માલ ફૅક્ટરીમાં પડ્યો છે. હવેની પરિસ્થિતિમાં એ ઑર્ડર પણ કૅન્સલ થઈ ગયા છે. તે હવે એ ચિંતામાં છે કે આ આર્થિક બોજો કેવી રીતે સહન થશે. તેણે તેના કર્મચારીઓને બે મહિનાનો પગાર તો આપી દીધો, પણ આગળના મહિનામાં પગાર કેવી રીતે આપશે? બહારથી જે માલ 3 મહિનાની ક્રેડિટ પર મળતો હતો, તે બધા હવે રૂપિયાની સામે માલ આપે છે. કારણ કે તેઓ પણ આર્થિક ભીંસમાં જીવે છે. જો આવું એકાદ-બે મહિના ચાલશે તો ફૅક્ટરીને તાળું મારવું પડશે તે નક્કી છે. અલબત્ત, આવા ઉદ્યોગપતિઓ ઓછા છે. વધારે લોકો તો બધાને ચાલે તેવાં મશીન બનાવવાવાળા છે. તેમની પાસે પણ માલનો ભરાવો છે. તે કેટલા મહિના ટકી શકે છે તે જોવાનું રહ્યું. મોટા ભાગના ઉદ્યોગપતિઓ લોન લેવા રાજી નથી. કારણ કે ભવિષ્ય અસ્પષ્ટ છે. આગામી મહિના કેવા હશે તેનો અંદાજ નથી આવતો, તો લોન કયા જોર પર લેવી અને શા માટે વધારે ઊંડા ખાડામાં ઊતરવું?

મારા જાણીતા ઉદ્યોગપતિ, પ્રસાદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યુવાન ડિરેક્ટર ધ્રુવ શાહે વીડિયો બનાવીને બધા ઉદ્યોગપતિઓને એક સરસ અપીલ કરી છે. ‘સામાન્ય રીતે કોઈ પણ એન્જિનિયરિંગ કંપનીના કુલ ટર્ન ઓવરમાં કર્મચારીઓના પગારનો હિસ્સો 10થી 30 ટકા જેટલો હોય છે. તેમાંયે જે કારીગરો અને હેલ્પરો છે તેમના પગારનો હિસ્સો તો 2થી 3 ટકા જ હોય છે. એ તેમના નફાના 2 ટકા જેટલો જ ભાગ છે. તો જે કારીગરો વર્ષોથી તેમની સાથે છે તેમની સુખાકારી માટે, તેમને દરેક મહિનાનો પગાર આપીને, શું આટલો ભોગ માલિકો ન આપી શકે?’ ધ્રુવની વાત તો એકદમ સાચી અને વાજબી છે. એવા ઘણા હશે જે આપી શકે, પણ તેઓ પોતાના મોજશોખમાં – વિદેશ પ્રવાસો, હૉટેલોના ખર્ચા, ક્લબોના ખર્ચા, દીકરા-દીકરીની મોંઘી સ્કૂલો કોલેજોની ફી વગેરેમાં કાપ મૂકવા માટે તૈયાર નથી. તેમણે આ રીતે વિચારવું જ જોઈએ. પણ એ બધા પાસે ધ્રુવ જેવા સમાજસેવાના કૌટુંબિક સંસ્કારો ન હોય.

બહુ મોટી સંખ્યા એવી પણ છે જે ડૂબવાની અણી પર છે અને ગમે તેટલી ઈચ્છા હોવા છતાં પગાર આપવાની સ્થિતિમાં નથી. એક વાત એવી છે કે દેશમાં કુલ સાતથી આઠ કરોડ MSME (માઇક્રો, સ્મૉલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) છે. તેમના માટે જે સરકારી પૅકેજ જાહેર થયું છે તે દ્વારા, સરકારના કહેવા મુજબ, 45 લાખ  MSMEને આ લાભ મળશે અને તે પણ લોન તરીકે. તો બાકીના કરોડોનું શું? આ ઉપરાંત ઘણાની બેન્કની લોન ચાલુ છે, જેના હપ્તા ભરવાના છે, ભલે થોડા મોડા, પણ ભરવાના તો છે જ. તે માફ નથી થયા.

કારીગરોના સ્થળાંતર બાબતે એવી વાત વહેતી થઈ છે કે વિરોધ પક્ષ મજૂરોને સમજાવીને, પૈસા આપીને તેમના રાજ્યોમાં મોકલી આપે છે, જેથી આવી અવ્યવસ્થા સર્જાય. ઘણા વર્ષોથી એવી પ્રણાલી પડી છે કે કારીગરોને કૉન્ટ્રાક્ટર દ્વારા રાખવાના. તેમના પગારની જવાબદારી કૉન્ટ્રાક્ટરની. નાની-મોટી બધી કંપનીઓ — માઇક્રોથી માંડીને મુકેશ અંબાણી સુધીની બધી કંપનીઓએ, સરકાર દ્વારા સંચાલિત એસ.ટી. અને બી.આર.ટી.એસ. દ્વારા આ રસ્તો અપનાવવામાં આવ્યો છે. કૉન્ટ્રાક્ટ પર કામ કરતા આ મજૂરો, કારીગરો, ડ્રાઇવરો સરકારના ચોપડે રજિસ્ટર થયેલા જ હોય તેવું નથી. એથી તેમને સરકારના કોઈ લાભ ન મળે. (ગુજરાત સરકારે હાઈકોર્ટને જણાવ્યા મુજબ ‘રાજ્યમાં કુલ 22.5 લાખ મજૂરોની સામે માત્ર 7,512 મજૂરો રજિસ્ટર થયેલા છે. આ ઉપરાંત તે ગુજરાતમાં અમને પૂછીને નથી આવ્યા. આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂર ધારા 1979 મુજબ સરકાર તેમને માટે રેલવેની ટિકિટના પૈસા ભરવા  બંધાયેલી નથી.’)

લૉક ડાઉન જાહેર થયું ત્યારથી કૉન્ટ્રાક્ટરે પગાર આપવાનો બંધ કર્યો. બીજી વાત કે મોટા ભાગના મજૂરો ભાડે રહેતા હોય છે. તે પોતાનું ઘર ખરીદવાના નથી. તે ઉપરાંત તે ભાડું ન આપે તો ઘરધણીએ ઘર ખાલી કરાવ્યું. વડાપ્રધાને હાથ જોડીને અપીલ કરી. તેની કોઈ અસર ન થઈ. આમ તેઓ રસ્તા પર આવી ગયા. મફત ખાવાનું મળ્યું તે પૂરતું ન હતું, તેમને અનુકૂળ પણ નહોતું, તેમના સમયે પણ ન હતું. દરેક શ્રમજીવી સવારે કામે ચડતાં પહેલાં ભરપેટ ખાઈ લે છે. તેને બદલે જો તેને બપોરે બે-ત્રણ વાગ્યે ખાવાનું મળે, તો તે ભૂખનો માર્યો આકુળવ્યાકુળ થઈ જાય તે સ્વાભાવિક છે. લાખોની સંખ્યામાં રહેલા આ મજૂરોને-તેમના કુટુંબોને રોજ સમયસર જમવાનું પહોંચાડવું કોઈ પણ સંસ્થા માટે શક્ય ન બને. આવી રીતે તે કેટલો વખત પરોપજીવી રહી શકે? એક પછી એક લૉક ડાઉન આવતાં રહ્યાં અને તેમની ધીરજ ખૂટતી ગઈ એટલે થાકીને તેમણે વતનની વાટ પકડી. હવે દિવાળી સુધી તો તેઓ પાછા આવે તેવી આશા નથી. આપણે ધારીએ છીએ તેટલો આ પ્રશ્ન સહેલો નથી. બધાને પોતાની આજીવિકાની ચિંતા છે. તેમને ધંધો બંધ કરવો બહુ આકરો પડે છે.

જે સાઠ ઉપરની ઉંમરના છે તેઓ તો નિવૃત્ત થઈ જશે, પણ બાકીનાનું શું? આ બંધ કરીને બીજું કંઈક તો વિચારવું જ પડશે. આ બધા હોંશિયાર છે, સાહસિક છે. તેઓ આપમેળે-સરકારની મદદ વગર પણ રસ્તો કાઢશે. પણ તેને સમય લાગશે. તેમને એ પણ ખબર છે કે જાણીતા, અનુભવી અને વિશ્વાસપાત્ર કારીગર મળવા મૂશ્કેલ છે. વર્ષોના અનુભવ બાદ તેમના કારીગરો તેમની જરૂરિયાતોને, તેમની કામની પદ્ધતિને સાચી રીતે સમજતા થયા છે. તેમને ગુમાવવા પોસાય તેમ નથી. પણ કેવી રીતે રાખવા? કેટલું કામ આવશે? એટલો વખત પગાર કેમ આપવો? આ બધા પ્રશ્નોના જવાબ તેમને નથી મળતા અને કોઈ એ જવાબો આપવાની સ્થિતિમાં નથી. એવા પણ ઘણા છે જે પૂરા આશાવાદી છે કે એક-બે મહિનામાં બધું પાટે ચડી જશે. આપણે ઈચ્છીએ કે તેમનો આશાવાદ સાચો ઠરે.

e.mail : samanvay.sys@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020

Loading

માત્ર સસ્તી મજૂરી નહીં, રાજકારણ અર્થતંત્રનું ચાલકબળ બનશે

આશુતોષ વાર્ષ્ણેય • અનુવાદઃ હેમન્તકુમાર શાહ, આશુતોષ વાર્ષ્ણેય • અનુવાદઃ હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|2 June 2020

વીસમી સદીના પૂર્વાર્ધના કદાચ સૌથી વધુ પ્રભાવક અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે 1920માં એક પ્રખ્યાત લખાણ લખ્યું હતું, જે આજના આપણા સમય માટે પણ લખી શકાયું હોત. એ પછી એક સદી વીતી ગઈ છે અને આજે જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ તેનો પ્રથમ તબક્કો પૂરો થયો છે ત્યારે, કેઇન્સ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ બોલ્યા હતા તે અહીં લંબાણથી ટાંકવા જેવું છે :

“માનવજાતની આર્થિક પ્રગતિમાં કેટલીક અસાધારણ ઘટનાઓ બની છે, જેનો અંત ઓગસ્ટ 1914માં આવી ગયો હતો! ….. લંડનના રહેનાર એક વ્યક્તિ ટેલિફોન દ્વારા ઑર્ડર આપી શકે છે, પથારીમાં સવારની ચા પીએ છે, આખી દુનિયાની વિવિધ ચીજો જોઈએ તેટલા પ્રમાણમાં વાપરે છે અને પોતાના ઘરના બારણે તે વહેલામાં વહેલી તકે આણી શકે છે; સાથે સાથે એ જ ક્ષણે અને એ જ સાધનો દ્વારા કોઈ પણ જાતની તકલીફ વિના તથા પસીનો પાડ્યા વિના, કુદરતી સંસાધનોમાં પોતાની સંપત્તિનું રોકાણ કરી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં નવું સાહસ શરૂ કરીને તેનાં ફળ અને લાભ મેળવી શકે છે ……. જો તે ઈચ્છે તો તે કોઈ પણ દેશમાં કે કોઈ પણ પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશમાં જવા માટે સસ્તું અને આરામદાયક સાધન મેળવી શકે છે … પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે પોતાની આ સ્થિતિને, જો તેમાં વધુ સુધારો થવાનો હોય તો સામાન્ય, નિશ્ચિત અને કાયમી ગણે છે અને જો તેમાં સહેજ પણ વિપરીત ફેરફાર થાય તો તે તેને નીતિનાશને માર્ગે જનારી, કૌભાંડી અને ટાળી શકાય તેવી ગણે છે.”

આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતો આપણને સતત કહી રહ્યા છે કે અણુશસ્ત્રોને લીધે અત્યારે વિશ્વયુદ્ધ થવાની શક્યતાઓ નથી. પરંતુ તેને બદલે કોરોનાની મહામારી, વિદ્વાનો જેને વૈશ્વિકીકરણનો બીજો તબક્કો કહે છે તેનો અંત લાવી શકે છે. આ બીજો તબક્કો 1980ના દાયકામાં શરૂ થયો હતો, અને તે ચાર દાયકા સુધી ચાલ્યો છે. આ યુગમાં અમુક વર્ગના મનુષ્યો દુનિયાના કોઈ પણ ખૂણે ઉત્પન્ન થયેલી ચીજો માટે ઇન્ટરનેટ દ્વારા ઓર્ડર આપી શકે છે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં મૂડીરોકાણ કરી શકે છે.

આર્થિક રીતે જ જોઈએ તો, વૈશ્વિકીકરણ એટલે મૂડી, વસ્તુઓ અને શ્રમની મુક્ત હેરફેર માટે રાષ્ટ્રીય સરહદોનો ઇન્‌કાર. મજૂરોનું આવાગમન કદી પણ મૂડી અને વસ્તુઓ જેટલું મુક્ત હતું જ નહીં. મૂડી અને વસ્તુઓના હવે ટુકડા થઈ ગયા છે. કોણે  કઈ વસ્તુ આખી પેદા કરી છે, તેની ખબર પડવી  જરૂરી નથી. સ્થળાંતરિત મજૂરો પણ અગાઉ હતા તેમ જ વહેંચાઈ ગયા છે. વંશીય રીતે, જાતિગત રીતે અને ધાર્મિક રીતે તે મુખ્ય પ્રવાહથી કેટલા વેગળા છે, તે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તેમ છે. તેથી, શ્રમનો પ્રવાહ વહે છે પણ, જો તે મોટા પ્રમાણમાં હોય તો તેમાં વતનપરસ્તીનું જમણેરી રાજકારણ હંમેશાં જન્મ લે છે. તેવું રાજકારણ આપણને ભાગ્યે જ વસ્તુઓ અને મૂડીની હેરાફેરીમાં થતું દેખાય છે.

કોરોના મહામારી પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિકીકરણના સાતત્યપૂર્વક ટીકાકાર રહ્યા છે. તેમણે ખાસ કરીને સ્થળાંતરિત બિન-ગોરા મધ્ય-દક્ષિણ અમેરિકન સ્પેનિશ લોકોને તથા મુસ્લિમ લોકોને પોતાના રાજકીય ગુસ્સાનું લક્ષ્યાંક બનાવ્યા હતા. પરંતુ તે મુક્ત વ્યાપાર અને ઓછા ખર્ચની શોધમાં ચીનમાં જંગી મૂડીરોકાણ કરતા, તથા એ રીતે નોકરીઓ અમેરિકામાંથી ચીનમાં લઈ જતા ઉદ્યોગપતિઓના વિરોધી રહ્યા છે. મુક્ત વ્યાપારને નાથવા માટે તેમણે અમેરિકામાં થતી આયાતો પર વધુ જકાત નાખી છે અને અમેરિકન ઉદ્યોગપતિઓને પોતાની મૂડી પાછી અમેરિકામાં લઈ આવવા માટે હાકલ કરી છે. યુરોપમાં પણ યુનાઇટેડ કિંગ્ડમના નેતૃત્વ હેઠળ આ જ પ્રકારનું રાજકારણ, ઓછા બૂમબરાડા સાથે, ખેલાઈ રહ્યું છે.

અનેક મોટાં અર્થતંત્રો કોરોના મહામારીમાં સપડાયાં છે ત્યારે તે આ રાજકીય હુમલાનું શું કરશે? વાસ્તવવાદી રાજકીય અર્થમાં આ પ્રશ્નનો જવાબ, વૈશ્વિકીકરણના બીજા તબક્કાએ ચીનને કેવી રીતે લાભ કરી આપ્યો છે, તેના પર ધ્યાન આપ્યા વિના આપણે આપી શકીએ તેમ નથી. 

અલબત્ત, એ નોંધવું જોઈએ કે વૈશ્વિકીકરણના 1815થી 1914ના પ્રથમ તબક્કામાં ચીને બહુ સહન કરવું પડ્યું હતું. 1800માં વિશ્વનું ૩૩ ટકા ઔદ્યોગિક ઉત્પાદન ચીનમાં થતું હતું. પછી બે અફીણ યુદ્ધોમાં ચીન હાર્યું. એટલે 1900 સુધીમાં તેના ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઘટીને માત્ર છ ટકા થઈ ગયું હતું. અત્યારે વધુ મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિકીકરણના બીજા, 1980-2014ના તબક્કામાં ચીન આરંભમાં બહુ પાછળ રહી ગયું હતું. 1980માં તે ઔદ્યોગિક ઉત્પાદનમાં દુનિયામાં 48મા ક્રમે હતું. 1982માં તેની જી.ડી.પી. આશરે 200 અબજ ડોલર હતી અને ભારત પણ અર્થતંત્રનું તેટલું જ કદ ધરાવતું હતું.

છેલ્લામાં છેલ્લી માહિતી અનુસાર ચીન 13.6 લાખ કરોડ ડોલર સાથે દુનિયાનું બીજા ક્રમનું અર્થતંત્ર છે. અમેરિકા 20.5 લાખ કરોડ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. પણ એ જાપાન (4.9 લાખ કરોડ), જર્મની (4.૦ લાખ કરોડ), યુનાઇટેડ કિંગ્ડમ (2.8 લાખ કરોડ), ફ્રાન્સ (2.8 લાખ કરોડ) અને ભારત (2.7 લાખ કરોડ) કરતાં ઘણું આગળ છે. 2018માં ચીન દુનિયાભરમાં સૌથી વધુ વ્યાપાર કરતો દેશ હતો. તેની નિકાસ 2.5 લાખ કરોડ ડોલર હતી, જ્યારે અમેરિકાની 1.6 લાખ કરોડ ડોલર હતી. વળી, 2018માં ચીનમાં 203 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) થયું હતું, જે જર્મની, જાપાન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગ્ડમ કરતાં પણ વધારે હતું. ભારતમાં 48 અબજ ડોલર અને અમેરિકામાં 258 અબજ ડોલર FDI તે વર્ષે આવ્યું હતું. આમ, ચીન અમેરિકા પછી બીજા ક્રમે હતું. ચીનમાં કેટલું બધું વિદેશી રોકાણ આવ્યું હતું!

કોરોના મહામારીના સંદર્ભમાં તબીબી સાધનસામગ્રીના આંકડા વધુ આશ્ચર્યજનક છે. રક્ષણાત્મક સર્જિકલ વસ્ત્રો, પ્લાસ્ટિક ફેસ શીલ્ડ, કપડાંના માસ્ક અને થર્મોમિટરના 50થી 80 ટકા પુરવઠા માટે અમેરિકા ચીન પર આધાર રાખે છે. વૅન્ટિલેટર અને હાથનાં સેનિટાઈઝરનો 20 ટકા પુરવઠો પણ ચીનથી આવે છે. ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓ આ વલણો સંપૂર્ણપણે આર્થિક છે એવી ગમે તેટલી દલીલ કરે, તો પણ તે એમ દર્શાવે છે કે ચીનમાં મોટા પાયે ઉત્પાદન કરવાનું કેટલું આસાન છે. જો ચીન આ મહત્ત્વનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરે તો માત્ર પશ્ચિમના જગતના નેતાઓ જ નહિ પણ દુનિયાભરના નેતાઓ ચિંતાતુર બની જાય, અને તે રાષ્ટ્રીય સલામતીનો સવાલ તો ખરો જ !

પોતાના ગોટાળા છૂપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને બલિનો બકરો બનાવવા માંગે છે, પણ રાજકીય પવન અત્યારે ટ્રમ્પથી સાવ જુદી દિશામાં ફૂંકાઈ રહ્યો છે. વુહાનમાં કોરોના વાઇરસ કેવી રીતે જન્મ્યો તેની માહિતી ચીને કેવી રીતે છુપાવી છે એની બધી સાચી કે ખોટી શંકાઓ બાજુ પર મૂકીએ તો પણ, દુનિયાભરની રાજધાનીઓમાં ચીન પ્રત્યેનો રોષ સ્પષ્ટપણે દેખાય છે. કોરોના મહામારીને લીધે અચાનક આવી પડેલી ભારે વેદનામાંથી જન્મેલો આ રોષ વૈશ્વિકીકરણના અર્થતંત્ર પર અસર પાડશે જ એમાં કોઈ શંકા નથી.

હવે મજૂરોના આંતરરાષ્ટ્રીય આવાગમન ઉપર અગાઉ કરતાં વધારે પ્રમાણમાં નિયમન આવશે. તાજેતરના દાયકામાં બન્યું હતું તેના કરતાં વધારે પ્રમાણમાં, પશ્ચિમની રોકાણકાર કંપનીઓએ પોતાના મૂડીરોકાણમાં રાજકીય જોખમ કેટલું છે તેના પર ધ્યાન આપવું જ પડશે. માત્ર જ્યાં મજૂરોનું ખર્ચ ઓછું હોય ત્યાં જવાનું જે વલણ હતું તે છોડીને હવે તેઓ તેમની મૂડી પોતાના દેશમાં પાછી લઈ જાય અથવા ભૌગોલિક રીતે તેમના પુરવઠાની સાંકળને ફરીથી ગોઠવે એમ પણ બને. હમણાંથી અનેક વસ્તુઓ માટે વૈશ્વિક સ્તરે પુરવઠાની સાંકળ હકીકતમાં ચીનની સાંકળ બની ગઈ હતી. આ પ્રકારનું આર્થિક કેન્દ્રીકરણ હવે રાજકીય રીતે ટકાઉ બની શકે તેમ લાગતું નથી.

બજાર આધારિત આર્થિક વ્યવસ્થામાં આર્થિક કાર્યક્ષમતા એક મુખ્ય બાબત ગણાય છે. પણ નજીકના ભવિષ્યમાં એ મુદ્દો હવે પાછળ ધકેલાઈ જશે. રાજકારણ હવે આર્થિક નીતિઓનું ચાલક બળ બનશે, બજાર આધારિત તાર્કિકતા નહિ. વૈશ્વિકીકરણનો અંત નહિ આવે પણ, તે વધારે પશ્ચાદભૂમાં ધકેલાઈ જશે.  આપણે મૂડીવાદના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 જૂન 2020

Loading

...102030...2,3232,3242,3252,326...2,3302,3402,350...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved