Opinion Magazine
Number of visits: 9670935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી મૂલ્યો – વિચારોનું એક લેખકને માટે સાંપ્રત સમયમાં મહત્ત્વ …

પ્રતિભા ઠક્કર|Opinion - Opinion|3 October 2022

લેખક અને લેખન – 

       સત્ય, અહિંસા, સાધન-શુદ્ધિ એ તે કઈ બલાનું નામ 

       કોણ હતા એ ગાંધી અને કોણે દીધું’તું બધું સાંધી ?

       આ તો, ભાઈ, એવી થઇ ભવાઈ કે કામે લાગ્યા મુન્નાભાઈના ગાંધી … 

સાંપ્રત સમયમાં ગાંધી – મૂલ્યો કે વિચારો વિષે વિચારીએ ત્યારે અને એમાં પણ એક લેખકને માટે ત્યારે એક બહુ જ અસ્પષ્ટ ચિત્ર નજરે ચડે છે. મનમાં એક ચિંતાનો માહોલ ખડો થઇ જાય છે.

એક બાજુ યોજાતા એવોર્ડ સમારોહો, મહેફીલો, રેલીઓ, પ્રદર્શનોમાં અટવાયેલાં ગાંધી ચિત્રો જાણે ગુંગળામણ અનુભવતાં જોવા મળે છે. અને સ્વતંત્ર બુદ્ધિથી સામાજિક નિસ્બત સાથેનાં લેખન સામે એક પ્રશ્નાર્થ ઊભો થઇ ગયો છે. એક ધૂંધળું ચિત્ર નજર સામેથી પસાર થાય છે.

એક બાજુ માનવ આકારનાં ઘેટાંનાં ટોળાં જેવો દેખાતો સમૂહ જે લાભાર્થી લેખકોનો છે એ હાથમાં અવનવા એવોર્ડ્સ – માનપત્રો લઇ હરખાતાં હરખાતાં પસાર થાય છે, અને બીજી બાજુ બહુ થોડાં ‘માનવ’ આક્રોશ ભર્યા ચહેરાં સાથે સામાજિક નિસ્બત જાળવી લખતાં, બોલતાં નજરે ચડે છે.

અહીં મારી આજની વાત શરૂ થાય છે કે, આ પરિસ્થિતિમાં ગાંધી વિચારો અને મૂલ્યો ખૂબ જરૂરી બની રહે છે. આમ તો કોઈ પણ સમયની સમસ્યાનાં ઉકેલ માટે ગાંધીનાં ‘સત્ય’, ‘અભય’, ‘સાધનશુદ્ધિ’ આ ત્રણ સનાતન મૂલ્યોની પરખ રાખી અને અમલમાં મૂકી લખાતું સાહિત્ય માનવીય ગૌરવ ને પુરસ્કૃત કરે છે, નહિ કે સત્તાસ્થાને બેસેલાઓની ચાપલુસી કરી મેળવાયેલ પુરસ્કારો.

આપણી આસપાસના પ્રવર્તમાન માહોલમાં સ્વાર્થની આ દૌડ બહુ ભયંકર બનતી જાય છે. ચારે બાજુ ગુન્ડાગીરી, ચાંચિયાગીરી, ચમચાગીરી કે ઘેટાંગીરી જેવા શબ્દો જ્યારે લખનારા વર્ગનાં લોહીમાં ભળી ગયા હોય, ત્યારે આપણી સાથે જીવતાં લોકોની સંવેદનાઓ ને જીવતી રાખવાનો કસબ આપણને ગાંધી વિચારોમાંથી ચોક્કસ મળી આવે.

માત્ર ને માત્ર ઉપભોક્તાવાદમાં ફસાયેલો આપણો સમાજ, સત્તાનાં રાજકારણને ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી ચલાવી લેનાર આ સમાજને જો કોઈ બચાવી શકે એમ હોય તો આ વિચારોનો ફેલાવો અને સમજ જ બચાવી શકશે.

રેગીસ્તાન બનતાં જતાં લોકોનાં ભાવજગતને ઢંઢોળવા સામાજિક નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે અને લોકો સુધી પહોંચશે તો સ્વસ્થ સમાજ બનવા તરફ ગતિ કરશે.

ગાંધી વિશેનાં સાચા ખોટા લખાણો સર્વે ઊગતી પેઢીને ગેરમાર્ગે દોરે છે ત્યારે હકીકતનાં ભય વગર અને કોઈ પણ જાતની લાલચ વગર સત્ય સાથે લખનારા લેખકોની હત્યાઓનો સિલસિલો એ આ સદીની સહુથી મોટી દુર્ઘટના ગણી શકાય ત્યારે ગાંધી વિચારો અને મૂલ્યોનાં પુન:સ્થાપનની તાતી જરૂરત છે.

ઉપભોક્તાવાદને હિસાબે આખો સમાજ એક બજાર બની ગયું છે, ત્યારે બજાર કિંમત અને મૂલ્યોનાં અર્થ વચ્ચે તફાવત છે. લેખનનાં મૂલ્યોને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર વાહ-વાહી  મેળવવા માટેનું લખાણ સમાજ માટે પ્રશ્નાર્થ છે. ત્યારે આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને જીવનનાં મૂલ્યો સમજે અને ગાંધી વિચાર પ્રમાણે સત્ય અને અભય અપનાવી નિરર્થક અને દૂષિત વિચારો અને પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી લેખકોની છે.

ધાકધમકી અને પ્રલોભનોને વશ થયા વગરનું, નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે, અને લોકો સુધી પહોંચશે તો ચોક્કસ પરિણામ મળશે. અલબત્ત, વેચાઈ ચૂકેલું લેખન જગત અને પત્રકારત્વ જગત જોઈને આમાં કશું થઇ શકે નહિ એવું કહીને રેતીમાં મોં ખોસીને બેસી ન રહેતા ગાંધીગીરીને વધુ વિશાળ ફલક પર લાવવાની જવાબદારી નિસ્બત ધરાવનાર લેખકોની જ છે.

કળા ખાતર કળા નહિ પણ લેખન પ્રતિબદ્ધતા જાળવવા માટે ગાંધીનાં સત્ય, અભય અને સાધન શુદ્ધિ જેવાં મૂલ્યો આજના સમયમાં પ્રસ્તુત છે.

(‘ગુજરાતી લેખક મંડળ’ સંપાદિત ‘ગાંધી’ ૧૫૦ વિશેષાંક )
સૌજન્ય : પ્રતિભાબહેન ઠક્કરની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોણ સમજશે

બીજલ જગડ|Opinion - Opinion|3 October 2022

બધા પ્રશ્નો ફૂઝુલ છે કોણ સમજશે ?

નિર્દોષ છે ભૂલ સાચું ખોટું કોણ સમજશે?

માનું છું સઘળું જરા યે શક કર્યા વિના,

વાત સાચી છે નથી ભ્રમણા કોણ સમજશે?

આ કશી ફરિયાદ છે એ ના સમજીશ કદી,

મારું મન ના ઠલવાયું આ કોણ સમજશે ?

શબ્દોમાં નહિ આવી શકે સઘળી એ વાતો,

ગંભીર છે પ્રેમની કથાઓ  કોણ સમજશે?

પણ હવે આ બધું ય કહેવામાં સાર શો ?

દિલની વાતો દિલમાં રહી કોણ સમજશે ? 

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

નવરાત્રિ કે લવરાત્રિ કે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 October 2022

એક સમય હતો જ્યારે નવરાત્રિના તહેવારોમાં ઘરની સ્ત્રીઓ પરવારીને, મહોલ્લામાં ગરબે રમવા ઊતરતી. માતાની આરતી ગવાતી. બોખી લાઇટો આંગણું પણ માંડ અજવાળતી ને અગિયાર, બાર સુધીમાં પ્રસાદ લઈને મહોલ્લો ઘર ભેગો થતો. ક્યાંક ક્યાંક ગરબા શરદપૂનમ સુધી ચાલતા. શરદ પૂનમની દૂધ જેવી ચાંદની ને માતાજીનાં ગરબાનું અજવાળું જ ત્યારે પૂરતું થઈ પડતું. એમાં ગરબો એક મહિલા ગવડાવતી અને બીજા રમનારા તે ઝીલતા. ગાયિકાનો અવાજ એટલો ઊંચો તો રહેતો જ કે તે બધાંને પહોંચતો. એનો એવો જ બુલંદ પડઘો પણ ઊઠતો. એવા કોઈ ખાસ વાજિંત્રો પણ ત્યારે હતાં નહીં એટલે માત્ર ગાયિકાના અવાજ પર અને તાળીઓ પર જ આધાર રહેતો. હવે હાલત એ છે કે ગરબો ગવડાવનારી મહિલાનો અવાજ માઇક પરથી ફૂટતો હોય, તો પણ તે પહોંચવાની મુશ્કેલી એટલી હોય છે કે ‘ઝીલવા’નું ઓછું જ બને છે. વાંક દર વખતે ગાયિકાનો જ હોય છે, એવું નથી, ઝીલનારા પણ ક્યારેક બેધ્યાન હોય છે ને એ પડઘો પાડી શકતા નથી. કેટલાંક ગરબાવીરો તાળીઓ પાડીને જ રાજી હોય છે. એમને એવું હોય છે કે આપણું કામ તાળીઓ પાડવાનું છે ને બીજા ગાય જ છે તો આપણે ગળું બગાડવાની શી જરૂર છે? એમનો ઉપકાર એટલો કે એ ચૂપ રહીને ઘણાના કાન બચાવી લે છે. એટલું છે કે સ્ત્રીઓ અને યુવાનો આ મામલે ગંભીર હોય છે. તેઓ સિન્સિયરલી એમાં પ્રવૃત્ત થાય છે. એને માટે તેઓ મહિનાઓની ટ્રેનિંગ લે છે.

કેટલા ય ડાન્સ-ગરબા ક્લાસોને સમૃદ્ધ કરવાની જવાબદારી એમણે ઉપાડી હોય છે. એ સાથે જ થોડી જવાબદારીઓ ઘટાડી પણ હોય છે, જેમ કે દોઢિયું કે અન્ય સ્ટેપ્સની સઘન ટ્રેનિંગ લેનારાઓએ ગાવાનું લગભગ બંધ જ કરી દીધું હોય છે. તેઓ વર્તુળાકારે તાળીઓ ને સ્ટેપ્સનું ધ્યાન રાખે છે કે દાંડિયાંની વખતે દાંડિયાં પણ બરાબર ઠોકે છે, પણ એમાંનું દરેક જણ, મ્યુઝિક પાર્ટી ગાય ને ગવડાવે, તે જાણે તેઓ પોતે જ ગાય છે એમ હોઠ જ ફફડાવે છે. ટૂંકમાં, વ્યાયામનું રખાય છે એટલું ધ્યાન ગરબામાં ગળાનું રખાતું નથી. હવે તો એવી સગવડો પણ થઈ છે કે પ્રિરેકોર્ડેડ ગરબા કે આરતી કે થાળ, ડી.જે. પર જ મળી જાય છે ને એ વાગે છે એટલે હવે કોઈ ગાયક પણ જરૂરી રહેતો નથી કે નથી સંગીત વગાડનારની કોઈ જરૂર ! એ પણ હવે તો રેકોર્ડેડ જ મળી જાય છે. મોટે ભાગે તો એ ફિલ્મી રાગ પર આધારિત (ફ્યૂઝન) હોય છે. એમાં મંદ કે મધુર તો કામનું જ નથી. જે વાગે તે ઘોંઘાટની હદનું સૂરીલું હોય છે ને એને ફોલો કરતાં કરતાં બધાં યાંત્રિક રીતે સ્ટેપ્સ કે તાળીઓ લેતા રહે છે. ગરબા લોકલ હતા, તે હવે આંતરરાષ્ટ્રીય થયા છે. તે શેરીઓમાં છે, એમ જ પાર્ટી પ્લોટ પર કે ઇન્ડોર સ્ટેડિયમ જેવામાં ભવ્યથી વધુ ભવ્ય રીતે થાય છે ને નવે નવ દિવસ બધાંને જલસા પડી જાય છે. ભીડ પણ તીડની જેમ તૂટે છે.

એમાં માતાજીનું તો બહાનું હોય છે, બાકી બધાં જ ‘રમે’ છે. એટલું છે કે બધાંને જ અનેરો ઉત્સાહ હોય છે. ‘ગરબો’ હવે એવું ઠેકાણું છે જ્યાં માતાજી મળે કે ન મળે, પણ પ્રેમીઓ મળી જતાં હોય છે. જેમને સીધું મળવાનું અનુકૂળ નથી, તેવા મિત્રો, પ્રેમીઓ ગરબાને નામે મેળ પાડી દેતા હોય છે. ઘણા ગરબાનું કહીને એવે નામે પણ જતાં હોય છે, જ્યાં એકાંત મળી રહે. એકાંત એક કરે છે ને ઘણાંની વાતો લગ્ન સુધી પણ પહોંચે છે. ઘણાંની મૈત્રી થાય છે, ઘણાંની મૈત્રી, બીજા મિત્રોની (હકીકતની) જાણ થતાં તૂટે પણ છે. આ બધાંમાં માતાજી ઓછાં ને ગાયનેક વધારે યાદ આવે એમ બને. બધે જ આવું છે એવું નથી, ક્યાંક સાત્ત્વિક ભક્તિ ને શક્તિનો મહિમા થાય જ છે, પણ ભક્તિ ને શક્તિને નામે વિ-ભક્તિ ને અ-શક્તિનો પરચો વધારે મળે છે. આમ તો એ ભક્તિના દેખાડાનું પરિણામ જ વિશેષ છે. અગાઉ ક્યારે ય ન હતો એવો દેખાડો અત્યારે ધર્મને નામે થાય છે. બધે જ ધર્મનું પ્રચલન એટલું વધ્યું છે કે તે ઘરમાં પણ પાળી શકાય એ હવે સાચું લાગતું નથી. એવું પણ નથી કે ધર્મમાં ઇનવોલવમેન્ટ વધ્યું છે. જે વધેલું દેખાય છે તે કોઈને દેખાડી દેવા કે બતાવી દેવા માટે છે. તે સ્પર્ધા કે ઈર્ષા માટે છે. એમાંથી કોઈ ધર્મ કે કોમ બાકાત નથી.

નવરાત્રિનો ઉત્સવ પણ ધર્મ માટે ઓછો અને (ગેર)લાભ માટે વધુ જણાય છે. આમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો કોઈક ને કોઈક રીતે જોડાય છે, એટલે પ્રશ્નો પણ બધી ઉંમરનાને થાય છે. ખાસ કરીને બધી ઉંમરની સ્ત્રીઓ, આ તહેવારમાં ચિંતાનો વિષય બની રહે છે ને યુવાનોનું નજીક આવવાનું બને છે એટલે કુટુંબ માટે પણ એ ઘણી રીતે સમસ્યારૂપ બની જતું હોય છે. મોડી રાત સુધી સંતાનો મેદાનો પર હોય છે ને એની માબાપને ચિંતા સ્વાભાવિક રીતે જ થતી હોય છે, એનો ઉકેલ હવે એવી રીતે પણ શોધાયો છે કે એક બટન દબાવવાથી માબાપને એ ખબર પડી જાય છે કે નવરાત્રિ ઉપરાંત પણ સંતાન ક્યાં છે? તેની વિગતો એક એપ્લિકેશન પરથી મળી રહે એવી વ્યવસ્થા શોધાઈ છે. સંતાન કોઈ મુશ્કેલીમાં હોય તો તેની જાણ આ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. બીજા શબ્દોમાં મા-બાપ ઇન્ક્વાયરી એપથી સંતાનોની જાસૂસી કરતાં થયાં છે. આવી ઇન્ક્વાયરી કરનારા વાલીઓ છે જે નવરાત્રિમાં સંતાનો પર વોચ રાખવા માંગે છે. બટન દબાવતાં જ કોણ, ક્યાં, કેટલું રોકાયું તે માહિતી આવી મળે છે. એ એપ માબાપે સંતાનનાં મોબાઇલમાં નાખવાની હોય છે. એ પછી સંતાન ઈચ્છે તો પણ તેને ડિલીટ કરી શકતાં નથી. એ દુ:ખદ છે કે માબાપ ચિંતા કરે છે, પણ સંતાનો પર ભરોસો મૂકતાં નથી. તો સંતાનો પણ માબાપથી ઘણું છાનું રાખતા હોય છે. તે વગર જાસૂસી કરવાની નોબત આવે ખરી? એ તો માબાપની જાસૂસી કરી નહીં શકતાં હોય, બાકી એ પણ એવી તક ગુમાવવા ન માંગે. મોબાઇલના પાસવર્ડ માબાપ, સંતાનોને આપતા નથી, પણ સંતાનના પાસવર્ડ મેળવવાની દાનત રાખતા હોય છે. એનો અર્થ એટલો જ કે કશુંક ગુપ્ત બંને પાસે છે જે કોઈ, કોઈને શેર કરવા માંગતું નથી. જરા વિચારવા જેવું છે કે મોબાઈલ આવ્યા પહેલાં કોઈ આટલું ભેદી હતું ખરું?

ભેદીની જ શું વાત કરવી, જે પરિણીત છે, તેઓ એકબીજા પર વધુ અવિશ્વાસ રાખે છે. પત્ની ગરબા ગાવા ગઈ છે એનો ભરોસો પતિને ઓછો હોય તો પતિએ સાથે જવું. પણ એ પોતે કોઈ સ્ત્રીમિત્ર સાથે ગયો હોય તો પત્ની, પતિવ્રતા નીવડે એવી આશા રાખવાનો અર્થ ખરો? પણ, પતિનો એવો આગ્રહ હોય છે કે પત્ની પોતાને તો વફાદાર હોય જ ! એ માટે પતિઓ લખલૂટ પૈસા ખર્ચીને પત્નીની જાસૂસી કરાવે છે કે ડિટેક્ટિવ રોકે છે. દીકરી ગરબા ગાવા ગઈ હોય તો બાપને એ ફિકર રહે છે કે તે ખરાબ સંગતમાં ન પડે, એટલે પણ તેની પાછળ ડિટેક્ટિવ મૂકી દેવાય છે. પણ દીકરીઓ માબાપ સમજે છે એટલી નિર્દોષ હવે રહી નથી. સંતાનો પણ એટલા મતલબી થયા છે કે નવરાત્રિમાં પ્રેમમાં પડે છે ને દશેરા પહેલાં બ્રેકઅપ પણ કરી લે છે. એટલે નવરાત્રિ, લવરાત્રિ પૂરતી જ કામની છે. નોરતા પૂરા થાય કે ઓરતા પણ પૂરા થઈ જાય છે. નજીક આવો ને દૂર પણ થઈ જાવ. મોટે ભાગે આવા સંબંધો બહુ સાચા હોતા નથી, કારણ કે એમાં કહેવા કરતાં છુપાવવાનું વધુ હોય છે. એનું સુખ એ હોય છે કે એમાં કોઈ ઇમોશનલી બહુ સંડોવાતું નથી. ‘કામ’ પતે કે કામ પૂરું. એટલું સારું છે કે આ વફાદારી ટૂંક સમયની જ હોય છે એટલે બહુ જવાબદારી પણ હોતી નથી. એક સમય હતો જ્યારે આવા સંબંધમાં છોકરાઓ પહેલ કરતા, હવે એવું નથી. છોકરીઓ પણ હવે ઘણી બાબતોમાં પહેલ કરતી થઈ છે ને હેતુ તો બંનેનો જેટલો સમય મળ્યો છે તેને સારી રીતે વિતાવવાનો ને પછી વીતી જવાનો જ હોય છે. આમાં બંને વચ્ચે અલગ થઈ જવાની સમજૂતી હોય તો પણ ક્યારેક એવું બને છે કે બેમાંથી કોઈ એક બ્રેકઅપ ન ઇચ્છતું હોય ને જે ન ઇચ્છતું હોય તેની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તે ડિપ્રેશનમાં સરી પડે છે. જો કે, બીજાને એથી ખાસ ફેર પડતો નથી. એ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલની એક અર્થચ્છાયા હવે મતલબી પણ છે.

એ સાચું કે જગત વિકાસની આડમાં મતલબી અને કપટી થઈ ગયું છે. એવે વખતે કોઈ સાવ નિર્દોષ પણ દંડાય એવી સ્થિતિ છે, ત્યાં માબાપ સંતાનોનું હિત ઈચ્છે ને જરૂરી પગલાં ભરે એમાં કશું ખોટું નથી, પણ માબાપોએ પણ સંતાનોની, તેમને માટેની ચિંતામાં વધારો ન થાય એ પણ જોવાનું રહે જ છે. એમ લાગે છે કે ભરબપોરે અંધકાર ફેલાયો હોય તેવી હાલત છે ને એવામાં ધર્મ જ માર્ગદર્શન કરી શકે, પણ એની ભૂમિકા દર્શનની નહીં, એટલી પ્ર-દર્શનની રહી ગઈ હોય ત્યાં ‘જય આદ્યાશક્તિ …’ ગાવાની જગ્યા જ કેટલી બચે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2022

Loading

...102030...1,3721,3731,3741,375...1,3801,3901,400...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved