Opinion Magazine
Number of visits: 9570245
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રશિયાનો યુક્રેન પર હુમલોઃ પુતિનની મહત્ત્વાકાંક્ષાઓની લોહિયાળ ભૂલ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 March 2022

રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે

૨જી માર્ચે મિખાઇલ ગોર્બાચોવનો જન્મદિવસ ગયો. રશિયાના સમાચારોથી આપણા દિવસો ભરેલા હોય ત્યારે ગોર્બાચોવ, તેનું રાજકારણ, તેમના માથે પેલું મોટું નિશાન, યુ.એસ.એસ.આર.ને તોડનાર રાજકરાણી તરીકે બધું યાદ આવે તે સ્વાભાવિક છે.  ગોર્બાચોવના શાસનકાળ પછી પહેલીવાર એક રાષ્ટ્ર તરીકે રશિયાએ આક્રમકતા દર્શાવી છે. રશિયાની આ આક્રમકતા માત્ર યુક્રેનને તાબામાં કરવા જેટલી હશે? રશિયાની બીજી શું મહત્ત્વાકાંક્ષા હોઇ શકે?

છેલ્લા ચાર દાયકામાં રશિયા આંતરરાષ્ટ્રિય સંબંધોને મામલે શાંતિપૂર્ણ બદલવાનું કેન્દ્ર રહ્યું છે. ગોર્બાચોવના સમાધાનકારી New Thinking (NT)ને કારણે શીત યુદ્ધના સંઘર્ષનો અંત આવ્યો સાથે યુ.એસ.એસ.આર.નું વિભાજન થયું – અનેક રશિયન દેશો અલગ થયા અને તે સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળનો પણ અંત આવ્યો. આધુનિક રશિયા અમેરિકન એકધ્રુવીયતાથી દૂર અને બહુધ્રુવીય તંત્રની દિશામાં આગળ વધી રહેલો દેશ છે. સમાંયતરે રશિયા ગોર્બાચોવના NTના આદર્શવાદથી અંતર કરતો આવ્યો છે અને વધુ સંઘર્ષાત્મક – સાદી ભાષામાં સામો થવાનો અભિગમ અપનાવતો આવ્યો છે. બધું શાંતિથી ધીમે ગતિએ બદલાય તે આધુનિક રશિયાને બહુ પચતું નથી, પણ આ પહેલાં રશિયાએ આક્રમક થવાનું ટાળ્યું. રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વાના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે. યુ.એસ.એ. અને રશિયા વચ્ચે મહાસત્તા બનવાની રેસ ક્યારે ય અટકી નથી, એ ઘેલછાને કારણે યુદ્ધો પણ થતાં રહ્યાં છે.

રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો, જાહેર કરેલું આ યુદ્ધ લાંબુ ચાલશે તો શું થઇ શકે છે? પુતિને જે કર્યું તે શા માટે કર્યું? આ સવાલોના જવાબને સમજતા પહેલાં ગોર્બાચોવના સમય પર નજર નાખીએ. ગોર્બાચોવનો મુખ્ય ઉદ્દેશ હતો આર્થિક દૃષ્ટિએ રશિયાને પશ્ચિમી દેશોની સમાંતરે મુકવો. અર્થતંત્ર પણ પૂરેપૂરું નહીં પણ અમુક અંશે ઉદારમતવાદી થયું – આ મિશ્ર અર્થતંત્રની ખીચડીને કારણે અરાજકતા ફેલાઇ જેને કારણે ગોર્બાચોવની નાલેશી થઇ. કમાન્ડ ઇકોનોમી – એટલે કે ઉત્પાદન જાહેર માલિકીની હોય પણ ઉત્પાદનનું લક્ષ્ય, રોકાણ, વેચાણ વગેરે બધું પણ કેન્દ્રિય સત્તાના હાથમાં હોય – માંથી મિશ્ર અર્થતંત્રનો ફેરફાર ગોર્બાચોવ ન લાવી શક્યા. રાજકારણમાં લોકશાહી લાવવા માટે ગોર્બાચોવે ગ્લાન્સ્નોત નીતિ લૉન્ચ કરી. આ નિર્ણય ગોર્બોચેવ માટે પગે કૂહાડી મારવા જેવો થયો કારણ કે સરકારની અસક્ષમતાની વાતો જોરશોરથી થવા માંડી. આ સંજોગોમાં પોતાની સત્તા મજબૂત કરવા મથતા ગોર્બોચોવ બંધારણીય સરમુખત્યાર બન્યા તો ખરા પણ તેમની નીતિઓ અમલમાં ન મૂકાતી. સેન્ટ્રલ કમિટી સેક્રેટેરિયટનું જોર વધ્યું પણ ગોર્બાચોવે બમણું જોર કરી પક્ષને રોજિંદા અર્થતંત્રમાં માથાકૂટ કરતા રોક્યો. સત્તા સોવિયેટ્સ પાસે ગઇ. બધા રિપબ્લિક્સને પોતાનું પ્રમુખપદ ખડું કરવાનો મોકો મળ્યો. આ તરફ શીત યુદ્ધને કારણે ખડો થયો આર્થિક બોજ ગાર્બાચોવને સમજાયો. ગોર્બાચોવે યુ.એસ.એસ.આર. હવે આંતરરાષ્ટ્રીય જોખમ નથી તેવું વિશ્વભરના દેશોને ગળે ઉતાર્યું. બદલાયેલી નીતિને કારણે શીત યુદ્ધ અટક્યું અને પૂર્વીય યુરોપનું લોકશાહીકરણ થયું. બીજી તરફ સોવિયેત યુનિયનની સ્થિતિ નબળી પડી, આર્થિક પ્રશ્નો ગંભીર બન્યા – સોવિયેત સામ્રાજ્યના નેતા તરીકે ગોર્બાચોવનું સ્થાન જોખમાયું. બોરિસ યેલ્તસીનની એન્ટ્રી-એક્ઝિટ અને રિ એન્ટ્રી થઇ. ગોર્બાચેવને માથે માછલાં ધોવાયા અને યેલ્તસીનના રાજકારણે રશિયન રાષ્ટ્રવાદની લાગણી તીવ્ર કરી. રશિયન્સને સોવેયતનું તંત્ર કઠ્યું. ઘણી ઊંચ – નીચ પછી અંતે સામ્યવાદી પક્ષનો અંત આવ્યો. સમયાંતરે સોવિયેત યુનિયનનું ખંડન થયું. યેલ્તસીને મોકાનો લાભ લઇ પોતાની છબી મજબૂત કરી, જો કે તેના શાસનમાં પણ સમસ્યાઓનો પાર નહોતો.

વર્તમાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના મતે ગોર્બાચોવે અને યેલ્તસિને રશિયાને સૌથી વધુ નુકસાન કર્યું છે. આજે રશિયાનું અર્થતંત્ર રેઢિયાળ હાલતમાં છે. પુતિનને તેની કોઇ પરવા નથી. લોકશાહી તરફી વાત પુતિનને CIAનું કાવતરું લાગે છે.  પુતિને આ પહેલા તો હંમેશાં એ વાતની ના જ પાડી છે કે તે પોતાના પાડોશી દેશ યુક્રેઇન પર હુમલો કરશે. યુરોપિયન લોકશાહી ધરાવતા યુક્રેન પર હુમલો કરવાનું કારણ આપતા પુતિને કહ્યું કે રશિયાને હંમેશાં આધુનિક યુક્રેનથી બહુ જ જોખમ રહ્યું છે. પુતિન હાલમાં જે ચાલી રહ્યું છે તેને યુદ્ધ કે ચઢાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તે પોતે યુક્રેનની સફાઇ કરે છે – સૈન્યને ત્યાંથી કાઢી તેમાંથી નાઝીવાદ દૂર કરે છે તેવો તેનો દાવો છે. પુતિનની માંગ છે કે યુક્રેનને નાટોમાં જોડાવું નહીં, ભૌગોલિક દૃષ્ટિએ પૂર્વીય વિસ્તરણ કરવું નહીં અને જેમ 1997માં નક્કી થયું હતું તેમ કરવું. પુતિનના મતે આધુનિક યુક્રેન સામ્યવાદી રશિયાથી બન્યું હતું પણ હવે તે એક પપેટ સ્ટેટથી વધારે કંઇ નથી જેનો દોરી સંચાર પશ્ચિમી રાષ્ટ્રના હાથમાં છે. નાટોની મનમાની સામે પુતિનને વાંધો છે. પુતિનનું સૈન્ય યુક્રેન પર બધી તરફથી ફરી વળ્યું છે અને યુરોપને હચમચાવી દેવાની તેની ધમકી રશિયનો માટે જ બહુ મોટી ખોટ સાબિત થશે. પુતિનને કોઇ પરવા નથી, તેને પોતાની પ્રજાના ભલામાં રસ નથી. યુરોપની સૌથી મોટી આર્મીની લગામ તેના હાથમાં છે, તેણે આખા વિશ્વને યાદ કરાવ્યું છે કે તેની પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે. યુક્રેનિયન જેનોસાઇડ – નરસંહારને રોકવા માટે પોતે જે કરી રહ્યો છે તે યોગ્ય છે તેમ પુતિનની માન્યતા છે. પુતિનને યુક્રેનની સ્વતંત્રતાનો અને પશ્ચિમી ઝુકાવનો ડર છે, શસ્ત્રોનો નહીં.

આ યુદ્ધ લાંબુ ચાલશે તો અન્ય રાષ્ટ્રોએ પોતે કોની તરફ છે તે જાહેર કરવું પડશે. પશ્ચિમી દેશોએ આ યુદ્ધથી થતું નુકસાન જેટલું ઓછું થાય તે માટે સાબદા રહેવું પડશે. પશ્ચિમી દેશોએ ફુલ સેન્ક્શન પેકેજીઝના જે વાયદા કર્યા હતા, તે પૂરાં કરવા પડશે. વગર કારણ રશિયન્સ નાગરિકોને દંડાવું પડે તેવાં પગલાં ટાળવાં પડશે જેમ કે રશિયન્સ માટે વિઝાનો પ્રતિબંધ જેવા પગલાં તેઓ નહીં લઇ શકે. રેફ્યુજી ક્રાઇસિસ પણ નવા સ્તરે પહોંચશે. નાટો અને તેના સભ્ય દેશોએ યુક્રેનને શસ્ત્ર સંરજામ સહિતની તમામ સહાય પૂરી પાડવી પડશે. બિન પશ્ચિમી દેશોએ પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. જેમ કે કેન્યાના યુ.એન. પ્રતિનિધિએ રશિયાનો વાંક છે તેમ કહેવામાં કોઇ સંકોચ ન રાખ્યો. ચીનને રશિયા-પુતિન સાથેની યારી દોસ્તી આર્થિક અને રાજકીય દૃષ્ટિએ ભારે પડી શકે છે અને માટે સાચા દોસ્તની માફક તેણે પુતિનને પીછેહઠ કરવા સમજાવવો રહ્યો. યુ.એન. અને અન્યોએ યુક્રેનમાં યુદ્ધને કારણે થનારા માનવતાવાદી નુકસાનને પહોંચી વળવામાં મદદ કરવી જોઇએ. આપણા દેશની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારી સંબંધોને પગલે હાલના સંજોગોને કારણે સુરક્ષા, ઊર્જા, ધાનની ડિલીવરી અને કિંમતો પર ઘેરો પ્રભાવ પડવાની શક્યતાઓ છે. રશિયન ક્રાઇસિસને કારણે UNSCમાં ભારતનો ફાળો ઘટી રહ્યો છે. ભારતને યુરોપિયન દેશોની માફક રશિયા સાથે ડીલ કરવાનું માફક આવે તેમ છે નહીં કે યુ.એસ.ની માફક.

બાય ધી વેઃ

પુતિને રશિયા માટે જોખમી અને અચોક્કસ સંજોગોનો માર્ગ પસંદ કર્યો છે. યુદ્ધ કોણ જીતશે તે જરૂરી નથી. ઇરાક અને અફઘાનિસ્તાનના દૃષ્ટાંત પરથી યુ.એસ.એ.ને સમજાયું હશે કે સરકાર ઉથલાવવી અને તેને બદલે કંઇક સ્થિર સ્થાપિત કરવું બન્ને અલગ બાબતો છે. પુતિને જે સૈન્યોના વિસ્તરણનો ડર બતાડી યુક્રેન પર હુમલો કર્યો છે, તે લાવ-લશ્કર નાટોએ સરહદે સજ્જ કરી દીધાં છે. રશિયન ઇતિહાસ સરમુખત્યારોના હાથમાં રહ્યો છે, તે ઝાર નિકોલસ હોય કે જોસેફ સ્ટાલિન હોય. રશિયા યુક્રેનનો સંઘર્ષ છેલ્લા દાયકાઓમાંનો સૌથી મોટો યુરોપિયન સંઘર્ષ બની શકે તેવું જોખમ છે. રશિયાના ઇતિહાસમાં આ એક શરમજનક પડાવ ગણાશે તેવું ઉદારમતવાદી રશિયન્સનું માનવું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  06 માર્ચ 2022

Loading

લાગણીઓનાં બેસણાં

પાયલ ધોળકિયા|Poetry|6 March 2022

આ તે કેવાં બંધનનાં સ્પંદનો?
છુટાં છવાયા વાદળો પણ કાબૂમાં આવી જાય,
જ્યારે વર્ષાની ગર્જના થાય.
જેમ આભ ગુમાવ્યાની વેદના
ખરતા તારા સિવાય
કોઈ જાણી શકતું નથી,
તદ્દન એવું જ થાય છે
આ રહસ્યમય જીવનમાં,
દૂર વસતાં આપ્તજનોનો
સાથ હોવો એ આજે
ઓકિસજન જેવું ફરજિયાત બની ગયું છે,
સંબંધો હવે લાગણીનાં
વેન્ટીલેટર ઉપર પાંગરે છે.
લાગણીની ભિનાશની ખપ વર્તાય છે.
સાચવી લેજો આ સંબંધો ને,
નહીં તો એ દિવસ દૂર નથી,
જયાં લાગણીઓનાં પણ બેસણાંમાં જવું પડશે.

e.mail : payaldholakia666@gmail.com

Loading

બા અને બાપુ – દાંપત્યનું એક સુગંધી ચિત્ર

સોનલ પરીખ|Gandhiana|6 March 2022

કસ્તૂરબાની શોધ કરનારાઓને બા એકલાં મળે નહીં. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી. બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ દુનિયાથી એવો નિરાળો હતો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા …

(22 ફેબ્રુઆરી – કસ્તૂરબાની પુણ્યતિથિ)

નારાયણ દેસાઈએ એમના પિતા મહાદેવભાઈનું જીવનચરિત્ર લખવા માંડ્યું ત્યારે મુશ્કેલી એ થઈ કે તેમને મોહન વિનાના મહાદેવ મળ્યા જ નહીં. પછી તેમણે મોહનમાં જ મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક સર્જાયું. કસ્તૂરબાની શોધ કરનારાઓને પણ આ જ અનુભવ થાય. બા એકલાં હાથમાં ન આવે. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે એ પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી.

મુશ્કેલી એ છે કે બાએ પોતાના વિશે કશું કહ્યું નથી. લોકો એમને મહાત્માનાં પતિપરાયણ અર્ધાંગિની તરીકે જ ઓળખે છે. ઉપરાંત આજથી દોઢ સદી પહેલાનો એ સમય પણ જુદો હતો અને જેને અનુસરવાના સંસ્કાર બાનાં લોહીમાં વહેતા હતા એ પતિ પણ દુનિયાથી નિરાળો હતો. એવો નિરાળો કે દેશના જ નહીં, દુનિયાના ઇતિહાસને બદલી નાખનાર સંયોગો બાની આસપાસ સર્જાતા ગયા.

તેર વર્ષની ઉંમરે પોતાનાથી થોડાક નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના લગ્નજીવન દરમ્યાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો અને ભારતની જ નહીં, સમગ્ર વિશ્વની શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્યપરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાંતો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માના અર્ધાંગિની બનવું એ જ્વાળામુખીની ટોચ પર રહેવા જેવું કપરું કામ હતું. ગજું જોઈએ.
બામાં આ ગજું હતું. બાપુની પડખે રહીને બાએ પણ વિરાટ ઐતિહાસિક પરિવર્તનોનાં મૂળમાં પોતાની પ્રાણશક્તિ સીંચી હતી. કાઠિયાવાડની એક સંસ્કારી નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધી બાની યાત્રામાં કેવા વળાંકો, કેવા પડાવો આવ્યા હશે, તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું શું છોડ્યું હશે, શું શું અપનાવ્યું ને સ્વીકાર્યું હશે, પોતાને કેવી કેવી રીતે સજ્જ કર્યાં હશે તેની કલ્પના કરતાં મનમાં અજબ રોમાંચ, અજબ ઊથલપાથલ જાગ્યા વિના રહે નહીં.
પતિપત્નીનાં સંબંધો વિશે પુરાતન ધર્મશાસ્ત્રોથી લઈને આજની સંબંધોનાં મૅનેજમેન્ટની વિભાવનાઓ સુધી ઘણું લખાયું છે. સમસ્યાઉકેલ અને સ્નેહસુમેળનાં સેમિનારો થાય છે. આ બધાથી સંબંધો થોડાઘણા સુધરતા હશે. પરંતુ પોતાનું કલ્યાણ સાધતાં સાધતાં લોકસમુદાયને પણ કલ્યાણપથ પર સાથે દોરી જવાની સમજણ સાથે આગળ વધતાં દંપતી જૂજ હોય છે. કસ્તૂરબા અને ગાંધીજી આવાં પતિપત્ની હતાં. ત્યારે જ તો બા બાપુ માટે કહી શકે કે મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય અને બાપુ બા માટે કહી શકે કે મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.

22 ફેબ્રુઆરીએ કસ્તૂરબાની પુણ્યતિથિ હતી. બા વિશે બાપુના ઉદ્દગારો કેવા છે ? બાપુ લખે છે,

‘બા નિરક્ષર હતી. સ્વભાવે સીધી, સ્વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ ન હતો. હું ભણું છું અને પોતે પણ ભણે તો સારું એવી એની ઈચ્છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. પણ તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ જુવાનીમાં મેં એને ભણાવવાના જેટલા પ્રયત્નો કર્યા તે બધા લગભગ નિષ્ફળ ગયા. જ્યારે હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. પરિણામે આજે કસ્તૂરબાઈની સ્થિતિ માંડ કાગળ લખી શકે અને સામાન્ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદુષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.

‘બામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે, જે બીજી ઘણી હિંદુ સ્ત્રીઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલો છે. મને-કમને, જ્ઞાન-અજ્ઞાનથી મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે. અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોક્યો નથી. આથી, જો કે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે. બ્રહ્મચર્યવ્રતના પાલનમાં બા તરફથી કદી વિરોધ નથી થયો. અથવા તો બા કદી લલચાવનારાં નથી બન્યાં. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.

‘મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોયે તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશે ય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ. અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં-સેવામાં ભેદ ન રહ્યો. બા તેમાં તદાકાર થવા લાગી.

‘અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિથી અમે આત્મસંયમ સ્વીકાર્યો ત્યારથી અમારો સંબંધ સાચા મિત્રનો થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. અમારી ગાંઠ પહેલાં કદી નહોતી તેવી દૃઢ બની. મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કાર્યમાં સમાઈ જવામાં જ માન્યો. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બની. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.’

બા-બાપુના મધુર દાંપત્યમાંથી આજનાં દંપતીઓએ ઘણું શીખવા જેવું છે. એવું નહોતું કે લગ્નના પહેલા દિવસથી જ બેઉ સરસ ગોઠવાઈ ગયેલાં. બાપુનો તાપ ઓછો નહીં ને બા પણ દબાઈ જાય એવાં નહીં. લાલ કિનારવાળી એક સફેદ સાડી બાપુએ કાંતેલા સૂતરમાંથી બની હતી. એમને એ એટલી પ્રિય હતી કે એ સાડી ઓઢી જ ચિતાએ ચડવું એવી એમની આકાંક્ષા હતી. આ આકાંક્ષામાં ફક્ત પરંપરા નહીં, પ્રેમ પણ હતો. પ્રેમની સુંદર ઝલક બાપુએ બાને લખેલા આ શબ્દોમાં પણ મળે છે : ‘બા, તેં લખ્યું, મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો. મોટર ચાલી ને મને પણ લાગ્યું, પણ તું દૂર હતી. તને બહારની નિશાની જોઈએ કે? એમ કેમ માની બેસે છે કે હું બહારથી નથી દેખાડતો, તેથી મારો પ્રેમ સૂકાઈ ગયો છે? હું તો તને કહું છું કે મારો પ્રેમ વધ્યો છે ને વધતો જાય છે … હું તને કેવળ માટીની પૂતળી નથી માનતો. વધુ શું લખું?’

યરવડા જેલમાં એક વાર બાપુએ ફકત દૂધ પર રહેવાનું નક્કી કર્યું. મહિનામાં બાપુનું વજન ખાસ્સું ઘટી ગયું. જેલના અંગ્રેજ સુપ્રિન્ટેન્ડન્ટે બચાવ કર્યો કે ગાંધીજી આ બધું કરે છે એમાં મારો વાંક નથી. બાએ પણ અંગ્રેજી ફટકાર્યું : ‘યસ, યસ. આઈ નો માય હસબન્ડ. હી ઓલ્વેઝ મિસ્ચિફ.’ ૧૯૪૨માં બાપુ ‘હિંદ છોડો’ની ઘોષણા કરવા સેવાગ્રામથી મુંબઈ જઈ રહ્યા હતા. એમને ખાતરી હતી કે સરકાર આ વખતે એમને નહીં જ પકડે. બાને હતું કે પકડશે જ, એટલે માંદાં હોવા છતાં બાપુ સાથે ગયાં. બા સાચાં ઠર્યાં. બાપુ તો પકડાયા જ, બીમાર બાને પણ અંગ્રેજોએ કેદ કર્યા. પછીનું દોઢ વર્ષ, બા-બાપુ પૂનાના આગાખાન પેલેસમાં કેદ રહ્યાં. ત્યાં જ બાપુના ખોળામાં બાનું મૃત્યુ થયું.

બાના મૃત્યુના બે દિવસ પહેલાં મનુબહેન ગાંધીએ નોંધ્યું છે, ‘બાપુજી પોતાનું બધું કામકાજ બંધ કરી મોટીબાની સેવા કરવામાં જ લીન થઈ ગયાં છે. ઘણોખરો વખત મોટીબા પાસે બેસવામાં જ ગાળે છે. મૃત્યુવેળાએ બાપુએ બાના માથે હાથ ફેરવ્યો. બાએ કહ્યું : ‘જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં.’ ને જીવ નીકળી ગયો. બાપુની આંખમાંથી આંસુ સરી પડ્યાં.

કસ્તૂરબા-ગાંધીજીના લગ્નજીવનનું આવું સૌંદર્ય હતું. ગાંધીજી કહેતા કે બ્રહ્મચર્યવ્રત બાદ બા સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ અને પવિત્ર બન્યો હતો. પરંતુ એમણે એવું કોઈ વ્રત ન લીધું હોત તો પણ, એકમેક પ્રત્યેના પ્રેમ અને આદરના જોરે તેમણે ઉમદા દાંપત્યની આટલી જ ઊંચી મિસાલ પૂરી પાડી ન હોત?

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ફેબ્રુઆરી 2022 

Loading

...102030...1,5741,5751,5761,577...1,5801,5901,600...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved