Opinion Magazine
Number of visits: 9745667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—142

દીપક મહેતા|Opinion - Opinion|23 April 2022

ભાંગ વાડી ભાંગી અને એની જગ્યાએ ઊભું થયું શોપિંગ સેન્ટર

જ્યારે માલિકો નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા

એક જમાનામાં ભાંગનો નશો કરવા બંધાણીઓ ભાંગ વાડી જતા. પછી નાટકના ઘેલાણીઓ ભાંગ વાડી જતા. આજે હવે શોપિંગના હેવાયા સહેલાણીઓ ત્યાં જાય છે! ખીલે તે કરમાય છે એ તો કુદરતી રીત છે. પણ પ્રિન્સેસ થિયેટર કુદરતી રીતે કરમાયું નહોતું. ૧૯૭૯ની શરૂઆતમાં એ થિયેટર અને દેશી નાટક સમાજના માલિક અને કંપનીના પગારદાર નોકરો વચ્ચે ઝગડો થયો. વ્યવસાયી રંગભૂમિના મોટા ભાગના લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારો, વગેરે જે-તે કંપનીના પગારદાર નોકરો રહેતા. ‘વડીલોના વાંકે’ની પાંચમી નાઈટે જ હરગોવિંદદાસ શેઠનું અવસાન થયા પછી ‘દેશી’નું સુકાન સંભાળ્યું તેમનાં પત્ની ઉત્તમલક્ષ્મીબહેને. તેમના હાથ નીચે વહીવટકારો હતા, બીજા સલાહકારો પણ હતા. ઝગડામાં કોણ સાચું હતું, કોણ નહિ એમાં નહિ પડીએ. પણ બંને બાજુ મક્કમ હતી. પગારદાર નોકરોએ હડતાલ પાડી. સમાધાનના પ્રયત્નો નિષ્ફળ ગયા. કંપનીના માલિકોએ પ્રિન્સેસ થિયેટરને તાળાં માર્યાં. ઘણો લાંબો વખત બંધ રાખ્યા પછી છેવટે થિયેટર અને તેની આસપાસની બધી જગ્યા માલિકોએ વેચી નાખી. થિયેટરનું મકાન જમીનદોસ્ત થયું. ભાંગ વાડી ભાંગી, અને એની રાખમાંથી ઊભું થયું શોપિંગ સેન્ટર.

શ્રી દેશી નાટક સમાજનાં છેલ્લાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન

આપણી જૂની રંગભૂમિ વિષે વાત કરતી વખતે મોટે ભાગે તેને સોનેરી-રૂપેરી રંગે ચિતરવામાં આવે છે. પણ તેની બીજી બાજુ પણ હતી. અને આ બીજી બાજુ માત્ર ‘દેશી’ને જ હતી એવું નહોતું. ઘણી ખરી નાટક કંપનીઓને હતી. મોટા ભાગના કલાકારો કંપનીના નોકર હોવાથી, માલિકો તેમના પર જાત જાતનાં બંધન લાદતા. માલિક નચાવે તેમ નાચવું પડતું. ગેરવાજબી શરતોવાળા કરારો પર સહી કરી આપવી પડતી નોકરોએ. આખેઆખું નાટક ભાગ્યે જ છપાતું. જેથી બીજી કોઈ નાટક કંપની એ ભજવે નહિ. પરિણામે નાટકો ભજવાયાં સેંકડો, પણ આજે આપણને વાંચવા મળે છે બહુ ઓછાં. મરાઠી અને ગુજરાતી, બંને રંગભૂમિ મુંબઈમાં પાંગરી, લગભગ સાથોસાથ. મરાઠી નાટકના પહેલા પ્રયોગના દિવસે આખેઆખું છાપેલું નાટક પ્રેક્ષકો ખરીદી શકે. પણ આ વાત આપણી રંગભૂમિએ ક્યારે ય અપનાવી નહિ.

નાટકનાં પાત્રો, સંવાદો, ગીતો, કથાવસ્તુ વગેરેમાં માલિકો મન ફાવે તેવા ફેરફારો કરાવતા. એકે લખેલા નાટકનાં ગીતો લખવાની ફરજ બીજાને પાડતા અને તે માટે ઘણીવાર ગીતકારને ક્રેડિટ સુધ્ધાં અપાતી નહિ. તો બીજી કોઈ કંપનીનું નાટક ખૂબ લોકપ્રિય થાય તો એવી જ કથા કે એવું નામ ધરાવતું નાટક રાતોરાત લખાવી રજૂ કરતા. આથી જ લગભગ સરખાં નામવાળાં નાટકોની જુદી જુદી કંપનીની ઓપેરા બુક આજે આપણને જોવા મળે છે. અને જો નાટક કોઈ પૌરાણિક કે ઐતિહાસિક કથા રજૂ કરતું હોય તો તો પાત્રો-પ્રસંગો વગેરે પણ બદલવાની જરૂર નહિ. ફક્ત સંવાદો અને ગીતોની ભાષા બદલી નાખી એટલે બસ. નાટકો જોઇને પ્રેક્ષકો ખુશ. નાટકોની કમાણી જોઈ માલિકો ખુશ. પણ નાટકના પ્રાણ જેવા પગારદાર લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારોનું શુ? મોટે ભાગે તો પેટિયું રળવા ખાતર બધું સહન કરી લે.

ભાંગતું ભાંગ વાડી

આપણી ભાષાના એકમાત્ર નાટ્યપુરુષ ચંદ્રવદન મહેતા શું કહે છે? “એક વાત દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. કરોડો રૂપિયાની કમાઈ કરનારી નાટક મંડળીઓ અટવાઈ કેમ ગઈ? જાહોજલાલીની ટોચે ચડેલી રંગભૂમિ ખોરવાઈ ક્યાં ગઈ? માલિકોની એકહથ્થુ સત્તા અને હદ ઉપરાંતનો ગુજરાતની નસમાં ઘૂમતો સટ્ટો. આ સત્તા અને સટ્ટાએ રંગભૂમિનું નખ્ખોદ વાળ્યું. સાથે કવિ-લેખકોને હાથે બેડી બાંધી, પટારે બાંધ્યો, લેખકનું સ્થાન, સરસ્વતીના ઉપાસક નાટકકારનું સ્થાન ગૌણ જ રાખ્યું. અને યાવતચંદ્રદીવાકરૌ સુધી ગૌણ જ રહે એ માટે જ હંમેશાં ઉપાયો શોધતા રહ્યા.”

રઘુનાથ બ્રહ્મભટ્ટ એટલે આપણી જૂની રંગભૂમિનું એક જાજરમાન નામ. એમનું ‘બુદ્ધદેવ’ નાટક લખાયું ૧૯૧૩માં, અને પહેલી વાર ભજવાયું ૧૯૧૪ના ઓગસ્ટના બીજા અઠવાડિયામાં. એ વખતની ખૂબ જાણીતી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ મુંબઈના કોટ વિસ્તારમાં આવેલા એમ્પાયર થિયેટરમાં ભજવ્યું. ઘણું વખણાયું. પણ ક્યાં ય નાટકના લેખકના નામનો ઉલ્લેખ સરખો નહિ! બે આનાની ઓપેરા બુક પર માત્ર નાટક મંડળીનું નામ! મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાનું નામ, રઘુનાથભાઈનું નહિ! એટલું જ નહિ, નાટક પૂરું થયા પછી માલિક બેક સ્ટેજ પર ગયા અને નાના મોટા સૌને સફળતા માટે અભિનંદન આપ્યાં, પણ રઘુનાથભાઈની તો સામે પણ ન જોયું! એમની આંખમાં આંસુ. કંપનીના મેનેજર ઓધવજીભાઈએ એ જોયું. ‘કવિ, કેમ ઉદાસ છો?’ ‘મૂળજીભાઈએ તો મારી સાથે વાત પણ ન કરી!’ મેનેજર કહે : ‘કવિરાજ. નાટક કંપનીના માલિકોને ઓળખવા મુશ્કેલ છે. તમે વધારે પૈસા માગો કે બીજું નાટક લખવાની ના પાડો એટલે તમને સીધા દોર રાખવા માટે તમારી સાથે બે-એક મહિના આવું જ વર્તન રહેશે.” અને કોઈ પૂછે તો માલિક વાત એવી રીતે કરે કે જાણે લેખકની આબરૂ બચાવવા જ તેનું નામ છાપ્યું નથી. ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ‘બુદ્ધદેવ’ની પહેલી નાઈટે નાટક જોવા આવેલા .. તેમણે માલિક મૂળજીભાઈને ઓપેરા બૂક બતાવી લેખકના નામ અંગે પૂછ્યું. માલિક કહે : ‘લેખક નવા છે. કદાચ નિષ્ફળતા મળે ને નામ બગડે એથી મેં એમનું નામ નથી છાપ્યું!’ અને આ કાંઈ રડ્યોખડ્યો દાખલો નથી. મોટા ભાગના માલિકો નાટકમાંથી નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા. બીજું નાટક શ્રુંગીઋષિ પણ ખૂબ સફળ. પણ શાબાશી આપવાને બદલે મૂળજીભાઈએ કહ્યું : “તમને જે પ્રતિષ્ઠા મળી તે મારી કંપનીને લીધે. બીજી કંપનીમાં જઈ સફળ નાટક લખી-ભજવી બતાવો તો ખરા કહું.’ રઘુનાથભાઈએ રોકડું પરખાવ્યું : ‘છ મહિનામાં બીજી કંપનીમાં નાટક લખી, ભજવી દેખાડીશ. નહિતર રંગભૂમિને છેલ્લી સલામ.’ સૂર્યકુમારી નાટક લખ્યું, આર્ય નૈતિક નાટક સમાજે ભજવ્યું, બે અઠવાડિયાંમાં તો સૂર્યકુમારીનાં ગીતો ઘેર ઘેર ગુંજવા લાગ્યાં.

જૂનું એમ્પાયર થિયેટર

૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી ગાંધીજી થોડા દિવસ મુંબઈ રોકાયા હતા. તે વખતે જાન્યુઆરીની દસમીએ મૂળજી આશારામે ગાંધીજી માટે સત્કાર સમારંભ યોજ્યો હતો ત્યારે તેમણે એમ્પાયર થિયેટરમાં ‘બુદ્ધદેવ’ નાટકનાં થોડાં દૃશ્યો જોયાં હતાં. ૧૯૭૯માં પુસ્તકરૂપે પ્રગટ થયેલા ‘બુદ્ધદેવ’ની પ્રસ્તાવનામાં રઘુનાથભાઈ ગાંધીજીનું આ વાક્ય ટાંકે છે : “આ નાટક મારા અહિંસાના પ્રચારને વેગ આપશે.” પણ અગાઉ ૧૯૫૫માં પ્રગટ થયેલ આત્મકથા ‘સ્મરણ મંજરી’માં રઘુનાથભાઈ આ કે આવું બીજું કોઈ વાક્ય ટાંકતા નથી. બલકે નાટક કંપનીના માલિકને ઉદ્દેશીને બોલાયેલું ગાંધીજીનું વાક્ય ટાંકે છે : “મૂળજીભાઈ! મોરબીના બ્રાહ્મણ થઈ આ અધમ ધંધો આદર્યો? બીજો કોઈ ધંધો ન મળ્યો?” કિશોર વયમાં ‘હરિશ્ચન્દ્ર’ નાટક જોઈને ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આત્મકથામાં ગાંધીજી લખે છે : એ નાટક જોતાં હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ જ ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કર્યા પછી, દક્ષિણ આફ્રિકામાં જાતજાતના અનુભવો મેળવ્યા પછી નાટકને ‘અધમ ધંધો’ કહે એ વાત માનવી અઘરી છે. લોકમાન્ય ટીળકે ૧૯૧૭માં આ નાટક સુરતમાં જોયું ત્યારે ભાષણ કરતાં કહ્યું હતું : “હું ગુજરાતી બહુ સમજતો નથી, છતાં લોકો એમાં જે રીતે રસ લઈ રહ્યા છે એ જોતાં પ્રયોગ સરસ લખાયો છે ને ગીત-સંગીત કર્ણપ્રિય છે.” લેખક તરીકે રઘુનાથભાઈના નામ સાથે ‘બુદ્ધદેવ’ નાટક પહેલી વાર પ્રગટ થયું છેક ૧૯૭૯ના જાન્યુઆરીમાં! નાટ્યાયચાર્ય ચંદ્રવદનભાઈ એ વખતે ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. એટલે એ સભાએ છાપ્યું. – ગુજરાતી રંગભૂમિને સવા સો વરસ પૂરાં થયાં એ નિમિત્તે.

રઘુનાથભાઈનો જન્મ ૧૮૯૨ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગુજરાતના મહેસાણા જિલ્લાના લીંચ નામના ગામડામાં. ૧૯૮૭ના જુલાઈની ૧૧મી તારીખે ૯૨ વરસની વયે અવસાન. કારકિર્દીની શરૂઆત એક ડોકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે. મહિનાનો પગાર આઠ રૂપિયા. નડિયાદમાં ઉર્દૂ નાટક ‘શીરીંફરહાદ’ જોયું. એ જ દિવસે નક્કી કરી નાખ્યું : ‘હું પણ ગીતો લખીશ, નાટકો લખીશ.’ અને લખ્યું ‘બુદ્ધદેવ,’ ૪૫ ગીતો સાથે! એ વખતે રઘુનાથની ઉંમર સત્તર વરસની. એ જ નાટક તેમને લઈ આવ્યું મુંબઈ. ૧૯૧૩થી ૧૯૬૦ સુધીમાં કુલ ૧૯ નાટક લખ્યાં. તેમાંનાં કેટલાંક : શ્રુંગીઋષિ, સૂર્યકુમારી, છત્રવિજય, સ્નેહમુદ્રા, અમર કીર્તિ, જય સોમનાથ (ગીત-નાટ્ય), સરસ્વતીચંદ્ર, કાન્તા, કલ્યાણરાજ. ઉપરાંત બીજા લેખકોએ લખેલાં પચાસ કરતાં વધુ નાટકો માટે ગીત લખ્યાં. ૧૩ જેટલાં નાટકોમાં અમુક પ્રવેશો પણ લખ્યા. તેમનાં નાટકો, ગીતોની ૩૫૦ જેટલી ગ્રામોફોન રેકોર્ડ બહાર પડેલી.

આપણા અગ્રણી સર્જક સુરેશ દલાલે રઘુનાથભાઈ વિષે લખ્યું છે : “સ્વભાવે રાજવી હતા. ખાવાપીવાના શોખીન. ફૂલોનું અજબ આકર્ષણ. ઉદાર એટલી હદે કે સાયલાના રાજાએ એમને હીરાની વીંટી આપી હતી અને ગામના ગોરને ગમી ગઈ તો એ હીરાની વીંટી એમને આપી દીધી. કશાનો પરિગ્રહ જ નહિ. લખવું અને જીવવું, જીવવું અને લખવું. પોતાનાં ઘણાં ગીતોની તરજ પોતે જ બાંધતા. સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન એટલું ઊંડું કે શરીરમાં સોય ભોંકો તો લોહીને બદલે સંસ્કૃત શ્લોકો નીકળે. રસકવિ રઘુનાથ માનતા કે કોઈ પ્રજાને નષ્ટ કરવી હોય તો એની ભાષાને ભૂંસી નાખો. સંસ્કૃતિ આપોઆપ વિલીન થઇ જશે. આવા માણસો અવારનવાર નથી મળતા, અને એટલે જ પ્રજાએ એમને ‘રસકવિ’ કહીને બિરદાવ્યા હતા તે યોગ્ય જ હતું.”

ચીમનલાલ ત્રિવેદીનું લખેલું નાટક ‘નસીબદાર’ ૧૯૩૯માં ભજવાયું હતું. તેનાં ગીતો રઘુનાથભાઈએ લખેલાં. અંધ ગાયક કે.સી. ડેને કંઠે ગવાતું ગીત ‘મૂરખા કાં અંધારું ઘોર?’ એ વખતે ખૂબ લોકપ્રિય થયેલું. તેમાં બે પંક્તિ હતી :

કોઈનું ઘડતર, કોઈનું ચણતર, કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, જાગ જગ મરજીવા.

જૂની ગુજરાતી રંગભૂમિની સ્થિતિ પણ અમુક અંશે આવી જ હતી. પરસેવો કોઈ પાડે અને ચણતરનો જશ મળે બીજા કોઈને. એના ઘડતર અને ચણતર અંગેની એક-બે ગૂંચની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 એપ્રિલ 2022

Loading

મીડિયા-પોલિટિક્સમાં સહભાગિતાથી સાક્ષી સુધીની શૌરીની સફર …

કિરણ કાપુરે|Opinion - Opinion|23 April 2022

પત્રકાર અને લેખક તરીકે જાણીતા અરુણ શૌરીને આટલી જ ઓળખથી સમેટીએ તો તેમનું પૂરું વ્યક્તિત્વ ન આલેખી શકાય. અરુણ શૌરી તદ્ઉપરાંત ‘વર્લ્ડ બેન્ક’ના અર્થશાસ્ત્રી રહ્યા છે અને દેશના આયોજન પંચના સલાહકારની ભૂમિકા પણ રહ્યા. ‘એન.ડી.એ.’ની સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહ્યા. વાજપેયીની મિનિસ્ટ્રીમાં તેમનો ઠીકઠાક ગજ વાગતો હતો. અરુણ શૌરીની ઓળખમાં તેમને મળેલાં સન્માન ‘રોમન મેગ્સેસે એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ પણ મૂકી શકાય. લાંબી કારકિર્દી દરમિયાન તેમનું જીવન ઘટનાપ્રચૂર રહ્યું છે અને તેઓ દેશના છેલ્લા પાંચ દાયકાના ઇતિહાસને સારી રીતે જાણે-સમજે છે. આ ઇતિહાસમાંથી કેટલાંક પાનાંને તેઓએ શબ્દબદ્ધ કર્યો છે અને હાલમાં તેમનું તે પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ કમિશનર ફોર લોસ્ટ કોસિઝ’. રાજકીય જગતમાં આ પુસ્તકની સારી એવી ચર્ચા થઈ રહી છે; કારણ કે વર્તમાન સરકાર, આર.એસ.એસ. અને નરેન્દ્ર મોદી વિશે તેઓએ કેટલીક આકરી વાતો કહી છે. આ સિવાય પણ દેશની અગત્યની ઘટનાઓનું નિરૂપણ આ દળદાર પુસ્તકમાં લેખકે કર્યું છે. અરુણ શૌરીએ જે વાતો પુસ્તકમાં અને પુસ્તક સંદર્ભે હાલમાં મીડિયામાં કરી છે તેમાંથી કેટલીક ધ્યાને લેવા જેવી છે.

આ પુસ્તક સંદર્ભે અરુણ શૌરીની વિસ્તૃત મુલાકાત ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા લેવામાં આવી છે અને તેમાં એક પ્રશ્ન છે કે, ‘તમે રાહુલ ગાંધીને અને કૉંગ્રેસને કેવી રીતે જુઓ છો? ત્યાં કશુંક ગરબડ છે કે પછી ભા.જ.પે. સફળતાથી તેમની છબિ ખરડી છે?’ જવાબમાં શૌરી કહે છે : “હું રાહુલ ગાંધીને ઓળખતો નથી, પરંતુ તે વર્તમાન સરકાર સામે હવે સાચા મુદ્દા ઉપાડી રહ્યા છે. તે જ્યારે જાહેર જીવનમાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી આ અપેક્ષા રાખી નહોતી. તેમણે પોતાની જાતને સોશિયલ મીડિયા સુધી સીમિત રાખી છે અને તેમની પાસે લોકોનો સમૂહ નથી, પરંતુ તેઓ અત્યારે સ્થાનિક આગેવાનો કરતાં પણ સારી રીતે મુદ્દાઓને અવાજ આપે છે. મારા ખ્યાલથી તેઓએ પક્ષના પ્રવક્તા હોવાં જોઈએ ન કે જેઓ પક્ષને ચલાવે છે તે.” તે પછી આગળ તેઓ કહે છે : “મોદી ચોવીસ કલાક સાતે દિવસના નેતા છે. તેઓએ હંમેશાં સંગઠન માટે સમય ફાળવ્યો છે અને પક્ષના કાર્યકરોને સાંભળ્યા છે. કૉંગ્રેસી કાર્યકર્તાઓની હરેક વખતે એ ફરિયાદ હોય છે કે આગેવાનો તેમને સમય આપતા નથી. કૉંગ્રેસનો પ્રશ્ન તેમની વિચારધારા કે જી-23નું ગ્રૂપ નથી. એ વાસ્તવિકતા છે કે તેમની કેડર આજે ખલાસ થઈ ચૂકી છે. એટલે જ મોદી હવે ‘આમ આદમી પાર્ટી’ સિવાય અન્ય કોઈની પરવા કરતા નથી. કારણ કે તેમની પાસે સ્વયંભૂ રીતે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. મને યાદ છે હું 2013માં અમદાવાદમાં હતો ત્યારે કેજરીવાલને કોઈ ઓળખતા નહોતા. એ વખતે પણ મોદી કેજરીવાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. તેમણે જ આઈ.ટી.ના નિષ્ણાત રાજેશ જૈનને ‘આપ’ની કેમ્પેઇન મેથડના અભ્યાસ અર્થે દિલ્હી બોલાવ્યા હતા. મોદીને એ માલૂમ થઈ ચૂક્યું હતું કે આપની ડોર ટુ ડોર પદ્ધતિનો પૂરતો અભ્યાસ થવો જોઈએ. મને લાગે છે ત્યાં સુધી ‘આપ’ હિમાચલ પ્રદેશમાં પણ સરકાર બનાવવા જઈ રહ્યું છે. હરિયાણામાં પણ તેમની સ્થિતિ બહેતર હશે અને જો ગુજરાતમાં આપ 15 બેઠકો પણ મેળતે તો તેમના માટે તે જીત હશે.”

શૌરીના આટલા શબ્દોમાં દેશના મુખ્ય પક્ષોનું એનાલિસિસ છે. ભા.જ.પ. કેમ સારી રીતે ચૂંટણીમાં દેખાવ કરે છે તેનું કારણ તેમણે મોદીની પદ્ધતિમાં દાખવ્યું છે. આ પછી તેમને એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે કે ‘તેમને ભા.જ.પ.માં જોડાવવાનો ક્યારે ય અફસોસ થયો છે? ભા.જ.પ.માં આજે જે થઈ રહ્યું છે તે તેના નિર્માણકાળ દરમિયાન નહોતું?’ આ વિશે અરુણ શૌરી કહે છે : “વાજપેયી હતા ત્યાં સુધી તો નહીં. આને મારી દૃષ્ટિહિનતા કહી શકાય, પરંતુ મારું ધ્યાન તેમના પર કેન્દ્રિત રાખતો અને સાથે મારા કામ પ્રત્યે. વિવાદાસ્પદ મુદ્દા સાથે ઉકેલ લાવવાની તેમની પોતાની એક શૈલી હતી. મને યાદ છે અમે કુઆલુમ્પરમાં ‘નોન એલાયમેન્ટ સમિટ’ અર્થે ગયા હતા. હું ત્યારે તેમના મંત્રાલયમાં હતો. એ વખતે તેમને શ્રીલંકના આગેવાનોને મળવાનું હતું. તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ થઈ અને કોઈએ તેમને અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા થઈ રહેલી શિવપૂજા વિશે પ્રશ્ન કર્યો. ત્યારે અટલજીએ સહજતાથી કહ્યું : ‘અયોધ્યાવાલોં સે હમ દિલ્લી જાકર મિલેંગે. અભી હમ લંકાવાલોં સે મિલને જા રહે હૈ.’” એ રહી ખૂબ સહજતાથી પૂરા મુદ્દાને હળવાશથી લીધો.

‘તમે હાલના માહોલને કેવી રીતે જુઓ છો અને તમને એવું લાગે છે કે બે જુદી જુદી વિચારધારા ધરાવનારાં લોકો વચ્ચે સંવાદ થઈ શકે છે?’ આ પ્રશ્નનો જવાબ શૌરી આપે છે : “આ પૂરી પદ્ધતિ ટોચના લોકોએ વિકસાવી છે કે જો તમે મારા પગને તળિયે નથી તો તમે મારા દુ:શ્મન છો. આ બધું સોશિયલ મીડિયાનું તરકટ છે જેનું સંચાલન ટોચથી થાય છે. આ જ હાલના ધ્રુવીકરણ તરફ લઈ જાય છે. કેમ મિત્રતા નથી જાળવી શકાતી. કેમ તમારી મિત્રતાને ગુમાવો છો? એકબીજા સમક્ષ જુદા વિચાર અભિવ્યક્ત કરીશું તો કશું ય બદલાવાનું નથી. તો તે કેમ આપણાં જીવનમાં આટલું અગત્યનું બની ગયું છે. સરકારની ડિઝાઈન મુજબ જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે તે આપણી હાર છે. બીજું સૌથી અગત્યનું કે કોઈને લેબલ ન લગાવવું. હું એવું કશું ય તપાસવા માંગતો નથી. સમાજમાં આ તપાસ હવે તે સર્વવ્યાપી થઈ ગઈ છે કે હું મોદી વિરોધી છું કે તેમના પક્ષમાં.”

તે પછી પણ વર્તમાન સમયને લઈને પ્રશ્ન હતો જેમાં શૌરીને પૂછાય છે કે ‘શું તમને એવું લાગે છે કે બહુમતિની અસુરક્ષિતા વિશે વાત નથી થતી તે માટે મીડિયા દોષી છે? અને તે જ મુખ્ય કારણ છે કે ભા.જ.પ. તે માટે સારી દેખાવ કરે છે?’ ઉત્તર : “હા. કોઈ પણ મુખ્યધારાના મીડિયા કે શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આર.એસ.એસ.નું પાયાનું સાહિત્ય જોયું નથી. આપણાની અવગણના કારણે જ આજનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આજે જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને આપણને નવાઈ લાગે છે પણ તેઓ હંમેશાંથી એ કહેતા આવ્યા છે કે, ‘હમ જો કહેતે હૈ વોહી કરતે હૈ.”

“બીજી વાત એ કે તેઓએ લોકોને એકઠા કર્યા તે વાતને આપણે જરા સરખું પણ મહત્ત્વ ન આપ્યું. આપણે એક નાના વર્તુળમાં વાત કરતા રહ્યા અને આર.એસ.એસ. 1940થી સાધુના જૂથને પણ એકઠાં કરવામાં લાગેલું રહ્યું. તેઓ સમાજમાં અસરકર્તા પરિબળ બન્યા પણ આપણે ક્યારે ય તેમના સુધી ન પહોંચ્યા. અને તેથી હાલની સ્થિતિ નિર્માણ પામી છે.”

અરુણ શૌરી પાસે અનેક રસપ્રદ વાતો છે, જેમાં તેઓ પાત્ર રહ્યા, કાં તો તે ઘટના ખૂબ નજીકથી જોઈ હોય. પત્રકારત્વ અને રાજકારણના તેમના અનુભવોને તેમણે જીવનની અનેક ઘટનાઓને મૂકી આપી છે. તેમાંની એક છે અશ્વિન સારી નામના યુવાન રિપોર્ટરની. અશ્વિન સારી અરુણ શૌરીની દિલ્હીની ટીમમાં રિપોર્ટર તરીકે કામ કરતો. જેમ કે તિહાર જેલમાં સ્થિતિ બદતર છે તેઓ તેને ખ્યાલ આવ્યો ત્યારે તે પોતે દારૂના નશામાં પકડાયો અને તિહાર જેલમાં પહોંચ્યો. તે જ્યારે જેલમાં હતો ત્યારે તેણે જેલની સ્થિતિ અને અન્ય માહિતી મેળવી. આ દરમિયાન તેણે જોયું કે જેલમાં આસાનીથી ડ્રગ્સ લાવવામાં આવે છે. આ વિશે તેણે રિપોર્ટીંગ સ્ટોરી કરી અને વાચકોને તે સ્ટોરીને ખૂબ બિરદાવી. આવી અનેક સ્ટોરીની સાથે તેઓ સંકળાયેલા રહ્યા. જો કે અરુણ શૌરીના આ અનુભવ ગોદી મીડિયાના જન્મ પહેલાંના છે, જ્યારે ખરું પત્રકારત્વ થતું અને વાચકો તેને આવકરતા ખરાં.

e.mail : kirankapure@gmail.com

Loading

ડૂમો

બીજલ જગડ|Poetry|22 April 2022

ફાટી ફાટી આંખ ને કંઠે ય ડૂમો
કાળજે મૌન પાંપણે લચકે ડૂમો.

પ્હાડે પ્હાડે ઝરણ ને કંઠે ય ડૂમો,
વાર્તા કરે વાદળ એના વાયરે ડૂમો

ભીની ભીની છાતી કંઠે ય ડૂમો,
કેક્ દરિયા પીધા ધોધની ધારે ડૂમો.

ટીપે ટીપે ડૂબે દુષ્કાળ કંઠે ય ડૂમો,
તરવા નીસર્યા ખાબોચિયાંની ઠાઠે ડૂમો.

યાતાયાત લથબથ કંઠે ય ડૂમો,
ભડભડ કાળું એકાંત રૂંવે રૂંવે ડૂમો.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,5851,5861,5871,588...1,6001,6101,620...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved