Opinion Magazine
Number of visits: 9570834
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશ્રમ પર સત્તાનું ગ્રહણ ન હોય

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 October 2021

સેવાગ્રામ-સાબરમતી સંદેશયાત્રાની પૂર્ણાહુતિના વળતે અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે છાપામાં જોઉં છું કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઈકૉર્ટની દેવડીએ આશ્રમ નવીકરણ પ્રોજેક્ટ સબબ ‘રુક જાવ’ની ધા નાખી છે. તુષારભાઈ મોહનદાસ કરમચંદ ગાંધીના પ્રપૌત્ર છે એ અલબત્ત જોગાનુજોગ છે. સ્વાભાવિક જ એમણે લીધેલી ભૂમિકા કોઈ કથિત ‘વારસ’ તરીકેની નથી પણ નેતાજીએ જેમને રાષ્ટ્રપિતા કહ્યા તે ગાંધીજી પરત્વે નાગરિક સમાજના દાયિત્વમાંથી એ આવેલી છે. એમની જનહિતયાચિકા(પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ની બાકી વિગતોમાં નહીં જતાં અહીં એક જ વિગતમુદ્દો ટાંકું કે ગાંધીજીના ગયા પછી જ્યારે ગાંધી સ્મારક નિધિની રચના થઈ ત્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાઈ હતી કે અહીં સરકારી અંકુશ નહીં હોય. અધિકૃત દસ્તાવેજને આધારે પ્રસ્તુત જનહિતયાચિકામાં ટંકાયેલા કેટલાક શબ્દો યથાવત્‌ અંગ્રેજીમાં જ ઉતારું : “The deed of the Trust “clearly lays out its objectives” and that “government … were never allowd any control / Caubrz fzut authority over the institutions, monuments, memorials.” ભારત સરકાર કે રાજ્ય સરકારનો રોલ ફંડ આપવાનો હોઈ શકે છે. “But the execution of the project … has always been directly within / the purview of respective Trust.”

તુષાર ગાંધીની જનહિતયાચિકામાંથી આ અંશો ઉતાર્યા તે એ સમજવા સારુ કે લોકફાળા સાથે સરકારના સહયોગપૂર્વક રચાયેલ ગાંધી સ્મારક નિધિએ આશ્રમ આદિના સંચાલન વિશે એક સ્પષ્ટ ભૂમિકા લીધી હતી, અને સત્તાવાર સરકારી વલણ એને વશવર્તી હતું. આશ્રમના કથિત નવીકરણની હાલની સરકારી પહેલ આ પૃષ્ઠભૂમિ લગારે દરકાર વગર આવી પડેલી છે.

અને સરકારી માનસ, શું કહેવું એને વિશે. શરૂશરૂમાં પરબારા પડમાં પધારવાનું થયું ત્યારે હવામાં ગૂંજેલા શબ્દો હતા કે અમે અહીં જે પણ કરીશું તે ‘વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ એટ્રેક્શન’ હશે. ભલા ભાઈ, આશ્રમની અપીલ અને આકર્ષણ એ ગાંધીની તપોભૂમિ હોવામાં છે અને તે કોઈ ડિઝનીલૅન્ડની હરીફાઈમાં તો હોઈ શકે નહીં.

ગમે તેમ પણ, બે’ક વરસ પર આવો કશોક ગણગણાટ સંભળાયો ત્યારે જયપ્રકાશના યુવા સાથી, ગાંધી શાન્તિ પ્રતિષ્ઠાનના વર્તમાન અધ્યક્ષ કુમાર પ્રશાન્તે આશ્રમ ટ્રસ્ટના અગ્રણી ઈલાબહેન ભટ્ટને નિસબત અને ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. ઈલાબહેને આવું કશું પણ અમારી જાણ અને રજા બહાર (ગાંધી મૂલ્યોમાંથી વિપરીતપણે) ન જ થઈ શકે એ મતલબનો સહૃદય ઉત્તર પણ પાઠવ્યો હતો. પરિણામે આશ્વસ્ત (ગાફેલ નહીં પણ આશ્વસ્ત) રહેવું બેઉ પક્ષે સ્વાભાવિક હતું.

વળી બે-ત્રણ મહિના પહેલાં સરકારને કેમ જાણે એકદમ જ સોલા ઉપડતો વરતાયો : આ હેવાલો સાથે સંમિશ્ર પ્રતિભાવો અને તીવ્ર પ્રતિક્રિયા તેમ જ કંઈ આશંકાનું જાગવું સહજ હતું. ગણેશ દેવીની પહેલકારીથી આ લખનાર અને આનંદ પટવર્ધને ચિંતા ને નિસબત સાથે તૈયાર કરેલી નોંધ વેગે ફરી વળી અને દેશમાંથી જ નહીં પણ દુનિયાભરમાંથી આશ્રમ સાથે સંભવિત સરકારી વ્યવહાર વિશે ‘રુક જાવ’નો સાદ વાચકની પેઠે ફરી વળ્યો. આશ્રમના ટ્રસ્ટીઓએ સહીકારો પૈકી કેટલાક સાથે દિલી સંવાદ કર્યો, અને વળી એ જ આશ્વસ્તિ !

છતાં, સરકાર બાબતે ગાફેલ ન રહેવું અને જનમતને જાગ્રત રાખવો એ આશયથી ૧૭મી ઑક્ટોબરે સેવાગ્રામથી સંદેશ યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો સંદેશ યાત્રા નીકળી – અને, જુઓ કે લગભગ એ જ કલાકોમાં બે જાહેરનામાં આવી પડ્યા! ગાંધીઆશ્રમની ટ્રસ્ટી મંડળની યાદી આવી કે સરકારે કથિત નવીકરણ વિશે અમે (આશ્રમ) શું માનીએ છીએ અને ઇચ્છીએ છીએ તે વિશે એક વિભાવના નોંધ (કોન્સેપ્ટ નોટ) માગી છે.  અમે ઇચ્છીએ છીએ કે અસલનાં સાદગી ને સૌંદર્ય જળવાય એ જરૂરી છે. આ અંગે જરૂરી વિચાર અને નિર્ણય પ્રક્રિયા ખૂલ્લાણમાંને પારદર્શક રીતે થાય તે ઇષ્ટ છે. વળી અમારે મતે આ મામલો, કેમ કે તે ગાંધીજીની સ્મૃતિનો છે, માત્ર આપણા બે વચ્ચેનો એટલે કે આશ્રમ અને સરકાર વચ્ચેનો નથી. એમાં ત્રીજું પરિબળ, વ્યાપક સમાજ, સિવલ સોસાયટીની ય સહભાગિતાનું હોય તે જરૂરી છે.

વાચકે નોંધ્યું હશે કે જાહેર ઊહાપોહ પછી જ સરકારને ‘વિભાવના નોંધ’ માગવાનો વિવેક સૂઝયો. આશ્રમે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની આ તક ઝડપી તે વિપળવાર પણ વહેલી નહોતી એ તરતના કલાકોમાં સમજાઈ રહ્યું જ્યારે સરકારે સૂચિત નવીકરણ વિશે પોતાના તરફથી એક વીડિયો રમતો મૂક્યો. એમાં બીજું તો ઠીક પણ એક છેવટે છેવટે નામને ખાતર વિભાવના નોંધ માગનાર ધણી કઈ હદે આગળ વધી ગયેલ હશે, એનો ય અંદાજ મળી રહ્યો. મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગવર્નિંગ કાઉન્સિલ, મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને હા, નવીકરણ નિમિત્તે એક નવું ટ્રસ્ટ ! સરા જાહેર છે કે સઘળી સફાઈ છતાં વસ્તુતઃ એક તરેહના સરકારીકરણની બાજી ગોઠવાઈ રહી છે.

સરકાર કહે છે કે નવીકરણમાં અમે આર્કાઈવ્ઝ અને લાઈબ્રેરીના વિકાસ પર ભાર મૂકીશું જેથી અભ્યાસીઓ અને સંશોધકોને સુવાણ રહે. સુવાણ જ શા સારું. સરકાર-બાપા તમે કહો ને કે બખ્ખે બખ્ખા. હશે ભાઈ, બખ્ખે ભખ્ખા ભલા‘દમી, સરકારનો સાર્શ એટલે શું એન.ડી.એ.-૧ હસ્તક સી.ડબલ્યુ.એમ.જી.(કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી, સંપૂર્ણ ગાંધી વાંઙમય)ની શી હાલત થઈ હતી એ તો સંભાળશે. ગાંધીના એકોએક અક્ષરની પવિત્રતા જાળવીને પૂર્વવત્‌ ગોઠવતાં એક આખો દસકો નીકળી ગયો. પણ એની ફિકર ચિંતા કોને છે?

સેવાગ્રામથી નીકળેલી સંદેશયાત્રા ખાનદેશ વટી બારડોલી-વ્યારા-કિમ-ભરૂચ-વડોદરા-નડિયાદ થઈ ૨૩મીએ અમદાવાદ પહોંચી ત્યારે સાંજની જાહેર સભામાં અને વળતી સવારે આશ્રમભૂમિ પરની પ્રાર્થનાને અંતે આશ્રમ પર સત્તા-પ્રતિષ્ઠાનના ગ્રહણ સામેનો અવાજ બુલંદ બની રહ્યો હતો. આ જ દિવસોમાં યાત્રાપથ ઉપરાંત દેશમાં ઠેકઠેકાણે નાનાં મોટાં આયોજનો આ જ વાત કહેવા માટે થયાં હતાં પણ સમાચાર પત્રોમાં કે ચેનલ ચોવીસામાં એની છબિ પૂરતી ઝિલાઈ નથી. અમદાવાદમાં પણ પત્રકાર-પરિષદ વખતે જાણવા મળ્યું હતું કે યાત્રા સંબંધે સમાચારને મહત્ત્વ ન આપવું એવી સૂચના ભા.જ.પ.ની મીડિયા સેલ અને માહિતી ખાતા તરફથી અપાઈ રહી હતી.

દરમિયાન પળવારનો તો પળવારનો ય ચાંગળુંક રાહતરાજીવો ચોક્કસ કે સરકારે કેટલુંક સ્પષ્ટ કરવું પડ્યું; અને હા – સંદેશયાત્રાથી આશ્રમ ટ્રસ્ટીઓને કંઈક પણ હોઝલા અફસાઈ, હૂંફ ને હૈયાધારણનો અનુભવ તો થયો જ હશે. આપણે આશ્રમ ટ્રસ્ટીઓની એ લાગણી દોહરાવીને હાલ પૂરતા વિરમીએ કે પ્રક્રિયા પારદર્શક હોય અને સિવિલ સોસાયટી પણ એમાં સહભાગી હોય … તેમ છતાં, આ કિસ્સામાં જ માત્ર નહીં, હર જમાને હર જનતંત્રને એનો એક ડાયોજીનસ તો જોઈશે જ જે યથાપ્રસંગ ભલા ભૂપતિને ય કહી શકે કે આઘો હટ ને તડકો આવવા દે!

લખ્યા તા. ઑક્ટોબર ૨૮, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 01-02

Loading

વસ્તી ગણતરીમાં જ્ઞાતિની અવગણના

રમેશ બી. શાહ|Opinion - Opinion|29 October 2021

૨૦૨૧ની વસ્તીગણતરી કરતી વખતે વ્યક્તિઓની જ્ઞાતિ પણ નોંધવી, એવી માંગણી કેટલાક રાજકારણીઓએ કરી હતી. એમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર મોખરે હતા. પછાત વર્ગના કમિશને પણ પછાતવર્ગોની જ્ઞાતિ નોંધવાનું સૂચન કર્યું હતું, પણ સરકારે પોતાની જ્ઞાતિ નહીં નોંધવાની નીતિ જાહેર કરીને એ વાત ઉપર પડદો પાડી દીધો છે. આનો ઇતિહાસ નોંધવા જેવો છે.

આપણે ત્યાં ૧૯મી સદીમાં વસ્તી ગણતરીનો આરંભ થયો ત્યારથી વ્યક્તિઓની જ્ઞાતિ નોંધવામાં આવતી હતી. ૧૯૩૧માં આ પ્રમાણે થયેલી વસ્તી ગણતરીમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં આવી હતી અને તે પ્રગટ કરવામાં આવી હતી. ૧૯૪૧માં થયેલી વસ્તી ગણતરીમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં તો આવી હતી, પણ તે પ્રગટ કરવામાં આવી ન હતી. એ પછી જ્ઞાતિવિહીન સમાજરચનાનો આપણો આદર્શ હોવાથી ૧૯૫૧થી શરૂ કરીને જે વસ્તી ગણતરી થઈ, તેમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં આવી નથી. જો કે, દર વસ્તી ગણતરી વખતે લોકોની જ્ઞાતિ નોંધવાની માંગણી ઊઠી હતી, પણ સરકારે એ માંગણીનો સ્વીકાર કર્યો ન હતો. આમ, આજે આપણી પાસે દેશમાં વિવિધ જ્ઞાતિઓનું પ્રમાણ કેટલું છે, તે જાણવાનો એક માત્ર આધાર ૧૯૩૧ની વસ્તી ગણતરી છે. એના આધાર ઉપર ચાલીને વિવિધ પછાતવર્ગોની વસ્તી વિશે અંદાજો મૂકવામાં આવે છે. મુદ્દો એ છે કે, પછાત વર્ગો માટેની અનામત-નીતિ, પછાત વર્ગોનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ આધારભૂત અંદાજ ન હોવા છતાં ઘડવામાં આવી.

આગળ નોંધ્યું છે એમ, દર વસ્તી ગણતરી વખતે  જ્ઞાતિની નોંધ કરવાની માંગણીઓ થતી રહી છે. એનો એક ઇતિહાસ પણ છે, પણ એ ઇતિહાસમાં આપણે નહીં જઈએ અને કાઁગ્રેસની સરકાર વખતે જે એક પ્રયાસ થયો તેની નોંધ લઈશું. કેન્દ્ર સરકારે સર્વગ્રાહી સામાજિક અને આર્થિક તથા જ્ઞાતિગત વસ્તીગણતરી કરવાનું નક્કી કર્યું હતું. એ માટેનો ખર્ચ રૂપિયા ૪,૮૯૩ કરોડ અંદાજ ગણવામાં આવ્યો હતો, પણ ૨૦૧૬માં જ્ઞાતિના આંકડા બાકાત રાખીને વિગતો બહાર પાડવામાં આવી હતી. જ્ઞાતિના આંકડા એક ખાતાને સોંપવામાં આવ્યા હતા. એ ખાતાએ નીતિ આયોગના એ વખતના ઉપાધ્યક્ષ અરવિંદ પાંગરિયાના અધ્યક્ષપદે એક સમિતિનું ગઠન કર્યું હતું. એ સમિતિએ આંકડાઓનું વર્ગીકરણ કર્યું હતું. પણ એ ક્યારે ય પ્રગટ કરવામાં આવ્યું નથી.

આમ, જ્ઞાતિ નોંધવાની વાત ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં પણ ઊડી ગઈ છે. આપણે સત્તાવાર રીતે જ્ઞાતિ-પ્રથાનો સ્વીકાર કરવા માંગતા નથી, પણ વાસ્તવિકતા શું છે? થોડા દિવસ પહેલાં પાટીદારોનું એક સંમેલન મળ્યું હતું અને તેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ગુજરાતના આગામી મુખ્ય પ્રધાન પટેલ જ હશે. આપણે ન કલ્પી શકીએ એટલા દિવસોમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બની ગયા. આમ, રાજકારણમાં જ્ઞાતિનું ચલણ દેશમાં મોટા ભાગમાં પ્રવર્તે છે. ગુજરાતમાં પાટીદારોની વસ્તીનું પ્રમાણ ૧૨% જેટલું છે, છતાં ગુજરાતના રાજકારણમાં એ પ્રભુત્વ ભોગવે છે એમ કહી શકાય. માત્ર રાજકારણ નહીં  પણ અર્થકારણ અને શિક્ષણના ક્ષેત્રે પટેલોએ જે કાઠું કાઢ્યું છે એ નોંધપાત્ર છે અને અભ્યાસ કરવા જેવી બાબત છે. આવું જ બીજા પ્રદેશોમાં પણ  કેટલીક  જ્ઞાતિઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

જ્ઞાતિ પ્રથા એ ભારતની એક વિશિષ્ટ સામાજિક પ્રથા છે. દુનિયાના કોઈ પણ દેશમાં એને મળતી પ્રથા જોવા મળતી નથી. જ્ઞાતિપ્રથાને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. જ્ઞાતિપ્રથાનાં મૂળ આપણે પ્રાચીન પરંપરામાં જોઈએ છીએ. તેમાં સમાજને ચાર વર્ણોમાં વહેંચવામાં આવ્યો હતો, પણ જ્ઞાતિઓની જે સંખ્યા દેશમાં અસ્તિત્વ ધરાવે છે, તેને આ વર્ણવ્યવસ્થાના આધારે સમજાવી શકાય એમ નથી. દેશમાં લગભગ હજારો જ્ઞાતિઓ હોવાનું અનુમાન છે, જેને વણિક કોમ કહેવામાં આવે છે. તેમાં પણ અસંખ્ય જ્ઞાતિઓ જોવા મળે છે. એમાં પણ દશા અને વિસાના ભેદ જોવા મળે છે. પટેલોની જ્ઞાતિ પણ મોટી છે. એમ લાગે છે કે, આપણે એક બૃહદ્દ સમાજના સભ્ય તરીકે સલામતી અનુભવી શકતા નથી. એક નાના વર્તુળમાં જીવવાનું આપણે પસંદ કરીએ છીએ.

જ્ઞાતિપ્રથા એક જમાનામાં ઘણી શક્તિશાળી હતી. એ એના સભ્યોને જ્ઞાતિબહાર મૂકી શકતી હતી અને એ રીતે તેને પોતાના અંકુશમાં રાખતી હતી. દરેક જ્ઞાતિને કુળદેવી હોય છે અને એના સામાજિક પ્રસંગે આગવા રિવાજો હોય છે. એક જમાનામાં જ્ઞાતિ જ જીવનશૈલી નક્કી કરતી હતી. જ્ઞાતિના સભ્યોએ શું ખાવું અને શું પહેરવું એ પણ જ્ઞાતિના આધારે નક્કી થતું હતું. જો કે, આજે સામાજિક પરિવર્તનને કારણે જ્ઞાતિનો આ અંકુશ રહ્યો નથી પણ રીત-રિવાજોમાં જ્ઞાતિનું ચલણ ચાલુ છે.

આજે જ્ઞાતિગત અસમાનતા ઓછી થઈ છે. લગ્ન જેવા પ્રસંગોએ જુદી-જુદી જ્ઞાતિઓની પંગત પડતી હતી, એ ભેદ હવે રહ્યો નથી. આંતરજાતીય લગ્ન વધ્યાં છે, પણ જ્ઞાતિઓ વચ્ચેનું  આર્થિક અંતર કેટલું ઘટ્યું છે, એ એક પ્રશ્ન છે. કહેવાતા પછાત વર્ગોને આર્થિક વિકાસના કેટલા લાભો મળ્યા છે એ તપાસવા જેવું છે. જ્ઞાતિના કારણે, જે વર્ગો પછાત રહ્યા એને આર્થિક વિકાસનો ઝાઝો લાભ મળ્યો નથી એવું દેખાઈ આવે છે. આમાં જ્ઞાતિવાદ કામ કરી રહ્યો છે. ઉપલી જ્ઞાતિના લોકો જે ઉદ્યોગ-ધંધા વિકસાવે, તેમાં ઊજળિયાત નોકરીમાં પોતાની જ્ઞાતિના કે પોતાની સમકક્ષ જ્ઞાતિના લોકોને પસંદ કરે એ સામાન્ય બાબત છે. પછાત જણાતી જ્ઞાતિના ભાગે તો મજૂરનું જ કામ આવે છે.

ભલે અત્યાર સુધીની વસ્તી ગણતરીમાં આપણે જ્ઞાતિ નોંધવાનું ટાળ્યું છે, પણ એક અધ્યાપક તરીકે ૨૦૩૧માં વસ્તી ગણતરી કરતી વખતે લોકોની જ્ઞાતિ નોંધવામાં આવે એમ હું ઇચ્છું છું. ૧૦૦ વર્ષમાં આપણે જ્ઞાતિવિહીન સમાજની દિશામાં કેટલા આગળ વધ્યા છે તે તપાસવા માટે એ જરૂરી છે.

જ્ઞાતિગત અસમાનતાઓ કેટલી દૂર થઈ છે, એ જાણવા માટે આ જરૂરી છે. વિવિધ જ્ઞાતિઓની વસ્તીમાં થયેલો વધારો પણ અભ્યાસનો રસપ્રદ મુદ્દો બની શકે છે. એ સાથે કઈ જ્ઞાતિઓએ કેટલો વિકાસ સાધ્યો છે, એ તપાસવાનું પણ ઉપયોગી થશે, તેથી રાજકારણને બાજુમાં મૂકીને આપણે અભ્યાસની દૃષ્ટિએ એટલે કે, શૈક્ષણિક દૃષ્ટિએે ૨૦૩૧માં લોકોની જ્ઞાતિ નોંધવી જોઈએ.

પાલડી, અમદાવાદ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 03

Loading

ગાંધી હિન્દુત્વવાદીઓનો અસામાન્ય શત્રુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 October 2021

માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ મારી નાખવા છતાં અને પાછળ સંતાઈને રોજેરોજ ચારિત્ર્યહનન કરીને ખૂન કરવામાં આવતું હોવા છતાં, આ મોહનદાસ કરમચંદ ગાંધી મરતો કેમ નથી! જે લોકો એને કાયર અને બુઝદિલ તરીકે ઓળખાવતા હતા એ લોકોને તેમની પોતાની કાયરતા અને બુઝદિલી છૂપાવવા આ ગાંધીનો આશરો લેવો પડે છે. આનાથી મોટું માનવીની મહાનતાનું પ્રમાણ બીજું શું હોઈ શકે? શત્રુના નામનો ઉપયોગ જ્યારે પોતાના બચાવમાં કરવો પડે અને કરવામાં આવે ત્યારે સમજી લેવું જોઈએ કે શત્રુ સામાન્ય માનવી નથી. ગાંધી હિન્દુત્વવાદીઓનો આવો અસામાન્ય શત્રુ છે.

હમણાં કેન્દ્રના સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે વિનાયક દામોદર સાવરકરના જીવનચરિત્રનું વિમોચન કરતાં કહ્યું હતું કે સાવરકરે બ્રિટિશ સરકારની માફી ગાંધીજીના કહેવાથી માગી હતી.

ચાલો, એટલું તો આ જમાતે હવે કબૂલ કરી લીધું કે સાવરકરે માફી માગી હતી. અત્યાર સુધી તો સાવરકરભક્તો, હિન્દુત્વવાદીઓ અને સાવરકરના હિન્દુત્વવાદી ચરિત્રલેખકો આ હકીકત છૂપાવતા હતા. જો કોઈ ધ્યાન દોરે તો આંખ આડા કાન કરતા હતા અને મૂંગા રહેતા હતા. જો તમે સાવરકરની વાત કાઢો તો મોતીલાલ નેહરુ મુસલમાન હતા એનું શું એવી વાતો કરવા માંડશે. તેમની ટિપીકલ શૈલી મુજબ. પોતાને વિદ્વાન હિંદુ વિચારક કે રાષ્ટ્રવાદી ઇતિહાસકાર તરીકે ઓળખાવનારાઓ માફીનો ઇન્‌કાર નહોતા કરતા (કરે તો ભૂંડા લાગે), પરંતુ સાવરકરની માફીને રાષ્ટ્રહિત સાથે જોડતા હતા અને તેને સાવરકરની રણનીતિ તરીકે ખપાવતા હતા. નવાં તથ્યો સામે આવ્યાં પછી હવે તેમને માટે એ પણ શક્ય રહ્યું નથી.

એક સમય હતો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સાવરકર એક હદથી વધારે પરવડતા નહોતા. સાવરકરની જલદ ભાષા, તેમનો હિંદુ ધર્મને જોવાનો બુદ્ધિપ્રામાણ્યવાદી અભિગમ, તેમનો આકરો ગાંધીવિરોધ, સ્ત્રીઓ વિશેના વિચારો, બૌદ્ધ અને જૈન ધર્મ વિશેના અભિપ્રાયો, શીખો વિશેના અભિપ્રાયો, ધીરજ અને વિવેકનો અભાવ વગેરે જોઇને સંઘના નેતાઓને ત્યારે એમ લાગતું હતું કે સાવરકરને બાથમાં લેવામાં ફાયદો કરતાં નુકસાન વધુ છે. સંઘે સાવરકરની હિંદુ અને હિન્દુત્વની વ્યાખ્યા કરતી થિસીસ અપનાવી હતી, સાવરકરનું રાજકારણ અને રાજકીય શૈલી નહોતા અપનાવ્યા. ટૂંકમાં સાવરકરનો આત્મા તેમણે સ્વીકાર્યો હતો, સદેહે જીવતાજાગતા અને જરૂર કરતાં વધારે બોલતા સાવરકરને નહોતા સ્વીકાર્યા. સાવરકરને પણ આ વાતનો ગુસ્સો હતો. તેઓ સંઘના સ્વયંસેવક વિષે વ્યગમાં કહેતા કે ‘સ્વયંસેવક જન્મે છે, સંઘની શાખામાં જાય અને અને એક દિવસ મૃત્યુ પામે છે.’

આમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાવરકરથી એક ગજનું અંતર રાખ્યું હતું. હવે સમય બદલાયો છે. ભારતનો સરેરાશ હિંદુ વિવેકી મટીને તામસી બન્યો છે અને સોશ્યલ મીડિયા તેને તામસી બનાવવામાં અને બનાવી રાખવામાં ફાળો આપી રહ્યા છે ત્યારે હવે તેમને સાવરકર પરવડવા લાગ્યા છે. ‘તારક મહેતાનાં ઊલટાં ચશ્માં’ના નિર્મતાઓએ આત્મારામ ભીડેના ઘરની દીવાલ પર નજરે પડતી સાને ગુરુજીની તસ્વીરને હટાવીને સાવરકરની તસ્વીર ટીંગાડી દીધી એ બદલાયેલા હિંદુ માનસનું પ્રતિક છે. સરેરાશ હિંદુ ઘરમાં સાવરકર પ્રવેશી રહ્યા છે તો હવે તેમને શરમાયા વિના ખુલ્લે આમ અપનાવવામાં જોખમ નથી એમ સંઘના નેતાઓને લાગવા માંડ્યું છે. જોખમ લેવાની ભૂલ એ લોકોએ જિંદગીમાં ક્યારે ય કરી નથી. તેમની પાસે પ્રોપેગેન્ડાનાં પુષ્કળ સંસાધનો છે એટલે આઠ-નવ દાયકા સુધી સાવરકર-છોછ રાખ્યા પછી હવે તેમને ગાંધીજીની કક્ષાના આઇકન તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે. જુઓ, આ ગાંધીનો ગજ અહીં પણ આવ્યો. જેને ઉથાપવાના છે એનો જ ગજ કોઈને થાપવા માટે વાપરવો પડે છે. આ ગાંધીનું કરવું શું? વો મરતા કયું નહીં હૈ, યાર!

પણ સમસ્યા એ છે કે જેને થાપવામાં આવી રહ્યા છે એની બિચારાની બેસણી પિત્તળની છે. જ્યાં સુધી વિરાટ પુરુષ તરીકે આયોજનપૂર્વક સાવરકરને સ્થાપવાના પ્રયાસ નહોતા કરવામાં આવતા ત્યાં સુધી સાવરકરની બીજી બાજુ વિષે જાણકારો ખાસ બોલતા નહોતા. ત્રણ કારણો હતાં. એક બૌદ્ધિક પ્રમાદ. બીજું ઉપેક્ષાવૃત્તિ. આ લોકો શેકેલો પાપડ પણ ભાંગી શકતા નથી ત્યાં ચિંતા શું કામ કરવી. સૌથી વધુ તો આ લખનાર જેવા લોકોની શ્રદ્ધા સરેરાશ હિંદુની વિવેકબુદ્ધિ ઉપર હતી. હિંદુ પ્રજા સ્વભાવત: સહઅસ્તિત્વમાં માનનારી ઉદારમતવાદી પ્રજા છે એટલે હિંદુ માનસમાં રોપવામાં આવતા ઝેરની ખાસ અસર થવાની નથી એમ તેઓ માનીને ચાલતા હતા.  તેમની એ ધારણા ખોટી પડી એ જુદી વાત છે.

અને ત્રીજું કારણ હતું એક પ્રકારની ન્યાયબુદ્ધિ. ગમે તેમ તો ય એ માણસે સહન તો કર્યું છે ને! સાવ અનુદાર ન થવું જોઈએ. દરેક માણસને ગાંધીની કે ભગતસિંહની એરણે ન મપાય. એટલે તમે જોયું હશે કે દેશનાં કેટલાંક શહેરોમાં સાવરકરના નામે રોડ છે, સાવરકનાં સ્મારક છે, સાવરકરનાં યોગદાનને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાં કોઈ જગ્યાએ તેમણે માફી માગી હતી અને જેલમાંથી છુટ્યા પછી આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો, ઊલટું  અંગ્રેજોને મદદ કરી હતી એવો ઉલ્લેખ સુદ્ધાં નથી. સાવરકર ગાંધીજીનાં ખૂનમાં એક આરોપી હતા અને જરાકમાં બચી ગયા હતા એ પણ પાઠ્યપુસ્તકમાં વાંચવા નહીં મળ્યું હોય. સાવરકરને ‘સ્વાતંત્ર્યવીર’ એવા વિશેષણથી ઓળખવામાં આવે છે એ પણ તમે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હશો. એ વિશેષણ સામે પણ કોઈએ વિરોધ નહોતો કર્યો.

અને યાદ રહે, આ બધું કાઁગ્રેસના દિવસોમાં થયું હતું અને કાઁગ્રેસી શાસકોએ કર્યું હતું. કારણ હતું, ન્યાયબુદ્ધિ. જો આજના જેવી કોઈને ઊગવા જ નહીં દેવાના અને જે ઊગ્યા છે એને બદનામ કરીને વાઢી નાખવાના એવી નીચતા ત્યારે હોત તો સાવરકર જેવાઓનાં ત્યારે બાળમરણ થયાં હોત. જો હિન્દુત્વવાદીઓ સાવરકરની નજીક જતા ડરતા હોય તો કલ્પના કરો કે એ યુગમાં સર્વસમાવેશક વિવેકી હિંદુની તાકાત કેટલી હશે! પણ સાવરકરોને ક્યારે ય તેમની સાચી જગ્યા બતાવવામાં નહોતી આવી, બદનામ કરવાની વાત તો બાજુએ રહી. સાવરકરના જીવન અને કાર્યથી સુપેરે પરિચિત લોકો પણ કહેતા હતા કે ગમે તેમ તો ય એણે સહન તો કર્યું હતું ને! સાવ નગુણા ન થવાય. બીજા શબ્દોમાં કહીએ તો હિન્દુત્વવાદીઓ ઉદારમતવાદી હિંદુઓની માણસાઈના લાભાર્થી છે.

આ લેખ અહીં પૂરો કરતાં પહેલાં અને અહીંથી આગળ વધતાં પહેલાં મારે બે વાત કરવી છે. પહેલી વાત એ કે હિંમત, ત્યાગ અને અત્યાચારો સહન કરવાની બાબતે વિનાયક દામોદર સાવરકર ચડે કે તેમના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકર ચડે? કોઈ હિન્દુત્વવાદી માઈનો લાલ કહી બતાવે કે હિંમત, ત્યાગ અને સહન કરવામાં વિનાયક દામોદર સાવરકર તેમના મોટાભાઈ કરતાં ચાર ચાસણી ચડે. દસ્તુરખુદ મોહન ભાગવતને આ સવાલ પૂછી જુઓ. જો વિનાયક સાવરકરને સો માર્ક્સ આપો તો ગણેશ સાવરકરને ૧૧૦ માર્ક્સ આપવા પડે. આ સિવાય પરિવાર માટેનું અને નાનાભાઈ વિનાયક સાવરકર માટેનું તેમનું અને તેમનાં પત્નીનું સમર્પણ નતમસ્તક થઈ જવાય એવું અપ્રતિમ હતું. કોઈ હિન્દુત્વવાદી મારાં આ કથનનો અસ્વીકાર કરી બતાવે. પણ તેમને તો કોઈ ઓળખતું નથી! કારણ કે હિન્દુત્વવાદીઓને તેમનો ખપ નથી. ગણેશ સાવરકરમાં ચાલાકીનો અભાવ હતો.

હવે બીજી વાત. પ્રહ્લાદ કેશવ અત્રે નામના મરાઠી લેખકનું નામ તમે સાંભળ્યું હશે. વિલક્ષણ પ્રતિભા તેઓ ધરાવતા હતા. જકડી રાખે અને પ્રેમમાં પાડી દે એવી લેખનશૈલી અને એવા જ વક્તા. યશ તેમને એવો વર્યો હતો કે જેમાં હાથ નાખે એમાં સફળ થાય અને ટોચે પહોંચે. આ સિવાય મહત્ત્વકાંક્ષા પણ એટલી હતી કે ટોચે પહોંચવામાં જે જરૂરી હોય એ કરે. સાધનશુદ્ધિની ઝાઝી ચિંતા તેઓ નહોતા કરતા. આપણા ઇન્દુલાલ યાજ્ઞિકની જેમ તેમણે દળદાર છ ભાગમાં આત્મકથા લખી છે જેનું શીર્ષક છે; ‘કર્હે ચે પાણી’. કર્હે એ તેમનો જ્યાં જન્મ થયો હતો એ ગામમાંથી પસાર થતી સાવ નાની અને બિનમહત્ત્વની નદીનું નામ છે, પણ અત્રેની આત્મકથાને કારણે એ નદીનું નામ મહારાષ્ટ્રભરમાં જાણીતું થયું છે. અત્રેની આવી તાકાત હતી. તો હું વાત એ કહેવા માગું છું કે અત્રેએ તેમની આત્મકથામાં લખ્યું છે કે વિનાયક દામોદર સાવરકર અને મારી (અત્રે) વચ્ચે એક સમજૂતી થઈ હતી જેમાં મારે વિનાયક સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ખ્યાતનામ કરીને પ્રતિષ્ઠા આપવાની અને સામે તેઓ મને ‘આચાર્ય અત્રે’ તરીકે પ્રખ્યાત કરીને મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત કરે.

રહી વાત સાવરકરની માફી અને ગાંધીની સલાહની તો એ આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7101,7111,7121,713...1,7201,7301,740...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved