Opinion Magazine
Number of visits: 9570621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી. પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષનાં દેવદાસી શશિમણિનું ૨૦૧૪માં અવસાન થયું, ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું. શશિમણિના અવસાન પછીના વરસે, સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઇતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે, ભાવિણી જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે. ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રદ્ધા, દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક, ’દેવદાસી’માં દેવી યેલમ્માની ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી, ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું. કાળક્રમે યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્ત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારે ય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  ‘દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.’

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો. આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને, તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો. ૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસી નાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુદ્ધ કાયદા બનાવ્યા હતા. તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટા ભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે ! દેવદાસીને આ વિકૃત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે. કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિને પ્રાધાન્ય મળ્યું નથી. દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ સ્ત્રી તરીકેનું તેનું સ્થાન – સન્માન મળી રહે તો ય ઘણું.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર સરલાદેવી મઝુમદારને ઓળખો છો ?

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

આઝાદ ભારતના ૭૫માં વર્ષમાં આવેલી ગાંધીજયંતી નિમિત્તે લોકભારતી સણોસરા ખાતે ‘ગાંધી ચિત્રકથા’ નામના સુંદર પુસ્તકનું વિમોચન થયું. ગાંધીશતાબ્દી વર્ષે પ્રકાશિત થયેલા આ પુસ્તકને સાર્ધ શતાબ્દી નિમિત્તે નવા રૂપેરંગે અને નવ ભાષાઓમાં પુન: પ્રકાશિત કરવામાં આવ્યું. તેનાં ચિત્રો અને લેખન સરલાદેવી મઝુમદાર નામનાં સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યાં છે.

સરલાદેવીનાં પરિવારજનોની ઇચ્છા એવી કે આ નવે પુસ્તકોનું વિમોચન, એમના જ શબ્દોમાં  ‘નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા ગાંધીવિચારને વરેલા વડીલો દ્વારા સ્થાપિત અને વિકસિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય ગાંધીવિચાર અનુશીલન કેન્દ્રમાં’ થાય. લોકભારતીએ પ્રસન્નતાપૂર્વક આ શુભ ભાવનાને વધાવી લીધી અને મુંબઈ – વલ્લભવિદ્યાનગરથી આવેલાં સરલાદેવીના પરિવારજનો તેમ જ પ્રકાશક ભરતભાઈ – કેતનભાઈ રાજ્યગુરુની હાજરીમાં યોજાયેલા એક સાદા, સુંદર, સુઘડ કાર્યક્રમમાં ‘ગાંધી ચિત્રકથા’ પુસ્તકોનું વિમોચન થયું. આ પુસ્તક અને તેની લેખિકા વિશે જાણવું વાચકમિત્રોને ખૂબ ગમશે.

જજ પિતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતાં માને ત્યાં 1911માં સરલાદેવી મઝુમદારનો જન્મ. શિક્ષિત – સંપન્ન પરિવારમાં થયેલો ઉછેર અને ગાંધીઊર્જાથી ભરેલાં વાતાવરણને પરિણામે તેમનામાં નાની વયથી જ ઉચ્ચ મૂલ્યો અને દેશભક્તિ કેળવાયાં. 

સરલાદેવીને જન્મજાત કલાકાર કહી શકાય. 13મા વર્ષે ‘કુમાર’ની રંગોળીસ્પર્ધામાં વિજેતા થયાં. એ વખતે ‘કુમાર’ના તંત્રી કલાગુરુ રવિશંકર રાવળ હતા. કોઈ ઔપચારિક શિક્ષણ વગર 16મા વર્ષે એમણે ઑલ ગુજરાત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું. ગ્રેજ્યુએશન પછી ચિત્રનું ઔપચારિક શિક્ષણ મેળવવા તેઓ કર્વે યુનિવર્સિટી(અત્યારની એસ.એન.ડી.ટી.)માં દાખલ થયાં અને ચિત્રમાં પ્રોફિશ્યન્સી ઈન આર્ટસ – અનુસ્નાતક સ્તરની ડિગ્રી મેળવી.

1935માં સરલાદેવીનાં લગ્ન ઈંગ્લૅન્ડમાં ભણેલા અને નારીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા એવા પુરેન્દ્ર મઝુમદાર સાથે થયાં. લગ્ન પછી એમણે જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાંથી ગવર્નમેન્ટ ડિપ્લોમા લીધો. એ વખતે ત્યાં મિ. વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટોન સોલોમન નામના ખૂબ કાબેલ ગણાતા પ્રિન્સીપાલ હતા. એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરલાદેવીએ કરેલાં ચિત્રો જોઈ તેઓ એટલા પ્રસન્ન થયા કે સીધો ત્રીજા વર્ષમાં પ્રવેશ આપ્યો. સુપ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ મુરલીધર અહિવાસીના હાથ નીચે તૈયાર થઈ સરલાદેવીએ ડિપ્લોમા અને બૉમ્બે આર્ટ સોસાયટીનું સર્ટિફિકેટ ઑફ મેરિટ બન્ને મેળવ્યાં. આ ગાળામાં તેમણે રામાયણ, શિવમહિમ્નસ્તોત્ર, બાળકૃષ્ણલીલા વગેરે વિષયો પર ચિત્રો કર્યાં. સાથે ગુજરાતી અને મરાઠી સામયિકો માટે પણ ચિત્રો બનાવ્યાં.

દેશ મહાત્મા ગાંધી પ્રેરિત આંદોલનોની ઊર્જાથી ધબકતો હતો. સરલાદેવીના મોસાળમાંથી ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા હતા. સરલાદેવીએ પણ ઝંપલાવ્યું, દેશનાં કામોમાં સક્રિય થયાં અને જેલ પણ ભોગવી. એ પછી તેમણે ગ્રામસેવા શરૂ કરી. થોડાં વર્ષ મુંબઈ નજીકના નાના ગામમાં કામ કર્યું. સ્વતંત્રતા મળ્યા પછી ભરૂચ જિલ્લાના સુણેવ ખુર્દ ગામમાં મકાન બાંધીને ત્યાં સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી.

કલાપ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. કરાડીના ગાંધી સ્મૃતિ ભવન માટે વાઈસરૉય લૉર્ડ અરવિનને પત્ર લખતા ગાંધીજીનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવી આપ્યું હતું. જે થોડાં વર્ષ ફૉર્ટ, મુંબઈના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં મુકાઈ અત્યારે એમના કાયમી પ્રદર્શનમાં છે. સાબરમતી આશ્રમનું મહાદેવભાઈ દેસાઈનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવ્યું છે.

સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી નિમિત્તે બહાર પડેલું ‘બાળકોના વિવેકાનંદ’ પુસ્તક જોઈ સરલાદેવીને આવું જ એક પુસ્તક મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરવાનો વિચાર આવ્યો. તેઓ સાબરમતી આશ્રમમાં લગભગ આખું વર્ષ રહ્યાં અને ચિત્રો, પુસ્તકોનો અભ્યાસ કરીને વૉટર કલરમાં 27 ચિત્રોની ગાંધી ચિત્રકથા રચી. એ પેઢીનાં બાળકોએ ગાંધીજીને જોયા ન હોય. દેશ અને દુનિયા પર તેમનો જે જાદુ છવાયો હતો, તેનો પણ એમને ખ્યાલ ન હોય. ગાંધીજીના સદ્દગુણો બાળકોનાં હૃદયમાં ઊતરે એ માટે સરલાબહેને ગાંધીજીવનમાંથી એવા પ્રસંગો પસંદ કર્યા જેમાં સત્ય, પ્રેમ, કરુણા, અભય આદિ મૂળભૂત ગુણો પ્રગટ થતા હોય. પ્રસંગો સંબંધિત લખાણ પણ પોતે જ તૈયાર કર્યું. પછી આ જ ચિત્રો સુધારા વધારા સાથે ઓઈલ પેઈન્ટમાં બનાવ્યાં.

૧૯૬૮-૬૯ દરમ્યાન ગાંધીશતાબ્દી નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન મુંબઈ ગાંધી સ્મારક નિધિએ કર્યું. એનું બીજું સંસ્કરણ નવભારત પ્રકાશન મંદિરે કર્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ તેમના મામા હેમંતકુમાર નીલકંઠે કર્યો, જેમણે થોડો સમય ગાંધીજી સાથે વીતાવ્યો હતો અને ગાંધીજીની રોજનીશીના થોડા ભાગનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો. ‘ગાંધી ચિત્રકથા’નો હિન્દી અનુવાદ સરલાદેવીનાં ભાભી કુરંગીબહેન દેસાઈ (કવિ નરસિંહરાવ દિવેટિયાનાં દોહિત્રી કવયિત્રી મનોજ્ઞા દેસાઈ અને પ્રણવ દેસાઈનાં મા) અને તેમનાં બહેન ચિત્રાબહેન દેસાઈએ કર્યો હતો. આ બંને બહેનોએ નારાયણભાઈ દેસાઈના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના અનુક્રમે હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે. કુરંગીબહેનનાં મા લવંગિકાબહેને એ જમાનામાં ગ્રીક ટ્રેજેડી પર એક પુસ્તક લખ્યું હતું.

‘ગાંધી ચિત્રકથા’ના મરાઠી, તમિળ, તેલુગુ અને મલયાલમ અનુવાદો જે તે રાજ્યોની ‘ગાંધી સ્મારક નિધિ’ઓએ કરાવ્યા. હવે તેના કન્નડ, બંગાળી, અસમિયા અને પંજાબી અનુવાદો પણ ઉપલબ્ધ છે. અમેરિકામાં ગાંધીજીના પગલે અશ્વેતોના અધિકાર માટે અહિંસક ચળવળ ચલાવનાર ડૉ. માર્ટીન લ્યુથર કિંગ જૂનિયરનાં પત્ની કોરેટા કિંગના હાથે આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ થયું હતું.

ગાંધીશતાબ્દી દરમ્યાન થતાં ચિત્રપ્રદર્શનોમાં તેમનાં ચિત્રો મુકાતાં અને કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, સ્વામી ચિન્મયાનંદ જેવા મહાનુભાવો સહિત ઘણા લોકો તેનો લાભ લેતા. ગુજરાતના સર્વોદય મેળાઓમાં પણ એમનાં ચિત્રો મુકાતાં.

૧૯૭૫ – આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ નિમિત્તે સરલાદેવીએ ઉપનિષદકાળથી લઈ તત્કાલીન સમય સુધીના કાલખંડ દરમ્યાન પ્રસિદ્ધ થયેલી મહિલાઓનાં ચિત્રો કર્યાં. આ ચિત્રો ટૂંકાં લખાણો સાથે અનેક જગ્યાએ પ્રદર્શિત થયાં. આવનારી પેઢીઓ માટે કલા અને જીવનનો ભવ્ય વારસો મૂકી 2001માં સરલાદેવી મઝુમદારે ચિરવિદાય લીધી.

વધતી જતી હિંસાનો પ્રતિકાર કેમ કરવો એ એક મોટી સમસ્યા આજે બધા દેશોને મૂંઝવી રહી છે. તે સાથે ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને કોવિડ – ૧૯ જેવી મહામારીએ વિશ્વને ઘેર્યું છે. સૌ પોતપોતાની રીતે પોતાની જીવનશૈલી અંગે સભાન થઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીના જીવન, કાર્ય અને વિચારોનું ફરી એક વાર અવલોકન કરવા જેવું છે.

એક રસપ્રદ વાત – આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે આઠેક વર્ષના એક બાળકે બાપુને ગોળી વાગી રહી છે એવું ચિત્ર જોઈ દુ:ખી થઈને સરલાદેવીને એ ચિત્ર કાઢી નાખવા કહ્યું. સરલાદેવીને ખ્યાલ આવ્યો કે એક સાદા ચિત્રથી પણ બાળકના મન પર કેવી અસર થઈ શકે છે. તેમણે તરત એ ચિત્રને દૂર કર્યું. 

બીજી એક રસપ્રદ વાત. વિદેશમાં પણ ગાંધી વિચારનો પ્રચાર કરતી સંસ્થાઓ છે. તેવી એક અમેરિકા, કેનેડા સ્થિત સંસ્થાનો ૨૦૧૯માં સંપર્ક કરીને આ પુસ્તકની નવી આવૃત્તિ વિષે તેમને જાણકારી આપી તેના જવાબમાં તેમણે તેમની લાઈબ્રેરીમાં રહેલી ૫૦ વર્ષ જૂની ‘ગાંધી ચિત્રકથા’નો ફોટોગ્રાફ મોકલી આપ્યો. આમ આ પુસ્તકની પરદેશમાં પણ નોંધ લેવાઈ હતી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑક્ટોબર 2021

Loading

મધ્યાહ્ન ભોજન યોજના : ભૂખ ભાંગે છે, ભેદ નહીં !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

ભારતની પ્રાથમિક શાળાના બાળકોને પૂરક પોષણ પૂરું પાડતી મધ્યાહ્ન ભોજન યોજના હવે પી.એમ. પોષણ યોજના કહેવાશે! કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ના પાંચ વરસ માટે મધ્યાહ્ન ભોજન યોજનાને નવા નામે અને નવા રૂપે અમલી બનાવવા મંજૂરી આપી છે.

ઈ.સ. ૧૯૨૩માં, મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી, તે ઘટનાને હવે તો સો વરસ થશે. ૧૯૩૦માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ, ૧૯૬૨-૬૩માં, તમિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી ૧૯૮૨માં એમ.જી. રામચન્દ્રને સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. બાળકો જોગ બપોરાંની આ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કાઁગ્રેસી મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯મી નવેમ્બર ૧૯૮૪ના રોજ ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના આરંભી હતી. રાજ્યના ૬૮ તાલુકાથી તેની શરૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં તેનો વ્યાપ વધારીને સમગ્ર રાજ્યમાં લાગુ પાડી હતી.

૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિવસથી દેશના ૨,૪૦૮ તાલુકામાં અમલી મધ્યાહ્ન ભોજના યોજના, ૧૯૯૭-૯૮માં, આખા દેશમાં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર પુરસ્કૃત અર્થાત્‌ કેન્દ્ર સરકારના આર્થિક અનુદાનથી અમલી મધ્યાહ્ન ભોજન યોજનામાં પહેલાં કેન્દ્રનો ફાળો ૭૫ ટકા હતો, જે હવે ૬૦ ટકા છે. ધોરણ એકથી આઠના, છથી ચૌદ વરસના, ૧૧.૨૦ લાખ શાળાના, ૧૧. ૮ કરોડ બાળકો આ યોજનાના લાભાર્થી છે. નિમ્ન પ્રાથમિક શાળાનાં બાળકો માટે ૪૫૦ કેલેરી અને ૧૨ ગ્રામ પ્રોટીન, ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે ૭૦૦ કેલેરી અને ૨૦ ગ્રામ પ્રોટીનયુક્ત ગરમ રાંધેલું ભોજન આપવાના માપદંડ નક્કી કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર મધ્યાહ્ન ભોજન યોજનાના ધોરણ ૧થી ૫ના બાળકો માટે પ્રત્યેક બાળક દીઠ ૧૦૦ ગ્રામ અને ૬થી ૮ ધોરણના બાળકો માટે ૧૫૦ ગ્રામ અનાજ પૂરું પાડે છે. બાળકોને દુકાળના સમયે વેકેશનમાં પણ આ ભોજન આપવાની જોગવાઈ છે. કોરોના મહામારીમાં શાળાઓ બંધ હોવાથી બાળક દીઠ નિર્ધારિત રોકડ રકમ કે અનાજ આપવામાં આવ્યું હતું.

મધ્યાહ્ન ભોજન યોજનાના – ઉદ્દેશ બાળકોને શિક્ષણ તરફ વાળવા, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતા નિવારણ, પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડી કુપોષણ નાબૂદી, ગરીબી નિવારણ, આરોગ્યમાં સુધારો, રોજગારી પૂરી પાડી બેરોજગારી ઘટાડવી, શાળા બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જ્ઞાતિ, લિંગ, ધર્મના ભેદભાવ સિવાય સામાજિક સમાનતા અને એકતા વિકસાવવી વગેરે – છે. પરંતુ યોજનાના ઘણાં ઉદ્દેશ કાગળ પર જ રહ્યાં છે.

લાંબા ગાળાથી આ યોજના અમલી હોવા છતાં તે સામાજિક સમાનતા સ્થાપવામાં નિષ્ફળ અને ભ્રષ્ટાચારનો પર્યાય હોવાની વ્યાપક ફરિયાદો છે. આ વાત તેના મૂલ્યાંકનના સરકારી – બિનસરકારી પ્રયાસોમાં ઉજાગર થઈ છે. ખુદ ગુજરાત સરકારે યોજનાના અમલીકરણના ત્રીજા જ વરસે એનું મૂલ્યાંકન જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ (સુરત) પાસે કરાવ્યું હતું. આ મૂલ્યાંકનનું મહત્ત્વનું તારણ યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઇચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે સાડા ત્રણ દાયકે પણ તે સાચું છે.

યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ યોજના માત્ર સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓમાં જ અમલી છે દેશમાં હવે ખાનગી પ્રાથમિક શાળાઓનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આ યોજના પર આદિવાસી-દલિત-પછાત-વંચિત-ગરીબ લાભાર્થી બાળકોને નબળા અને ગુણવત્તાહીન શિક્ષણમાં લિપ્ત રાખવાનું આળ છે.

૨૦૧૮નો નીતિ આયોગનો એક અભ્યાસ મધ્યાહ્ન ભોજન આરોગતી બાળાઓનાં કદ-કાઠી બિન લાભાર્થી બાળાઓના પ્રમાણમાં વધ્યાં હોવાનું જણાવે છે. તે થકી કુપોષણ નાબૂદીનું યોજનાનું લક્ષ સંતોષાતું હોવાનું આશ્વાસન નીતિનિર્માતાઓ લે છે. દેશમાં પાંચ વરસથી ઓછી વયના ૫૦ ટકા બાળકો કુપોષિત છે. એટલે ૬થી ૧૪ વરસના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા હલ કરી શકાશે નહીં. વળી દેશમાં યોજનાની સફળતાનો દર ૭૨ ટકા અને ઉત્તર ભારતના રાજ્યોમાં ૪૦થી ૬૦ ટકા છે. એટલે આ યોજના દ્વારા સંપૂર્ણ નહીં પણ આંશિક જ કુપોષણ મુક્તિ થઈ શકશે.

‘શાળાઓમાં જ્ઞાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્ત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના દ્વારા સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય, અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં, દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો સતત ઊઠે છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગડેરી અને મૈનપુરી જિલ્લાના દૌદાપુર ગામના બનાવો તાજેતરના છે. આ બંને ગામોમાં દલિત બાળકોને જુદા જમવા બેસાડાતા હતા. ભેદભાવની ફરિયાદ પછી ફરજ મોકુફ થયેલા આચાર્યા બહેનોએ તેમના કૃત્યને સામાજિક પરંપરા લેખાવ્યું છે !

જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈના ૧૯૭૬ના ‘અનટચેબિલિટી ઈન રુરલ ગુજરાત’ના અભ્યાસમાં, સંશોધન હેઠળના ૫૯માંથી ૫૮ ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. તેના દસ વરસ બાદના બે યુવા સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીના અભ્યાસમાં, ‘મધ્યાહ્ન ભોજન યોજનાના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહો સપાટી પર આણ્યાનું, કથિત ઉચ્ચવર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં  સભાનપણે કથિત અસ્પૃશ્ય બાળકોને અલગ બેસાડતા હોઈ, બાળકોમાં બચપણથી સામાજિક દૂષણ રોપાઈ રહ્યાનું’ નોંધાયું છે. એ રીતે સામાજિક ભેદભાવને મિટાવવાનો ઉદ્દેશ ધરાવતી મધ્યાહ્ન ભોજન યોજના પોતે જ નવા રૂપે આભડછેટ જન્માવનારી બની છે.

ભારતીય જ્ઞાતિ વ્યવસ્થામાં રોટી-બેટી વ્યવસ્થાનો નિષેધ હોઈ ભોજન જ્ઞાતિવ્યવસ્થાનું કેન્દ્ર છે. તેનો વધુ એક પુરાવો ૨૦૧૦નો અમેરિકાના ‘રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ’ અને ગુજરાતના ‘નવસર્જન ટ્રસ્ટ’નું ‘અન્ડરસ્ટેન્ડિંગ અનટચેબિલિટી’ સંશોધન છે. ગુજરાતના ૫૬ તાલુકાના ૨,૫૮૯ ગામોમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાનો આંખ ઉઘાડનારો આ અભ્યાસ, ગુજરાતમાં દલિત બાળકો પ્રત્યે મધ્યાહ્ન ભોજનમાં ૫૩.૮ ટકા જેટલી ઊંચી આભડછેટ પળાતી હોવાનું, જણાવે છે. સંશોધકોને દલિતોની આંતરિક આભડછેટ પણ મધ્યાહ્ન ભોજન યોજનામાં જોવા મળી હતી. ગુજરાતમાં દલિતોની કહેવાતી ઊંચી જાતિનાં બાળકો નીચી જાતિના મનાતા સફાઈ કામદારોનાં બાળકો પ્રત્યે મધ્યાહ્ન ભોજન યોજનામાં ૧૭.૪ ટકા આભડછેટ પાળતા હતા. એટલે રાજ્યની ૧૭.૪ ટકા શાળાઓમાં બપોરના સરકારી ભોજનમાં દલિત, બિનદલિત એવી બે જ નહીં પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા સફાઈ કામદારોના બાળકો એવી ત્રણ પંગતો જોવા મળતી હતી!

એકતાળીસ સંશોધન સંસ્થાઓ દ્વારા ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની ૧૮૬ શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનાની કરેલી તપાસમાં પણ દલિત બાળકો પ્રત્યેનો સામાજિક ભેદભાવ જોવા મળ્યો હતો.

દેશના આશરે બાર કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના, સરકાર દ્વારા દુનિયાની સૌથી મોટી આહાર યોજના તરીકે પ્રચારિત થયેલી છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે આ એક મહત્ત્વની યોજના છે. પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી કે નવા નામકરણથી ન આંકવી જોઈએ. વાસ્તવમાં આ યોજનાથી સામાજિક સમાનતા, એકતા અને ભાઈચારાની દિશામાં કેટલા ડગ માંડી શકાયા તે પણ ચકાસવું રહ્યું. આ યોજના બાળકોની ભૂખ ભાંગવા સાથે ભેદ ભાંગવામાં કેટલી ખરી કે ઊણી ઊતરી છે તેના આધારે પણ તેની સફળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6991,7001,7011,702...1,7101,7201,730...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved