Opinion Magazine
Number of visits: 9458897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાય અને હિન્દી ભાષાની સેવા અને રક્ષા માટે બહારના સેવકો અને રક્ષકોની કેમ જરૂર પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 May 2022

હિન્દી ભાષાના કોઈ દુ:શ્મનો હોય તો એ હિન્દી હઠાગ્રહીઓ છે. હિન્દી હઠાગ્રહીઓ બે પ્રકારના છે. એક એ છે જેઓ શાસ્ત્રશુદ્ધ હિન્દીનો આગ્રહ સેવે છે અને બીજા એ છે જેને અંગત જીવનમાં હિન્દી ભાષા સાથે કોઈ લેવાદેવા નથી, પોતે હિન્દી જાણતા નથી, બોલતા નથી, સંતાનોને હિન્દી ભાષામાં ભણાવતા નથી; પણ આગ્રહપૂર્વક કહેશે કે દેશની એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ અને તે હિન્દી જ હોઈ શકે. આ બન્ને પ્રકારના હઠાગ્રહીઓએ હિન્દી ભાષાની કુસેવા કરી છે. એમાં વળી પહેલા પ્રકારના કેટલાક હિન્દી હઠાગ્રહીઓ તો પોતાને આજકાલ હિન્દીસેવી કે હિન્દીરક્ષક તરીકે ઓળખાવે છે. હિન્દી એક એવી ભાષા છે જેને સેવકોની જરૂર પડે છે. સાધારણપણે સેવાની જરૂર એને પડતી હોય છે જે અશક્ત હોય. હકીકત તો એ છે કે કહેવાતા હિન્દીસેવી હિન્દીજીવી છે. તેમનો ગુજારો હિન્દી થકી ચાલે છે.

ઉદાહરણ આપવું હોય તો ગોસેવકો અને ગોરક્ષકોનું આપી શકાય. ભારતમાં મુસલમાનોની વસ્તીને કારણે માત્ર અને માત્ર ગાય એટલી લાચાર છે કે તેની રક્ષા અને સેવા કરવી પડે એમ છે. બીજા પશુઓની સેવા કે રક્ષા કરવાની જરૂર નથી, માત્ર ગાયની સેવા અને રક્ષા કરવી પડે એમ છે. આ વિચિત્ર વાત નથી? બીજા કોઈ પશુની સેવા અને રક્ષા કરવી નથી પડતી અને એકલી ગાયની જ કેમ રક્ષા કરવી પડે છે? હકીકતમાં પોતાની જાતને કોઈક જગ્યાએ જોતરવા માટે અને એ દ્વારા હિત સાધવા માટે ગાય એક સાધન છે. રમત બહુ સરળ છે. ગાય હોય કે ભાષા, પહેલા એને આદરણીય બનાવો, રાષ્ટ્રીય અને ધાર્મિક ઓળખ એના ઉપર આરોપો, એને રાષ્ટ્રીય-પ્રજાકીય વજૂદનો હિસ્સો બનાવો અને પછી? પછી એને નિરાધાર લાચાર અબળા બનાવો. વળી દુ:શ્મનો તો હોવા જ જોઈએ એટલે તેનાં દુ:શ્મનો ઓળખી કાઢો અને જરૂર પડે તો પેદા કરો. અને એ પછી? એ પછી દેખીતીરીતે એ લાચાર નિરાધાર દુ:શ્મનગ્રસ્ત અબળાને સેવકોની અને રક્ષકોની જરૂર પડશે.

આમ હિન્દી ભાષાની હાલત આ દેશમાં ગાય જેવી છે. ગાયની માફક જ ભારતની બીજી કોઈ ભાષાને રક્ષકો અને સેવકોની જરૂર પડતી નથી, માત્ર હિન્દીને જ પડે છે. જ્યાં કોઈ પ્રયાસના પાયામાં લઘુતાગ્રંથિ હોય ત્યાં કોઈ ભવ્ય નિર્માણ થઈ શકે ખરું? છાતી કુટનારા રોતલાઓ શું સેવા કરવાના અને શું રક્ષા કરવાના! ગાય અને હિન્દી ભાષા સદૈવ દયાજનક અવસ્થામાં રહે એમાં તેમનો સ્વાર્થ છે કે જેથી તેને સેવકોની અને રક્ષકોની જરૂર પડે. હિન્દીસેવકો અને હિન્દીરક્ષકો તેમના તત્સમ્‌ શબ્દોના હઠાગ્રહને પરિણામે હિન્દીને પ્રજાથી દૂર લઈ ગયા છે તે ત્યાં સુધી કે હિન્દી પ્રદેશના હિન્દી બોલનારા લોકો પણ હવે હિન્દસેવકો/રક્ષકોની હિન્દીથી દૂર જઈ રહ્યા છે. આ સેવકો/રક્ષકો દૈશ્ય (અવધી, મગધી, મૈથિલી, વ્રજ જેવી દેશી ભાષાઓમાંથી આવેલા) શબ્દોને પણ નકારી રહ્યા છે. તેઓ કહે છે કે નથી જોઈતી આવી ઝનૂનીઓની ફેકટરીઓમાં નિર્માણ પામેલી હિન્દી જે કૃત્રિમ છે અને એમાં અમને પોતીકાપણું લાગતું જ નથી. શા માટે હિન્દીસેવકો/રક્ષકો આવું કરી રહ્યા છે એ પ્રશ્ન અસ્થાને છે. પોતાને વ્યસ્ત રાખવા માટે વાડાઓ અને દીવાલો બાંધતી રહેવી જોઈએ. ટૂંકમાં ગોસેવા/રક્ષા અને હિન્દીસેવા/રક્ષા શુદ્ધ રાજકારણ છે અને પેટકારણ છે. તેના દ્વારા રાજપાટ મળે અને પેટ ભરાય.

બીજા પ્રકારના હઠાગ્રહીઓ બેગા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવા છે. તેમને હિન્દી કે ગાય કોઈ સાથે અંગત જીવનમાં લેવાદેવા નથી, તેના વિષે કાંઈ જાણતા નથી, જાણવાની તસ્દી લેતા નથી, અંગત ઘસરકો ન થાય તેની પૂરી તકેદારી રાખે છે, પણ બસ તેની રક્ષા થવી જોઈએ. એલા ભાઈ, સાચી રક્ષા તો ત્યારે થશે જ્યારે તું તેને તારા અંગત જીવનમાં સ્થાન આપીશ. જે કોઈ ચીજ તમારા અંગત જીવનનો હિસ્સો છે તેની રક્ષા અને સેવા તમે ખુદ કરો છો કે નહીં? તમે માબાપની સેવા કરો છો કારણ કે એ તમારાં પોતાનાં છે અને તમે (જો દીર્ઘદૃષ્ટિ ધરાવતા હો તો) નોકરના હિતની રક્ષા કરો છો કારણ કે તેના હિતમાં તમારું વ્યાપક હિત જોડાયેલું છે. તો કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં અંગત જીવન અને તેનો સ્વાર્થ આવે છે ત્યાં સેવા અને રક્ષા બન્ને તમે પોતે કરી લો છો. એમાં તો તમને બહારના રક્ષકો અને સેવકોની જરૂર પડતી નથી.

તો પછી ગાય અને હિન્દી ભાષાની સેવા અને રક્ષા માટે બહારના સેવકો અને રક્ષકોની કેમ જરૂર પડે છે? કારણ એ બન્ને સાથે તેમને કોઈ લેવાદેવા નથી, કોઈ પ્રકારની સાચી નિસ્બત નથી. જ્યાં પોતીકાપણું ન હોય, જ્યાં સાચો પ્રેમ ન હોય, જ્યાં સ્વાર્થનો સંબંધ ન હોય, જેની સાથે ભવિષ્ય જોડાયેલું ન હોય તેમાં માણસ પોતે જોતરાતો નથી. તમારી પોતાની જિંદગીની પ્રાથમિકતાઓ ઉપર નજર કરી જુઓ. પણ હા, ખુદ જોતારાયા વિના અને પોતાના દ્વારા અપનાવ્યા વિના જો કોઈ પોતાને ગમતી ચીજ બચાવી આપતું હોય તો એવા રક્ષકો અને સેવકોને તેઓ મદદ કરવા તૈયાર છે. ગાય અને હિન્દી ભાષાનો અંગત જીવનમાં કોઈ ખપ નથી (જો ખપ હોત તો સેવા અને રક્ષા ખુદ કરત) પણ એ ગમે છે એટલે રક્ષકો અને સેવકોને તેઓ મદદ કરે છે.

તો ટૂંકમાં આ દેશમાં ગાય અને હિન્દી ભાષા પ્રેમ વિનાના પ્રેમીઓ અને પ્રેમના દેખાડાનો ધંધો કરનારા સેવકો/રક્ષકોનો શિકાર બની ગયાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 મે 2022

Loading

સફરનામા – ‘Stuttgart – ૨૧’ : એક સર્જનાત્મક વિરોધ …

જેલમ હાર્દિક|Opinion - Opinion|8 May 2022

જે વાત છે યુરોપના એક એવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની જેની પહેલવહેલી જાહેરાત થઈ’તી એપ્રિલ, 1994માં, ને જે પૂરો થવાનો હતો એકવીસમી સદીની શરૂઆતમાં. પણ પછી એવો તો એ વિવાદમાં સપડાયો કે હજી સુધી પાટે નથી ચડ્યો. ને એમાં એની એ એકવીસમી સદી આજ સુધી શરૂ થઈ નથી ..!

આના પરથી તમને એવું લાગે છે ને કે આવું માત્ર ભારતમાં નથી બનતું? .. તો પછી … !

પણ આજે તમને હું કહીશ એ સમયનો અમારો એવો એક અનુભવ જ્યારે આ પ્રોજેક્ટ કદાચ અડધે રસ્તે હતો .. હા, વાત છે બારેક વર્ષ પહેલાંની ..

વિપુલભાઈએ “ઓપિનિયન” અને પ્રકાશભાઈએ “નિરીક્ષક”માં આ વાતને વહેતી કરેલી, અને તેના પ્રસારમાં અગ્રેસર રહ્યા હતા, તેને સારુ આદરની, આભારની લાગણી વ્યક્ત કરું છું.

~~~~~~~~~~~~~~~~~~~

આજે થોડીક જુદી વાત, જુદો અનુભવ લઈને આવી છું તમારી પાસે. મને એક વાત ક્યો’ કે ‘Protest’  શબ્દ કાને પડતાં જ નજર સામે શું આવે ? તંબુ તાણીને બેઠેલા કેટલાક માણસો ને ..? સામાન્ય રીતે કશું જ ન કરતા .. માઈક પર કે એના વગર ભાષણો આપતા .. મોટી-મોટી, વધુ તો ખોટી-ખોટી વાતો કરતા, મોટે ભાગે ફેલાવતા. આવા વિરોધો, હડતાળો કે દેખાવોથી આપણે ટેવાઈ ગ્યાં’ છીએ અને એ કરવાવાળા પણ .. ક્યારેક આવા વિરોધો ભૂખ હડતાળનું રૂપ પણ ધારણ કરી લે છે, જેમાં જોવા આવવાળાઓ, ખાસ કરીને આપણા જેવા હરખપદુડા ખાલીપેટ અને દેખાવખારો ભરપેટ હોય છે ..! આ બધી ઘટનાઓ કઈં નવાઈની નથી .. તમને એવું લાગશે કે હું કોઈ રાજકીય કે સામાજિક મુદ્દા વિશે કે એવા કોઈ પક્ષ વિશે વાત કરવાની હોઈશ .. પણ ના, મારે તો તમને કહેવો છે મને થયેલો એક જુદો જ અનુભવ .. ગમતાંનો કરીએ ને ગુલાલ ..?

છઠ્ઠી ઓક્ટોબર ૨૦૧૦ આસપાસની વાત છે. એક કૉન્ફરન્સ માટે અમે સ્ટુટગાર્ટ, જર્મની ગ્યાં’તાં .. એકદમ સાચાં, જ્યાંથી અમે બ્લૅક ફૉરેસ્ટ ફરવા ગ્યાં’તાં, ને જેની હજી આપણે ગયે વખતે જ વાત ક રી.. સારું યાદ છે હો તમને .. બસ, એના પહેલાંની જ વાત છે આ. એ વખતે અમારી પાસે અઢી દિવસ હતા, જેમાંથી બે પૂરે-પૂરા એ કૉન્ફરન્સ ખાતે રહ્યા’તાં. બચેલા અડધા દિવસમાં જ અમારે સ્ટુટગાર્ટને સમજી લેવાનું હતું. વધારે પડતો ઓછો સમય હતો, ખરી વાત છે તમારી. કામ કપરું હતું, પણ યુરોપના ટૂંકાગાળાના અનુભવથી એટલું અંદાજી શક્યાં હતાં કે કાંઈ નહિ તો એ શહેરના central square – મધ્ય ને મુખ્ય ચોક પર તો જવું જ .. ત્યાં પહોંચતાં એવું લાગ્યું કે ખરેખર, આ જ શહેરનો આત્મા હોઈ શકે .. ખૂબ જ સુંદર અને ભવ્ય સ્થાપત્યવાળા જૂના અને નવા કિલ્લા, ભીનાછમ્મ ફુંવારા અને લીલાછમ્મ બગીચા ..

ફરતાં-ફરતાં અચાનક જ અમારું ધ્યાન ઠેક્ઠેકાણે લાગેલાં પીળાં પોસ્ટર્સ પર અટક્યું, જેમાં લખ્યું’તું Stuttgart- 21, અને એના પર મારેલી હતી આડી લીટી .. કુતૂહલ સંતોષવા અમે જાણ્યું તો સંદર્ભ કાંઈક આવો હતો : દક્ષિણ જર્મનીનું ઔઘોગિક મહાનગર – સ્ટુટગાર્ટ, જે Mercedesની જન્મભૂમિ તરીકે વિશ્વ વિખ્યાત છે, એ શહેરની એકવીસમી સદી કેવી હશે?! સ્ટુટગાર્ટ – ૨૧ એ એક પગલું હતું એના વિકાસ તરફનું … લગભગ ૨૦૦૬નાં વર્ષથી ચાલતી મંત્રણાઓને ૨૦૦૯માં સરકારી સંમતિ પ્રાપ્ત થઈ .. એ પ્રોજેક્ટના મુખ્ય બે ઉદ્દેશ હતા; પહેલો – high speed railway અને બીજો urban development. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટુટગાર્ટને યુરોપનું નવું હાર્દ બનાવવા માટેનો હતો, જેનું કામ ફેબ્રુઆરી ૨૦૧૦થી શરૂ પણ થઈ ગ્યું’તું.. પણ ત્યાં તો હજારોની સંખ્યામાં, બધે જ બનતું હોય છે તેમ, વિરોધીઓ ઊભા થઇ ગ્યા’ .. વિરોધનાં મુખ્ય કારણોમાં પહેલું હતું એ માટેનો ખર્ચ કે જે લોકોને કહેવામાં આવ્યા કરતાં અનેકગણો વધી જતો હતો. અને એ ફરક પણ કાંઈ નાનોસૂનો નહીં, અબજોમાં હતો .. લોકોને લાગ્યું કે એ કરતાં તો આ રકમ શિક્ષણ, સારવાર કે નોકરીઓની તક પૂરી પાડવામાં વાપરવી જરૂરી હતી. બીજું કારણ હતું આ પ્રોજેક્ટને કારણે થતા વિનાશનું; કુદરતના અને સ્થાપત્યના .. નવા અન્ડરગ્રાઉન્ડ રેલવે-ટ્રેક્સ બનાવવા માટે લગભગ ૧૭ જેટલી ઐતિહાસિક ઇમારતો, જેમાં જૂનું રેલવે સ્ટેશન પણ આવી જાય, એ તોડવાની હતી, અને મુખ્ય ચોક પાસે આવેલા એક ભવ્ય બગીચાનાં લગભગ ૩૦૦ જેટલાં વૃક્ષો, જેની ઉંમર આશરે ૨૦૦ વર્ષ હતી, એ કાપવાનાં હતાં …! વાજબી લાગ્યો ને તમને પણ વિરોધ હવે ..?

જો કે અત્યારે મારો આશય સાચાં-ખોટાં કે સારાં-ખરાબનો નિર્ણય કરવાનો નહીં, પણ કાંઈ વધુ રસપ્રદ વાત કરવાનો છે, ને એ છે ત્યાં જોયેલા એ નવતર વિરોધ(!!)ને તમારી સમક્ષ મુકવાનો. નવતર એટલા માટે કે એવું બધે બનતું હોતું નથી, અને આપણે ત્યાં તો નહીં જ .. મારા ધ્યાનમાં તો ત્યાં સુધી નહોતું જ આવ્યું .. આ વિરોધની વાત વિગતે કરવા માટે મારે પહેલાં ત્યાંના બગીચે પહોંચવું પડે એમ છે.

.. તો ચાલતાં-ચાલતાં અમે પહોંચ્યાં એ દિવસે સ્ટુટગાર્ટના મુખ્ય બગીચામાં, અને શું જોયું ત્યાં ..? તો કે' ચારેબાજુ ઢગલાબંધ માણસો, આમ તો, કુટુંબો કેમ કે એમાં સાવ નાનાં બાળકોથી માંડીને વડીલો, બધાં જ હતાં .. ને ફેલાયેલાં હતાં ત્યાં જાણે કે ઘર માંડીને, નાની એવી દુનિયા રચીને .. તંબૂઓ બંધાયેલા હતા .. ક્યાંક રસોઈ ચાલતી હતી, તો ક્યાંક કોઈક ખુરશી ઢાળી, પગ લંબાવી વાંચતું હતું .. છોકરાંઓ રમતાં હતાં .. ખાણી-પીણીના સ્ટોલ્સ પણ હતા .. મને તો ભુજનો આનંદ મેળો યાદ આવી ગ્યો’ .. આમ જોઈએ તો બધું સામાન્ય રીતે ચાલતું હતું .. હા, દરેક વ્યક્તિએ, કોઈએ હાથમાં, કોઈએ પગમાં તો કોઈએ વળી માથાં પર પેલા stuttgart -21ના વિરોધનાં સ્ટીકર્સ લગાડેલાં હતાં .. પોતે કેવાં દેખાય છે, એની કોઈ પરવાય નહોતાં કરતાં, બોલો ..

અરે, પણ એ શું હતું સામે?  નાનાં-નાનાં ઘર બનેલાં હતાં થોડે આગળ વૃક્ષો પર અને એમાં ય કુટુંબો વસેલાં હતાં ..! બોર્ડ મારેલા હતાં – Robin wood (!!!) કોઈ Activist group હતું, જેણે Robin Hoodને વૃક્ષો બચાવવા માટે મદદે લીધેલો હોય એવું લાગ્યું ..! ‘.. અને ત્યાં નીચે ..' વૃક્ષ ફરતે નાના-મોટા ઢીંગલા ને અલગ અલગ પ્રાણીઓનાં રમકડાં બાંધેલાં હતાં .. કોઈ કોઈ તો રમકડાંના મોટા વાઘને લઈને ઊભું હતું. ‘Save trees, save animals, save life and nature' વ્યક્ત થવાનો આનાથી વધુ બોલકો પ્રયાસ હોઈ શકે, જુઓ તો ..?!

છેલ્લે તો હદ થઈ ગઈ, એક જગ્યાએ નાનું કબ્રસ્તાન હતું, હા બનાવેલું જ, જ્યા કબરો હતી પ્રેમ, લાગણી, દયા, કરુણા અને સમજની .. અને ઠેર ઠેર પ્રગટાવી’તી મીણબત્તીઓ ..!  ટોચ હતી આ લોકોના અણગમાની કેમ કે, ત્યાં અમુક વૃક્ષોને તોડી પડાયાં હતાં .. આ કબ્રસ્તાન ચાડી ખાતું’તું લોકોના આક્રોશની, એ ક્રૂરતાના વિરોધની .. આ વૃક્ષો કાપનારાઓએ દેખાડી દીધુ’તું કે, એ લોકોમાં રહેલી માનવતા, પ્રેમ, અને લાગણી મરી પરવાર્યાં’તાં .. શાંતિ હતી ત્યાં ચોમેર, પણ કેટલી વાચાળ …!

ફરી-ફરીને ત્યારે મનમાં એક શંકા ઘૂંટાયા કરી કે, NGOsનું તો આ પ્રકારનું કામ જ હોય, પણ આ બાકીના લોકો આમાં કેમ જોડાયા હશે ? મંદીના સમયમાં એમને કદાચ કાંઈ કામ-ધંધો નહીં હોય અને ઘરબારનું પણ ખાસ ઠેકાણું ન હોય એવું ય બને, એટલે આમાં સમય પસાર થઇ જાય ને સાથે કદાચ થોડી કમાણી પણ .. માફ કરજો, પણ જે વધુ જોયું હોય એ જ મનમાં રહ્યું હોય ને .. મેં અમારા જર્મન મિત્ર પાસે સહજતાપૂર્વક અને પ્રમાણિકપણે મારી આ શંકા વ્યક્ત કરી દીધી. પછી  એણે જે વાત કરી એ આપણા માટે વધુ એક નવાઈ ઠરે એવી કે એમાંના દરેક લોક ભણેલ ગણેલ ને પોતાનાં ક્ષેત્રમાં આગળ વધેલા હતા .. કોઈ ડોક્ટર, એન્જીનીઅર તો કોઈ સંગીતકાર કે ચિત્રકાર હતા .. ને પોતાનાં કામને યોગ્ય ન્યાય આપીને પછીના સમયમાં ને ક્યારેક રજા મૂકીને આમાં જોડાયા’તા ..! સાચું કહું તો એ સમયે મને સંકોચ થયો .. આપણે, કહેવાતા શિક્ષિતો 'આવી બધી' બાબતોથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ, એ કેટલે અંશે યોગ્ય છે ?

ખેર .. હવે સમય હતો સ્ટુટગાર્ટ છોડવાનો .. પણ વિચારો થોડા છોડે ..! સર્જનશીલતાને મોટેભાગે આપણે કળાનાં ક્ષેત્ર સાથે જોડી દીધી છે .. પણ Innovation ખાલી મેનેજમેન્ટમાં જ હોય એવું થોડું છે? આ બધું જોઈને મને તો લાગ્યું કે સર્જનશીલતા તો જીવન પ્રત્યેનો આપણો એક અભિગમ છે, જે આપણાં વિચાર, વાણી ને વર્તનમાં ડોકાયા વિના ન રહે … બાકી શું વિરોધ આટલો સર્જનાત્મક હોઈ શકે ખરો ..?

~~~~~~~~~~~

e.mail : jelamhardik@gmail.com

Loading

જે કોઈ વ્યાખ્યામાં બંધાતી નથી તે મા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

મધર્સ ડે આવે છે એટલે સોશિયલ મીડિયામાં માતા વિષે સંકીર્તન ચાલુ થઈ જાય છે. મા જન્મજાત મૂરખ હોય તેમ બધાં જ તેને વતાવવા, વટાવવા નીકળી પડે છે. માનો એટલો મહિમા થાય છે કે મા વગર ઘડી પણ ચાલતું ન હોય તેમ તેનાં અછોવાનાં થાય છે. એમાં કેટલુંક સાચું પણ હશે જ, પણ મોટે ભાગે તો દેખાડો જ ચાલે છે. આવું કરવાનું કોઈ કહેતું નથી, કમ સે કમ મા તો નથી જ કહેતી, તો ય હરખપદુડાઓ અને મા ઘેલાંઓ માતૃવંદનાનું નાટક કરી લે છે. આવું દર વર્ષે ચાલે છે, પણ દરરોજ ચાલતું નથી. એ ચાલે છે મધર્સ ડે પૂરતું જ ! એ દિવસે વગર દીવાની જાણે આરતી જ થાય છે ને માને નકલી અજવાસથી આંજી નાખવાની કોશિશો થાય છે. મા એક જ દિવસ પૂરતી યાદ આવે છે ને બીજી જ સવારે ભુલાઈ જાય છે, કારણ બીજે દિવસે બીજો ‘ડે’ બારણું ઠોકતો આવી ચડે છે. તો, એની આરતી ઉતારવાની કે માનું જ ગાણું ગાયા કરવાનું? માને જ લઈને બેસી રહીએ તો ફાધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ચિલ્ડ્રન્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, ટાઈગર્સ ડે, ઘાસલેટ ડે, દિવાસળી ડેને કોણ ઉજવશે? એ દિવસોને નોધારા તો ન જ છોડાય ને ! મા તો મેનેજ કરી લેશે, ને એકાદ દિવસ તો વખાણી પણ ખરી, પછી બીજા દિવસોને ન ઉજવીએ તો એને ખોટું ન લાગે? આ બધા દિવસો વગર તો જીવાય જ કેમ?

ટૂંકમાં, મા વિષે જે ઠલવાય છે, તેમાંનું મોટે ભાગનું નકલી હોય છે, બીજાએ ફોરવર્ડ કરેલું હોય છે, એમાં  પોતાનું બહુ જ ઓછું હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનું તૂત ઊભું થયું છે, માની વેચાણ કિંમત વધી ગઈ છે. મા બહુ ઉપડે છે બજારમાં. એનો ભાવ બોલનારા, બોલાવનારા બહારના નથી. આખી નકલી સંસ્કૃતિ કામ ચલાઉ ધોરણે બધું મિકેનિકલી ઉજવ્યા કરે છે. એને એમ જ છે કે સમાજ સેવા ચાલી રહી છે, પણ ખરેખર તો નકલ સિવાય ભાગ્યે જ કૈં થાય છે. કમ સે કમ માને મામલે તો નકલ ન થવી જોઈએ, કારણ મા નકલી નથી હોતી ને નકલી રીતે સંતાનો સાથે નથી વર્તતી. 

મા વિષે એવું કહેવાયા કરે છે કે તેની બીજી જોડ નથી, તે જગત પર શાસન કરે છે, તેનાં વગર સંસાર સૂનો છે … વગેરે વગેરે. એમાં તથ્ય નથી એવું નથી, પણ એવું મનાય છે ઓછું. હવે વાત જુદી છે. માબાપને ગરજ હતી એટલે તેમણે સંતાનને જન્મ આપ્યો, બાપને ઘડપણમાં ટેકો મળી રહે એટલે તેણે સંતાનોને પેદાં કર્યાં, બાકી તેમણે જન્મ આપીને સંતાનો પર કોઈ ઉપકાર નથી કર્યો, બલકે, એમ પેદા કરીને માબાપે પોતાનો સ્વાર્થ સાધ્યો છે. ટૂંકમાં, ઘડપણમાં ટેકો કરે એટલે માબાપો સંતાનો પેદાં કરે છે. સંતાનો તો ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે … જેવી ઘણી વાતો ચર્ચાતી રહે છે ને તથ્ય એમાં પણ છે, ઘણાં માબાપો માટે, સંતાનો સપનાં પૂરાં કરવાનાં સાધનો જ છે. સંતાનોને પોતાની ઈચ્છા ને ગણતરી પ્રમાણે ઉછેરાય છે ને વેતરાય છે. સંતાનોએ માબાપની બહાર કશું જોવાનું જ નથી. તે માબાપને માટે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. એવાં સંતાનોમાં ને રોબોટ્સમાં ઝાઝો ફરક નથી. એવાં સંતાનો માબાપથી દબાઈ-ચંપાઈને જીવે છે, એમ એમની ખુશી, એમનાં સપનાં વગેરેની માબાપોને પરવા જ નથી હોતી. મોટે ભાગે આ સ્થિતિ સમાજમાં જોવા મળે છે, તો એવાં સંતાનો પણ છે જે માબાપનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને આગળ નીકળી જાય છે. તેમને પૈસે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. જેવો હેતુ સરે છે કે તે માબાપની સાથે નથી રહેતાં, માબાપ તેમની સાથે રહે છે. ક્યારેક તો સંતાનો માબાપથી અલગ થઈ જાય છે અથવા તો માબાપને જ અલગ કરી દે છે. એવું પણ થયું છે કે માબાપની મિલકત લખાવી લઈને માબાપને તગેડી મુકાયાં હોય. હવે એવા સંતાનો મધર્સ ડે કે ફાધર્સ ડેને નામે માબાપની આરતી ઉતારે તો તેમના પર  ભરોસો કેમ બેસે?

આ આજના સમયની જ વાત છે, એવું નથી. દરેક સમયમાં આવું થયું છે, થાય છે, સંતાનો માબાપની પૂરતી કાળજી લઈને માબાપનું ઋણ ઉતારે છે, તો સંતાનો માબાપને હડધૂત પણ કરે જ છે, ગમે એટલી ભયંકર જ કેમ ન હોય કે દીકરાનું ખૂન કરી નાખનારી મા જ કેમ ન હોય, પણ એ અપવાદોમાં છે, બાકી, માને સંતાનથી વધારે બીજું કૈં જ વહાલું નથી હોતું એ નક્કી છે. સંતાનો માટે જીવ આપી દેતી કે જીવ લઈ લેતી મા શોધવા દૂર જવું પડે એમ નથી. સ્ત્રી, જેવું માતૃત્વ ધારણ કરે છે, એ જ ક્ષણથી તે સૌમ્ય થવા લાગે છે. બાળક માટે મમત્વ જાગે છે ને એ પછી મમતાની મૂર્તિ બની ઊઠે છે. આવનાર સંતાનની સુરક્ષા માટે તે તેની આખી દિનચર્યા બદલી નાખે છે. તેનું ખાવાપીવાનું, ઊઠવા બેસવાનું, હરવા ફરવાનું, બધું બદલાઈ જાય છે. આખું શિડ્યુઅલ એ રીતે ગોઠવાય છે કે બાળકને ઊની આંચ ન આવે. બાળકનાં જન્મ પછી પણ માનું સમગ્ર વિશ્વ તે બાળકની ફરતે જ ગોઠવાઈ જાય છે. બાળકના ઉછેર વખતે એવો વિચાર કોઈ મા નથી કરતી કે જીવ રેડીને ઉછેરેલું બાળક તેનું કેટલું થશે કે બદલામાં તે શું આપશે? ના, એવું અપવાદરૂપે પણ મા નથી વિચારતી. એમાં ક્યાં ય દેખાડો નથી. એ કેવળ શુદ્ધ, નિર્વ્યાજ લાગણીનું જ રૂપ બની રહે છે. તે બાળક પર અધિકાર જમાવતી દેખાય છે, પણ ભીતરે તો તે કેવળ વાત્સલ્યનું રૂપ જ બની રહે છે. 

એ રીતે ઉછરેલું સંતાન મધર્સ ડેને નામે બહુ હેત વરસાવવાનું નાટક કરે કે ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટાબોટા મૂકીને, આની તેની ઉધારની પંક્તિઓ ફટકારીને માતાની ભક્તિ પ્રગટ કરે ને દુનિયા અંજાઈને લાઇક્સ મોકલે કે કોમેન્ટ્સ પાસ કરે તેનાથી મધર્સ ડે ભલે ઉજવાતો હોય, પણ દીકરો અંદરથી લજવાતો હોય તો નવાઈ નહીં, કારણ તે અંદરથી તો જાણતો જ હોય છે કે તે માને રડાવીને ‘સ્માઇલી’ મૂકી રહ્યો છે. કોણ જાણે કેમ પણ આપણને બધું જાહેર કરી દેવાનો જ ઉમળકો વધુ હોય છે, પણ કેટલીક લાગણીઓ અંગત જ હોય છે ને તે અનુભવવાની જ હોય છે, તે બોલકી નથી હોતી, તે સંતાનોએ સમજવાનું રહે. એનો એકડો નથી જ પડતો. કોઈ પણ જાતની જાહેરાત કે દેખાડા વગર સંતાન મા તરફ આછેરાં સ્મિત સાથે સાચું જુએ ને તો મા તેને વહાલથી વળગાડી લે એમ બને ને એ જ ક્ષણ મધર્સ ડે બની રહે, એવું નહીં? સંતાનની આંખમાં એ વાતે ઝળઝળિયાં આવે કે પોતે મા માટે કૈં ન કરી શક્યો એ ભાવ જ માતા માટે ઉપહાર બની રહે છે, તો સાધારણ મા, દીકરીને એક સારો ડ્રેસ નથી અપાવી શકતી એ વાતે રાતના અંધારમાં ઓશીકું ભીનું કરતી રહે ને બાજુમાં સૂતેલી દીકરીને એ ખબર પડતાં માને આખેઆખી ઓઢી લે એ ક્ષણ કોઈ પણ આનંદ કે ઐશ્વર્યને શરમાવે એમાં શંકા નથી.

સંતાનો માની ઉપેક્ષા સંદર્ભે એવો બચાવ કરતા હોય છે કે કાળઝાળ મોંઘવારીમાં પોતાનું કુટુંબ જ ન પોષાતું હોય ત્યાં માતા મફતમાં મળતી હોય તો ય મોંઘી પડે એમ બને. એવી સ્થિતિમાં દેખીતું છે કે મા ઉપેક્ષિત જ બની રહે. એવાં સંતાનોને મા પરવડતી નથી. એ તો મા જ મૂરખ છે કે એને કોઈ સંતાન મોંઘું પડતું નથી, નહીં તો બાળકને છાતીએ વળગાડતાં પહેલાં છોકરાને તે દૂધનું બિલ નથી ધરતી કે કહેતી નથી કે પહેલાં બિલ ચૂકવ, પછી દૂધ પી ! આવું કોઈ મા નથી કરતી એ કેવું મોટું વરદાન છે ! એટલીસ્ટ, ગમે તેવી જ ક્રૂર કેમ ન હોય, પણ કોઈ માએ આજ સુધી સંતાન પાસેથી દૂધની કિંમત નથી વસૂલી. 

મા ગમે એવી જ મોડર્ન કેમ ન હોય, તે સંતાનની અહર્નિશ ચિંતા કરતી રહે છે. દીકરાને કે દીકરીને મોડું થાય છે તો મા કેવળ પ્રતીક્ષા જ બની રહે છે. એટલે જ એક વિદેશી કવિ મિરોસ્લાવ હોલુબે માની અમર વ્યાખ્યા આમ આપી છે, ‘જે રાહ જુએ છે તે મા હોય છે …’ 

મા કૈં ન કરતી હોય ત્યારે પણ તે સંતાનોની રાહ તો જોતી જ હોય છે … મા એટલે જ પ્રતીક્ષા, એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4021,4031,4041,405...1,4101,4201,430...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved