Opinion Magazine
Number of visits: 9570247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રામાણિકતાથી અંતરાત્માને સાક્ષી રાખી પૂછો કે, …

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2022

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ નામની પ્રોપેગેન્ડા ફિલ્મ વિષે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વાચકોને વિચારવા માટે આટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે :

૧. કાશ્મીરની ખીણમાં હિંદુ પંડિતોને સતાવવામાં આવ્યા હતા અને તેમને ખીણ છોડીને જવું પડ્યું હતું એ જો સ્વીકારવામાં આવે તો ૨૦૦૨માં ગુજરાતમાં જે બન્યું હતું એ વિષે શું કહેશો? પ્રામાણિકતાપૂર્વક અંતરાત્માને સાક્ષી રાખીને પૂછો કે એ બે ઘટના વચ્ચે શું ફરક છે? ગુજરાતમાં મુસલમાનોને સતાવવામાં આવ્યા હતા અને ગુજરાતના ગામડાંમાંથી મુસલમાનોને ઊચાળા ભરવા પડ્યા એ સત્ય નથી? ત્યારે તમારો અંતરાત્મા દુભાયો હતો? કાશ્મીરની ખીણના મુસલમાનો જો અસંવેદનશીલ હતા તો શું ગુજરાતના હિંદુઓ સંવેદનશીલ હતા? કેટલાક હિંદુઓએ મુસલમાનોને સતાવ્યા હતા. કેટલાકે મૂક સંમતિ આપી હતી. કેટલાકે આંખ આડા કાન કરી લીધા હતા. કેટલાકે થોડીક શરમ અનુભવી હતીં, પણ એટલી શરમ નહોતી અનુભવી કે એ ઘટનાની નિંદા કરવા બહાર આવે. શું આ વાત ખોટી છે? પ્રમાણિક ઉત્તર આપો કે આ બે ઘટના વચ્ચે શું ફરક છે? ગુજરાતના તોફાનો ઉપર ‘પરઝાનિયા’ નામની એક ફિલ્મ બની હતી જેને ગુજરાતના દેશભક્ત હિન્દુત્વવાદીઓએ સિનેમાઘરોમાં રિલીઝ થવા નહોતી દીધી અને હવે એ જ લોકો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાની માગણી કરી રહ્યા છે. આને સગવડ મુજબનાં બેવડાં ધોરણ કહેવાય કે નહીં?

૨. કેટલાક લોકો મોકો મળ્યે રાક્ષસ થઈ જતા હોય છે. આ હકીકત છે અને ઇતિહાસ તે વાતે સાક્ષી પૂરે છે. વિધર્મી પાડોશી સાથે અત્યંત પારિવારિક સંબંધ ધરાવનારાઓ જ્યારે અથડામણ થાય ત્યારે પાડોશીનું મકાન અને જમીન-જાયદાદ(અને કેટલીકવાર બહેન-દીકરીઓ સુદ્ધાં)ને પડાવી લેવા તક શોધીને રાક્ષસ બની જાય છે અને વહેતી ગંગામાં હાથ ધોઈ લે છે. ભારતના વિભાજન વખતે અને એ પછી બીજી અનેક વખતની કોમી અથડામણોની ઘટનાઓ વખતે આ જોવા મળ્યું છે. પૂરાવા જોઈતા હોય તો ‘પાર્ટીશન આર્કાઈવ’માં સંગ્રહિત કરવામાં આવેલી અને યુટ્યુબ ઉપર ઉપલબ્ધ મુલાકાતો જોઈ લો. એમાં હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમના અભાગી લોકોને આશ્ચર્ય વ્યક્ત કરતા જોશો કે અમે જેને પરિવારના સભ્ય ગણતા હતા, જેને કાકા કે મામા તરીકે સંબોધતા હતા, જેની સાથે ધંધાકીય સંબંધો હતા, જે લોકો સમાજવ્યવહારમાં મર્યાદાનું પાલન કરતા હતા એવા લોકોએ કલ્પના ન કરી શકાય એવો વહેવાર કર્યો હતો. આ સિવાય વિભાજન વિષે લખાયેલાં હજારો પુસ્તકો જોશો તો એમાં પણ આ જ વાત જોવા મળશે. અત્યાર સુધી ભલમનસાઈ બતાવનારા લોકો સ્વાર્થવશ નીચ બની ગયા હતા.

સામ્યવાદી ઇતિહાસકારો તો કહે છે કે કોમી હુલ્લડો કે તંગદીલી પાછળનું મુખ્ય કારણ આર્થિક હિતો જ હોય છે. હુલ્લડો કરાવનારાઓ અને કરનારાઓ આર્થિક સ્વાર્થ માટે કોમવાદનો આશરો લેતા હોય છે. તેમની આ વાત સાવ સાચી નથી તો સાવ ખોટી પણ નથી. હુલ્લડોમાં ભાગ લેનારા ગરીબ લોકોના હાથમાં કાંઈ આવતું નથી, તેમનાં મોત થાય છે, સજા થાય છે અને જેલમાં સબડે છે અને સ્વાર્થી લોકો તેનો લાભ લે છે. ગુજરાતમાં આ જોવા નહોતું મળ્યું? ખાતાપીતા લોકોને હુલ્લડમાં ભાગ લેતા જોયા છે? હા, લાભ લેતા જરૂર જોયા હશે.

૩. કોમી હુલ્લડોમાં માત્ર વિધર્મીઓ એકબીજા ઉપર અત્યાચાર કરે છે અથવા કોઈની મજબૂરીનો લાભ લે છે કે પછી મોઢું ફેરવી લે છે એવું નથી; સધર્મીઓ પણ આવું કરે છે. મોટા ભાગનો સમય ભારતમાં ગાળતા બ્રિટિશ ઇતિહાસકાર વિલિયમ દેલરિમ્પલે ‘નાઈન લાઈવ્ઝ : ઇન સર્ચ ઓફ અ સેક્રેડ ઇન મોડર્ન ઇન્ડિયા’ નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં એક પ્રકરણ લાલ પરીના નામે ઓળખાતી એક સ્ત્રી ઉપર છે, જે તેને પાકિસ્તાનના સેહવાનમાં આવેલ લાલ શાહબાઝ કલંદરની મઝારમાં મળી હતી. લાલ પરીનો જન્મ બિહારમાં બંગાળની સરહદે આવેલા એક ગામડામાં થયો હતો. ભારતના વિભાજન વખતે હિંદુઓની સતામણીને કારણે જીવ બચાવવા તેના પરિવારે બિહાર છોડી પૂર્વ પાકિસ્તાન ભાગી જવું પડ્યું હતું. ૧૯૭૧ પછી પૂર્વ પાકિસ્તાન બંગલાદેશ બન્યું અને તેને અને તેનાં પરિવારને બંગાળી મુસલમાનોએ સતાવવાનું શરૂ કર્યું હતું, કારણ કે તે બિહારી મુસલમાન હતી. ૧૯૪૭માં હિન્દુઓએ અને ૧૯૭૧ પછી પછી મુસલમાનોએ. તેના પતિને મારી નાખવામાં આવ્યો. આખરે તે બાઈ રખડતી રઝળતી પગે ચાલીને ભારત વીંધીને પાકિસ્તાન પહોંચે છે અને સેહવાનમાં લાલ શાહબાઝની મઝારમાં આશ્રય લે છે. માનવીના દરેક રંગને જોઈ-અનુભવી ચુકેલી એ બાઈ અધ્યાત્મ તરફ વળે છે અને લાલ પરી તરીકે પૂજાય છે. લાલ શાહબાઝ કલંદરની રોજ રાતે થતી ધમાલ જ્યાં સુધી લાલ પરી ડ્રમ ઉપર થાપી ન મારે ત્યાં સુધી શરૂ નહોતી થતી અને શરૂ થયા પછી લોકો ભાન ભૂલી જતા હતા. એક સમયે સતાવનારા હિંદુ અને મુસલમાનો સેહવાનમાં લાલ પરીના પગમાં પડીને તેની કૃપા માગવા લાગ્યા. આ પણ માનવીનો એક ચહેરો છે!

એક પ્રસંગ જાણીતા વાંસળીવાદક શિવુભાઈ પૂંજાણીએ કહ્યો હતો. વિભાજન વખતે તેઓ કરાંચીમાં રહેતા હતા અને તેમની ચાની હોટલ હતી. જ્યારે વિભાજનની વાતો થવા લાગી ત્યારે તેઓ તેમના નાતીલા અને એ સમયના કરાંચીના મોટા આગેવાન પાસે માર્ગદર્શન લેવા ગયા કે તેમણે શું કરવું જોઈએ. એ આગેવાને શિવુભાઈને કહ્યું હતું કે ભયભીત થવાની જરૂર નથી. બધું થાળે પડી જશે. તેમણે બીજા લોકોને પણ ઢાઢસ આપવાનું શિવુભાઈને કહ્યું હતું. શિવુભાઈ અને બીજાઓ તેમની સલાહ માનીને બેસી રહ્યા અને એ આગેવાને સમયસર પોતાની સંપત્તિ બજારભાવે વેચી નાખી અને પરિવારને ભારત મોકલી આપ્યો. છેલ્લી ઘડીએ તેમણે કરાંચીના હિંદુઓને કહ્યું કે ભાગો. જો વહેલું કહ્યું હોત તો હજારો લોકો સંપત્તિ વેચવા બજારમાં આવ્યા હોત અને બજારભાવ તૂટી ગયા હોત. પોતાનાની ગેરમાર્ગે દોરતી સલાહને પરિણામે શિવુભાઈ જેવાઓએ બધું છોડીને ખાલી હાથે ભારત આવવું પડ્યું હતું. એ ભાઈં કાઁગ્રેસી હતા, ખાદી પહેરતા હતા, ગાંધીજીને માનનારા હતા, આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો, જેલમાં ગયા હતા; પણ આખરે માણસ હતા!

જ્યારે સધર્મી (હમ મઝહબી) સતાવે, સધર્મી છેતરે અને સધર્મી મોઢું ફેરવી લે ત્યારે વિધર્મીની ક્યાં વાત કરવી! ૧૯૪૬માં ગાંધીજી કોમીદાવાનળ બુઝાવવા નોઆખલી ગયા હતા. ત્યાં તેમણે સૂચન કર્યું કે હિંદુ અને મુસલમાનોની મળીને એક શાંતિ સમિતિની રચના કરવામાં આવે. તરત જ ત્યાં ઉપસ્થિત હિંદુ મહાસભાના એક નેતાએ કહ્યું કે મહાત્માજી પ્રતિષ્ઠિત ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને કલકત્તા જતા રહ્યા છે ત્યારે હિંદુઓનું પ્રતિનિધિત્વ કોણ કરશે? ગાંધીજીએ કહ્યું કે જે ભાગી ગયો, જે પોતાના હિંદુ બાંધવને ભગવાન ભરોસે છોડતા શરમાયો પણ નહીં એ નથી પ્રતિષ્ઠિત કે નથી ભદ્ર. કાયર ભદ્ર હોય? માટે જેની ઈશ્વર ઉપર શ્રદ્ધા છે અને જે વમળમાં વચોવચ ઊભો છે એ સમિતિઓમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ કરશે, કાયરોનું અહીં કામ નથી. કાયરોને ગાંધીજી સાથે ૧૯૦૯ની સાલથી દુશ્મની છે.

તમને ખબર છે? વિભાજન વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના મુસલમાનો સવર્ણ હિંદુઓને પાકિસ્તાન છોડવા મજબૂર કરતા હતા અથવા જવા દેતા હતા, પણ સફાઈનું કામ કરનારા હરિજન હિંદુઓને જવા નહોતા દેતા. એમ કહેવાય છે કે મહમ્મદ અલી ઝીણાની તેમાં સંમતિ હતી. તેઓ સફાઈ કરતા હતા એટલે હિંદુ હોવા છતાં તેમનો ખપ હતો. આજે પાકિસ્તાન અને બંગલાદેશમાં જે હિંદુઓ બચ્યા છે એમાં મોટા ભાગના સફાઈનું કામ કરનારા હરિજનો છે. કોઈ હિન્દુત્વવાદીએ પાકિસ્તાનમાં બાન પકડીને રાખવામાં આવેલા હરિજન હિંદુ માટે આંસુ સાર્યા હોય એવું જોવા મળ્યું નથી. હિંદુ મહાસભાના નેતાએ ગાંધીજીને કહ્યું હતું એમ રોકડા રૂપિયા તો ચાલ્યા ગયા, પાછળ બચેલા પરચૂરણનો શો ખપ?

જેમ કરાંચીના આગેવાને પોતાના સહધર્મીઓને છેતર્યા, જેમ નોઆખલીના પ્રતિષ્ઠિત હિંદુ આગેવાનો ગરીબ હિંદુઓને ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા એવું ગુજરાતમાં અને કાશ્મીરની ખીણમાં પણ બન્યું હશે. ગરીબ પંડિતો સાથે અને ગુજરાતના ગરીબ મુસલમાનો સાથે વાત કરશો તો તેઓ તેમને કહેશે કે અન્યાય માત્ર હિંદુઓએ અને હિંદુ શાસકોએ જ નથી કર્યો, તેમના પોતાના લોકોએ પણ કર્યો છે. સામૂહિક સંકટ ટાણે પોતાના અંગત લાભાલાભની ઉપર ઊઠીને કેવળ માણસ બની રહેવું એ પોતે એક કસોટી છે. ગયા વરસે કોવીડ સંકટ ટાણે સગા ભાઈએ ભાઈને મદદ નહોતી કરી એવા સેંકડો ઉદાહરણ મળી આવશે. કદાચ તમારી સાથે પણ આવું બન્યું હશે.

તો વાતનો સાર એ છે કે માણસ આખરે માણસ હોય છે અને તેને ધર્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. ધર્મ માત્ર ધાર્મિક ટોળાંઓ પેદા કરે છે અને અધ્યાત્મ સો ટચના સોના જેવા ટકોરાબંધ માણસાઈ ધરાવનારા માનવીને. જગતના દરેક ધર્મનું આ વાસ્તવ છે અને એમાં કોઈ ધર્મ અપવાદ નથી.

બે અગત્યના પ્રશ્નો હજુ પણ બચ્યા છે, પણ મારી પાસે જગ્યા બચી નથી એટલે રવિવારની કોલમમાં એ બે પ્રશ્ને વાત કરીશ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2022

Loading

‘વર્લ્ડ હેપીનેસ ડે’એ જાગતો સવાલ : સુખ નામનો પ્રદેશ ક્યાં છે?

સોનલ પરીખ|Opinion - Opinion|31 March 2022

હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજબરોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો, આ બે બાબતોનું સંયોજન. એને માટે વિચારો ઓછું, કામ વધારે કરો. બોલો ઓછું, સાંભળો વધારે. માપો ઓછું, સ્વીકારો વધારે. ફરિયાદ ઓછી કરો, કદર વધારે કરો. ભય ઓછો રાખો, પ્રેમ વધારે કરો – ફિનલૅન્ડ સૌથી સુખી દેશ છે. એ આવું કરે છે?

‘હેપીનેસ’ શી ચીજ છે? એની શોધમાં લોકો યુગોથી હેરાન થાય છે. હું તો હેપીનેસનો પર્યાય શોધવામાં પણ હેરાન થઈ, કેમ કે સુખ, આનંદ, પ્રસન્નતા વગેરે આપણા પરિચિત શબ્દો સાથે ઘણી મળતી આવવા છતાં હેપીનેસ જરા જુદી પડતી ઘટના છે.  

હેપીનેસ એટલે આખો દિવસ આનંદમાં રહેવું એ નહીં. સંશોધનો કહે છે કે સારી-ખરાબ મન:સ્થિતિ આવતી રહેવી એ સતત આનંદની સ્થિતિ કરતાં વધારે સહજ છે. તંદુરસ્ત પણ છે. ઊંચે જાય તે નીચે આવે એ કુદરતનો નિયમ છે. લોકોને પૂછીએ કે શું હોય તો તમને જીવવું ગમે? તો તેઓ હેપી મૂડ એટલે કે સતત આનંદમગ્ન મનની વાત ભાગ્યે જ કરે છે. તેઓ એ ચીજોની વાત કરે છે, જે તેમને માટે વધારે અગત્યની હોય; જેમ કે વ્યવસાય, સંબંધો, ધન. સંશોધનો એ પણ કહે છે કે જો તમે આખો વખત આનંદમાં હોવાનો પ્રયત્ન કર્યા કરશો તો એક દિવસ આનંદ અનુભવવાની ક્ષમતા જ ગુમાવી બેસશો.

હેપીનેસ એટલે શ્રીમંત હોવું અને જે ઈચ્છો તે ખરીદવા સમર્થ હોવું એ નહીં. ગરીબીરેખાની નીચે જીવવું એ અલબત્ત કરુણ સ્થિતિ છે. બાકી ધન સુખ ખરીદી શકે એ એક ભ્રમ છે. ધારો કે તમારો પગાર બમણો થઈ જાય તો તમારો ખર્ચ અને અપેક્ષાઓ પણ એટલાં જ વધે. પગાર બમણો થાય એટલે સુખ બમણું ન થાય. નવું ઘર, નવી કાર, નવા ગેજેટ્સ – આ બધાનું પણ તેવું જ. હા, વધુ પૈસા ખર્ચીને પરિવાર કે મિત્રો સાથે નવા સ્થળે જાઓ તો તમારો આનંદ વધે ખરો. જો કે લોકો પૈસાનો આવો ઉપયોગ ભાગ્યે જ કરે છે.

હેપીનેસ અંતિમ લક્ષ્ય નથી. હેપીનેસની ચર્ચાઓમાં ‘તમે ક્યાં પહોંચ્યાં’ એવું પૂછાતું હોય છે – જાણે કોઈ રસ્તો હોય, માણસ એના પર ચાલતો હોય ને એને ક્યાંક પહોંચવાનું હોય – જાણે હેપીનેસ એક સ્ટેશન હોય અને અમુક અંતરે પહોંચ્યા પછી એ ‘આવે’. પણ ગાંધીજી શાંતિ માટે કહેતા તેમ હેપીનેસ માટે પણ કહી શકાય કે હેપીનેસ તરફ લઈ જતો કોઈ માર્ગ હોતો નથી, હેપીનેસ પોતે જ માર્ગ છે. હેપીનેસ શીખવતા લોકો તમને ગ્રેટિટ્યુડ જર્નલ બનાવવા કહેતા હોય છે – જે બાબત તમને આનંદ આપે એ એમાં નોંધવાના. પણ સત્ય એ છે કે પ્રેમ, લગ્ન, પ્રમોશન, મિલકત બધું ગમે તેટલું ઝળહળતું લાગતું હોય, સમય સાથે એ ઝાંખું પડે છે.

તો હેપીનેસ શું છે? સંશોધનો કહે છે કે હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજ બ રોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો આ બે બાબતોનું સંયોજન. આ સંયોજન આપણને સ્થિર બનાવે છે. પછી જિંદગીમાં પરિવર્તન આવે, મૂડ બદલાય, પણ હેપીનેસ પર બહુ અસર ન થાય કેમ કે એ સ્વભાવમાં વણાઈ ગઈ હોય. સતત પ્રયત્નશીલ રહેવાથી આ સંતુલન આવડી જાય છે. આનો અર્થ એ કે શું કેવી રીતે અનુભવવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. સતત મહાવરાથી સંતુષ્ટ અને સભર જિંદગીની અનુભૂતિ મનમાં સ્થિર થાય છે.

ચારે બાજુથી આવા વિચારોનો મારો થવા લાગે ત્યારે વર્લ્ડ હેપીનેસ ડે આવી ગયો છે એ સમજી લેવું. યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક 2012ની સાલથી વર્લ્ડ હેપીનેસ રિપૉર્ટ બહાર પાડે છે. આ રિપૉર્ટ અનુસાર હેપીનેસ ઈન્ડેડેક્સમાં ભારત 149 દેશોમાં 139મું સ્થાન ભોગવે છે, એટલે કે દુ:ખી દેશ ગણી શકાય અને ફિનલૅન્ડ વિશ્વનો સૌથી સુખી દેશ છે.

ફિનલૅન્ડ એટલે અત્યંત વિષમ ભૌગોલિક સ્થિતિ, ધ્રૂવ પ્રદેશની ધ્રૂજાવી દે તેવી ઠંડી હવા, બર્ફિલી ચાદર નીચે ઢંકાયેલી રહેતી મોટા ભાગની ભૂમિ, અતિશય લાંબા દિવસ અને રાત, અનેક ટાપુઓમાં વિખેરાયેલો પ્રદેશ ને માનવશક્તિની ઊણપ. આ દેશ વિશ્વમાં સૌથી સુખી? સમજવો પડે આ દેશને.

ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો છે. પશ્ચિમે સ્વીડન, પૂર્વમાં રશિયા, ઉત્તરે નોર્વે અને ખાડીને પેલે પાર એસ્ટોનિયા. વિસ્તારમાં આ દેશ ગુજરાતથી ઘણો મોટો, પણ કુલ વસ્તી અમદાવાદ કરતાં પણ ઓછી. માત્ર પંચાવન લાખ એકવીસ હજાર. 1809 પહેલા ફિનલૅન્ડ સ્વીડનનો જ એક ભાગ હતો. એ પછી એક સદી કરતાં ય વધારે વર્ષોની રશિયન ગુલામી, એમાંથી આઝાદ થવા ભયાનક ગૃહયુદ્ધ, અને 1917માં સ્વતંત્રતા. 1955માં ફિનલૅન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘનો સભ્ય બન્યો અને યુરોપિયન યુનિયન સાથે જોડાયો.

કેવી છે અહીંની આબોહવા? બરફની ચાદરથી ઢંકાયેલા આ દેશના કેટલાક વિસ્તારોમાં 23 કલાક સુધી સૂર્ય ઊગેલો જ રહે છે અને કેટલાક વિસ્તારોમાં 51 દિવસની રાત હોય છે. દિવસ હોય ત્યાં વાદળછાયા આકાશમાંથી ખૂબ આછો સૂર્યપ્રકાશ આવે છે અને છ કલાકમાં સૂર્ય ડૂબી જાય છે. વાહનોની લાઈટ ચોવીસ કલાક ચાલુ જ રાખવી પડે છે. તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહે છે.

ફિનલૅન્ડમાં 1,79,584 નાનામોટા ટાપુઓ અને 1,87,888 સરોવરો છે. આ એક વિશ્વરેકૉર્ડ છે. સરોવરો, ટાપુઓ, દલદલી ક્ષેત્રો, નદીઓ અને જંગલોથી છવાયેલા આ દેશનું આકાશ ધ્રૂવીય પ્રકાશ એટલે કે ‘નોર્ધન લાઈટસ’ માટે પ્રખ્યાત છે. પ્રજા એવી ખમીરવંતી કે પ્રતિકૂળતાઓને પડકાર આપે, કુદરતી આફતોને ધોઈ પીએ અને સતત સંઘર્ષ અને અથાક પરિશ્રમ વડે પોતાનો ને દેશનો વિકાસ કરે. શિક્ષણક્ષેત્રે તો એવી સિદ્ધિઓ મેળવી જેને સમજવા દુનિયાભરના શિક્ષણશાસ્ત્રીઓ ફિનલૅન્ડ આવે છે. 

ફિનલૅન્ડની જેલો આપણા દેશની સારી હોટેલો કરતાં ય ઘણી સારી હોય છે. અહીંની જેલો ખુલ્લી છે. કેદીઓ છૂટથી હરીફરી શકે છે, કામ કરી શકે છે અને જોઈતી વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે. લોકો ઈમાનદાર છે. અહીં જુગાર કાયદેસર પણ સરકાર-નિયંત્રિત છે. યુરોપના કોઈ પણ દેશમાં મેળવેલું ડ્રાઈવિંગ લાયસન્સ અહીં માન્ય છે. સુંદર પાકા રસ્તાઓ પર કદી ટ્રાફિક જામ થતો નથી. ટોલ ટેક્સ નથી. ફિનલૅન્ડ 1908થી પ્રત્યેક ઑલિમ્પિકમાં ભાગ લેતો આવ્યો છે અને ગોલ્ડ મેડલો પણ મેળવ્યા છે. વરસાદ, બરફ કે થીજાવી દેતા પવનો જોગિંગ કે સાયકલિંગને નડતા નથી. સામાજિક, રાજનૈતિક, આર્થિક તથા સૈન્યશક્તિમાં આ દેશ ઘણો સ્થિર રહ્યો છે. ઉચ્ચ આવક, ઉચ્ચ શિક્ષણપદ્ધતિ, સુંદર આરોગ્ય સંભાળ, પ્રકૃતિસૌંદર્ય અને શુદ્ધ વાતાવરણ તેના સુખનાં કારણો છે.

ફિનલૅન્ડમાં માણસોની ખલેલ ન પામ્યા હોય એવાં વિશાળ, વિવિધ જીવસૃષ્ટિથી ભરેલાં ગાઢ જંગલો છે. તેમાંથી આવતી અપ્રદૂષિત હવામાં ફિનલૅન્ડવાસીઓ શ્વાસ લે છે. પ્રકૃતિથી ઘેરાયેલા હોવું અને વારંવાર એની નજીક જવું એ પોતાનામાં એક મોટું સુખ છે. એનાથી ખૂબ પૉઝિટિવિટી આવે છે.

પશ્ચિમના અન્ય દેશોની સરખામણીમાં ફિનલૅન્ડનું જીવન સરળ અને શાંતિભર્યું છે. ફિનિશ સંસ્કૃતિ ઉષ્માભરી અને સ્પર્ધા કરતાં સહકારને વધુ મહત્ત્વ આપનારી છે. ફિનલૅન્ડમાં અપરાધો ખૂબ ઓછા છે. ભ્રષ્ટાચાર બિલકુલ નથી. શિક્ષણ અને કમાણીની તક સૌને સરખી જ મળે છે. ફિનલૅન્ડમાં મધ્યમ વર્ગ ખૂબ મોટો છે, ગરીબી ખૂબ ઓછી છે અને શ્રીમંતો ધનપ્રદર્શનને છીછરું ગણનારા છે. ત્યાંના સૌથી શ્રીમંત ગણાતા લોકો જૂની કાર વાપરતા હોય અને સૌથી ગરીબ ગણાતા લોકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય મળતાં હોય. કોઈ ઘર વગરનું તો હોય જ નહીં.

સૌને સૌની વાસ્તવિકતાઓ વચ્ચે જીવવાનું હોય છે પણ પ્રકૃતિની નિકટતા અને નીતિમય, સાદગીભર્યું જીવન એ સુખ નામના પ્રદેશનાં દ્વાર હોઈ શકે. 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 માર્ચ 2022 

Loading

એક અરજ રામ નામની

રમજાન હસણિયા|Opinion - Opinion|31 March 2022

આપણે આખી દુનિયાના દુઃખો દૂર કદાચ ન કરી શકીએ, પણ બધા મળી કોઈ એક પરિવારને તો દુઃખમુક્ત કરી શકીએ, એવા વિચારથી પ્રેરાઈને એક વિદ્યાર્થી મિત્ર રામની વ્યથા કથા આપની સમક્ષ મુકું છું.

રામ રાપરની સરકારી કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. કૉલેજમાં અભ્યાસ ઉપરાંત અન્ય બાબતોમાં પણ હંમેશાં આગળ રહે. એમને ભણવામાં વધુ અનુકૂળતા રહે એ માટે છેલ્લા વર્ષનો અભ્યાસ તેઓ નીલપર ગ્રામ સ્વરાજ સંઘના પરિસરમાં રહીને ભણે એવું ગોઠવ્યું છે. મુકતાબહેન અને નકુલભાઈનાં અનન્ય સહયોગ થકી આ થઈ શક્યું છે. ખૂબ સરસ વાંચતા ને વિચારતા, લખતા રામને ઘણી વાર ઉદાસ જોઉં ત્યારે સહજ પૂછી લઉં કે, ‘દોસ્ત, બધું બરાબર તો છે ને ?' ‘એ…હા, સાહેબ, કહીને એ મારાથી તો કેટલુંક છુપાવી લે પણ એમની આંખો ને ચહેરાના ભાવ કઈ રીતે છુપાવવા એ હજુ એમને નથી આવડતું. ગઈકાલે હું અમદાવાદથી નીકળું એ પહેલાં અબ્દુલનો ફોન આવે છે ને કહે છે કે, ‘સાહેબ, રામને સાંજે એક ફોન આવ્યો છે ને ત્યારથી બહુ ટેન્શનમાં છે. મેં જરા સાંભળી લીધું કે એમના બાપા તાત્કાલિક સાઈઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કરતા હતા. કોઈ લેણદાર ઘરે આવીને કડક ઉઘરાણી કરે છે. મેં ત્યારે તો એને ધરપત આપી. પૈસાની વ્યવસ્થા માટે ચક્રો ગતિમાન કર્યા, પણ મને ખબર હતી કે આ એક જ દબાણ નહોતું. આવું તો ઘણું ઘણું હતું. સવારથી સાંજ રામના ઉદાસ ચહેરાને જોયા કર્યું. છેક સાંજે ચાલવા જવાના બહાને એમની સાથે બહાર નીકળ્યો ને ત્યારે અંદરથી ભરાઈ ગયેલા રામે જે આપકથા કરી તે સાંભળીને પગ તળે જમીન જ ખસી ગઈ.

રામે વાત માંડતા કહ્યું કે, 'આમ તો અમારો પરિવાર નાનકડી બાપીકી જમીનમાં થતી નાનકડી પેદાશથી પોતાનું ગુજરાન ચલાવતું. બહુ ઝાઝી જરૂરિયાતો પણ નહિ, એટલે સુખરૂપ બધું ચાલ્યા કરે. પણ વર્ષ ૨૦૧૫-૧૬નાં વર્ષોથી એક પછી એક એવી વિટંબણાઓ આવતી ગઈ કે રામનો પરિવાર વધુને વધુ આ ગર્તામાં ડૂબતો ગયો. એક બે વર્ષ ચોમાસું બહુ નબળું આવ્યું. જીરું કે અન્ય કોઈ પાક કરી મહામહેનતે એને ઉછેરે ને પાણીના અભાવે પાક નિષ્ફળ જાય. એ જ અરસામાં રામની મોટી ત્રણ બહેનોના ક્રમમાં લગ્ન લેવાયા. ઘરમાં દોકડાં ન હોય ને પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે ગામડાંના લોકોને એક જ રસ્તો દેખાય, ઉછીના પૈસા લઈ લઈએ. જમીન પર લોન આસાનીથી મળે. એમ કરતાં કરતાં ત્રણેય દીકરીઓના લગ્ન અને લગ્ન પછીનાં આણાના પ્રસંગો ટૂંકે લાંબે નિપટાવ્યા. પછીના વર્ષે ખર્ચાને ને દેવાને પહોંચી વળવા પોતાના ઉપરાંત બીજાના ખેતરોમાં પણ ભાગે જીરું કર્યું. પણ કુદરતને હજુ વધુ કસોટી લેવી હતી. એ વર્ષે જાણે બધું બરાબર થઈ જશે એવી આશા બંધાયેલી. વર્ષ નબળું જ રહ્યું. દૂરથી નર્મદાનાં પાણી મેળવવા મથામણ કરી. બે વખત પાણી મળ્યું ને આશા વધુ દૃઢ થઈ, પણ અચાનક જ ત્રીજું ને ચોથું પાણી મળતું બંધ થયું ને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. બધું સરખું કરવા ખેડેલું જોખમ વળી માથે પડ્યું ને બોજ વધતો ગયો.

એમાં અધૂરામાં પૂરું રામના માતાજીને પેરેલિસીસનો જબરદસ્ત એટેક આવ્યો. રાપર આસપાસ પ્રાથમિક સારવારથી આગળની સારવાર ન મળે, એટલે એમને દવા માટે પાટણ લઈ જવાયાં ને કર્ણના રથના પૈડાની જેમ આ પરિવારના રથનું પૈડું પણ વધુ ઊંડું ઊતરતું ગયું. બાની દવા ચાલુ જ રાખવાની છે. દર મહિને બે હજારની દવા થાય. આવકનું સાધન તો એક વરસાદ આધારિત ખેતી જ. દસેક જણના પરિવારને ખાવા પીવા પણ કંઈક તો જોઈએ ને ! બીજા ખર્ચની તો વાત જ ક્યાં કરવી ! ખાવા-પીવાની વાત નીકળતાં રામ કહે કે, ‘સાહેબ, અમારા ઘરમાં ઘઉં તો બહુ ખવાય જ નહિ કેમ કે એમાં મોણ માટે પણ તેલ જોઈએ ને ! બાજરીના રોટલા બારે માસ ખાઈએ, ચપટી મીઠું ને પાણીથી રોટલા ઘડાઈ જાય ને કારમી મજૂરી પછી પેટ પણ રોટલાથી જ ભરાય. કોઈ માંદુ પડે તો ઘઉંની રોટલી બને એ તો ઉજાણી. શાકમાં પણ મોટે ભાગે છાશમાંથી બનાવેલી કઢી કે લસણની ચટણી જ હોય. ચોમાસે ખેતરમાં થોડું બકાલું કરીએ એટલે લીલું શાક ખાવા મળે. બાકી છાશ રોટલો ખાઈને સંતોષ માની લઈએ. ખોટા એકપણ રૂપિયાનો ખરચ પોષાય નહિ.

લકવા પછી બા ખેતરે જઈ ન શકે. બાપુજીની ઉંમર ઘણી મોટી (૭૫ વર્ષ) ને ટ્રેકટર પરથી પડી જતાં કમરમાં થયેલી ઈજાના કારણે કામ ઓછું થઈ શકે. તોયે બે માણસ હાથ પગ હલાવ્યા કરે ને ખાડાને પુરવાની મથામણ કરતાં રહે. એ દરમિયાન મોટા ભાભીને ડિલિવરી આવી ને એમાં પણ થોડી મુશ્કેલી આવતાં પાટણ લઈ જવા પડ્યાં ને વળી પચાસેક હજારનો ખર્ચો. કોરોનાકાળમાં બાની દવા લેવા પાટણ જવું હોય તો ગાડીથી જ જવું પડે એવું હતું. બા તો પોતાનાં દર્દને પ્રાધાન્ય શેના આપે, એટલે એમણે દવા થઈ રહી છે એવું કહ્યું જ નહિ ને જેમ તેમ ચલાવ્યા કર્યું, એમાં તકલીફ વધી એટલે વળી બીજો ખર્ચો.

આવા બધા ખર્ચમાં કોઈ બચત તો હોય નહીં એટલે દર વખતે પૈસા વ્યાજે લેવા પડે. કોઈ પરિચિત ઓછા ટકાએ પૈસા આપે તો કોઈ વધુ એમ કરતાં કરતાં ચારેક લાખ ઉપરનું દેવું થઈ ગયું છે ને બેંકનું તો વળી અલગ જ, જેનું વ્યાજ પણ આ પરિવાર વરસની કમાણીમાંથી માંડ ભરી શકે છે. વરસ નબળું જાય તો વળી બે વરસનું ભેગું વ્યાજ ભરે ને ન ભરાય તો મુદ્દલ વધતી જાય.

આવી સ્થિતિમાં રામને ને એના નાનાભાઈને આ પરિવાર ભણાવે છે, એ બહુ મોટી વાત કહેવાય. એક ભાઈ તો કાચી ઉંમરે મુંબઈ જઈને કામ કરે છે ને એક પણ રૂપિયો વધારાનો ખર્ચ્યા વિના આ વ્યાજના લેણા ભરે છે. મોટાભાઈ, ભાભી ને તેમની ત્રણ રૂપકડી દીકરીઓ જીવનના કોઈપણ પ્રકારના આનંદ લીધા વિના આ દેવામાંથી મુક્ત થવા મથી રહ્યાં છે. ૭૫મેં વર્ષે બાપાને એક જ ચિંતા છે કે મારો પરિવાર આ વ્યાજ ને દેવાની ચૂંગાલમાંથી ક્યારે બહાર નીકળશે ?

હમણાં અમે રામના ઘરે ગયેલા ત્યારે અમારા માટે એમણે ખીર બનાવેલી. ગાય વિયાંએલી એટલે ખીરમાં દૂધ તો હતું પણ ખાંડ ન્હોતી  ! અથવા માત્ર ચા જેટલી જ હશે કદાચ ! રામના બા મને પૂછતાં હતાં, ‘સાહેબ, આ રામનું ભણવાનું કે'દી પૂરું થાશે ને એ કે'દી કમાતો થશે ?' આમ તો રામ ભણવાના જ નહોતા. પણ એ જે વર્ષે ભણવા આવ્યા, તે વરસ નબળું ગયું એટલે ખેતરે કામ ન હોવાને લીધે ભણવા આવતા થયા ને પછી તો ભણવાનું ગમવા લાગ્યું ને અમારો અનુબંધ વધતો ચાલ્યો ને તેમને આગળ ભણવાની ઈચ્છા જન્મી. ભવિષ્યમાં એક હોનહાર અધ્યાપક ને એક સારા લેખક ને વક્તા બની શકવાની ત્રેવડ જેમાં છે, એવા રામને અધવચ્ચે મુંબઈ સાત આઠ હજારમાં નોકરીએ ચડતો કેમ જોઈ શકાય ? એક વાર તો એ મુબઈ જતા પણ રહેલા. કુદરત તેમને પાછા લઈ આવી. આ રામના પરિવારને જે બોજ સતાવી રહ્યો છે એમાંથી થોડું વજન પણ જો આપણે ઓછું કરી શકીએ, તો આ આખા પરિવારને મોટી રાહત થઈ પડશે !

મારાથી બન્યું તે મેં કર્યું, હજુ કરીશ પણ બોજનો ગોવર્ધન બહુ મોટો છે એટલે ટેકણ લાકડી બનવા માટે આપ સૌને આ ટહેલ નાખી છે. સો, બસો, પાંચસોથી માંડીને જે આપ મદદ કરી શકો તો આ એક ખેડૂત પરિવાર અંધકારની ગર્તામાંથી બહાર આવી શકે. આપ સહેજ પણ ભાર રાખ્યા વિના શક્ય હોય તો મદદરૂપ થશો. કશું જ ન થઈ શકે તો પ્રાર્થના જરૂર કરજો કે કોઈનાં હૃદયે રામ વસે ને આ રામના દુઃખ દૂર થાય ! આપ કહેશો તો રામની બેન્ક ડિટેલ મોકલી આપીશ. આપ સીધા એમના ખાતામાં રકમ જમા કરાવી શકશો. આપના મિત્રો સ્વજનોને પણ આ યજ્ઞમાં જોડશો તો રામને ટેકો થશે.

આપણે જે અન્ન આરોગીએ છીએ, એ આવા જ કોઈ ખેડૂતની મહેનતનું પરિણામ હશે. એ ઋણ ચૂકવવા એક ખેડૂત પરિવારની વહારે આપ સૌ આવશો એવી શ્રદ્ધા છે.

સાંભળ્યું છે કે રામના નામે પથ્થર તરે છે, રામનું નામ જો પથ્થરને તારી શકે તો જીવતરના ભારને પણ દૂર કરી જ શકશે એવા અતૂટ વિશ્વાસ સાથે ….

સૌનું મંગળ હો … સૌનું કલ્યાણ હો …

લિ.

એક વિદ્યાર્થીના દુઃખ દૂર કરવા મથતો એક નાનકડો  શિક્ષક રમજાન હસણિયા

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

...102030...1,5471,5481,5491,550...1,5601,5701,580...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved