Opinion Magazine
Number of visits: 9458757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્લ્ડ બૉક્સિન્ગ ચૅમ્પિયન નિખત ઝરીન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 May 2022

નિખતની સિદ્ધિનો વિચાર અત્યારના ભારતીય મુસ્લિમ સમાજની સ્થિતિ અને સ્ત્રીઓ પરની સતત હિંસાના સંદર્ભમાં પણ થવો જોઈએ.

ભારતની યુવા બૉક્સર નિખત ઝરીન તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બની.

પચીસ વર્ષની નિખત આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી મુસ્લિમ અને પાંચમી ભારતીય મહિલા છે.

માત્ર પંદર વર્ષની વયે જ્યુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશીપની જીતથી શરૂઆત કરનાર નિખતે ગયા દાયકામાં દેશ અને દુનિયામાં અનેક મૅચોમાં જીત મેળવી છે.

હૈદરાબાદથી પોણા બસો કિલોમીટરે આવેલા કસબા નિઝામાબાદની નિખત અને તેની સિદ્ધિ વિશે કેટલીક નોંધપાત્ર બાબતો અહીં મૂકી છે.

• નિખત રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે. પણ કુલ ચાર દીકરીઓને સારી રીતે ઉછેરનારા પ્રગતિશીલ માતાપિતાનો ત્રીજા ક્રમની નિખતને ખૂબ ટેકો છે. તેના પિતા મોહમ્મદ જમીલ પોતે ફૂટબૉલના રાજ્ય કક્ષાના ખેલાડી અને ક્રિકેટર હતા. તે કહે છે : ‘ક્યારેક સંબંધીઓ અને મિત્રો અમને કહેતાં કે છોકરીઓએ એવી રમતો ન રમવી જોઈએ એક જેમાં તેમને શૉર્ટ્સ પહેરવી પડે. પણ અમે એના સપનાંને ટેકો આપ્યો. નિખતે મેળવેલી જીત મુસ્લિમ છોકરીઓ અને તમામ છોકરીઓ માટે પ્રેરણા બનશે.’

નિખતના પિતા પંદર વર્ષ સાઉદી અરેબિયામાં હતા. પણ દીકરીનો બૉક્સિન્ગ માટેનો લગાવ જોઈને તેઓ તેમના ઘરે નિઝામાબાદ પાછા આવ્યા અને સતત દીકરીની રમતની કારકિર્દીમાં સક્રિય ધ્યાન આપતા રહ્યા.

• નિખતને પહેલેથી જ રમતગમતમાં રસ હતો. તે કંઈક ટૉમબૉય પણ હતી. ટૂંકા વાળ રાખતી તેમ જ  જિન્સ-ટી શર્ટ પહેરતી, છોકરાઓની સાથે રમ્યા કરતી. શરૂઆતમાં તે અ‍થ્લેટિક્સમાં હતી, પણ તેના માટેની કોઈ  સગવડો અને તાલીમ ન હતાં. તેના પિતા તેને રમતોની સ્પર્ધાઓ જોવા માટે લઈ જતા. ત્યારે નિખતના ધ્યાનમાં આવ્યું કે બૉક્સિન્ગની એક જ રમત એવી છે કે જેમાં ક્યારે ય કોઈ છોકરી હોતી નથી. એટલે એણે એ વિશે પિતાને પૂછ્યું. ત્યારે તેમણે જવાબ આપ્યો : ‘ના બેટા. આમ તો છોકરીઓ પણ બૉક્સિન્ગ કરી જ શકે. પણ લોકો માને છે કે છોકરીઓમાં બૉક્સિન્ગ કરવાની હિમ્મત હોતી નથી. અને એટલે તેઓ છોકરીઓને બૉક્સિન્ગની રમતમાં જવા દેતા નથી.’

નિખત કહે છે  : ‘મને આ વાત એક પડકાર લાગી, મને એમ થયું કે લોકોને એમ શા માટે લાગે છે કે છોકરીઓ આ રમતમાં ભાગ લેવા જેટલી તાકાત ધરાવતી નથી ? લાવ, હું આનો અખતરો કરું, અને મેં બૉક્સિન્ગમાં જવાનું પસંદ કર્યું. પહેલાં તો સ્ટેડિયમમાં બધા છોકરાઓની વચ્ચે હું એકલી જ છોકરી બૉક્સિન્ગ પ્રૅક્ટિસ કરતી. સામેના છોકરા પાસેથી મને માર પણ ખૂબ  પડતો.

કદાચ આજુબાજુ બધા છોકરાઓ હોય તેવા માહોલમાં પ્રૅક્ટિસ કરવાના એ દિવસોએ મારું મનોબળ વધુ મજબૂત બનાવ્યું.’

• નિખતના માતા પરવીન સુલતાના પણ હંમેશાં તેને બળ આપતાં રહે છે. જો કે બૉક્સિન્ગમાં નિખતને જ્યારે પહેલી વાર ચહેરા પર મોટી ઇજા થઈ ત્યારે તે ખૂબ ડરી ગયાં. એક છોકરા સાથેની પ્રૅક્ટિસ બાદ  નિખત જ્યારે લોહીવાળા ચહેરે અને સૂજેલી આંખે ઘરે આવી ત્યારે તેઓ ધ્રૂજવાં લાગ્યાં. તેમણે દીકરીને કહ્યું : ‘બેટા, મૈંને તુમ્હેં બૉક્સિન્ગમેં ઇસલિએ નહી ડાલા કી તેરા ફેસ ખરાબ હો જાયે. ફિર  તુઝસે કોઈ શાદી નહી કરેગા.’ નિખતે જવાબ આપ્યો : ‘અરે અમ્મી ટેન્શન નકો લો. નામ હોગા તો દુલ્હોં કી લાઇન લગ જાયેગી.’ 

• જો કે પછી પરવીન ટેવાઈ ગયાં. હવે ઇજા થાય તો તેઓ નિખતને સહેજ બરફ ઘસી નાખવાનું સહજ  રીતે કહી દે છે. નિખત કહે છે કે , ‘હવે તો મારી મા જાણે મારી કોચ બની ગઈ છે. એ અને મારા પપ્પા મારી બધી મૅચો જોવે છે, અને મૅચ પૂરી થાય એટલે મને રમત દરમિયાન થયેલી મારી ભૂલો બતાવે છે ! લોકોને હવે બૉક્સિન્ગ શું છે તેનો બરાબર ખ્યાલ આવી ગયો છે. મને ખુશી છે કે મારી મા જૂનવાણી માનસમાંથી બહાર આવી ગઈ છે.'

• નિખત 2017ના વર્ષમાં ઇજાગ્રસ્ત થઈ. તેનો જમણો ખભો ઊતરી ગયો. એક તબક્કે તો એવું થયું કે તે ક્યારે ય રમી નહીં શકે પણ દૃઢ નિશ્ચયથી તેણે સારવાર લીધી. એક આખું વર્ષ એમાં ગયું, પણ તે એમાંથી બહાર આવીને ફરીથી રમતી થઈ.

• ભારતની બૉક્સિન્ગ ચૅમ્પિયન મેરી કૉમ નિખતની રોલ મૉડેલ છે. જો કે પોતાની ઊપર સતત  ઝળુંબતા મેરી કોમના પડછાયાથી યુવાન નિખતે અજંપો પણ અનુભવ્યો છે. ટોકિયો ઑલિમ્પિક્સમાં તેની પસંદગી થવાની છે તેની જાણ થતાં નિખતે સત્તાવાળાઓને પત્ર લખીને મેરી કૉમ સાથે મૅચ રમવા માટેની માગણી કરી. મેરી કૉમને આવી મૅચ રમવા માટે ખચકાટ હતો. નિખતની આ પ્રકારની માગણીને કારણે રમતજગતમાં ખાસી હલચલ મચી. એ મૅચ રમાઈ, તેમાં નિખત હારી. નિખતે મેરીને જીત માટે વિશ કરવા હાથ લંબાવ્યો. પણ મેરીએ તેને પ્રતિભાવ ન આપ્યો. જો કે હવે નિખત પેરિસ ઑલિમ્પિકના ધ્યેયથી તૈયારી કરી  રહી  છે. તેના માટે  તેને અત્યારની  52 કિલોગ્રામની  કૅટેગરીમાંથી 54 કિલોગ્રામની કૅટેગરીમાં પ્રવેશવું પડશે.

• સલમાન ખાનની ચાહક નિખત પોતાની પર બાયોપિક બને તો હિરોઇન તરીકે આલિયા ભટ્ટ હોય એમ ઇચ્છે છે ‘કારણ કે મને ખંજન છે અને એને પણ છે.’

• અત્યારે ચૅમ્પિયનશીપ ઉપરાંતનો નિખતનો બીજો આનંદ છે ‘ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું મારું સપનું સાકાર થયું.’

• નિખત માને છે કે હિજાબ પહેરવો કે નહીં તે દરેકની સગવડ અને પસંદગીની બાબત છે. તે કહે છે : ‘મને વેસ્ટ અને શૉર્ટસમાં બૉક્સિન્ગ કરવી ગમે છે એટલે હું કરું છું. હું હિજાબ પહેરું તે માટે મારી પર  કોઈ દબાણ નથી કરી રહ્યું. એ દરેકની પસંદગીનો મામલો છે અને એ બાબતને આપણે માન આપવું જોઈએ.’

• સોમવારના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને The Meaning of Nikhat Zareen in Today’s Indiaમાં સિદ્ધાર્થ સક્સેના લખે છે કે નિખતે પુરુષપ્રધાન માનસને તો ધક્કો માર્યો જ છે, સાથે તેની હિમ્મત યુવા મુસ્લિમ વર્ગ માટે આશાનો સંદેશ પણ લઈને આવે છે.’

‘ટાઇમ્સ’નો આ લેખ નિખતની સિદ્ધિને અત્યારના ભારતમાં મુસ્લિમોની અત્યંત જોખમકારક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી મૂલવે છે. ગયા શનિ-રવિએ નિખત જ્યારે ચૅનલ્સ અને પોર્ટલ્સને  ઇન્ટર્વ્યૂઝ આપી રહી હતી ત્યારે મધ્ય પ્રદેશમાં એક માણસની મુસ્લિમ હોવાના શક પરથી હત્યા કરવામાં આવી.

ત્રણ વર્ષ પૂર્વે નિખતે કહેલી વાત લેખકે ટાંકી છે : ‘જો મારા ખુદાએ મને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં મોકલી, તો પછી એ જ ખુદાએ મને છોકરાઓ સામે ડર્યા વિના ઝીક લેવાની જિદ પણ આપી, જેમાંથી આખરે મને સમજાયું કે મારી ટૅલેન્ટ, આંતરિક શક્તિ બૉક્સિન્ગમાં છે. હવે બધું બરાબર બેસે છે ને ?’

સૌજન્ય  : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, 20, 22, 23 મે 2022

https://indianexpress.com/article/idea-exchange/nikhat-zareen-world-champion-boxing-india-olympics-7930972/?fbclid=IwAR1BqRDCtLf0EM4xUThzHCamdydwlNDT-eCpvQv-oa81Z_Wr0587nwk1CWA

24 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

પત્ની પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે કે કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.

કાયદો તો મોડો વહેલો કોઈ ચુકાદો આપશે, પણ આપણે આ મામલે સામાજિક તેમ જ માનવીય દૃષ્ટિકોણ રાખીને વિચારવા જેવું છે. કોઈ કાયદા ન હતા, ત્યારે પણ સ્ત્રીપુરુષ તો હતાં જ ! ને એમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એ જૈવિક, કુદરતી જરૂરિયાત હતી. એ વખતે પણ સંમતિ, અસંમતિની વાતો ચર્ચાઇ જ હશે. જેને આજે સ્વૈચ્છાચાર કહીએ છીએ તે જ કદાચ ત્યારે સહજ બાબત હતી. સ્ત્રીપુરુષ સંબંધો પર કદાચ નિયંત્રણો પણ ઓછાં હતાં. એ પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો, લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી ને સ્ત્રીપુરુષ સંબંધોને માન્યતા આપવાની વાત આવી. બીજા શબ્દોમાં કહીએ તો એવું ઠરાવાયું કે જેનાં લગ્ન થયાં છે, એ સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધને જ સમાજ માન્ય ગણવા અથવા તો જેમણે સંબંધમાં મુકાવું છે તે સ્ત્રીપુરુષે લગ્નનાં બંધનમાં બંધાવું અનિવાર્ય છે. એ સિવાય કોઈ સંબંધમાં મુકાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે. એ સંબંધ અવૈધ ગણાશે. એને લગતા કાયદાઓ અમલમાં આવ્યા ને એમ એક વ્યવસ્થા ઊભી થઈ.

એક સમય હતો જ્યારે સ્ત્રી પરાવલંબી હતી. તે પિતા કે પતિનો બોજ હતી, જવાબદારી હતી. લગ્ન નિમિત્તે તે એક સંપત્તિની જેમ વ્યવહારમાં મુકાતી. તેના પર અધિકાર થઈ શકતો અને તે ગુલામ કે દાસીનું જીવન જીવતી હતી. તેની ઈચ્છા કે અનિચ્છાની તો કોઈ વાત જ ન હતી. તેણે કાયમી ધોરણે આજ્ઞાંકિત જ રહેવાનું હતું. પિયરમાં હોય તો પિતાની આજ્ઞા ને સાસરે જાય તો પતિની આજ્ઞા સર્વોપરિ ગણાતી. પરમેશ્વર પછી પતિ હતો એવું ન હતું, પતિ જ પરમેશ્વર હતો. તે ઈચ્છે ત્યારે ને ઈચ્છે તેમ પત્ની સાથે વ્યવહાર કરી શકતો. પત્ની સાથે સંબંધ બાંધવો હોય તો પત્ની રાજી છે કે કેમ તે પુછાતું ન હતું. તે તો રાજી જ હોય એમ મનાતું હતું અથવા તો તેણે રાજી જ રહેવાનું હતું એ એકદમ સ્પષ્ટ હતું. સ્ત્રીની મરજી દરેક કાળમાં ગૌણ હતી ને છે.

એટલું ખરું કે શિક્ષણ અને સમજ વધતાં સ્ત્રીનો મહિમા વધ્યો છે. તેની ઈચ્છા, અનિચ્છા જોવાતી થઈ છે. લગ્ન માટે પણ તે પોતાની પસંદગી જણાવતી થઈ છે. લગ્ન સાથે કે લગ્ન વગર પણ તે રહેતી થઈ છે, પણ બંને પ્રકારમાં શરીર સંબંધ માટે તેની ઈચ્છા ભાગ્યે જ પુછાતી હોય છે. તેમાં એક માન્યતા એવી છે કે તેની ના એટલે હા છે ને હા તો હા છે જ ! એનો લાભ પુરુષો લેતા હોય છે. એટલે કે સ્ત્રીની ના તો હોઈ શકે જ નહીં, એવી માન્યતાથી આખું જગત પીડાય છે. પણ, હવે વાત થોડી બદલાઈ છે. સ્ત્રી સ્પષ્ટ અને તીવ્ર નકાર ભણતી થઈ છે. એ નકાર છતાં દુષ્કર્મનો ભોગ સ્ત્રી બનતી આવી છે ને જીવ ગુમાવવા સુધી પણ ગઈ છે. લગ્ન સિવાયના સંબંધમાં બે શક્યતાઓ છે. એકમાં સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ હોય અને પરણે ને સંબંધમાં મુકાય કે લગ્ન સિવાય સંબંધમાં મુકાય. આ બંને પરિસ્થિતિમાં બંને રાજી હોય એવી ઘણી બધી શક્યતાઓ છે. મતલબ કે બંને સંમતિથી જોડાય છે. બીજામાં, પરિચય હોય કે ન હોય, પણ સ્ત્રીની સંમતિ નથી અને તેને કોઈ પણ રીતે પુરુષ મેળવવા મથે છે ને તેને અનેક પ્રકારે હાનિ પણ પહોંચાડે છે. આ અપરાધ છે ને તે ક્ષમ્ય નથી.

રહી વાત લગ્નની. તો એમાં પ્રેમીઓ લગ્ન સુધી પહોંચે છે ને પરસ્પરની સંમતિથી સંબંધમાં મુકાય છે. એમાં પણ સમય જતાં એવી સ્થિતિ આવે છે કે એકની ઈચ્છા ન હોય ને બીજાની હોય. છતાં સંબંધ થાય ને કોઈ એક શરણાગતિ સ્વીકારી લે તો વાત જુદી, પણ એકનો તીવ્ર વિરોધ હોય ને સંબંધ થાય તો એ દુષ્કર્મ જ ગણાય. એવું એરેન્જ્ડ મેરેજમાં પણ બની શકે. એમાં પરિચય ઓછો હોય ને બેમાંથી કોઈ એક સંબંધ માટે તૈયાર ન હોય છતાં સંબંધ થાય તો એમાં પણ કોઈ એક શરણું સ્વીકારી લે ને સંબંધ થાય તો બહુ વાંધો કદાચ ન પડે, પણ પછી એ રોજનું થઈ પડે ને કોઈ એકને સમય જતાં રસ જ ન રહે ને સંબંધ થાય તો એ પણ દુષ્કૃત્ય જ ગણાય. ડિબેટ અહીં છે. ન્યાયતંત્રમાં પણ અહીં મતભેદ છે. એક વાત સ્પષ્ટ છે કે લગ્ન સંબંધની અપેક્ષાએ જ થતાં હોય છે. લગ્ન કરનાર જાણે છે કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એકબીજાને સંબંધની અનુમતિ આપે છે. એવું ન હોય તો લગ્નની જરૂર જ ક્યાં રહે છે? હવે જો લગ્ન પરસ્પરની સંમતિથી થતાં હોય તો તેમાં સંબંધની અનુમતિ આવી જ જાય છે. એટલે કે લગ્ન સ્ત્રીને કે પુરુષને એકબીજા સાથેના સહવાસનો અધિકાર સ્થાપી આપે છે. જો એ શક્ય હોય તો પછી એકની સંમતિ હોય કે ન હોય, બીજો  ભોગવટાનો અધિકાર આગળ કરીને સામાની ઈચ્છાને અવગણી શકે. સંબંધની અનિવાર્યતા પ્રમાણવાને લીધે જ લગ્ન અસ્તિત્વમાં આવતાં હોય તો સંમતિ એમાં આપોઆપ જ વણાયેલી છે, એવું નહીં? એક વાત એ પણ છે કે લગ્ન સંમતિ હોવાને લીધે જ શક્ય બને છે અથવા સંમતિ છે એવું માની લેવામાં આવે છે. એમાં પણ સમય જતાં કંટાળાનો, અણગમાનો, ત્રાસનો અનુભવ થાય છે. એવે વખતે એકને ન ગમે ને તે સંમત ન થાય તો બીજો લગ્ને તેને ભોગવટાનો અધિકાર આપ્યો છે એવો દાવો કરીને અધિકાર ભોગવતો જ રહે તો તે શોષણ જ છે, દુષ્કર્મ જ છે. તેની સામે ફરિયાદ એટલે ન થાય કે લગ્ને અધિકાર આપ્યો છે? લગ્ન જો પવિત્ર બંધન હોય તો તે શોષણનો અધિકાર કેવી રીતે આપી શકે? આમાં સમજૂતી કામ આવી શકે. એટલે કે અમુક પ્રસંગે કોઈ એકની ઈચ્છા ન હોય તો પણ સમયની ઈચ્છાને માન આપીને કોઈ એક એડજસ્ટ કરે તો માત્ર સંમતિને નામે લગ્નને દાવ પર લગાવવાનું ન બને.

બનવું તો એવું જોઈતું હતું કે કોઈ એક બદઇરાદાથી સંમતિ ન આપતું હોય તો, પોતાનાં જ પાત્રની ઈચ્છા નથી તો તેને માન આપીને તેટલા પૂરતું પૂર્ણવિરામ બીજો મૂકે અથવા તો પોતાની જરૂરિયાત સમજાવીને સંબંધ માટે રાજી કરે. કોઈ એક જો એક વખતે થોડું જતું કરે તો બીજું, બીજી વખત જતું કરે ને એમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે એ લગ્નમાં સંભવિત છે. જો બે વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય તો એટલું જતું કરવાનું કોઈને ય અઘરું ન બનવું જોઈએ ને જો પ્રેમ જ નથી, તો સંમતિ હોય કે ન હોય, ક્યાંકથી તો કોઈ કાયદો પોતાનો હક કરવા આગળ આવશે જ. પ્રેમ કે લાગણી હશે ત્યાં કાયદાની જરૂર નહીં પડે ને પ્રેમ જ ન હોય તો કાયદાની તો ખોટ જ ક્યાં છે? અનિવાર્ય છે તે સ્નેહ. એ હશે તો સંમતિ કોઈ એકની કદી નહીં હોય, બંનેની જ હશે ને કોઈ એકની હોય તો બીજો સમજૂતીથી અથવા સમાધાનથી કામ લે એ વધારે મહત્ત્વનું છે. સ્નેહ નહીં હોય તો ને ત્યાં જ કાયદો યાદ આવશે. કાયદો યાદ કરવો પડે એ જ બતાવે છે કે સ્નેહની બાદબાકી થઈ ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

રામભક્ત રંગબાજ : કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

કિરણ કાપુરે|Opinion - Opinion|23 May 2022

રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે, અને અત્યારે તે નામ ચર્ચામાં છે, તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર છે અને તેઓ દેશના ગ્રામિણ પરિવેશથી માંડીને શહેરી ચમકદમક ભર્યાં જીવનને સારી રીતે સમજે છે. તેમનાં પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટી.વી. ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે. આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગલેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.

હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુકલ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવાં નામો તેમાં તરત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ-મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલાં તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલાં જાતભાતનાં વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરા ય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે. અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલાં સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે. વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે. અને આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત ‘રામભક્ત’ છે. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ લીધું. માટે જ તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પણ આસ્થા ધરાવે છે. જો કે પાંડે પાસેથી શિક્ષણ લેતાં લેતાં સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે. અને તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેનાં કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.

આપણા દેશના કોઈ પણ નાનાં શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છે. જેમાં દોસ્તી છે, સહભાગિતા છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ-મુસ્લિમોના ઝઘડા થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સીમિત છે.

આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજનો આ માહોલમાં ભંગ ત્યારે પડે છે, જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતાંવેત જ ભા.જ.પ.ને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે, પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાનાં-નાનાં નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ-મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ-મુસ્લિમ તરીકે જોવા લાગ્યા. અને તેમાં પિસાય છે પહેલાં આશિકનું દરજીકામ અને પછી તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાંથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. અને એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?”

ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાંક સંવાદ સમાજનું પરિદૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે : “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું : “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે, જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી છે. એક તરફ  ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બૂ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈના રંગ પૂર્યાં છે. જો કે હિંદુ મિત્રોની જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત કરી શકે છે. પરંતુ તેના આ વિજય વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો. અને તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરુણ અંજામ આવે છે.

નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતી કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશાં થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, રામનો માર્ગ પીડાનો છે. આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. આ નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ જતાં પહેલાં તે પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી નિરાશા અનુભવે છે. પરંતુ તેમ છતાં દેશ છોડતાં પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાગે પગંબર કે વારિસ હમેશા કે લિએ સુખી હો ગયે? શાંતિ કી ખાતિર કૃષ્ણ ને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હમેશા કે લિએ સમુદ્ર મે સમા ગઈ.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,3801,3811,3821,383...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved