Opinion Magazine
Number of visits: 9575128
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસમાનતા દૂર કરવાનો એક ઉપાય, યુનિવર્સલ બેઝિક ઇન્કમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2020

ઇંગ્લેન્ડના બર્કશાયર પ્રાંતમાં આવેલું સ્પીનહામલેન્ડ [Speenhamland] નામનું ગામડું એટલું નાનું છે (અથવા હતું). હવે તો તે બર્કશાયરના જિલ્લા શહેર ન્યૂબરીનો એક વિસ્તાર ગણાય છે. ૨૨૫ વર્ષ પહેલાં અહીં, ‘ધ પેલિકન’ નામના પબમાં એક ક્રાંતિકારી આર્થિક ધારણા વિકસિત કરવામાં આવી હતી, જેની આજે આખી દુનિયામાં ચર્ચા છે; યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે ન્યૂનતમ માસિક આવક.

આજે દુનિયામાં જેમ કરોડો લોકો બેરોજગાર છે, તેવી જ રીતે ત્યારે ૧૭૯૫-૯૬માં પણ બ્રિટનમાં લાખો લોકો નવરા થઇ ગયા હતા. ફ્રેંચ ક્રાંતિ અને નેપોલિયન યુદ્ધોમાં બ્રિટન સામેલ થયું હતું, અને પરિણામે બ્રિટનને આર્થિક માર પડ્યો હતો. એમાં એક તરફ ઋતુ ખરાબ આવી, એટલે ખેતી પાયમાલ થઇ ગઈ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા. તો બીજી તરફ યુદ્ધના કારણે જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહાખોરી, કાળાબજાર અને બેરોજગારીએ બળતામાં ઘી હોમ્યું.

સ્પીનહામલેન્ડના મુખિયાઓએ જુદી જ રીતે આ કટોકટીનો સામનો કરવા વિચાર કર્યો; બેકાર હોય કે ના હોય, બધા જ લોકોને વિના શરતે નિયમિત પૈસા આપો. ૭ મે, ૧૭૯૫ના રોજ ગામના અધિકારીઓ ‘ધ પેલિકન’ પબમાં ભેગા થયા અને એક યોજના બનાવી કે વ્યક્તિ દીઠ દરેકને પ્રતિ માસ લઘુત્તમ ત્રણ શિલિંગ કે અધિકતમ ૭ શિલિંગ અને ઘરમાં આશ્રિતો હોય તો ૬ પેન્સ ચુકવવા. એ કોઈ બહુ મોટી રકમ ન હતી. એક પાંવ રોટીની કિંમત એક શિલિંગ હતી, પણ યોજના એવી હતી કે પાંવના ભાવ વધે, તેમ ચૂકવણીની રકમ વધે. એમાં બીજો એક સામાજિક-માનસિક ફાયદો એ થયો કે ભિખારી હોવાનું કલંક નાબૂદ થઇ ગયું, કારણ કે બધા જ 'ભિખારી' હતા. દરેક પરિવારને આહારની અને ગરિમાની ગેરંટી હતી.

આને સ્પીનહામલેન્ડ સિસ્ટમ અથવા બર્કશાયર બ્રેડ ધારો કહે છે. ઈંગ્લેંડનાં ગામડાઓમાં એ વ્યવસ્થા બહુ પ્રચલિત થઈ હતી. પછીના ચાર દાયકા સુધી ઇંગ્લેન્ડના ગરીબ લોકોના ખિસ્સામાં નિયમિતપણે શિલિંગ આવતા રહ્યા અને તેના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા તૂટી ના પડી અને નેપોલિયને બ્રિટન સામે આર્થિક ઘેરાબંધી કરી હતી, તેનો સામનો કરી શકાયો.

થોમસ પેઈન નામના ઇંગ્લિશ-અમેરિકન ક્રાંતિકારી વિચારકે સૂચન કર્યું હતું કે દેશના તમામ વયસ્ક નાગરિકોને, ચાહે તે ગરીબ હોય કે તવંગર, રોજગાર કરતા હોય કે બેકાર, રાજ્યએ સમાન પૈસા ચુકવવા જોઈએ. ૧૭૯૭માં, એગ્રેરિયન જસ્ટિસ, એટલે કે કૃષિ ન્યાય નામથી એક પેમ્ફલેટમાં, થોમસ પેઈને કહ્યું હતું કે પૃથ્વી માનવ જાતની સહિયારી સંપતિ છે, અને જે તેને ખેડતા હોય, તેમણે સમુદાયને ભાડું ચુકવવું જોઈએ.

આજે આ ધારણાને યુનિવર્સલ બેઝિક ઇન્કમ કહે છે. ઘણા દેશોમાં તે અલગ-અલગ સ્વરૂપે અમલમાં છે. અમેરિકન કૉન્ગ્રેસે પાસે એક પ્રસ્તાવ છે, જેમાં પ્રત્યેક વયસ્ક અને પ્રતિવર્ષ ૧,૩૦,૦૦૦ ડોલરથી ઓછી કમાઈવાળા અમેરિકન નાગરિકના બેંક ખાતામાં પ્રતિ માસ ૨,૦૦૦ ડોલર જમા કરવામાં આવશે. સ્વીત્ઝરલૅન્ડમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ પર જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો છે. કેનેડાએ તાજેતરમાં દર બે અઠવાડિએ દરેક નાગરિકને ૯૦૦ ડોલર આપવાની યોજના જાહેર કરી છે. બ્રાઝીલમાં ગરીબી ઓછી કરવામાં આ યોજના કારગત નીવડી છે.

૧૯૬૨માં અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રાઈડમેને ‘નેગેટિવ ઇન્કમ ટેક્સ’ની ધારણા આપી હતી. તેમાં જે લોકો ચોક્કસ રકમથી નીચે કમાતા હોય, તેમને સરકાર અમુક રકમ આપે. મતલબ કે આ લોકોએ ટેક્સ નહીં ચુકવવાનો, પણ સરકાર તેમને ‘ટેક્સ’ ચૂકવે. તર્ક એવો હતો કે તેનાથી જે લોકો કામ નથી કરતા તે ‘ટેક્સ’નો ફાયદો લેવા માટે નિર્ધારિત આવક માટે કામ કરશે. અમેરિકામાં આ યોજનાને અર્નેડ ઇન્કમ ટેક્સ ક્રેડીટ અને બ્રિટનમાં વર્કિંગ ફેમિલીઝ ટેક્સ ક્રેડીટ તરીકે લાગુ કરવામાં આવી હતી.

અમેરિકામાં ૨૦૦૧માં નાઈન-ઈલેવનના હુમલા પછી જેમણે ટેક્સ રિટર્ન ભર્યાં હતાં તે મોટા ભાગના અમેરિકાનોને ૩૦૦ ડોલરનો ચેક આપવામાં આવ્યો હતો. ૨૦૦૮ની વૈશ્વિક મંદી વખતે પણ એવું જ કરવામાં આવ્યું હતું, પણ તે મુખ્યત્વે ટેક્સ રિબેટ હતી. જેમણે રિટર્ન ભર્યા ન હતાં, તેમને કશું મળ્યું ન હતું, અને તેમાં એક મોટો ગરીબ વર્ગ હતો.

સમાજોમાં જે અસમાનતા છે, તેને દૂર કરવાના ઘણા બધા પૈકીને એક ઉપાય તરીકે યુનિવર્સલ બેઝિક ઇન્કમની તરફદારી થાય છે. દુનિયામાં વેલ્ફેર સ્ટેટ, એટલે કલ્યાણ રાજ્યનું મહત્ત્વ ઘટતું જઈ રહ્યું છે. સરકારો ઉત્તરોતર એવી અપેક્ષાઓ વધારી રહી છે કે, ગરીબ હોય કે તવંગર, દરેકે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવું જોઈએ. આર્થિક યોજનાઓ એવી ઘડવામાં આવે છે, જેમાં સરકારો તેની ‘ધર્માત્મા’ની ભૂમિકા છોડી રહી છે. અર્થશાસ્ત્રીઓને આની ચિંતા છે, કારણ કે નોકરીઓ ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે, નવી રોજગારીઓની તકો ઊભી થાય છે, પરંતુ સામે પક્ષે ઓટોમેશનનો ઉપયોગ વધી રહ્યો છે, તેવા સંજોગોમાં રાજ્યોએ બેઝિક ઇન્કમના મોડેલ પર જવું જ પડશે.

બેઝિક ઇન્કમની ધારણા પાછળ ત્રણ તર્ક છે. એક, તમામ લોકો પાસે જો કોઈને કોઈ પૈસા હશે, તો તેમની ખરીદ શક્તિ વધશે, જેનાથી બજારમાં માંગ વધશે, જેથી તેને પહોંચી વળવા ઉત્પાદન અને વેપાર વધશે, જેના પગલે રોજગાર વધશે, જે આર્થિક વિકાસને ધક્કો મારશે અને પરિણામે સરકારના ટેક્સ વધશે.

બીજો તર્ક એ છે કે ન્યુનતમ આવકની ગેરંટી હોવાથી પરિવારોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, સંતાનોનું શિક્ષણ ચાલુ રહશે, લોકો અપરાધ કરવાથી અટકશે, જેથી સમાજમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને પરિણામે આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રમાં સરકારનું ભારણ ઓછું થશે.

ત્રીજો તર્ક એ છે કે આનાથી ટેકનોલોજીલ વિકાસને ગતિ મળશે. અત્યારે આખી દુનિયામાં આર્થિક વિકાસમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ બેરોજગારીના ભયથી સમાજનો નીચલો વર્ગ તેનો વિરોધ કરે છે, જેના કારણે અનેક શ્રમિક મુદ્દાઓ ઊભા થાય છે, ન્યુનતમ આવકની જો ગેરંટી હોય, તો સમાજ કોઈ પણ પ્રકારના બદલાવને ખુશી-ખુશી સ્વીકારશે અને દેશ બાકી દુનિયા સાથે કદમ મિલાવી શકશે.

દુનિયામાં અત્યારે બેરોજગારી મ્હો ફાડીને ઊભી છે, અને લાખો-કરોડો લોકોને તેમાં સ્વાહા થઇ જવાનો ડર છે, ત્યારે બેઝિક ઇન્કમની ધારણા આકર્ષક બને તો નવાઈ નહીં.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જૂન 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—48

દીપક મહેતા|Opinion - Opinion|13 June 2020

મરાઠી મુલગી અને બંગાળીબાબુની પ્રેમકથા

અલ્લડ અન્નપૂર્ણા બની રવિપ્રેમી નલિની

ગુરુદેવ ટાગોર મુંબઈના જમાઈરાજા બન્યા હોત?

જે જે પ્રેમકથાની વાત માંડવાની છે તેને ગયા શનિવારની ધર્મકથા સાથે સીધો સંબંધ છે. પ્રાર્થના સભાના પહેલા અધ્યક્ષ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને બે દીકરા અને ત્રણ દીકરી, અન્નપૂર્ણા, દુર્ગા અને માણેક. એ જમાનામાં પણ પિતાએ બધાં સંતાનોને ભણવા માટે વિલાયત મોકલેલાં. અન્નપૂર્ણા વીસેક વરસની ઉંમરે તો વિલાયતથી પાછી આવી ગયેલી. બીજી બાજુ દેશના પૂર્વ કિનારે બંગાળના મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરનાં કુલ ૧૫ સંતાનોમાંથી સૌથી નાનો દીકરો રવીન્દ્રનાથ. ૧૮૬૧માં તેનો જન્મ. એ જમાનાના ચાલ પ્રમાણે રવીન્દ્રનાથને બેરિસ્ટર બનાવવાની પિતાને હોંશ. ઇંગલન્ડની બ્રાઈટન કોલેજમાં એડમિશન પણ લઈ લીધું. રવીન્દ્રનાથના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ આઈ.સી.એસ. બનનારા પહેલવહેલા હિન્દી. એ માટેની પરીક્ષા આપવા એ વખતે ગ્રેટ બ્રિટન જવું પડતું. એટલે તેઓ વિલાયત ગયેલા અને આઈ.સી.એસ. થઈને  ૧૮૬૪માં સ્વદેશ પાછા ફરેલા. તેમનું પહેલવહેલું પોસ્ટિંગ ચાર મહિના માટે મુંબઈમાં થયેલું. એ પછી તેમની બદલી અમદાવાદ થયેલી. ટાગોર કુટુંબ બ્રહ્મોસમાજી, અને ડો. આત્મારામ પ્રાર્થનાસમાજી. ડો. આત્મારામનો જન્મ ૧૮૨૩માં, સત્યેન્દ્રનાથનો જન્મ ૧૮૪૨માં. એટલે બંને વચ્ચે ઉંમરનો ખાસ્સો ફરક. પણ ઉચ્ચ શિક્ષણ, એકેશ્વરવાદ અને સમાજ સુધારાની ધગશને કારણે બંને વચ્ચે સમજણનો સેતુ રચાયો હશે. એટલે બંને વચ્ચે ચાર મહિનાના ટૂંકા ગાળામાં અંગત અને કૌટુંબિક સંબંધ બંધાયો. સત્યેન્દ્રનાથની બદલી અમદાવાદ થયા પછી પણ તે વધતો ગયેલો.

રવીન્દ્રનાથ ટાગોર ૧૭ વર્ષની ઉંમરે

બીજી બાજુ રવીન્દ્રનાથ કરતાં સત્યેન્દ્રનાથ લગભગ ૧૯ વરસ મોટા, એટલે પિતાતુલ્ય. રવીન્દ્રનાથનું વિલાયત જવાનું નક્કી થયું એટલે પિતાએ બ્રિટિશ રહેણીકરણી અને વ્યવહારુ અંગ્રેજી શીખવા માટે તેમને સત્યેન્દ્રનાથ પાસે અમદાવાદ મોકલ્યા. ૧૮૭૮ના મે મહિનાની ૧૫મી તારીખે રવીન્દ્રનાથ અમદાવાદ પહોંચ્યા. મહેલ જેવા શાહીબાગમાં સત્યેન્દ્રનાથ રહેતા હતા, પણ એકલા. એ બંગલામાં સુખસગવડનાં બધાં સાધનો હતાં, પણ સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. ઘરે રવીન્દ્રનાથ એકલા. અલબત્ત, નોકર-ચાકરનો પાર નહીં, પણ પોતાનું કહી શકાય એવું આખો દિવસ ઘરમાં કોઈ નહિ. એટલે રવીન્દ્રનાથનો જીવ સોરાયા કરે.

અન્નપૂર્ણા ઉર્ફે નલિની તર્ખડકર

સત્યેન્દ્રનાથ જેવા વિચક્ષણ માણસના ધ્યાનમાં આ વાત આવ્યા વગર રહે? રવીન્દ્રનાથ જો કોઈ કુટુંબમાં રહે તો તેની એકલતા દૂર નહિ તો ય ઓછી તો થાય. અને સત્યેન્દ્રનાથના ધ્યાનમાં આવ્યું મુંબઈના મિત્ર ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનું કુટુંબ. આખું કુટુંબ ભણેશરી. રહેણીકરણી પર અંગ્રેજોની ખાસ્સી અસર. અને અન્નપૂર્ણા તો હજી હમણાં જ વિલાયતથી પાછી આવેલી. એટલે સત્યેન્દ્રનાથે પોતાના ભાઈને મુંબઈ ડો. આત્મારામને ઘરે રહેવા મોકલવાનું નક્કી કર્યું. ટાગોર કુટુંબ અને તર્ખડકર કુટુંબ વચ્ચેનો સંબંધ સારો એવો ગાઢ ન હોય તો કોઈ પોતાના સત્તર વર્ષના ભાઈને આ રીતે બે-એક મહિના માટે રહેવા મોકલે નહિ.

સત્યેન્દ્રનાથ ટાગોર

પિતાતુલ્ય ભાઈ જે નક્કી કરે તે પ્રમાણે વર્તવાનું રવીન્દ્રનાથ માટે સ્વાભાવિક. એટલે તેઓ અમદાવાદથી નીકળીને ૧૮૭૮ના ઓગસ્ટમાં મુંબઈ પહોંચ્યા અને તર્ખડકર કુટુંબના કાંદાવાડીના ઘરે મહેમાન બની રહ્યા. અંગ્રેજોની રીતભાત, તેમના આચારવિચાર, ખાણીપીણીની ખાસિયતો, બોલાતી બ્રિટિશ અંગ્રેજી, વગેરેમાં તેમને પલોટવાનું કામ ડો. આત્મારામે વીસેક વરસની દીકરી અન્નપૂર્ણાને સોંપ્યું. અગાઉ આપણે આ કાંદાવાડી ઉર્ફે ખાડિલકર રોડની વાત કરી ત્યારે તેને અંગે બે વાત નોંધેલી : મુંબઈના સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત અહીંથી થયેલી અને ખાડિલકરે ‘નવાકાળ’ નામનું મરાઠી દૈનિક પણ અહીંથી શરૂ કરેલું. કાંદાવાડીના મુગટમાં હવે ત્રીજું પીછું ઉમેરાય છે : ગુરુદેવ ટાગોર ૧૭ વરસની ઉંમરે મુંબઈની પહેલી મુલાકાત વખતે આ કાંદાવાડીમાં જ રહેલા. એ વખતે પ્રાર્થના સમાજનું મકાન બંધાઈ ગયેલું એટલે ડો. આત્મારામ સાથે કંઈ નહિ તો બે-ચાર વાર ત્યાં ગયા પણ હોય. ગિરગામ રોડ પર ફર્યા પણ હોય. કદાચ ચોપાટી સુધી ફરવા ગયા હોય – એકલા કે કોઈની સાથે? કોઈની સાથે તો કોની સાથે? અન્નપૂર્ણા સાથે? આપણે નથી જાણતા, કારણ કોઈએ આવું કશું નોંધ્યું નથી. પણ આવું બન્યું હોય એવો સંભવ તો ખરો જ. કારણ સમૃદ્ધ કહી શકાય એવું તર્ખડકર કુટુંબ પોતાના મોંઘેરા મહેમાનની આગતાસ્વાગતા કર્યા વગર તો ન જ રહ્યું હોય.

એ જમાનાનો શબ્દ વાપરીને કહીએ તો અન્નપૂર્ણા થોડી અલ્લડ હશે, આજનો શબ્દ વાપરીએ તો થોડી બિન્દાસ હશે. અંગ્રેજોની રીતભાત, રહેણીકરણી વગેરે અંગે વાતો કરતાં એક વખત તેણે રવીન્દ્રનાથને કહ્યું કે વિલાયતમાં એવો રિવાજ છે કે કોઈ યુવતી સૂતી હોય એ વખતે કોઈ યુવક તેનાં હાથ મોજાં ચોરી લે, તો એ યુવતીને ચુંબન કરવાનો અધિકાર પેલા યુવકને મળી જાય. આ વાત કરીને થોડી વાર પછી પોતાનાં હાથમોજાં કાઢીને અન્નપૂર્ણા સૂઈ ગઈ – કે તેણે સૂવાનો દેખાવ કર્યો. થોડી વાર પછી જાગીને જોયું તો તેનાં હાથમોજાં મૂક્યાં હતાં ત્યાં જ હતાં, રવીન્દ્રનાથે તેને હાથ પણ અડાડ્યો નહોતો.

પછી વાતવાતમાં રવીન્દ્રનાથે કહ્યું કે હું કવિતા લખું છું. તેમનું પહેલું કાવ્ય ‘અભિલાષા’ તેમના નામ વગર ‘તત્ત્વબોધિનીપત્રિકા’ના નવેમ્બર ૧૮૭૪ના અંકમાં છપાયેલું. તેમના નામ સાથે પહેલું કાવ્ય ‘અમૃતબજાર પત્રિકા’ના ૨૫ ફેબ્રુઆરી ૧૮૭૫ના અંકમાં પ્રગટ થયેલું. ૧૮૭૭ના જુલાઈમાં રવીન્દ્રનાથના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરે ‘ભારતી’ નામનું સામયિક શરૂ કર્યું ત્યારે તેના પહેલા જ અંકમાં રવીન્દ્રનાથની બે ગદ્ય કૃતિ અને એક કાવ્ય છાપ્યાં હતાં. પણ રવીન્દ્રનાથ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમનું એકે પુસ્તક છપાયું નહોતું. તેમનું પહેલું પુસ્તક ‘કવિ-કાહિની’ ૧૮૭૮માં પ્રગટ થયું. (પદ્યકથાઓના આ પુસ્તકમાંની ૧૮ કૃતિઓનો ગદ્ય અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ ‘કુરબાનીની કથાઓ’ નામે કરેલો, જે ૧૯૨૨માં પ્રગટ થયો હતો.) છતાં બંગાળમાં રવીન્દ્રનાથનું નામ થોડું જાણીતું થયું હતું.

રવીન્દ્રનાથ કવિતા લખે છે એ જાણ્યું એટલે અન્નપૂર્ણાએ કહ્યું કે મને તમારાં કાવ્યો સંભળાવો. પહેલાં તો થોડાં બંગાળી કાવ્યો ગાઈ સંભળાવ્યાં, પણ દેખીતી રીતે જ અન્નપૂર્ણાને તેમાં ઝાઝી સમજ પડી નહિ, એટલે રવીન્દ્રનાથ અંગ્રેજીમાં અનુવાદ કરીને સંભળાવવા લાગ્યા. આમ, કવિતાને કારણે બંને વધુ નજીક આવ્યાં. રવીન્દ્રનાથે ખાસ નલિની માટે એક કાવ્ય લખ્યું અને તે ગાઈને સંભળાવ્યું. એ સાંભળીને નલિનીએ કહ્યું: ‘કવિ, મને લાગે છે કે જો હું મરણ પથારીએ પડી હોઉં ને, તો ય તમારાં કાવ્યો સાંભળીને મને તેમાંથી જીવી જવાનું બળ મળે.’ નલિનીએ રવીન્દ્રનાથને એક સલાહ પણ આપી : ‘કવિ, તમારો ચહેરો સ્ફટિક જેવો નિર્મળ છે. એ ચહેરાની રેખાઓ ઢંકાઈ જાય એવું કશું ક્યારે ય કરશો નહિ. ક્યારે ય દાઢી વધારશો નહિ.’ વર્ષો પછી રવીન્દ્રનાથે લખ્યું : ‘સૌ કોઈ જાણે છે કે મેં તેની સલાહ માની નથી, અને દાઢી વધારી છે. પણ એની સલાહની અવગણનાની ચાડી ખાતો મારો ચહેરો જોવા એ જીવતી રહી નહિ.’

એસ.એસ. સિટી ઓફ પૂના

પછી અન્નપૂર્ણાએ કહ્યું કે મારે માટે બીજું કોઈ સરસ નામ પાડો ને! એટલે રવીન્દ્રનાથે તેનું નામ પાડ્યું નલિની. આ નામ – અને તે પાડનાર પણ – અન્નપૂર્ણાના મનમાં વસી ગયાં. બંને ધીમે ધીમે વધુ નિકટ આવતાં ગયાં. પણ એ બંનેમાંથી કોઈએ આ વિષે લખ્યું નથી એટલે તેમની નિકટતાની વિગતો મળતી નથી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે મોટાભાઈ સત્યેન્દ્રનાથ સાથે ગ્રેટ બ્રિટન જવા રવીન્દ્રનાથ મુંબઈથી ૧૮૭૮ના સપ્ટેમ્બરની ૨૦મીએ તારીખે નીકળ્યા. એસ.એસ. સિટી ઓફ પૂના નામની સ્ટીમર સાંજે પાંચ વાગે મુંબઈથી ઊપડી. છ દિવસ પછી તે એડન પહોંચી. આ બધા દિવસ રવીન્દ્રનાથને દરિયો લાગ્યો હતો અને એટલે તેઓ કેબિનની બહાર નીકળ્યા જ નહોતા. એડનથી સુએઝ પહોંચતાં બીજા પાંચ દિવસ લાગ્યા. સુએઝના બંદરેથી સુએઝ રેલવે સ્ટેશને ગયા અને એલેકઝાન્ડ્રિયા જતી ટ્રેનમાં બેઠા. આખે રસ્તે ઊડતી ધૂળ રવીન્દ્રનાથના શરીર પર એવી તો જામી ગઈ હતી કે તે કોઈ ભભૂતિ ચોળેલા બાવા જેવા લાગતા હતા. એલેકઝાન્ડ્રિયાથી તેઓ ‘મોંગોલિયા’ નામની સ્ટીમરમાં બેઠા. પહેલું કામ નહાવાનું કર્યું. પાંચ દિવસ પછી આ સ્ટીમર ઇટલીના બ્રિનડીસી બંદરે પહોંચી. બીજે દિવસે ઘોડા ગાડી ભાડે કરીને ગામ જોવા નીકળ્યા. થોડું ફરીને બપોરે ત્રણ વાગે પેરિસ જતી ટ્રેનમાં બેઠા. ત્યાં માત્ર એક દિવસ રોકાઈને લંડન જવા નીકળ્યા. ત્યાં ફક્ત બે કલાક ગાળી બ્રાઈટન પહોંચ્યા. પછી અનેક વાર દુનિયાના જુદા જુદા દેશોની મુલાકાત લેનાર રવીન્દ્રનાથની પહેલી વિદેશની મુસાફરી મુંબઈની કાંદાવાડીથી શરૂ થઈ હતી.

દેવેન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથના ગયા પછી નલિની ઉર્ફે અન્નપૂર્ણાનાં કુટુંબીજનોને બંને વચ્ચેના પ્રેમસંબંધની ખબર પડી. મરાઠીમાં આ અંગે જે લખાયું છે તેમાંથી જાણવા મળે છે કે ૧૮૭૯ની શરૂઆતમાં નલિનીને લઈને ડો. આત્મારામ કલકત્તા ગયા હતા અને એ બંને જોડા સાંકોના ઘરે રવીન્દ્રનાથના પિતા દેવેન્દ્રનાથને મળ્યાં હતાં. અને બંનેના લગ્નની દરખાસ્ત રજૂ કરી હતી. પણ રવીન્દ્રનાથ કરતાં નલિની ઉંમરમાં ત્રણેક વર્ષ મોટી છે એ કારણ આગળ ધરી દેવેન્દ્રનાથે એ માગું સ્વીકાર્યું નહિ. જો કે આ અંગેનું ખરું કારણ દેવેન્દ્રનાથની ચુસ્ત જ્ઞાતિપરસ્તી હતું. ટાગોર કુટુંબ પીરાલી (પીર+અલી) બ્રાહ્મણ હતું. બ્રાહ્મણોની આ ઉપજાતિ આજના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં જ જોવા મળે છે. દેવેન્દ્રનાથની હયાતી દરમ્યાન કુટુંબમાં જેટલા છોકરાઓનાં લગ્ન થયાં તે બધાની પત્ની પીરાલી બ્રાહ્મણ કુટુંબની જ હતી, પછી ભલે તે અત્યંત ગરીબ કુટુંબની હોય. એટલે રવીન્દ્રનાથની પત્ની તરીકે દેવેન્દ્રનાથ નલિનીને સ્વીકારી શકે તેમ નહોતું.

૧૮૮૦ના માર્ચમાં કોઈ પણ ડિગ્રી મેળવ્યા વગર રવીન્દ્રનાથ હિન્દુસ્તાન પાછા આવ્યા. થોડા વખત પછી, ૧૮૮૦ના નવેમ્બરની ૧૧મી તારીખે અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનાં લગ્ન એક સ્કોટિશ યુવક સાથે થયાં. એ વડીલોએ ગોઠવેલાં હતાં કે પ્રેમલગ્ન? જાણવા મળતું નથી. એ યુવકનું નામ હેરોલ્ડ લિટલડેલ. ૧૮૫૩ના ઓક્ટોબરની ત્રીજી તારીખે ડબ્લિનમાં જન્મ. પિતા હતા સોલિસિટર. ડબ્લિનની ટ્રિનિટી કોલેજમાં બી.એ., એમ.એ., અને પીએચ.ડી. થયા. હિન્દુસ્તાન આવી વડોદરાના મહારાજાએ ૧૮૮૧માં શરૂ કરેલી બરોડા કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને વાઈસ પ્રિન્સિપલ તરીકે જોડાયા. પછી ૧૮૭૯થી વડોદરા રાજ્યના કેળવણી ખાતાના ડિરેક્ટર તરીકે કામ કર્યું. એ દરમ્યાન યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા. પણ પછી સ્વદેશ પાછા જઈ યુનિવર્સિટી કોલેજ ઓફ સાઉથ વેલ્સ એન્ડ મોનમાઉથશાયરમાં અંગ્રેજીના પ્રોફેસર બન્યા. ૧૮૯૧માં અન્નપૂર્ણા ઉર્ફે નલિનીનું એડનબરામાં અવસાન થયું.

પણ નલિની અને રવીન્દ્રનાથ એકબીજાંને ભૂલી શક્યાં હતાં? ના. છેવટ સુધી અન્નપૂર્ણાએ રવીન્દ્રનાથે આપેલા ‘નલિની’ નામથી જ ઓળખાવાનું પસંદ કર્યું હતું. પોતાના એક ભાઈને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે તેનું નામ નલિનીએ પાડ્યું રવીન્દ્ર. તો બીજી બાજુ લગભગ ૮૦ વર્ષની ઉંમર સુધી લખાયેલાં ટાગોરનાં કાવ્યોમાં અવારનવાર નલિની નામ ડોકાતું જોવા મળે છે. એટલું જ નહિ, ૧૮૮૪માં તેમણે નલિની નામનું નાટક પણ લખ્યું અને તેનું અર્પણનું પાનું કોરું રાખ્યું હતું. આમ, નામ લખ્યા વગર તેમણે નાટક નલિનીને અર્પણ કર્યું. એંસી વરસની ઉંમરે ટાગોરે લખ્યું હતું: 'એ વખતે મેં જિંદગીમાં ખાસ કશું મેળવ્યું નહોતું. એટલે તેણે મારી ઉપેક્ષા કરી હોત તો એમાં એનો વાંક ન કાઢી શકાયો ન હોત. પણ તેણે એમ ન કર્યું. કવિતા એ એકમાત્ર પૂંજી મારી પાસે હતી જેનાથી હું તેનું ધ્યાન ખેંચી શકું. અને મારી કવિતા તરફ અને તેથી મારા તરફ તે આકર્ષાઈ હતી.’

ડો. આત્મારામ તર્ખડકરે કલકત્તા જઈ મહર્ષિ દેવેન્દ્રનાથ પાસે જે માગું નાખ્યું હતું તે તેમણે સ્વીકાર્યું હોત તો? તો ગુરુદેવ ટાગોર તર્ખડકર કુટુંબના અને તેથી મુંબઈ નગરીના જમાઈરાજા બન્યા હોત! પણ શું જીવનમાં કે શું ઇતિહાસમાં, જો-તોને ક્યારે ય સ્થાન હોતું નથી. એટલે મરાઠી મુલગી અને બંગાળી બાબુની પ્રેમકથાની વાત અહીં જ પૂરી કરીએ. આવતે શનિવારે નવી ગિલ્લી, નવો દાવ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 જૂન 2020

Loading

આ મુશ્કેલ સમયમાં (22)

સુમન શાહ|Opinion - Opinion|12 June 2020

= = = = આપણા સૌનો અનુભવ છે કે જિવાતા જીવનની સમતુલા જ્યારે પણ, દિવસ દરમ્યાન કે ક્યારે ય પણ, તોડીએ છીએ ત્યારે કંઈ ને કંઈ નાનું કે મોટું અઘટિત ઘટે છે. જીવન અને જેની વચ્ચે જીવન છે એ પ્રકૃતિ તેમ જ પર્યાવરણ સાથેનું સંતુલન માનવજાતે છેલ્લા કેટલાયે સમયથી તોડ્યું છે, ગુમાવ્યું છે. = = = =

= = = = વિજ્ઞાનીય મિજાજ માટે તેમ જ સ્વચ્છતા અને ટાપટીપ બાબતે પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવતું USA કચરા બાબતે પણ સર્વશ્રેષ્ઠ છે ! વર્લ્ડ બૅન્કના સંશોધકો જણાવે છે કે USA દર વર્ષે 250 મિલિયન ટન કચરો પેદા કરે છે. એટલે કે રોજ્જે અમેરિકન વ્યક્તિ આશરે 4.4 પાઉણ્ડ કચરો પેદા કરે છે = = = =

= = = = હવેના સમયમાં જાગ્રત વ્યક્તિ એમ પૂછે છે કે તમારા શહેરમાં કચરાનો ડુંગર કેટલો મોટો અને કેટલો ઊંચો છે – જેમ એ પૂછતો હતો કે પાવાગઢ પર્વત કેટલો ઊંચો છે = = = =

કહે છે કે કોરોના માનવભક્ષી છે. એને કશો વિવેક નથી. એ ઘાતકી છે. એ હિંસક છે. કોરોના વિશે સુજ્ઞજનોને એવા વિચારો આવે તે બરાબર છે.

પણ આપણે માણસો શેનો શેનો ભક્ષ કરીએ છીએ, અન્ય જીવો સાથે કેમ વર્તીએ છીએ, પ્રકૃતિએ અર્પેલાં હવા પાણી અને ખોરાકના ઉપયોગ વિશે કેટલા વિવેકી છીએ, એ દિશામાં વિચારવાની પણ એટલી જ જરૂર છે. અને, આપણે શું ઓછા હિંસક છીએ? ઓછા ઘાતકી છીએ? રોજ કેટલાંયે પ્રાણીઓને હણી નાખીએ છીએ. મનુષ્યપ્રાણી રૂપે શ્રેષ્ઠ છીએ છતાં યેન કેન કારણેન્ મનુષ્યોનાં ખૂન કરીએ છીએ. આતંક ફેલાવીને કેટલાંયે નિર્દોષોને મરણશરણ કરીએ છીએ, એ ઘટનાના સમાચાર તો હવે રોજિંદા થઈ પડ્યા છે. અનેકો આપઘાત કરે છે. સ્વજનોની અણછાજતી વર્તણુકોને કારણે પણ કેટલાંકોને આપઘાતની ફરજ પડે છે.

કોરોના તો સ્વયંભૂ છે પણ આપણે તો સંસ્કૃતિ અને સભ્યતા ઊભી કરી છે, વિકસાવી છે. પણ એમાં આપણે ગમે તે ઘડીએ અવિવેકી અને ભ્રષ્ટાચારી બની બેસીએ છીએ, કોઈપણ પ્રકારનું હીન કૃત્ય કરતાં ડરતા નથી, અસંસ્કારી અને અસભ્ય વર્તનો કરતાં ખંચકાતા નથી.

આલ્બેર કામૂરચિત નવલકથા ‘આઉટસાઇડર’-નો નાયક મ્યરસૉં આરબને ગોળી મારે છે પણ પહેલી ગોળી પછી બીજી ચાર મારે છે. જરૂરી જરાયે ન્હૉતું. મૅજિસ્ટ્રેટ કારણ પૂછે છે, તો કહે છે : પાંચ સાથે ન્હૉતી છોડી અને પછીથી ચાર સાથે ન્હૉતી છોડી : પછી મ્યરસૉં આપણને કહે છે : હું જાણતો હતો કે આ દિવસની સમતુલાનો મેં ભંગ કર્યો હતો. આ કાંઠા પરની વિશાળ શાન્તિમાં હું સુખી હતો તે શાન્તિનો મેં ભંગ કર્યો હતો.

આપણા સૌનો અનુભવ છે કે જિવાતા જીવનની સમતુલા જ્યારે પણ, દિવસ દરમ્યાન કે ક્યારે  ય પણ, તોડીએ છીએ ત્યારે કંઈ ને કંઈ નાનું કે મોટું અઘટિત ઘટે છે. મારે આજે એ કહેવું છે કે જીવન અને જેની વચ્ચે જીવન છે એ પ્રકૃતિ તેમજ પર્યાવરણ સાથેનું સંતુલન માનવજાતે છેલ્લા કેટલાયે સમયથી તોડ્યું છે, ગુમાવ્યું છે.

Picture Courtesy: MEDIUM

હું આજે એ અસંતુલનની વાત આંકડા આપીને કરું.

વર્તમાન જીવનમાં માણસે હવા પાણી ખોરાક સ્વચ્છતા વગેરે અનેક બાબતે બેપરવાઈ દાખવી છે. શિસ્ત અને શરતો નથી પાળી. યમનિયમસંયમ નથી પાળ્યા. અંચઈઓ અને આડોડાઈઓ કરીને બધું પ્રદૂષિત કરી મૂક્યું છે. ઉપર ઉપરથી લાગે કે આપણે કેટલી બધી પ્રગતિ કરી, ચન્દ્ર પર પગ મૂકી આવ્યા, પણ એ હકીકત ધ્યાન પર નથી આવતી કે જિવાતું જીવન આખું આપણે કેટલું ગંદુંગોબરું કરી મૂક્યું છે.

મોટામાં મોટું પ્રવર્તમાન દૂષણ તો પ્રદૂષણ છે. જેમાં આપણે શ્વસીએ છીએ એ આબોહવાને પ્રદૂષિત કરવામાં આપણે કશી કમી નથી રાખી. દર વર્ષે સાદાં પૅસેન્જર-વાહનો 4.6 ટન કાર્બન ડાયોક્સાઈડ વહેતો કરે છે. WHO ભલે અડસટ્ટે કહે છે, પણ ચૉંકાવનારું કહે છે કે હવાના પ્રદૂષણને કારણે દર વરસે 4.6 મિલિયન લોકો મરે છે. 2017-માં વિશ્વમાં 7,34,56,531 કાર અને 2,38,46,003 કૉમર્સિયલ વાહનો હતાં; ભારતમાં 39,52,550 અને 83,03,46 હતાં. ત્રણ વર્ષમાં આમાં કેટલો વધારો થયો હશે તે કલ્પી શકાય છે.

વિશ્વમાં ભારત પાંચમા ક્રમે અતિ પ્રદૂષિત દેશ છે. May 2020-ના અપડેટ અનુસાર, અમદાવાદનું ઍર પોલ્યુશન હાઈ છે – 66.09. વૉટર પોલ્યુશન હાઈ છે – 65.62. કચરાના નિકાલ પરત્વે હાઈ છે – 62.30. એનું અવાજ અને પ્રકાશનું પોલ્યુશન હાઈ છે – 63.73.

પાણી જીવન છે. પણ એની સાથેનો આપણો વ્યવહાય કેટલો તો આપમતલબી છે ! દર વર્ષે ઘરોમાંથી રાષ્ટ્રદીઠ 900 બિલિયન ગૅલન પાણી લિક થાય છે. એટલું પાણી તો 11 મિલિયન જેટલાં ઘરોને કામ આવે ! (સર્વસામાન્યપણે, 1 મિલિયન = 10,00,000 લાખ અને 1 બિલિયન = 1,00,00,00,000).

પાણીનો બગાડ અને કચરાની વૃદ્ધિ -બન્નેનું મિશ્રણ થતાં રોગો દોડ્યા આવે છે. ભારતમાં સ્વચ્છતા અભિયાન સરકારી રાહે ચાલુ છે પણ પ્રજાનો દિલથી સહયોગ નથી એટલે સાથોસાથ કચરો વધવાનું પણ ચાલુ છે. માણસને ઘર ચોખ્ખું રાખવું ગમે છે પણ આંગણું? શેરી? ગામ? આ પરત્વે શ્હૅરોની તો વાત જ નહીં થાય ! આ અમદાવાદમાં અમારા વસ્ત્રાપુરમાં શાળાની ફૅન્સિન્ગ અને વૃક્ષની આડમાં અડબંગો મૂતરે છે. મેં એક વાર એક જણાને આઠમા માળેથી બૂમ પાડેલી, તો દાંતિયું કરીને ચાલી ગયેલો … લાજશરમ વિનાની એવી ઉઘાડી મૂતરડીઓ મેગા-સિટી લેખાયેલાં શ્હૅરોમાં કેટલીયે હોય છે.

હવેના સમયમાં જાગ્રત વ્યક્તિ એમ પૂછે છે કે તમારા શહેરમાં કચરાનો ડુંગર કેટલો મોટો અને કેટલો ઊંચો છે – જેમ એ પૂછતો હતો કે પાવાગઢ પર્વત કેટલો ઊંચો છે. વિશ્વમાં દર રોજ 3.5 મિલિયન ટન પ્લાસ્ટિક અને અન્ય નક્કર કચરો એકઠો થાય છે. વિજ્ઞાનીય મિજાજ માટે તેમ જ સ્વચ્છતા અને ટાપટીપ બાબતે પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવતું USA કચરા બાબતે પણ સર્વશ્રેષ્ઠ છે ! વર્લ્ડ બૅન્કના સંશોધકો જણાવે છે કે USA દર વર્ષે 250 મિલિયન ટન કચરો પેદા કરે છે. એટલે કે રોજ્જે અમેરિકન વ્યક્તિ આશરે 4.4 પાઉણ્ડ કચરો પેદા કરે છે.

પિઝ્ઝા વગેરે ફાસ્ટ ફૂડ છે – કચરો – છતાં હું તમે અને આપણે સૌ હસી હસીને ખાઈએ છીએ. દુનિયાભરના ફાસ્ટ ફૂડ ઈટર્સમાં નમ્બર વન, USA છે.

માંસાહાર સ્વાભાવિક છે છતાં એના પૂર્વાપર સમ્બન્ધો ચિન્તાજનક છે. દર વર્ષે 72 બિલિયન પ્રાણીઓની ખોરાક માટે કતલ કરાય છે. 2011-12માં વિશ્વમાં 7 મિલિયન લોકો માંસાહારી હતા. એક ગણતરી પ્રમાણે ત્યારે દર રોજ 260 મિલિયન કિલોગ્રામ ચિકન ખવાતી હતી. USA-માં દર વર્ષે 9 બિલિયન ‘બ્રૉઇલર’ એટલે કે બેબી ચિકન – નર અને માદા – ઉછેરાય છે અને પછી ખાવા માટે વધેરાય છે. વિશ્વમાં દર વર્ષે 50 બિલિયન ચિકનનો સંહાર કરાય છે. એક ચિકન આશરે 5 lb-ની હોય તો એનો અર્થ એ થયો કે દર રોજ 55 મિલિયન ચિકન આરોગાય છે. મચ્છી વગેરે સી-ફૂડની વર્ષવાર માંગ ત્યારે 143.8 ટન હતી. આજે આ દરેક આંકડા એકદમ મોટા થઈ ગયા છે.

વિશ્વના 50-થી 60 ટકા લોકો બકરાંનું માંસ ખાય છે. વિશ્વભરનાં બકરાંની વસતીનો પૉણો ભાગ વિકાસશીલ દેશોમાં સમાયો છે.

કોઈ માણસ શાક ખાય કે માંસ મને કોઈ ફર્ક નથી પડતો. કેમ કે હું શાકાહારનો પ્રચારક નથી તેમ માંસાહારનો નિન્દક પણ નથી. કોઇ ગુજરાતી મિત્ર કોઈ બંગાળી બાબુની સંગતમાં માછભાત ખાતો થાય તો મને ન ગમે એવું નથી. કોઈ અહિંસાધર્મવાદી ચિકન ખાતો થાય કે કોઈ એવો જ બીજો મિત્ર મટન ખાતો થાય તો પણ મને ન ગમે એવું નથી. કેમ કે મારી પાસે ડહાપણભરી હકીકત એ છે કે વિશ્વમાં માંસાહારીઓ ન હોત તો શાકાહારીઓને દાળભાતના ય સાંસા પડી જાત.

ખૅર. આ બધી ના-લાયકીઓ તો ખરી જ માણસો માણસોને હણી નાખે એથી ઘૃણાજનક દુષ્કૃત્ય કયું? 2016-માં વર્લ્ડ બૅન્કના સંશોધકોએ નૉંધેલું કે વિશ્વમાં રોજ 1,130 ખૂન થાય છે. વરસે દા’ડે આશરે એક લાખે 5.5 ખૂન. 2018માં USA-માં 15,498 ખૂન થયાં હતાં. ત્યાંસુધીના 33,341 ખૂનીઓ દફતરે નૉંધાયા હતા. આની તુલનામાં આપઘાતના આંકડા મૂકો. દર વર્ષે ૮૦ લાખ મનુષ્યો આપઘાતથી મરે છે. WHO અનુસાર, દર 40 સૅકન્ડે 1 માણસ આપઘાત કરે છે. સાઉથ-ઇસ્ટ ઍશિયામાં સૌથી ઊંચો આપઘાત-દર ભારત ધરાવે છે. દર વર્ષે 8 લાખ ભારતીયો જાતે મૉતને વરે છે.

આ આંકડાઓ મારી કલ્પનાશક્તિથી નથી જન્મ્યા. મારી શોધવૃત્તિનું ફળ છે. એના આધારસ્રોત ન રાખું એમ તો કેમ બને? પણ વાચનસારલ્ય ખાતર અહીં દાખલ નથી કર્યા. આ આંકડાઓનું સત્ય એ છે કે હંમેશાં તમારે મોટા બોલવાના, કદી ખોટા નહીં પડો, કેમ કે એ નિત્યવર્ધમાન છે. કોઇક હોય જે મનુષ્યજાતિના સદ્ભાગ્યબળે ઘટવા લાગ્યો હોય.

બસ, બહુ થયું.

નથી લાગતું કે પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની આ બધી માનવીય ગેરવર્તણૂકોએ કોરોનાને નિમન્ત્રણ આપ્યું હોય? કોરોના જશે પછી માનવજાત સુધરશે ખરી? ન જાને – એટલે કે મને એની જાણ નથી.

= = =

(June 12, 2010: Ahmedabad)

Loading

...102030...2,3072,3082,3092,310...2,3202,3302,340...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved