Opinion Magazine
Number of visits: 9674452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક શતાબ્દી વીત્યે, બીજી, અસહકારની ચળવળનો સમય પાક્યો

તુષાર ગાંધી (અનુવાદક : આશા બૂચ)|Opinion - Opinion|23 December 2021

2020ની સાલ અસહકારની ચળવળની શતાબ્દી ઉજવવાનું પર્વ છે, જે 5 સપ્ટેમ્બર 1920થી શરૂ થયું છે. તે પહેલાં દેશ સાંસ્થાનિક સરકાર દ્વારા લાદવામાં આવેલ રોલેટ એક્ટ જેવા કઠોર કાયદા સામેના વિરોધથી ભભૂકી ઉઠેલો. રોલેટ એક્ટ એ એક કઠોર માર્શલ લૉ ભારતની પ્રજાને દમનથી પોતાના તાબામાં લાવવા માટે લદાયેલો કાયદો હતો. એ કાયદો 21 માર્ચ 1919ને દિવસે લાદવામાં આવ્યો. 13મી એપ્રિલ 1919માં ભારતની પ્રજા શાંતિપૂર્ણ દેખાવ માટે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠી મળી, જેને બ્રિટિશ લશ્કરના જનરલ ડાયર જેવા સામૂહિક હત્યા કરનારના હુકમથી તેના સૈનિકોએ નિર્દોષ જનતાને નિર્દય થઈને ગોળીથી વીંધી નાખ્યા.

ચંપારણમાં નિર્ધન અને ગુલામ બનેલા ગળી ઊગાડનારા ખેડૂતોને ન્યાય અપાવવા કરેલા સત્યાગ્રહમાં મળેલી સફળતાને કારણે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય તખ્તા ઉપર 1917ના ગાળામાં પ્રવેશ્યા. ચંપારણ સત્યાગ્રહ એ પ્રથમ એવી ઘટના હતી જેમાં કોઈ ભારતીય પ્રજાજને બ્રિટિશ સલ્તનતને પીછેહઠ કરવા વિવશ કરી.

1857ના બળવા બાદ ભારતની પ્રજાએ સ્વીકારી લીધેલું કે બ્રિટિશ સત્તા અજેય છે અને તેઓ આપણા ઉપર રાજ કરવા જ સર્જાયેલા છે. ચંપારણ સત્યાગ્રહની સફળતાએ દેશને અચંબામાં નાખી દીધા. ત્યાર બાદ જ્યાં વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઉભરી આવ્યા એ ખેડા જિલ્લાનો સત્યાગ્રહ પણ સફળ થયો. અસહકારની ચળવળ સાથે કાઁગ્રેસે ખિલાફતની ચળવળને પણ ટેકો આપ્યો, જેથી ત્યાં સુધી અલગ રહેલા મુસ્લિમ લોકો પણ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં સાથે જોડાઈ ગયા. ક્રાંતિકારી પગલાં ભરવા માટે વાતાવરણ અનુકૂળ હતું.

ઉતેજના અને હૃદયભંગ :

અસહકારની ચળવળની સફળતા એવી હતી કે એ બ્રિટિશ સરકારની જેમ જ કાઁગ્રેસને પણ નવાઈ ઉપજાવી ગઈ. સમગ્ર દેશ એકજુટ થઈને ઊભો રહ્યો અને એક તબક્કે એવું લાગ્યું કે બ્રિટિશ સરકાર શરણાગતિ સ્વીકારી લેશે. તેવામાં 4 ફેબ્રુઆરીને દિવસે સંયુક્ત પ્રાંત(હાલના ઉત્તર પ્રદેશના)ના ગોરખપુર જિલ્લાના ગામડા ચૌરી ચૌરાની ઘટના બની.

અસહકાર કરનારાઓ સાથે ગામવાસીઓ એક બનીને કૂચ કરવા એકઠા થયા. નજીકની પોલીસ ચોકીના પોલીસ અમલદારોએ સત્યાગ્રહીઓના એક જૂથને માર માર્યો, જેનાથી દેખાવકારો રોષે ભરાયા, પોલીસ અમલદારોનો પીછો કર્યો, એ લોકોને ચોકીમાં ધકેલી દીધા અને તેનો કબજો લઇ લીધો. પોલીસની ટુકડીએ અંદરથી બારણું બંધ કરી દીધું, એટલે તેમને બહાર કાઢવા ટોળાંએ તેને આગ ચાંપી. જ્યારે એ પોલીસ અમલદારો બહાર આવ્યા, ત્યારે તેમની હત્યા કરીને પાછા આગમાં હોમી દેવામાં આવ્યા. 

અત્યાર સુધી અસહકારની ચળવળ અહિંસક ગણાયેલી તેને બદનામ કરવા આ બનાવના સમાચાર વ્યાપકપણે ફેલાવવામાં આવ્યા. જ્યારે બાપુને આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે પોતાની અગેવાનીથી શરૂ થયેલી ચળવળ આમ કાબૂ બહાર થઇ જાય તે તેમને સ્વીકાર્ય નહોતું. જો કે અસહકારની ચળવળની સફળતા ગણનાપાત્ર હતી અને બીજા કાઁગ્રેસી નેતાઓએ લડત ચાલુ રાખવા અનુરોધ કર્યો, પરંતુ બાપુએ એ ચળવળ મોકૂફ રાખી.

ઘણા નેતાઓએ દલીલ કરી કે બ્રિટિશ સરકાર હાર માનવાની તૈયારીમાં હતી, પણ બાપુએ તેમનું કહેવું ન સ્વીકાર્યું. તેમના માટે સાધનો સાધ્ય જેટલાં જ મહત્ત્વનાં છે. તેમણે ચળવળ પાછી ખેંચી લીધી. એ ચળવળની મહત્તાને ધ્યાનમાં લેતાં તેને એકલે હાથે સદંતર બંધ કરવાની તેમની શક્તિ અને બળનું એ અભૂતપૂર્વ પ્રેરણાદાયી પ્રદર્શન હતું.

કાઁગ્રેસ શા માટે આ વિસરી ગઈ?

આ કોઈ સ્વાતંત્ર્યની લડતના ભાગ રૂપ મળેલો પાઠ નથી, જો કે, સાંપ્રત સમયના ઇતિહાસના સંદર્ભમાં તેની યાદ અપાવવી જરૂરી છે. એક રાષ્ટ્ર તરીકે આપણે પુરાતન કાળના ઇતિહાસ અને દંતકથાઓ તરફ પીછેહઠ કરી હોય તેમ લાગે છે. અસહકારની ચળવળ એ રાષ્ટ્રના જીવનમાં એક મહત્ત્વનો તબક્કો હતો, પરંતુ આજે તેની શતાબ્દી ટાણે પણ જાણે તે વિસરાઈ ગઈ છે. સરકાર અને નવાઈ ઉપજાવે તેવી વાત તો એ છે કે ખુદ કાઁગ્રેસ પણ તેની ઉજવણી નથી કરી રહી. 

મને રાજીપો એ વાતનો છે કે સરકાર આ ચળવળની શતાબ્દી નથી ઉજવી રહી. જો જે સંગઠને બ્રિટિશ રાજ સાથે મળીને આપણી સ્વાતંત્ર્યની ચળવળને ડામી દેવાના પ્રયાસ કરેલા તેના વંશજો એ યાદગાર ચળવળ, કે જે આપણી મુક્તિ તરફ દોરી ગઈ તેની ઉજવણી કરે તો એ વિધિની વક્રતા કહેવાત.

મને ખેદ એ વાતનો છે કે કાઁગ્રેસ આ ઘટનાને તદ્દન ભૂલી ગઈ. ડિસેંબર 1920માં તેની નાગપુર ખાતે મળેલી 35મી બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર થયેલો. વર્તમાન સમયની કાઁગ્રેસ જો કે સ્વતંત્રતા પહેલાંની કાઁગ્રેસ કરતાં ઘણી અલગ બની ગઈ છે, છતાં જે પક્ષે સ્વતંત્રતા ચળવળમાં આગેવાની કરેલી તેના કાયદેસરની ઉત્તરાધિકારી છે. કે પછી એ પણ પેલા ભવ્ય ભૂતકાળની દેણગીને ભૂલી જશે?

ફરીથી જાગૃત થવાનો સમય પાકી ગયો છે.

ચંપારણ અને ખેડા જિલ્લાના સત્યાગ્રહો, રોલેટ એક્ટનો બહિષ્કાર અને જલિયાંવાલા બાગનો હત્યાકાંડ જેવી – અસહકારની ચળવળ પહેલાં બનેલી ઘટનાઓની માફક આજનું ભારત વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યું છે. ફરી વખત સમગ્ર રાષ્ટ્ર ત્રાસજનક હાલતમાંથી પસાર થઇ રહ્યું છે, કિસાનો મુશ્કેલીમાં આવી ગયા છે તથા બેરોજગારી અને સારી કક્ષાના શિક્ષણના અભાવે યુવા પેઢીને ચિંતિત કરી મૂકી છે. ગયે વર્ષે 370ની કલમના ઉચ્છેદ અને નાગરિક સુધારા કાયદની કલમ લાગુ કરવાને પરિણામે લઘુમતી કોમમાં પોતાની સલામતી અને સ્થાન માટે ચિંતા પ્રગટી છે, જે વ્યાજબી જ છે. રામ મંદિરના બાંધકામ માટે સરકારનો વિધિસરનો ટેકો મળવાને કારણે ખિલાફતની ચળવળ સમયે પડેલી તેવી જ તિરાડ બે મુખ્ય કોમ વચ્ચે પડી છે. 

સરકારનો લોકશાહી પદ્ધતિ અને પાર્લામેન્ટના કપટી અને ચાલાકી ભર્યો ઉપયોગ આપણી લોકશાહી માટે ખતરનાક છે. જે રીતે ઠરાવો કાયદાનું રૂપ લે છે અને પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે તે ચિંતાજનક છે. તત્કાલીન કિસાન અંગેનો ઠરાવ ખેતી વિષયક સમસ્યાની આગમાં ઘી હોમવા બરાબર પુરવાર થયો છે. કાયદાના મજૂર વિરોધી સુધારાઓ સાથે રોજગારીની તકો ઓછી થવી એ કામદાર વર્ગમાં ચિંતા અને અસંતોષનું કારણ બન્યા છે. કોવીડ 19ની પરિસ્થિતિને યોગ્ય રીતે કાબૂમાં ન લીધી હોવાને પરિણામે મોટાં શહેરોમાંથી ડરના માર્યા પોતાને વતન સ્થળાંતરિત થયેલા લાખો હંગામી મઝદૂરોને તેમનો કોઈને ખપ ન હોય તેવી લાગણીનો ભોગ બનવું પડ્યું અને આપણા ઔદ્યોગિક ક્ષેત્રનું તકલાદી પણું સિદ્ધ થયું.

નાગરિક અધિકાર બિલ (CAA) અને નાગરિકોના નેશનલ રજીસ્ટર(NRC)નો શાહીન બાગ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રવ્યાપી વિરોધ થયો તેનાથી એક રીતે ઉપર્યુક્ત રીતે જ અસહકારની ચળવળનું શતાબ્દી વર્ષ શરૂ થયું. એ ધારણાનું દેશ આખામાં – લખનૌમાં ઘંટાઘર, કલકત્તા, મુંબઈ, ચેન્નાઇ અને અન્ય શહેરો તેમ જ કેમ્પસમાં અનુસરણ થયું. ત્યારે એવો ભાસ થયો કે તેના ઉદ્દગમ સ્થાને બરાબર શતાબ્દી ટાંકણે અસહકારનું તત્ત્વ હજુ જીવિત છે. જાણે પ્રજાની ચળવળ એક ઐતિહાસિક પ્રજાકીય ચળવળની સ્મૃતિમાં ઉજવણી કરી રહી હતી.

સરકારે એ વિરોધને ડામવા માટે મેલી રમતનો ઉપયોગ કર્યો. દિલ્હીના રમખાણો તેમની એકતાને તોડી પાડવા માટે ચાલાકીપૂર્વક યોજવામાં આવેલા, અને ત્યારથી જ બ્રિટિશ રાજના સહભાગીઓના વંશજોની બનેલી આ સરકાર રોલેટ એક્ટના વિરોધ સમયે ઉપયોગમાં લીધેલી એવી જ સત્તાધારી રીત નાગરિક અધિકાર બિલ અને નાગરિકોના નેશનલ રજીસ્ટરના વિરોધમાં ભાગ લેનારાને ચોકઠામાં પુરવા અને તેમના પર કાયદેસર કામ લેવા અપનાવી રહી છે. કાયદેસરના વિરોધને કચડી નાખવા રાજદ્રોહ અને આતંક વિરોધી કાયદાનો સરેઆમ દુરુપયોગ થયો. લોકશાહી શાસનમાં જો કોઈ ધારો કે તેનો અમલ ખોટો છે એમ લાગે તો પ્રજાને સરકારને સવાલ પૂછવાનો કાયદેસર અધિકાર છે. 

સો વર્ષ પહેલાં ભારતની પ્રજાએ વિદેશી અને બિન લોકશાહી શાસકો સામે માથું ઊંચકેલું. હાલની સરકારની ઉદ્ધતાઈ અને આપખુદશાહી તરફનું વલણ દર્શાવે છે કે ભારત માટે બીજી અસહકારની ચળવળનો સમય પાકી ગયો છે. આપણે તૈયાર છીએ?

e.mail : 71abuch@gmail.com

(મૂળ સ્રોત : All Indians Matter – November 7, 2020)

https://www.allindiansmatter.in/100-years-on-time-for-another-non-cooperation-movement/   

Loading

વૈદ્ય તું તારો જ ઈલાજ કર …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 December 2021

ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય, રંજન ગોગોઈએ, અપેક્ષા પ્રમાણે જ, નવરાશના સમયમાં તેમની આત્મકથા લખી છે. તેનું શીર્ષક છે 'જસ્ટિસ ફોર ધ જજ’ – જજનો ઇન્સાફ. સામાન્ય રીતે જજનું કામ ઇન્સાફ કરવાનું હોય છે, પરંતુ ગોગોઈના કિસ્સામાં તેઓ ઇન્સાફ માગી રહ્યા છે.

કેમ? કારણ કે તેમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમનો જે કાર્યકાળ હતો, તેમાં તેમને અન્યાય થયો છે; તેમની પર આરોપો લાગ્યા છે; તેમની બદનામી થઇ છે; તેમના ચૂકાદાઓ અંગે’ શંકા-કુશંકાઓ કરવામાં આવી છે; તેમની કારકિર્દી પર કલંક લાગ્યું છે. તેની સાફ-સફાઈ કોણ કરશે? ખુદ તેઓ જ. એટલા માટે તેમણે પોતાનો ઇન્સાફ કરવા માટે 'જસ્ટિસ ફોર ધ જજ' શીર્ષકથી આત્મકથા લખી છે.

વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ પુસ્તકના શીર્ષક પર રમૂજ કરતાં કહ્યું હતું, "જજ માટે જસ્ટિસ? 'જજને રાજ્યસભાની બક્ષિશ' એવું શીર્ષક ન હોવું જોઈએ?" ગોગોઈએ સરકાર સામેના કેસમાં સરકારનો જવાબ બંધ કવરમાં સ્વીકારવાનો વિવાદાસ્પદ રિવાજ પાડ્યો હતો, જેથી મીડિયામાં તેની વાતો જાહેર ન થાય (જેવું રફાલે એરક્રાફ્ટની ખરીદીમાં ભ્રષ્ટાચારના કેસમાં થયું હતું). તેને યાદ કરીને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ ટોણો માર્યો, "કોઈકે મને પૂછ્યું કે રંજન ગોગોઈનું પુસ્તક બંધ કવરમાં વેચાશે કે ખુલ્લામાં? શું લાગે છે."

તેના જવાબમાં કોઈકે કોમેન્ટ કરી, "એ તો સુપ્રીમ કોર્ટની પેલી મહિલા કર્મચારીને ખબર." ગોગોઈ જ્યારે ચીફ જસ્ટિસની ખુરશીમાં હતા, ત્યારે જ તેમની સામે સેકસુઅલ હેરેસમેન્ટના એક આરોપમાં ખુદને નિર્દોષ જાહેર કરી ચુક્યા હતા, એટલે નિવૃત્તિ પછી તેમણે બાકી રહી ગયેલી બાબતોમાં પણ પોતાનું 'સત્ય' જનતા જનાર્દન સમક્ષ મુકવા પ્રયાસ કર્યો છે.

એપ્રિલ ૨૦૧૯માં, સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારીએ એફિડેવિટ દાખલ કરી હતી કે ૧૦-૧૧ ઓકટોબરે, ચીફ જસ્ટિસે તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અડપલાં કર્યાં હતાં. ગોગોઈએ તેને ન્યાયતંત્રની સ્વતંત્રતામાં અડચણ ઊભી કરવાનું કાવતરું ગણાવ્યું હતું. એક મહિના પછી, સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આંતરિક સમિતિએ ગોગોઈને નિર્દોષ જાહેર કર્યા. ગુજરાતીમાં એક કહેવત છે : ઘરના ભૂવા અને ઘરનાં ડાકલાં. આરોપી પોતે, કોર્ટે ય પોતાની, પોતે જ તેના જજ.

એ તપાસ ગોગોઈએ જ બેસાડી હતી અને તેની અધ્યક્ષતામાં તેઓ ખુદ હતા. સમિતિના અહેવાલ અને રીતની ત્યારે બહુ ટીકા થઇ હતી. ૮મી ડિસેમ્બરે, તેમની આત્મકથાના વિમોચન પ્રસંગે ગોગોઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "એ બેંચની અધ્યક્ષતા મારે કરવાની જરૂર ન હતી. મારે દૂર રહેવાની જરૂર હતી. આપણે સૌ ભૂલો કરીએ છીએ. જજો પણ આખરે માણસ છે અને તેમનાથી ભૂલો થાય, પણ એ યાદ રાખવા જેવું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર પહેલીવાર આવો આરોપ મુકાયો હતો. ૪૫ વર્ષની ઈજ્જત દાવ પર હતી."

ભારતના ચીફ જસ્ટિસ પર, સુપ્રીમ કોર્ટની જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ મહિલાએ સેકસુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. ગોગોઈએ જાતે જ તપાસ બેસાડી અને એમાં એમાં એમને ક્લીન ચીટ મળી (એક વર્ષ પછી એ કર્મચારીને પાછી એ જ નોકરી પર લેવામાં આવી, જ્યાંથી તેને કાઢી મુકવામાં આવી હતી). કોર્ટના  ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી, અને “મેં એ તપાસની અધ્યક્ષતા કરી એ ભૂલ હતી” એટલું બોલીને ગોગોઈએ તેમની આત્મકથામાં પૂરી ઘટનાને ‘કાવતરા’માં ખપાવી દીધી છે.

તેમની વાતને માન્ય રાખીએ, તો પણ એવો સવાલ તો જરૂર ઊભો થાય કે જેના હાથમાં દેશના કાનૂનની અને નૈતિકતાની રક્ષા કરવાની સત્તા અને જવાબદારી હોય, તે વ્યક્તિ આવી રીતે પોતાની સામેના આવા સૌથી ગંભીર આરોપમાં જજ બને?

અદાલતી કાર્યવાહીમાં ‘નોટ બિફોર મી’ની એક તંદુરસ્ત પરંપરા છે. જજ સાહેબોને જ્યારે લાગે કે કોઈ કારણસર તેઓ કોઈ ચોક્કસ કેસમાં તટસ્થ રીતે ન્યાય તોળી નહીં શકે, ત્યારે તેઓ તે કેસની સુનાવણી કરવાની ના પાડી દે છે અને બીજા જજને તે જવાબદારી સોંપે છે. ગોગોઈ તેમની સામેના આરોપોની તપાસ કરી રહેલી બેંચમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કરી જ શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું.

ગોગોઈ સામે બીજા પણ આરોપો લાગ્યા છે. જેમ કે અયોધ્યા મંદિર-મસ્જીદ વિવાદમાં, રાહુલ ગાંધી સામેના અદાલતના તિરસ્કારના કેસમાં, કેરલના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાના મામલે અને આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનના મુદ્દે ગોગોઈએ સત્તાધારી પક્ષની તરફેણ કરી હતી.

મીડિયામાં અને લોકોના મનમાં ગોગોઈના વ્યવહારને લઈને શંકા થવાનું કારણ એ પણ હતું કે નિવૃત્તિના ચાર જ મહિનામાં રાષ્ટ્રપતિએ તેમની રાજ્યસભામાં નિમણૂક કરી હતી. આ એ જ ગોગોઈ હતા, જેમણે ભૂતકાળમાં કહ્યું હતું કે જજે તેનું દામન સાફ રાખવા માટે નિવૃત્તિ પછી કોઈ સરકારી હોદ્દા ગ્રહણ ન કરવા જોઈએ.

ગોગોઈએ આ બધા વિવાદોમાં પોતાનો પક્ષ આ પુસ્તકમાં રજૂ કર્યો છે. આત્મકથાઓમાં માત્ર જીવનની ઘટનાઓની તારીખો નથી હોતી. એમાં પોતાની વાતને પૂર્વગ્રહ સાથે મુકવાનો પ્રયાસ હોય છે. એમાં લેખક તથ્યોને ‘પોતાની રીતે’ મૂકે છે. એટલા માટે તટસ્થ આત્મકથાઓ દુર્લભ હોય છે, અને અભ્યાસુ લોકો જ્યારે આપણા નાયકોનું વિશ્લેષણ કરવા બેસે છે, ત્યારે આત્મકથાઓથી આગળ જઈને બીજા લોકોના અનુભવો અને દૃષ્ટિકોણને પણ ધ્યાનમાં લે છે. જસ્ટિસ રંજન ગોગોઈની કારકિર્દીમાં એટલા ઉતાર-ચઢાવ છે કે કદાચ એક પુસ્તકથી તેનો ન્યાય નહીં થાય.

ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે કહ્યું હતું કે, “આત્મકથાનો વિશ્વાસ ત્યારે જ થાય, જ્યારે તેમાં કશુંક શરમજનક જાહેર કરવામાં આવે. જે માણસ તેની સારી-સારી વાતો માંડે, એ સંભવત: જૂઠ બોલતો હોય છે, કારણ કે જીવનને જ્યારે ભીતરથી જોવામાં આવે, ત્યારે તે પરાજયોનો એક સિલસિલો માત્ર હોય છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામેક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 ડિસેમ્બર 2021

Loading

રાજકારણીઓમાં શરમ નથી હોતી તે તો ખબર, પણ આટલા બેશરમ હોય છે તે ખબર ન હતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 December 2021

છોટાઉદેપુરનું વાગલવાડ ગામ. તેની એક પ્રાઇમરી શાળા 2020માં વરસાદમાં તૂટી પડેલી. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી, પણ ડિસેમ્બર, 2021 પૂરો થવા આવ્યો, તો પણ તે ફરી બંધાવાના કોઈ અણસાર ન જણાતાં, એક અંગ્રેજી અખબારે છોટાઉદેપુર જિલ્લાની આ શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રગટ કર્યો, જે ગુજરાત હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું ને તેણે સુઓમોટો દાખલ કરી. ગુજરાત સરકાર પાસે પૈસા ખર્ચવાના ઘણાં બહાનાં છે, પણ કરવા જેવાં કામ માટે બેદરકારી સિવાય કોઈ બહાનું નથી. આમ પણ શિક્ષણ બાબતે અરાજકતાનો કોઈ પાર નથી, પણ સ્કૂલે આવતાં બાળકો માટે શાળાનું મકાન ન હોય એ સ્થિતિ અસહ્ય છે. 2020માં તો સ્કૂલોમાં શિક્ષણ આપી શકાય એવી સ્થિતિ જ ન હતી, ત્યાં બિલ્ડિંગ ન રહ્યું એટલે હવે બાળકો સ્કૂલે આવવાના જ ન હોય તેમ સ્કૂલ બાંધવાના કોઇ લક્ષણો ન જણાયા ને ઓફલાઇન શિક્ષણ તો શરૂ થયું જ ! વિદ્યાર્થીઓ પણ આવ્યા, પણ ભણે કયાં? સ્કૂલના વર્ગો તો હોવા જોઈએ ને ! મહિનોમાસ તો જેમ તેમ ભણ્યા, પણ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ભણવું કેમ? તો ય, ઠંડીમાં ખુલ્લામાં આદિવાસી બાળકો ભણવા આવ્યાં. તેમની પાસે પૂરતાં કપડાં પણ ન હતાં, ત્યાં ખુલ્લામાં ભર ઠંડીમાં ટકવું કેમ? હાઈકોર્ટનાં ધ્યાનમાં આ વાત આવી ને તેણે સરકારને છ મહિનામાં સ્કૂલનું નવું મકાન ઊભું કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે ને શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીને કોર્ટમાં હાજર રહી રિપોર્ટ રજૂ કરવાની ફરજ પાડી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકો ખુલ્લામાં ભણવા લાચાર બને તે ચલાવી શકાય નહીં. વાગલવાડમાં સ્કૂલ ન હોવાથી, મધ્યાહ્ન ભોજનમાં નોકરી કરતાં એક બહેનને ત્યાં બાળકોને બોલાવીને શિક્ષક, શિક્ષણ પૂરું પાડે છે.

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી સામે પણ ભારે નારાજગી પ્રગટ કરી છે. શિક્ષણ મંત્રી સામે નારાજ થવાનું કારણ પણ છે. 16 ડિસેમ્બરે વડોદરા આવેલા શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પત્રકારોએ છોટાઉદેપુરની એ સ્કૂલ અંગે પૂછ્યું કે હજી સ્કૂલ બંધાઈ નથી ને વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ભણવાની ફરજ પડી રહી છે. એનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે કાર્યવાહી ચાલે જ છે, કેટલીકવાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે, શિયાળામાં હું પણ ખુલ્લામાં જ ભણ્યો હતો. હાઇકોર્ટે આવા ઉડાઉ જવાબની આકરી ટીકા કરતાં કહ્યું કે આ બેજવાબદારી ભર્યો શરમજનક જવાબ છે. કોર્ટે આ જવાબની ગંભીર નોંધ લીધી છે. 

શિક્ષણ મંત્રી કક્ષાની વ્યક્તિ શાળા નથી બાંધી શકાઈ એ અંગે લાજવાને બદલે ગાજવા બેસે એ શરમજનક છે. એમની વાતનો તો એવો અર્થ થાય કે ઠંડીમાં આદિવાસી વિદ્યાર્થીઓએ ખુલ્લામાં જ બેસવું જોઈએ, કારણ કે શિક્ષણ મંત્રી પોતે પણ શિયાળામાં ખુલ્લામાં ભણેલા. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે શિક્ષણ મંત્રી નાનપણમાં ખુલ્લામાં ભણ્યા હોય તો આદિવાસી વિદ્યાર્થીઓએ, ભલે તેમની પાસે ઠંડીથી બચવાનાં કપડાં ન હોય, તો પણ ખુલ્લામાં જ ભણવું જ જોઈએ. સાહેબને કહી શકાય કે ત્યારે તમારી પાસે સગવડ નહીં હોય ને તમારે ખુલ્લામાં ભણવું પડ્યું હોય તેનો અફસોસ છે, પણ હવે તો તમે મંત્રી છો, એક સ્કૂલ બાંધી આપવાનું જરા ય મુશ્કેલ નથી, તે એટલે નહીં બાંધવાની કારણ તમે ખુલ્લામાં ભણ્યા હતા? આ યોગ્ય છે? તમને સંકોચ થવો જોઈએ, તેને બદલે તમે શરમ છોડીને ઉડાઉ જવાબ આપો છો તે અક્ષમ્ય છે. સાધારણ રીતે જે તકલીફ નાનપણમાં વેઠી હોય તે પોતાનાં સંતાનો ન વેઠે એવું માબાપ ઇચ્છતાં હોય છે. તે એવો બદલો ન લે કે અમે વેઠ્યું છે તો તમે પણ વેઠો, પણ આ તો મંત્રી છે એટલે એ તો કહી શકે પ્રજાને કે હું ઠંડીમાં ભણ્યો, તો તમે પણ ભણો. આ પરપીડન વૃત્તિ છે ને તે કોઈ રીતે મંત્રીને શોભતી નથી.

 એ ખરું કે રાજકારણી કેટલાક ખરેખર સજ્જન હશે, પણ મોટે ભાગના રાજકારણીઓ વિવેકહીન હોય છે અને ઉદ્ધત રીતે વર્તવા ટેવાયેલા હોય છે. એમાં જો કોઈ મંત્રી હોય તો તેનામાં અહંકાર ને ઉદ્ધતાઈ પણ ભળે છે. બીજો એવો એક દાખલો ઝારખંડનો છે. એક પહેલવાનને નિયત ઉંમર કરતાં વધારે ઉંમર છે એમ કહીને કુસ્તીમાંથી બહાર કરી દેવાયો. પહેલવાનને અન્યાય થયાનું લાગતાં તે રજૂઆત માટે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ભા.જ.પ.ના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પાસે કાર્યક્રમમાં પહોંચ્યો ને પોતાને ખોટી રીતે બહાર કરાયો છે તેવી રજૂઆત કરી તો સાંસદે તેને લાફો મારી દીધો. એકવાર માની લઈએ કે પહેલવાન ખોટો છે, તો પણ તેને ભરી સભામાં લાફો મારવાનો સાંસદને કોઈ અધિકાર નથી. લોકો લાફો ખાવા વોટ આપતા નથી. આવા રાજકારણીનો પ્રજાએ સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ. રાજકારણીઓ ભા.જ.પી. હોય કે કાઁગ્રેસી, વિવેકહીન થવામાં તેઓ હંમેશ સ્પર્ધામાં રહે છે.

કાઁગ્રેસના એક ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પર બી.જે.પી. નેતાઓ અને મહિલા સાંસદો બહુ જ ચિડાયા છે ને એ ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની ને એમની પાસેથી માફી મંગાવવાની વાત કરી રહ્યા છે. જેનાં પાર્ટી પ્રમુખ એક મહિલા છે ને એના જ એક ધારાસભ્ય મહિલા સંદર્ભે પૂરી બેશરમીથી વાહિયાત લવારા કરે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ એવો મત ભા.જ.પી. નેતાઓનો પડ્યો છે ને કાઁગ્રેસી નેતા પ્રિયંકા વાડ્રાએ પણ કાઁગ્રેસી વિધાનસભ્ય કે.આર. રમેશકુમારના શરમજનક નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. જો કે, કોઈ કાર્યવાહી કરવાથી કાઁગ્રેસ દૂર રહી છે. કાઁગ્રેસી રમેશકુમારે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન મહિલાઓ સંદર્ભે એવું નિવેદન આપ્યું કે રેપ રોકી શકાય એમ ન હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. આટલી નિર્લજ્જતા એક વિધાનસભ્ય દાખવે ને તે પણ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોય ત્યારે, એ કેવળને કેવળ શરમજનક છે. આ નિવેદન અશ્લીલથી પણ વધુ અશ્લીલ છે. એ ધારાસભ્ય વળી વિધાનસભાના જવાબદાર હોદ્દે રહી ચૂક્યા હોય ને આવું નિવેદન કરે એમાં એમની હીન માનસિકતા જ પ્રગટ  થાય છે. વધુ દુ:ખ તો એ વાતનું છે કે હાલના કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડેકાગેરી રમેશકુમારના આ નિવેદનથી વ્યથિત થવાને બદલે હસી પડ્યા હતા. અધ્યક્ષે ધાર્યું હોત તો રમેશકુમાર પર કાર્યવાહી કરી શક્યા હોત, પણ તેમણે વાતને હસવામાં કાઢી નાખી ! વધારે ઊહાપોહ થતાં રમેશકુમારે ટિપ્પણી બદલ માફી માંગી લીધી છે, પણ ઘણાંને લાગે છે કે એટલું પૂરતું નથી. આમાં પક્ષો રાજનીતિ પણ કરે છે ને આખી વાત પોતાને કઈ રીતે લાભ ખટાવે એમ છે એ રીતે દાખલા ગણે છે, પણ એક વાત નિર્વિવાદ છે, કોઈ પણ પક્ષનો નેતા આવું નિવેદન કરે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ ને એ સ્થિતિ ઊભી થવી જોઈએ કે કોઈ પણ સભ્ય વિવેક ચૂકીને વાત કરવાની હિંમત ન કરે.

કાઁગ્રેસનો બીજો દાખલો પણ જોઈએ. પંજાબ કાઁગ્રેસના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ ચંદીગઢમાં પત્રકાર પરિષદમાં પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કશું જ અજુગતું ન હોય એટલી સહજ રીતે ગાળ દઈ દીધી. આ દાખલાઓ છેલ્લા બેત્રણ દિવસોમાં બનેલી ઘટનાઓના છે. આ ઉપરાંત પણ એવું ઘણું હશે જે જાહેર જ ન થતું હોય, પણ જે જાણવા મળ્યું છે તે પણ ઓછું ચિંતાજનક નથી. એ સિદ્ધ થતું આવે છે કે આખા દેશમાં રાજકારણીઓને કોઈ પૂછનાર નથી. તેઓ મનસ્વી રીતે વર્તવા ટેવાયેલા છે ને સૌજન્ય, વિવેક, આભિજાત્ય જેવી કોઈ વાત તેમનામાં દૂર દૂર સુધી નજરે ચડતી નથી. બર્બરતા, હલકટાઈ, આછકલાઇ, વિકૃતિ … જેવી બાબતો જ તેમની સજ્જનતાનાં લક્ષણો છે. એ જ જાણે કે ચરિત્ર છે ! ખોટી રીતે મેળવેલી સંપત્તિનું વરવું પ્રદર્શન ને તેનો દેખાડો અહંકારથી સુસજ્જ હોય છે. લવારાઓ કરીને માફી માંગી લેવાની ફેશન થઈ પડી છે ત્યારે થાય છે કે કઈ વાતે આ દેશ ટકી રહ્યો છે તે સમજાતું નથી. રામને નામે પથરા તરે છે, પણ રામ પથરો નાખે છે તો તે ડૂબી જાય છે, છતાં એટલું છે કે ભલે રામભરોસે પણ દેશ ચાલે તો છે ! તે કયાં સુધી ચાલશે તે યક્ષ પ્રશ્ન છે, પણ તે આજે તો કોઇની ચિંતાનો વિષય હોય એવું લાગતું નથી.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6971,6981,6991,700...1,7101,7201,730...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved