Opinion Magazine
Number of visits: 9459235
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીમાં ચૂંટણીઓથી નિરાશા

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 February 2022

લોકશાહીમાં ચૂંટણી અત્યંત મહત્ત્વની બાબત માનવામાં આવી છે. લોકશાહીતંત્રના પાયામાં એ વાત રહેલી છે કે નાગરિકો પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે. તેમના દ્વારા આખું તંત્ર ચાલે છે. આ અર્થમાં જ મતાધિકારને પવિત્ર માનવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, રાજ્યની ધારાસભા હોય કે દેશની સંસદ હોય, તેમાં પ્રતિનધિઓને ચૂંટવામાં આવે છે, એ તો બધા જાણે છે, પરંતુ મહત્ત્વની વાત સામાજિક કે અન્ય સંસ્થાઓમાં પણ ચૂંટણી હાથ ધરવામાં આવતી હોય, તો તે ગુણાત્મક રીતે સારી બાબત ગણાય છે.

કોઈ પણ સંસ્થાના સભ્યો પોતે ઉમેદવારી કરી શકે અને પોતે મત આપી શકે અને તે દ્વારા વહીવટકર્તાઓ ચુંટાય એ પ્રક્રિયા લોકશાહી પદ્ધતિ છે એમ આપણે માનતા આવ્યા છીએ. એમાં પાયાનો સિદ્ધાંત સર્વની ભાગીદારીનો રહ્યો છે. અયોગ્યને બાજુ પર રાખીને યોગ્યને ચૂંટી કાઢવા એમાં સૂઝ અને સમજ અનિવાર્ય બનતાં હોય છે. બધા સભ્યોમાં પાકી સમજ હોતી નથી. આત્મવિશ્વાસ પણ હોતો નથી, પરિણામે કોઈના દોર્યા તેઓ દોરવાતા હોય છે. પક્ષાપક્ષીનું રાજકારણ સાચા કે ખોટા પ્રચાર આધારિત બની ગયું છે. આનું એકંદર પરિણામ એ આવ્યું છે કે વ્યાપકપણે અયોગ્ય જણાતાં તત્ત્વો સહેલાઈથી વિજેતા બનવા લાગ્યાં છે.

સારા માણસો, સ્વચ્છ માણસો, પ્રામાણિક માણસો, સરળ માણસો, ચૂંટણી પ્રક્રિયાથી દૂર ભાગે એવો માહોલ ઊભો થઈ ગયો છે. ઝેર ઝેરને મારે અને કાંટો કાંટાને કાઢે એ ચૂંટણીમાં ચાલે એવી માન્યતા પ્રબળ બનતી જાય છે. ચૂંટણીપંચે નોટા [NOTA = "None of the Above"] બટનનો વિકલ્પ આપવો પડ્યો તે શું સૂચવે છે? ઉમેદવારો તો છે, મારે મત પણ આપવો છે, પરંતુ મને યોગ્ય ઉમેદવાર જડતો નથી, કોને મત આપવો એ સમજાતું નથી, એવી સ્થિતિમાં ચૂંટણીપંચે વિકલ્પ આપ્યો નોટા બટનનો. મેં મત તો આપ્યો, પણ એવો મત આપ્યો જે કોઈના ખાતામાં નહિ જાય. નાગરિકને યોગ્ય ઉમેદવાર મળતા નથી, એ બાબત કેટલા મતદારોએ નોટાબટન દબાવ્યું તેમાં પ્રગટ થઈ રહે છે. (પછી આ ટકાવારી વધે ત્યારે શું કરવું તે વિશે બહુ સ્પષ્ટતા નથી.)

હવે ભલભલા માણસો મત ન આપવાનું વિચારી રહ્યા છે! સંનિષ્ઠ માણસો, લોકશાહીમાં માનનારા માણસોમાં પણ એટલી બધી નિરાશા વ્યાપી વળી છે કે આ વર્ગને એવું લાગે છે કે મતદાન કરવાનો કોઈ અર્થ રહ્યો નથી.

ખાનગી અને પવિત્ર ગણાતી આ ફરજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બજાવવાનું મુનાસિબ માન્યું ન હતું, એવાં સમાચાર એક સમયે અખબારોના પાને પ્રગટ્યા હતા! વિનોબા અને કેટલાક સર્વોદયવાદીઓ તો પહેલેથી આવી ચૂંટણીઓને નિરર્થક ગણે છે અને તેમાં સહભાગી થતા નથી, એ જાણીતું છે. ચૂંટણીઓ અત્યંત ખર્ચાળ બની ગઈ છે. ભ્રષ્ટાચારનાં મૂળ આપણી ચૂંટણી-પ્રક્રિયામાં પડેલાં છે. ચૂંટણીમાં કરેલો ખર્ચો જીતેલો ઉમેદવાર વસૂલ કરવા પ્રયત્ન કરે, તો એને ભ્રષ્ટાચારની બાબત ન ગણવી એવાં નિવેદનો થવાં લાગ્યાં છે! ચૂંટણીખર્ચ ઉપરની મર્યાદા હટાવી દેવી જોઈએ, એવા વિચારો પણ વ્યક્ત થાય છે.

આવા વિકટ માહોલમાં જનપથ સંસ્થાના માહિતી-આધિકાર પહેલ દ્વારા તાજેતરમાં પૂરી થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં મતદારોને અને ઉમેદવારોને ચૂંટણીના કાયદાઓ, એના નિયમો અને એની પ્રક્રિયા વિશે જાણકારી આપવાનો પ્રયત્ન થયો. આ ક્ષેત્રે પણ ઉમેદવારીફૉર્મ ભરી આપવા સુધી દલાલો સક્રિય થઈ ગયા છે, જેઓ રૂપિયા બે હજાર જટેલી રકમ વસૂલે છે. અને આ રકમ આપનારા તેને મળી પણ રહે છે !

માહિતી-અધિકાર પહેલ તરફથી એનાથી પણ વધુ સારું એ કાર્ય બજાવવામાં આવ્યું કે એવા ઉમેદવારોને એકઠા કરવામાં આવ્યા, જેઓ નજીવા ખર્ચે ચૂંટણી જીતવામાં સફળ થયા હોય. ગુજરાતના દસ જિલ્લાઓમાંથી ૧૬૮ જેટલા એવા ઉમેદવારો મળી આવ્યા, જેઓ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં ભાગ્યે કંઈક ખર્ચ કર્યા વિના જીત્યા હોય.

દાહોદના દેવગઢબારિયા વિસ્તારના મેઘબા-મુવાડી ગામનાં સાવિત્રીબહેન પટેલે જણાવ્યું કે ઉમેદવાર તરીકેની ફૉર્મ ફી એટલે કે ડિપોઝિટની રકમ સિવાય તેમણે અન્ય કોઈ ખર્ચ કર્યું ન હતું. તેઓ પોતાના વોર્ડમાં ઘેર ઘેર ફરીને મતદારોને સમજાવતાં રહ્યાં કે આગામી પાંચ વર્ષ માટે કોણ સારું કામ કરી શકે એમ છે, એનો વિચાર કરીને મત આપજો. અન્ય પ્રકારનાં લોભ, લાલચથી દોરવાશો નહિ. બાવીસ વર્ષનાં નિરાલી પારધી આવી જ રીતે વિના ખર્ચે સરપંચ તરીકે ચુંટાયાં હતાં. એમણે છ મહિના પ્રચાર કર્યો હતો.

માહિતી-અધિકારનાં પંક્તિ જોગે જણાવ્યું હતું કે મોટા-ભાગની પ્રજાને હજુ માહિતીના અધિકાર કે ચૂંટણીની પ્રક્રિયા વિશે પૂરી ગતાગમ નથી. પાંચ વર્ષે એક વાર મતદાન કરીને સંતુષ્ટ રહેવાય એવો આજનો સમય નથી. ચુંટાયેલો ઉમેદવાર બરાબર કામ કરે છે કે નહિ તેની તપસીલ જાગૃત નાગરિક તરીકે રાખ્યા વિના હવે છૂટકો નથી.

નાગરિકોની સક્રિયતા મતાધિકારથી પણ આગળની વાત છે. આજનો મહોલ ટીકાટિપ્પણ કરનારાઓને વિધાયક રીતે જોવામાં આવે એવો તો નથી જ, પરંતુ ‘દેશદ્રોહી’માં ખપાવી દેવામાં આવે ત્યાં સુધીનો છે. સરકાર કે સમાજ કે કોઈ પણ તંત્ર દોષથી પર નથી. દોષની ટીકા કરવી અને સાચી બાબતની સલાહ આપવી કે સૂચન કરવું એ પણ જાગૃત નાગરિકની પવિત્ર ફરજ બની રહે છે. વિરોધપક્ષ તેને સોંપાયેલી ફરજ બજાવવામાં નિષ્ફળ કે નિષ્ક્રિય લાગે અને નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) પણ ગેરહાજર જણાય, ત્યારે એકલ-દોકલ વ્યક્તિએ પણ જાહેર બાબતો માટે સમય તો ફાળવવો પડશે.

e.mail : dankesh.oza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 08

Loading

આ યુ.પી.માં ચૂંટણી?

ભરત મહેતા|Opinion - Opinion|2 February 2022

રણમેદાન અસ્તવ્યસ્ત છે અને ખેલાડીઓ જુદ્ધ ખેલવાના ધખારાં બતાવી રહ્યાં હોય એવી નરક સમી ઉત્તર પ્રદેશમાં હાલત છે. યુ.પી. સરકારના મંત્રી દારાસિંહે રાષ્ટ્રપતિને જે પત્ર લખ્યો એમાંથી ભા.જ.પ.નો આંતરવિરોધ વિસ્ફોટની માફક ફૂટી નીકળ્યો છે. ચૂંટાયેલા ધારાસભ્યો, મંત્રીઓ એકાએક અન્ય પક્ષો તરફ કેવળ લાલચથી જ વળે એ માની શકાતું નથી. ભા.જ.પ. ધનવાન, વગદાર, કેન્દ્રીય સત્તાવાળી પાર્ટી હોય ત્યારે વિચારવું જોઈએ. હકીકતે યોગીશાસન દુઃશાસન જ રહ્યું છે, જેનો પણ આ પડઘો છે.

કોરોનાપૂર્વે સરકારી હૉસ્પિટલમાં ઑક્સિજન વિના બાળકો મરી જાય અને એને બચાવનાર(થોડાંક)ને, ડૉક્ટરને રિબાવવામાં આવે! ઉન્નાવમાં ધારાસભ્ય સેંગર બળાત્કાર કરે. અન્યત્ર જ પીડિતાનું શરીર કુટુંબને સોંપ્યા વિના અગ્નિસંસ્કાર કરી દેવાય! પ્રધાન ધમકી આપે, અને પ્રધાનપુત્ર ગાડી ખેડૂતો પર ચડાવીને ખેડૂતોને મારી નાંખે! જ્યાં યોગી ચૂંટણી ટાણે હવે નહેરુ નહીં, જિન્નાહને યાદ કરે! ગન્ના વિરુદ્ધ જિન્નાહ! ૮૦, ૨૦ની વાત કરીને, ધર્મનિરપેક્ષતાના શપથ લેનાર મુખ્ય મંત્રી ખુલ્લેઆમ સાંપ્રદાયિક હાકલ કરે અને ચૂંટણી આયોગ નમાલું બનીને તમાશો જોયા કરે! UAPA હેઠળ કોઈને પણ પકડી લેવામાં આવે! હમણાં જ ગોરખપુરમાં જે પરિવારને મરાયો એ પોલીસ સામે સી.બી.આઈ.એ ચાર્ટશીટ કરી છે! ખેડૂતોને કચડી નાંખે, મારી નાખનારને બચાવનાર પોલીસ સામે સરકારી ફરિયાદ થઈ છે! લખનૌમાં શંકાના આધારે હિંદુ ઇજનેરને ભૂલમાં મારી નંખાયો! ‘બધાંમાં રાજ્યને મદદ કરનાર ડી.જી.પી. હવે સત્તાવાર ભા.જ.પ.ના ઉમેદવાર પણ બન્યા!

અપરાધમુક્ત ઉત્તર પ્રદેશની જાહેરાત દિલ્હીથી માંડી કર્ણાટક સુધી મેટ્રોથી માંડી રોડ રસ્તે બૅનર, પોસ્ટરથી કરાઈ છે, જે અફવા છે. અમિત શાહ કે યોગી વાંચતા જ નથી. ગૃહમંત્રાલયના NCBના રિપોર્ટમાં જ અપરાધોની સંખ્યા વધી છે તે દર્શાવાયું છે. વળી, ૨૦૧૯ના આંકડાઓ શહેર મુજબ – કાનપુર, ગાઝિયાબાદ કે લખનૌના જુઓ તો અનુક્રમે બમણાં, આઠ ગણાં અને છ ગણાં થયાં છે! આ જ રિપોર્ટમાં ઘરેલુ હિંસા અને બળાત્કારમાં થયેલો વધારો છે. દલિત મહિલા પર ૭% અને આદિવાસી પર ૧૩% બળાત્કારો વધ્યાં છે! ઍન્ટિ રોમિયો સ્ક્વૉડના નામે પ્રેમી-યુગલોને પરેશાન કરવામાં પાછી પાની કરી નથી, જેમાંથી યુ.પી.માં ભા.જ.પ. આવ્યો એ મુઝફ્ફનગરની લવ-જેહાદવાળી નીતિ પણ ચાલુ જ રહી. ઢગલો ઍન્કાઉન્ટર્સ. પરિવારોની અંગત જિંદગી પણ તબાહ કરાઈ રહી છે.

દમદાર, ઈમાનદાર સરકારની વાત કરનાર યોગીજી રાજ્યનું ૭૦% બજેટ પણ વાપરી શક્યા નથી! શંખનાદ અને ઘંટનાદ જ ચાલે છે. કાશી કોરિડોર અને રામમંદિરના નામે સેંકડો ઐતિહાસિક મંદિરોનો ખાતમો બોલાવ્યો છે. અયોધ્યામાં દલિતોની જમીનો પક્ષના કાર્યકરો, સરકારી અધિકારીઓએ પડાવી લીધી છે. જેની વિગતો સમૂહમાધ્યમમાં આવી ચૂકી છે. વારે વારે ગંગાની વાત કરનારાંઓ ગંગા, યમુના, ગોમતીને જોઈ આવોઃ નરકમાં રૂપાંતરિત થઈ રહી છે. ગંગા એક્સપ્રેસ હાઇવેની યોજના જેમાં ૧૪૦ તળાવોનો નાશ થવાનો છે.

શિક્ષણ પણ રામભરોસે ચાલે છે. યોગીજીના મંત્રાલયે જ પાંચ વર્ષની સમીક્ષા કરાવી છે. શિક્ષકોની યુ.પી.માં ૨૧% જગાઓ ખાલી છે. રાજ્યોમાં ૧૮,૦૦૦ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. પટાવાળો પણ શિક્ષક જ. પરીક્ષાનાં કૌભાંડો ગુજરાત જેવાં અને જેટલાં જ રહ્યાં છે. વિશ્વગુરુની વાતો કરનારાંઓએ જોવું જોઈએ કે શિક્ષણમાં યુ.પી. ૧૭મા ક્રમે છે! તેલંગાણા, બિહાર અને ઝારખંડ સાથે! શિક્ષણવંચિત પેઢી તૈયાર કરાઈ રહી છે. 'બચ્ચા બચ્ચા રામ કા, અનપઢો કે કામ કા.' ભારતમાં ગયા વર્ષ કરતાં ૨૩ લાખ બાળકોનું એનરોલમેન્ટ ઓછું થયું એમાં એકલા ઉત્તર પ્રદેશનો સિંહફાળો ૭ લાખનો છે! પોસ્ટરબોય પ્રચારજીવી મુખ્ય મંત્રીએ આ આંકડા જોયાં છે? ઉચ્ચ શિક્ષણની તો વાત જ જવા દો. ઉત્તરવહીઓની ઢીલી તપાસના આંકડાથી છાપાં ઉભરાતાં હતાં. ૯૦% શાળાઓ માપદંડ મુજબની નથી. અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપેલો સરકારી કર્મચારીઓએ ફરજિયાત પોતાનાં સંતાનોને સરકારી શાળામાં ભણાવવા પડશે અન્યથા કડકમાં કડક સજા થશે. આ આદેશનું જરા પણ પાલન થયું જ નથી! યુપીમાં ૬,૨૯,૦૦૦ બાળમજૂરો છે! પંદર કરોડ કરોડ લોકો યુ.પી.માં બેકાર છે. ૫૪% મહિલાઓ નિરક્ષર છે. મહિને અપાતાં ૧૦ કિલો અનાજ, મીઠું, દાળ તેલમાં થતી ભેળસેળ રોજબરોજની ઘટના છે.

આ બધાંનું શું કરવાનું એની વાત ભા.જ.પ. કરતું જ નથી. કરવા માંગતું પણ નથી. હજુ ઘોષણાપત્ર કેમ રજૂ નથી કર્યું? હકીકત એ છે કે એમને સાંપ્રદાયિકતાના જોરે જ ચૂંટણી જીતવી છે. તેથી જ જિન્નાહ – ગન્ના , ૮૦-૨૦ ચાલ્યાં કરે છે. જેનાથી સામાજિક વિભાજન વધુ મજબૂત થઈ શકે. સાંપ્રદાયિકોને 'રાષ્ટ્ર' બોલતાં શરમ આવવી જોઈએ. એ લોકોએ રાષ્ટ્રનો મેગાસેલ માંડ્યો છે. એક મીટર રેલવે લાઇન નથી નાંખી એને રેલવે, જેણે એક મીટર હવાઈપટ્ટી નથી નાંખી એને વિમાનમથકો આપી દીધાં છે! ખેડૂતોની શેરડીના કરોડો રૂપિયા બાકી છે ચૂકવવાના એની વાત નથી થતી. કોરોનામાં ગંગામાં તરતી લાશો તરફ યોગીજીને કોઈ મોહમાયા ન હતી, એ જ ગંગામાં મોદીજીની એક ડૂબકી સાડા છ કરોડમાં પડી! સાંપ્રદાયિકોને રાષ્ટ્ર, દલિત, શિક્ષણ, આરોગ્ય કોઈની સાથે સંબંધ નથી હોતો. બાકી ગૌમાંસ નિર્યાતમાં યુ.પી. પ્રતિ વર્ષ ૧૭,૦૦૦ કરોડનો વેપાર કરે છે. (ભારતના ગૌમાંસ નિર્યાતના નવ મોટાં વેપારી નવેનવ હિન્દુ છે!) પણ સાંપ્રદાયિકો ઉના જેવી ઘટના માંસાહારના નામે કરી શકે છે. લોકોની ખાણી-પીણી, ધર્મ, રીતરિવાજ, લગ્નપસંદગીના વિવિધ મુદ્દાઓ પર તોફાનો થાય છે.

આ બધાની વચ્ચે પણ કિસાન આંદોલનથી હવા બદલાઈ છે. કદાચ, પ્રજા હિન્દુમુસ્લિમના મુદ્દાથી અળગી રહેશે. ભા.જ.પ. આવવાનું કારણ વિકાસ, અને દલિતો-લઘુમતીને પણ અચ્છે દિનની આશા હતી. જે નથી ફળી એ દારાસિંહનો પત્ર પ્રતીતિ કરાવે છે. પક્ષ છોડે કે તરત જ એ મંત્રી કે ધારાસભ્ય પર વર્ષો પહેલાંના પોલીસ કેસ ખૂલવા માંડે છે. સામ-દામ-દંડ-ભેદમાં કુશળ ભા.જ.પ. આવા યુ.પી.માં જીતે કે ન જીતે પણ એની લોકપ્રિયતાનો આંક ખાસ્સો નીચો ગયો છે એ તો હવામાનમાંથી પારખી શકાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 09

Loading

ભારતમાં બેકારી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 February 2022

ભારતમાં અત્યારે અર્થતંત્રમાં તેજીનો પુનઃસંચાર થઈ રહ્યો છે એવી વાતો, ખાસ કરીને શાસકો દ્વારા કરવામાં આવે છે. પણ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બેકારી વધીને ૭.૯૧% થઈ હતી જે ૨૦૧૮-૧૯માં ૬.૩% હતી અને ૨૦૧૭-૧૮માં ૪.૭% હતી. શહેરી વિસ્તારોમાં ૨૦૨૧માં બેકારીનું પ્રમાણ ૯.૩૦% હતું અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ ૭.૨૮% હતુ. ૨૦૧૯-૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઉદ્યોગોમાંથી ૯૮ લાખ નોકરીઓ ઓછી થઈ અને ખેતીના ક્ષેત્રે ૭૪ લાખનો વધારો થયો. આ ઘટના અંગ્રેજોના શાસનમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઘટેલી રોજગારી અને ખેતીના ક્ષેત્રે શ્રમિકોનો વધારો થયો તેની યાદ આપે છે.

નોકરીઓની ગુણવત્તા પણ કથળી છે. ઉજળિયાત નોકરીઓ જેમાં ચૂકવાતા વેતનને અંગ્રેજીમાં સેલેરી કહેવામાં આવે છે તેનું પ્રમાણ ઘટ્યું. ૨૦૧૯-૨૦માં એ પ્રમાણ ૨૧.૨% હતું જે ઘટીને ૨૦૨૧માં ૧૯% થયું. આનો અર્થ એવો થાય કે એટલા પ્રમાણમાં લોકો બેકાર થયા અથવા બિનસંગઠિત ક્ષેત્રમાં જોડાયા. જો કે, બિનસંગઠિત ક્ષેત્ર પોતે પણ સંકોચાયું છે. આ સમય દરમિયાન કુલ રોજગારી ૪૦.૮૯ કરોડ હતી. એ ઘટીને ૪૦.૦૬ કરોડ થઈ. દરમિયાન એક કરોડ યુવાનો રોજગારીની શોધમાં શ્રમના બજારમાં આવ્યા હતા.

વ્યાપક રીતે પ્રવર્તતી બેકારીનું એક પરિણામ એ આવ્યું છે કે ભારતમાં જેને અર્થશાસ્ત્રમાં શ્રમની સામેલગીરીનો દર કહેવામાં આવે છે તે ઘણો નીચે રહે છે. ૨૦૨૦માં તે ભારતમાં ૪૬% હતો એટલે કે કામ કરી શકે એ વયના ૪૬% લોકો રોજગારીમાં હતા કે બેકાર હતા. જે લોકો રોજગારીની શોધમાં હોય અને બેકાર હોય તેને પણ સામેલગીરીના દરમાં સમાવવામાં આવે છે. જે લોકો રોજગારીની શોધમાં ન હોય એને જ શ્રમના સામેલગીરીના દરમાં સમાવવામાં આવતાં નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં સામેલગીરીનો દર કેટલો હોય છે તેના કેટલાક આંકડા નોંધીએ. બ્રાઝિલમાં ૫૭%, ચિલીમાં ૫૭%, ચીનમાં ૬૭%, ઘાનામાં ૬૬% અને મલેશિયામાં ૬૪% હતો. આનો અર્થ એ થાય કે ભારતમાં આપણે શ્રમશક્તિનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણી ગરીબીનું આ એક કારણ છે.

ભારતમાં રાજ્યો દીઠ બેકારીનો પ્રમાણમાં મોટો તફાવત છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં સૌથી વધારે બેકારી હરિયાણામાં હતી જે ૩૪% હતી. બીજા નંબરે રાજસ્થાન હતું જ્યાં ૨૭% લોકો બેકાર હતા. ત્રીજા નંબરે ઝારખંડ હતું જ્યાં ૧૭% લોકો બેકાર હતા. બિહારમાં બેકારીનું પ્રમાણ ૧૬% હતું.

એન.એસ.એસ.ઓ.ના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ભારતમાં ૪૫ વર્ષમાં સૌથી વધારે બેકારી હતી. ખાસ કરીને યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ૨૦થી ૨૪ વર્ષની વયની વ્યક્તિઓમાં તે ૩૪% હતું. અને ૨૦થી ૨૯ વર્ષની વયની વ્યક્તિઓમાં બેકારીનું પ્રમાણ ૨૮% હતું. એનો અર્થ એવો થાય કે ૩ કરોડ યુવાનો બેકાર હતા એની સરખામણીમાં ૨૦૧૭માં ૧.૭૮ કરોડ લોકો બેકાર હતા. એ જુદી વાત છે કે કાંદાના ભાવની જેમ યુવાનોની બેકારી ચૂંટણીનો મુદ્દો બનતો નથી. પણ શાસકોએ યુવાનોની બેકારીને દેશની એક નંબરની સમસ્યા ગણવી જોઈએ. દુર્ભાગ્યે જેનાથી રોજગારી વધે એ મૂડી રોકાણમાં ઘટતું જાય છે. ૨૦૧૧માં એ જી.ડી.પી.ના ૩૪.૩% હતું, ૨૦૨૦માં એ ઘટીને ૨૭% થયું છે.

સંગઠિત ક્ષેત્રમાં બેકાર થયેલા લોકો પાસે પ્રોવિડન્ટ ફંડ રૂપે સંચિત બચત હોય છે એનાથી એ કામ ચલાવે છે. પણ બિનસંગઠિત ક્ષેત્રમાં, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં આવી કોઈ સગવડ હોતી નથી. એ લોકો માટે આજે ‘મનરેગા’ સામાજિક સલામતીની યોજના બની છે. ૨૦૧૯માં ૮.૫૬ કરોડ મજૂરદિવસોની રોજગારી સર્જાઈ હતી જે વધીને એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૧ના ગાળામાં ૧૧ કરોડ હતી. આમ જેની વડા પ્રધાન મોદીએ એક વખત હાંસી ઉડાવી હતી એ યોજના જ આજે લોકો માટે રાહતરૂપ થઈ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 10 તેમ જ 12

Loading

...102030...1,5131,5141,5151,516...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved