Opinion Magazine
Number of visits: 9570376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગ ‘રશિયા’ હવે આટલેથી અટકો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2022

એ વખતે હિટલર એક જ હતો, ને આજે અનેક છે, એટલે યુદ્ધમાં અને યુદ્ધ વગર પણ અનેક નિર્દોષોના ભોગ લેવાય છે. યુદ્ધમાં તો મરનારના આંકડા હાથ લાગતા હશે, પણ યુદ્ધ વગર જે મરે છે તેની સંખ્યા યુદ્ધમાં મરતા લોકો કરતા વધી જતી હોય તો નવાઈ નહીં ! યુક્રેનના નાટોમાં જોડાવાની વાત માત્રથી રશિયાએ યુદ્ધ છેડી દીધું છે. નાટોમાં તો એ હજી જોડાયું પણ નથી, ત્યાં યુક્રેને ભીષણ યુદ્ધનો સામનો કરવાનો આવ્યો છે. અમેરિકા અને નાટો યુક્રેનને મદદ કરે છે, પણ લડવાનું તો તેણે જ છે. કિવ અને ખારકિવ મળીને આઠેક શહેરોને રશિયાએ તબાહ કરી દીધાં છે. આટલું ઓછું હોય તેમ તેણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પરમાણુ શસ્ત્રો વડે કરવાની જાહેરાત પણ કરી દીધી છે. મીડિયા કોઈ ફિલ્મનાં દૃશ્યો બતાવતું હોય તેમ ભારે ઉત્સાહથી યુક્રેનનાં શહેરોનાં દૃશ્યો બતાવીને ફરજ બજાવી રહ્યું છે. આમાં મીડિયાની ભૂમિકા બહુ સંદિગ્ધ છે. તે જાણે કોઇની દલાલી કરતું હોય તેમ વર્તે છે.

યુદ્ધ ચાલે છે તેનો જાણે લાભ ઉઠાવતું હોય તેમ મીડિયા મોંઘવારી વધવાની આગાહી કરતું રહે છે. ખાસ કરીને પેટ્રોલના ભાવ લિટરે 30 રૂપિયા સુધી વધી જવાની વાત મીડિયા એ રીતે કરે છે કેમ જાણે સરકાર ભાવ વધારવાનું ભૂલી જવાની હોય ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 110 ડોલર થયો છે તે યાદ અપાવીને મીડિયા કહેતું ફરે છે કે જોજો, હં ! ભાવ વધારવાનું ભુલાય નહીં ! મીડિયા નથી જાણતું કે દુનિયામાં ક્રૂડના ભાવ તળિયે હતા ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા હતા? તો, દુનિયામાં ભાવ વધ્યા હોય ને સરકાર ભાવ વધારવાનું ભૂલી જાય એટલી ભોળી નથી.

એક તમાશો ચાલે છે, જાણે ! જેના પર વીતે છે તે સિવાયનું જગત તેમાં ભારે રસ લઈ રહ્યું છે. જગત આખાને યુક્રેન માટે સહાનુભૂતિ છે, પણ સહાનુભૂતિથી વિનાશ રોકાતા હોત તો જોઈતું જ શું હતું? અત્યારે તો કોઈ એવું નથી જે રશિયાને સંહારકની ભૂમિકામાંથી બહાર કાઢે. ગંધ તો એવી પણ આવે છે કે કહેવાતી મહાસત્તાઓ ઈચ્છે છે કે વિશ્વયુદ્ધ થાય. આમાં સૌથી ભૂંડી ભૂમિકા અમેરિકાની છે. તેનો કોઈ જ સીધો પ્રભાવ રશિયા પર પડતો જણાતો નથી. રશિયા પર પ્રતિબંધો મુકાયાં છે, પણ તેથી તે લાજવાને બદલે ગાજ્યું છે. પ્રતિબંધો પછીનું પહેલું રિએક્શન પરમાણુ હથિયારોના ઉપયોગનું આવ્યું છે અને ભૂલેચૂકે જો રશિયા પરમાણુ યુદ્ધ છેડે તો બીજાં રાષ્ટ્રો પણ કૈં દાંડિયા રાસ તો નહીં જ રમે, એ પણ પરમાણુ, પરમાણુના મણકા ફેરવશે જ ! એનાં પરિણામો દૂરગામી કે નજીકગામી નહીં જ હોય, કદાચ કહેવા-જોવા જેટલો સમય પણ કોની પાસે બચે, તે વિચારવાનું રહે. સાચું ખોટું તો ખબર નહીં, પણ એમ કહેવાય છે કે અનેક વખત આ પૃથ્વીનો સર્વનાશ કરી શકાય એટલાં પરમાણુ શસ્ત્રો જગતે વિકાસાવ્યાં છે ને તેમાંના થોડાનો પણ ઉપયોગ થાય તો કોઇની પાસે એટલું રડવાનો વખત પણ નહીં રહે કે આટલાં શસ્ત્રો તો ફાજલ જ પડી રહ્યાં, કારણ પૃથ્વી જ બચી નહીં હોય કે તેને બીજી વાર ખતમ કરવા અણુબોમ્બ નાખવો પડે ! એ સાચું લાગે છે કે ચોથું વિશ્વયુદ્ધ પથ્થરથી લડાશે, કારણ નવેસરથી જ શરૂ કરવું પડશેને બધું !

સાચું તો એ છે કે આપણને ટી.વી.માં દેખાય છે તે કોઈ ફિલ્મનાં દૃશ્યો જેવું લાગે છે, પણ એ ફિલ્મનું શૂટિંગ નથી, એમાં તૂટતી ઇમારતો ખરેખર તૂટે છે ને હજારો લોકો મર્યાં છે તે હકીકત છે. તે કૈં શૂટિંગ પૂરું થતાં ફરી કામે લાગવાના નથી. એ ઊઠવાના જ નથી, ‘ઊઠી ગયા’ છે. આખા વિશ્વે યુદ્ધની વિનાશકતા પ્રમાણવાની જરૂર છે, સાથે જ રશિયાથી ચેતવાની પણ જરૂર છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં વચ્ચે પડનાર કોઈ પણ દેશ સામે અણુશસ્ત્રોના ઉપયોગની ધમકી આપી છે. આટલું ઓછું હોય તેમ અમેરિકી પ્રમુખ બાઈડન એ જ જૂનો રાગ આલાપે છે કે રશિયન પ્રમુખે કોઈ પણ ઉશ્કેરણી વિના યુક્રેન પર આક્રમણ કર્યું છે તે બદલ તેણે કિંમત ચૂકવવી પડશે. આવું બોલવાથી રશિયન પ્રમુખનું તો કૈં બગડતું નથી, પણ યુદ્ધનો સામનો કરી રહેલા દેશનું ઘણું બગડી રહ્યું છે. રશિયન પ્રમુખે અત્યાર સુધીમાં કોઈ કિંમત ચૂકવી હોય એવું પણ બહુ જણાતું નથી, હા, યુક્રેનની પ્રજા ને તેનાં સૈનિકો અત્યારે તો કોઈ વાંક વગર લોહીથી કિંમત ચૂકવી રહ્યાં છે તે નકરું અને નકટું સત્ય છે. અમેરિકી પ્રમુખે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે યુક્રેનને પક્ષે છે, પણ યુદ્ધ તો યુક્રેને જ લડવાનું રહે છે.

ભારતના વડા પ્રધાન મોદી રશિયન પ્રમુખ સાથે વાતો કરે છે ને યુદ્ધવિરામની અપીલ પણ કરે છે, પણ તેમની ભૂમિકા કોઈ પણ પક્ષે મત આપવાની નથી. એક કાળે યુક્રેને જરૂર હતી ત્યારે ભારતને પક્ષે રહેવાનું સ્વીકાર્યું ન હતું, એટલું જ નહીં, ભારતની વિરુદ્ધ પણ મત આપ્યો હતો, એ સ્થિતિમાં ભારતનું તટસ્થ રહેવું જ ડહાપણ ભરેલું છે, પણ તેનો ભોગ યુક્રેનમાં રહેતી ભારતીય પ્રજા બની રહી છે તે ચિંતા ઉપજાવનારું છે. યુક્રેનના સૈનિકો ને ત્યાંના પોલીસો ભારતીય વિદ્યાર્થીઓ સાથે સહયોગ કરી રહ્યા નથી. ખારકિવ સ્ટેશનેથી ટ્રેનમાં ચડીને શહેર છોડવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને તેમ કરવાની છૂટ અપાઈ નથી ને કોઈ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે તો તેને ગોળી મારી દેવાની ધમકી પણ અપાઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાં બંકરોમાં આશરો લઈ રહ્યાં છે, તો ઘણા દૂર દૂર સુધી પગપાળા ચાલીને, ભારત આવવા મથી રહ્યા છે. કેટલા ય ત્યાં ફસાયા છે તો ઘણાંને ભારત લાવવામાં સરકારને સફળતા પણ મળી છે. આખા ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા છે ને એ જ રીતે બીજા દેશોમાં પણ ગયા છે, જાય છે. ગુજરાતની જ વાત કરીએ ને યુક્રેન પૂરતી જ કરીએ તો મેડિકલ એજ્યુકેશન મેળવવા દર વર્ષે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે. દેશ પૂરતો આ આંકડો વર્ષે અઢાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો છે. આ વર્ષે ગુજરાતથી 5,600 વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવવા યુક્રેન ગયા છે ને વર્ષે દા’ડે ત્યાં અંદાજે 1,100 કરોડ ખર્ચે છે. ઘણી વાર તો એવો વહેમ પડે છે કે ડૉક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ ભારતમાં રહીને ભણે છે કે બધા જ વિદેશ જાય છે? સરકારે યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરૂ કર્યું ત્યારે જ ઘણાને ખબર પડી કે તબીબી શિક્ષણ મેળવવા હજારો ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડીને ત્યાં રહે છે.

આવું કેમ? સરકારને એ ખબર તો હશે જ કે ભારતનું યુવાધન વિદેશ દોડી રહ્યું છે. એ ભણીને પાછા આવશે કે કેમ તે નથી ખબર. ઘણા તો વિદેશમાં જ સેટલ થઈ જતા હોય છે. એક તરફ આવા વિદ્યાર્થીઓને અહીં સાચવવાની વાત નથી ને કોઈ ભારતીય મૂળની વ્યક્તિ અમેરિકામાં સાંસદ શોભાવે છે તો આપણે છાતી ફુલાવીએ છીએ કે એક ભારતીયે વિદેશમાં નામ રોશન કર્યું. એ અહીં નામ રોશન કરે એવી સગવડ આ દેશ કેમ આપી શકતો નથી, તેનું આશ્ચર્ય છે. બીજી તરફ એ પ્રશ્ન પણ થાય છે કે અહીંનો વિદ્યાર્થી આ દેશમાં રહેવાને બદલે વિદેશ ભણવા જાય છે કે ત્યાં જ વધુ કમાવાની લાલચે ગોઠવાઈ જાય છે ને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે તો ભારત સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે પોતાને જોખમમાંથી બહાર કાઢે. આ યોગ્ય છે? સવાલ તો એ પણ થાય કે ગુજ્જુઓ દાકતર થવા વિદેશ કેમ જાય છે? એનું સાદું કારણ એ છે કે અહીંની ફી એટલી વધારે છે કે યુક્રેન જેવાની ફીથી ચાર વખત ડૉક્ટર થવાય. ગુજરાતની જ વાત કરીએ તો અહીં મેડિકલની સીટ ઓછી છે ને સ્ટુડન્ટ્સ અને તેની ફી વધારે છે. અહીં એમ.બી.બી.એસ. થવું હોય તો એક કરોડ જોઈએ, જ્યારે યુક્રેન જેવામાં 22 લાખમાં ડોક્ટરનું ભણી શકાય. ડૉક્ટરોનો જ મત છે કે યુક્રેનનો તબીબી કોર્સ સરળ છે ને અપડેટેડ છે, જ્યારે ભારતનો તબીબી કોર્સ એ જ વરસો જૂનો ચાલે છે.

આ સ્થિતિ હોય તો અહીંના વિદ્યાર્થીઓ બહાર ન જાય તો શું કરે? અહીંની સરકારને એ ચિંતા નથી કે અહીનું યુવાધન અહીં જ રહે, એ માટે એવી વ્યવસ્થા કરે કે વિદ્યાર્થીઓને બહાર જવાની લાલચ જ ન રહે. અહીં પરત લવાયેલ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા સરકાર તૈયાર થઈ છે, પણ અહીંથી બહાર દોડતા વિદ્યાર્થીઓને અહીં જ રહીને ભણવાનું મન થાય એવું કરવા સરકાર તૈયાર નથી. યુદ્ધનાં વાતાવરણમાં સરકાર થાય તે બધું જ કરે છે, પણ આખા વિશ્વમાં ભારતના વિદ્યાર્થીઓ ભણવા કે નોકરી કરવા જાય ને સરકારને એ યુવાનોને સાચવવાનું મન ન થાય તો આ દેશ વૃદ્ધો ને બાળકોને ભરોસે જ રાખવાનો છે કે કેમ એ પ્રશ્ન મૂંઝવે છે. એ વિદ્યાર્થીઓને પણ ફિટકાર છે જે અહીં મોટા થાય છે ને વધુ કમાણીની લાલચે દેશને લાત મારીને વિદેશનો વાવટો ફરકાવે છે ને એ દેશને શું કહેવું જે પોતાનાં યુવાધનને પોતાને માટે સાચવવાને બદલે બીજાને ભરોસે છોડી દે છે ને એનો સંકોચ પણ નથી.

જો કે, ગુજરાતે કાલના બજેટમાં યુક્રેન પરથી બોધપાઠ લઈને ત્રણ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે એ આશ્વસ્ત કરનારી ઘટના છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2022

Loading

આપણી તાળીનાં આંદોલનો આકાશગંગા સુધી પહોંચે છે : તિક નાટ હાન

સોનલ પરીખ|Opinion - Opinion|4 March 2022

પ્રત્યેક સંવેદના ઊર્જાથી ભરપૂર હોય છે. આનંદની લાગણી પોષણ આપતી ઊર્જા છે તો દુ:ખની લાગણી વિનાશ કરતી ઊર્જા છે. જાગૃતિના શાંત પ્રકાશમાં વિનાશક ઊર્જાને પોષક ઊર્જામાં ફેરવવાની તાકાત રહેલી છે.

મૌન અનિવાર્ય છે. જેમ શ્વાસને હવાની, જેમ છોડને સૂર્યપ્રકાશની, તેમ મનને મૌનની જરૂર હોય છે. શબ્દો અને વિચારોથી ભરેલા મનમાં પોતાના માટે જ જગ્યા બચતી નથી. 

— તિક નાટ હાન

‘સંવાદી રીતે ચાલવું કે બોલવું એ પણ ધર્મ છે. એનાથી સર્જાતાં વાતાવરણની સુગંધ દૂર સુધી પહોંચે છે.’ જેવી સૂક્ષ્મ અને ‘આપણે એક તાળી પણ પાડીએ તો એનાં આંદોલનો છેક આકાશગંગાને સ્પર્શે છે.’ જેવી વિરાટ અપીલ ધરાવતા વિયેતનામના બૌદ્ધ સાધુ ટિક નાટ હન પંદર દિવસ પહેલા 95 વર્ષની વયે મૃત્યુ પામ્યા.

જન્મ 1926માં. વિશ્વપ્રવાસીની જેમ જીવ્યા. 16માં વર્ષે તુ-હ્યુ મંદિરમાં દીક્ષા લીધી હતી, 88માં વર્ષે ત્યાં જ પાછા ફર્યા અને 22 જાન્યુઆરી 2022ના દિવસે મૃત્યુ પામ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યા. સાયગોન યુનિવર્સિટીમાં બિનસાંપ્રદાયિક વિષયો ભણનારા અને સાયકલ પર ફરનારા તેઓ પહેલા સાધુ હતા. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે ‘શાંતિ અને અહિંસાના દૂત’ તરીકે નોબેલ શાંતિ ઈનામ માટે એમની ભલામણ કરી. વિયેતનામમાંથી 40 વર્ષના દેશવટા દરમ્યાન એમણે પશ્ચિમને બુદ્ધિઝમ અને માઈન્ડફૂલનેસનો પરિચય આપ્યો હતો અને 21 સદીના વિશ્વને એંગેજ્ડ બુદ્ધિસ્ટ કૉમ્યુનિટીની ભેટ આપી.

વિયેતનામમાં યુદ્ધ થયું ત્યારે સાધુઓ-સાધ્વીઓ સમક્ષ સવાલ હતો કે ધ્યાન અને ચિંતનમનનમાં મગ્ન રહેવું કે પછી ઘવાયેલાઓની સેવા કરવી. તિક નાટ હાને બંને કર્યાં. આ જ હતું એમનું એંગેજ્ડ બુદ્ધિઝમ. ‘વિયેતનામ : લોટસ ઈન અ સી ઑફ ફાયર’ પુસ્તકમાં એમણે આ શબ્દ વાપર્યો છે. એ વખતથી તેઓ આંતરિક પરિવર્તનને વ્યક્તિ અને સમાજના કલ્યાણ માટે પ્રયોજતા રહ્યા છે.

પુષ્કળ કામ કર્યું છે એમણે. 1961માં તેમણે અમેરિકા જઈ કમ્પેરિટિવ રિલિજિયનનો અભ્યાસ કર્યો, બુદ્ધિઝમ ભણાવ્યું, સંશોધન કર્યું. વિયેતનામમાં અહિંસા અને કરુણા માટે કામ કરતા 10,000 સ્વયંસેવકોવાળી સ્કૂલ ઑફ યુથ એન્ડ સર્વિસિઝની સ્થાપના કરી. સાયગોનમાં બૌદ્ધ યુનિવર્સિટી સ્થાપી, પબ્લિશિંગ હાઉસ અને સામયિક શરૂ કર્યાં, યુ.એસ. અને અમેરિકામાં પ્રવાસો કરી વિયેતનામમાં શાંતિ સ્થાપવાની અપીલ કરી. પણ જે શાંતિપ્રયાસો માટે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે નોબેલ કમિટીને એમની ભલામણ કરી હતી, એ જ શાંતિપ્રયાસો માટે યુદ્ધરત વિયેતનામે એમને દેશવટો આપ્યો.

ફ્રાંસમાં એમણે સ્થાપેલું નાનું એવું પ્લમ વિલેજ આજે પશ્ચિમનો સૌથી મોટો સક્રિય મઠ છે અને દુનિયાભરમાંથી હજારો લોકો જાગૃત જીવનની કલા શીખવા ત્યાં આવે છે. એમાં ખાવા, બેસવા, બોલવા, ચાલવા, કામ કરવા અને અટકવાનું ધ્યાન તેમ જ શ્વાસનું અને સ્મિતનું ધ્યાન શીખવવામાં આવે છે. એનાથી અનુભવાતી પૂર્ણ શાંતિ જિંદગીના પડકારોમાં સ્વસ્થ અને સ્થિર રહેવાની કલા શીખવે છે. એમની એક મૂવમેન્ટનું નામ ‘વેક અપ’ છે જેમાં યુરોપ, અમેરિકા અને એશિયાની શાળાઓનાં બાળકો અને શિક્ષકોને માઈન્ડફૂલનેસ શીખવાય છે.

તિક નાટ હાન કેલિગ્રાફી નિષ્ણાત હતા. તેમના આલેખેલા નાના સંદેશાઓનાં અનેક પ્રદર્શનો થયાં છે. ‘નો મડ, નો લોટસ’ પુસ્તકમાં એમણે પીડાનું રૂપાંતરણ શીખવતાં સૂત્રો આપ્યાં છે, જેનાથી માનવી પ્રેમ અને કરુણા વ્યક્ત કરી પીડાની બાદબાકી અને આનંદની પ્રાપ્તિનો અનુભવ કરે છે. તેઓ કહે છે, આ સૂત્રો જાદુઈ છે. બોલતાંની સાથે પરિવર્તન શરૂ થઈ જાય છે. બસ શીખી લો અને યોગ્ય સમયે યાદ કરો. જાગૃતિ જેટલી વધારે, તેટલી તેની અસર વધારે.

હું તમારી સાથે છું : પ્રેમ અર્થ જ સાથે હોવું. પણ સાચા અર્થમાં સાથે હોવું એ એક અભ્યાસ માગતી કલા છે. જે જાગ્રત કે એકાગ્ર ન હોય એ પોતાની કે અન્યની સાથે પૂર્ણપણે ન હોય. જાગ્રતપણે શ્વાસ લેવા, ચાલવા, બેસવાથી શરીર અને મન વચ્ચે એકતા સ્થપાય અને તો તમે સાચા અર્થમાં અને પૂર્ણપણે એ ક્ષણમાં હોઈ શકો. પહેલા પોતાની સાથે હોવાનો અભ્યાસ કરો. શ્વાસ લેવા અને છોડવાની ક્રિયાથી સભાન થાઓ. મન અને શરીરના લયને સંવાદી બનવા દો. જે વ્યક્તિ પોતાની સાથે હોય, એની ઊર્જા અન્ય વ્યક્તિને પણ પોતાની સાથે હોવાનું શીખે છે. ‘હું તમારી સાથે છું’ કહેવું એટલે આ અર્થમાં સાથે હોવું.

હું જાણું છું કે તમે મારી સાથે છો. મને એનો ઘણો આનંદ છે : આ મંત્ર પણ ખૂબ શક્તિશાળી છે અને પોતાને તેમ જ બીજાને ઊર્જાથી ભરી દે છે. સાચા અર્થમાં સાથે હોય એ વ્યક્તિ એ જાણી શકવા સમર્થ હોય છે કે સામી વ્યક્તિ પણ સાચા અર્થમાં હાજર છે.

પણ પહેલું પગલું ભર્યા પહેલાં બીજું ભરી શકાતું નથી. ‘હું સાથે છું’ એ ‘તમે સાથે છો’ની પૂર્વશરત છે. ગમે તેટલો ખર્ચ કરો, પ્રિય વ્યક્તિને તમારી સાચી હાજરીથી વધારે કિંમતી ચીજ તમે નહીં આપી શકો. માઈન્ડફૂલ પ્રેઝન્સ – જાગૃતિ સાથેની હાજરી વધુ તાજગીપૂર્ણ, વધુ આનંદપૂર્ણ, વધુ પ્રેમપૂર્ણ હોય જ છે.

હું જાણું છું કે તમને તકલીફ થાય છે. હું એટલે જ તમારી સાથે છું : પ્રિય વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આ જાદુઈ શબ્દો તેની તકલીફને તત્ક્ષણ ઓછી કરે છે. આ શબ્દોના ઉચ્ચાર માત્ર રાહતનો અનુભવ આપે છે. પ્રિયજન પીડાને સમજે ને પીડાની ક્ષણોમાં સાચા અર્થમાં હાજર રહે ત્યારે પીડા ઘટી જાય એ કુદરતી છે. એટલે આ મંત્ર સમજપૂર્વક, જાગૃતિપૂર્વક બોલાય ત્યારે એની અસરકારકતા ખૂબ વધી જાય છે.

મને પીડા થાય છે. મદદ કરો, પ્લીઝ : આ મંત્ર થોડો અઘરો છે. દરેક માણસમાં ઓછોવત્તો અહમ્‌ તો હોય જ છે. આ મંત્ર બોલવા માટે અહમ્‌ને ઓગાળવો પડે. તમે પીડામાં હો અને એ પીડા જે પ્રિયજને આપી છે એને જ આ શબ્દો કહી શકો એ ક્ષણથી આ સૂત્રની અસર શરૂ થાય છે. થાય છે શું કે આપણે ઊંધું જ કહીએ છીએ, ‘મારી પીડાનું કારણ તું છે. પણ મને ય તારા વિના ચાલશે.’ જો ખરેખર તેમ હોત તો પીડા ન થાત.

પણ, સંબંધની શરૂઆત સુખદુ:ખમાં સાથે હોવાના જે ભાવથી થઈ હતી, એ ભાવને યાદ કરો અને પ્રિયપાત્રને યાદ કરાવો. અધિકારથી કહો કે ‘મને પીડા થાય છે. મદદ કર.’ સરળ છે ને? પણ એટલું જ અઘરું પણ છે.

આ સુખની ક્ષણ છે : આ કોઈ ઓટોસજેશન કે વિશફૂલ થિંકિંગ નથી. જાગ્રત મનને પ્રસન્ન ક્ષણો મળતી જ રહે છે. આ સૂત્ર એની કદર માટે છે. એકલા ચાલતા હો ને સુંદર પુષ્પો દેખાય, તો પોતાને આ કહો. પ્રિયજનની સાથે ચાલતા હો ત્યારે તેને આ કહો. ભૂતભવિષ્યના અકળામણ-અજંપાઓ લઈને ચાલતા મનને સુખની ઢગલો ક્ષણો પણ દેખાય નહીં, પણ એકાગ્ર અને જાગ્રત મન હવાની આછી લહેરને પણ માણે છે. આ મંત્ર ભરપૂર સર્જનાત્મકતા આપે છે. 

તમે થોડા સાચા છો :  કોઈ તમારી સિદ્ધિ માટે અભિનંદન આપે અને ઢગલો વખાણ કરે. કોઈ ગુસ્સે થઈને આવે. કોઈ વળી આક્ષેપો પણ મૂકે. હવે રાજી થવું, ગુસ્સે થવું કે દુ:ખી થવું નકામું છે કેમ કે વખાણ કે ટીકા પૂરેપૂરા સાચા ભાગ્યે જ હોય છે. કોઈ વખાણ કરે ત્યારે કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં દોષો પણ છે.’ અને કોઈ ટીકા કરે તેને પણ કહો, ‘તમે થોડા સાચા છો, પણ મારામાં ગુણો પણ છે.’ બન્ને સ્થિતિમાં તમારી નમ્રતા અને સ્થિરતા બરકરાર રહે છે અને સારા હોવું, ખરાબ હોવું વગેરે સાપેક્ષ બાબતો છે, નિર્ણાયક નહીં.

દુનિયાના દસ દેશોમાં એમના મઠો છે. 100થી વધારે પુસ્તકો લખ્યાં છે. એમણે કહ્યું છે, ‘ધ્યાન એટલે જાગૃત હોવું. પોતાના શરીરમાં, પોતાના મનમાં, પોતાની બહાર અને વિશ્વમાં જે પણ ચાલી રહ્યું છે તેના પ્રતિ જાગ્રત હોવું.’ આ વ્યાખ્યા જેટલી સાદી-સરળ છે તેટલી જ ગહન અને વિસ્તૃત છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ફેબ્રુઆરી 2022 

Loading

દીના પાઠકને ૧૦૦મા વર્ષે સલામઃ લિંબુ પાણીની માફક

રત્ના પાઠક શાહ [અનુવાદ : ચિરંતના ભટ્ટ]|Opinion - Opinion|4 March 2022

દીના પાઠકની સ્મૃતિમાંઃ 04/03/1922 – 11/10/2002

દીના પાઠક, એક આલા દરજ્જાનાં અભિનેત્રી. તેમનો અવાજ, પહોળું કપાળ, તેજસ્વી ચહેરો – આ પ્રતિભા જાણે જાજરમાન શબ્દમાં જીવ પૂરતી. આજે 4થી માર્ચે તેમની ૧૦૦મી જન્મતિથિ છે. તેમણે સ્ક્રીન પર ઢગલાંબંધ પાત્રો ભજવ્યાં. ‘ખૂબસૂરત’ ફિલ્મની કડક મા નિર્મલા ગુપ્તા તો ‘ગોલમાલ’માં માની એક્ટિંગ કરનારી મા કમલા શ્રીવાસ્તવ, તો ‘ભૂમિકા’ ફિલ્મનાં મિસીઝ કાળે. આ લિસ્ટ લાંબુ છે. નાટકના મંચ પર તેમનું ઓજસ ગ્રીનરૂમના અરીસાની આસપાસ ઝળહળતી રોશની જેવું બમણું હતું તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. અભિવ્યક્તિ અને હાવભાવની વાત આવે ત્યારે તેમનો ચહેરો નવરસનો નાટ્ય વેદ હતો.  સ્ક્રીન અને સ્ટેજની બહાર પણ દીના પાઠક એક સતત ઉઘડતું રહેતું પાત્ર હતાં – તેમની સ્મૃતિમાં તેમનાં દીકરી રત્ના પાઠક શાહે લખેલો લેખ તેમણે ‘ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ’ સાથે વહેંચ્યો છે. આ વાંચનાર તમામને દીના પાઠકના બહુ પરિમાણીય વ્યક્તિત્વની સાથે માની હૂંફ ચોક્કસ વર્તાશે.

ઢગલાબંધ બીજી સ્મૃતિઓમાં આ ખાસ અલગ તરી આવે છે

૩૦ જેટલા જુવાન અભિનેતાઓનું એક ગ્રૂપ મુંબઈથી એક ટ્રેનમાં ચઢવા મથી રહ્યું છે, માત્ર પંદર રિઝર્વેશન થયા છે, પહોંચવાનું છે – અમદાવાદ. દીના પાઠક દિગ્દર્શિત નાટક ‘મિથ્યાભિમાન’ નાટકના મંચન માટે. અમારે બસ યેનકેનપ્રકારેણ ત્યાં પહોંચવાનું હતું. શો તો થવો જ જોઇએ! મારાં મા સિવાય બધાં સખત ચિંતામાં હતા, તેણે અમને બધાંયને એવી ખાતરી આપી ટ્રેનમાં ચઢાવી દીધા કે કોઇને કોઇ રીતે બેસવાની જગ્યા મળી જશે. તેણે કહ્યું, “આપણે સાચવી લેશું.”  અમે બધું સાચવી પણ લીધું, અમે નહીં, તેણે.

અમે બોરીવલી બોલીએ તે પહેલાં તો ગુસપુસ થવા માંડી, ‘દીના પાઠક, દીના પાઠક!’ માએ તેનું સ્મિત આખા ડબ્બામાં જાણે રેલાવ્યું અને તેને બદલામાં તરત જ સીટ મળી ગઇ, તે પણ સહ-પ્રવાસીઓના ભરપૂર અટેન્શન સાથે. ઘણાંએ તેનાં નાટકો જોયા હતા –“મેના ગુર્જરી” સૌથી વધુ પ્રચલિત હતું. ઘણાંએ તેની ફિલ્મો જોઇ હતી – “જલ બિન મછલી નૃત બિન બિજલી” તેની માનીતી ફિલ્મ હતી (હજી ગોલમાલ આવી ન હતી)! કેટલાકનાં કાકા કે માસી હતાં  જૂનાગઢ – અમદાવાદ – પૂના કે મુંબઈમાં – જે તેને ઓળખતાં હતાં. બાકીનાં બધાં આ જાજરમાન – વાઇબ્રન્ટ વ્યક્તિને જોઇને જાણે છક્કડ ખાઇ ગયાં હતાં. મૂળ તો ૩ જુદી જુદી ગુજરીતી બોલીમાં, વળી એકદમ સાફ મરાઠી અને બંગાળીમાં પણ બોલીને – જેમ જ્યારે જે ભાષાની જરૂર પડી તેમ – પ્રવાસીઓની સાથે હંમેશાં રહેતાં નાસ્તા માણતાં માએ પોતાના વિશ્વમાં વસતા બધા મજાનાં પાત્રોની વાર્તાઓ કહી તેમને મોજ કરાવી દીધી. અમે દાહણુ પહોંચ્યા તે પહેલાં અમારામાંના ૧૫ અનરિઝર્વ્ડ મુસાફરો પણ ડબ્બામાં ગોઠવાઇ ગયા હતા. સાથે માથી પ્રભાવિત થયેલો TC પણ (અને જેને પૈસા પણ ચૂકવી દીધા હતા)! એ આખા ડબ્બામાં જાણે અમે જ હતા – ઘણા કિસ્સામાં તો જેમની સીટ હતી એ ખૂણામાં ટૂંટિયું વાળીને બેઠા હતા અને અમારાંમાનાં કોઇ એક છોકરાંએ તેમની જગ્યા પર આરામથી લંબાવ્યું હતું.

આવી હતી મારી મા! અથવા તો તેનામાં રહેલો એક બહુ અગત્યનો હિસ્સો આવો હતો. તેને લોકો બહુ ગમતાં. માણસો જાણે તેની લેબોરેટરી હતાં, તેની એક્ટિંગની તાલીમ માટેની સ્કૂલ જોઇ લો. લોકો તેને માટે નવા વિચારોની યુનિવર્સિટી હતાં. મને નથી લાગતું કે તેણે કંઇ બહુ વાંચ્યું હતું કે સંશોધન કર્યું હતું પણ તેને બદલે રસપ્રદ લોકો સાથે રહીને, તેમના થકી માએ બધું મેળવ્યું હતું, જાણ્યું હતું – કવિઓ, લેખકો, સંગીતકાર, નૃત્યકાર, સ્કોલર્સ, વૈજ્ઞાનિકો, રાજકરાણીઓ, ટ્રેડ યુનિયનવાળા, ખેડૂતો, દુકાનદારો, હેરડ્રેસર્સ, પત્રકારો – બધાં જ. કોઇ વાદળી – સ્પંજની માફક મા બધા આઇડિયા શોષી લેતી અને પોતાની જિંદગી અને એક્ટિંગની જાણકારી માટે તેમનો ઉપયોગ કરતી – ન્યૂક્લિયર સાયન્ટિસ્ટથી માંડીને નર્સ સુધી – તે બધાંયને નજીકથી ઓળખતી. આમાંના કોઇ પણ તેમને ક્યારે ય બેચેન ન કરતાં. તે બહુ ખુશીખુશી પોતાને કોઇ વિષય અંગે કંઇ ન ખબર હોય તો સ્વીકારી લેતી, પછી તે ઉર્દૂ કવિતાઓ હોય કે દાળઢોકળી બનાવવાની રીત હોય (તેને ખાવાનો બહુ શોખ હતો પણ રાંધવાની મજા ન આવતી). સામા માણસને એકવાર જરા ટાઢક વળે પછી તેમના વ્યક્તિત્વમાંથી જે પણ મળી શકે તે મા મેળવી / કઢાવી લેતી.

સઈદ મિર્ઝાની ફિલ્મ `મોહન જોશી હાઝિર હો`માં દીના પાઠક અને ભીષ્મ સહાની

જો આ વાંચી એમ લાગે કે એ લોકોનો ઉપયોગ કરતી તો એ કંઇ ખોટું ચિત્ર નથી ખડું થયું. તે લોકોને પોતાની જરૂર માટે વાપરતી પણ વળતર પણ અનેકગણું વાળતી. જે તેનાં મિત્ર બન્યાં, તેમને મા પોતાનો સમય, લાડ, તેમનામાં અને તેમના પરિવારમાં પોતાનો અંગત રસ – આ બધું આપતી. આખા દેશમાં તેનાં વ્હાલાં, લાંબા સમયથી હોય તેવાં ઘણાં મિત્રો હતાં. સુપ્રિયા અને હું તો મજાક કરતાં કે ભારતમાં એવું કોઇ શહેર નથી જ્યાં માનું એવું ઘર ન હોય જ્યાં તેમને ઉમળકાભેર આવકાર ન મળતો હોય!

તેની સાથે જે કામ કરતાં તેમને તે પોતાની સંનિષ્ઠતા, તેમની ઉત્સુકતા, સતત સારું કરવાની તેની ચાહ, પોતાના પાત્રને નરી માણસાઇથી સમજવાની આવડત અને આંતરસૂઝ ઉપરાંત તેમને માણસ તરીકે સમજવામાં પૂરેપૂરો રસ લેતી, તેમનામાં અને તેમના પરિવારોમાં શું ખાસ છે તે પણ જોતી. તેનાં હેરડ્રેસર સાથેની તેની વાતો હોય કે પછી તેનાં ડાયરેક્ટર સાથેનો તેનો વહેવાર હોય – આ લાક્ષણિકતા બધાં માટે સરખી હતી.

જેમની સાથે તે ટૂંકી વાતચીત પણ કરતી – પછી તે ટ્રેનમાં મળ્યાં હોય, રોટેરિયન્સ હોય જેમની મિટીંગ્ઝ તે સંબોધતી – તે તમામ પર તે પુરું ધ્યાન આપતી, પોતાની રમૂજ, પોતાની વાર્તાઓ આ વાતચીતનો ભાગ પણ રહેતી, વળી તેમનામાં અને તેમના પરિવારમાં પણ પૂરો રસ લેતી. એક વખત તેમણે શિરડી જતાં રસ્તામાં એક સ્ત્રી અને તેની ૩ દીકરીઓ સાથે દોસ્તી કરી; તેના વર્ષો પછી થાણામાં તેમના ઘરે માએ કેટલી વાર સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન ભોજન ખાધું છે (તેમને મળવા તે છેક થાણા સુધી જતાં), વળી દીકરીઓ માટે યોગ્ય મુરતિયા શોધવામાં પણ તે પરોવાઇ અને તેથી વધારે જરૂરી તેમના એકના એક દીકરા માટે યોગ્ય છોકરી શોધવામાં પણ તેણે મદદ કરી. તેમનાં લગ્નોમાં પણ ગઇ અને જે ફિલ્મી વાર્તાઓ સાંભળવામાં બધાંને મોજ પડે તેવી વાતો કરી મહેમાનોને જલસા પણ કરાવ્યાં! મા જાણે તેમના પરિવારનાં એક સભ્ય જ બની ગઇ. તે દાદી, માસી, ફઇ જ નહીં ક્યારેક તો મા પણ હતી, જેને કોઇ પણ પોતાના પરિવારમાં આ સગપણનાં વિકલ્પ તરીકે પસંદ કરી શકતા. સુપ્રિયાને કે મને ક્યારે ય આ વાતની ચીઢ ન ચડતી તે પુરાવો છે કે તે અમારે માટે પણ કેટલી પ્રતિબદ્ધ હતી. ઊલટાનું અમને તે બીજાઓ માટે જે હતી તે બાબતનો હંમેશાં ગર્વ રહેતો. તે બધે ગોઠવાઇ જતી – બંધબેસતી. તેની મામી હંમેશાં કહેતાં, “દીના લીંબુ પાણી જેવી છે, તે ખાટો મીઠો બંન્ને સ્વાદ બની શકે છે.”

તેમનાં મામીએ આવું ઘણી વાર કહ્યું અને તે ય જિંદગીમાં ઘણું પહેલાં – કારણ કે માએ આખી વાતને જાણી હૈયે રાખી હતી અને જિંદગીનો મોટો હિસ્સો તેમણે જે સંજોગો હતા તેમાં બંધબેસવામાં પસાર કર્યો. સૌરાષ્ટ્રના એક સિવિલ એન્જિનિયરની વ્હાલી લાગે એવી દીકરી જે સમય કરતાં પહેલાં મોટી થઇ ગઇ હતી, તેમાંથી તે એક એવી વ્યક્તિમાં બદલાઇ જે માનતી હતી કે, ‘જો મારી બહેન કરી શકે તો હું પણ કરી શકું’ – આ વિદ્રોહી વૃત્તિ ત્યાં સુધી રહી જ્યાં સુધી તેણે પોતાનામાં રહેલી અભિનેત્રીને ન પામી. આ તેના અસ્તિત્વનો પાયાનો પથ્થર હતો. તે એક આકર્ષક, ઉત્સાહી, મલ્ટી-ટેલેન્ટેડ પરફોર્મર તરીકે ઉભરી આવે અને ત્યાર બાદ એક લક્ષ્ય કેન્દ્રી થિએટરની (નાટક) પ્રતિભા તરીકે. એક સમયે (૪૦ના અને ૫૦ના શરૂઆતી દાયકામાં) જ્યારે નાટક વિશ્વનાં લોકો આખા ભારતમાં એક નવી આધુનિક ઓળખાણ શોધી રહ્યા હતા ત્યારે તેણે ‘નટ મંડળ’માં પોતાની આગવી શોધ કરી. અમદાવાદમાં તેણે શરૂ કરેલી એક નાટક કંપની જ્યાં જાતભાતના નાટકો પ્રોડ્યુસ થતાં – ભવાઇ(મેનાગુર્જરી)થી માંડીને ઇબ્સન(ડોલ્સ હાઉસ – ઢિંગલી ઘર)ના નાટકો સુધી. તે એક્ટર મેનેજર હતી, પોતાના ટ્રૂપને ખૂબ કાળજીથી તાલીમ આપવામાં વ્યસ્ત; ઇન્‍ડિયન પીપલ્સ થિએટર એસોસિયેશન (ઇપ્ટા) સાથેના દિવસોમાં તેણે આ આવડતો કેળવી હતી. ઇપ્ટા સાથે દુકાળ માટે ભંડોળ એકઠું કરવા કરેલા ડાન્સ શો માટે થઇ તેણે આખા દેશનું ભ્રમણ કર્યું હતું. આ અનુભવે તેને જ નહીં પણ તેની બાકીની જિંદગીને પણ ધરમૂળથી બદલી નાખી; ત્યાર પછી તો કોઇના દોરી સંચારથી ચાલતી કઠપૂતળી થવાનું તેને ધરાર માફક ન આવ્યું.

વળી સિનેમા વાયા ઘર સાચવવું વાયા બાળકો ઉછેરવાં જેવા ફાંટા પણ (ડાઇવર્ઝન) હતા (કેટલાક તેને સેલ-આઉટ પણ કહેતાં). હું કહીશ કે આ બધા તબક્કે તેણે પોતાના વ્યક્તિત્વમાં બહુ અગત્યનાં અને ક્યારેક મૂળભૂત પરિવર્તનો આણ્યાં જેથી તે આ ચોકઠાઓમાં બંધબેસી શકે. વૂડી એલનની ફિલ્મ ‘ઝેલિગ’માં જે પાત્ર છે તેની માફક તે દર વખતે સહેજ અલગ વ્યક્તિ બની જતી – એક વ્યક્તિ જે તેની આસપાસના લોકો જેવી છે. પણ આ આખી વાર્તાની ખરી સફળતા એ સત્યમાં છે કે તે તેના બહુ બધાં વ્યક્તિત્વના સરવાળા કરતાં કંઇક ગણી વધારે હતી; દીનાના આ બધાં રૂપ એક સાથે રહેતા હતાં, એક બીજા સાથે અને એ લોકો સાથે પણ સંપર્કમાં રહેતા જેમણે તેના બહુવિધ અસ્તિત્વ ઘડ્યાં હતાં. તેને મિત્રો હતાં, સારા મિત્રો હતાં અને તેની કોયડા જેવી જિંદગીના દરેક તબક્કાના મિત્રો હતાં અને બધી જ પીડા, ક્યારયે ન પૂરા કરાયેલા વાયદાઓથી પરે તે પોતાની જાત સાથે અને દુનિયા સાથે પૂરી શાતામાં હતી, તેને હૈયે શાંતિ હતી.

બીજી એક યાદગીરી

મોડી રાત્રે મા મોટા ડબલ બેડ પર બેઠી છે, એક નાનકડી ડીમ લાઇટ ચાલે છે અને જાપાનીઝ રમીના પત્તાં આસપાસ પડ્યાં છે. તે બે બાજી ડીલ આઉટ કરે છે, બન્ને બાજી પોતે જ રમે છે, બન્નેમાં અંચઇ પણ કરે છે અને બન્ને માટે ખુશ પણ થાય છે તથા દુઃખી પણ થાય છે!

આ  સ્વરૂપાંતર – મેટામોર્ફોસિસ અટક્યું નહીં. તેનો છેલ્લો અવતાર નાનીનો હતો (મારા પતિના મતે તે સૌથી સફળ અવતાર હતો). તે અમારાં છોકરાંઓ સાથે બહુ મજાની હતી. સાચી દોસ્ત, તેને છોકરાંઓ સાથે બહુ જ મજા પડતી અને છોકરાંઓ પણ આ લાડ એટલા જ હોંશથી પાછું વાળતાં. તેમને હી-મેન અને જી.આઇ.જો., ક્રિકેટ અને WWF, સ્ટિરિયો નેશન અને બૅકસ્ટ્રીટ બૉય્ઝ વિષે પણ ખબર હતી – આ માટે છોકરાઓને થેંક્યુ કહેવું પડે. વળી કુછ કુછ હોતા હૈ, બાર્બી ડૉલ્સ, રિબન્સ અને લેસ ડ્રેસિઝ, ચણિયા ચોળી વિશે છોકરીઓને લીધે ખબર હતી. તે તેમની વાર્તાઓ સાંભળતી અને પોતાની વાર્તાઓ કહેતી, મારો દીકરો કહે છે તેમ, “બા આસપાસ હોય તો કશું સુસ્ત હોય જ નહીં, તે બધાંને અને બધું જ ખુશખુશાલ કરી દે છે.”

આમાં આપણાં બધા ય માટે એક બોધ છે! કઇ રીતે શાલિનતા સાથે અને સરસ રીતે વૃદ્ધ થવું :  કઇ રીતે ફરિયાદ કર્યા વિના એકલતા સ્વીકારવી; કઇ રીતે અન્યોમાં અને તેમની જિદંગીમાં, તેમના ભવિષ્યમાં એવું કંઇક શોધવું જે વાતનો મનને ટેકો રહે; કંઇક એવું જેનું જતન કરી શકાય, જેને પ્રોત્સાહન આપી શકાય, જેની સાથે જાતને જોડી શકાય. તે ચાર પેઢીઓ સાથે જોડાઇ – તેના માતાપિતાથી અમારા સંતાનો અને તેમનાં મિત્રો. તેને અમારી જિંદગીનો હિસ્સો થવું હતું, અમારા ઉત્સાહને વહેંચવો હતો અને આમ કરવા માટે તે સતત પોતાની જાતમાં કંઇ નવું ઉમેરતી રહી. અજાણતાં જ તેણે મને સ્પષ્ટ કરી આપ્યું કે કુટુંબ, ખાસ કરીને બાળકો કોઇ પણ વ્યક્તિ માટે શું કરી શકે છે. તે માણસને જાતની પાર જોતાં શીખવે છે તે પણ સૌથી સાહજીક રીતે. સાવ નહિંવત્ અહમ્‌ ધરાવનારી વ્યક્તિઓમાં હું કોઇને જાણતી હોઉં તો તે મા હતી. કોઇનું અનુકરણ કરવાનું હોય તો મને આનાથી બહેતર દૃષ્ટાંતની જરૂર જ નથી.

ઘટનાઓથી તરબતર એક જિંદગીને ૧૦૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં હોય ત્યારે કોઇને જાત માટે શું બતાડવાનું હોય? કેટલાક નવો ચિલો ચાતરનરા અવ્વલ દરજ્જાનાં કામ – કમનસીબે તેનો કોઇ રેકોર્ડ નથી; કેટલીક ઘણી સારી પણ મોટે ભાગે સાધારણ (મીડિયોકર) એવી ફિલ્મોની યાદી – કમનસીબે તે બધું પાછું સચવાયેલું છે; ધીરે ધીરે એવા લોકોની સંખ્યા પણ પાંખી થઇ રહી છે, જે નાટકના ક્ષેત્રમાં તેના યોગદાનની ખાતરી આપી શકે; થોડા એવોર્ડ્ઝ; કોઇ થિયેટર ગ્રૂપ નથી જે તેનાં પ્રકારના કામને આગળ ધપાવે (આ વાતનો તેને હંમેશાં વસવસો રહેતો); તેના કૌશલ્ય અંગેની કોઇ દંતકથાઓ વાર્તાઓ નહીં (જેનો તેને કોઇ વસવસો નહોતો); મોટી સંખ્યામાં લોકો જે તેન ભરપૂર પ્રેમથી અને પ્રશંસાથી યાદ કરે છે (તેને પોતાની શાંતિ સભામાં હાજર રહેવાનું બહુ ગમ્યું હોત) અને અમે – સુપ્રિયા તથા હું!

છેલ્લી બાબત મારે માટે અગત્યની છે. અમે એવું તે શું વણ્યું છે જાતમાં જેનાથી તેને અમારી પર ગર્વ થાત? અભિનેત્રી તરીકે અમે તેનાથી અલગ છીએ પણ માણસ તરીકે અમારી તેનો અઢળક પાડ માનવાનો છે. તેની પાસેથી અમે શીખ્યાં કે માણસો સારા હોય છે, રસપ્રદ હોય છે તે જિદંગીનો મુખ્ય આધાર છે અને તેમનાથી ડરવાની કોઇ જરૂર નથી, તથા તેમની સાથે સ્વીકાર અને પ્રેમથી વહેવાર કરવો જોઇએ. તેઓ પણ આપણી જિંદગીનું મુખ્ય કેન્દ્ર હોઇ શકે છે, બીજી બધાં પાસાઓનું મહત્ત્વ ખેરવ્યા વિના પણ!

તમે સાંભળ્યું હશે કે વડના છાયડામાં બીજા કોઇ છોડને દરજ્જો ન મળી શકે. પણ મારું વડનું ઝાડ, મારી માએ મને એ બધું જ મેળવવામાં મદદ કરી જે મને જોઇતું હતું અને તેનાથી વધારે પણ મેં મેળવ્યું. તેણે મને સહકાર આપ્યો, મને પ્રોત્સાહન આપ્યું, મને સાચી દિશામાં વાળી, મારી ટીકા કરી, મારા દરેક સાહસમાં તે મારી સાથે હતી (અને ખાસ તો) તેણે મને મુક્ત છોડી. ઉપરાંત તે મને પ્રેમ કરે છે અને તેને મારા પર વિશ્વાસ છે તે અંગે તેણે એક ક્ષણ માટે પણ મને ક્યારે ય એ વહેમ નથી થવા દીધો. તેનું આ ઋણ ચુકવવાનો એક માત્ર રસ્તો છે કે આ તમામ હું મારા સંતાનોને વારસમાં આપું. હું તેમનું લીંબુ પાણી બનું. તેમની જિંદગીમાં સ્વાદ ઉમેરું, મીઠો કે ખાટો.

સૌજન્ય : Gujarati Mid-day Online Correspondent; 04 માર્ચ 2022

https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/article/theatre-and-cinema-stalwart-dina-pathak-would-have-turned-100-today-daughter-and-renowned-actor-ratna-pathak-shah-writes-about-her-mother-who-always-fitted-in-many-boxes-but-still-broke-stereo-types-lived-courageously-162681?fbclid=IwAR3DyQIseeLb8npS-m0p2cJ0hH49pC4ugViXASBukh-2M9-CtFp1A2fvv_U

Loading

...102030...1,5761,5771,5781,579...1,5901,6001,610...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved