Opinion Magazine
Number of visits: 9459001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનાં શિક્ષણ ‘ખાતાં’ને માસ પ્રમોશન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 May 2022

ગુજરાતે અનેક રીતે ઘણી પ્રગતિ કરી હશે, પણ શિક્ષણનો તો અહીં સર્વનાશ જ થયો છે. એ સર્વનાશ શિક્ષણ ખાતાંએ સામૂહિક રીતે કર્યો છે. એ ખરું કે કોરોનાએ આખા વિશ્વ પર પ્રભાવ પાથર્યો ને અનેક ક્ષેત્રોમાં મૂલ્યોનું ભયંકર ધોવાણ થયું, એમાં શિક્ષણ પણ બાકાત નથી. કોરોના કાળે બીજા દેશોમાં શિક્ષણની શી સ્થિતિ થઈ તે તો બહુ ખબર નથી, પણ એવી કોઈ વાતો બહાર આવી નથી જેણે શિક્ષણ સંદર્ભે ઊહાપોહ જગવ્યો હોય. ભારતમાં પણ એવી વાતો બહુ બહાર આવી નથી, પણ ગુજરાતની વાત નીકળે છે તો શિક્ષણમાં તો દાટ વળેલો જ દેખાય છે. કોરોના કાળમાં જે શિક્ષણ મંત્રીઓ આવ્યા એમણે માત્ર તુક્કાઓ પર જ આખું શિક્ષણ ખાતું ચલાવ્યું છે. મહંમદ તઘલખ તરંગી ગણાયો, પણ શિક્ષણ ખાતું તો તેને ય ટપી જાય તેવા તુક્કાઓ પર જ નભી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. આખા શિક્ષણ વિભાગની એક વિશેષતા ધ્યાન ખેંચે છે તે, થૂંકીને ચાટવાની ! એ ખરું કે કોરોનાએ અનેક નીતિ રીતિઓ પર પાણી ફેરવ્યું છે ને કશુંક નક્કી કર્યું હોય તેનાથી જુદું જ કરવાની ફરજ પડી છે, પણ એવે વખતે તુમાખી કે તુક્કાથી વરતવાનું ઠીક નથી. એ સંજોગોમાં તુમાખી કે તુક્કાનું સ્થાન વિવેકે લેવું પડે, જેનો ગુજરાતનાં શિક્ષણ વિભાગમાં ભારોભાર અભાવ છે. 2020માં કોરોના નિમિત્તે લોકડાઉન જાહેર થયું તેના થોડા જ વખતમાં ગુજરાતે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો. પૂરતાં સાધનો વગર નામ પૂરતું ભણવા, ભણાવવાનું ચાલ્યું. જાતભાતની કસોટીઓ વચ્ચે બોલબાલા પરીક્ષાની જ રહી. પરીક્ષામાં જવાબો લખવા-લખાવવાનું પણ ચાલ્યું ને એમ લાગે કે શિક્ષણ જેવું જરા તરા રહી ગયું છે, બસ ! તેટલું મહત્ત્વ શિક્ષણનું રહ્યું. બધું જ અનિશ્ચિત હોય ત્યારે હોંશિયારી મરાય નહીં, પણ શિક્ષણ મંત્રી ફરમાનો બહાર પાડતાં રહ્યાં. કસોટીઓ છાશવારે લેવાતી રહી. બોર્ડની કે અન્ય વાર્ષિક પરીક્ષાઓનું શું થશે તેની મૂંઝવણો રાજ્ય આખાને હતી, ત્યાં 2020નાં ડિસેમ્બર, 29નાં છાપાંઓ બોલ્યાં કે માસ પ્રમોશન નહીં અપાય અને પરીક્ષાઓ લેવાશે જ ! એકથી આઠ અને ધોરણ નવ ને અગિયારની પરીક્ષાઓ લેવાશે જ. આ બધુ કઇ રીતે પાર પડશે એની કોઈ વાત ન હતી, પણ ફતવો બહાર પડી ચૂક્યો હતો, ત્યાં 25 માર્ચ, 2021 ને રોજ વળી જાહેર થયું કે 1થી 8, 9 અને 11માં માસ પ્રમોશન અપાશે. થયું? પરીક્ષાની (તુ)માખી નીકળી ગઈ !

કોરોનાને કારણે જ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી. 10માં ધોરણમાં માસ પ્રમોશન જાહેર થયું, તેમાં કરામત હતી. 9 અને 10ની અગાઉ લેવાયેલી પરીક્ષાને આધારે 10નું બોર્ડનું પરિણામ જાહેર કરાયું. એ હજી સુધી નથી સમજાયું કે માસ પ્રમોશન જાહેર જ હતું ત્યાં, નવમા, દસમાની અમુક તમુક ટકાવારી પરથી પરિણામ તૈયાર કરવાથી વિશેષ શું સિદ્ધ કરવું હતું? ખેર, ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 100 ટકા આવ્યું અને 17 હજારથી વધુ વિદ્યાર્થીઓને એ -1 ગ્રેડમાં પાસ જાહેર કરાયા. કોઈને પણ એ સંકોચ ન થયો કે જેની પરીક્ષા બોર્ડે લીધી જ નથી એનો એ-1 ગ્રેડ સ્વીકારાય કઇ રીતે?

આ વખતે એટલે કે 2022માં, એપ્રિલમાં પ્રાઈમરીની પરીક્ષાઓ લેવાઈ. વિદ્યાર્થીઓએ પેપરોના જવાબ લખ્યા, તેનું વર્ગવાર પરિણામ નક્કી થયું ને મેની બીજી તારીખે શિક્ષણ મંત્રીએ એકાએક ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોનાની ખાસ પરિસ્થિતિને કારણે, ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આમ તો 21 સપ્ટેમ્બર, 2019ના રોજ સરકારે ઠરાવ કરેલો કે એ ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. એ અનુસાર ગયે વર્ષે કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ કરાયા ન હતા. એ જ વાત આ વર્ષે પણ શિક્ષણ વિભાગે લાગુ પાડી ને આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગલા વર્ષમાં બઢતી અપાઈ.

એ સાચું કે કોરોના નાબૂદ થવાની વાત જોર પકડે છે તે સાથે તેની નવી લહેરની આગાહીઓ પણ થવા લાગે છે ને ગાડી માંડ જરા પાટે ચડે છે કે ફરી ભયનું લખલખું દેશ આખામાંથી પસાર થઈ જાય છે. એમાં જેમ બીજું બધું ખોરંભે ચડે છે એમ જ શિક્ષણ પણ ઘોંચમાં પડે છે. જો કે, છેલ્લા થોડા મહિના કોરોનાનો પ્રભાવ ખાસો ઘટ્યો, એટલે ઓફલાઇન શિક્ષણ પણ શરૂ થયું. ઓનલાઈન અને ઓફલાઇન વર્ગો ચાલ્યા ને પરીક્ષાને અનુકૂળ વાતાવરણ લાગતાં ધોરણ આઠ સુધીની વાર્ષિક પરીક્ષાઓ પણ લેવાઈ ને પરિણામ પત્રકો પણ તૈયાર થયા, ત્યાં અચાનક શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે કોરોનાને કારણે શિક્ષણ નિયમિત થઈ શક્યું નથી, તો આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવો. આ નિર્ણય લેવો પડશે એવું ઘણાંને લાગતું હતું, પણ જ્યારે પરીક્ષા હેમખેમ પૂરી થઈ ને પરિણામો પણ તૈયાર થઈ ગયાં તો લાગ્યું કે આજકાલમાં પરિણામો જાહેર થશે, પણ કોથળામાંથી બિલાડું નીકળ્યું ને માસ પ્રમોશનનો બેલ પડી ગયો !

માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો તેનો એટલો વાંધો નથી, જેટલો પરીક્ષા લેવાઈ તેનો છે. કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું તે કોરોના નવો આવ્યો હતો, એટલે? બે વર્ષથી એ દેશમાં છે. તો, પરીક્ષા લેવાઈ ગયા પછી માસ પ્રમોશનનો તુક્કો કેમ આવ્યો? એ વેલ ઇન એડવાન્સ અજમાવી શકાયો હોત તો પરીક્ષાનું આખું તંત્ર ગોઠવવાની જરૂર ન પડી હોત ! સૂરતમાં કેટલી ય સ્કૂલોમાં કોરોનાની ઐસીતૈસી કરીને જે બેઠક વ્યવસ્થા આચાર્યોએ ગોઠવવી પડી ને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ નજીક, એક બીજાને અડાડીને બેસાડવાની ફરજ પડી તેનાથી બચી શકાયું હોત ! સાચું તો એ છે કે પરીક્ષાનું વાતાવરણ જ ન બન્યું ને પરીક્ષાઓ લેવાઈ. વારુ, પરીક્ષાનું પરિણામ નક્કી થઈ ગયું, પાસ નાપાસની માનસિકતા બની ચૂકી ત્યાં સુધી શિક્ષણ ખાતાને માસ પ્રમોશનનું સપનું ય નથી પડતું, એ કેવું? આટલું અંધેર તો કેમ ચાલે?

કોઈને નાપાસનું ભાન ન થાય ને બધાં જ આગળનાં વર્ષમાં જાય એ માસ પ્રમોશનનો હેતુ માર્યો ગયો, કારણ, પરિણામ નક્કી થઈ ગયાં પછી જે નાપાસ છે તેનાં મનમાં એ ગિલ્ટ રહેવાનું કે પોતે નાપાસ છે ને  દયા દાન ધરમમાં આગળ જઈ રહ્યો છે. એ ખરું કે માસ પ્રમોશનને કારણે બીજી સ્કૂલોમાં ઓછી ટકાવારીને કારણે વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવાનું નહીં બને, પણ પેલું નાપાસનું ગિલ્ટ તો ઓલરેડી જન્મી જ ચૂક્યું છે, તેનું શું? એ સારી સ્થિતિ છે? ને સવાલોનો સવાલ એ છે કે માસ પ્રમોશનનું નાટક ક્યાં સુધી ચલાવવાનું છે? શિક્ષણ વિભાગને એ ખબર છે કે મોટે ભાગના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નાપાસમાં છે ને તે ય 100માંથી ચાર પાંચ માર્ક જેટલું જ છે, તો એ સ્થિતિ સુધરે એવું કૈં કરવાની જરૂર લાગે છે કે આવતે વર્ષે પણ માસ પ્રમોશનની જ આગાહી, આજથી જ કરી દેવાની છે? એક માત્ર પુડુચેરીને બાદ કરતાં કોઈ રાજ્યે માસ પ્રમોશનની યોજના અમલી બનાવી નથી. એનો અર્થ એ થાય કે એમણે પરીક્ષાનો વિકલ્પ સ્વીકાર્યો છે. એ રાજ્યોમાં કોરોના ન હતો ને એ તકલીફ માત્ર ગુજરાતને જ હતી એમ માનવાનું છે? એ રીતે ગુજરાત તુક્કાઓને કારણે, પાયાના શિક્ષણથી જ પાયા વગરનું થઈ ગયું છે એવું નથી લાગતું?

હે, શિક્ષણ વિભાગના માનવંતા સાહેબો, થોડું પણ અનુભવી શકતા હો તો અનુભવો કે બે વર્ષથી માસ પ્રમોશન ખાટતા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણમાં આવી ગયા છે ને તેમનાં કકકાનાં ઠેકાણાં નથી ને બીજી તરફ તેમને પાઠ ભણવાના આવ્યા છે. એકડો ચીતરાતો નથી ને સરવાળા, બાદબાકી તરફ જવાનું છે. લર્નિંગ લોસ વિષે કૈં વિચારવાનું છે કે આમ જ માસ પ્રમોશનથી જ જીવી કાઢવાનું છે? માનનીય સાહેબો, તમે એ રીતે ભણ્યા ન હો તો આ વિદ્યાર્થીઓને એમના કયા ગુના બદલ આ ભોગવવાનું છે તે કહેશો? ખરેખર તો થોડા શિક્ષકોને વધારાનો પગાર આપીને વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય એવી વ્યવસ્થા વિચારવાની જરૂર છે, પણ શિક્ષકોને તો તમે ફાજલ કામ માટે જ રાખ્યા હોય એવી હાલત છે. એ તમારી વસ્તી ગણતરી માટે કે રસી રસા માટે જ હોય તેમ કારકૂની કરાવો છો તે કોઈ રીતે યોગ્ય નથી. તમારો માસ્તર પત્રકો ભરવામાંથી કે આની તેની જયંતી ઉજવવામાંથી જ ઊંચો ન આવતો હોય તો એ ભણાવશે શું ને કોને? વેઠિયા ને માસ્તરમાં થોડો ફરક તો રાખો. આખો શિક્ષણ વિભાગ ક્યાં સુધી તઘલખો ને શેખચલ્લીઓ પર જીવવાનો છે તે કહેશો? જે પ્રજાનું ખાવ છો તેનું ક્યાં સુધી ખોદશો? ક્યાંકથી પણ શરમ મળતી હોય તો મેળવવા જેવી છે, કારણ અગાઉ ક્યારે ય ન હતી એટલી જરૂર આજે છે …

ને શિક્ષણ મંત્રીશ્રી તો કહે છે કે જેને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે ગુજરાત છોડી જાય. સારું છે કે ગુજ્જુઓને સ્વમાન જેવું ખાસ નથી, નહીંતર એને ય બધા મંત્રીઓ ફાવે છે એવું ક્યાં છે? એવા ન ફાવતા  મંત્રીઓને એ પણ રાજવટો આપી જ શકે ને ! પણ આ પ્રજાને શરમ નડે છે ને એ ઘણાં ફાલતુઓને વેઠી લે છે, બાકી એ શું નથી જાણતી કે આ વખતે રિઝલ્ટ તૈયાર થઈ ગયું હોય એવા વિદ્યાર્થીઓને, મત હાથવગા થાય એટલે માસ પ્રમોશન આપે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2022

Loading

અમારા હિસ્સાનો છાંયડો ક્યાં છે ? – અમદાવાદીઓનો સવાલ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 May 2022

અમદાવાદના વાહનોથી ધમધમતા રસ્તાઓ પર આજકાલ લગભગ દરેક ચાર રસ્તા પર લાલ લાઇટ થાય એટલે સ્કુટર કે કારવાળા સ્ટૉપલાઇનની નજીક જઈને અટકવાને બદલે આસપાસ જે ઝાડ હોય તેના છાંયડા હેઠળ એકઠા થાય છે.

શહેરી તાપમાનના દુનિયાભરના અભ્યાસીઓએ સૂચવ્યું છે કે ફૂટપાથ પર ઊભી રહેલી વ્યક્તિ કરતાં ઝાડ નીચે ઊભી રહેલી વ્યક્તિ 5થી 7 સેન્ટિગ્રેડ ઓછું તાપમાન અનુભવે છે. જળવાયુ પરિવર્તનના ક્ષેત્રે આ પ્રકારના અભ્યાસ ‘આઇલૅન્ડ ઇફેક્ટ’ અથવા ‘ફૉસ્ટર્સ રુલ’ નામની વિભાવના હેઠળ કરવામાં આવે છે.

વૃક્ષ નીચે ઓછું તાપમાન જોવા મળે એ બાબત શિન્જિ યોશિદા નામના અભ્યાસીના Adaptation Measures for Urban Heat Islands નામના પુસ્તકમાં વાંચવા મળે છે. એમાંથી પસાર થતાં એમ થાય છે કે આ વર્ષે શહેરે તેના રહીશોને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા માટે શું કર્યું ?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો દાવો છે કે તેણે 2019 અને 2021 એમ બે વખત ‘મિશન મિલિયન ટ્રીઝ’ (દસ લાખ વૃક્ષારોપણ ઝુંબેશ) નામની ઝુંબેશ કરીને 27.72 લાખ છોડ ઊગાડ્યાં છે.

જો કે ઊગાડેલાં આ છોડમાંથી કેટલાં ટક્યાં છે એનો આંકડો કૉર્પોરેશન આપતી નથી.

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બહાર પડેલાં ફૉરેસ્ટ સર્વે ઑફ ઇનિયા 2021ના આંકડા મુજબ વીતેલા દાયકામાં અમદાવાદ શહેરના વૃક્ષાવરણમાં (ટ્રી કવરમાં) 8.55 ચો.કિલોમીટરનો ઘટાડો થયો છે. આ ઘટાડો દેશના બધાં મુખ્ય શહેરોનાં વૃક્ષાવરણમાં ગયા દાયકામાં થયેલા ઘટાડા કરતાં વધારે છે.

તદુપરાંત, અમદાવાદમાં દરેક અમદાવાદીને મળતી માથાદીઠ શહેરી હરિત ભૂમિ (Uraban Green Space – UGS) 3.91 ચોરસ મીટર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO)ના ધોરણ મુજબ દરેક શહેરવાસીને માથાદીઠ ઓછામાં ઓછી 9 ચોરસ મીટર હરિત ભૂમિ મળવી જોઈએ. ચંડીગઢ, દિલ્હી અને બંગળુરુ જેવાં થોડાંક જ શહેરો WHOના ધોરણો જાળવી શક્યાં છે, અને મુંબઈ, અમદાવાદ, સૂરત, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવાં શહેરો આ ધોરણથી ઘણાં દૂર છે.

બંગળુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના અભ્યાસમાં 2020માં ચેતવણી આપવામાં આવી છે કે ગયા બે દાયકામાં અમદાવાદનું વૃક્ષાવરણ (tree-cover) 46%થી ઘટીને 24% પર આવ્યું છે, અને વિકાસનાં દબાણો હરિત ભૂમિ(green space)નો ભોગ લેતાં તો 2030માં વૃક્ષાવરણ 3% પર પહોંચી જશે.

વનસ્પતિશાસ્ત્રી સંતોષ યાદવ કહે છે : ‘મુંબઈ અને પુણેમાં થયું છે તેવું tree mapping અમદાવાદમાં થવું જરૂરી છે. અમદાવાદીઓએ એ જાણવાની જરૂર છે કે વૃક્ષારોપણ ઝુંબેશ બાદ કયાં ઝાડ ટક્યાં છે અને ક્યાં ટક્યાં નથી. વૃક્ષનું આર્થિક મૂલ્ય ધ્યાનમાં લેવાતું નથી, અને એટલે સત્તાવાળાઓ વૃક્ષોના વિનાશની નોંધ લેતા નથી.’

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથે વાત કરતાં એક કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું : ‘અત્યારના આપણાં બાંધકામ પેટાનિયમો મુજબ, બાંધકામ કરવામાં 10% ખુલ્લી જગ્યા open space છોડવાની હોય છે. આ જગ્યા બાંધકામ વિસ્તારમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદની 2021ની વિકાસ યોજના મુજબ થોડાંક તળાવોની આસપાસ green spaces બતાવવામાં આવી છે. નગર આયોજનની જુદી જુદી યોજનાઓમાં થોડીક સંખ્યામાં land pooling system  દ્વારા થોડીક સંખ્યામાં open spaces માટેની જોગવાઈ કરવામાં આવી છે.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું કહેવું છે કે 1965થી લઈને અત્યાર સુધીની અમદાવાદની દરેક વિકાસ યોજનામાં શહેરને હરિયાળું બનાવવા અને open spaces વધુ સંખ્યામાં રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ વીતેલા ચારેક દાયકામાં સુધરાઈએ આ દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું છે.

શહેરી વિકાસ આયોજનમાં સંખ્યાબંધ યોજનાઓ એવી છે કે જેમાં ગુજરાત ટાઉન પ્લાનિન્ગ ઍક્ટમાં ફરજિયાત બનાવવામાં આવેલી સંખ્યામાં વૃક્ષો અને open spaces નથી. હવે શહેર આયોજનની પ્રક્રિયામાં શહેરના લોકોને સામેલ કરવા એ મહત્ત્વની બાબત છે. જાહેર જનતાની ભાગીદારી સાથેના કાર્યક્રમોનું વિચારપૂર્વક આયોજન કરવું જોઈએ અને તે અંગેની જાણકારી આ યોજનાઓની સાથે સંકળાયેલા સહુને આપવી જોઈએ.

(સૌજન્ય : ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, 01મે 2022)

05 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મન્તવ્ય-જ્યોત

સુમન શાહ|Opinion - Opinion|6 May 2022

— 1 —

(મારી આ નવતર લેખશ્રેણીમાં અવારનવાર મન્તવ્ય-જ્યોત પ્રગટાવતો રહીશ.)

આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.

જ્યોત ૧ : સાહિત્ય, ભાષિક હસ્તી છે :

સાહિત્ય, ભાષિક હસ્તી છે – લિન્ગ્વિસ્ટિક ઍન્ટિટી. એ શબ્દોનું બનેલું છે. મનુષ્ય, મનુષ્યનો સંસાર, મનુષ્યના વિચારો, મનુષ્યની ભાવનાઓ કે લાગણીઓ સાહિત્યમાં ક્યારે ય પણ શબ્દ રૂપે જ હોઇ શકે છે, ન અન્યથા; અરે, તેનાં કાર્યો પણ.

જીવન છે તો શબ્દ છે એ સાચું છે, પણ સમજવાનું એ છે કે શબ્દ છે તો જીવન છે એ પણ એટલું જ સાચું છે.

શબ્દ અને જીવનનું આ તળનું જોડાણ આપણે કદી ભૂલવું ન જોઈએ.

પણ એ જોડાણ ઘણા લોકોને ગળે નથી ઊતરતું; એટલે તેઓ જીવનની તરફેણ કરે છે અને શબ્દસૃષ્ટિરૂપ સાહિત્યને તકલાદી ગણતા થઇ જાય છે. છેલ્લે તેઓ સાહિત્યને મિથ્યા – નકામું – ગણવા લગી પ્હૉંચી જતા હોય છે. કેટલાક તો સાહિત્યકારોને ‘વેવલા’ વગેરે ગણીને મશ્કરીઓ કરતા હોય છે.

પરન્તુ સાહિત્ય સાથે જોડાયેલા આપણે સૌએ એ દ્વેષ્ટાઓને ઓળખી લેવા જોઈશે તેમ જ શબ્દ અને જીવનનું, બેયનું, હમેશાં જતન કરવું જોઈશે, ગૌરવ કરવું જોઇશે.

= = =

(May 3, 2022: USA)

— 2 —

જ્યોત ૨ : તમામ લેખનો સર્જન છે :

જગવિખ્યાત ભાષાવિજ્ઞાની નૉમ ચૉમ્સ્કીએ એમ કહેલું કે વર્તનપરક સિદ્ધાન્તથી – બીહેવિયરલ થીયરીથી – એમની લિન્ગ્વિસ્ટીક થીયરી અલગ છે. એમનું મન્તવ્ય હતું કે માણસને ભાષાપ્રાપ્તિ થાય છે, ભાષાનું નિયન્ત્રણ થાય છે, તે કોઇ એક ભાષાના વ્યાકરણથી નહીં પણ સર્વ ભાષા અન્તર્ગત રહેલા સાર્વત્રિક વ્યાકરણી નિયમોથી થાય છે – યુનિવર્સલ ગ્રામેટિકલ રુલ્સથી થાય છે; ઉપરાન્ત, એ નિયમો સૌ વિકાસશીલ મનુષ્યો વચ્ચે સમાન છે.

આપણે જાણીએ છીએ કે સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન હોય છે છતાં કેટલાક ભાષિક વિકાસો તેમની વચ્ચે સમાન હોય છે. ચૉમ્સ્કીએ એ સામ્યો માટે માણસના મગજમાં સ્થિત ઇન્નેટ લૅન્ગ્વેજ – ઍક્વિઝિશન મિકેનિઝમને જવાબદાર ગણ્યું છે – ભાષાપ્રાપ્તિને માટેની ચિત્ત-અન્તર્ગત યાન્ત્રિકતા. ભાષાવિજ્ઞાનીઓ એને LAD કહે છે – લૅન્ગ્વેજ-ઍક્વિઝિશન ડીવાઇસ.

ચૉમ્સ્કી જણાવે છે કે એથી ભાષા-પ્રક્રિયાનો પ્રારમ્ભ અને વિકાસ થાય છે. માણસ બાળક હોય ત્યારથી ભાષાના શબ્દો ઉચ્ચારી શકે છે, ભાષા શીખી શકે છે. ચૉમ્સ્કીનું મન્તવ્ય એમ હતું કે LADની બક્ષિશ માત્ર મનુષ્યજીવોને જ મળી છે, જન્મતાંવેંત મળી છે. તેઓ ભાષાને માનવીય, એટલે કે સ્પિશીઝ સ્પેસિફિક, અને અનન્ય, એટલે કે યુનિક લેખે છે.

પોતાની એ સિદ્ધાન્તસરણી અનુસાર, ચૉમ્સ્કી ભાષિક સર્જકતાની વાત કરે છે. એ સર્જકતાને તેઓ મનુષ્યની એક પ્રાથમિક પ્રવૃત્તિ ગણે છે. પ્રવૃત્તિની પ્રાથમિકતા એ કે દરેક બોલનારો નવા શબ્દાર્થો સરજે છે અને દરેક સાંભળનારો તે શબ્દાર્થોને ફરી એક વાર ઘટાવે છે, તેનું ફરી એક વાર સર્જન કરે છે. એ પ્રકારે અને એ રીતે ભાષિક સાતત્ય મનુષ્યોમાં સંતતની ઘટના બની છે.

આ ભાષિક સર્જકતાનો સાર જ એ છે કે મનુષ્ય જો થંભે નહીં તો અમાપ લંબાઇનું દીર્ઘતમ વાક્ય સરજી શકે છે …

હું આ ભૂમિકાએ કહું છું કે તમામ લેખનો સર્જન છે; સાહિત્ય ભાષિક હસ્તી છે એ ખરું પણ ભાષા પોતે જ એક માનવીય સર્જન છે. તેથી યાદ રાખવું જોઈશે કે કાવ્ય, કથા કે નાટક વગેરે તો સર્જન છે જ, પરન્તુ નિબન્ધ વિવેચન કે સમીક્ષા વગેરે તમામ લેખનો પણ સર્જન છે.

આ ઊંડું સત્ય છે. અમુકોથી એ વીસરાઈ જાય છે ત્યારે સર્જક ઊંચો ને વિવેચક નીચો જેવા ભેદ-ભાવ પ્રગટે છે.

એ મિથ્યાચારીઓથી આપણે બચવું જોઈશે.

= = =

(May 5, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4061,4071,4081,409...1,4201,4301,440...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved