Opinion Magazine
Number of visits: 9575373
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– તો, ગુજરાતની માતૃભાષા અંગ્રેજી હશે!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 June 2020

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શનિવારે સાંજે ૧૦માં ધોરણની પરીક્ષામાં લાખેકથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા એ સંદર્ભે મોબાઇલ પર, મારે વાતો થઈ. એમાં એમણે વિદ્યાર્થીનો ગુજરાતીમાં પાયો જ કાચો રહી જાય છે એ વાત આગળ કરી તો મારે એ કહેવાનું થયું કે બીજા બધા વિષયમાં પાયો કાચો નથી રહેતો તો ગુજરાતીમાં જ કેમ એવું થાય છે?અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના વિષયમાં પૂરતા માર્ક્સ આવે ને ગુજરાતીમાં જ ન આવે એ કેવું? પાયો કાચો રહે તો બધામાં જ રહેને! મંત્રીશ્રીનું કહેવાનું એ હતું કે નવ ધોરણ સુધી લગભગ કોઈ જ ચકાસણી વગર વિદ્યાર્થી આગળ જતો હોય ને દસમાંમાં બોર્ડની પરીક્ષા ઘેરી વળે તો નબળો દેખાવ થાય તેમાં નવાઈ નથી. ખરેખર તો પરીક્ષા વગર ઉપલા ધોરણમાં મોકલવાની વાત જ પુનર્વિચાર માંગે છે.

એમ લાગે કે પરીક્ષા વગર પાસ કરવાનો તુક્કો સફળ નથી થયો ને સરકાર ફરી પરીક્ષાઓ લેવાનું શરૂ કરે તો કોણ હાથ પકડવાનું હતું? થયું છે શું કે શિક્ષણને મામલે સરકારે એટલા (અ)ખતરાઓ કર્યા છે કે શિક્ષણ વિશ્વસનીય રહ્યું નથી. દસમાં ધોરણમાં વિદ્યાર્થી આવે છે ત્યારે પરીક્ષાઓ આપવાની નવી ટેવ પાડવાનું તેને અઘરું લાગે છે. મુખ્ય વિષયોનું શિક્ષણ તો વિદ્યાર્થી વર્ગમાં કે ટ્યૂશન રાખીને મેળવી લે છે, પણ ગુજરાતીનું તેટલી ગંભીરતાથી તે શિક્ષણ કે ટયૂશન મેળવતો નથી. એ પણ ગુજરાતી કાચું રહી જવાનું એક કારણ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ ને શિક્ષકો પણ ગુજરાતી વિષય બાબતે બહુ જ ઓછા ગંભીર હોય છે. સૌથી વધુ દારિદ્રય ગુજરાતીના શિક્ષકોનું છે. તે પોતે જ ભૂલો કરે તો વિદ્યાર્થી પણ ખોટું જ શીખશેને! મંત્રીશ્રીએ બીજી અનેક યોજનાઓ આ મામલે વિચારાઈ રહી હોવાનું જણાવીને એકમ કસોટીઓ શરૂ કર્યાની વાત પણ કરી જે આવકાર્ય બાબત છે. તેમણે ૧૫ જૂનથી જ ‘હોમ લર્નિંગ’ શરૂ થઈ રહ્યું હોવાની વાત પણ ઉમેરી, જેમાં ‘ક્નેક્ટિવિટી’ ન હોય ત્યાં ‘હાર્ડ મટિરિયલ’ પહોંચાડવાની વાત પણ આવી જાય. (ઓનલાઈન શિક્ષણનો વાંધો ઉઠાવતો મેઈલ પણ મેં એમને મોકલ્યો છે, તે સહજ જાણ ખાતર.)

સાહેબને મેં એટલું ભારપૂર્વક કહ્યું કે બારમાં ધોરણ સુધી ગુજરાતમાં ગુજરાતી ફરજિયાત થવું જોઈએ એટલું જ નહીં, કોઈ પણ કોલેજ પ્રવેશ વખતે અન્ય વિષયની ટકાવારીમાં ગુજરાતીની ટકાવારી ફરજિયાત રીતે ગણતરીમાં લેવાવી જોઈએ. એમણે એ સ્વીકાર્યું કે તો જ વિદ્યાર્થી ગુજરાતી તરફ ધ્યાન આપતો થશે. મંત્રીશ્રીનું એ બાબતે પણ ધ્યાન દોર્યું કે અંગ્રેજીનું મહત્ત્વ ઓછું આંક્યા વગર જો ગુજરાતી તરફ ધ્યાન નહીં અપાય તો આવનારા સમયમાં ગુજરાતની માતૃભાષા અંગ્રેજી હશે.

એક વાત ક્યાંક વાંચેલી તે યાદ આવે છે. ભારત અને ઇઝરાયલ લગભગ સાથે સાથે સ્વતંત્ર થયા. ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને પૂછ્યું કે તમે પ્રજાને શિક્ષણ કઈ ભાષામાં આપશો? તો રાષ્ટ્રપ્રમુખે કહ્યું શિક્ષણ તો માતૃભાષામાં જ હોયને! નહેરુએ કહ્યું, પણ ઉત્તમ સામગ્રી તો અંગ્રેજીમાં છે તો હિબ્રુમાં તે કેવી રીતે આવશે? ઈઝરાયલમાં લગભગ સાત વર્ષ શિક્ષણ બંધ રખાયું. ત્યાના વિદ્વાનોએ એ ગાળામાં બધું સાહિત્ય અંગ્રેજીમાંથી હિબ્રુમાં અનૂદિત કર્યું ને એમ માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થયું. આટલી કાળજી ગુજરાતી માટે આપણી નથી જ. જગતની કોઈ પણ પ્રજાએ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે એ નિર્વિવાદ છે. એમાં આપણે ગુજરાતીઓ જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યા છીએ એ કેવળ ને કેવળ શરમજનક છે. કેટલીક સરકારી નીતિઓ પણ એને માટે જવાબદાર છે. એ સાચું છે કે આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકાયા છીએ ને વિશ્વ જોડે સંપર્ક ને સ્પર્ધા માટે અંગ્રેજી જ કામ લાગે એમ છે. એનો અર્થ એવો ન જ થાય કે વિશ્વ સાથેના સંપર્ક માટે પોતાનાં ઘર પર દીવાસળી મૂકવી. ક્યાં ય પણ હોઈએ, રહેવાનું તો ઘરમાં જ છે. વિશ્વને ઘર માનીએ તો પણ ઘર તો જોઇશે જ. વિદેશમાં જનમીએ તો જુદી વાત છે, પણ જન્મવાનું ગુજરાતમાં થયું હોય તો પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં જ થાય, એમાં બીજા મતને અવકાશ જ નથી, પણ સરકાર ને પ્રજા અંગ્રેજી માધ્યમને વિશેષ મહત્ત્વ આપીને ગુજરાતી માધ્યમ અને ભાષાને બીજે ક્રમે મૂકી રહી છે, ઉતરતી ગણી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી.

એ મોટો ભ્રમ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ જ્ઞાન વધશે. જ્ઞાન માતૃભાષામાં જેટલું સહજ છે એટલું અન્ય ભાષામાં નથી જ નથી. એ સમજી લેવાનું રહે કે જગતનો કોઈ પણ મહાન માણસ માતૃભાષામાં ભણવાને કારણે મહાન થયો છે. ભારતની વાત કરીએ તો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમર્ત્ય સેન, આંબેડકર જેવા અંગ્રેજી માધ્યમની પેદાશ નથી. આ બધાએ માતૃભાષામાં શિક્ષણ લીધું છે. ગાંધીજી ગુજરાતી સ્કૂલમાં ભણ્યા છે ને તેમનું અંગ્રેજી, અંગ્રેજોના અંગ્રેજી કરતાં કોઈ રીતે ઉતરતું ન હતું. તેમણે અંગ્રેજીમાં ય ઘણું લખ્યું, પણ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી ને પછી તે અનેક ભાષાઓમાં અનૂદિત થઈ. ટાગોરનું પણ એવું જ થયું. તેમણે કાવ્યો બાંગ્લામાં લખ્યા ને જરૂર પડી તો તેનો અંગ્રેજીમાં અનુવાદ પોતે જ કર્યો ને તેને નોબેલ પારિતોષિક મળ્યું. બંગાળીમાં ભણવા છતાં તેમનું અંગ્રેજી નબળું ન હતું. નબળું હોત તો અંગ્રેજી નોબેલ સુધી પહોંચ્યું ન હોત. એટલે એવું કંઈ નથી કે માતૃભાષામાં ભણનારનું અંગ્રેજી સારું ન હોય. ખરેખર તો જે માતૃભાષા સારી રીતે જાણે છે તે બીજી ભાષા પણ સારી રીતે શીખી જ શકે છે.

પણ ગુજરાતીઓ લઘુતા અનુભવે છે ને તેનાથી ય વધુ લઘુતા સરકાર અનુભવે છે, તે વગર અંગ્રેજી માધ્યમનો વેપલો તે કરે જ નહીંને! આપણા કેટલાક ગુજરાતી વાલીઓ તો એટલા ભીરુ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળક નહીં ભણે તો તે દુનિયામાં ટકી નહીં શકે એવું માને છે. એમાં જો વાલી અભણ હશે તો તેનું સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઝનૂન વધારે તીવ્ર હશે. ભૂલેચૂકે જો પૈસા ઉભરાતા હશે તો લાખોનો ધૂમાડો કરવામાં તે ગૌરવ અનુભવશે. એને કારણે અંગ્રેજી તરફની દોટ વધી છે. એનું જોઇને સાધારણ કમાણી કરતા વાલીઓ પણ અંગ્રેજી તરફ ખેંચાય છે ને કોઈ પણ રીતે સંતાનને અંગ્રેજી માધ્યમમાં ઘાલીને જ જંપે છે. આજે તો ગુજરાતીમાં ભણાવવા વાલીઓ ખાસ તૈયાર જ નથી. એનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા થતી નથી ને તેના અભાવે ઢગલો પ્રાથમિક શાળાઓ બંધ પડી છે. જો આ ગતિ ચાલુ રહી તો ગુજરાતી માધ્યમની બધી શાળાઓ બંધ પડશે તે નક્કી છે. અંગ્રેજોએ ધાર્યું હોત તો પ્રાદેશિક ભાષાઓમાં ચાલતી શાળાઓ બંધ કરાવી હોત, પણ જે તે પ્રદેશની માતૃભાષામાં શિક્ષણ મળી રહે એ માટે તે ચાલુ રાખી ને કમાલ તો એ છે કે ગુજરાતી માધ્યમની અંગ્રેજોના વખતમાં ચાલતી સ્કૂલો સ્વતંત્રતા મળ્યા પછી આટલે વર્ષે બંધ કરવાની આવી છે. દાખલો આપીને કહું તો અમદાવાદની ૧૯૩૪થી ચાલતી ગુજરાતી માધ્યમની સાધના સ્કૂલ ૨૦૧૬માં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે બંધ કરવી પડી. આના પરથી તો ભવિષ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ જ હશે એવું લાગે છે. આવામાં ગુજરાતી ભણવાનું જ ન રહે તો ગુજરાતી ભાષા મરવા જ પડશે કે બીજું કંઈ? એ સ્થિતિમાં ગુજરાતની માતૃભાષા તરીકે અંગ્રેજીની જ આરતી ઉતારવાનું આવે એમ બને. આ થવા દેવાનું છે?

ગુજરાતી માધ્યમને ન સ્વીકારનારા ગુજરાતી ભણવાની અઘરી પડે છે એવી વાતો કરે છે. એની જોડણી ભણનાર અને ભણાવનાર ને અઘરી લાગે છે. અંગ્રેજીમાં હ્રસ્વ ઇ કે ઉ કે દીર્ઘ ઈ કે ઊ કે અનુસ્વાર નથી, એટલે એ સહેલી છે એવું ઘણાં માને છે. આ બરાબર નથી. કેટલાક ગુજરાતીના શણગાર ઉતારવાની ફિકરમાં પણ છે. એક જ ઉ કે ઈ રાખવાનો જુવાળ પણ આવ્યો. એટલે કે પિતા નહીં, પીતા કે ઊંઝા નહીં, પણ ઉંઝા લખીએ તો બીજી ઇ કે બીજા ઊનો બોજો ઘટે. વારુ, આ એક ઉ કે ઈ રાખીએ ને એ જ સાચું ઠરાવીએ ને કોઈ, બાકી ઊ કે ઇનો આગ્રહ રાખી એની ઝુંબેશ ઉપાડે તો શું એ પણ સ્વીકારીશું?

આ બોજો સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળીને નથી લાગ્યો. એમાં સૌથી મોટી બૂમરાણ તો હિન્દીમાં ઊઠી શકી હોત, કારણ એ રાષ્ટ્રભાષા છે ને વધારે ફરિયાદો એ ભાષામાંથી આવી હોત, પણ ગુજરાતીને બાદ કરતાં અન્ય ભાષામાં એવો ઊહાપોહ થયો નથી. એનો અર્થ એવો નહીં જ કે ત્યાં બધાં જોડણી સાચી જ કરે છે. ત્યાં ય ભૂલો થાય જ છે. ગુજરાતી સરલીકરણના બીજા પ્રયત્નો પણ થયા, પણ ઈરાદાપૂર્વક લખવાના પ્રયત્નોને બાદ કરતાં, ખોટી જોડણી સાથે પણ ઇ, ઈ કે ઉ, ઊ લખાય તો છે જ. જો આ લખવાનું ચાલુ રહ્યું હોય તો પ્રયત્ન કરવાથી આ બધાં સાથે સાચું ન જ લખી શકાય એવું નથી. જરૂર છે તે ગંભીરતાની. એવું નથી કે સાચી ગુજરાતી કદી કોઈએ લખી જ નથી. એ બેદરકારી આજની છે. શિક્ષક સાચું જાણે તો વિદ્યાર્થી સાચું લખી જ શકે એમાં શંકા નથી. અંગ્રેજીમાં સાયકોની કે ન્યુમોનિયાની સ્પેલિંગ ‘P’થી શરૂ થાય એ યાદ રાખી શકતા હોઈએ કે but ને બટ ને put ને પટ ન કહેતાં, પુટ બોલી શકતા હોઈએ તો ગુજરાતીમાં થોડી કાળજી રાખવાની આવે તેટલા માત્રથી તેનો કાંકરો કાઢવાની વાત ઠીક નથી.

આપણી ભાષા ગુજરાતી આટલા અનાદરને પાત્ર નથી જ!

૦૦૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર”, 15 જૂન 2015

Loading

ચિત્રકાર છબિકાર કવિ પ્રદ્યુમન તન્ના

અભિજિત વ્યાસ|Opinion - Opinion|15 June 2020

હમણાં દસ જૂનના રોજ જયંતભાઈ મેઘાણીએ લખેલ લેખ "રોમ રોમ નર્યો આનંદ – નઘરોળ" વાંચીને અનેક સ્મૃતિઓ સળવળી ઊઠી. જયંતભાઈનો લેખ એટલો બધો ભાવવાહી હતો કે વાંચવાની ખૂબ મજા આવી. એટલે મને પણ મારી સ્મૃતિઓ લખવાની ઈચ્છા થઇ.

પ્રદ્યુમ્ન તન્ના ગુજરાતીના એક ઉત્તમ કવિની સાથે સાથે એક ઉત્તમ ચિત્રકાર પણ હતા. પણ ગુજરાતમાં આ બંને ક્ષેત્રે એમની જેવી અને જેટલી નોંધ લેવાવી જોઈએ તેટલી નથી લેવાઈ એ પણ એક હકીકત છે. આપણે ત્યાં કેટલાક લોકો એમ માને છે કે પ્રદ્યુમ્ન તન્ના અહીં ભારતમાં જ રહ્યા હોત તો ગુજરાતી ચિત્રકલાનો ઇતિહાસ કંઈક જુદો જ હોત. અલબત્ત આ એક ચર્ચાનો વિષય છે. એટલે એમાં ન જતા કેટલીક એમના વિષે વાત લખું. પ્રદ્યુમ્નભાઈ ખૂબ પ્રેમાળ. એમનાં પત્ની રોઝાલબા પણ એટલાં જ પ્રેમાળ. એમને ત્યાં ગયા હોઈએ ત્યારે બહુ પ્રેમથી જમાડે. ઇટાલિયન સન્નારી હોવાં છતાં ગુજરાતી વાનગીઓ બનાવે. એમને બાજરાનો રોટલો બહુ ભાવે. દાળઢોકળી પણ બનાવે.

અહીં ઉપર જે રંગીન – કલર ફોટો છે તેમાં તેમનું સમગ્ર કુટુંબ જોવા મળે છે. પણ આ ફોટો બહુ જૂનો છે. એમનાં બાળકો નાનાં હતાં ત્યારનો. તો અન્ય જે શ્વેત શ્યામ – બ્લેક & વાઈટ છે તેમાં પ્રદ્યુમ્નભાઈ અને રોઝાલબા નાની એન્ટોનેલા સાથે જમતાં જોવા મળે છે. એ ફોટો મારે ત્યાં એક પ્રસંગમાં જમવા આવ્યા હતા ત્યારનો છે. એમની બાજુમાં “નવનીત–સમર્પણ”ના તંત્રી ઘનશ્યામ દેસાઈ બેઠેલા હતા. આ ફોટો લગભગ ચાળીસેક વર્ષ જૂનો છે. ત્યારે એમનો પુત્ર નિહાર એકાદ વર્ષનો જ હતો. ત્રીજા ફોટામાં તન્ના દંપતી સાથે જોવાં મળે છે તે મારે ઘેર સવારના ચાના સમયે મેં પાડેલો છે. આ ફોટામાં પાછળ મારા પિતાશ્રી પણ ઊભેલા છે. એમણે એમની મોટી પુત્રીના લગ્ન અહીં મુંબઈ આવીને ભારતીય વિધિ મુજબ કરેલા.

અમદાવાદમાં તેઓ વાર્તાકાર અંજલીબહેન ખાંડવાળાને ત્યાં ઊતરતા. એક વખત એમને ઘેર હું પ્રદ્યુમ્નભાઈને મળવા ગયો હતો તેવું મને યાદ છે. એમનું અમદાવાદમાં પ્રદર્શન યોજાયેલું ત્યારે તેનું ઉદ્ઘાટન એમના ચિત્રકાર મિત્ર અમિત અંબાલાલ કરવાના હતા, પણ અમિતભાઇ કોઈ કારણસર નહોતા આવી શક્યા તેથી તે પ્રદર્શનનું ઉદ્ઘાટન મારા પિતાશ્રી[શરદભાઈ વ્યાસે]એ કરેલું. એમનું એન.આઈ.ડી.માં વર્કશોપ યોજાયેલું ત્યારે હું અને પ્રદ્યુમ્નભાઈ એન.આઈ.ડી.ના ગેસ્ટ હાઉસમાં એક જ રૂમમાં સાથે રહેલા. આ બધો સમય એમની સાથે વાતો કરતાં ઘણું જાણવા મળતું. મારે માટે ખાસ, ફૅલ્લિની પરનું દળદાર પુસ્તક ઈટાલીથી લઇ આવેલા.

પ્રદ્યુમ્નભાઈના અવસાન પછી પણ એમાં કુટુંબે અહીંના મિત્રોનો સંપર્ક રાખેલો છે. હમણાં જ કુન્દનિકાબહેન કાપડિયાના અવસાન નિમિત્તે એન્ટોનેલાએ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન સાથેનો એનો ફોટો ખાસ મને મોકલેલો. અને લખેલું કે મને એમના પ્રત્યે ખૂબ માન છે.

પ્રદ્યુમ્ન તન્નાનાં રંગીન ચિત્રો વિષે ખાસ માહિતી મળતી નથી. લલિત કલા અકાદમી (દિલ્હી) પાસે એમનાં ત્રણેક ચિત્રો છે, પણ તેઓ તેનો ઉપયોગ કરવા આપતા નથી. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ પાસે પણ એમનું એકાદ ચિત્ર છે, તેવું જાણવામાં આવ્યું છે. પણ ત્યાંથી પણ કોઈ એ માટે સહકાર આપતું નથી. અન્ય કોઈ પાસે હોય તો મને જણાવે તેવી વિનંતી કરું છું. જ્ઞાનેશ્વર નાડકર્ણી પાસે એમના સંગીતકારોના કરેલા પોટ્રેઈટ છે પણ હવે તેઓ ગુજરી ગયા છે, તેથી એ કેમ મેળવવા એ એક પ્રશ્ન છે. એમને ઘણાં ચિત્રો કરેલાં તે ક્યાંક તો હશે જ.

એમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો અનેરો શોખ હતો. પછીથી પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફી તરફ વળી ગયા હતા, અને તેના પણ પ્રદર્શન કરેલા. મુંબઈમાં યોજાયેલા આવા એક પ્રદર્શન વખતે દશેક દિવસ એમની સાથે ગેલેરી પર રહેલો. એ દિવસોનો આનંદ અનેરો હતો. આમ તો તેઓ મારા પિતાશ્રીના મિત્ર અને એમની જ ઉંમરના, પણ મારી સાથે પણ મિત્રભાવથી જ સદ્દભાવ રાખ્યો છે. અને ક્યાં ય વડીલપણું નથી જોવા મળ્યું. એમની ચિત્રકલા વિષે ખાસ લખવાની ઈચ્છા છે પણ એમનાં ચિત્રો મળવાં મુશ્કેલ છે.

Loading

પરિષદ-પ્રમુખની ચૂંટણી સંદર્ભે થોડા સ્ફુટ વિચાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 June 2020

અનલૉકડાઉનનાં આરંભિક અઠવાડિયાં ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનના સંદર્ભમાં વળી એક પડકાર અને વિચારમુદ્દા સાથે ઉપસ્થિત થયાં છે. નવું ‘પરબ’ (જૂન ૨૦૨૦) જોગાનુજોગ ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી તરેહના એક સમાચાર લઈ નવા પરિષદ-પ્રમુખ માટેની ચૂંટણીના સમયપત્રક સાથે આવ્યું છે. સામાન્યપણે ‘પરબ’ અને સાહિત્ય પરિષદ પોતપોતાના ગોખલામાં સક્રિય હોય, પણ અક્ષરજીવન અને જાહેરજીવન સાથેલગાં સામે આવી ઊભે, ત્યારે આવા મુદ્દા કોચલા/ કુંડાળા છાંડી ચાચરચોક મોઝાર આવી ઊભે છે. વાસ્તે, થોડીએક સહવિચાર કોશિશ.

દેખીતી રીતે જ, વર્તમાન પરિષદ-પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રની પારી પૂરી થવામાં છે. ચાલુ પ્રવૃત્તિઓને એમણે ‘આનંદની ઉજાણી’ અને ‘નૉળવેલની મહેક’ જેવા ઉપક્રમોથી, ખાસાં ભારઝલ્લાં તેમ વ્યાપક એટલાં જ ઊંડળમાં જઈ શકતાં જ્ઞાનસત્રોથી ચોક્કસ જ એક ગરવાઈ આપી છે. ઇ-ક્ષેત્રને વિશેષ સક્રિય કરવાની એમની કોશિશ પણ ધ્યાનાર્હ છે. અહીં એમના કાર્યકાળની કોઈ હેવાલનોંધ આપવાનો ખયાલ સ્વાભાવિક જ નથી. માત્ર, જે એક ઉલ્લેખ અધોરેખિતપણે કરવો જોઈએ તે એ છે કે ધીરુ પરીખ તથા ચંદ્રકાન્ત ટોપીવાળા, એ બે પૂર્વપ્રમુખોની પરંપરામાં સિતાંશુ પણ ટટ્ટાર ઊભા છે અને સ્વાયત્તતાને મુદ્દે ઢીલ નહીં મૂકતાં વળગી રહ્યા છે. એને પરિષદનું ને સવિશેષ તો ગુજરાતના સારસ્વત સમાજનું સદ્‌ભાગ્ય ગણવું જોઈએ કે આ ગાળામાં પૂર્વપ્રમુખ અને ટ્રસ્ટી, આપણા એકના એક નિરંજન ભગત, આયુષ્યના નવમા દાયકામાં પણ અડીખમ ઊભા રહ્યા અને સ્વાયત્તતાનું મૂલ્ય ઘૂંટતે ઘૂંટતે બૂટ સોતા સોલ્જરની પેઠે મૃત્યુને ય નવજીવન આપતા ગયા.

હમણાં નિર્દેશ કર્યો તે ટટ્ટાર પ્રમુખપરંપરાએ જો સ્વાયત્તતાના મૂલ્યનો નંદાદીપ પ્રજ્વલિત રાખ્યો છે, તો પરિષદના સર્વસામાન્ય સભ્યોને પણ આપણે એના યશભાજન તરીકે બિરદાવવા રહે છે. જ્યારે ધીરુ પરીખના અનુગામીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે તેણે આ મૂલ્ય બાબતે પ્રતિબદ્ધ ટોપીવાળાની સાથે રહેવું પસંદ કર્યું. રાજ્યના સંબંધિત મંત્રીએ અન્ય ઉમેદવારની તરફેણમાં બળ નાખ્યું, તે છતાં. ત્યાર પછી નવા અનુગામી ચૂંટવાનો પ્રસંગ આવ્યો ત્યારે પણ મતદારોએ પક્ષપરિવાર સમર્થિત હોઈ શકતા ઉમેદવારને બદલે – એમની સોબતમાં સંભવિત વગ અને વર્ચસ્‌ની સંભાવના ઓળાંડી જઈ – સ્વાયત્તતાનિષ્ઠ સિતાંશુની સાથે રહેવું પસંદ કર્યું.

આ ચર્ચા જરી ઉતાવળે પણ અહીં છેડવાનું કારણ એ પણ છે કે થોડા મહિના પરના પાલનપુર પ્રસ્તાવને પગલે સ્વાયત્તતા આંદોલનને લોકમોઝાર લઈ જવાની જે સંભાવના હતી, તે લૉકડાઉનવશ સ્વાભાવિક જ પાળી શકાઈ નથી. નહીં તો, પેલો મતદારસીંચ્યો નંદાદીપ જરી ઓર પ્રજ્વલિત બની રહ્યો હોત.

વાચક જોશે કે મેં પ્રમુખ અને મતદાર પર મૂક્યો છે એવો ને એટલો ભાર પરંપરાગત પરિષદમંડળ પર મૂક્યો નથી. ૨૦૦૩થી અકાદમીના ચૂંટાતા પ્રમુખની પ્રક્રિયા અભરાઈએ મૂકી દેવાઈ તે પછી ખાસાં બાર વરસનો મોટો હિસ્સો નામ કે વાસ્તે એક-બે પત્રો કે એક-બે ઔપચારિક અનૌપચારિક મુલાકાતો સિવાય પડ લગભગ સૂતું અને સૂનું રહ્યું. બેશક, વચમાં નારાયણ દેસાઈ જેવા પ્રમુખ આવી ગયા અને એમણે ગાંધીનગરમાં, રિપીટ, ગાંધીનગરમાં ૨૦૦૭માં સ્પષ્ટ શબ્દોમાં ૨૦૦૨ના મહાપાતક અને સ્વાયત્ત અકાદમીના લોપ વિશે કહેવા જેવું કહ્યું, ખોંખારીને કહ્યું અને અકાદમી બાબતે જે ઠરાવ તે મધ્યસ્થ કે કારોબારીમાં સીમિત નહીં રાખતા સમસ્ત ગૃહ સમક્ષ જઈ ખુલ્લા અધિવેશનમાં પસાર કરાવ્યો. પણ એ નિયમ નહીં, નિયમસિદ્ધ કારી અપવાદ જેવો એક હ્રસ્વકાળ બની રહ્યો. ક્યારેક સરકારે લટકાવેલી પ્રક્રિયા હાથ ધરાશે અને અકાદમી ચૂંટાયેલો પ્રમુખ પામશે, એવા એક અંજીરપાંદ (ફિગલીફ) આશાવાદ સાથે સંબંધિતોએ ગજાસંપત મુજબ રોડવ્યું, જોગવ્યું, ગોઠવ્યું. જો કે ૨૦૦૩ અને ૨૦૦૭ના ઘોર ઘંટનાદ સાંભળ્યા નહીં સાંભળ્યા વૅકપ કૉલ બાદ એપ્રિલ ૨૦૧૫માં પેરેશૂટ પ્રમુખની નિમણૂક સાથે સ્વાયત્તતાના નામે રહ્યાસહ્યા ફિક્‌શનનું બાષ્પીભવન થયું. તે સાથે હમણાં લગી સુસ્ત જેવી પરિષદથી ઉફરાટે-સ્વાયત્તતા આંદોલનનો સૂત્રપાત થયો. ગામેગામના લેખકોની સહીઝુંબેશ સાથેની એ પ્રક્રિયા ધીરુ પરીખને બળ આપનારી તો એમના અનુગામીની ચૂંટણીને સર્વસામાન્ય મતદાર તરફથી નિર્ણાયક વળાંક આપનારી બની રહી.

પરિષદના સર્વસામાન્ય મતદારે ૨૦૨૦ ઊતરતે, ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના માહોલમાં ગુજરાતના વ્યાપક પ્રજામતને સમજાય તે રીતે પ્રમુખની તેમ જ બાકી ચૂંટણીઓ પરત્વે સવિશેષ સક્રિય બનવાપણું છે. ચૂંટણી પર અસર પાડવાની સરકારની પરોક્ષ કોશિશો હમણાં લગી પાછી પડી છે તે તો પાછી પડવી જ જોઈએ પણ સોયના નાકામાંથી પસાર થઈ જતી પોઠોની પોઠો બાબતે બેફિકર, બેજવાબદાર સૌને પણ પોતે આટઆટલાં વરસથી શું દરગુજર કહી રહ્યા છે ને શેમાં હિસ્સેદાર છે એ ય સમજાવું જોઈએ.

કેમ કે આપણે પરિષદ પ્રમુખની ચૂંટણીનું નિમિત્ત લઈ વાત શરૂ કરી હતી, એટલે એવી છાપ ઊઠવા સંભવે છે કે આ પ્રશ્ન પરિષદ અને અકાદમી વચ્ચેનો છે. પણ હકીકતે એવું નથી. આ પ્રશ્ન પરિષદ સહિત સર્વ સાહિત્ય સંસ્થાઓનો છે, કેમ કે આપણો સંદર્ભ કોઈ પરચક્રનો નથી, સ્વચક્રનો – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજનો છે. ખરું જોતાં અકાદમીનો ઉલ્લેખ પણ અપૂરતો છે. યુનિવર્સિટી આદિ શૈક્ષણિક સંસ્થાનો પણ ઉત્તરોત્તર સ્વાયત્તતા ગુમાવી રહ્યાં છે. સારસ્વતસમાજ કહો, વિદ્યાસમાજ કહો, એ જો આ સંદર્ભમાં સક્રિય નિસબત નહીં દાખવી શકે, તો તે લોકશાહીના  ધોવાણને ખાળી પણ નહીં શકે.

જ્યાં સુધી પરિષદ-કારણનો પ્રશ્ન છે, અક્ષરજીવન અને જાહેરજીવન સંદર્ભે છાત્ર પ્રકાશનું પહેલું સ્મરણ ૧૯૫૫માં નડિયાદમાં ગોમાત્રિના શતાબ્દી વર્ષે મળેલ પરિષદનું છે. સાહિત્ય પરિષદે, ત્યારે મુનશીની ‘આજ્ઞાંકિતા’ મટી ઉમાશંકર આદિનું ‘સખીકૃત્ય’ સ્વીકાર્યું હતું. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનની એ એક મોટી ઘટના હતી. છાત્ર પ્રકાશ ત્યાં પ્રત્યક્ષ ઉપસ્થિત નહોતો પણ અધિવેશનોત્તર જે નોંધ ઈ.ર.દ.(ઈશ્વરલાલ ર. દવે)એ ‘ગુજરાત સમાચાર’ની એમની કૉલમમાં લીધેલી એમાં થયેલા આ બે પ્રયોગો એને યાદ રહી ગયા છે. વળી વ્યક્તિગત સાંભરણ અંબોળું તો કૉલેજ-છાત્ર પ્રકાશ ત્યારે મુનશીની નવલકથાઓનો ઉત્કટ ચાહક-વાચક હતો અને એટલો જ એ ૧૯૫૫ના અમદાવાદમાં ઉમાશંકર ને જયન્તિ દલાલ જેવાની જે સ્ફૂર્તિપ્રદ હાજરી હતી – ઉમાશંકર કહેતા કે દલાલ એટલે સનશાઇન – એનોયે ચાહક હતો. પાછળ નજર કરતાં તે વાતે રાજીપો અનુભવું છું કે બંને ખેંચાણ લગભગ બરોબરીનાં છતાં પસંદગી નિઃસંશય ઉમાશંકર માટે હતી. કારણ, તે વખતે મને છેક આછુંપાતળું જે સમજાતું હતું, તે પશ્ચાદ્‌વર્તી ધોરણે આજની પ્રગલ્ભ હોઈ શકતી ધાટીએ કહું તો પરિષદ-કારણ કોઈ વ્યક્તિગત સત્તા-પ્રતિષ્ઠાનને વશવરતીને ચાલે એ ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાયેલ ગુજરાતને – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજવર્ષોમાં – શોભીતી વાત નહોતી તે નહોતી.

પછીથી જ્યારે ઉમાશંકરનો ક્ષર-અને-અક્ષર-પરિચય વધ્યો ત્યારે સમજાયું કે એમનામાં શી વાતે સંગતિ અને ધૃતિ હશે. મુનશીગત પરિષદમાં ગાંધીજીએ પ્રમુખપદ લેવાની સ્વીકાર્યું ત્યારે ઉમાશંકરે કહેવાજોગ વિનયપૂર્વક પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું. (હવે સ્વાતિ જોશી સંપાદિત પત્રસંચયમાં એનો સમગ્ર પાઠ સુલભ છે.) તે પછી બે’ક દાયકે, ૧૯૫૫માં, નડિયાદમાં ઉમાશંકરે ધ્વજ ઉપાડ્યો (આગળ ચાલતાં ધ્વજદંડ સાહ્યો) એ લાંબી દાસ્તાંમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે એમાંથી પરિષદનું લોકશાહી રૂપ ખીલ્યું.

ઉમાશંકરનાં અંતિમ વર્ષોમાં આ પ્રશ્ને એમના બાહ્યાભ્યંતર સંઘર્ષનો કંઈક ખ્યાલ આવે છે. ગુજરાતના લોકમતે નોંધવો જોઈતો મુદ્દો અને પરિષદના સર્વસામાન્ય મતદારને પકડાવો જોઈતો મુદ્દો કદાચ એ છે કે અકાદમીની સ્વાયત્તતાનો સંઘર્ષ ખેલી રહેલ પરિષદને સારુ આ બધાં વર્ષ આંતરિક સ્વાયત્તતાની મથામણના પણ રહ્યાં છે.

અક્ષરજીવન અને જાહેરજીવનને શો સંબંધ એવો એક સલામત અંતરનો નિષેધાત્મક સવાલ ઘણી વાર અજબ જેવી માસૂમિયતથી પુછાય છે. એનો મને જડેલો ઉત્તર ગોમાત્રિ અને ઉમાશંકરની સાખે આપું? ઉમાશંકરે ૧૯૫૩ના મે મહિનામાં દર્શક કૃત ‘દીપનિર્વાણ’ વિશે ‘મનહર અને મનભર’ એ મથાળે પ્રાસ્તાવિક વચનો લખતાં નોંધ્યું હતું : આ કૃતિ ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની કાંઈક ઝાંખી કરાવે એવા એક લેખકની છે. કર્મશીલ ને કલમશીલ એવી જે એક ઉજમાળી પરંપરા તે, એમ તો, ઉમાશંકરનાં પોતાનાં વચનોમાં પણ સરસ ઝિલાઈ છે : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે. મને એવી લાગી નથી – કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’ [આત્માની માતૃભાષા, (સમગ્ર કવિતા’ની પ્રસ્તાવના) ૧૯૮૧]

રણજિતરામની પ્રજાસૂય પહેલથી ૧૯૦૫માં ગોવર્ધનરામના પ્રમુખપદે પહેલી પરિષદ મળી. તવારીખની તેજછાયામાં રિનેસાંસની પરંપરામાં તપતે તપતે આયુર્યાત્રાને એકસો પંદરમે ગુજરાતની પ્રજાસૂય પરિષદ એકંદર જાહેર મતને અને સવિશેષ તો પોતાના સર્વસામાન્ય મતદારને કેમ જાણે એક ખરા જિગરનો જાસો આપે છે કે ગોમાત્રિ-ગાંધી શી ગરવી પરંપરામાં પરિષદને એવું નેતૃત્વ સંપડાવવામાં સહાયરૂપ થાઓ જે વ્યક્તિગત કે જૂથગત મહત્ત્વાકાંક્ષાથી અધિક તો સાર્વજનિક ઉચ્ચાકાંક્ષાથી પરિચાલિત હો. નિઃસ્વાર્થ, કર્મઠ ને સત્યને પડખે ટટાર ઊભું રહી નિર્ભયપણે કાર્યરત રહે. આ સંદર્ભમાં સહિયારું દાયિત્વ ને ઉત્તરદાયિત્વ બેઉ સાદ દે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ.23 તેમ જ 22

Loading

...102030...2,3052,3062,3072,308...2,3202,3302,340...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved