Opinion Magazine
Number of visits: 9681087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—51

દીપક મહેતા|Opinion - Opinion|4 July 2020

રંગભૂમિ અને સિનેમા વચ્ચેના વાટકીવહેવારનો જમાનો

દાદાસાહેબની ફિલ્મ પહેલાંના હરિશ્ચંદ્રના દશાવતાર 

‘હા, આજે પણ એ દિવસ મને બરાબર યાદ છે. ૧૯૧૧ના નાતાલના દિવસો હતા. સેન્ડહર્સ્ટ રોડ પર એક તંબુમાં અમે ‘સિનેમા’ જોવા ગયાં હતાં.’ આ શબ્દો છે સરસ્વતીબાઈના, છેક ૧૯૭૦માં બોલાયેલા. ‘તંબુ બહાર બેન્ડ વાગતું હતું. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી આઠ આના. છતાં મુખ્યત્વે ખ્રિસ્તીઓ અને યુરોપિયનોની ભારે ભીડ હતી. થોડી વારે બધી લાઈટ બંધ થઈ. સફેદ પડદા પર એક કૂકડો ચાલતો દેખાયો. આ કૂકડો પાથે કંપનીનો ટ્રેડ માર્ક હતો. પછી એક કોમેડી પિક્ચર શરૂ થયું. ફૂલ્સહેડ નામનો એક્ટર તેમાં કામ કરતો હતો. વચમાં વચમાં ફિલમ બંધ થતી અને લાઈટ ચાલુ થતી. સ્ટેજ પર કાં જાદુના કાં અંગ કસરતના ખેલ થતા. તે દિવસનું મુખ્ય પિક્ચર તો જિસસ ક્રાઇસ્ટના જીવન વિશેનું હતું. જિસસ પર દુઃખો પડતાં જોઈને અને તેમને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે ઘણા લોકો રડતા હતા. આ ફિલ્મ કિનેમાકલર પ્રોસેસ વડે રંગીન બનાવી હતી. પિક્ચર જોઈને અમે પાછાં ફરતાં હતાં ત્યારે તેમણે કહ્યું : આવી જ રીતે આપણે આપણા રામ અને કૃષ્ણ વિષે ફિલ્મ બનાવશું. તેમની આ વાત સાંભળીને મને જરા ય આનંદ ન થયો અને મેં કશો જવાબ આપ્યો નહિ.’

સરસ્વતીબાઈ અને દાદાસાહેબ ફાળકે

પણ કોણ હતાં આ સરસ્વતીબાઈ? ધુન્ડીરાજ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેનાં પત્ની. અને દાદાસાહેબ એટલે હિન્દુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના પિતા. ૧૮૭૦ના એપ્રિલની ૩૦મી તારીખે નાશિક નજીકના ત્ર્યંબકેશ્વરમાં જન્મ. ૧૯૪૪ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નાશિકમાં અવસાન. સંસ્કૃતના પરંપરાગત પદ્ધતિના વિદ્વાન. પિતા મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા એટલે તેમની સાથે મુંબઈ. ૧૮૮૫માં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ. પછી વડોદરાના કલાભવનમાં ભણ્યા. પછી જુદી જુદી નાટક કંપનીઓ માટે પડદા ચિતરવાનું અને ફોટોગ્રાફીનું કામ કર્યું. થોડો વખત રતલામ જઈ એક ફોટોગ્રાફી સ્ટુડિયોમાં કામ કર્યું. ૧૯૦૩માં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જોડાયા. પછી એક છાપખાનું સંભાળ્યું અને છાપકામ શીખવા જર્મની ગયા. પણ પાછા આવ્યા ત્યાં સુધીમાં નક્કી કરી લીધું હતું કે મારું ક્ષેત્ર છાપકામ નહિ, ફિલ્મ છે.

પણ એ વખતે ફિલ્મ બનાવવા અંગે આપણા દેશમાં કોઈ કશું જાણતું નહોતું. એટલે પોતાની જીવન વિમા પોલીસી ગિરવે મૂકીને, પૈસા ઉછીના લઈને ઇન્ગલંડ ગયા. પાછા આવ્યા ત્યારે વિલિયમસન કેમેરા અને ફિલ્મ બનાવવાનાં બીજાં કેટલાંક સાધનો સાથે લેતા આવ્યા. અને હા, કાચી ફિલ્મનાં ફિન્ડલાં તો ખરાં જ. પાછા આવીને તેમણે હિન્દુસ્તાનની પહેલી મૂગી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. મુંબઈના પરામાં એક બંગલામાં સ્ટુડિયો બનાવ્યો. એકડે એકથી બધી મહેનત જાતે કરી. ૧૯૧૨માં ૩,૭૦૦ ફૂટ લાંબી ફિલ્મ તૈયાર કરી. એ જમાના માટે આ ઘણી લાંબી ફિલ્મ કહેવાય. ૧૯૧૩ના એપ્રિલની ૨૧મી તારીખે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલા ઓલિમ્પિયા થિયેટરમાં આમંત્રિતો માટેનો પહેલો શો યોજાયો અને તેમને ફિલ્મ ઘણી પસંદ પડી. દસ દિવસ પછી ગિરગામ વિસ્તારમાં જ આવેલા કોરોનેશન થિયેટરમાં જાહેર શો શરૂ થયા.

યાદ છે ને, દિલ્હી દરબારના કોરોનેશન કહેતાં રાજ્યાભિષેક માટે શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરી દિલ્હી જતાં પહેલાં મુંબઈ આવેલાં અને તેમનું ભવ્ય સ્વાગત થયેલું. આ કોરોનેશનની ઘટનાના માનમાં થિયેટરનું નામ કોરોનેશન રખાયું હતું. અને એ થિયેટરમાં દેશની પહેલી ફિલ્મ પહેલી વાર રજૂ થઈ. અને એ ફિલ્મનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. પરદેશી રાજાનું કોરોનેશન અને દેશી રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેનો આ હતો નજીકનો સંબંધ.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મનું એક દૃશ્ય

સેન્ડહર્સ્ટ રોડ પરના તંબુમાંથી બહાર નીકળ્યા પછી તો દાદાસાહેબે પત્નીને કહ્યું હતું કે રામ કે કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પર ફિલ્મ બનાવવી જોઈએ. અને પછી ફિલ્મ બનાવી ત્યારે રાજા હરિશ્ચન્દ્ર પર, એમ કેમ? ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના શરૂઆતના કેટલાક દાયકા દરમ્યાન મુંબઈમાં મરાઠીભાષીઓ, હિંદુ ગુજરાતીઓ, પારસીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે વચ્ચે સારો એવો એખલાસ હતો અને સાહિત્ય, સંગીત, નાટક, રંગભૂમિ, વર્તમાન પત્રો, વગેરે ક્ષેત્રોમાં થતાં બીજાનાં કામથી તેઓ પરિચિત રહેતા. એટલે રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકને મળેલી અસાધારણ સફળતાથી દાદાસાહેબ પરિચિત હોય જ. આ નાટકના ૧,૧૦૦ શો ભજવાયા હતા એટલું જ નહિ, તેના અનુકરણમાં મુંબઈમાં અને ગુજરાતમાં ઠેર ઠેર હરિશ્ચન્દ્રની કથા નાટક રૂપે ભજવાતી થઈ હતી. આ લખનારના અંગત સંગ્રહમાં રાજા હરિશ્ચન્દ્ર વિશેનાં કુલ દસ નાટકોની ‘ઓપેરા બુક’ છે. તેમાં ૧૮૮૪માં બે નાટકની માહિતી મળે છે. મુંબઈના ભગવાનદાસ લક્ષ્મીદાસ ભણસાલીએ લખેલ ‘નવા હરિશ્ચન્દ્ર તારામતી’ અને મુંબઈના જ જમનાદાસ હરજીવને પણ એ જ નામથી લખેલ નાટક. તેના ટાઈટલ પેજ પર ‘શુદ્ધ ગુજરાતીમાં’ એમ ઉમેરેલું છે. પણ એ પાના પર જ ઓછામાં ઓછી પાંચ ભૂલો છે અને જોડાક્ષર લગભગ વપરાયા નથી! એ છપાયું છે મુંબાદેવી રોડ પરના ચોકસી બજારમાં આવેલ ‘પારસી પ્રીન્ટીંગ પરેસ’માં. ૧૮૮૬માં પણ બે નાટક : મોરબી આર્યજ્ઞાનવર્ધક નાટક કંપની માટે પ્રાણજીવન ગોકળજી રાવળે લખેલ ‘હરિશ્ચન્દ્ર ચરિત નાટક’ અને અજ્ઞાત લેખક કૃત ‘નવો હરિશ્ચન્દ્ર તારામતીનો ખેલ’. વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપની માટે ત્રમ્બકલાલ દેવશંકર રાવળે લખેલ ‘સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર’ની પહેલી આવૃત્તિ ૧૮૮૭માં અને બીજી આવૃત્તિ ૧૮૮૯માં પ્રગટ થઈ છે. પહેલી આવૃત્તિની બે હજાર અને બીજી આવૃત્તિની પાંચ હજાર નકલ છાપી હતી. એ પછી મળે છે ૧૮૯૦માં ‘ડાકોર ગુણગ્રાહક સભાના શુભેચ્છક’ મોતીભાઈ નાથાભાઈ મહેતાએ લખેલ ‘સતવાદી રાજા હરીશ્ચન્દ્ર તારામતી નાટક.’ એ જ વર્ષે એચ.એમ. શેઠનું ‘હરિશ્ચન્દ્ર ને તારામતી નાટક’ અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈને પ્રગટ થયું છે. તો ૧૮૯૧ અને ૧૯૨૧માં હરિશ્ચન્દ્ર પરનાં બે ‘હિન્દુસ્તાની’(જેને માટે આજે આપણે ‘ઊર્દૂ’ શબ્દ વાપરીએ છીએ)માં લખાયેલાં પણ ગુજરાતી લિપિમાં છપાયેલાં નાટકો મળે છે. ૧૮૯૧માં ‘મુનસી કરીમબખ્સ મુતખલ્લીસે ગુજરાતીમાંથી અનુવાદ કરેલ ‘દાસ્તાને હરીશ્ચન્દ્ર તારામતી, રોહીદાસ’ પૂણેના ‘જગધ્દીતેછુ’ છાપખાનામાં છાપીને પ્રગટ થયું છે. તો અમદાવાદના આણંદ ભુવન થિયેટર સાથે સંકળાયેલા ‘નજીર બેગ મુનસી’એ લખેલ ‘હરિશ્ચન્દ્ર નાટક’ અમદાવાદના શ્રી જૈન એડવોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને બહાર પડ્યું છે. આ ઉપરાંત બે નાટકોની પ્રકાશન સાલ મળતી નથી : મહારાજ રામચંદ્ર માધવદાસજીએ લખેલ ‘શ્રી સત્યવાદી હરીશ્ચંદ્ર સત્યવિજય નાટક’ અને ‘બાળકો માટે સત્યવિજય નાટક’. આ નાટકના લેખકનું નામ પણ મળતું નથી. હરિશ્ચન્દ્ર વિશેનાં નાટક ઊર્દૂમાં ભજવાય એની આજે આપણને નવાઈ લાગે પણ એ વખતે મરાઠી-ગુજરાતી-ઊર્દૂ રંગભૂમિ પર આવી લેવડદેવડ થતી રહેતી.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મની જાહેરાત

દાદાસાહેબ ફાળકે રણછોડભાઈ – કાબરાજીના હરિશ્ચન્દ્ર નાટકથી અને તેને મળેલી અસાધારણ સફળતાથી પરિચિત હોય એ સ્વાભાવિક ગણાય. વડોદરાના કલાભવનમાં તેમણે અભ્યાસ કર્યો હતો એટલે ગુજરાતની રંગભૂમિનો પરિચય પણ હોય તો નવાઈ નહિ. ૧૮૭૪થી હરિશ્ચન્દ્ર વિશેનાં નાટકો અવારનવાર ભજવાતાં રહેલાં એ હકીકતથી પણ તેઓ પરિચિત હોય. એટલે પોતાની પહેલી ફિલ્મ માટે વિષય પસંદ કરતી વખતે તેમણે રણછોડભાઈ – કાબરાજી અને બીજા લેખકોનાં નાટકોની બહોળી અને લાંબા સમયની સફળતાને ધ્યાનમાં રાખી હોય એવો પૂરો સંભવ છે. અને એટલે રામ-કૃષ્ણને બદલે તેમણે પહેલી ફિલ્મ રાજા હરિશ્ચન્દ્ર વિષે બનાવી હોય. પારસીઓએ ભજવેલું ‘ઇન્દ્રસભા’ નાટક પૂણેમાં જોઇને અણ્ણાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનું સૂઝ્યું હતું અને તેમણે લગભગ રાતોરાત સંગીત શાકુન્તલ નાટક લખ્યું હતું. તો આ જ નાટક પરથી ૧૯૩૨માં ‘ઇન્દ્રસભા’ ફિલ્મ બની હતી જેમાં ૭૦ કરતાં વધુ ગાયન હતાં. આજ સુધી દુનિયામાં બનેલી બીજી કોઈ ફિલ્મમાં આટલાં ગીતો આવ્યાં નથી. અને તે બનાવી હતી જમશેદજી ફરામજી માદનની ‘માદન થીયેટર’ કંપનીએ. એટલે કે એ જમાનામાં રંગભૂમિ અને ફિલ્મો વચ્ચે પણ વાટકીવહેવારનો  સંબંધ હતો.

હરિશ્ચંદ્રના ત્રણ અવતાર

આપણા દેશની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ જાહેર જનતા માટે પહેલી વાર બતાવાઈ હતી તે કોરોનેશન સિનેમેટોગ્રાફ એન્ડ વેરાયટી હોલ નામના થિયેટરમાં. ફિલ્મની જાહેર ખબરમાં તેનું સરનામું છાપ્યું છે : સેન્ડહર્સ્ટ રોડ, ગિરગામ. આ રોડ નું આજનું નામ વલ્લભભાઈ પટેલ રોડ. પણ આજના આ રોડ કરતાં સેન્ડહર્સ્ટ રોડ ઘણો વધુ લાંબો હતો. તેના એક છેડે હતો ચોપાટીનો દરિયા કિનારો, તો બીજે છેડે હતું જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેનું સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. આ સ્ટેશન અને રસ્તો બંને, ૧૯૧૦માં તૈયાર થયાં હતાં. એટલે કે ૧૯૧૩માં આ ફિલ્મ બતાવાઈ ત્યારે આ રસ્તો અને થિયેટર લગભગ નવાં નક્કોર હતાં. લોર્ડ વિલિયમ્સ મેન્સફિલ્ડ સેન્ડહર્સ્ટ (૧૮૫૫-૧૯૨૧) ૧૮૯૫થી ૧૯૦૦ સુધી મુંબઈના ગવર્નર હતા. અને ૧૯૧૨થી મૃત્યુ સુધી લોર્ડ ચેમ્બરલેન ઓફ ધ હાઉસહોલ્ડ હતા. કારકિર્દીની શરૂઆત લશ્કરમાં. ૧૮૭૬માં પિતાનું અવસાન થતાં બેરન સેન્ડહર્સ્ટ બન્યા. ત્યારે તેમની ઉંમર હતી ૨૦ વર્ષ. પછી ૨૧મા જન્મ દિવસે હાઉસ ઓફ લોર્ડઝના સભ્ય બન્યા. મુંબઈનું ગવર્નરપદ છોડ્યા પછી તેમની નિમણૂક એકસ્ટ્રા નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા તરીકે થઈ હતી. ૧૯૧૨માં લોર્ડ ચેમ્બરલેનઓફ ધ હાઉસહોલ્ડ બન્યા. ૧૯૧૭માં બર્કશાયર કાઉન્ટીના વાઈકાઉન્ટ સેન્ડહર્સ્ટ બન્યા. તેમની હયાતિ દરમ્યાન જ આ નવા બનેલા રસ્તા અને સ્ટેશનને તેમનું નામ અપાયું.

લોર્ડ સેન્ડહર્સ્ટ

આજે કોઈ ઈમારતના સરનામામાં ફક્ત ‘એસ.વી. રોડ’ લખીએ તો ચાલે નહિ, કારણ રસ્તો ઘણો લાંબો છે અને જુદાં જુદાં પરાંમાંથી પસાર થાય છે. એટલે સાથે વાંદરા, કે વિલે પાર્લે, કે જોગેશ્વરી વગેરે લખવું પડે. તેવી જ રીતે આ સેન્ડહર્સ્ટ રોડ પણ ઘણો લાંબો હતો એટલે રાજા હરિશ્ચન્દ્રની જાહેર ખબરમાં તેના નામ પછી ‘ગિરગામ’ ઉમેર્યું છે. એટલે એટલું તો નક્કી, કે આ થિયેટર સેન્ડહર્સ્ટ રોડ પર અને ગિરગામ વિસ્તારમાં આવ્યું હતું. એટલે તે ૧૯૧૦ પહેલાં તો ન જ બંધાયું હોય. થિયેટરનું નામ હતું કોરોનેશન, અને શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી મેરીનું કોરોનેશન (રાજ્યાભિષેક) ૧૯૧૧ના જૂનની ૨૨૨મી તારીખે લંડનમાં થયું. એટલે થિયેટર ૧૯૧૧ના જૂન પછી જ બંધાયું હોય. પણ આ નામને તેમનું હિન્દુસ્તાનના શહેનશાહ અને મહારાણી તરીકે કોરોનેશન થયું તેની સાથે સંબંધ હોવાનું વધુ શક્ય છે, અને તો તે ૧૯૧૧ના ડિસેમ્બરની ૧૨મી પછી બંધાયું હોય. આ થિયેટરના નામમાં ‘વેરાયટી હોલ’ ઉમેર્યું છે કારણ તે વખતે માત્ર ફિલ્મ બતાવીને કોઈ થિયેટર ચાલી શકે તેમ હતું નહિ. એટલે અહીં સંગીત, નૃત્ય, જાદુ વગેરેના ખેલ પણ થતાં રહેતાં. આજની ભાષામાં કહીએ તો આ મલ્ટીપર્પઝ હોલ હતો. તેનું નામ ‘કોરોનેશન’ પાડ્યું એટલે તેના માલિક અંગ્રેજ રાજવટ માટે આદર-ભક્તિ ધરાવનાર હોવા જોઈએ. નામમાં તે શું બળ્યું છે એમ કહેવાય છે, પણ ઘણી વાર ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ વિશેનાં મહત્ત્વનાં સૂચનો નામમાંથી મળી રહેતાં હોય છે.

‘કોરોનેશન’ નામમાંથી મળતાં કેટલાંક સૂચન અંગેની વાત આવતે અઠવાડિયે. ત્યાં સુધી સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર કી જય!  

e.mail : deeepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2020

Loading

Mahatma Gandhi, Race and Caste

Ram Puniyani|English Bazaar Patrika - OPED|4 July 2020

During the course of agitation ‘Black lives matter’ some protestors defaced the statue of Mahatma Gandhi in US. Mahatma Gandhi, the Father of Indian Nation, has the unique distinction of leading the biggest ever mass movement in the World and leading the strong anti colonial movement. In this direction he contributed two major tools as the basis of the mass movements, the one of non violence and other of Satyagrah. He also stated that while making the policies what one should keep in mind is the last, weakest person in the society. His life, which he called as his message became the inspiration of many anti colonial, anti racial struggles in different parts of the World. He strongly supported the concept of equality in India, where eradication of caste also became one of the aims of his life.

All this comes to one’s mind as a section of people, writers and intellectuals are labelling him as racist and casteist, one who harmed the cause of dalits in India. Nothing can be farther from truth. These elements are not seeing the whole journey of the man but do the cherry picking from his early writings, when he was in the early phases of his work against prevalent injustices in the name of race and caste.

Earlier also his statue was uprooted in Ghana, where calling him racist, ‘Gandhi Must fall’, movement on the lines of ‘Rhodes must fall’ came up. Gandhi in no way can be put in the category of the likes of Rhodes and others whose central work revolved around enslaving the blacks. The warped understanding of Gandhi comes from focussing only on Gandhi’s early writings. Gandhi who began his campaign for the rights of Indians in South Africa, at times used derogatory terms against blacks. These terms were the one’s which were prevalent, introduced by colonial masters, words like ‘African Savages’. Gandhi while raising the voice for Indian working people in South Africa said that the colonialists are treating Indians like African savages.

There was another process which ran parallel to this one of taking up the cause of people of Indian origin in SA. Once he realized the plight of the blacks there, he started travelling in the third class to experience the hardships being faced by them and much later he stated that they deserve to be treated in a just manner. His overcoming of racial beliefs were best expressed in his sentence, “If we look into the future, is it not a heritage we have to leave to posterity, that all the different races commingle and produce a civilization that perhaps the world has not yet seen?”  (1908). His beliefs kept evolving and in 1942, in a letter to Roosevelt, he wrote, ““I venture to think that the Allied declaration that the Allies are fighting to make the world safe for freedom of the individual and for democracy sounds hollow so long as India and, for that matter, Africa are exploited by Great Britain and America has the Negro problem in her own home.”

The best response to accusations of Gandhi being a racist came from Nelson Mandela, who wrote, “All in all, “Gandhi must be forgiven those prejudices and judged in the context of the time and the circumstances.” Mandela recognized the crucial point that Gandhi’s views changed as he matured. He wrote, “We are looking here at the young Gandhi, still to become Mahatma.” And from Martin Luther King (Jr.) who was totally inspired by Gandhi in his anti racial struggles.

Caste is another of the phenomenon, which is tricky. Gandhi in early periods of his life talked of Varna Dharma based on work; he glorified the work of scavenging and also called dalits as Harijans. Many a dalit intellectuals and leaders hold Gandhi responsible for opposing the ‘separate electorate’ granted to SCs by McDonald Award. Gandhi saw this as a move to fragment the electorate on narrow lines as being against Indian nationalism and went on hunger strike. Due to this hunger strike Ambedkar agreed for the reserved constituency.

While many leaders-intellectuals see this as a betrayal by Gandhi, Ambedkar himself actually thanked Gandhi for giving a satisfactory solution by giving higher reservation to SCs in reserved constituency. And stated “I am grateful to Mahatma: He came to my rescue.” Bhagwan Das, a close follower of Ambedkar, independently quotes Ambedkar’s speech: “I think in all these negotiations, a large part of the credit must be attributed to Mahatma Gandhi himself. I must confess that I was surprised, immensely surprised, when I met Mahatma, that there was so much in common between him and me.”

As such Race and Caste are akin and United Nations debated it in 2009, on these lines. In both the cases Gandhi, the humanitarian par excellence, begins with terminologies and notions about caste and race which were prevalent at those times. With his deeper engagement with the issues of society, he gives a totally different meaning to the same. In matters of caste, he was deeply influenced and empathetic to Ambedkar, to the extent that he recommended that Ambedkar’s ‘Annihilation of caste’ be read by all.

While he dealt with race issue from the margins, in case of caste he went miles. His campaign for eradication of untouchablity had far reaching back up effect to Ambedkar’s initiatives. It was Gandhi’s disciple Nehru, who brought Ambedkar to the forefront of policy making by including him in the Cabinet. Nehru also entrusted him with drafting Uniform Civil Code and it was Gandhi himself who suggested that Ambedkar be made the Chief of drafting committee of Indian Constitution.

Only those who focus on Early Gandhi, Gandhi in the formative phase of his values and ideas, accuse him of being a castist or racist. He did overcome these narrow, parochial social norms and policies to dream of a fraternity, Indian and Global where caste and race are relegated to the backyard of human history.

Loading

સામાન્ય બુદ્ધિ સામાન્ય રીતે બધાંમાં સામાન્ય નથી હોતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2020

એક તરફ ચીન અને ભારત મંત્રણાઓ કરે છે ને બીજી તરફ ચીન ૨૦ હજાર સૈનિકો એલ.એ.સી. પર ગોઠવે છે. પાકિસ્તાન પણ આ તકનો લાભ ઉઠાવીને એલ.ઓ.સી. પર ૨૦.૦૦૦ સૈનિકો ગોઠવીને ભારતની વધુ કસોટી કરવાનો ખેલ પાડી રહ્યું છે. તે જન્મ્યું ત્યારથી મેન્ટલી રિટાર્ડેડ છે. ચીનની એકાએક ૫૯ એપ્લિકેશન્સ બંધ કરીને ભારત, અમેરિકા સહિત ઘણાં રાષ્ટ્રોને ચીનનો વિરોધ કરવાની પ્રેરણા આપે છે તો બીજી તરફ ભારતીય ચેનલો ચીની રેસિપી બનાવવાની જાહેરાત લગભગ દરેક બ્રેકમાં બતાવે છે. તે પાપી પેટને માટે જ હશે એમ મન મનાવવું પડે.

ગુજરાતમાં કોરોના ૩૩ હજારને પાર કરી ગયો છે ને મૃત્યુ આંક ૧૯૦૦ને સ્પર્શવા જઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ સૂરતમાં માર્ચમાં નોંધાયો હતો ને અત્યારે પણ કોરોનામાં સૂરત રાજ્યમાં ટોપ પર છે. ગુજરાત અનલોક થતાં બીજા ઉદ્યોગની જેમ સૂરતમાં હીરા ઉદ્યોગ પણ શરૂ થયો ને સંક્રમણ વધતાં તેને બંધ કરવો પડ્યો. જો સાચવવામાં નહીં આવે તો ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત પણ એવી જ થશે તેવી ચેતવણી તંત્રોએ આપી છે. સરકારને ઊંડે ઊંડે પણ એમ છે કે લોકો સુધરશે ને બધું પાળશે. સરકાર પણ સુધરે એવું લોકો પણ ઈચ્છે છે. રેલવેએ ટ્રેન ચાલુ કરવાનો પ્રયોગ કરી જોયો, પણ રોગ વકરી રહ્યો છે એવું લાગતાં સ્પેશિઅલ ટ્રેનો જ ચાલુ રાખવી તેવું નક્કી થયું. એ ખબર નથી પડતી કે સ્પેશિયલ ટ્રેનો રોગ નથી ફેલાવતી એટલે ચાલુ છે કે કમાણી એમાં જ વધારે છે એટલે ચાલુ છે? અનલોક-૨માં રાતના ૧૦થી સવારે ૫ સુધી બંધી રખાઈ છે, જે અગાઉ ૯થી શરૂ થતી હતી. રોગ એટલો ભલો છે કે એ રાતના જ ફેલાય છે એટલે રાતના બધું બંધ રાખીએ તો ચાલે, ખરુંને?

એક વાત સમજી લેવાની રહે કે સરકાર પ્રાયોગિક ધોરણે બધું ચાલુ કરી જુએ છે ને એમ લાગે કે એનાથી સ્થિતિ વધારે બગડે એમ છે તો ફરી બંધ કરે છે. ૧ જુલાઈએ ડોક્ટર્સ ડે ગયો. એ દિવસે ગુજરાતમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મૃત્યુ થયા. આ રોગે આ ઉપરાંત પણ ઘણા ડોક્ટરોના જીવ લીધા છે. બધી કાળજી લેવા છતાં ડોકટરો પોતે સલામત ન હોય તો સામાન્ય માણસ પર જોખમ વધુ રહે તે સૌને સમજાવું જોઈએ. આખી દુનિયામાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. ભારતમાં, રાજ્યોમાં, શહેરોમાં રોગ વકરી રહ્યો છે તે પણ આપણે જાણીએ છીએ. એમાં સરકારો થઈ શકે એટલું કરે છે. એને કોરોનાની એક જ જવાબદારી નથી, બીજા અનેક મોરચે તે ટકવાના અને ટકાવવાના પ્રયત્નો કરે છે. આ બધામાં પાછું પેટા ચૂંટણીનું બખડજંતર તો ખરું જ. આવામાં તે સામાન્ય બુદ્ધિ પણ વાપરે એવી અપેક્ષા વધારે પડતી છે. એ આપણી ભૂલ છે કે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય બુદ્ધિ બધામાં સામાન્ય હોય છે.

સરકારે આર્થિક બાજુનો વિચાર કરવાનો હોય જ છે. એ બધું ફરી બંધ કરે તો આર્થિક માર એટલો પડે કે ફરી ઊભા થવાનું ને ટકવાનું એકદમ મુશ્કેલ થઈ પડે. બધી જ બાજુએ સરકાર દોડે ને આપણે ફરિયાદ જ કર્યા કરીએ એ પણ રોગની જ નિશાની છે. સરકારની ટીકા જરૂર કરીએ, પણ આપણી જવાબદારીમાંથી છટકીને એ કામ કરવાનો આપણને અધિકાર નથી. એ સ્થિતિમાં પ્રજા તરીકે રોગ પર કાબૂ મેળવવા આપણે જ પ્રયત્ન કરવાનો રહે. રોગ સરકારને નહીં, આપણને થાય એમ છે. હવે આપણે જ જો રોગને આમંત્રણ આપીશું તો એનાથી નુકસાન આપણને જ છે. આપણે જ આપણને પૂછવા જેવું છે કે કામ અને કારણ વગર આપણે ખરેખર કેટલું બહાર રહીએ છીએ? એમાં બહાદુરી છે કે પછી આપણે પોતાને અને બીજાને માટે જોખમ વધારવા આવું કરી રહ્યાં છીએ?

આપણે જાણીએ છીએ કે તઘલખી ન હોય તો એ સરકાર નહીં. ગરબડો કરવી એ સરકારની કામગીરીનો જ એક ભાગ છે. એક સમાચાર જરા વિગતે જોઈએ. શિક્ષણમંત્રીએ ૧ જુલાઈની બુધવારે સવારે જાહેર કર્યું કે ૨ જુલાઈથી ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ લેવાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી ને એ જ બુધવારે એ જ શિક્ષણમંત્રીએ ચાર વાગ્યે જાહેર કર્યું કે કોરોનાને કારણે અને કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે જી.ટી.યુ.ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. છેને કમાલ, કોરોનાની ખબર બુધવાર સવાર સુધી નો’તી પડી. તે છેક ચાર વાગે જ પડી એટલે પરીક્ષાઓ મોકૂફ રહી. એ તો સારું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધા પછી રદ્દ ન કરી. બાકી, તો એવું ય થઈ શકે. કમાલમાં ય મોટી કમાલ તો એ છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રહી એ જ દિવસે સરકારે ૧થી ૧૨ (કેટલાંક છાપાં પ્રમાણે ૩થી૧૨) ધોરણ સુધીની જુલાઈ ૨૯ અને ૩૦ને રોજ ૨૫ માર્કની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. બને કે એ દિવસો સુધીમાં કોરોના હેરાન કરવાની સ્થિતિમાં નહીં હોય, નહિતર પરીક્ષાનો વિચાર એકાએક તો ન આવે.

આ પરીક્ષાઓ સરકારી કે સ્વનિર્ભર તમામ શાળાઓએ લેવાની છે એવું ફરમાન છે. ૧થી ૮ ધોરણમાં જે કંઈ ઓનલાઈન ભણાવાયું તેની ગુજરાતી અને ગણિતની પરીક્ષાઓ લેવાશે. ૫, ૫ માર્કના પાંચ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ વાલીઓની દેખરેખમાં આપવાના રહેશે. આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. વર્ગખંડમાં ૧૦૦ માર્કની પરીક્ષા માટે ૩ કલાક સાધારણ રીતે અપાય છે, પણ ૨૫ માર્કની પરીક્ષા માટે ૧ કલાક અપાશે. આને કહેવાય ઉધાર, સોરી, ઉદાર શિક્ષણનીતિ. આમ તો ઓનલાઈન ભણાવાય તો પ્રશ્નપત્ર પણ ઓનલાઈન મૂકી શકાય, પણ એવું નથી. શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઈ મેઈલ કરશે. તે સ્કૂલોને મોકલશે. સ્કૂલનો શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ૨૭ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્ર ઘરે પહોંચાડશે. અહીં અક્કલવાળો પ્રશ્ન ન પૂછવો કે ઓનલાઈન ભણાવો જ છો તો ત્રણ તબક્કે પ્રશ્નપત્ર શિક્ષકને દોડાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કસરત શું કામ કરાવો છો? એનો સાદો જવાબ એટલો જ કે સામાન્ય બુદ્ધિ બધાંમાં સામાન્ય નથી હોતી. વેલ, એ જ રીતે ૯થી ૧૨ની જુદા જુદા વિષયોની પરીક્ષાઓ ૨૯ અને ૩૦ દરમિયાન અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થી આપી શકશે. આમાં જવાબદારીઓ વહેંચી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો શિક્ષક પહોંચાડે તો ઉત્તરવહી સ્કૂલ સુધી વાલીઓએ પહોંચાડવાની રહેશે. એ ઉત્તરવહીઓ જે તે વિષયના શિક્ષકો તપાસશે ને પરિણામ જાહેર કરશે. ક્યારે? તેની કોઈ જાહેરાત નથી.

આમાં કેટલુંક કરમુક્ત મનોરંજન પણ છે. જેમ કે વિદ્યાર્થીએ બે દિવસમાં પરીક્ષા આપવાની છે અને એ એક કલાકમાં આપવાની છે. એનો અર્થ એવો થાય કે બે દિવસ બરાબર એક કલાક. હવે જે એક કલાક પાળે તે એવો અર્થ કરી શકે કે બે દિવસની કુલ ૨,૮૮૦ મિનિટમાંથી કોઈ પણ ૬૦ મિનિટમાં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. ૨૭મીએ પેપર હાથમાં આવી જવાનું હોય તો વિદ્યાર્થી ૨૮મીએ પરીક્ષા આપી દે તો તેની ખાતરી કરવાનું અઘરું છે કે તેણે ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન જ પરીક્ષા આપી છે. અહીં વર્ગખંડ નથી, સુપરવાઈઝર નથી. વિદ્યાર્થીએ વાલીની દેખરેખમાં પરીક્ષા આપવાનું અપેક્ષિત છે, એ પણ ફરજિયાત નથી. તો, વાલીએ સુપરવિઝન કરવાનું રહે. એણે જોવાનું રહે કે તેનું સંતાન નક્કી કરેલી સમય મર્યાદામાં પરીક્ષા આપે. વારુ, વિદ્યાર્થી પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે પણ વાલીએ જોવાનું રહે. જો કે એવું બન્યું છે કે મોટે ભાગે તો વાલીઓ જ ગેરરીતિ આચરવામાં વિદ્યાર્થીને મદદ કરતા હોય છે. એથી ઊલટું સંતાન ગેરરીતિ આચરે તો વાલી આંખ આડા કાન કરે છે કે કાન આડી આંખ કરે છે તે નક્કી કરવાનું પણ મુશ્કેલ છે.

આ બધું છતાં અંદરનાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં સાધનોને અભાવે શિક્ષણ જ થયું નથી, ત્યાં આવી પરીક્ષાઓ કયા આધારે લેવાશે તેનો ફોડ પડાયો નથી. અત્યાર સુધી તો જે સાધનસંપન્ન છે એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ શિક્ષણતંત્ર વિચારી રહ્યું હોવાનું લાગે છે. એને કારણે જે અસમાનતા ને લઘુતા વિદ્યાર્થીઓ ને વાલીઓ અનુભવી રહ્યા છે એનો જરા જેટલો પણ અંદાજ સરકારને હશે કે કેમ તે પ્રશ્ન જ છે. આગળ ઉપર કોઈ ગાઈડલાઈન સરકાર આપે ને કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે, બાકી, આવી પરીક્ષા લેવી અને આપવી એ મશ્કરીથી વિશેષ કંઈ નથી.

એનાં કરતાં તો બધી સ્કૂલો, કોલેજો શરૂ કરી દેવામાં ઓછું જોખમ છે. બધું જ બધાંના ખર્ચે ને જોખમે શરૂ કરી જ દીધું છે તો છો વિદ્યાર્થીઓ ભણી ખાતા. સ્કૂલો, કોલેજો બંધ છે એટલે વિદ્યાર્થીઓ બહાર જતા જ નથી એવું ક્યાં છે? જો એમ બહાર જવાનું થતું હોય તો સ્કૂલો, કોલેજો સુધી જવામાં શું આભ તૂટી પડવાનું હતું? ટૂંકમાં, ટૂચકા જેવી પરીક્ષાઓ લેવા કરતાં રેગ્યુલર શિક્ષણ શરૂ કરવામાં ઓછું જોખમ છે, એવું ખરું કે કેમ?

૦

પ્રગટ : ’આજકાલ’ નામે લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,3212,3222,3232,324...2,3302,3402,350...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved