Opinion Magazine
Number of visits: 9572489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને હિંદુ રાષ્ટૃ શક્તિશાળી જોઈએ છે કે માથાભારે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2021

આજે મારે એક હિંદુ તરીકે મારા હિંદુ મિત્રો સાથે ચર્ચા કરવી છે. આપણે જ્યારે આપણા દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા છીએ ત્યારે એક વાત નક્કી કરી લેવી પડશે કે આપણને હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી જોઈએ છે કે માથાભારે? આ બે અલગ ચીજ છે. શક્તિશાળી, બહાદુર, નિર્ભય અને લોંઠકા અથવા કે માથાભારે એ એક જ અર્થના શબ્દો ભાસે છે, પણ એવું છે નહીં. આ ચારમાં બહાદુરી અને નિર્ભયતા વ્યક્તિના ગુણ છે, સમાજના નથી. વળી બહાદુર માણસ દરેક બાબતે બહાદુર હોય એવું પણ બનતું નથી. મારા પિતા બીજી અનેક રીતે બહાદુર હતા, પરંતુ ઘરમાં કોઈ ગંભીર રીતે બીમાર હોય તો ઢીલા ઢફ થઈ જતા. આસક્તિ માણસને ડરાવે છે અને બહાદુરીને ધોઈ નાખે છે. મહાભારતના યુદ્ધમાં વીર અર્જુન પોતાનાં સ્વજનોને જોઈને ઢીલો પડી ગયો હતો. એક માત્ર નિર્ભયતા છે જે માણસ સંપૂર્ણપણે કેળવી શકે છે અને તે દરેક સ્થિતિમાં સાથ પણ આપે છે, પરંતુ એ માટે અનાસક્તિ કેળવવી પડે જે આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ગાંધીજી નિર્ભય હતા કારણ કે તે અનાસક્ત હતા. તેમને પોતાના જીવન માટે પણ આસક્તિ નહોતી જે સામાન્યતઃ દરેક જીવમાં હોય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ પશુ અને મનુષ્યમાં એક સરખાં જોવા મળે છે, પરંતુ મનુષ્ય તેમાં વિવેક કરી શકે છે એ મનુષ્યની વિશેષતા છે એમ મહાભારતકારે કહ્યું છે. અનાસક્તિ દ્વારા ભયમુક્ત થઈ શકાય છે, જેમ ગાંધીજી થયા હતા.

તો સંક્ષેપમાં બહાદુરી અને નિર્ભયતા વ્યક્તિના ગુણ છે જેને સમાજ સામૂહિક રીતે અપનાવી શકતો નથી. તો બચે છે બે; શક્તિ અને માથાભારેપણું જે સમાજ સામૂહિકપણે અપનાવી શકે છે અને એ સ્થિતિમાં આપણે એ વિચારવાનું છે કે આપણે એક હિંદુ તરીકે શક્તિશાળી બનવું છે કે માથાભારે?

અહીં વિચારવાનું બને કે જો સમાજ સામૂહિકપણે શક્તિ અથવા માથાભારેપણું અપનાવી શકતો હોય તો એ કેવી રીતે અપનાવી શકે? આપણે વિચારવું પડશે કે એ બન્નેનાં શું ગુણ-લક્ષણ છે, એ કેવી રીતે કેળવી-અપનાવી શકાય? અને સૌથી મોટી વાત એ કે શક્તિ અને માથાભારેપણાંમાંથી કોણ વધારે લાંબો સમય સાથ આપશે? હવે જ્યારે ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવા આપણે નીકળ્યા જ છીએ તો એટલું તો વિચારવું જ પડશે કે કોણ લાંબો સમય સુધી સાથ નિભાવશે? શક્તિ કે માથાભારેપણું?

તો પહેલાં તો આપણે શક્તિ અને માથાભારેપણા વચ્ચેનો ફરક સમજી લઈએ અને તેને કેવી રીતે કેળવી-અપનાવી શકાય એ સમજી લઈએ. આપણે શરૂઆત જ ઉદાહરણથી કરીએ. પહેલું ઉદાહરણ પારસીઓનું લઈએ. પારસી સોજ્જી, ઋજુ, શારીરિક રીતે પઠાણ જેવી કદાવર નહીં એવી નાજુક કોમ છે. બને ત્યાં સુધી ઝઘડો ટાળનારી અને જતું કરીને જીવનારી કોમ. સંખ્યા પણ મુઠ્ઠીભર. આમ છતાં ભારતને તેના ઇતિહાસમાં વિદેશ સામેનું પહેલું નિર્ણાયક યુદ્ધ (૧૯૭૧નું બંગલાદેશનું યુદ્ધ) જીતાડી આપનાર પારસી હતો. જગતમાં ભારતને ન્યુક્લિયર પાવર તરીકે પ્રતિષ્ઠા અપાવનાર પારસી. ભારતને તેની પહેલી વિજ્ઞાનસંસ્થા આપનાર પારસી. પહેલું પોલાદનું કારખાનું આપનાર પારસી. અંગ્રેજોના મત દ્વારા ચૂંટાઈને બ્રિટનની આમની સભામાં દાખલ થનારો પહેલો ભારતીય તો કે પારસી. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો જેમાં પારસી અગ્રેસર હશે.

દેશ આઝાદ થયો અને બંધારણ ઘડાતું હતું ત્યારે પારસીઓને કહેવામાં આવ્યું હતું કે તમારી કોમ એટલી નાની છે કે તમે કોઈ ઉમેદવારને જીતાડીને લોકસભામાં મોકલી નહીં શકે એટલે એક બેઠક પારસીઓ માટે લોકસભામાં અનામત રાખીએ જે પારસીઓનું પ્રતિનિધિત્વ કરશે. તમે માનશો? આ ઓફરને ઠુકરાવી દેનાર પણ પારસી. ‘અરે રે, અમે તો લઘુમતીમાં અમારું કોણ સાંભળે’ જેવાં રોદણાં રડનારો પારસી તમે નહીં જોયો હોય. આજે દેશમાં લોકો બહુમતીમાં હોવા છતાં રડતા જોવા મળે છે ત્યારે અહીં નજરે ન ચડે એટલી નાની લઘુમતી કોમ લઘુતાગ્રંથિથી મુક્ત છે. દરેકે દરેક બાબતે અગ્રેસર. નહીં માગવામાં પણ અને છોડવામાં પણ!

હવે બીજું ઉદાહરણ જોઈએ ભાયાતોનું. દેશમાં બાપુઓનું રાજ હતું ત્યારે ભાયાતો કેવાં લક્ષણો ધરાવતાં હતાં અને કઈ રીતે જીવતા-વર્તતા હતા એ કોઈ વડીલને પૂછી જુઓ. અહીં બહુ વિગતો આપવાની જરૂર નથી, કારણ કે ભાયાત સાથે સ્વાભાવિકપણે જોડાઈ જતો અને જીભે આવી જતો શબ્દ જોઇને જ તમને ખ્યાલ આવી જશે કે તેઓ કેવાં લક્ષણો ધરાવતા હશે અને કેમ વર્તતા હશે. એ શબ્દ છે, ‘રંજાડ’. ભાયાત શબ્દ કાને પડ્યો નહીં કે ‘ભાયાતોનો રંજાડ’ એવો પૂરો  શબ્દપ્રયોગ ચિત્તમાં ઘુમવા લાગશે.

રિયાસતોનું જ્યારે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સરદાર પટેલે ભારતના એ સમયના લશ્કરીવડાને કહ્યું હતું કે લશ્કરભરતીના નિયમોમાં બાંધછોડ કરીને પણ કાઠિયાવાડના ભાયાતોની ભરતી કરવામાં આવે. શા માટે? કારણ કે નવી સ્થિતિમાં બસોને બાવીસ રજવાડાંઓનાં ભાયાતોએ નાગરિક તરીકે જીવવું પડશે, દેશનો કાયદો એકસરખો લાગુ પડશે, ‘રંજાડ’ હવે ગુનો બનશે, રંજાડીને પેટ ભરવું મુશ્કેલ બનશે એટલે તેમને થાળે પાડવા પડશે. કાઠિયાવાડમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પણ એ જરૂરી છે. સરદારની આ દૂરદૃષ્ટિ હતી અને તે પરિણામકારક નીવડી હતી.

હવે ફરક સમજો. દેશ આઝાદ થયો ત્યારે એક કોમ ખુદ્દારીથી કહે છે કે અમને અમારી વાત કહેવા માટે લોકસભામાં અલાયદા પ્રતિનિધિની જરૂર નથી. અમને કોઈ પ્રકારના સુરક્ષા-કવચની જરૂર નથી. જ્યારે બીજી કોમને રજવાડાં જતાંની સાથે જ તાકીદના ધોરણે થાળે પાડવાની જરૂર ઊભી થઈ. શા માટે? કારણ કે પારસી શક્તિશાળી કોમ ‘છે’ અને ભાયાતો માથાભારે ‘હતા’. તાકાત તો બન્ને પાસે હતી, પરંતુ એક માટે આજે પણ વર્તમાનવાચક ‘છે’ શબ્દ વાપરવાનો આવે છે અને બીજાની તાકાત ભૂતકાળ બની ગઈ છે.

માથાભારે કોમના હજુ વધુ દાખલા આપી શકાય. ધુતરાષ્ટ્રનું રાજ હતું ત્યારે કૌરવો માથાભારે હતા. દેશમાં જ્યારે મુસલમાનોનું રાજ હતું ત્યારે મુસલમાનો માથાભારે હતા. પેશ્વાઓનું રાજ હતું ત્યારે પુનાના બ્રાહ્મણો માથાભારે હતા. ‘ઘાસીરામ કોતવાલ’ નામનું નાટક જોવા મળે તો જોઈ લેજો. કૉન્ગ્રેસનો સૂરજ તપતો હતો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓ અને તેમનાં સગાંઓ માથાભારે હતાં. તો કહેવાનું તાત્પર્ય એ કે માથાભારેપણાને સત્તા સાથે સંબંધ છે. આપણી સરકાર હોય અને ઉપરથી જો આપણી સંખ્યા બીજા કરતાં મોટી હોય અને હજુ ઉપરથી આપણે ટોળાંમાં બોલતા-વર્તતા હોઈએ તો પછી પૂછવું જ શું? કોઈની તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરે!

પણ સત્તા જાય ત્યારે? ત્યારે એ જ થાય જે પાવર જનરેટર બંધ પડે અને ઘરની લાઈટનું થતું હોય છે. પાવર એટલે કે સત્તા બીજેથી જનરેટ થતી હતી, આપણી પોતાની નહોતી અને એ ગઈ અને બધું આથમી ગયું. કૌરવોથી લઈને કૉંગ્રેસીઓ સુધીના લોકોએ આનો અનુભવ કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો માથાભારેપણામાં જે તાકાત નજરે પડે છે એ પરાવલંબી છે, સ્વાવલંબી નથી. આનાથી ઊલટું શક્તિ સ્વાવલંબી છે, કારણ કે એ કેળવેલી છે. એટલે ૧૯૪૭માં પારસીઓએ કહ્યું હતું કે સરકારે અમારે માટે વિશેષ જહેમત ઉઠાવવાની જરૂર નથી અને એક સમયે જેમનાથી લોકો ડરતા હતા એ કાઠિયાવાડના ભાયાતોને થાળે પાડવા પડ્યા હતા.

તો મૂળ સવાલ પર પાછા ફરીએ. આપણે જ્યારે હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગીએ છીએ તો એ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? બીજો સવાલ પણ વિચારીશું. હિંદુરાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓની જરૂરિયાત છે કે પછી માથાભારે બનવા માગતા હિંદુઓની? એવું ન બને કે એક દિવસ પારસીઓની જેમ શક્તિશાળી હિંદુઓ પણ કહી દે કે અમને હિંદુરાષ્ટ્રના એક્સ્ટ્રા કવચની જરૂર નથી અમે સક્ષમ છીએ. અને એવું બને તો તમે રાજી થાવ કે દુઃખી? વિચારી જુઓ. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2021

Loading

રોગચાળાની પકડ મજબૂત બની ત્યારે એક માત્ર ચીને સરહદની તંગદીલીનું તાપણું ગરમ રાખ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 April 2021

વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે.

વાઇરસનાં પધરામણાંને એક વર્ષથી ઉપર થઇ ગયું છે. વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને રાજકારણ પર વાઇરસના ભરડાએ હજી ઢીલું મૂક્યું નથી. વેક્સિન લેતી તસવીરો પણ હવે તો સોશ્યલ મીડિયા પર જોઇને કંટાળો આવે છે પણ માસ્ક, સેનિટાઇઝર, લૉકડાઉન, નાઇટ કર્ફ્યુ તો, માળા, હજી જિંદગીમાંથી જલદી જાય એવું કંઇ લાગતું નથી. વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે. આમ તો બધાં જ અગત્યના રાષ્ટ્રોએ વાઇરસ સામે લડવામાં જરૂર પડ્યે એકબીજાને ટેકો આપ્યો. વેક્સિન ડિપ્લોમસી ભલેને શક્તિ પ્રદર્શન હોય પણ અંતે તેનાથી પણ રાષ્ટ્રોને પરસ્પર મદદ મળી.

પરંતુ જ્યારે વાઇરસ સિરિયા, લેબાનોન, લિબિયા, યમન અને કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશે ત્યારની નાજુક સ્થિતિની ચર્ચા જાણે હાંસિયામાં ધકેલાઇ ગઇ. આ બધાં કોન્ફ્લિક્ટ ઝોન્સ ઇરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન, ભારત જેવા દેશોની નજીક છે અને આ તમામ દેશોમાં વાઇરસની અસરો આકરી રહી છે. જો કે વાઇરસને કારણે અહીં જે થયું તેની એટલી ચર્ચા ન થઇ જેટલી મુખ્ય અને મોટા રાષ્ટ્રોમાં વાઇરસના કેરની ચર્ચા થઇ. રોગચાળાએ તો તેનું કામ કર્યું જ પણ વાઇરસને કારણે સરહદો બંધ કરી દેવાઇ અને વિશ્વ આખામાં સરહદ પરનો તણાવ જુદી દિશામાં ફંટાયો. પરંતુ એમ માનવાની જરૂર નથી કે વાઇરસને કારણે રાષ્ટ્રો વચ્ચેની તંગદિલી ઘટી. સૌથી પહેલાં તો સ્વાભાવિક રીતે ચીન સપાટામાં આવ્યું. ચીનના વુહાનમાંથી પ્રસરેલા આ વાઇરસને કારણે ચીનની છબી તો સખત ખરડાઇ. યુ.એસ.એ.એ તો ચીનની આબરુ ધૂળધાણી કરવામાં કંઇ કરતા કંઇ બાકી ન રાખ્યું. ચીનમાં આંતરિક સ્તરે પણ ખળભળાટ વધ્યો, લોકોને સરકાર સામે ફરિયાદો વધી. આવા સંજોગોમાં પોતાની છાપ સુધારવા માટે ચીનને એક માત્ર રસ્તો દેખાયો. ચીને સરહદે સળી કરવાની શરૂઆત કરી. કમનસીબે ચીન આપણો પાડોશી દેશ પણ છે અને આખી દુનિયા જ્યારે ચીનને માથે માછલાં ધોઇ રહી હતી, ત્યારે વાઇરસના વાંકમાં આવવાને બદલે કંઇ જુદું કરી કમ સે કમ પોતાના દેશના લોકોની નજરમાં ફરી મજબૂત થવાની લ્હાઇમાં ચીને ભારતની સરહદે સંજોગો તંગ કર્યા. દુનિયા આખીમાં ચીનનો વાંક કાઢવામાં આવી રહ્યો હતો અને આ તરફ ચીન શક્તિ પ્રદર્શનની માથાકૂટમાં વ્યસ્ત થઇ ગયું.

પરંતુ ભારત એક માત્ર દેશ નહોતો જેની સરહદે ચીને તંગદિલી ખડી કરી. ચીનની સરહદે આવેલા અલગ અલગ ૧૮ દેશો સાથે ચીને શિંગડા ભેરવ્યાં. ભારતથી માંડીને જાપાન, ફિલીપાઇન્સ તમામને ચીન સાથે માથાકૂટ થઇ છે. ચીનના આ વિસ્તરણવાદી – એક્સપેન્શનિસ્ટ રાજકારણની વૈશ્વિક સ્તરે ટીકા થઇ. આ તરફ વૈશ્વિક સ્તરે વાઇરસે જે પોત પ્રકાશ્યું એ પછી મોટાભાગના દેશોએ બોર્ડર્સ સીલ કરી દીધી. અંગત યુદ્ધ નહીં પણ વાઇરસ સામેનું યુદ્ધ જ અગત્યનું બન્યું. જેમ આગળ ઉપર કહ્યું તેમ વાઇરસને નાથવા વેક્સિન એકવાર શોધાવા માંડી અને તેને મંજૂરી મળવા માંડી પછી વેક્સિન ડિપ્લોમસી પણ ચાલી અને તે પણ યુદ્ધનાં કાવાદાવામાં કોઇની નબળાઇ અને કોઇની મજબૂતાઈ સાબિત કરવા માટે વપરાઇ પરંતુ યુદ્ધનું જે મૂળ સ્વરૂપ છે તેની પર આ સંજોગોમાં તો રોક લાગી ગઇ.

હા, ચીનના ચેનચાળા ન અટક્યા. જાપાન સાથે ચીનની દક્ષિણે સમુદ્રમાં આવેલા સેન્કાકુ અને રયુક્યુ ટાપુને લઇને ચીનની ભાંજગડ ચાલ્યા કરે છે તો વિએટનામના મોટા હિસ્સા પર પણ ચીન દાવો માંડીને બેઠો છે. ભારતના અક્સાઇ ચીનના વિવાદથી તો આપણે વાકેફ છીએ જ, તો વળી લદાખ અને અરુણાચલ પ્રદેશના અમુક હિસ્સાઓ પોતાને નામે કરવાનો ચીનનો ચંચુપાત પણ નવો નથી. નેપાળ અને તિબેટના અમુક હિસ્સાઓ પર પણ ચીનને દાવો માંડવામાં રસ છે અને તેની બબાલ પણ ચાલતી આવી છે. આ રીતે તો રશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, ફિલિપાઇન્સ, નોર્થ કોરિયા, ભૂતાન, તાઇવાન, લાઓ, બ્રુનેઇ, તજાકિસ્તાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને મંગોલિયા એમ કૂલ અઢાર દેશોની સરહદે ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી. વૈશ્વિક છાપ બગડી હોય ત્યારે ઘરમાં ય સત્તાનું માન ન રહે તે તો કેવી રીતે ચાલે અને માટે જ આ દેશો સાથે ચીને શક્તિપ્રદર્શનની તકો જતી ન કરી.

આ ઉપરાંત રોગચાળાની આડ લઇને સિરિયા જેવા દેશોએ અમેરિકાને કવખોડ્યો અને રશિયા, ઇરાન અને ચીને વાઇરસને નાથવા જે કર્યું તેની પ્રસંશા કરી. આ યુદ્ધ નથી કારણ કે યુદ્ધ કરવાનું પોસાય તેમ નથી પણ આ રાજકીય મુત્સદ્દીપણું છે. શસ્ત્રથી નહીં પણ શબ્દોથી યુદ્ધ કરવામાં શત્રુ દેશોએ જેટલો ખેલ ખેલી શકાયો તે ચોક્કસ ખેલ્યો. વળી કોન્ફ્લિક્ટ ઝોનમાં એક બીજી સમસ્યા એ પણ થઇ કે વાઇરસની સાચી સ્થિતિ બહાર ન આવી.

વાઇરસને કારણે કોઇ રાજકીય સમજૂતિઓ અટકી કે એવું તો કંઇ ન થયું પણ ક્યાંક એકની નજર નહોતી તો બીજાઓએ પોતાનું ધાર્યું કરી લીધું તેમ બન્યું. જેમ કે યમન અને નાગોર્ની કારાબખમાં કોમ્બેટ કરનારાઓ આંતરારાષ્ટ્રીય સત્તાઓની નજર નહોતી તો કોઇપણ રાજદ્વારી મર્યાદાઓને ગણકાર્યા વિના સૈન્યની કામગીરી કરી. બીજી તરફ જ્યોર્જિયામાં રોગચાળા પ્રત્યેના પ્રતિભાવને પગલે અબખાઝિયાના છૂટા પડેલા પ્રદેશ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના સંબંધો બહેતર થયા. સાઉથ કોરિયાને રોગચાળાને પગલે નોર્થ કોરિયા સાથે સંબંધ સુધરવાની આશા હતી પણ પ્યોનગ્યાંગે તો પોતાની જાતને વૈશ્વિક તખ્તેથી વધુ દૂર કરવાનું પસંદ કર્યું. વળી રોગચાળામાં મોટાભાગના રાષ્ટ્રોમાં આંતરિક વિરોધો, દેખાવો અને રમખાણો સુદ્ધાં થયા. સ્વાભાવિક છે કે ઘર ભડકે બળતું હોય ત્યારે ત્યાં વધુ ધ્યાન આપવું પડે.

રોગચાળાને લીધે અમુક રાષ્ટ્રો વચ્ચે સંબંધોમાં તંગદિલી ઘટી, પણ ચીનને ગુનો ઢાંકવા બીજી ઘણી બાબતો ડિસ્ટર્બ કરી નાખી. બાકી યુ.એસ.એ. તથા યુરોપ સહિતના રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સે જે રીતે લૉકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ વગેરેની સાથે જેટલું પણ સંભાળ્યું તેને દાદ આપવી જ પડે. આપણી વાત કરીએ તો આપણે તો સમસ્યાઓ અને રાજકારણનો ખેલ ખેલાતો રહ્યો, કંઇક સારું થયું તો ક્યાંક કાચું કપાયું. વિશ્વના રાજકારણમાં વેક્સિન ડિપ્લોમસીમાં આપણે સારો દેખાવ કરી શક્યા બાકી સરહદના સંજોગોમાં સરકારને જે રુચ્યું તે પ્રમાણે મામલો સંભાળ્યો.

બાય ધી વેઃ

રોગચાળાની પકડ ધીમી પડે અથવા તો વિશ્વ તેની સાથે ડીલ કરતાં શીખે, વેક્સિન વધુ લોકો સુધી પહોંચે એ બધાંની સાથે દરેક રાષ્ટ્રએ એમ વિચારવું રહ્યું કે સત્તાધિશો વેક્સિનની આપ-લેની તકનો ઉપયોગ કરી પરસ્પર હિંસા અન યુદ્ધની શક્યતાઓ ઘટાડીને રાજકીય પ્રગતિ પર કામ કરી શકશે ખરા? જો એમ થાય તો તે એક સુયોગ્ય સત્તાકીય વિચાર સિદ્ધ થાય નહીંતર તો કોન્ફ્લિક્ટ ઝોન્સ અને નબળા રાષ્ટ્રો વધુ લાચારી અનુભવે અને પહેલાં કરતાં બદતર વહીવટ વેઠે, તે પણ વાઇરસના ફટકાના ઉમેરામાં.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  04 ઍપ્રિલ 2021 

Loading

અંગ્રેજો વગરનું ભારત અંગ્રેજો પહેલાંનું ભારત ન બની શક્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2021

૧૯મી સદી આથમતા સુધીમાં એટલું તો નક્કી થઈ ગયું હતું કે અંગ્રેજો વિનાનું ભારત અંગ્રેજો પહેલાનું ભારત નહીં હોય. અંગ્રેજ પહેલાંનાં ભારતમાં એવું કશું જ નહોતું જેને ભારતનો કોઈ સમાજ યાદ કરીકરીને વાગોળતો હોય, સિવાય કે થોડા સનાતની હિંદુઓ અને મૂળભૂતવાદી મુસલમાનો. આ ઉપરાંત બહુજન સમાજ હવે પાછળ જવા દે એમ નહોતો. અંગ્રેજોના કાયદાના રાજના સૌથી મોટો લાભાર્થી બહુજન સમાજ હતો.

પણ તો પછી અંગ્રેજો પછીનું ભારત કેવું હશે અથવા કેવું હોવું જોઈએ? ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા ફર્યા એ પહેલાં આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ એ ચર્ચામાં શરતો, આરોપો, શંકાઓ જેવાં ધીંગાણાંનાં તત્ત્વો વધુ હતાં, સંવાદનાં ઓછાં હતાં. જેમ કે કૉંન્ગ્રેસે ઠરાવ કર્યો હતો અને કૉંન્ગ્રેસના નેતાઓ દાવો કરતા હતા કે કૉંન્ગ્રેસ સવર્ણ હિંદુઓનું સંગઠન નથી, પણ દેશની દરેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ મુસલમાનો અને બહુજન સમાજના લોકો તેમના ઉપર ભરોસો કરતા નહોતા. કૉંન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને અને બહુજન સમાજને કૉંન્ગ્રેસની અંદર લેવાની ઈમાનદારીપૂર્વક કોશિશ કરી હતી જેમાં તેમને સફળતા મળી નહોતી.

મુસ્લિમ સમાજની કઠણાઈ એ હતી કે તેમાં કેટલાક મૂળભૂતવાદી નેતાઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરવા જ તૈયાર નહોતા અને તેમને સમાજના એક વર્ગનો ટેકો મળતો હતો અને એ પણ ખાસો મોટો હતો. તેમનું કહેવું એમ હતું કે ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ શીખવાની કે  અપનાવવાની જરૂર નથી, માત્ર સાચા મુસલમાન બનવાની જરૂર છે. જે મુસ્લિમ નેતાઓ આધુનિકતાની અને આધુનિક રાજ્યની જરૂરત સમજતા હતા તેઓ ડરના માર્યા સ્પષ્ટ ભાષામાં તેની વકીલાત નહોતા કરી શકતા. તેઓ આધુનિક યુગમાં ભારતનાં મુસલમાનોની જરૂરિયાતને કુરાન અને હદીસનો હવાલો આપીને સમજાવવાની કોશિશ કરતા હતા. તેઓ ધર્મને બાજુએ રાખીને આધુનિકતાની વકીલાત નિષ્ઠાપૂર્વક નહોતા કરી શકતા. જ્યાં દલીલ જ ઈમાનદારીપૂર્વકની અસંદિગ્ધ ન હોય ત્યાં આધુનિક મૂલ્યો નિષ્ઠામાં કેવી રીતે પરિવર્તિત થાય? આમ અંગ્રેજોએ આકાર આપેલા આધુનિક રાજ્યને નિષ્ઠાપૂર્વકના બંધારણીય રાજ્યમાં પરિવર્તન કરવામાં મુસલમાનોના પક્ષે આ સમસ્યા હતી.

કૉંન્ગ્રેસ ભારતના દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એમ કૉંન્ગ્રેસના નેતાઓ કહેતા તો હતા પણ એમાં પણ નિષ્ઠાનો અભાવ હતો. જેમ કે લોકમાન્ય તિલક કૉંન્ગ્રેસના વગદાર નેતા તરીકે આગળ આવ્યા એ પહેલાં કૉંન્ગ્રેસના અધિવેશનના સ્થળે અને કૉંન્ગ્રેસના જ મંડપમાં સમાજસુધારા પરિષદ ભરાતી હતી અને તેમાં કૉંન્ગ્રેસના નેતાઓ ભાગ લેતા હતા. લોકમાન્ય તિલકે સમાજસુધારા પરિષદને તગેડી મૂકી, કારણ કે તેમને એમ લાગતું હતું કે સમાજસુધારકોને કારણે જૂનવાણી માનસ ધરાવતા રૂઢિચુસ્ત હિંદુઓનો ટેકો નહીં મળે. તેમણે પ્રાંતીય ધારાસભામાં બહુજન સમાજને પ્રતિનિધિત્વ આપવાનો સવાલ આવ્યો ત્યારે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ત્યાં શું માટલાં ઘડવાનાં છે કે તમે આગ્રહ કરો છો? સ્વરાજ આવવા દો, લાયક થાવ એ પછી તમને પણ મોકો મળશે. દલિતો સાથે ભેદભાવ નહીં કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓએ દલીલ કરી હતી કે આપણે માત્ર જાહેરમાં અસ્પૃશ્યતા પાળવાની નથી, અંગત જીવનમાં પાળો તો વાંધો નથી એ તમારો અધિકાર છે.

આમ કૉંન્ગ્રેસ દરેક કોમનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં આવતું હતું અને દરેક સમાજને તેમાં સાથે લેવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા, પરંતુ તેમાં વૈચારિક સ્પષ્ટતા અને મૂલ્યનિષ્ઠાનો અભાવ હતો. આને કારણે મુસલમાનોને હિંદુઓ ઉપર ભરોસો નહોતો અને બહુજન સમાજને સવર્ણ હિંદુઓ ઉપર ભરોસો નહોતો. આને કારણે કૉંન્ગ્રેસ દેશની સૌથી મોટી રાજકીય સંસ્થા હોવા છતાં દેશની દરેક કોમને સ્વીકાર્ય નહોતી. હકીકતમાં વ્યવહારમાં એ માત્ર સવર્ણ હિંદુઓના કબજામાં હતી અને માટે તે તેની સ્થાપના પછી ત્રણ દાયકા સુધી એક પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી શકી નહોતી. આસેતુ હિમાલય રાષ્ટ્રીય આદોલન કરવું હોય તો દરેક પ્રજાનો સાથ જોઈએ. માત્ર ભદ્ર વર્ગના જોરે એ શક્ય નહોતું.

એ શક્ય બન્યું ગાંધીજીના આગમન પછી પણ એ માટે ગાંધીજીએ અને ગાંધીજીના નેતૃત્વમાં કૉંન્ગ્રેસે પોતાની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું શરૂ કર્યું એ પછી જ. એકલા ગાંધીજીના મહાત્માપણાથી એ શક્ય બનવાનું નહોતું. આધુનિક રાજ્યનાં જે જે તત્ત્વો કે ઘટકો છે એ બધાં ગાંધીજીએ સ્વીકાર્યાં હતાં અને કૉંન્ગ્રેસ પાસે સ્વીકારાવ્યાં હતાં. શું હતાં એ ઘટક તત્ત્વો?

એક. ભારત લોકતાંત્રિક દેશ હશે.

બે. એવો લોકતાંત્રિક દેશ જેમાં કોઈ ભેદભાવ વગર ભારતની દરેક પુખ્ત વયની વ્યક્તિને મતદાનનો અધિકાર હશે.

ત્રણ. ભારતના લોકતંત્રનું મૂળભૂત એકમ નાગરિક હશે અને દેશના પ્રત્યેક નાગરિકનો નાગરિક તરીકેનો દરજ્જો સમાન હશે.

ચાર. નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવશે.

પાંચ. ભારત સેક્યુલર દેશ હશે જેમાં રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને રાજ્ય ધર્મના આધારે જે તે પ્રજા વચ્ચે ભેદભાવ નહીં કરે.

છ. ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેસીને બંધારણ ઘડશે અને એ લેખિત બંધારણ સ્વતંત્ર ભારતનાં બાયબલ, કુરાન કે ગીતા હશે.

સાત. સર્વોચ્ચ અદાલત ઉપર કહ્યાં એ પ્રાણતત્ત્વોની રક્ષા કરવાનું કામ કરશે.

એવું નહોતું કે ગાંધીજી ભારત આવ્યા અને આધુનિક ભારતીય રાજ્યની ઉપર કહી એ સપ્તપદી તેમણે ભારતીય પ્રજાને આપી અને ભારતની પ્રજાએ એ હસતા હસતા સ્વીકારી લીધી હતી. એને માટે ખૂબ સંવાદ કરવો પડ્યો હતો, લડાઈ-ઝઘડા થયા હતા, ગાંધીજી અને કૉંન્ગ્રેસના ઈરાદાઓ ઉપર શંકા-કુશંકાઓ કરવામાં આવી હતી, આરોપ કરવામાં આવ્યા હતા. ઉપર જે સપ્તપદીનાં સાત પ્રાણતત્ત્વો બતાવ્યાં છે તેને પ્રજાની અંદર સ્વીકાર કરાવવા માટે ગાંધીજીએ હજારો લેખો અને પત્રો લખ્યાં હશે અને ભાષણો કર્યાં હશે. એ માણસે એને સ્વીકૃત કરાવવા માટે ભારતભ્રમણ કર્યું હતું. ત્રણ દાયકામાં આટલી અથાક જહેમત ઇતિહાસમાં બીજા કોઈએ નહીં ઉઠાવી હોય.

એક તો ગાંધીજી મહાત્મા, એમાં જે બોલે એ કરે, વળી એકલા ચાલો રે વાળા કૃતનિશ્ચયી તેમ જ  નિર્ભય અને એમાં અથાક મહેનત ભળી એટલે એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજાએ ગાંધીજી અને કૉંન્ગ્રેસની કલ્પનાના ભારતને સ્વીકારવા માંડ્યું. મારાં બા જેવા અલ્પશિક્ષિત અને પરમ ધાર્મિક હિંદુ પણ એમ માનતાં થયેલાં કે માણસ-માણસ વચ્ચે ભેદભાવ કરવો એ ઈશ્વરનો ગુનો છે. ઉપર બેઠેલો માણસ નીચેવાળાની મજબૂરીનો લાભ લઈને શોષણ કરે એ અન્યાય છે. આપણને આપણો ધર્મ જો વહાલો લાગતો હોય અને મહાન લાગતો હોય તો એ જ રાહે બીજાને પણ પોતાનો ધર્મ વહાલો અને મહાન લાગતો હોય તો એ એનો હક છે. આમ ભેદભાવ અને સમાનતા, ન્યાય અને અન્યાય, ધર્મની સર્વોપરિતા અને સર્વધર્મ સમભાવ, હક અથવા અધિકાર વગેરે બાબતે વિવેક કરીને મૂલ્યોના પક્ષે ઊભા રહેવું એમાં માણસાઈ છે અને જીવનની સાર્થકતા છે એ દેશની પ્રજાએ સ્વીકારવા માંડ્યું. રાજ્યશાસ્ત્ર ભણાવ્યા વિના ગાંધીજીના વ્યક્તિત્વના કારણે દેશમાં આધુનિક રાજ્યના સ્વીકાર માટે અનુકૂળ ભૂમિનું ખેડાણ થઈ ગયું. એ પછી કૉંગ્રેસ એક પછી એક સપ્તપદીની તરફેણમાં ઠરાવ કરવા માંડી હતી.

પણ એનો અર્થ એવો નથી કે તેની સામે કોઈ વિરોધ નહોતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9441,9451,9461,947...1,9501,9601,970...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved