Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીયોને ધર્મથી રિઝવી શકાય છેની માન્યતા વૈશ્વિક બની રહી છે, ત્યારે મંદિર-મસ્જિદના વિવાદો કેટલા વાજબી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 May 2022

ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય, એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

હું નાની હતી ત્યારે મારી માને મેં ઘણીવાર એમ કહેતાં સાંભળી હતી કે, ‘મિયાંને મહાદેવ હંમેશાં સાથેને સાથે હોય’, થોડી મોટી થઇ પછી મેં એની એ કહેવત કહો તો કહેવત અને વાક્ય પ્રયોગ કહો તો એમ- તેની ખરાઇ કરવાનું શરૂ કર્યું. નવ્વાણું ટકા કેસિઝમાં એમ થતું કે દરગાહની બાજુમાં શિવની દેરી હોય અથવા તો મંદિરના પરિસરની સાવ નજીક અને ક્યારેક તો અંદર જ દરગાહ હોય, મોટા મસ્જિદની આસપાસ નાની દેરી હોય, વગેરે. મિંયા અને મહાદેવને એકબીજા સાથે ફાવે જ છે પણ એવા લોકો છે જેમને આ બેયને ગોઠે છે એ માફક નથી આવતું. બનારસની જ્ઞાનવાપી મસ્જિદ આજકાલ ચર્ચામાં છે.

ચિંતાની વાત એ છે કે બાબરી ધ્વંસના ત્રણ દાયકા પછી બીજી એક મસ્જિદનું નામ વંટોળે ચઢ્યું છે. આ મુદ્દાની વાત કરવી તો જરૂરી છે જ પણ પેલું કહેવાયું છે ને કે, “બાત નિકલેગી તો દૂર તલક જાયેગી…” આપણે દૂરથી જ વાત શરૂ કરીએ. ઑસ્ટ્રેલિયાની ચૂંટણી ઢૂંકડી છે, આ વંચાતુ હશે ત્યારે મતદાન પૂરું થઇ ગયું હશે. પ્રચારના ભાગરૂપે ત્યાંના બે મોટા પક્ષ લેબર અને લિબ્રલ – બન્નેએ હિંદુઓ અને શીખોને ઢગલો વચન આપ્યા છે. વચન આપવું રાજકારણીઓનું કામ છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના વર્તમાન વડા પ્રધાન સ્કોટ મોરિસને ચૂંટણી પહેલાના અઠવાડિયાનો વીકેન્ડ હિંદુ અને શીખ કોમ્યુનિટીઝ સાથે મનાવ્યો, તે મંદિરમાં ગયા, ગુરુદ્વારમાં પણ ગયા. ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા મોટી છે. વળી તામીલ સમુદાયના લોકને લેબર પાર્ટીના ઉમેદવાર મળ્યા તે પણ તેમના ધાર્મિક સ્થળના પરિસરમાં. વાત ઑસ્ટ્રેલિયાની છે છતાં ય મુદ્દો એ છે કે ધાર્મિક સ્થળોએ પ્રચારના મેળાવડા થયા. સમયાંતરે અનેક રાષ્ટ્રોમાં રાજકારણમાં ધાર્મિક પ્રભાવ વધી રહ્યો છે. આવું પહેલાં નહીં જ થતું હોય એવું માનવાનું કારણ નથી પણ આવું વધી રહ્યું છે, એ રાષ્ટ્રોમાં પણ જ્યાં પહેલાં આવી પહેલ નહિવત્ હતી ત્યાં હવે આ પ્રકારે ધર્મની લાકડીનો ટેકો લેવાનું રાજકારણીઓ ચૂકતા નથી, એમાં ય વિદેશમાં વસતા ભારતીયોની વાત કરીએ ત્યારે તો ખાસ. ભારતીયોની ઓળખ ધર્મની સાથે જોડાઇ રહી છે. ભારતીય છે તો ચાલો, ધર્મનો ઉપયોગ કરી એવી માનસિકતા આપણને વૈશ્વિક સ્તરના નેતૃત્વમાં પણ દેખાઇ રહી છે – જે અયોગ્ય છે.

ઇતિહાસમાં અનેકવાર ધર્મને લઇને યુદ્ધો પણ થયા છે પણ આધુનિક ઇતિહાસની વાત કરીએ તો રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ સમયાંતરે સાહજિક બન્યો છે. આ માટેનું સૌથી મોટું ઉદાહરણ ઘર આંગણે છે – ના, મંદિર મસ્જિદની વાત નથી થઇ રહી – એ તો જૂનું કાર્ડ છે. પરંતુ વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રી વધારવા માટે ભારતે પણ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર કરવામાં પાછું વળીને નથી જોયું. ચીન પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે જેથી વૈશ્વિક સ્તરે અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં ધર્મના દૃષ્ટિકોણથી ફેર લાવી શકાય. યુ.એસ.એ. પણ વિશ્વ આખામાં ધાર્મિક સમુદાયો સાથે જોડાવામાં પાછો નથી પડતો. મોંગલિયન સંસદમાં વડા પ્રધાને એશિયા અને વિશ્વના રાજકીય પડકારોને પાર પાડવામાં બૌદ્ધ ધર્મની આગવી અગત્યતા છે. વૈશ્વિકરણના સમયમાં ધર્મ પ્રત્યેના પ્રતિભાવ, પ્રતિક્રિયાઓ અગત્યના બન્યાં છે. આધુનિકીકરણની વાતો થાય, સમય-સંજોગો-માધ્યમો બદલાય છતાં ય અંતે રાજનીતિને મામલે આપણે ધર્મ તરફ પાછા વળીએ છીએ. ધર્મથી દુનિયા ચાલતી હોત તો પરમ શાંતિ હોત પણ ફિલોસોફીથી રાજ્ય કેવી રીતે ચાલે. અહીં તો રાજકારણ માટે, સત્તા માટે ધર્મનો ઉપયોગ થાય છે. રાજકારણ તર્ક અને અનુભવને આધારે મળેલાં મૂલ્યો પર નિયત થવું જોઇએ, થતું આવ્યું છે – આ મૂલ્યો અને તર્કની ખરાઇ થઇ શકે. ધર્મની કે આસ્થાની ખરાઇ કેવી રીતે થઇ શકે? ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

જ્ઞાનવાપી મસ્જિદ પછી મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ કેસ શરૂ થયો. આર્કિયોલૉજિકલ સરવેના એક અધિકારી એવા પણ નિકળ્યા જેમણે દાવો કર્યો કે કુતુબ મિનાર રાજા વિક્રમાદિત્યએ સૂર્યનો અભ્યાસ કરવા માટે બંધાવ્યો હતો. ઇતિહાસ, આસ્થા અને કાયદાનું સંતુલન કરવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં કર્યો, જ્યારે બાબરી મસ્જિદ કેસની વાત થઇ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે મુસલમાનોને 450 વર્ષ જૂની તેમની મસ્જિદથી દૂર રખાયા તે ખોટું થયું અને ધ્વંસની પણ ટીકા કરી પણ પછી એમ કહ્યું કે હિંદુઓનો આ જમીન પર માલિકી દાવો બહેતર છે. વળી સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ છે એટલે હિંદુઓની આસ્થાને ગણતરીમાં લેવી પડે તો જ શાંતિ અને સ્થિરતા સ્થપાશે એવી દલીલને પણ ગણતરીમાં લીધી. વળી સુપ્રીમ કોર્ટે ત્યારે એમ પણ કહ્યું કે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ ૧૯૯૧’ અનુસાર અયોધ્યા બાબરી મસ્જિદ સિવાય દેશની કોઇપણ અન્ય ધાર્મિક સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં કોઇ પરિવર્તન નહીં કરાય. આઝાદીના દિવસ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે એ ધાર્મિક સ્થળ જે રૂપમાં હતું, તે યથાવત્ રહેશે. આ એક્ટ આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યના પાસાને મજબૂત કરે તેવો છે. જ્ઞાનવાપી વિવાદને કારણે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ’ ફરી ચર્ચામાં છે, પણ બાબરી વિવાદની માફક આ વિવાદ પણ કાયદા કે ઇતિહાસનો છે જ નહીં – આ વિવાદ આધુનિક રાજકારણની સ્વાર્થી જરૂરિયાતનો છે. હિંદુત્વની જ્વાળા(હિંદુ્ ધર્મ નહીં વાદની વાદ થાય છે)ને ભડકાવવા માટે ફરિયાદનું ઇંધણ વપરાયા કરે છે. મુસલમાનોનું રાજકીય બળ ઘટ્યું છે એટલે તેમના તુષ્ટિકરણની કોઇ મહત્તા નથી. આ વાત વૈશ્વિક સ્તરે પણ લાગુ પડે છે કારણ કે ઇસ્લામોફોબિયા અને આતંકવાદ વૈશ્વિકરણની દેન છે.

ભારતમાં હિંદુવાદની લાગણીઓને પ્રાધાન્યતા અપાય છે અને માટે જ હિજાબ, લવ જેહાદ, ગૌહત્યા જેવા મુદ્દાઓના ભડકા થયા કરે તેની તકેદારી રખાય છે. શાસક પક્ષ માટે ઇતિહાસ પરનો આધાર જાણે તેમની સત્તાની હોડીનું સૌથી મજબૂત હલેસું છે. સત્તામાં હોવાને કારણે કાયદાના કારણે લોકચર્ચા કરાવવી તેમને માટે આસાન પણ છે. ભા.જ.પા. માટે પણ આ ધાર્મિક રાજનીતિ બે ધારી તલવાર છે કારણકે પોતે હિંદુત્વનું બળ છે એ ઓળખ પણ જાળવવાની છે અને રાજકીય તંત્રમાં મજબૂત પક્ષ હોવાની જવાબદારી પણ નિભાવવાની છે. તેઓ કશું પણ દેખીતી રીતે ન કરી શકે અને માટે જ ધર્મનો ઝંડો લઇ નીકળી પડનારા પ્રતિનિધિઓ તેમને માફક આવે છે. આ ભક્તો જે હિંદુવાદ કરીને ધર્મ જાળવવા નીકળ્યા છે તેમના ઘોંઘાટને કારણે રાજકીય સંસ્થાઓ આ બધાથી દૂર છે એવો ભ્રમ પણ સચવાયેલો રહે છે.

પશ્ચિમના ઇતિહાસમાં પણ ચર્ચ અને રાજકારણ વચ્ચેની ખેંચતાણ, ચર્ચાનું રાજકારણ પર જોર થતું જ આવ્યું છે. ઇતિહાસ પરથી શીખીને ભાવિ ઘડવાનું હોય, તેની ફરિયાદો લઇ નવા પ્રશ્નો ખડા કરવામાં કંઇ સાર નથી. પ્રશ્ન છે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આપણે મંદિર – મસ્જિદની લડાઇમાંથી ઊંચા નથી આવતા.

બાય ધી વેઃ

તમે માનશો કે મોટા ભાગના મસ્જિદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલા છે? આનું સીધું કારણ એ કે તે બાંધનારા હિંદુ કારીગર હતા. આની પર એક રિસર્ચ પણ થયો છે પણ તે રિપોર્ટ બનાવનાર હવે ભારતમાં નથી. સુલતાનો કે મુગલો (મુસલમાનો) પ્રત્યે આટલો રોષ બતાડવાનો કોઇ તર્ક નથી – તેઓ ભારતને પોતાનું ઘર બનાવવા આવ્યા હતા, અંગ્રેજોની માફક માત્ર સામ્રાજ્ય બનાવવા નહોતા આવ્યા. મંદિરો લૂંટાયા કારણકે તેમાં ધન હતું – અહીં ધર્મની વાત કરી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ. આપણી જમીન પર જે છે તે આપણો વારસો છે, બિનસાંપ્રદાયિક દેશમાં આ હોબાળા વરવાં લાગે.  ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશ માટે ધર્મ અને રાજકારણને ભેગા કરવા જોખમી બાબત છે, પછી તે દેશના આંતરિક મુદ્દાઓ માટે હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય. ભારત જ નહીં પણ બીજા રાષ્ટ્રોએ પણ સમજવું રહ્યું કે ઐતિહાસિક રોદણાં – ફરિયાદો અને બહુમતી સંવેદના જે તરફ હોય તેના થકી જ ન્યાય બંધાયેલો નથી. બાબરી વિવાદના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું કે ગમે તેટલા પૌરાણીક શાસકો પ્રત્યે કોઇ વ્યક્તિને વિરોધ નોંધાવીને પગલાં લેવાં હોય એમાં કાયદાને કંઇ લેવા દેવા નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  22 મે 2022

Loading

મન્તવ્ય-જ્યોત—7

સુમન શાહ|Opinion - Opinion|22 May 2022

જ્યોત ૭ : ઊર્મિકેન્દ્રી સાહિત્ય ('ઊર્મિશીલ' પણ કહી શકાય) :

ઊર્મિકેન્દ્રી સાહિત્યનો – લિરિકલ લિટરેચરનો – પાયાનો સમ્બન્ધ લિરિક સાથે છે. લિરિક મૂળે તો ગાવા માટે હતું; સંગીત સાથે એનો અવિનાભાવી સમ્બન્ધ હતો. ‘લાયર’ (lyre) નામના તન્તુવાદ્ય સાથે ગવાતું હતું એટલે ‘લિરિક’ કહેવાયું.

કવિજન પાસે ઊર્મિને વિશેની સમજ ન હોય, ગતાગમ ન હોય, તો કાવ્યો નહીં પણ અકાવ્યો સરજાય છે.

લિરિક પોએમ – ઊર્મિકાવ્ય – સામાન્યપણે નાનું હોય, લઘુ કદનું. પદ, ભજન, ગીત, ગઝલ કે સૉનેટ ઊર્મિકાવ્યના પ્રકારો છે. કહેવાની જરૂર નથી કે એ ગાવા માટે છે. ભારતમાં ૧૫-મું શતક ભક્તિયુગ હતો. તે દરમ્યાન પદો, ભજનો અને ઈશ્વરની લીલાનાં સ્તુતિગાન ખૂબ રચાયાં ને ખૂબ ગવાયાં.

સનમ, સાકી અને સૂરા સાથે જિવાતી ઘટનાના કેન્દ્રમાં ગઝલ હતી. ૭મી સદીમાં અરેબિક કાવ્યસષ્ટિમાં ગઝલ જન્મી હતી. એનાં ગાયન થતાં. હકીકતે ગઝલ જાતીય પ્રેમ – સૅક્સ્યુઅલ લવ – સાથે જોડાયેલી, એટલે કે, ‘ઍમેટરી’ પોએમ હતી. ‘ગઝલ’ શબ્દનો અર્થ જ થાય છે, કુંવારી છોકરીઓ જોડે પ્રેમ અને સંવનનની વાતો.

ગઝલમાં, મિલનનો નશો ગવાતો હતો, તો વળી, વિરહનું દર્દ અને પ્રેમીને દર્દમાં ય મળતું એક જુદા જ પ્રકારનું સુખ પણ ગવાતું હતું. એ પછી ગઝલમાં, સૂફીઓએ ગાયેલો આશિકમાશુકનો પ્રેમલક્ષણાભક્તિભાવ ભળ્યો. આપણે ત્યાં મરીઝ આદિ પછી ગઝલનો ચ્હૅરો નગરજીવન ભણીનો થઈ ગયો ને એમાં આધુનિકતાવાદી સંવેદનોએ જગ્યા બનાવી. આજકાલ લખાતી ગુજરાતી ગઝલમાં એવો નર્યો પ્રેમ કે એવી ખરી ભક્તિ તો ક્યાંથી હોય? એ માત્ર પાંચ શેઅરની સુવાચ્ય રચના બનીને રહી ગઈ છે.

૧૩મી સદીમાં પ્રભવેલા સૉનેટની મુખ્ય ધારા પણ પ્રેમકાવ્યોની ધારા હતી. એ ‘સિસિલિયન’ સમ્પ્રદાયના દરબારી કવિઓની સરજત હતી. સૉનેટ પણ ગાયનનો વિષય હતું છતાં દરેક સૉનેટનો પાઠ પણ થતો હતો. એ પછી ૧૪મી સદીમાં પેટ્રાર્ક આવ્યા. એમની કાવ્યસૃષ્ટિમાં, કહે છે કે ૩૭૦ સૉનેટ છે, અને તે બધાં એમણે એમની પ્રિયા લૉરાને સમ્બોધીને રચ્યાં છે. પણ કાળક્રમે, કદાચ શેક્સપીયરનાં ૧૧૪ સૉનેટને કારણે કે પ્રભાવે, સૉનેટમાં ચિન્તન ભળ્યું; જો કે ચિન્તનને લીધે પ્રેમતત્ત્વ ગાયબ થઈ ગયું, સાથોસાથ, ગાયન પણ ગૂમ થઈ ગયું.

આપણે ત્યાં ચિન્તનોર્મિ સૉનેટ્સ લખાયાં તે સારી વાત પણ કોઈ કોઈ સૉનેટરચના એ જ કારણે ઘણી બધી ક્લિષ્ટ અનુભવાય છે. પ્રેમતત્ત્વ હોય અને ગાઇ પણ શકાય એવાં સૉનેટ આપણે ત્યાં બહુ ઓછાં જડશે. કવિઓ ક્રમે ક્રમે એ બે મૂળ વાનાં વીસરી ગયા. આજે તો સૉનેટ કોઇ લખતું જ નથી, કદાચ પ્રેમ કરવાનો અને પ્રેમને ગાવાનો કોઈ કવિ પાસે સમય જ નથી રહ્યો.

જો કે, આપણા ગઝલ અને સૉનેટના કેટલા સર્જકોને મારફાડ પ્રેમનો અનુભવ થયો હશે?

આમ તો ઊર્મિકાવ્યમાં કથકના અથવા કાવ્યનાયકનાં ભાવસ્પન્દનો / વિચારકણો હળવે હળવે રજૂ થતાં હોય છે. પરન્તુ પદ ભજન કે ગઝલની પાયાની જરૂરિયાતો નથી સંતોષાતી, અને તે પર ભાવ કે વિચારનો થોડોક પણ વધારે ભાર મુકાય છે, તો એ પડી ભાંગે છે.

હું વાત કરતો હતો ઊર્મિવિષયક સમજનો, ગતાગમનો. એમાં કપલેટ પણ ઉપકારક નીવડી શકે છે. કપલેટ બે પંક્તિનાં હોય છે. દાખલા તરીકે,

‘જગની સૌ કડીઓમાં
સ્નેહની સર્વથી વડી’.

                   – સુન્દરમ્.

એ પછીના ક્રમે મૂકી શકાય : મુક્તક. દાખલા તરીકે,

‘નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી 

કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી’.

                                                  – મરીઝ.

તે પછી, ઊર્મિકેન્દ્રી સાહિત્યમાં આવે, રાસ. ગરબો. પ્રબન્ધ. ખણ્ડકાવ્ય. આખ્યાન.

કેટલાક મિત્રો પોતાને સામેથી ગઝલકાર કહેવડાવે છે, તો કેટલાક પોતાને ગીતકવિ. એ એમની સમજ પ્રમાણેની નમ્રતા કહેવાય, બાકી, તેઓ કવિ છે.

ઊર્મિકેન્દ્રી કથાઓ પણ હોઈ શકે છે. આરણ્યક, સુકેશી અને સુમેરુની કથાનું નિરૂપણ કરતી ધૂમકેતુકૃત ‘પૃથ્વી અને સ્વર્ગ’ ટૂંકીવાર્તાને હું એમ ગણી શકું. સ્નેહરશ્મિકૃત ‘સ્વર્ગ અને પૃથ્વી’-ને પણ ગણી શકાય. માધ્યમિક શાળાનાં વરસોમાં હું એ બે રચનાઓ બહુ વાંચતો. મને પ્રશ્ન થતો – સાહિત્ય આટલું બધું ગળ્યું ચટપટું અને રંગરંગીન હશે?

કોઈકે સુરેશ જોષીકૃત “છિન્નપત્ર”-ને ઊર્મિકથા કહેલી, પણ સ્વીકારાયેલું નહીં. પરન્તુ, ચુનીલાલ વ. શાહકૃત “જિગર અને અમી” કે યશોધર મહેતાકૃત “સરી જતી રેતી”-ની ગણના એમ જરૂર કરવી પડે.

કેટલીયે રોમાન્ટિક નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ ઊર્મિકેન્દ્રી હોય છે. જગવિખ્યાત દૃષ્ટાન્તો છે, ડી. એચ. લૉરેન્સકૃત “લેડી ચૅટરલિ’ઝ લવર” અને નબાકોવકૃત “લોલિટા”. (“લોલિટા” વિશેના મારા લેખ માટે જુઓ, મારું પુસ્તક, “સાહિત્ય સાહિત્ય – 4”) જેન ઑસ્ટિનકૃત “પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ”, શાર્લોટ બ્રૉન્ટેકૃત “જેન આયર” કે ઍનિસ નિનકૃત વાર્તાસંગ્રહ “ડેલ્ટા ઑફ વીનસ” એટલાં જ જાણીતાં દૃષ્ટાન્તો છે.

આ વાત તો થઈ વિદ્વાનોએ સઘન અધ્યયનો કરીને વખાણેલી બહુપ્રશસ્ત કૃતિઓની, પરન્તુ એ વિદ્વાનો જેની સામે પણ નથી જોતા એવી હજ્જારો નવલકથાઓ એમાં નિરૂપાયેલા રોમાન્સને કારણે એટલી બધી વંચાય છે કે ન પૂછો વાત. એક વાર હું અમેરિકાના અમારા શ્હૅરની પબ્લિક લાઇબ્રેરીમાં ગયેલો, મને એમ કે રવીન્દ્રનાથ, તૉલ્સતોય, ચેખવ, દૉસ્તોએવસ્કી, કાફ્કા, કામૂ તો મળશે જ, પણ એમાંના એકે ય મહાનુભાવને એની એકાદ કૃતિ સાથે પણ ત્યાં જગ્યા ન્હૉતી અપાઈ ! સાહિત્યકલાના જાદુની એ બીજી છટા બે ઘડી માટે મારા મગજમાં ઊતરતી ન્હૉતી …

કોઈપણ ઊર્મિકાવ્ય કે કાવ્યમાત્ર તેનાં પાઠ તેમ જ ગાન માટે હોય છે. પદ કે ભજન રાગથી બંધાયેલું હોય તો તેનું, ગઝલ મુસલસલ કે અન્યથી હોય તો તેનું, રચના છન્દના લઘુ-ગુરુથી બંધાયેલી હોય તો તેનું, માત્રામેળથી હોય તો તેનું – સર્વનું – સાચવીને પઠન કરવું જોઈએ. મેં જોયું છે કે સારા સારા કવિઓને પણ, પોતાનાં જ કાવ્યોનાં પઠન નથી આવડતાં. ઊર્મિકાવ્યને સંગીતનું શત્રુ સમજનારા કવિઓ પણ હોય છે, પણ તેઓ ભીંત ભૂલે છે. બને કે એમને ગાતાં આવડતું ન હોય.

આપણી આવડત-અણઆવડતના ધોરણે સાહિત્યને વેતરી ન લેવાય.

= = =

(May 22, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

રાષ્ટ્રદ્રોહ : ઝાડ કાપવાનું હતું, પણ જંગલ કાપી નાખ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 May 2022

બ્રિટિશ રાજ સમયના રાષ્ટ્રદ્રોહના કાનૂન હેઠળના તમામ પેન્ડીગ કેસોની સુનાવણી પર સર્વોચ્ચ અદાલતે બુધવારે સ્ટે ફરમાવ્યો, અને તેની જોગવાઈ હેઠળ એક પણ નવી ફરિયાદ નહીં નોંધવા કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ કરી, ત્યારે પ્રશ્ન થયો કે જે મોદી સરકારના શાસનમાં જ રાષ્ટ્રદ્રોહના સૌથી વધુ કેસ નોંધાયા હોય અને જે મોદી એક સમયે તેને હટાવાના સમર્થનમાં નહોતા તેમનું અચાનક હૃદય પરિવર્તન કેમ થયું?

સર્વોચ્ચ અદાલતે એવા સમયે આ નિર્દેશ આપ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે સોમવારે નવું એફિડેવિટ દાખલ કરીને અદાલતને કહ્યું હતું કે તે ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ અંગે પુનઃવિચારણા કરવા માગે છે. ૧૮૬૦ની સાલના આ “કાળા કાયદા” વિરુદ્ધ, સર્વોચ્ચ અદાલતમાં સમય સમય પર પિટીશનો થઇ છે. લેટેસ્ટ પિટીશન વરિષ્ઠ પત્રકારો પેટ્રિસિયા મુખીમ અને અનુરાધા ભસીન, કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદી, એડિટર ગિલ્ડ ઓફ ઇન્ડિયા, કોમન કોઝ એન.જી.ઓ., ભૂતપૂર્વ મંત્રી અરુણ શૌરી, નિવૃત્ત આર્મી જનરલ એસ. જી. વોમ્બક્તકરે અને અન્ય જાણીતાં નાગરિકોએ કરી હતી.

તેમની ફરિયાદ એ હતી કે સરકાર તેના ટીકાકારો, રાજકીય વિરોધીઓ, પત્રકારોનો અવાજ બંધ કરવા માટે આ કાનૂનનો ગેરઉપયોગ કરી રહી છે. સર્વોચ્ચ અદાલત ઘણા સમયથી આ બધી પિટીશનો પર સુનાવણી કરી રહી હતી. અદાલતે તેની રુખ પણ સ્પષ્ટ કરી દીધી હતી કે તે અ બાવા-આદમના જમાનાના કાનૂનના પક્ષમાં નથી.

ગયા વર્ષે, મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાળ ગંગાધર તિલકને જે કાનૂન હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હોય તેને સરકાર ૭૫ વર્ષ પછી કેમ છાવરી રહી છે? રમન્નાએ એવું પણ કહ્યું હતું કે, “આ કાનૂન સ્વતંત્રતા વિરોધી છે. આ તો એવું છે જાણે લાકડું કાપવા માટે સુથારીને કરવત આપો અને એ આખું જંગલ કાપવા લાગી જાય.”

માત્ર કાઁગ્રેસ જ નહીં, બહુમતી રાજકીય પક્ષો આ કાનૂનને દૂર કરવાના પક્ષમાં છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રવાદી પાર્ટીના વડા શરદ પવારે રાજ્યસભામાં આ કાનૂન ઉપર ચર્ચાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાનૂનનો ઉપયોગ લોકોની લોકતાંત્રિક માંગણીઓને દાબવા માટે થઇ રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર એ.જી. નૂરાનીએ ગયા વર્ષે એક લેખમાં લખ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહની મહામારી આખા દેશમાં ફેલાઈ ગઈ છે. તેણે સ્ત્રીઓ, બાળકો, વિધાર્થીઓ, શિક્ષકો કોઈને છોડ્યા નથી. માત્ર નવજાત શિશુઓ બાકાત રહી ગયાં છે.”

કેન્દ્ર સરકારનો દાવ ઊંધો પડ્યો?

કેન્દ્ર સરકારે પહેલાં આ કાનૂનનો બચાવ કર્યો હતો, પણ પછી તેનું હૃદય પરિવર્તન થયું.  જાણકાર લોકો કહે છે કે સર્વોચ્ચ અદાલતે આ કાનૂન અયોગ્યતાને લઈને મન બનાવી લીધું હતું, અને તે આ કાનૂનની સમીક્ષા કરવા માટે તેને મોટી બેંચ પાસે મોકલી ન દે તે માટે સરકારે સોમવારે અદાલતમાં એફિડેવિટ કરીને કહ્યું કે તે આ કાનૂન પર પુન:વિચારણા કરવા તૈયાર છે, ત્યાં સુધી અદાલત તેની સુનાવણી ન કરે.

આ કાનૂન સામેની એક અરજીકર્તા અને તૃણમૂલ કાઁગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાએ શબ્દો ચોર્યા વગર એક ટી.વી. ચેનલને કહ્યું હતું, “રાષ્ટ્રદ્રોહના કાનૂનની સમીક્ષા કરવાના નામે સરકાર એમાં ખેંચાય તેટલું ખેંચવા માગતી હતી. આ દિલ્હી વડી અદાલતમાં વૈવાહિક બળાત્કારના મામલા જેવું છે. આ લોકો આઠ વર્ષથી સત્તામાં છે. એમને જો સાચે જ કશું કરવું હોય તો તરત થાય તેવું છે …. હવે એમને ભાન થયું કે આ કાનૂનની સમીક્ષા સાત જજની બેંચ કરે તેવી પૂરી સંભાવના છે … એટલે તેમને ખેંચવું છે. બેઝિકલી આ એવું કહેવાય કે ‘તમે આઘા રહો, અમને જે લાગશે એ અમે કરીશું,’ અને પછી વર્ષો સુધી એના પર પલાંઠી મારીને બેસી રહે.’

પહેલી નજરે એવું લાગે છે કે સરકારનો દાવ ઊંધો પડ્યો છે. તેને હતું કે સર્વોચ્ચ અદાલત સરકારી સમીક્ષાની રાહ જોવાનું નક્કી કરીને સુનાવણી ટાળી દેશે. એવું થયું ય ખરું. અદાલતે એ સ્વીકાર્યું કે સરકાર આ કાનૂનની સમીક્ષા કરે ત્યાં સુધી તે રાહ જોશે, પણ એમાં વચ્ચે અદાલતે બે-ત્રણ નિર્દેશો ઉમેરી દીધા, જેની સરકારને અપેક્ષા નહોતી; સરકાર સમીક્ષા કરે ત્યાં સુધી આ કાનૂનની જોગવાઈઓ સ્થગિત રહેશે. મતલબ ન તો તેના પર અદાલતોમાં કામ ચાલશે કે ન તો પોલીસ નવી ફરિયાદો નોંધશે. જે લોકો જેલોમાં બંધ છે અથવા જેમના પર ફરિયાદો થયેલી છે તેઓ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકશે અને કોર્ટો ઝડપથી તેનો ફેંસલો કરશે.

કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતના આ નિર્ણયનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે નોંધનીય ગુના(કોગ્નિઝેબલ ઓફેન્સ)માં કાનૂન સ્થગિત કરવો એ બરાબર નથી. અદાલતે આ દલીલ ફગાવી દેતાં કહ્યું કે સેક્શન ૧૨૪-એના વ્યાપક ગેરઉપયોગને જોતાં નાગરિક સ્વતંત્રતા અને રાજ્યની સત્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે.

રાષ્ટ્રદ્રોહના કાનૂનને સ્થગિત કરવાનું સર્વોચ્ચ અદાલતનું પગલું કેન્દ્ર સરકારને ગમ્યું નથી તેનો સંકેત કાનૂન મંત્રી કિરેન રિજ્જુની પહેલી પ્રતિક્રિયા પરથી મળે છે. બુધવારે સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ આવ્યો તે પછી કાનૂન મંત્રીએ દિલ્હીમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, “અમે અમારા મત એકદમ સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા અને કોર્ટને આપણા પી.એમ.(નરેન્દ્ર મોદી)ના ઈરાદાની પણ જાણ કરી હતી. અમે કોર્ટનું અને તેની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ, પણ એક લક્ષ્મણ રેખા હોય છે, જેનું રાજ્યનાં તમામ અંગોએ માન જાળવવું જોઈએ. અમે એકબીજાનું સન્માન કરીએ છીએ, કોર્ટે સરકારનું, વિધાનમંડળનું સન્માન કરવું જોઈએ અને સરકારે કોર્ટનું. આપણે ત્યાં મર્યાદા રેખાઓ સ્પષ્ટ દોરાયેલી છે અને એ લક્ષ્મણ રેખાનું કોઈએ ઉલ્લંઘન કરવું ન જોઈએ.”

અદાલતે પોતાની જ લક્ષ્મણ રેખા તોડી છે

મજાની વાત એ છે કે રાષ્ટ્રદ્રોહના કાનૂનનો સૌથી વધુ ગેરઉપયોગ કરવાનો આરોપ વર્તમાન સરકાર પર જ લાગે છે. 2014 પછી, 405 લોકો સામે રાજકારણીઓ અને સરકારોની ટીકા બદલ રાષ્ટ્રદ્રોહના કેસ થયા છે, જેમાં 149 લોકોએ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની “અસભ્ય” ટીકા કરી હતી.

ખાલી ૨૦૧૬ અને ૨૦૧૯ વચ્ચે, સેક્શન ૧૨૪-એ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યામાં ૧૬૦ ટકાનો વધારો થયો હતો, પણ એમાં સજા થવાનો દર ઘટીને 3 ટકા થઇ ગયો હતો. એનો અર્થ એ થયો કે મોટા ભાગના કેસ એટલા ફર્જી હતા કે કોર્ટોમાં ટકી શક્ય નહોતા. એક કેસમાં તો અલ્હાબાદ વડી અદાલતે રાજ્યને અને પોલીસને સંભળાવ્યું હતું કે, “ભારતની એકતા વાંસના સાંઠાની બનેલી નથી કે ઠાલા નારાઓના પવનથી વળી જાય. આપણા દેશના પાયાઓ ઘણા નક્કર છે.”

રાષ્ટ્રદ્રોહનો કાનૂન આ પાયાઓનું રક્ષણ નથી કરતો, તેને ઢીલા કરે છે. સવાલો કરવા અને ટીકાઓ કરવી એ લોકશાહીનો પ્રાણ છે. એના માટે તમે લોકોને જેલમાં બંધ કરી દો તો તે લોકશાહીનું રક્ષણ ન કહેવાય. કાનૂન મંત્રીને જ ખોટું લાગ્યું હોય તો એ અકારણ જ છે. લોકોને કદાચ ખયાલ નહીં હોય કે પંડિત જવાહરલાલ નહેરુ આ જરીપુરાણા કાયદાને કાઢવા માંગતા હતા, પણ સર્વોચ્ચ અદાલતે જ આ કાનૂનને પીનલ કોડમાં રાખ્યો હતો. હવે, એ જ સર્વોચ્ચ અદાલતે તેનું પાપ ધોવાનું કામ કર્યું છે.

ડિસેમ્બર ૧૯૪૮માં, બંધારણીય સભા સમક્ષ આ મુદ્દો આવ્યો ત્યારે, અત્યંત તેજસ્વી વકીલ કનૈયાલાલ મુન્શીએ એક સુધારો પેશ કરીને બંધારણના ડ્રાફ્ટમાંથી “રાષ્ટ્રદ્રોહ” શબ્દ હટાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રદ્રોહ શબ્દના બહુ બધા અર્થ થાય છે. જેમ કે દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મિટિંગ કરવી કે સરઘસ કાઢવું રાષ્ટ્રદ્રોહ કહેવાતો હતો.

મે ૧૯૫૧માં, નહેરુએ સંસદમાં કહ્યું હતું, “ઇન્ડિયન પીનલ કોડની ૧૨૪-એ કલમ મારી દૃષ્ટિએ બહુ વાંધાજનક અને ભૂંડી છે અને આપણે જે પણ કાનૂન પસાર કરીએ તેમાં તેનું કોઈ સ્થાન હોવું ન જોઈએ. આપણે તેને વહેલી તકે કાઢીએ તો સારું.” ૧૯૫૦માં, રોમેશ થાપરના ક્રોસરોડ મેગેઝીન સામેના કેસમાં સર્વોચ્ચ અદાલતે “રાષ્ટ્રદ્રોહ” શબ્દ દૂર કરાવ્યો હતો.

પરંતુ ૧૯૬૨માં, બિહારની ફોરવર્ડ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય કેદારનાથે તેમના એક ભાષણમાં, સી.આઈ.ડી. વિભાગના અધિકારીઓને “કૂતરા” અને કાઁગ્રેસના નેતાઓને “ગુંડા” ગણાવીને કહ્યું કે કામદારોને ક્રાંતિ મૂડીવાદીઓ, જમીનદારો અને કાઁગ્રેસીઓને ભસ્મીભૂત કરી નાખશે ત્યારે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો હતો અને તેમને એક વર્ષની સજા થઇ હતી.

કેદારનાથના કેસમાં અદાલતના ફેંસલા પછી, ભારતમાં રાજકીય વિરોધીઓને પાઠ ભણાવવા માટે દરેક સરકારો છૂટથી રાષ્ટ્રદ્રોહના કેસ નોંધતી થઇ ગઈ હતી. આપણે ત્યાં કાનૂનો બનાવતી વખતે કે તેનો ઉપયોગ કરતી વખતે મગજનો ઉપયોગ કરવામાં નથી આવતો એવા આક્ષેપની સાબિતી રાષ્ટ્રદ્રોહનો આ કાનૂન છે.

ભારતમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનનો ઉપયોગ વિરોધીઓને ઠેકાણે પાડવા થઇ રહ્યો હતો ત્યારે, ૧૯૭૭માં બ્રિટનના લો કમિશને તેના પીનલ કોડમાંથી આ કાનૂનને રદ્દ કરવા ભલામણ કરી હતી. એ પછી બ્રિટનમાં રાષ્ટ્રદ્રોહના કાનૂનને લઈને સાર્વજનિક ચર્ચા શરૂ થઇ, અને તેના પરિણામે 2009માં બ્રિટને આ કાનૂન નાબૂદ કર્યો હતો. તે વખતે, કાનૂન મંત્રી કલેર વોર્ડે કહ્યું હતું કે, “રાષ્ટ્રદ્રોહ એ જમાનાનો અપરાધ છે, જ્યારે આજની જેમ અભિવ્યક્તિની આઝાદીને અધિકાર ગણવામાં આવતી નહોતી. આજે અભિવ્યક્તિની આઝાદી લોકશાહીનો પાયાનો પથ્થર છે. આ દેશમાં આવા જરીપુરાણો અપરાધ અસ્તિત્વમાં છે એટલે જ ઘણા દેશો આ કાનૂનને સાચવીને બેઠા છે અને રાજકીય તેમ જ પ્રેસની આઝાદીને કચડવા માટે તેનો ઉપયોગ કરે છે.”

કલેર વોર્ડના મનમાં ત્યારે ભારત રમતું હશે. ભારતની સર્વોચ્ચ અદાલતે હવે તેનું પોતાનું જ “પાપ” ધોવા માટે હાથમાં ગંગા જળ લીધું છે ત્યારે, મોદી સરકારે લક્ષ્મણ રેખાની ચિંતા કર્યા વગર પોતાના તરફથી એમાં બે ટીપાં રેડવાં જોઈએ.

પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 15 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3821,3831,3841,385...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved