Opinion Magazine
Number of visits: 9670558
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—163

દીપક મહેતા|Opinion - Opinion|24 September 2022

આઠસો માઈલ દૂરથી આવેલા રમા નાયકે મુંબઈમાં શું શરૂ કર્યું?

ઉડુપ્પી હોટેલમાં નોકરી કરતો દયા નાયક વખત જતાં શું બન્યો?

મુંબઈથી આગબોટમાં બેસી દરિયા કિનારે દક્ષિણમાં ૮૦૦ માઈલ દૂર જઈએ તો પહોંચાય કર્ણાટક રાજ્યના એક બહુ મોટા નહિ એવા ગામમાં. ગામ ભલે નાનું, પણ એનું નામ આખા દેશમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં જાણીતું અને માનીતું થઈ ગયું છે. ભારતીય ફિલસૂફીના ધુરંધરોમાંના એક મધ્વાચાર્ય. દ્વૈત સિદ્ધાંતના પ્રણેતા. તેમણે ૧૩મી સદીમાં અહીં શ્રીકૃષ્ણના મઠ કહેતાં મંદિરની સ્થાપના કરી. વખત જતાં એની નામના કર્ણાટકમાં જ નહિ, આખા દેશમાં પ્રસરી. આ મંદિરની એક વિશિષ્ટતા : રોજ જેટલા લોકો દર્શન કરવા આવે તે બધાને બપોરે પેટ ભરીને જમાડવાના – એક પૈસો પણ લીધા વગર. એટલે ઘણા ભક્તો આ મંદિરને ‘અન્નક્ષેત્ર’ તરીકે પણ ઓળખે. રોજે રોજ, કેટલાયે બ્રહ્મણો ‘પ્રસાદમ્‌’ની વાનગીઓ રાંધવામાં રોકાયેલા હોય. કયે દિવસે કઈ વાનગી, એ કઈ રીતે બનાવવાની, એમાં શું શું, અને કેટલું નાખવાનું, બધું નક્કી. અને હા, શુદ્ધ શાકાહારી ભોજન. કોઈ ભક્ત ભૂખ્યો ન જાય એની ખાસ તકેદારી. અને ભક્ત એટલે ભક્ત. એમાં પછી ન્યાત કે વર્ણના ભેદભાવ નહિ. એક જ વાત : ભગવાનને ઘરેથી કોઈ ભૂખ્યું પાછું જવું ન જોઈએ.

પ્રિય વાચકોને થતું હશે કે આજે મુંબઈને બદલે છેક કર્ણાટકના કોઈ ગામની અને ત્યાંના મંદિરની વાત કેમ માંડી હશે? મુંબઈના ખડિયામાં શાહી ખૂટી હશે? ના, જી. આજે આ ગામની વાત માંડી છે કારણ તેની અને મુંબઈની વચ્ચે ગાઢ સંબંધ છે. કઈ રીતે? એ ગામનું નામ સાંભળતાં જ ચતુરસુજાણ વાચકો સમજી જશે. એ ગામનું નામ ઉડુપ્પી.

મુંબઈની પહેલી ઉડુપ્પી હોટેલના સ્થાપક એ. રમા નાયક

એ ગામનો એક છોકરો, ઉંમર વરસ અગિયાર. નામ? એ. રમા નાયક. થોડો વખત શ્રી કૃષ્ણ મંદિરના પાકગૃહમાં કામ કરેલું એટલે રાંધતાં આવડે. ૧૯૩૦ની આસપાસ નસીબ અજમાવવા આવ્યો મુંબઈ. આવીને નોકરી શોધી. પેલા મંદિરમાં રાંધવાનો અનુભવ મદદે આવ્યો. મુંબઈના રામકૃષ્ણ મિશનના રસોડામાં ‘કિચન બોય’ની નોકરી મળી ગઈ. પૂરાં દસ વરસ તનમનથી કામ કર્યું એટલે અનુભવ બહોળો, અને ધન પણ એકઠું કર્યું, થોડુંક. એટલે નક્કી કર્યું પોતાની હોટેલ કાઢવાનું. ક્યાં? જ્યાં દક્ષિણ ભારતથી આવેલા ગરીબો રહેતા હોય ત્યાં જ કાઢવી હોટેલ. સવાર-સાંજ બંને વખત ઘર જેવું સાદું પણ સ્વાદિષ્ટ ભોજન. હોટેલનું નામ લાંબુલચક : એ. રમા નાયકની ઉડુપ્પી શ્રી કૃષ્ણ બોર્ડિંગ. આજે તો એ કિંગ્ઝ સર્કલનો વિસ્તાર ‘પોષ’ ગણાય છે. તેના રેલવે સ્ટેશનને અડીને આવેલી આ હોટેલ. ફોર્માંઈકા મઢેલાં ટેબલ. સાદી ખુરસીઓ. આજે પણ પીરસણિયા કહેતાં વેટર લુંગી પહેરીને વચમાંની સાંકડી જગ્યામાં આવનજાવન કરતા રહે. વાનગીઓ પીરસાય કેળનાં પાનમાં. અન્નકૂટ ધરવાનો હોય તેટલી વાનગીઓ નહિ. પણ બધી શુદ્ધ, સ્વાદિષ્ટ. ૧૯૪૨માં આ હોટેલ શરૂ થઈ ત્યારથી જે વાનગીઓ પીરસાતી, તે આજે ય પીરસાય છે. હા, ભાવ વધ્યા છે, છતાં મધ્યમ વર્ગને પોસાય એવા. આજે તો મુંબઈમાં રોકડા બે મેંદુ વડાની પ્લેટના ત્રણ સો રૂપિયા પડાવી લેતી હોટેલો પણ છે. અને સાથે સાંભાર અને ચટણી? અલગ અલગ વાડકીમાં નહિ. શિવલિંગ પર જળાધારીમાંથી પાણી ટપકતું હોય તેમ બે વડા પર થોડો સાંભાર રેડ્યો હોય અને આચમનીમાંથી દૂધનો અભિષેક કર્યો હોય તેમ નાળિયેરની સફેદ ચટણી રેડી હોય! જ્યારે અહીં આજે ય ‘અનલિમિટેડ’ થાળીના દોઢ સો રૂપિયા! આ હોટેલ મુંબઈની પહેલવહેલી ઉડુપ્પી હોટેલ છે એની જાણ કરતું પાટિયું આજે ય હોટેલની બહાર ઝૂલે છે.

હોટેલ બહાર જાહેરાતનું પાટિયું

૧૯મી સદીમાં અને વીસમીની શરૂઆતમાં ગુજરાત, દક્ષિણ ભારત, પંજાબ, બંગાળ કે બીજેથી પણ જે લોકો મુંબઈ આવી વસ્યા તેમની એક ખાસિયત : પોતાનાં ગામ, ન્યાત, જાતનો બીજો કોઈ આવે તો એને આશરો આપે. નાનુંમોટું કામ સોંપે. વખત જતાં એ માણસ પોતાનો અલગ ધંધો શરૂ કરે તો ય વધાવી લે, બને તેટલી મદદ પણ કરે. રમા નાયકની સફળતાની વાતો સાંભળી ઉડુપ્પીથી બીજા છોકરા-જુવાનો ય મુંબઈ આવવા લાગ્યા. એ જ પેટર્ન. પહેલાં નાની-મોટી નોકરી, પછી પોતાની હોટેલ. શ્રી કૃષ્ણ મંદિરનો અનુભવ અહીં બધાને કામ લાગે. ૧૯૭૦ સુધીમાં તો મુંબઈમાં ઠેર ઠેર ઉડુપ્પી હોટેલનું જાળું પથરાઈ ગયું. બધી ઉડુપ્પી હોટેલોની એક ખાસિયત : માલિકની, કે થડા પર બેઠેલા મેનેજરની એક આંખ વેટરો પર, બીજી આંખ સફાઈ કરનારાઓ પર. વેટરો વિનયવિવેકથી વર્તે છે કે નહિ, પોતાનું કામ ઝડપથી કરે છે કે નહિ, વગેરે જોતા રહે. તો દરેક ટેબલની અને ફર્શની સફાઈ વખતોવખત થવી જ જોઈએ. ઘણી ઉડુપ્પી હોટેલો તો ગ્રાહક રસોડું જોવા ઇચ્છે તો તે પણ બતાવે કારણ ખાતરી હોય કે બધું વ્યવસ્થિત અને ચોખ્ખું ચણક હશે જ. ઈરાની હોટેલની જેમ અહીં પણ જાતજાતની સૂચનાઓ લખેલી જોવા મળે : જમતાં પહેલાં ટોકન ખરીદી લેવા. ન વપરાયેલી કૂપન બીજે દિવસે વાપરી શકાશે. કેળના પાનમાં અને ચમચી વાપર્યા વગર ખાવાનો પ્રયત્ન કરવો. વગેરે. રમા નાયક અને તેણે શરૂ કરેલી હોટેલ હવે તો મુંબઈનું એક ખાસ આકર્ષણ બની ગયાં છે.

એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક

બીજો એક છોકરો. સાત ધોરણ સુધી ભણેલો. તેર વરસની ઉંમરે આવ્યો ઉડુપ્પીથી મુંબઈ. નાનપણમાં જ પિતા ગુમાવ્યા. કુટુંબની આર્થિક દશા સારી નહિ. મુંબઈ આવીને વર્સોવાની એક ઉડુપ્પી હોટેલમાં વેટરની નોકરી મળી. ઘરબાર નહિ એટલે રાતે એ જ હોટેલના ઓટલા પર ટૂંટિયું વાળીને સૂઈ રહે. એ કહે છે કે આજે પણ હું એક હાથમાં એક સાથે ચાના પાંચ કપ ઉપાડી શકું છું. પણ સાથોસાથ ભણવાનું ચાલુ રાખ્યું. રાતે રસ્તાની લાઈટ નીચે બેસીને ભણવાનું. આઠ વરસની મહેનત પછી ગ્રેજ્યુએટ થયો. એક પ્લમરને ત્યાં નોકરી કરી. પગાર મહિને ત્રણ હજાર. અને પછી જોડાયો મુંબઈ પોલીસમાં. એ છોકરાનું નામ દયા નાયક. વખત જતાં ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે જાણીતો થયો. ૮૦ જેટલા ‘સમાજકંટક’નાં ઢીમ ઢાળી દીધાં. પોલીસ ખાતામાં ઘણી ચડતી-પડતી જોઈ. તેની સામે આરોપો મૂકાયા, કેસ થયા, પણ કશું પુરવાર થયું નહિ. નાગપુર બદલી થઈ તો એણે સરકારને ઘસીને ના પાડી દીધી. છેવટે બદલીનો હુકમ રદ્દ થયો. પણ એન્કાઉન્ટરના કામથી દૂર થતા ગયા દયા નાયક. પોતાના વતનમાં માના નામે સ્કૂલ બંધાવી. એ અંગે પણ આરોપો થયા એટલે સ્કૂલ સરકારને સોંપી દીધી. આ દયા નાયક એ પણ ઉડુપ્પી હોટેલની જ એક દેણ. 

આજે મુંબઈમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં નાની-મોટી એક બે ઉડુપ્પી હોટેલ ન હોય. અસલ ઉડુપ્પી હોટેલ હજી કેવળ શાકાહારી વાનગીઓ જ પીરસે. પણ ઘણી હવે નોન-વેજ વાનગી પણ બનાવે છે. તો માટુંગા રેલવે સ્ટેશન સામે આવેલી ‘શારદા ભવન’ મેંગલોરિયન બ્રેકફાસ્ટ માટે જાણીતી. વાનગીઓ મર્યાદિત, પણ એક એકથી ચડે એવી. કઢી-ઇટલી અહીંની ખાસિયત. ૧૯૫૦માં શરૂ થયેલી આ હોટેલનાં સાંભાર અને ચટણીનો સ્વાદ છેલ્લાં વીસેક વરસથી એનો એ જ.

માટુંગા ઈસ્ટમાં ભાંડારકાર રોડ પર આવેલી રામ આશ્રય સવારે પાંચ વાગ્યાથી ધમધમતી થઈ જાય. તમે દાખલ થાવ ત્યારે થાય કે આ તો સાવ મામૂલી હોટેલ લાગે છે. પણ એક વાર એનાં ઇટલી, ઢોસા, ઉતપ્પમ્‌નો સ્વાદ દાઢે વળગે પછી છૂટે નહિ. ના, મેનુ કાર્ડ નહિ. વાનગીઓનાં નામ અને ભાવ બ્લેક બોર્ડ પર ચોકથી ચીતરેલાં.

કેળના પાન પરનું જમણ

અસલ નામ કિંગ્ઝ સર્કલ, હવેનું નામ માહેશ્વરી ઉદ્યાન. ત્યાં આવેલ આનંદ ભવન. દાયકાઓથી નથી દેખાવ બદલાયો, નથી વાનગીઓની ગુણવત્તા ઓછી થઈ. અહીંના બીસીબેલે ભાત તો અફલાતૂન. તો કોટ વિસ્તારમાં મિન્ટ રોડ પર આવેલી સ્પેશિયલ આનંદ ભવનમાં ‘મદ્રાસી’ વાનગીઓની સાથોસાથ પંજાબી અને ઇન્ડિયન ચાઈનીઝ વાનગીઓ પણ મળે. તો આ જ વિસ્તારમાં આવેલી કાફે મૈસોરમાં એક વાનગી સાથે ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ જોડ્યું છે. મુલુંડ પશ્ચિમમાં આવેલી ‘વિશ્વભારતી’ બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ એર કન્ડિશન્ડ, બીજો સાદો. માટુંગામાં જ આવેલી ‘મણીઝ લંચ હોમ’ના ચાહકો ઇટલી-ઢોસા-વડા પર ઓવારી જાય. આ બધી હોટેલો આમ આદમીના ખિસ્સાને પોસાય એવી. વાનગીઓ ઉત્તમ, પૈસા મધ્યમ, માફકસરના. આ ઉપરાંત હવે ઠેકઠેકાણે અપ-માર્કેટ ‘સાઉથ ઇન્ડિયન’ હોટેલો જોવા મળે. વાનગીઓ સારી. વિવિધતા ઘણી. પંજાબી કે ગુજરાતી વાનગીઓ સાથેનું ફ્યુઝન પણ ત્યાં મળે. પણ ભાવ એવા કે એ વાંચ્યા પછી અડધી ભૂખ ઘણાની મારી જાય.

એક વખત મુંબઈની આગવી ઓળખાણ જેવી ઈરાની હોટેલો વીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં હાંફવા લાગી અને પછી હારી ગઈ તેનું એક કારણ આ ઉડુપ્પી હોટેલો પણ ખરું. બંનેમાં વાનગીઓની ગુણવતા અને તેનો સ્વાદ બેનમૂન. ભાવ માફકસરના. સાદગી, ચોખ્ખાઈનો આગ્રહ. બંને પ્રકારની હોટેલોને પોતાનો બંધાણી વર્ગ. પણ ઉડુપ્પીની વાનગીઓનો સ્વાદ ‘દેશી’ જીભને વધુ માફક આવે તેવો. વળી ઈરાની હોટેલો નોનવેજ વાનગીઓ પણ પીરસે. એટલે કેટલાક ત્યાં જવાનું ટાળે. બંનેમાં ન્યાતજાતના ભેદ નહિ. અને ખાસ તો એ કે સમયની માગ પ્રમાણે ઉડુપ્પી હોટેલો બદલાતી રહી. (કેટલીયના સાંભારનો સ્વાદ હવે ગળચટ્ટો હોય છે, ગુજરાતીઓને માફક આવે એટલે.) જ્યારે ઈરાની હોટેલોએ જેમ બ્રિટિશ પરસ્તી આજ સુધી ચાલુ રાખી તેમ વાનગીઓની બાબતમાં પણ ‘આગુ સે ચલી આતી હૈ’ને પણ વળગી રહી. કેટલાક દાખલા તો એવા પણ જોવા મળે કે દિવસનો મોટો ભાગ લગભગ ખાલી રહેતી ઈરાની હોટેલની જગ્યા કોઈ ખરીદે અને ત્યાં ઉડુપ્પી હોટેલ ધમધોકાર ચાલતી થાય.

દક્ષિણથી ઉડુપ્પી હોટેલો મુંબઈ આવે તો દેશના બીજા ભાગો કેમ રહી જાય? એવી બીજા પ્રદેશોની થોડી હોટેલોની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 સપ્ટેમ્બર 2022

Loading

સત્ય માનવના હૃદયમાં જ છે 

આશા બૂચ|Opinion - Opinion|24 September 2022

સત્ય ખોવાયું છે, શોધી કાઢે તેને એક અબજ રૂપિયાનું ઇનામ! રાજેન્દ્ર દેશપાંડેએ મોકલેલ લઘુ કહાણી ઉપરથી લઘુ લેખ.

− આશા બૂચ

*****

પૂર્વીય પરંપરામાં એક કહાણી પ્રચલિત હતી.

ભગવાને સૃષ્ટિની રચના કરી. તેની સર્જેલી તમામ રચનાઓ માટે દેવોએ કોઈ ને કોઈ નિશ્ચિત જગ્યા શોધી કાઢી, સિવાય કે સત્ય. અને આ મુદ્દાને લઈને એક મુશ્કેલી ઊભી થઇ, કેમ કે ભગવાન આ શાણપણની ભાળ માનવ જાતને તત્કાળ મળી જાય તેમ નહોતા ઇચ્છતા.

અનેક ભગવાનોમાંના એક ભગવાને સૂચવ્યું કે સત્યને ઊંચામાં ઊંચા પર્વતની ટોચ પર મૂકી દેવામાં આવે. બીજાએ તેને દૂર સુદૂરના એક તારલામાં છુપાવી દેવા કહ્યું. ત્રીજા ભગવાને તેને ચંદ્રની અંધારી બાજુ પર મૂકી આવવા જણાવ્યું અને ચોથા ભગવાને તો તેને દરિયાના ઊંડા પેટાળમાં ઢબૂરી દેવાની જ સલાહ આપી.

છેવટ તેઓએ સાથે મળીને સત્યને માનવીના હૃદયમાં મુકવાનો નિર્ણય કર્યો.

ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે. ઈશ્વર સચરાચરમાં વ્યાપ્ત છે, દરેક જીવનાં હૃદયમાં વસે છે. તો સત્ય પણ દરેક માનવીના હૃદયમાં જ વસે છે. આમ સત્ય અને ઈશ્વર આપણા હૃદયમાં જ વસે છે; આથી જ તો આપણેને એ બંનેની ભાળ નથી મળતી કેમ કે આપણે તેની શોધમાં દુનિયા આખી ફેંદી વળીએ છીએ, જ્યારે એ તો છે આપણા અંતરતમમાં છુપાયેલ.

એક સૂફી સંતે કહ્યું છે : મૈં ઇન્સાનિયત મેં બસતા હું, લોગ મુઝે મઝહબ મેં ઢૂંઢતે હૈં.

આપણે આપણા દિલમાં દૃષ્ટિ કરીએ; સત્ય અને ઈશ્વર બંનેની ભાળ મળી જશે.

e.mail : 71abuch@gmail.com

Loading

ભ-મરડો

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 September 2022

એક જમાનામાં બાપા દીકરાને ગધેડો કે ભમરડો કહેતા. એમના બાપા તેમના દીકરાને ગધેડો કહેતા હશે, કારણ ત્યારે પણ ગધેડો તો હતો જ ! હા, ત્યારે મરડો હશે, પણ ભમરડો નહીં હોય. ભમરડો ક્યાંક મળતો હોય તો પણ હવે તેનાં રૂપરંગ બદલાઈ ગયાં છે. લાકડાનો ભમરડો મળતો હોય તો પણ, આજના છોકરાઓ તે રમતા દેખાતા નથી. શું છે કે હવે મોબાઈલ ગેમ્સ જ એટલી વધી ગઈ છે કે ભમરડાને કોઈ હાથ લગાડવા જ તૈયાર નથી. દીકરાઓ હવે પ્લાસ્ટિકના ન થયા હોય તો પણ, ભમરડાઓ તો પ્લાસ્ટિકના થઈ જ ગયા છે. આકાવાળી પ્લાસ્ટિકની પટ્ટી ખેંચો તો ભમરડો જમીન પર છટકે છે ને ધરી પર ફરે છે. ભમરડાઓ લાકડામાંથી પ્લાસ્ટિકના થયા, તેમ દીકરાઓ પણ બદલાયા છે. તેઓ પોતાને હવે ગધેડો કે ભમરડો કહેવડાવવા રાજી નથી. બાપા પણ હવે ‘ડેડ’ થઈ ગયા છે, એટલે એ પણ દીકરાને ગધેડો કે ભમરડો કહેવાનું ટાળે છે, પણ હજી કોઈ ઘરમાંથી ગધેડા કે ભમરડાની બૂમ પડે છે તો દીકરો ભમરડાની જેમ બહાર નીકળી જાય છે ને બાપા પણ બરાડતા બરાડતા બહાર આવી જાય છે. એ જોવા મહોલ્લો પણ બહાર પડે છે.

પણ, હું જે ભમરડાની વાત કરું છું, તે લાકડાનો બનતો હતો. તેને લોખંડની આર નખાવીને ઉપર જાડી દોરી વીંટીને જમીન પર ફેંકવામાં આવતો ને તે ફરવાનું શરૂ કરતો અને પછી સ્થિર થતો. પછી ઘણી વાર સુધી સ્થિર હોય તેમ ઝડપથી ફરતો રહેતો. ઘણા તેને ફરતો ફરતો જમીન પરથી હથેળીમાં પણ લઈ લેતા ને ત્યાં પણ તે ફરતો રહેતો ને પછી થાકતો એટલે ડોલતો ડોલતો ગબડતો ને જમીન પર દૂર જઈને અટકી જતો.

કહેવાનું તાત્પર્ય એ છે કે ભમરડો ગતિમાં આવતો અને ધીમે ધીમે તેની ગતિ ધીમી પડતી ને તેનો એક આંટો ફરવાનો સમય વધતો જતો, પણ આંટો મારવાનો સમય, સમય જતાં ઘટે એવું ક્યારે ય બન્યું છે? તમે ના જ કહેશો, પણ એવું બન્યું છે. 2022ની 29મી જૂને. આમ તો આપણે એવું ભણ્યાં છીએ ને જે નથી ભણ્યા તે પણ જાણે છે કે પૃથ્વીને તેની ધરી પર એક આંટો મારતાં 24 કલાક લાગે છે. એટલે જ આપણો એક દિવસ ચોવીસ કલાકનો છે. પણ પૃથ્વીએ 29 જૂને એ દિવસ 1.59 સેકન્ડ વહેલો પૂરો કરી નાખ્યો. એટલે કે એક આંટો મારવામાં 24 કલાક લેવાને બદલે પૃથ્વી 1.59 સેકન્ડ વહેલી ફરી ગઈ. તે ફરી કે તેનું ફરી ગયું તે ખબર નથી, પણ વહેલી ફરી એટલું ચોક્કસ ! આવું અગાઉ ક્યારે ય બન્યું ન હતું. પૃથ્વીને આટલી ઉતાવળ કેમ આવી તે તો નથી ખબર, પણ છેવટે તો નારી જાતિ ખરી ને ! મન ફાવે તેમ ન વર્તે તો એ નારી શાની? આ ગરબડને કારણે 29 જૂન, 2022નો દિવસ પૃથ્વીના કેલેન્ડરમાં સૌથી નાનો દિવસ રહ્યો. હવે 1.59 સેકન્ડ તો એ આંકડો લખવામાં જ થઈ જાય એટલે એ સમયની બહુ ખબર ન પડે, પણ ધારો કે પૃથ્વીની આંટો મારવાની ઝડપ આમ જ વધતી રહે તો આપણી તો હાલત જ ખરાબ થઈ જાય કે બીજું કૈં? આમ તો પૃથ્વીને જલદી આંટો મારવાની ટેવ 19 જુલાઇ 2020થી પડી છે, એ દિવસે પણ પૃથ્વીએ 24 કલાકનો આંટો 1.47 સેકન્ડ વહેલો જ પૂરો કરી નાખેલો. તે પછી 29 જૂને તો હદ જ કરી નાખી. દિવસ 1.59 સેકન્ડ દિવસ વહેલો પૂરો કરીને પૃથ્વીએ રેકોર્ડ કર્યો. પણ આમ રેકોર્ડ કરવામાં તે 24 ક્લાકને બદલે 23 કલાકે આંટો મારી લે ને પછી જો ચાનક ચડે ને પૃથ્વી એક આંટો બાર કલાકમાં પૂરો કરવા માંડે તો, તો આપણી તો પથારી જ ફરી જાય. પથારી શું ફરે, બાર બાર કલાકે પથારી નાખવી, ઉપાડવી પડે. એટલામાં ઊંઘે શું ને ઊઠે શું? દિવસ બાર કલાકનો થાય ને ઊંઘ આઠ કલાકની લેવાની હોય તો બાકી રહે ચાર કલાક, એમાં ના’વાધોવાનું, ખાવાપીવાનું ને નોકરીધંધે લાગવાનું. એ પરવડે? બાર કલાકનો દિવસ હોય તો એ હિસાબે ઊંઘ પણ ચાર કલાક કપાય. એમ જ આઠ કલાકની નોકરી ચાર કલાકની થઈ જાય. તે તો સારું, પણ આઠ કલાકની નોકરીનો પગાર, ચાર કલાકનો રોજ થઈ જતાં, અડધો થઈ જાય તો છાતીના તો પાટિયાં જ બેસી જાય કે બીજું કૈં?

આ તો ચાલે જ કેમ? બાર કલાકનો દિવસ થાય તો સૂર્યની ડ્યૂટી પણ બાર કલાકની થઈ જાય ને સૂર્યોદય-સૂર્યાસ્ત પણ સંકોચાય ને બાર બાર કલાકે સૂર્ય ઊગવા આથમવા લાગે. ટૂંકમાં, લાઈફ જ અડધી થઈ જાય. આ તો સહન જ કેમ થાય? બધું જ વહેલું. વરસ છ મહિનામાં પૂરું થઈ જાય. નોકરીએ વહેલા જાવ ને વહેલા ઘરે આવી જાવ તો ઘરવાળીને રાહત થાય, એ ખરું ને ‘મોડું કેમ થયું?’ જેવું પુછાવાનું જ અડધું થઈ જાય તે પણ સાચું, પણ ઘરવાળીની હાલત પણ બગડે જ ને ! સવારનું ને રાતનું રાંધવાનું વહેલું કરવું પડે. લંચ ને ડિનર નજીક નજીક થઈ જાય. એવું જ સવારની ને બપોરની ચાનું ય ખરું. ઘરવાળી ઠોબલાં ઉતારવામાંથી જ ઊંચી ન આવે. હવે શું છે કે ઘરવાળો પરવડે છે એટલો રામો પરવડતો નથી. એ પણ કચરાપોતાં કરવામાંથી કે વાસણ ઉટકવામાંથી જ ઊંચો ન આવે એમ બને. જરા ખાય ત્યાં તો ઉટકવાનું સામે ઊભું હોય, કોળિયો ય ગળે કેમ ઊતરે? નોકરી કરીને ઘરે આવે ત્યાં તો ઘરકામ ઘેરી વળે. આ તો કેમ વેઠાય? ને નોકરીનું ય આખું શિડ્યુઅલ જ બદલાઈ જાય. રિટાયરમેન્ટ 30 વર્ષે આવી પડે ને પેન્શન ને નામે પડીકું વળી ગયું હોય ત્યાં બાકીની જિંદગી કાઢવી કેમ કરીને એ વાત મૂંઝવે.

આખો લાઈફ સ્પાન જ અડધો થઈ જાય. ગર્લફ્રેન્ડ વરસે વરસે બદલાતી હોય, તે છ-છ મહિને બદલાવા લાગે ને પત્ની દસ વરસે છૂટી થવાની હોય તે પાંચ વર્ષે ભરણપોષણનો દાવો માંડે ને ધણી અડધા પગારમાં આખું ભરણપોષણ આપે કે બાકીની અડધી જિંદગીમાં આખી ઘરવાળી શોધવા નીકળે તે નક્કી કરવાનું મુશ્કેલ થઈ પડે. બાળકો ચારપાંચ મહિનામાં જ અવતરવા લાગે ને પચાસ વર્ષનું લગ્ન જીવન પચીસ વર્ષનું થઈ જાય તે નફામાં. ઘરવાળી વહેલી ઘરડી થવા લાગે ને ઘરવાળો અડધા સમયમાં જ બમણો ઘરડો થવા લાગે. વાર-તહેવારની તો દશા જ બેસે. ગણેશોત્સવ પાંચ દિવસનો થઈ જાય ને નોરતા સાડાચાર દિવસના, પણ તેથી કૈં દશેરો પાંચશેરો ના થઈ જાય. સમય અડધો થાય એટલું જ. બે હજારની નોટ બે હજારની જ રહે, હજારની ના થાય. એ પહેલાં ચોવીસ કલાક ગજવામાં રહેતી, તે બાર કલાક રહે એમ બને. ચૂંટણી અઢી વરસે આવે, પણ સાંસદોને મહિને મળતું પેન્શન પખવાડિયે મળતું થઈ જાય એટલે એમને તો ઘીકેળાં જ ને !

આ તો બાર કલાકનો દિવસ થાય ને વરસ છ મહિનામાં જ પતી જાય એની વાત થઈ, પણ પૃથ્વી દિવાળીની કોઠીની જેમ આડી ફાટે ને તેની ફુદરડી ફરવાની ઉતાવળ વધી પડે તો બધું મેનેજ કરવાના ફાંફાં પડી જાય. ધારો કે ચોવીસ ક્લાકને બદલે દિવસ છ કલાકનો થઈ જાય તો, 100 વર્ષ 25 વર્ષમાં જ પતી જાય. નિવૃત્તિ 15 વર્ષમાં જ આવી જાય. એમાં ભણે શું, નોકરી શું કરે, પરણે શું ને નિવૃત્ત શું થાય? પોતાનું લગ્ન જીવન પાટે ચડે ત્યાં તો સંતાનોનાં સંતાનો ‘દાદાદાદી’ કરવા માંડે ને આપણે તો વગર લાકડીને ટેકે જ લાકડાં ભેગા થવાનું આવી પડે. એમાં જો પૃથ્વી વધારે અવળચંડી થઈ ને ભમરડાની જેમ સ્પીડ પકડે ને એકદમ જ ચકરડીએ ચડે તો આપણે તો ઘરમાં ને ઘરમાં જ ચાકડે ફરતાં જ થઈ જઇએ કે બીજું કૈં? પછી તો પૃથ્વીની બહાર ઊભાં રહીને આંગળીથી ગોળો જ ફેરવ ફેરવ કરવાનો રહે. વરસ મહિનામાં, મહિનો દિવસમાં, દિવસ, મિનિટમાં ને એમ એકાદ ફેરામાં તો બેચાર પુનર્જન્મ થઈ જાય. પછી તો કીડી જીવે કે કરસન બધું જ સરખું ! એવામાં કીડીનું આયુષ્ય કેટલું હોય તેની તો કલ્પના જ કરવાની રહે. અરે ! કલ્પના પૂરી થાય ત્યાં સુધીમાં તો કીડીને અને બીજા અસંખ્ય જીવોને મોક્ષ મળી જાય. પહાડો વલોવાવા માંડે, જ્વાળાઓ માખણની જેમ બહાર પડે, જંગલોમાં વૃક્ષો-વૃક્ષો વચ્ચે દંગલો શરૂ થાય, નદીઓ, સમુદ્રમાં ઠલવાય, સમુદ્ર સીધાં વાદળો બને, વાદળ વરસે ત્યાં તો ફરી વરાળ થાય, ભરતીઓટ, ભરઓટ ને છેલ્લે આખો ગોળો અલોપ થાય. એ પણ જવા દો, પૃથ્વી ધરી પર ફરવાને બદલે ઉપર નીચે ફરવા લાગે, તો? તો, આપણાં કેટલાં પાર્ટ્સ છૂટાં પડે તે કહેવાની જરૂર છે? સિલકમાં આકાશ જ રહે. અવકાશ. શૂન્ય. છેવટે તો ‘કૈં નહીં‘ જ રહે. મતલબ કે સનાતન સત્ય તો ‘શૂન્ય’ જ છે …

(‘કુમાર’માં ચાલતી હાસ્યની કોલમ)

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3811,3821,3831,384...1,3901,4001,410...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved