Opinion Magazine
Number of visits: 9674076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌથી મોટો પ્રશ્ન …!

કેતન રુપેરા|Opinion - Opinion|31 March 2022

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના ચૂંટણીકીય રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે.

પીકે કહેતાં, પ્રશાંત કિશોર નમ્ર છે, સૌમ્ય છે. સટીક છે, સંમોહક છે. દરેક પ્રશ્નના એમની પાસે ગળે ઉતરે એવા જવાબ છે અને દરેક જવાબના ટેકામાં એમની પાસે ઓછામાં ઓછા છેલ્લાં ૧૫ વર્ષના ડેટાની બૌછાર છે. જનતા જનાર્દનને આનંદમય કરી દે એવાં સૂત્રો એમની પાસેથી મળી રહે છે અને વર્ષોથી જમીની-કાર્ય કરતાં (અથવા કરવાનો દેખાવ કરતાં) કાર્યકરો એમના તરફથી મળતાં સૂચનો મુજબ વર્તવામાં નાનમ અનુભવવાનું છોડી શકે છે.

ચૂંટણી આવે છે, પરિણામ જાહેર થાય છે. પીકે કહેતાં, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટનાં સૂત્રો અને ગીતો રંગ લાવે છે. જે પક્ષને પોતે અને પોતાની ટીમે પરામર્શન કર્યું છે એ પક્ષની જીત થાય છે. વળી, આવું એક વાર નહીં એકથી વધુ વાર થાય છે. ’૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જેમ, ૧૦માંથી એકાદ બે મેચ હારે તો ય “ઠીક છે હવે”, એમ એમણે કન્સલ્ટન્સી પૂરી પાડેલો પક્ષ એકાદ વખત હારી પણ જાય, તો ય પ્રશાંત કિશોરનો દબદબો જારી રહે છે. (વારુ, પીકેને ઇન્ટરવ્યૂમાં ક્રિકેટના દાખલા આપવા અને ક્રિકેટની પરિભાષામાં વાત કરવી ગમે છે.)

પ્રાદેશિક પક્ષો એમનો વિશેષ સંપર્ક સાધે છે ને રાષ્ટ્રીય પક્ષો સાથે એમને બહુ લેણાદેણી રહેતી નથી. એના કારણમાં મોટે ભાગે, એમણે સૂચવ્યા મુજબ પૂર્ણ રીતે નહીં વર્ત્યા હોવાનું કે થોડાક અહમ્‌ના ટકરાવનું કારણ ખૂબ સલૂકાઈથી મૂકી જાણે છે. દરેક મોટી જીત પછી પોતે હવે એ કામ કરવાના નથી એવા સંકેતો મોટેભાગે ને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આપતા રહે છે. એના ભાગરૂપે ક્યારેક કોઈક રાજકીય પક્ષમાં સીધા સક્રિય થાય છે તો ક્યારેક ટૂંક સમયમાં જણાવશે, એમ જણાવતા રહે છે.

ફરી ચૂંટણી આવે છે; ફરી, પોતે જે પક્ષ કે જે વ્યક્તિ સાથે રહીને જ પોતાના આ પ્રકારના પરામર્શ-કાર્યનો સત્તાવાર પ્રારંભ કર્યો હતો, તેને પણ હરાવી શકાય છે; એવું કેટલીક થિયરીઝ અને કેટલાંક ઉદાહરણો દ્વારા પ્રભાવકપણે કહી જાણે છે. આ વાતો પાંચ રાજ્યોમાં એ પક્ષની ૪-૧થી જીત પછી થાય છે. જો પ્રધાનસેવકને પત્રકારોને મુલાકાત આપવામાં પરહેજ ન હોત તો એમને ચોક્કસ ઇર્ષા થાત … એમ, એક ન્યૂઝ ચૅનલના એક વખતના વડા અને એક ચૅનલના ચાલુ વખતના વડા, એક ડાબે ને એક જમણે, એમ બંને બાજુ બેસીને એમને પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો સંવાદમાં પરિવર્તિત થાય છે. સંવાદ સારો થાય છે. એક પક્ષને હરાવવાની વાતો થાય છે, અનેક પક્ષોને સાથે મેળવીને જીતાડવાની વાતો થાય છે. મુખ્ય રૂપે વાત જ આ થાય છે. જે વાત ગૌણ બની જાય છે તે આ છે – મોંઘા શિક્ષણની, દોહ્યલા સ્વાસ્થ્યની. કારમી મોંઘવારીની, ખદબદતા ભ્રષ્ટાચારની. ખેડૂતોની આવકની, અગાઉ ક્યારે ય નહોતી એટલી બેરોજગારીની. ઊંચે ચઢતી આર્થિક અસમાનતાની અને કેટલીક સંવેદનશીલ બાબતોમાં આમ ને આમ ચાલતું રહ્યું તો પાતાળે ય પહોંચી શકે એટલી વર્ગ-વર્ગ ને કોમ-કોમ વચ્ચેના અવિશ્વાસની.

બાકી, વર્ષ ૨૦૨૨માં થનારી પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ગઈ છે. ૨૦૨૩માં આવનારી નવ રાજ્યોની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. ૨૦૨૪માં યોજાનારી દેશ આખાની ચૂંટણી યોજાવાની જ છે. લાગે છે, ચૂંટણીનાં આ સદાબહાર વર્ષોમાં થઈ રહેલી નરી હાર-જીતની ચર્ચા વચ્ચે, ચૂંટણીઓ લોકશાહીનું શિક્ષણ કે લોકમતનું ઘડતર બની રહે કે નહીં, વ્યૂહરચનાઓની વણઝાર ચોક્કસ બની રહેશે. જેમ 'ભારતમાતા કી જય’ આ દેશના ઘણા બધા સવાલોમાંથી મુક્તિ અપાવનારો જવાબ બની રહ્યો છે; એમ જ, આ દેશના ઘણાખરા રાજકીય પક્ષોને – દાયકાઓથી સક્રિય રાજકીય પક્ષોને – 'હર દર્દ કી દવા’ રૂપી ઉત્તર પીકેમાં જ જણાઈ રહ્યો છે.

શું આ જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા દેશનો સૌથી મોટો પ્રશ્ન નથી?!

લખ્યા તા. ૨૮-૨૯ માર્ચ ’૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 01 

Loading

ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 March 2022

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે, થોડા દિવસો પૂર્વે માદા ગર્દભોની સીમંતવિધિ  થઈ હતી. ભારતમાં ગર્દભની વસ્તીમાં જ્યારે અસામાન્ય ઘટાડો થયો છે, ત્યારે હાલારી ગધેડા પ્રજાતિની એંસી માદાઓને ખાસ પ્રયત્નો કરીને ગર્ભવતી બનાવાય, તેની સીમંતવિધિ થાય અને તે પણ કોઈ સરકારી સહાય વિના, તે ખૂબ જ સરાહનીય છે.

પશુ કલ્યાણ માટે ૨૦૦૧માં સ્થાપિત સંસ્થા ‘બ્રુક ઈન્ડિયા’ના તાજેતરના‘ધ હિડન હાઈડ’ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં ગધેડાની વસ્તીમાં ૬૧.૨૩ ટકાનો ઘટાડો થયો છે. હવે દેશમાં ગધેડાની માંડ ચોથા ભાગની વસ્તી જ બચી છે. ૨૦૧૯ની વીસમી પશુ ગણતરી પરથી જણાય છે કે ૨૦૦૭માં ભારતમાં ૪.૪ લાખ ગધેડા હતા, જે ૨૦૧૨માં ઘટીને ૩.૨ લાખ થતાં પાંચ જ વરસમાં ૨૩ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૯માં તો ૧.૨૦ લાખ જ ગધેડા બચ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ગર્દભની વસ્તી સૌથી વધુ ૭૧.૭ ટકા ઘટી છે. દેશમાં સૌથી ઓછો ઘટાડો (૩૯.૭૬ ટકા) મહારાષ્ટ્રમાં થયો છે. ગુજરાતમાં ૭૦.૯ ટકા ગધેડા ઓછા થતાં તે ગધેડાની ઘટતી વસ્તીવાળું દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય છે. ૮૧,૦૦૦ના આંક સાથે ૨૦૧૨માં ગધેડાની વસ્તીમાં રાજસ્થાન મોખરે હતું. હવે ત્યાં ૨૩,૦૦૦ જ ગધેડા છે. ગુજરાતમાં એક દસકામાં ગધેડાની વસ્તી ૩૯,૦૦૦થી ઘટીને ૧૧,૦૦૦ થઈ ગઈ છે.

મૂળે આફ્રિકી કૂળનું આ પ્રાણી મૂર્ખ, સરળ અને ભોળુ મનાય છે. ગરમ વાતાવરણમાં પણ નજીવા સૂકા ઘાસનો ચારો અને ઓછા પાણીથી જીવવાના બદલામાં નીચી મૂંડીએ તે કાળી મજૂરી કરે છે, તેથી જ સામાન્ય વળતર માટેની સખત મજૂરી માટે ‘ગધ્ધાવૈતરું’ શબ્દ પ્રચલિત છે. એક વખત જોયેલો રસ્તો ગધેડાને પચીસ વરસ સુધી યાદ રહે છે. તો ય તે બુદ્ધિહીન તરીકે વગોવાય છે. પુરાતત્વવિદોને ૨૦૦૨માં મિસ્રના કાહિરાથી પાંચસો કિલોમીટર દૂરના અબિહોસ નગરના શાહી કબ્રસ્તાનમાં ખોદકામ દરમિયાન દસ ગધેડાના કંકાલ મળી આવ્યા હતા. તેના સંશોધન પરથી પુરાતત્વવિદો એવા તારણ પર આવ્યા છે કે ગધેડા માનવીના બહુ પુરાણા મિત્ર છે. વર્તમાન સમયે વિલુપ્તિના આરે આવી ઊભેલા ગર્દભ પાંચ હજાર વરસ પૂર્વે હયાત હતા. બાંધકામ, ઈંટભઠ્ઠા, કોલસાની ખાણો, પર્યટન, ખેતી વગેરેમાં ભારવાહક અને પરિવહનના સાધન તરીકે ગધેડાનો ઉપયોગ થાય છે.  મિસ્રના ગર્દભ કંકાલોના ઘસાઈ ગયેલાં હાડકાં, પગની  મચકોડ અને વાંકુ વળી ગયેલું શરીર એ વાતની ગવાહી રૂપ છે કે આ અતિ સહનશીલ પ્રાણી પાસે માનવી હજારો વરસોથી ગધ્ધાવૈતરું કરાવતો આવ્યો છે.

વિશ્વમાં હવે ચાર કરોડ જ ગધેડા બચ્યા છે. ગધેડાની વસ્તીમાં થયેલો મોટો ઘટાડો માનવીની સ્વાર્થવૃતિનું પરિણામ છે. ચીનમાં પરંપરાગત દવાઓ બનાવવા ગધેડાની ચામડીનો ઉપયોગ થાય છે. મૃત ગધેડાની ચામડીને ઉકાળવાથી તેમાંથી નીકળતું જિલેટીન દવાઓ બનાવવા વપરાય છે. આ માટે ચીનને વરસે દહાડે ૪૮ લાખ ગધેડાની જરૂર પડે છે. તેથી ભારત સહિતના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગધેડા ચીન મોકલવામાં આવે છે. ગધેડાની વસ્તીમાં નોંધાયેલા અસાધારણ ઘટાડાનું આ મુખ્ય કારણ છે. ખુદ ચીનમાં ગધેડાની વસ્તીમાં ૭૬ ટકાનો ઘટાડો થયો છે. ૧૯૯૦માં ચીનમાં ૧.૧૦ કરોડ ગધેડા હતા જે ૨૦૧૭માં ઘટીને ૩૦ લાખ થઈ ગયા હતા.

ભારતમાં ગધેડાનું માંસ એનિમલ ફૂડની વ્યાખ્યામાં આવતું નથી. સરકારે તેને અખાધ્ય ગણ્યું છે, પરંતુ લોકોમાં તે કામોત્તેજનાવર્ધક અને દીર્ઘ આયુષ્યદાતા હોવાની ગેરમાન્યતા પ્રવર્તે છે. એટલે માંસ માટે ગધેડાઓની બેફામ કતલ થાય છે. આંધ્રમાં ગધેડાની વસ્તીના ઘટાડાનું કારણ આ છે. આંધ્રના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ગધેડાનાં માંસનું મોટા પાયે વેચાણ થાય છે. માંસના વેપારી લગભગ પંદર-વીસ હજારમાં ગધેડો ખરીદે છે અને છસો રૂપિયે કિલોના ભાવે તેનું માંસ વેચે છે.  એટલે આંધ્રમાં હવે માત્ર ૪,૬૭૮ જ ગધેડા છે. ગર્દભનું માંસ ભક્ષણ કરીને માનવી ચિરકામી કે ચિરંજીવ થયાના પુરાવા તો મળ્યા નથી, પણ ગધેડા નામશેષ થવા આવ્યા છે.

જૈવ વિવિધતાના સંરક્ષણની દૃષ્ટિએ ગધેડાની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે. યંત્રવિજ્ઞાનના વિકાસથી ગધેડાનો હવે પહેલા જેવો માલવાહક અને સંચાર માટે ઉપયોગ રહ્યો નથી પણ તેનો અર્થ એ નથી કે તેના બીજા ઉપયોગ વિચારવાને બદલે તેને ખતમ કરી નાંખવો. ચીન ગધેડાની આયાત પર સાવ નજીવા કર લે અને તેનો મિત્ર દેશ પાકિસ્તાન તેની માંગપૂર્તિ માટે ઓકારામાં ડોન્કી બ્રીડિંગ ફાર્મ તથા લાહોરમાં ડોન્કી હોસ્પિટલ સ્થાપી ગધેડાની વસ્તી વૃદ્ધિ કરે તે આ સમસ્યાનું બીજું અંતિમ છે. પાકિસ્તાનમાં હવે દર વરસે ગધેડાની વસ્તીમાં એક લાખનો વધારો થાય છે.

સરેરાશ પચાસ વરસનું આયુષ્ય ધરાવતા ગધેડાને હવે માંડ પંદર વરસે જ ખોટા ઉપયોગ માટે મારી નંખાય છે. એટલે તેના વસ્તીના ઘટાડાને સમતોલ કરવા રાષ્ટ્રીય ગર્દભ પ્રજનન યોજના અને નિકાસબંધી સહિતની સંરક્ષણ યોજના ઘડવી જોઈએ. ગધેડાના ઉપયોગના અન્ય વિકલ્પો વિચારવા જોઈએ. રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર ,બિકાનેરે ગધેડાનો ઉપયોગ ઘાણીના બળદની જેમ કરીને વીજળી ઉત્પન્ન કરવાનો  સફળ પ્રયોગ કર્યો છે. દિલ્હીની સંસ્થા ગધેડીના દૂધની વિવિધ બનાવટો બજારમાં મૂકી રહી છે. ગધેડીનું દૂધ બીમાર બાળકો માટે ફાયદાકારક છે. ગધેડીના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન અને સુગર છે, પણ ફેટ ઓછા છે એટલે ગધેડાને માલવાહકને બદલે દૂધાળા ઢોર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. દિલ્હીની સંસ્થા ગુજરાતના ઉપલેટા પંથકમાંથી ગધેડીનું દૂધ મેળવે છે. કોલકીમાં માદા ગર્દભની સીમંતવિધિ શાયદ તેને કારણે જ યોજાઈ હોઈ શકે છે.

ગીધ, ચકલી અને બીજાં લુપ્ત થતાં પશુ-પંખીને બચાવવા સરકાર અને સમાજે જે પ્રયાસો હાથ ધર્યા છે તેવા ગધેડા માટે હાથ ધર્યાનું જાણ્યું નથી. ગર્દભ અભયારણ્ય સ્થાપવા સસ્તા અને સરળ છે. પણ દેશમાં તો વાઘ-સિંહના અભયારણ્યોની બોલબાલા છે. જો દેશમાં વાઘ-સિંહની વસ્તી વધે તો તેની વધામણી પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રી અને મંત્રીઓ આપે છે. પરંતુ ગધેડાની વસ્તી સાવ તળિયે પહોંચી છે તે જરા ય ચિંતા જન્માવતી નથી.

સોળથી પચીસ વરસ વચ્ચેની ઉંમર ‘ગધ્ધા પચીસી’ ગણાય છે. હાલમાં ગધેડાની વસ્તીનો ઘટાડો એ જ ગાળાનો છે. માનવી તો ગધ્ધા પચીસી વળોટી જાય છે, પણ ગધેડા કદાચ તેમાં જ ખતમ થઈ જવાની દહેશત છે. ગધેડાને ખતમ કરીને માનવી ‘ગધેડે ગવાય’ (ફજેત થાય) કે ‘ગધેડે ચડે’ (જાહેરમાં મૂરખ ઠરે) તે પહેલાં જાગવાની જરૂર છે. ગધેડાની વસ્તીમાં ઘટાડાની આ ચિંતા ઘણાંને માટે ‘ગધેડાને તાવ આવ્યા’ જેવી (અણગમતી અને અશક્ય) ‘હોંચી હોંચી’ હશે. પણ આ બાબતે સમયસર જાગવાની અને ચેતવાની જરૂર છે. નહીં તો આઠમી મે નો ‘વિશ્વ ગર્દભ દિવસ’ ઇતિહાસના પાનાંમાં જ રહી જશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

લગ્નમાં થતા બળાત્કાર ભારતમાં ‘કાયદેસર’ છે !!

સોનલ પરીખ|Opinion - Opinion|30 March 2022

જે વિષય પર આજે લખવાનું છે એ સંદર્ભે એક નવલિકા, એક શોર્ટ ફિલ્મ અને એક નેટફ્લિક્સ સિરિઝ યાદ આવે છે. નવલિકાનું નામ ‘શબવત’. પ્રમોશન માટે એક પતિ, એની પત્નીને પોતાના બૉસ સાથે એક રાત ગાળવા મોકલે છે. પત્ની કમકમી જાય છે, પણ વિચારે છે કે શબની જેમ પડી રહીશ અને સહી લઈશ. રાત્રે બૉસ ખૂબ કોમળતાથી, સ્ત્રીની ભાવના, ઈચ્છા અને ખુશીનો ખ્યાલ રાખીને એ સ્ત્રી સાથે સબંધ બાંધે છે. એક સંતાનની મા એવી એ સ્ત્રીને પહેલી વાર સમજાય છે કે લવમેકિંગ કેવી ખૂબસૂરત કલા હોઈ શકે. પછીના દિવસે એ શબવત તો થાય છે, પણ એના પતિના જડ જાતીય આક્રમણ સામે! રમેશ ર. દવેની આ વાર્તા સાથે રામનારાયણ પાઠકની નવલિકા ‘સૌભાગ્યવતી’ અચૂક યાદ આવે, જેમાં એક ગ્રામીણ પ્રૌઢ સ્ત્રી પતિની જાતીય આક્રમકતા સહી ન શકાવાથી બીજા ગામમાં રહેવા ચાલી જાય છે, અને એક સુશિક્ષિત શહેરી સ્ત્રી, રોજ રોજ પતિનું આક્રમણ સહેતી સહેતી ચૂપચાપ મૃત્યુ પામે છે. લોકો કહે છે, ‘નસીબદાર છે, સૌભાગ્યવતી જ ગઈ!’ અત્યંત કુશળતાથી બન્ને વાર્તાઓમાં લગ્નમાં થતા જાતીય આક્રમણના વિષયને વણી લેવાયો છે. આ પતિઓ બળાત્કારી કહેવાય એવા નથી, પણ એમની જડતા અને આક્રમકતા પણ સ્ત્રી માટે અસહ્ય અને ત્રાસદાયક હોઈ શકે એની સચોટ પ્રતીતિ વાંચનાર પામે છે.

લગ્નની પ્રથમ રાત્રિએ સ્ત્રીના શરીરમાંથી લોહી વહે એ એના અક્ષત કૌમાર્યની સાબિતી ગણાય એટલે મધુરજનીના શણગારેલા કમરામાં એક સફેદ કપડું મૂકવામાં આવે ને સવારે ઘરના વડીલો એ કપડા પર લોહીના ડાઘ જોવા આવે એવો રિવાજ બહુ પ્રચલિત છે. ‘સીલ’ નામની શોર્ટ ફિલ્મમાં, પતિપત્ની મધુરજનીની રાત્રિએ વાતો કરે છે, પરસ્પર દોસ્તી અને વિશ્વાસ સ્થપાય છે અને બન્ને એકબીજાંનો હાથ પકડી સૂઈ જાય છે. બીજે દિવસે પતિ પોતાના અંગૂઠા પર ચીરો મૂકી લોહીવાળું કપડું વડીલોને દેખાડી દે છે. બેહુદી પરંપરા સામેનો વિરોધ અને પત્નીના જતનનો આગ્રહ, એના લોહી ટપકતા અંગૂઠા દ્વારા એક પણ શબ્દના ઉપયોગ વગર ગજબની પ્રબળતાથી વ્યક્ત થયો છે.

અને ‘ક્રિમિનલ જસ્ટિસ-બિહાઇન્ડ ક્લૉઝ ડોર્સ’ છે તો મર્ડર-થ્રીલર, જેમાં એક શ્રીમંત સ્ત્રી એના પતિનું ખૂન કરે છે ને અદાલતમાં કબૂલે પણ છે. કેસ તો પણ ચાલે છે. અંતે સક્સેસફૂલ અને પ્રતિષ્ઠિત વકીલ એવો પતિ, પૈસાના જોરે મનગમતી સ્ત્રી સાથે લગ્ન કરતો, પત્નીને કબજામાં રાખતો, દીકરી પાસે પણ એની જાસૂસી કરાવતો, ભૂલ થાય ત્યારે માનસિક ત્રાસ આપતો, પત્નીને મનથી નબળી પાડવામાં કોઈ કસર ન રાખતો અને એબ્નોર્મલ જાતીય આદતો ધરાવતો સાબિત થાય છે. અહીં સ્ત્રીની સમાનતા, ઈચ્છાઓ અને લગ્નમાં થતાં શારીરિક શોષણ પર ખૂબ ભાર છે. હદ તો ત્યાં આવે છે જ્યારે પત્ની એના ગુસ્સાને ઠંડો પાડવા ત્રાસદાયક અને વિકૃત એવા શરીરસંબંધ માટે પહેલ કરે છે! સંબંધો માટે સ્ત્રીઓમાં આ કેવી જાતનું કન્ડિશનિંગ રોપ્યું છે આપણી નારીપૂજક કહેવાતી સંસ્કૃતિએ?

મેરિટલ રેપનું પરિણામ સિરિયલમાં હત્યામાં આવ્યું, પણ વાસ્તવિકતા શું છે? લગ્નનો અર્થ જ તેનાથી જોડાનારા સ્ત્રીપુરુષ જાતીય સંબંધો માટે સંમત છે એવો થાય છે. ભારતની પુરુષસત્તાક સમાજવ્યવસ્થા અનુસાર સ્ત્રી પુરુષની સંપત્તિ ગણાય છે. ઈન્ડિયન પીનલ કોડની 375મી ધારા મુજબ બળાત્કાર એટલે સંમતિ વિરુદ્ધ બંધાયેલો શરીરસંબંધ. સ્ત્રી પરણી છે એનો અર્થ કાયદો એ કરે છે કે તેણે શરીરસંબંધની સંમતિ આપી છે, પત્નીના શરીર પર પતિનો અધિકાર છે, સંમતિનો ક્યાં સવાલ છે? રેપની સજાની જોગવાઈ કલમ 376માં છે. પણ સુપ્રિમ કૉર્ટ કહે છે તેમ ભારતીય માનસ મેરિટલ રેપને અપરાધ ગણવા તૈયાર નથી.

ભારત જેવા દેશમાં મેરિટલ રેપ એ પિતૃસત્તાક માનસિકતાનો અત્યંત ઘૃણાસ્પદ ચહેરો છે. લગ્નના લોખંડી પરદાની આડમાં આચરાતો આ એવો વ્યાપક અપરાધ છે, જે વારંવાર થતા ઊહાપોહ પછી પણ હજી સુધી તો ‘કાયદેસર’ છે. ભારતનો મોટો સમુદાય અભણ, અલ્પશિક્ષિત, સ્તરોમાં જીવતો, ગરીબ, સમાજિક નિયમોથી બંધાયેલો અને ધર્મથી જકડાયેલો છે. મેરિટલ રેપ એવા શબ્દોને તે સ્વીકારી નથી શકતો. આમ હોવાથી પત્નીની મરજી કે સંમતિ વિરુદ્ધ થતા શરીરસંબંધને કાયદાએ બળાત્કાર ગણવો કે નહીં એ બાબત જટિલ બની જાય છે. ભારતીય દંડસંહિતામાં વૈવાહિક બળાત્કાર વિશે કોઈ સ્પષ્ટતા નથી. કાયદાશાસ્ત્રીઓમાં પણ તેને માટે મતભેદ છે. એથી જ છત્તીસગઢની હાઈકૉર્ટ કહે કે પત્ની સાથે બળજબરીપૂર્વક કરેલો શારીરિક સંબંધ બળાત્કારની કેટેગરીમાં ન આવે અને કેરળની હાઈકોર્ટે ચુકાદો આપે કે પત્નીની ઈચ્છાવિરિદ્ધ બંધાયેલો જાતીય સંબંધ મેરિટલ રેપ એટલે કે વૈવાહિક દુષ્કર્મ કહેવાય એવું બને છે.

વળી, આની ફરિયાદ ન છૂટકે જ થાય છે અને એ સાબિત પણ ભાગ્યે જ થાય છે. અત્યારે તો મેરિટલ રેપનો સમાવેશ ઘરેલુ હિંસામાં થાય છે, રેપમાં નહીં. કેવી વક્રતા છે કે ભારતમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા અપાયેલી છે, પણ સ્ત્રી પાસે શરીરસંબંધની બાબતમાં એના પતિ દ્વારા થતા દુર્વ્યવહારની ફરિયાદ કરવાનો કે ન્યાય મેળવવાનો કોઈ માર્ગ નથી. જે સ્ત્રી પતિ દ્વારા થતી ‘સેક્સ્યુઅલ વાયોલન્સ’ની ફરિયાદ કરવા આગળ આવે તેને અદાલત રક્ષણ કે સપોર્ટ મિકેનિઝમ આપી શકતી નથી. ભારતની કુટુંબવ્યવસ્થા એવી છે કે ત્યાંથી પણ કોઈ મદદ મળે નહીં. સમાજ પણ તેને સાથ ન આપે. પીડિત પત્નીએ શું કરવું? એની વહારે કોણ આવશે? નાગરિક તરીકેના એના સમાનતાના, જીવનના અને ગરિમાના અધિકારોનું હનન જ થયા કરશે? જો પત્ની પંદર વર્ષથી નીચેની ઉંમરની હોય તો જ કાયદો તેને રક્ષણ આપી શકે, એવું કેમ? ક્યાં સુધી? અને એ કિસ્સાઓમાં પણ દંડ અને સજા બળાત્કાર કરતાં ઓછા પ્રમાણમાં જ છે.

એવું નથી કે ધારાશાસ્ત્રીઓ આ બાબતમાં અસંવેદનશીલ છે. પરણેલા પુરુષની શરીરસંબંધ બાબતની ક્રૂરતા અને શરીરસંબંધ માટે લગ્નમાં અપાયેલી મનાતી પરોક્ષ સંમતિ આ બન્ને બાબતો એક છે, એવો પ્રશ્ન એમને પણ થતો તો હશે. થાય છે. યુગલ પરિણીત છે એટલા એ જ કારણથી ક્રૂર અને હિંસક અથવા સંમતિવિરુદ્ધ બંધાયેલા શરીરસંબધને ‘સંભોગ’માં વ્યાખ્યાયિત કરવો અને પતિપત્નીની અંગત બાબત માની દુર્લક્ષ કરવો એ એમને પણ ક્યાંક ખટકે તો છે, તો પછી કોઈ રસ્તો આઝાદીના અમૃતમહોત્સવ સુધી ન શોધાય એવું કેમ બન્યું છે? ભારતમાં પહેલો મેરિટલ રેપ કેસ 1889માં નોંધાયો હતો. પત્ની 11 વર્ષની હતી. પતિએ જબરજસ્તી શરીરસંબંધ બાંધતા અતિશય રક્તસ્રાવ થવાથી એનું મૃત્યુ થયું હતું. પતિને સજા તો થઈ, પણ કૉર્ટે કેસને બળાત્કારનો નહીં, ગંભીર ઈજાનો ગણ્યો અને માત્ર એક વર્ષની સજા કરી. ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને પતિને ખુશ કરવાનું તેનું કર્તવ્ય છે એમ શીખવે છે. એક સર્વેમાં પચીસથી વધારે ટકા પુરુષોએ પોતે સેક્સ્યુઅલ વાયૉલન્સ કરે છે એ કબૂલ કર્યું હતું. બ્રિટને 1921થી મેરિટલ રેપને ગુનો ગણ્યો છે. આજે 100 દેશોમાં મેરિટલ રેપ ગુનો ગણાય છે.

સંભોગ એટલે સમ+ભોગ. બન્ને પક્ષની જરૂર, બન્ને પક્ષની ઈચ્છા, બન્ને પક્ષે આનંદ, બન્ને પક્ષે સંતોષ. એવો કયો વિચાર છે જે પતિને બળજબરી કરવાની પરવાનગી આપે છે? એક દલીલ એવી છે કે કાયદો બનશે તો તેનો દુરુપયોગ થશે. તો બીજા કાયદાઓનો દુરુપયોગ નથી થતો? સ્ત્રીની સ્વાયત્તતા અને અધિકારની કોઈ જગ્યા જ નથી? જ્યાં સુધી શરીરસંબંધ પુરુષ માટે અહમ્‌ અને સત્તાની સ્થાપના સાથે જોડાયેલી બાબત રહેશે અને સ્ત્રીપક્ષે એનું જોડાણ શરણાગતિ સાથે રહેશે, ત્યાં સુધી આ ક્ષેત્રે કશું નક્કર નીપજવાની શક્યતા ઘણી ઓછી લાગે છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 માર્ચ 2022 

Loading

...102030...1,5851,5861,5871,588...1,6001,6101,620...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved