Opinion Magazine
Number of visits: 9570247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિજાબનું શૂળ પેટ ચોળીને ઊભું કરવામાં આવ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 February 2022

કર્ણાટકની એક શૈક્ષણિક સંસ્થામાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી તો તેને સંસ્થામાં પ્રવેશતાં રોકવામાં આવી. આ ઘટના અણધારી હતી, કારણ વિદ્યાર્થિનીઓ તો આમ જ પહેરતી આવી હતી ને ત્યારે અટકાવાઇ ન હતી, તો એકાએક શું થયું કે હિજાબનો વાંધો પડ્યો? એ પછી કર્ણાટક સરકારે હિજાબ પર એમ કહીને પ્રતિબંધ મૂકી દીધો કે ધાર્મિક પ્રતીક શૈક્ષણિક સંસ્થામાં ન ચાલે. વાત હાઇકોર્ટે ચડી છે ને સરકાર હવે કોર્ટમાં કહે છે કે હિજાબ ધાર્મિક પ્રતીક નથી કે પરંપરા નથી. જો, એ ધાર્મિક પ્રતીક નથી ને પ્રતિબંધ ધાર્મિક પ્રતીક પર જ હોય તો હિજાબ પહેરતાં કોઈને રોકવાનું જરૂરી ખરું? સરકાર કહે છે કે હિજાબ ધાર્મિક નથી, પણ નક્કી કરેલો યુનિફોર્મ વિદ્યાર્થિનીઓએ પહેરવો જોઈએ. એવો આગ્રહ સંસ્થાઓ રાખે એમાં કશું ખોટું નથી. વિદ્યાર્થિનીઓ યુનિફોર્મ પહેરતી હોય ને વર્ગમાં હિજાબ કાઢીને બાજુએ મૂકતી હોય તો હિજાબ પહેરવાનો વાંધો ન લઈ શકાય. એ પછી પણ વાંધો હોય તો કોઈનો રેઇનકોટ કે સ્વેટર પહેરીને પણ સંસ્થામાં પ્રવેશનો વાંધો લઈ શકાય, કારણ એ યુનિફોર્મ ઉપર પહેરાય છે. ઠંડીમાં સ્વેટર વગર કે વરસાદમાં રેઇનકોટ વગર વિદ્યાર્થીઓને રાખવાનું યોગ્ય ખરું? વિદ્યાર્થીને એમ કહેવાય કે સ્વેટર કાઢીને ક્લાસમાં બેસો? જો એ ન કહેવાય તો હિજાબ પહેરીને આવનારને પણ રોકી ન શકાય. આવા વિચિત્ર આગ્રહોથી શિક્ષણ સુધરતું નથી, પણ માનસ બગડે છે. સાચું તો એ છે કે હિજાબને ધાર્મિક પ્રતીક માની લેવામાં આવ્યું છે. વાંધો પણ એ જ કારણે છે. એ રીતે અન્ય ધર્મના પ્રતીકો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશે જ છે તો તેનું શું કરીશું? શીખ વિદ્યાર્થી તેની પાઘડી પહેરે કે હિન્દુ પરિણીત વિદ્યાર્થિની મંગલસૂત્ર પહેરે કે સિંદૂર પૂરે કે ખ્રિસ્તી વિદ્યાર્થી ક્રોસ પહેરે કે કોઈ મુસ્લિમ વિદ્યાર્થી લાંબી દાઢી રાખે તેનો પણ વાંધો કોઈ લઈ શકે. એવો વાંધો લેવા જેવો ખરો? મુસ્લિમો શૈક્ષણિક સંસ્થાઓની નજીક રસ્તા પર નમાજ પઢે કે માઇક પરથી બાંગ પોકારે ને એવું બધા જ ધર્મના લોકો એક સાથે માઇક પરથી આરતી કે પ્રાર્થનાઓ કરે તો કેટલી શાંતિ રહે એ વિચારવાનું રહે.

કારણ રાજકીય જ હશે, પણ હિજાબનો મુદ્દો હવે નહીં અટકે તો અનેક શહેરો કોમી આગમાં હોમાય એવી પૂરી શક્યતાઓ છે. કર્ણાટકના શિવમોગામાં એક હત્યા તો થઈ છે ને પોલીસે મામલાને કાબૂ કરવા ફાયરિંગ પણ કર્યું છે. આ બધું લાંબું ચાલશે તો સિલકમાં લોહી જ રહેવાનું છે. એમાં બીજે પણ આગ ફેલાય તો એનું પરિણામ પણ લોહીમાં જ આવશે. કર્ણાટકનો પડઘો સુરતમાં પડ્યો પણ છે. હિજાબ ઇચ્છાથી પહેરીને કે કોઈના આગ્રહથી પહેરીને પી.પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા આવી ને તેનો વિરોધ થયો. પોલીસે દખલ કરવી પડી. આ બધું નિર્દોષભાવે થતું લાગતું નથી, પણ એનાં પરિણામો તો નિર્દોષ જ ભોગવે છે. કોણ જાણે કેમ પણ કોઈને કોઈ બહાને નાની નાની વાતોને ચગાવીને લોહી વહેવડાવવાની સ્પર્ધામાં દેશ ઊતર્યો હોય એમ લાગે છે. કોઈ કામ જ ન રહ્યું હોય તેમ વિવાદો ઊભા કરવાનું ને એનો તમાશો જોવાનું જાણે કોઈ કાવતરું ચાલે છે ને એનો એક છેડો મતોનાં રાજકારણ તરફ નીકળે છે. આ સારું નથી. કમસેકમ લોહી રેડવાના આ પ્રયત્નો અટકાવીએ અને નિર્દોષોની જિંદગી બચાવીએ. એ કમનસીબી છે કે દૂર દૂર સુધી માણસાઈ ક્યાં ય દેખાતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

‘વિશ્વ માતૃભાષાદિવસ’-ના માનમાં

સુમન શાહ|Opinion - Opinion|22 February 2022

સમ્બન્ધોમાં ભાષા, માતૃભાષા (પુનશ્ચ) :

ભાષા આપણને જોડે છે. કોઈ મને કહે કે : તે દિવસ પછી તો, તમે મને બહુ જ ગમવા લાગ્યા છો : તો એના દિલમાં એને સારું જ લાગતું હોય છે, સાંભળીને મારું મન પણ હસુ હસુ થઈ જાય છે. સમ્બન્ધ દૃઢ થાય છે.

ભાષા આપણને તોડે પણ છે. તમે કોઈને ‘નાલાયક’ કહો તો તમે એ ઘડી પૂરતા એનાથી કપાઈ જ જાઓ છો. એ પણ રાતોપીળો થઈને જતો રહે છે, સાથે, ‘નાલાયક તું છું’ ક્હૅતો જાય છે, થૂંકે પણ ખરો. સમ્બન્ધ તૂટી જાય છે.

ભાષા કનેક્ટ કરે, ભાષા ડિસ્કનેક્ટ કરે. ભાષાને લીધે લૂઝ કનેક્શન કાયમ માટે ટાઈટ થઈ જાય, કાયમ માટે બ્રેક પણ થઈ જાય – તૂટેલા બન્ને છેડા હવામાં ઝૂલતા દેખાય.

સમ્બન્ધોમાં ભાષા તમે કેવી વાપરો છો એ વાતનો મહિમા અપાર છે. ભાષિક વર્તનનો – લિન્ગ્વિસ્ટિક બીહેવિયરનો – દરેક સમ્બન્ધમાં એક રોલ હોય છે. ભાષાવિજ્ઞાનક્ષેત્રે ‘બીહેવિયરલ લિન્ગ્વિસ્ટિક્સ’ નામની શાખા પણ છે. એ શાખા અને તેના વિદ્વાનો એમ સમજાવે છે કે ભાષા મનુષ્યનું વર્તન બદલી શકે છે, બદલી નાખે છે.

વ્યક્તિઓ સમ્બન્ધ બાંધીને સ્થિર થવા ઝંખતી હોય છે, પણ વિચારતી નથી હોતી કે પોતે શું બોલે છે, શું નથી બોલતી, કેવું બોલવું જોઈએ, કેવું ન બોલવું જોઈએ. સફાઇદાર ભાષામાં દલીલો કરી શકાય છે, ચડિયાતા પુરવાર થઈ શકાય છે, બધાંને પ્રભાવિત – ઇમ્પ્રેસ – કરી શકાય છે. પરન્તુ, અઘરા પણ આમ સરળતમ એવા માનવ-સમ્બન્ધોમાં એવી ચડસાચડસી કે જીભાજોડી કામ નથી આવતી, ઊલટું, એને લીધે જ કનેક્શનો અશક્ય બની જાય છે, હોય એ લૂઝ પડી જાય છે.

જેમ કે, ભારતમાં સામાન્યપણે પત્નીઓ પતિઓને તમે-કારથી સમ્બોધતી હોય છે : તમે જઈ આવ્યા વડોદરા? : તમને ભૂખ લાગી હશે : વગેરે. એમાં પ્રેમ અને આદર બન્ને હોય છે. શ્હૅરોમાં અમુક કપલ એવાં મળે – ભણેલાંગણેલાં – જેમાં પત્ની પતિને તું-કારતી હોય : જૅન્તી, તને કેટલી વાર કહ્યું કે આ તારે નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું, નો મીન્સ નો, વ્હાય ડોન્ચ્યુ અન્ડરસ્ટૅન્ડ …? : કામવાળાને પણ ક્હૅતી હોય : બાલુ ! તું સમજતા ક્યૉં નહીં, યે તુઝે હી કરને કા હૈ : છેક તળપદમાં જાઓ તો પત્ની પતિને તું-કારતી હોય છે : પસા, તું સું કરસ? : એને ગમ નથી હોતી કે પત્ની શું ને પતિ શું … બહુ બહુ તો એટલું જાણતી હોય કે પસો એનો વર છે ને પોતે પસાની વહુ છે. ઘણી વાર તો પાલવ વડે ચ્હૅરો ઢાંકી મુસ્કરાતાં એટલું જ કહે છે – એ મારા ‘એ’ થાય છે.

તમે-કારમાં કંઈક દમ્ભ જેવું છે, ક્લાસિકલ લાગે, ટ્રૅડિશનલ લાગે, ઘરેડિયું પણ લાગે. એ માટે કોઈ કોઈ પત્નીઓને જોર લાવવું પડે છે. પણ તું-કાર સહજ હોય છે. તું-કારમાં એક જાતનું રોમૅન્ટિસિઝમ રસાયેલું છે. ભલે દેખાદેખીથી શીખ્યાં હોય, એમાં પતિ પ્રત્યેનો પ્રેમ જ હોય છે. પ્રેમમાં પડ્યા પછી પરણ્યાં હોય એ દાખલાઓમાં તો તું-કાર લગભગ હમેશાં જોવા મળે છે. બન્નેને તેમ જ આસપાસનાંને બહુ મીઠું લાગે છે. પણ ઝઘડો થાય ત્યારે ચિત્ર બિહામણું બની જાય છે : તારે લીધે થયું : તને કશી સમજ નથી : તું છું જ એવો.

પેલા મીઠડા તું-ના ભુક્કો બોલી જાય છે.

ઘણી વાર તો તું-ને સ્થાને યૂ આવી જાય છે : વ્હૉટ ડુ યૂ મીન? ઇટ’સ નૉટ માય ફૉલ્ટ ઍટૉલ : યૂ માઇન્ડ યૉર ઓન બિઝનેસ : યૂ માઇન્ડ યૉર લૅન્ગ્વેજ … યૂ આર … …

ભૈબંધના ખભે હાથ મૂકીને ભૈબંધ ક્હૅતો હોય છે : તું સાલા રાસ્કલ છું. બેનપણી ગાલે ચીમટો ભરીને ક્હૅતી હોય છે : તું સમજતી નથી, ઇડિયટ છું : એવી અંગ્રેજી ગાળો મૈત્રી-સમ્બન્ધોમાં ગાળો નથી લાગતી પણ વર્તન બાબતે અસરકારક પુરવાર થાય છે. શિક્ષક-વિદ્યાર્થીના સમ્બન્ધમાં પણ ઉપકારક નીવડતી હોય છે. એક જમાનામાં પ્રાથમિક શાળાનો શિક્ષક છોકરાને કહી શકતો : તને ગધેડા, આટલું નથી આવડતું? : બિચારાનો કામ આમળી રાખ્યો હોય. પોતે ગધેડો છે એમ સાંભળવા સિવાય ત્યારે એનો છૂટકો ન્હૉતો. માધ્યમિકમાં ગયો ત્યારે સાંભળવા મળ્યું : યૂ ડર્ટિ બૉય, સ્ટૅન્ડ અપ : છોકરાને ટીચર ડર્ટિ ન્હૉતા લાગતા, એને થતું પોતે સુધરવું જોઈશે.

અંગ્રેજીને વરેલાં એવાં પૅરન્ટ્સ સ્વસ્વજનોની તેમ જ સ્વવડીલોની હાજરીમાં તડાતડી કરતાં હોય છે. સન્તાનો આડઅસર રૂપે શીખી જતાં હોય છે. વડીલો શરમાઈને સહી લે છે. ન-સમજુ વડીલો તડાતડીને વિકસાવતા પણ હોય છે, બળતામાં ઘી ઉમેરે. બધાં ફૅમિલી-કનેક્શન્સ લૂઝ થવા માંડે. સાંધા ઊકલવા માંડે – જોઇ શકાય એમના ચ્હૅરાઓની ઢીલી થતી રેખાઓમાં. એમણે વાપરેલાં લડાયક વાક્યો રૂમની છત જોડે અથડાતાં હોય.

ગુસ્સો ન જ થાય કે ન જ કરાય એમ નથી સમજવાનું. બે વાસણ ખખડે જ. ન ખખડતાં હોય તો ક્યારેક તો ખખડવાં જોઈએ. પણ ગુસ્સો સહજ એવી માતૃભાષામાં બેડરૂમમાં શાન્તચિત્તે કરાય, ઓછામાં ઓછા શબ્દોમાં, તો પરિણામદાયી નીવડે છે.

સહજ ભાષાનો એક સાચો દાખલો મને યાદ રહી ગયો છે. ધની-વની બેનપણીઓ. બન્ને અમરતને ચાહે, પણ એકબીજાને જાણવા ન દે. એક વાર ધનીને ગડ બેઠી કે વની મૉં હસતું રાખે છે પણ ઇર્ષાને લીધે અંદરથી બહુ બળે છે. તે દિવસે અમરતની વાતે ધની રંગરંગીન વાતો કરવા લાગેલી : વાડીમાં બૌ મજા આવેલી : વગેરે. વની એને તાકીને ક્હૅ : તું ફડાકા નૈ માર, ઉં હંધુ જાનુ છુ : તો ધનીએ અસરકારક એટલું જ કહ્યું : તું બળસ : એ પછી તો આ ‘બળસ’ હું મારા એક મિત્રને પણ સંભળાવવા લાગેલો. સાંભળીને વનીની જેમ એ જરા છોભીલો પડી જતો. જો કે છેવટે અમે હસી પડતા, મજા આવતી. વનીનું શું થતું, વની જાણે.

આપણે ત્યાં ભણેલાં ગણાતાં હોય એમને ટેવ હોય છે, ગુસ્સો તો અંગ્રેજીમાં કરે, પણ પ્રેમના કિસ્સામાં ય અંગ્રેજી વાપરે – ભલે ખોટીહાચી હોય. પ્રેમ થવા માંડ્યો હોય એટલે એક દિવસ પેલું ચવાઈને કૂચો થઈ ગયેલું કહી દે : આઈ લવ યૂ : એ પછી એવાઓને, માય ડીયર – કેટલાક મૂરખા તો ડીયરેસ્ટ ક્હૅતા હોય છે – ડાર્લિન્ગ સ્વીટી બેબી હનિ એમ અંગ્રેજી જ સૂઝ્યા કરે છે. એવાં બધાં : આ મારી વાઇફ છે : આ મારા હસ્બન્ડ છે : એમ ભપકાથી ક્હૅતાં હોય છે. વિદેશી નારીની જેમ, હી ઈઝ માય સૅકન્ડ / થર્ડ હસ્બન્ડ, એમ કહેવાની સાચકલાઈ તો હોય છે જ ક્યાંથી? બાકી, આ મારી વહુ છે, આ મારા વર છે, એમ કોઈ કહે તો એમની વચ્ચેની આત્મીયતા આપણને પણ અડે છે, અનુભવાય છે.

કેટલાં ય પ્રિયજનો પાસે પ્રેમને માટેની પોતાની ભાષા હોતી નથી. શાયરીના ટુકડા કે ફિલ્મી ગીતોની પંક્તિઓ નિ:સંકોચ ફટકારે છે. એમને ગૂગલ મા’રાજ પણ કામ આવે છે. એમને 'પિન્ટરેસ્ટ' વગેરે સોશ્યલ મીડિયા સર્વિસિસ, પિક્ચર્સ અને બેસ્ટ વર્ડ્ઝના તૈયાર મસાલા પૂરા પાડે છે. બાકી, 'તું મને બહુ ગમું છું, સાચ્ચું કહું છું'. 'તું પાસમાં હોઉં ત્યારે યાર મને એટલું સારું લાગે છે’… જેવાં સહજ વચનો જે અસર કરે તે ઊછીઉધારની ભાષાથી ન થાય, ભલે ને એમાં કવિતા ચળકતી હોય.

સમ્બન્ધોમાં બનાવટ ઝાઝું નભતી નથી. સ્વાર્થ સાધવા કોઈ અમસ્તુ જ લખ્યા કરતું હોય – સ્નેહાદરપૂર્વક – નતમસ્તક વન્દન. રૂબરૂ મળવાનું થાય ત્યારે મસ્તક થોડું ઊંચું રાખે ને પછી બળાત્ જરા સ્નેહ કે લગીર આદર.

પ્રેમથી મોટો કોઈ સ્વાર્થ નથી, એ સરળ પણ છે, કેમ કે એને સાધવો નથી પડતો. એ સ્વયં સધાઈ જાય છે. પ્રેમભંગ કે બ્રેક-અપના કારણોમાં હવે છેતરપિંડી બહુ થાય છે. કહ્યું હોય – ઍમબી બીઍસ, નીકળે ઍસઍસસી. કહ્યું હોય – યૂ આર ફર્સ્ટ, પણ થર્ડ સૅકન્ડ પછી આવ્યો હોય. સમ્બન્ધોની સચ્ચાઈ સમજાઈ જતી હોય છે – અંદર લાઈટ થાય છે.

કોઈ કશુંક હૃદયથી બોલીને ગાલે બચ્ચી કરી દે તો પછી ચુમ્બનની સગવડ આપોઆપ થઈ જાય છે. પૂછવું નથી પડતું – મે આઈ કિસ યૂ? થૅન્કસને બદલે બોલી પડાય છે – સારું લાગ્યું. જવાબમાં વૅલકમ ક્હૅવાની જરૂર નથી પડતી. બન્નેના પ્રસન્ન પુલકિત ચ્હૅરા જ બધું કહી દે છે. અને, આપણે યાદ રાખવું જોઈએ કે ભાષા તોડે-જોડે છે એમ સંતાડે પણ છે, સંતાડી કેમ શકાય એ પણ શીખવે છે. ‘આઈ લવ યૂ’ ક્હૅનારો કેટલીયને એમ કહ્યા-કારવ્યા પછી આવ્યો હોય છે, શુંયે ન કર્યું હોય …

પેલા ભાઈની માતૃભાષા ગુજરાતી હોય, બાઈ પણ એમ જ હોય, તેમ છતાં અંગ્રેજી !? ભાઈ તમિળ હોય તો જુદી વાત. બાઈ ઇટાલિયન હોય તો જુદી વાત.

પ્રેમ માતૃભાષામાં જ થાય એ વાત એમને કોણ સમજાવે. અસ્તિત્વનું પ્રમુખ માધ્યમ – મીડિયમ કે વ્હીકલ – ભાષા છે એ બીજી એટલા જ મહત્ત્વની વાત એમને કોણ સમજાવે.

આપણા વિચારો ચિત્તમાં જન્મે છે પણ એને આકાર આપે છે, ભાષા. અને ભાષા જન્મ આપે છે, કર્મોને. મન, વચન અને કર્મની એકતાનું ગાણું ગાયા કરવાને બદલે, હિતાવહ એ છે કે બધું ધ્યાન આપણે ભાષાને વિશે એકત્ર કરીએ.

જીવનયાત્રા આપણે ભાષાના રથે અસવાર થઈને ચલાવતા હોઈએ છીએ. એ રથના શબ્દ-અશ્વોને જોડીએ છીએ આપણે, ચલાવીએ છીએ પણ આપણે. આપણે જ રથી, આપણે જ સારથિ. માટે હમેશાં સજાગ અને સાવધાન રહેવાની જરૂર છે. નહિતર, સંભવ છે કે ગરબડ-ગોટાળા થાય ને જીવનયાત્રા આમતેમ થઈ ખોટકાઇને, ઊલળી પડે. 

= = =

(February 20. 2022)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ભારતને ‘ઘોડે’ ચઢાવનારા બજાજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 February 2022

રાહુલ બજાજની વાર્તાને ભારતની વાર્તા કહેવામાં અતિશયોક્તિ નથી. સ્વતંત્ર ભારત જ્યારે રાજકીય, સામાજિક, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યના મોરચે પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ કરી રહ્યું હતું, ત્યારે જે અમુક સ્વદેશી ઉદ્યોગપતિઓએ દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવામાં યોગદાન આપ્યું હતું, તેમાં એક નામ રાહુલ બજાજનું હતું.

લડાઈઓ માત્ર તલવારોથી જ નથી લડાતી. બ્રિટિશરો જ્યારે ભારતના ઔધોગિકરણ અને બિઝનેસ સમુદાય પ્રત્યે ઉપેક્ષા સેવતા હતા, ત્યારે ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓએ ઉદ્યોગ-ધંધાને સ્વાયત્ત બનાવાનું જ નહીં, સ્વાયતત્તાની ચળવળને આર્થિક ટેકો પૂરો પાડવાનું પણ નક્કી કર્યું હતું.

બ્રિટિશરોની તાકાત જ તેમના ઉદ્યોગો અને બિઝનેસ હતા. મહાત્મા ગાંધીએ એ તાકાતને તોડવા માટે જ વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી માલનો પ્રચાર શરૂ કર્યો હતો. એમાં ગાંધીજીની પડખે ઊભા રહેનારા ઉદ્યોગપતિઓમાંથી એક હતા જમનાલાલ કણીરામ બજાજ, રાહુલ બજાજના દાદા.

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા, ત્યારે જમનાલાલ બજાજને તેમના વિચારોમાં રસ પડી ગયેલો અને સ્વતંત્રતા ચળવળના કેન્દ્ર તરીકે વર્ધામાં ૨૦ એકર જમીન ગાંધીજીને દાન કરી હતી. ગાંધીજી એટલે જ જમનાલાલને તેમના પાંચમા પુત્ર ગણતા હતા. જમનાલાલે ૧૭ વર્ષની ઉંમરે કોટનના ધંધાથી શરૂઆત કરી હતી. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે બજાજ કંપનીનું ૧ કરોડનું સેલ્સ હતું અને મિલોમાં ૨૦૦ કર્મચારીઓ હતા. તે વખતે, જમનાલાલના મોટા દીકરા (રાહુલ બજાજના પિતા) કમલનારાયણ બજાજે કંપનીનું સુકાન સંભાળ્યું હતું.

ભારતને આઝાદી મળી ત્યારે રાહુલ બજાજની ઉમર નવ વર્ષની હતી. તે દિવસે તેમને દાદા જમનાલાલની ખોટ સાલી હશે. મહાત્મા ગાંધી ભારતને આઝાદ જોવા ઇચ્છતા હતા, અને જમનાલાલ ભારતને આર્થિક રીતે મજબૂત જોવા ઇચ્છતા હતા. રાહુલ બજાજને એ સપનું વારસામાં મળ્યું હતું. ૧૯૭૨માં પિતાનું અવસાન થયું, ત્યારે કંપનીનું સેલ્સ ૭૬.૨૪ કરોડનું અને નફો ૮.૪૧ કરોડનો હતો.

બજાજ સમૂહનો એ ચઢતો સૂરજ હતો. બજાજ ત્યાં સુધીમાં કોટન ટ્રેડીંગ કંપનીમાંથી સ્કૂટર, ઈન્સ્યોરન્સ અને ફાયનાન્સ સમૂહ બની ગઈ હતી. આજે તો ૩૪ કંપનીઓનો બજાજ સમૂહ ઇલેક્ટ્રિકલ્સથી લઈને સ્ટીલ, ટ્રાવેલ્સ અને ઓટોમોબાઇલમાં ધંધો કરે છે, પણ એક જમાનામાં તેનું નામ ઘેર-ઘેર સ્કૂટર નિર્માતા તરીકે જાણીતું હતું. ભારતને સ્કૂટર પર ફરતું કર્યું જ રાહુલ બજાજે. કંપનીએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બનાવવા માટે ૧૯૫૯માં ભારત સરકાર પાસેથી લાઈસેન્સ મેળવ્યું હતું.

૧૯૬૧માં કંપનીએ ટુ-વ્હીલર બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૨માં તેનું સૌથી પ્રસિદ્ધ ચેતક સ્કૂટર આવ્યું. સ્વતંત્ર ભારતની અનેક સફળ વાર્તાઓ છે. તેમાંથી એક આ ચેતક. તેની એડવર્ડટાઈઝ લાઈનમાં જ ભારતની વાર્તા હતી : બુલંદ ભારત કી બુલંદ તસ્વીર … હમારા બજાજ! ૧૯૭૦ના દાયકાનું ભારત આજના કરતાં અલગ હતું. આજે કોઈને અંદાજ ન આવે કે તે જમાનામાં બજાજ સ્કૂટર હોવું એ સ્ટેટ્સ સિમ્બલ હતું. આજે હસવું આવે, પણ ત્યારે પૂરા ભારતમાં ત્યારે મોટા ભાગના લગ્નોમાં છોકરીઓ દહેજમાં ચેતક સ્કૂટર લઈને આવતી હતી. વિવાહ નક્કી થાય એટલે છોકરીનો પરિવાર પહેલું કામ ચેતકનું બુકિંગ કરાવાનું કરતો કરતો હતો.

લાઈસેન્સની શરતના કારણે, સ્કૂટરનું ઉત્પાદન વર્ષે ૨૦,૦૦૦ યુનિટ પર અટકાવી દેવામાં આવ્યું હતું, પરિણામે એક વર્ષ સુધી સ્કૂટરનું વેઈટિંગ સામાન્ય ગણાતું હતું. સ્કૂટરની ડિલીવરી પ્રમાણે લગ્નોની તારીખ નક્કી થતી. ઘણા લોકો તો દસ વર્ષ સુધી રાહ જોવા તૈયાર હતા એટલી ચેતકની ડિમાન્ડ હતી. જે રાહ જોવા માંગતા નહોતા તે બ્લેક માર્કેટમાં પૈસા આપીને (તેને ‘ઓન’ કહેવાતું) સ્કૂટર મેળવતા હતા.

મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ ઘોડાના નામ પરથી શરૂ કરાયેલું ચેતક સ્કૂટર દેશનું તો પ્રિય સ્કૂટર હતું જ, રાહુલ બજાજના દિલની કરીબ પણ હતું. તેમણે ઇટાલિયન પિઆગીઓ સ્કૂટરને ભારતમાં બનાવવાનું લાઈસન્સ લીધું હતું, પણ એ રિન્યુ ન થયું એટલે દાઝમાં આવીને ચેતક શરૂ કર્યું હતું. આમિર ખાનની ‘3 ઈડિયટ્સ’ ફિલ્મને ટાંકીને એકવાર બજાજે કહ્યું હતું, “જુસ્સો ન હોય, પેટમાં આગ ન હોય, તો ટોચ પર ન જવાય.”

ભારતમાં સ્કૂટરનું બજાર બદલાઈ ગયું અને જાપાનીઝ મોટરબાઈક્સનો જમાનો આવ્યો, ત્યારે એવી જ આગ રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજના પેટમાં લાગી હતી. રાજીવ બજાજનો મત હતો કે ચેતક આઉટડેટેડ થઇ ગયું છે અને નવી પેઢીને મોટરબાઈક ચલાવવામાં રસ છે. તેને લઈને પિતા-પુત્ર વચ્ચે મતભેદ પણ થયા હતા. ‘મનીકંટ્રોલ’ નામના પોર્ટલમાં આ સંબંધમાં એક રસપ્રદ કિસ્સો છે:

૨૦૧૮માં, શેરહોલ્ડરોની મીટિંગમાં રાજીવ બજાજે કહ્યું હતું, “મારા અમુક સહયોગીઓએ મને કહ્યું હતું કે હું જો સ્કૂટર બનાવીશ તો કદાચ તેઓ (રાહુલ બજાજ) નિવૃત્તિનું વિચારશે. આજે એવો વિશેષ દિવસ છે કે આપણે મૂરખ જેવું સો સી.સી.નું સ્કૂટર ના બનાવવું જોઈએ. મને લાગે છે કે આપણે બે પૈંડા પર રોલ્સ-રોયસ જેવું એક એવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ જે દુનિયામાં ક્યાં ય ન હોય.”

રાજીવ : “આપણે આવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ?”

શેરહોલ્ડર્સ: “યેસ.”

રાજીવ : “અને આપણે જો એવું સ્કૂટર બનાવીએ, તો મારા પિતાએ નિવૃત થવું જોઈએ?”

શેરહોલ્ડર્સ : “ના.”

રાજીવ : “મને એ ખબર છે.”

આજે સિનિયર બજાજ જીવનમાંથી જ નિવૃત થઈને ભગવાન માટે સ્કૂટર બનાવવા જતા રહ્યા છે!

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,5871,5881,5891,590...1,6001,6101,620...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved