Opinion Magazine
Number of visits: 9569943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“મારી વિદ્યાયાત્રા” પુસ્તકનું નિવેદન

સુમન શાહ|Opinion - Opinion|29 March 2022

મંજૂર ના-મંજૂરની સંમિશ્ર અવસ્થામાં …

આમ તો ૪૫૦ પાનનું આ પુસ્તક પોતે જ એક નિવેદન છે. હું લખતાં, વાંચતાં ને વ્યાખ્યાનો કરતાં શીખ્યો તે કેવીક રીતોએ કરીને શીખ્યો, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન. તે પછી એ ત્રણેય દિશાઓમાં એક સાહિત્યકાર રૂપે કેવોક વિકસ્યો ને વર્તમાનમાં ક્યાં જઈને પ્હૉંચ્યો છું, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન.

આ નિવેદનાત્મક પુસ્તકને હું સાહિત્યકારજીવનું સાચકલું આત્મકથન પણ કહું છું. પુસ્તકમાં બધે હું જ બોલ્યો છે, મારે વિશે જ બોલ્યો છું, સચ્ચાઇથી બોલ્યો છું. આયુષ્યનાં ઘણાં વર્ષ હું સાહિત્યના અધ્યાપક રૂપે જીવ્યો છું. છતાં મને લાગ્યું છે કે હું સાહિત્યનો આજીવન વિદ્યાર્થી છું. એ રૂપે પણ બોલ્યો છું.

ગણીએ તો મારા સાહિત્યપુરુષાર્થની ઉમ્મર ૬૦ વર્ષની થાય. એ દરમ્યાન મને સમજાયું છે કે હું સરસ લખી શકવાની ક્ષમતા ધરાવું છું, પરન્તુ એમ પણ સમજાયું કે ગુજરાતી ભાષાની ક્ષમતા ઘણી છે. મને મારી સર્જકતામાં અખૂટ શ્રદ્ધા છે, પરન્તુ મને એમ પણ સમજાયું કે માનવીય સર્જકતા અનન્ત છે, એનો કોઈ છેડો કે પાર નથી.

આ મારી વિદ્યાયાત્રા છે. સાહિત્ય અને બધી જ કલાઓ તેના ઉચ્ચોચ્ચ અર્થમાં વિદ્યા છે. મને સાહિત્યવિદ્યા કેટલી આવડી તેનાં તોલમોલ સુજ્ઞો કરશે પણ મને પોતાને તો એમ લાગે જ છે કે કંઈક તો આવડી છે. ત્રણ વાતે ગમ પડી છે – સાહિત્યનું સ્વરૂપ શું છે – તેનું કાર્ય શું છે – તેની પદ્ધતિ શી છે. એ ભૂમિકાએ મને ટૂંકીવાર્તાનાં સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિમાં ખાસ્સી ગમ પડી છે. મેં કાવ્યો, નવલકથાઓ અને નિબન્ધો લખ્યાં છે પણ મૂળે હું વાર્તાનો માણસ છું. ટૂંકીવાર્તાને આપણા સમયનું અતિ ઉપકારક અને કારગત સાહિત્યસાધન સમજું છું અને એ દિશામાં શક્ય એટલાં અ-પૂર્વ સર્જનો કરવાની મનીષા સેવું છું …

ખરા સાહિત્યના જાણતલ તરીકે વિવેચન મને જરૂર ગમે છે, પરન્તુ કૃતિની વસ્તુલક્ષી પરીક્ષા અને સમીક્ષાનું મારે મન ભારે મૂલ્ય છે. પ્રત્યક્ષ વિવેચનમાં મેં ૧૦ પુસ્તકો ભરીને કામ કર્યું છે. કેમ કે મારી સ્પષ્ટ માન્યતા છે કે વિવેચનમાત્રનો શુભારમ્ભ પ્રત્યક્ષ સમીક્ષાથી થાય છે. સમીક્ષા જ સર્જકતાને પ્રકાશિત કરી શકે અને ભાવકતાને કેળવી શકે. સમીક્ષાથી જ સાહિત્યિક સંદર્ભો રાજકારણમુક્ત અને સ્વાયત્ત રહી શકે. અધ્યાપન પણ સમીક્ષારસે શોભે. તેમ છતાં વિવેચક સંજ્ઞાના ઉત્તમોત્તમ અર્થમાં હું વિવેચક નથી. મને ડર રહ્યો છે કે વિવેચન મને સાહિત્યસર્વજ્ઞ બનાવી દેશે – સાહિત્યકલા બાબતે બધું જ જાણનારો, મહા જ્ઞાની – એથી મારામાં અહંકાર જાગશે, ન્યાયાધીશ બનીને છકી જઇશ. તો એવા પરિણામે લઈ જનારું વિવેચન મને મંજૂર નથી.

Pic courtesy : WallpaperSafari

ખરા વિવેચનના જાણતલ તરીકે સાહિત્યના સિદ્ધાન્તો, શાસ્ત્રો, ભરત મુનિથી માંડીને જગન્નાથ સુધીનાં, પ્લેટોથી માંડીને એલિયટ અને રોલાં બાર્થ સુધીનાં, મને જરૂર ગમે છે. મેં પોતે સાહિત્યસિદ્ધાન્તને સમજવા-સમજાવવાની મૌલિક કોશિશ કરી છે -આ પુસ્તકનાં ૪ પરિશિષ્ટ એનો પુરાવો છે. તેમ છતાં, સિદ્ધાન્તો જો માણસની સર્જન / લેખનને માટેની સહજ વૃત્તિને કચડી નાખે તો સંભવ છે કે ઘાતક પુરવાર થવાના – ભલે ને એ ગમે તેટલા સુ-ચિન્તિત, જ્ઞાનવર્ધક અને સ-રસ કેમ નથી. સાહિત્યસિદ્ધાન્તોનું એવું પરિણામ મને મંજૂર નથી. તેમ છતાં સાહિત્યના સર્જકો / લેખકો અને અધ્યાપકો સિદ્ધાન્ત કે શાસ્ત્રને જાણવા જ ન માગે, બેતમા થઈ જાય, ઉદાસીન, તો તે પણ મને મંજૂર નથી.

આમ, અધ્યાપન સર્જન વિવેચન શાસ્ત્ર વગેરે મારા બધા જ સંદર્ભોમાં હું મને, મંજૂર ના-મંજૂરની સંમિશ્ર અવસ્થામાં નીરખી રહ્યો છું. બ્લૅક ઍન્ડ વ્હાઇટ-માંથી ખસીને ગ્રે-માં જઈ ઊભો છું. એવી ન-નિર્ણાયાત્મકતા એક અર્થમાં સારી છે કેમ કે એ મને ચીંધે છે કે છેલ્લા નિર્ણય માટે મારે અટકી જવાનું નથી, હજી ચાલતા રહેવાનું છે, થાકું નહીં ત્યાં લગી ચાલતા રહેવાનું છે. પણ થાકીશ? ક્યારે? સ્વજનોને અને મિત્રોને કહેતો આવ્યો છું કે મને તમે છેલ્લી ઘડી લગી લખતો જોશો. લાગે છે કે એમ ભલે મજાકમાં કહેવાયું હતું, પણ હવે એ જ સાચું પડવાનું છે.

યાત્રા શબ્દનો અર્થ તો કોણ નથી જાણતું? કોઇ કાળે યાત્રા-ની આગળ મહા લાગી ગયો એટલે મહાયાત્રા મળ્યો. પણ મહાયાત્રા એટલે તો મરણ ! બધી જ શક્યતાઓનો અન્ત. પરન્તુ મારે મન વિદ્યાની યાત્રા મરણને હંફાવનારું બળવાન જીવન છે. એ અનન્ત શક્યતાઓની યાત્રા છે. એ એટલું જ કહે છે કે ચાલતા રહેવું, વિદ્યા દ્વારા વિદ્યા માટે, આગળ ને આગળ, બસ ચાલતા રહેવું …

હું ચાલતો છું હજી …

આ દળદાર આત્મકથનાત્મક પુસ્તકને પ્રકાશિત કરવાનો બાબુભાઇએ રસ દાખવ્યો એ મોટી વાત છે. એ માટે હું એમનો આભારી છું એમ કહું તો એ શબ્દો ઓછા પડે છે …

માર્ચ ૨૮, ૨૦૨૨, અમદાવાદ

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સબંધોના કૂકડાઓ બોલે છે

બીજલ જગડ|Opinion - Opinion|29 March 2022

સબંધ આપણો સ્મૃતિમાં સ્થિર અટકી ગયો,
ગત જિવતરે સબંધોના કૂકડાઓ બોલે છે.

સાત જનમનો ડૂમો મારી લાગણીમાં તણાઈ,
ખોબે ખોબે સબંધોના કૂકડાઓ બોલે છે.

ચકલી જેવી જાત ને એનો પર્વત જેવો ગ્રંથ,
પાને પાને સબંધોના કૂકડાઓ બોલે છે.

ઉઘાડ ઘરના બંધ દરવાજા ઉંબરો વટાવી,
ઈટે ઇટે સબંધોના કૂકડાઓ બોલે છે.

તારાં સ્મરણનાં ભીનાં શુકન ઊગ્યાં નહિ,
પળે પળે સબંધોના કૂકડાઓ બોલે છે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

દિન કરે દીન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 March 2022

હાસ્યલેખ

એક સમયે માણસ મહારાજોની કથા સાંભળતો અને થાક વધારતો. જેમ ગધેડો બોજ વગર નથી ચાલી શકતો એમ જ માણસ પણ ઉપદેશ, સલાહો વગર નથી ચાલી શકતો. એક વાત સ્પષ્ટ છે કે નાનેથી માણસને સમૂહ વગર નથી ચાલતું. તે ભણતો ત્યારે પણ તેને સમૂહજીવનનો પિરિયડ આવતો ને પિરિયડ પૂરો થતો ત્યાં સુધીમાં ન તો સમૂહની ખબર પડતી કે ન તો જીવનની સમજ વધતી. એ જ કારણે કદાચ માણસ વધારે એકલો પડતો ગયો. તે ફ્યુઝ્ડ રહેવાને બદલે ક્ન્ફ્યુઝ્ડ વધારે રહેવા લાગ્યો. ન તેને એકલા ગમતું કે ન તો ટોળામાં તેને ફાવતું. એમાં હિન્દી ફિલ્મનો એક ડાયલોગ – મુઝે અકેલા છોડ દો – તેને હોઠે રહેતો. તેમાં જો પ્રેમમાં નિષ્ફળ જતો કે કોઈ પ્રેમમાં ન પડતું તો – ઇતના અકેલા હૂં કિ ક્યા બતાઉં – જેવો સંવાદ બોલતો રહેતો. એની એટલી અસર પડતી કે મને ‘અકેલા’માં ‘અ’ સાઇલંટ જણાતો. અંગ્રેજી શબ્દોમાં કેટલાક અક્ષરો સાઇલંટ હોય તેમ ગુજરાતીમાં પણ સગવડ પ્રમાણે કેટલાક અક્ષરો સાઇલંટ થઈ જાય છે. જેમ કે, ‘અમર’માં ‘અ’, ‘ચક્રમ’માં ‘ચ’, ‘પતંગ’ માં ‘પ’, ’મરણ’માં મ … સાઇલંટ છે. એ તો ઠીક છે, પણ મારી મૌલિક શોધ એવી પણ છે કે કેટલાક શબ્દની આગળ કોઈ અક્ષર કે શબ્દ આપોઆપ ઉમેરાઈ જઈને અર્થ કે ક્રિયા બદલી નાખે છે. જેમ કે ઘણાના ‘ગુણ’ની આગળ ‘અવ’ ઉમેરાઈને અર્થ બદલાય છે, તો ઘણાને ઘણી વાતમાં ‘સાર’ જ્ણાતા,‘અતિ’ ઉમેરાઈને ‘અતિસાર’નો ભોગ બનવાનું પણ આવે છે. ‘વડ’ વધતો અટકી જાય જો ‘ઘુ’ આગળ આવીને અંધારું કરી દે. નામ ‘લતા’ હોય ને ‘એક’ આગળ ધસી જાય તો ‘એકલતા’થી ઘેરાવાનું થાય જ છે.

હું ગંભીરપણે માનું છું કે માણસ એકલો રહી શકતો નથી. એમ તો ગધેડો પણ એકલો રહી નથી શકતો, કારણ કે એ ગધેડો છે, પણ માણસ નથી, એટલે પોતે ગધેડો નથી એ બતાવવા માણસ એકલો રહેવા મથે છે. એમાં વળી જ્યારથી મોબાઈલ, નેટ અને સોશિયલ મીડિયા જીવનમાં આવ્યાં છે, માણસને એકલા રહેવાનું જ ફાવવા લાગ્યું છે. હવે એકલતાની ફરિયાદ તે ઓછી જ કરે છે. નેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા હાથવગાં થવાને કારણે તે દિવસો, મહિનાઓ સુધી એકલો રહી શકે છે. આજે કૈં ન કરવા છતાં માણસ બિઝી થઈ ગયો છે. ગમ્મત એ છે કે કામ કોઈને નથી, પણ બિઝી તો બધાં જ છે.

સાચું તો એ છે કે બીજાને દેખાડવા જેવી બહુ રહી નથી, એટલે આપણે દેખાડાની જિંદગી જીવી રહ્યાં છીએ. જાણે કરવાનું જ ખાસ કૈં રહ્યું નથી. બધાં પાસે સમય જ સમય છે, પણ નવરું કોઈ નથી. માથું અંદર ઘૂસતું નથી, નહિતર મોબાઇલની અંદર ઊંડે સુધી ડોકિયું કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે. નેટના આવવાથી બહારના લોકો અંદર આવી ગયા છે ને અંદરના લોકો  બહાર થઈ ગયા છે. એક જ ઘરમાં બધાં જ પાસેપાસે બેસે છે, પણ એમની વચ્ચે વાતો નથી થતી. વાતો બહારવાળાઓ સાથે થાય છે. પાસેનાની અવગણના અને દૂરનાની બહુગણના એ આજની હકીકત છે. ઘરમાં બેઠે બેઠે જ સંબંધો એટલા વધી ગયા છે કે ઔપચારિક્તાઓ નિભાવવામાં જ સમય નીકળી જાય છે. એમાં હોય તો પણ સચ્ચાઈ નામની જ છે.

દાખલા તરીકે તમે ભર ઊંઘમાં છો ને ઓચિંતો મોબાઈલ વાગી પડે છે. ઊંઘમાં જ તમે પૂછો છો, ‘કોણ?’ અને મિત્ર ફાટે છે, ‘હેપી બર્થ ડે !’ તમે કૈં બોલો એ પહેલાં મિત્ર તો સૂઈ જાય છે, પણ તમારી ઊંઘ ઊડી જાય છે, એ વિચારે કે બર્થ ડે પણ બહારથી આવે છે ને પત્ની બાજુમાં છે, પણ એ તો વૈધવ્ય માણતી હોય તેમ નિરાંતે ઘોરે છે. સવાર થાય ત્યાં સુધીમાં તો ઘણાંની બર્થ ડે પણ આવી ધમકે છે ને દૂરનો મિત્ર કહે છે, ‘મને વિશ ના જ કર્યુંને !’ તમે છોભીલા પડીને કહો છો, ‘સોરી યાર, ભૂલી ગયો.’ પછી તો ન ઓળખતા હો તેવાઓને પણ તમે શુભેચ્છાઓના ગુલદસ્તા મોકલી આપો છો. તમને ખબર છે કે તમારી શુભેચ્છાઓથી કોઈ તણખલું ય તોડી શકે એમ નથી, પણ એમ જ વિશિશની ડિશિશ બધાં મોકલતાં રહે છે. એનાથી આંખો ભરાય છે, પણ પેટ ભરાતું નથી. ફુગ્ગામાં હવાનું હોય એટલું વજન પણ શુભેચ્છાઓનું હોતું નથી, પણ આપણે પરપોટા ફોડતાં જ રહીએ છીએ. એમાં સચ્ચાઈ હોય તો સલામ ભરવાની, પણ ન હોય તો લગામ કસવાની જરૂર જણાય છે એવું ખરું કે કેમ?

કેટલા બધા તહેવારો આપણી આસપાસ ઘુમરાતા જ રહે છે. માંડ પત્ની સાથે સમાધાન થયું હોય ત્યાં કોઈ મેસેજ ખડકે, ’હેપી હોળી !’ તો ફરી ધુમાડો જ થાય કે બીજું કૈં? ઘરમાં ધણી, ધાણીની જેમ ફૂટતો રહેતો હોય ત્યાં કોઈ ‘હેપી પ્રજાસત્તાક દિન’ કહે તો એ પ્રજાને સટ્ટાક સટ્ટાક દેવાનું મન થાય કે નહીં? ઘરમાં પાવર કટ હોય ને મેસેજ પર મેસેજ આવે, ’હેપી દિવાળી !’ તો વગર લાકડે જ હોળી થાય કે નહીં? ના, ના, મોબાઈલ ન હતો તો હોળી પહેલાં ને પછી પણ ઘરમાં ધુમાડો થતો જ હતો ને ! એમ તો બીજાની રોશનીથી પણ આપણે દીવા સળગાવતાં જ હતાને ! ને ‘હેપી ઉત્તરાયણ’ કોઈ નો’તું કહેતું તો ઠુમકા નો’તાં મારતા? ત્યારે શું હેપી નો’તાં? ને અત્યારે ‘હેપી, હેપી’ થાય છે તો ‘હેપી’ થઈ જવાય છે? કોઈ મને નેગેટિવ કહી શકે, પણ ગમે એટલો પોઝિટિવ માણસ પણ પોતે કોરોના પોઝિટિવ હોય તેવું ન જ ઈચ્છે, ખરું કે નહીં? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ કહેતું નથી ને આપણે ઔપચારિક્તાને રિલિજિયસલી ફોલો કરીએ છીએ. ગરબડ એમાં જ ક્યાંક છે !

સારું છે કે વર્ષ, હજાર દિવસનું નથી, નહિતર  બીજા ઘણા દિવસો ઉજવણીના હજી ઉમેરાય. વેલેન્ટાઇન ડે-ની જેમ ટર્પેન્ટાઈન ડે ઉજવવાની કોઈ માંગ કરે તો ના ન પડાય ને ના પાડો તો તમને ગણે કોણ? ‘હેપી વિશ્વ ભાષા દિવસ’ કહેનારા ગુજરાતીઓ ‘ભાસા’ ને ‘ભૂસા’માં કોઈ ફરક ન કરે એમ બને. ગુજરાતીને અંગ્રેજી કરનારા, ‘વિશ્વ ભાષા’ને હેપી નહીં કરે તો રાષ્ટ્રભાષાને કરશે? ‘હેપી બાલ દિન’ ઉજવનાર સામે કોઈ ‘હેપી ટાલ દિન’ માટે સરઘસ કાઢે તો તેનું માથું ન પકડાય. આ ભીડમાં ક્યારે સવારની ચા પીવાઇ જાય તેની ય ખબર ના પડે ને પત્નીને બીજી ‘ચા’નું કહો તો તે ‘ચાહ’ કેટલી ખૂટે છે તેનું ધારદાર વક્તવ્ય આપે એની તૈયારી રાખવી પડે. એટલા બધા દિવસો ઉજવાય છે કે વર્ષ ટૂંકું પડે. ‘ફેશન ડે’, ‘સારી ડે’, ‘વર્લ્ડ હેલ્થ ડે’, ‘કોમનવેલ્થ ડે’ ‘હેરિટેજ ડે’ ‘ડાયાબિટીસ ડે’ … ને એવું તો કૈં કૈં ચાલે છે. જેને કારણે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે તે કારેલાનો દિવસ કોઈ ઉજવવાનું શરૂ કરે તો નવાઈ નહીં ! પેરાસિટામોલ વગર તો મોલમાં જવાની તાકાત જ ના રહે. તો એનો દિવસ પણ હોયને ! કૂતરા આપણી રખેવાળી કરે છે ને વફાદાર તો છે જ, તો ‘કૂતરા દિવસ’ કેમ નહીં? ને ગધેડો આટલો બોજ ઉઠાવે છે તો ‘ગધ્ધા દિવસ’ પણ ઊજવી જ શકાયને ! કાગડાને કારણે તો મહેમાન આવે છે ને એ ન હોય તો આખું શ્રાદ્ધ પર્વ અનાથ થઈ જાય તો ‘કૌવા દિન’ પણ કા – કા – કરે તો ના કેમ પાડવી? ચાલો, રાજકારણ કોમન થઈ ગયું છે તો એ ન ઉજવાય તે સમજાય, પણ એને પગલે ‘તારાજકારણ’ ઉજવાય તો તેની તૈયારી રાખવી પડે. એવી જ રીતે ખાસડા ડે, ટેબ્લેટ ડે, બિસ્કિટ ડે, મંચૂરિયન ડે, પિત્ઝા ડે … વગેરે કેટલા બધા ડે, ડે એન્ડ નાઈટ ઊજવી શકાય. એ હિસાબે તો ડે ઉજવવામાં આપણો જ પનો ટૂંકો પડે છે એવું નહીં?

જો કે, ખાસડા ડે ન રાખવો. કારણ એ પહેરીને બહાર જવાનું તો લગભગ બંધ જ થઈ ગયું છે. હવે તો મોબાઇલમાં જ એટલું ફરવાનું થાય છે કે બહારનું જગત જોવાની જરૂર જ નથી પડતી. સાચું તો એ છે કે મોબાઈલે, મોબિલિટી જ ખતમ કરી નાખી છે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,5491,5501,5511,552...1,5601,5701,580...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved