Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસના ત્રિભેટે ગુજરાતનું રાજકારણ

હસમુખ પટેલ|Opinion - Opinion|14 June 2022

અનન્ય અર્ધવાર્ષિક “સાર્થક જલસો”ના નવા અંકમાંથી આ લેખ સાભાર ઉતાર્યો છે. લેખ એપ્રિલની અધવચ લખાયો હોઈ તે પછીના ઘટનાક્રમની ચર્ચા અહીં સ્વાભાવિક જ નથી. પરંતુ હાલના ઘટનાક્રમની પીછવાઈની રીતે એમાં ખાસી સામગ્રી પડેલી છે. વળી લેખક તરફથી આગામી અંક માટે તાજા કલમ પણ મળશે એ આનંદની વાત છે.

— “નિરીક્ષક” તંત્રી

આ વખતના 'સાર્થક જલસો'માં હું કોમવાદી બનવામાંથી કેમ બચ્યો તે વિશે લખવાની ગણતરી હતી. પરંતુ એ અરસામાં પાંચ વિધાનસભાનાં પરિણામ આવ્યાં. તેના પગલે ગુજરાતમાં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ભીંત પર ચીતરાઈ ગયાં હોય તેવી રાજકીય નશાયુક્ત ઉજવણી જોવા મળી. એટલે ગુજરાત ભા.જ.પ.ની ઓછી અને ગુજરાત કાઁગ્રેસની ઘણીબધી વાતો કરવા જેવી લાગે છે.

છેલ્લાં ૨૭ વર્ષથી કાઁગ્રેસ સત્તાબહાર છે, તેના મૂળમાં ભા.જ.પ. કરતાં કાઁગ્રેસ પોતે જ વધારે જવાબદાર છે. એક જમાનામાં જ્યારે ગુજરાતમાં કાઁગ્રેસનો ડંકો વાગતો હતો અને ભા.જ.પ.નું અસ્તિત્વ હજી મંડાયું પણ નહોતું ત્યારે ગુજરાત કાઁગ્રેસની નેતાગીરી આજની કાઁગ્રેસની નેતાગીરી કરતાં ગુણાત્મક રીતે ઘણી જુદી હતી.

૧૯૮૦ પહેલાં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાતની લગભગ તમામ સરકારોનું નેતૃત્વ કહેવાતા સવર્ણો અને ઉજળિયાત લોકોએ કર્યું. જીવરાજ મહેતાથી માંડીને બાબુભાઈ જશભાઈ પટેલ સુધીની સરકારોમાં ચીમનભાઈ પટેલ અને બાબુભાઈને બાદ કરતાં લગભગ બધા જ મુખ્ય મંત્રી બ્રાહ્મણ હતા. દેશમાં પણ સત્તાનાં કેન્દ્રો લગભગ આ વર્ગો પાસે જ હતાં.

એચ.એલ. કૉમર્સ કૉલેજ પાસે અર્ચિતા ઍપાર્ટમેન્ટના નાનકડા ફ્લૅટમાં રહેતા કાઁગ્રેસી નેતા અને વિચક્ષણ રાજપુરુષ માધવસિંહ સોલંકીએ ૧૯૮૦ પછી ગુજરાતમાં એક નવી રાજનીતિ ઊભી કરી. તેમની સાથે પંખા વગરના ઘરમાં વ્યારા ખાતે રહેતા ઝીણાભાઈ દરજી, નવી બંધાઈ રહેલી જીવરાજ હૉસ્પિટલના કમ્પાઉન્ડની પ્લાસ્ટર વગરની ઓરડીમાં રહેતા રતુભાઈ અદાણી, મહંત વિજયદાસજી, વડોદરાની પોળમાં રહેતા સનત મહેતા, નવરંગપુરા ખાતે નાના ફ્લૅટમાં રહેતા પ્રબોધ રાવળ, નરસિંહ મકવાણા, ત્ર્યંબકલાલ દવે, પેથલજી ચાવડા અને એકાદ અપવાદને બાદ કરતાં સાદગીને વરેલા બિનપાટીદાર નેતાઓ જોડાયેલા હતા. આ સૌ પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં નીવડેલા દિગ્ગજ રાજનેતાઓ હતા. ઊડીને આંખે વળગે તેવું પાટીદાર નેતૃત્વ નવનિર્માણ પછી ચીમનભાઈ પટેલની હકાલપટ્ટી બાદ કાઁગ્રેસમાં કોઈ જોવા મળતું નહોતું. માધવસિંહ સોલંકીના નામે એક રેકૉર્ડ તો વારંવાર દોહરાવવામાં આવે છે કે તેમણે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વિધાનસભામાં સૌથી વધારે ૧૪૯ બેઠકો 'ખામ’ થિયરીના આધાર પર મેળવી આપી. પરંતુ બીજો એક, ગુજરાત વિધાનસભામાં કાઁગ્રેસને સૌથી ઓછી ૩૨ સીટો અપાવવાનો (૧૯૮૯માં) રેકૉર્ડ પણ માધવસિંહના નામે જ છે.

કથિત ઉજળિયાતો અને મહદ્‌અંશે પાટીદારોને 'ખામ’ થિયરીના ઉદ્‌ભવ પછી ચિક્કાર અપમાનબોધની પીડા સતાવતી હતી. ૧૯૮૧ અને ૧૯૮૪માં અનામતવિરોધી આંદોલનના મૂળમાં પણ આ જ અન્યાયબોધ હતો. ખાસ કરીને ૧૯૮૪માં માધવસિંહ સોલંકીના વખતમાં ગુજરાતવ્યાપી જે હિંસા થઈ તેમાં પાટીદારોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. મહેસાણામાં પાટીદાર ખેડૂત રેલીમાં સ્થાનિક ‘ખામ’ નેતા અને પ્રધાનના ઇશારે ખેડૂતોને ગોળીઓથી વીંધવામાં આવ્યા હતા, જેને કારણે કાઁગ્રેસ પ્રત્યેનો આક્રોશ આજે ૨૦૨૨માં પણ શમ્યો નથી.

આ જ ઘટનાઓના સમાંતરે દલિતો પર પણ ઠેર ઠેર સવર્ણોએ હુમલા કર્યા. ૨૫ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ ખંભાત તાલુકાના ગોલાણા ગામે ૩,૦૦૦ લોકોનાં ટોળાંએ ચાર દલિતોને રહેંસી નાખ્યા અને ૪૦ને ગંભીર રીતે ઘાયલ કર્યાની ઘટનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. પાટીદારો અને ઉજળિયાતોનો રોષ એટલો તીવ્ર હતો કે કાઁગ્રેસ હાઈ કમાન્ડે રોકડી ૧૪૯ બેઠકો વિધાનસભામાં લાવનાર માધવસિંહ સોલંકીની જગ્યાએ રાતોરાત અમરસિંહ ચૌધરીની વરણી કરીને તથા જસ્ટિસ દવે પંચ નીમી તેને ટાઢો પાડવાની કોશિશ કરી. આ આક્રોશની તકનો લાભ સીધો ભા.જ.પે. આંચકી લીધો.

અમરસિંહે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય પ્રધાન થયા પછી તેમણે સવર્ણોની ગુમાવેલી મતબૅંક મેળવવા ભરપૂર કોશિશ કરી. ૧૯૮૬-૮૭-૮૮ના વિકરાળ ત્રણ દુષ્કાળોનો સારી રીતે સામનો કર્યો પણ તેનાથી માધવસિંહની વિદાય પછી કાઁગ્રેસનું રાજકીય ધોવાણ અટકવાના બદલે વધતું ચાલ્યું અને છેલ્લા ઉપાય તરીકે ૧૯૮૯માં વિધાનસભાની ચૂંટણી પહેલાં માધવસિંહના નામનું શસ્ત્ર ફરી અજમાવ્યું જે કરપીણ રીતે નિષ્ફળ નીવડ્યું. ૧૪૯ સીટોનો વિક્રમ તોડી સૌથી ઓછી ૩૨ બેઠકો સાચવવાનો વિક્રમ પણ માધવસિંહના નામે જમા બોલે છે.

૧૯૮૦થી ૧૯૯૦ના દશકામાં નવનિર્માણ આંદોલન થકી નાલેશી ભોગવનારા ચીમનભાઈ પટેલે પાટીદાર મતબૅંકને અંકે કરવાની ખાસ્સી કોશિશ કરી પણ જ્યારે ૧૯૮૯માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભા.જ.પ. સાથે ગઠબંધન કર્યું તે પછી જ પાટીદાર મતબૅંકના સહારે કાઁગ્રેસનો નક્કર વિકલ્પ ઊભો થવાની દિશામાં એક હવા ઊભી થઈ અને ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બિનકાઁગ્રેસી સરકારની રચના થઈ.

દિલ્હીમાં વી.પી. સિંહના વડા પ્રધાનપદ હેઠળની ભા.જ.પ. સાથેની સંયુક્ત સરકારને ભા.જ.પે. ટેકો પાછો ખેંચી લેતાં તેની સીધી અસર ગુજરાતમાં પણ થઈ. ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાંથી ભા.જ.પ.ની ફારગતી બાદ સરકાર ટકાવવા ચીમનભાઈએ કાઁગ્રેસનો ટેકો લઈ તેની ભાગીદારીથી સરકાર ચલાવી. ચીમનભાઈના અકાળે થયેલ અવસાન બાદ પાટીદાર રાજનીતિમાં વ્યાપેલી શૂન્યતા ભરવા ભા.જ.પે. કેશુભાઈ પટેલને આગળ ધરી ગુજરાતમાં કાઁગ્રેસનો નક્કર વિકલ્પ ઊભો કરવામાં સફળતા મેળવી.

ભા.જ.પ.ના જ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મહત્ત્વાકાંક્ષાનું ગ્રહણ નડતાં સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની પરચૂરણ સરકારો ડામાડોળ ચાલવા છતાં ભા.જ.પે. વચગાળામાં પાટીદારો અને હિન્દુત્વના જોરે પોતાનો મજબૂત રાજકીય ખીલો ખોડી દીધો. બોફોર્સના મામલે ચિઠ્ઠીકાંડ થયા પછી તત્કાલીન વિદેશ પ્રધાન માધવસિંહને રાજીનામું આપવાની નોબત આવ્યા પછી તેઓ લગભગ રાજકીય અરણ્યવાસમાં ગયા તે પછી તો કાઁગ્રેસની OBC મતબૅંકમાં મોટું ગાબડું પડ્યું. કાઁગ્રેસમાં વિશ્વસનીયતાની આ કટોકટીનો પડદા પાછળ રહી રાજકીય વ્યૂહરચનાના કસબી નરેન્દ્ર મોદીની શક્તિઓનો ભા.જ.પે. ભરપૂર લાભ લીધો. પાટીદારો ઉપરાંત રામમંદિરના મુદ્દે હિન્દુત્વના જોરે સવર્ણો અને ઓ.બી.સી. મતસમૂહોમાં સૂક્ષ્મ સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા નરેન્દ્ર મોદીએ કાઁગ્રેસ માટે રાજકીય જગા ન રહેવા દીધી.

આ દરમ્યાન કેશુભાઈની સરકારે જમીન ખરીદવાના ૮ કિલોમીટરની ત્રિજ્યાના નિયમને હટાવવાનો (પ્રતિ)ક્રાંતિકારી નિર્ણય કરી પાટીદારોને ન્યાલ કરી દીધા. તેનો અન્ય તવંગર સમૂહોએ પણ ભરપૂર લાભ લીધો. કાળક્રમે આ સમૂહો ભા.જ.પ.ની મજબૂત વોટબૅંક અને નોટબૅંક બન્યા.

૨૦૦૨ની ગોધરાની ઘૃણાસ્પદ ચિત્કારજન્ય ઘટનાનો માત્ર ઉલ્લેખ કરવો છે. આ ઘટનાએ આખા ગુજરાતના રાજકરણને ઉપરતળે કરી નાખ્યું. આ ઘટનાની ઓથે હિન્દુત્વની રાજનીતિનો પાયો ગુજરાતમાં મજબૂત રીતે ઊભો કરવાનું ‘શ્રેય’ નરેન્દ્ર મોદીને જાય છે. આ તબક્કે તેનાં નઠારાં અમાનવીય પાસાંનાં લેખાંજોખાં કરવાને બદલે, કોમવાદી માહોલ ઊભો કરી, મીડિયા અને માલેતુજારોના ટેકે આયોજનબદ્ધ રીતે ઊભી કરેલી પોતાની વિરાટ પ્રતિભાના ફળ રૂપે મોદીએ બેબાકપણે વડા પ્રધાનપદને આંબ્યું તે બાબત સૌ કોઈ જાણે છે. ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આ વરસોમાં કરેલું કાઁગ્રેસનું ધોવાણ અટકે અને તે તરત પુનર્જીવિત થાય તેવું અત્યારે તો કમ સે કમ વરતાતું નથી.

આ સ્થિતિ વચ્ચે ૨૦૧૫માં હાર્દિક પટેલ જેવા લબરમૂછિયા નવાસવા યુવાને ગુજરાત આખામાં પાટીદાર અનામતના નામે જે બૂંગિયો ફૂંક્યો તેનો સીધો ક્ષણિક રાજકીય લાભ કાઁગ્રેસને મળ્યો તો ખરો પણ તે જળવાઈ ન શક્યો.

અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય સેના તથા જિજ્ઞેશ મેવાણીની દલિત ચેતનાનો આવિર્ભાવ ભલે પાટીદાર અનામત આંદોલનના રિઍક્શન રૂપે થયો હોય તો પણ આખરે આ ત્રણેયનો સીધો એકંદરે ફાયદો ૨૦૧૬ની સ્થાનિક સ્વરાજની તેમ જ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં કાઁગ્રેસને થયો. અગમ્ય કારણસર શંકરસિંહે છેલ્લી ઘડીએ કાઁગ્રેસ સામે બળવો ન કર્યો હોત અને પાટીદાર આંદોલનના નેતાઓનાં ગેરવાજબી દબાણો પ્રમાણે રાહુલ ગાંધીએ વિધાનસભાની ટિકિટો ન ફાળવી હોત તો ગુજરાતમાં બિનભા.જ.પી. સરકાર રચાઈ શકી હોત.

હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે તેમની સ્લેટ સાવ કોરી હતી. પિતાના સબમર્સિબલના ધંધા માટે નિમ્નમધ્યમવર્ગના હાર્દિક પટેલ વીરમગામ વિસ્તારનાં ગામોમાં જૂના રાજદૂત પર ફરતા હતા. ૧૯૮૦ પછીની ગુજરાતની રાજનીતિએ જે કરવટ બદલી અને પાટીદારો તે પછી સંપન્ન થયા છતાં આ સમૂહમાં અનામતના મામલે એક પ્રકારના ખરાખોટા અન્યાયબોધની પ્રબળ લાગણીને વાચા આપવાનું નિમિત્ત હાર્દિક પટેલ બન્યા. તેમાં પડદા પાછળથી પાટીદાર સમૂહોના ધનિકોએ છત્ર પૂરું પાડ્યું અને પાટીદાર સમાજના લડાયક મિજાજના અન્ય નવયુવાનો પણ હાર્દિકની સાથે કાચીપાકી સમજણ સાથે કૂદી પડ્યા. આ આંદોલન એવું પ્રબળ બન્યું કે ૨૫ ઑગસ્ટ, ૨૦૧૫ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પરની પાટીદારોની અભૂતપૂર્વ મેદનીએ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું. 'ન્યૂયૉર્ક ટાઇમ્સ’ જેવા લબ્ધપ્રતિષ્ઠ અખબારે તો એક લાંબા તંત્રીલેખ દ્વારા ગુજરાતના આંદોલનની નોંધ લેવી પડી. આંદોલનની સફળતાના કેફમાં પાટીદાર ધનકુબેરોએ પણ નાણાં અને સાધનોનો ધોધ વહાવી દીધો. જૂના રાજદૂતને બદલે ઓડી, બી.એમ.ડબ્લ્યુ. કે મર્સિડિસમાં રાતોરાત આ ધનિકોએ ફરતા કરેલા હાર્દિક પટેલનું રાજકીય પોત પાતળું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

ગુજરાતનાં પહેલાં મહિલા પાટીદાર મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને કોઈ પણ વાંકગુના વગર ઘરે બેસાડવાની ભા.જ.પ.ની આંતરિક ખટપટનું નિમિત્ત પણ જાણેઅજાણે હાર્દિક પટેલ બન્યા. તેમના મહત્ત્વાકાંક્ષી સાથી તરુણોની ઈર્ષ્યાનો પણ ભોગ બન્યા. તેને કારણે જ બકરાંની લીંડીઓની જેમ આંદોલન વીંખાઈ ગયું અને છેવટે તેને કાઁગ્રેસવાસી થઈ ખૂણો પાળવાની નોબત આવી. લાખ ઉધામા કરવા છતાં, રાહુલ ગાંધીની ગુડબુકમાં હોવા છતાં, હાર્દિકનો હજી કાઁગ્રેસમાં રાજકીય પત્તો પડતો નથી. હા, વગર મહેનતે આંદોલનના જોરે મળેલી તેમની આર્થિક સંપન્નતા નરી આંખે દેખાઈ શકે છે.

સમયાંતરે અલ્પેશ ઠાકોરના પણ એ જ હાલહવાલ થયા. આજે ય ખેતરોમાં છાપરાં ખોડી કાળી મજૂરી કરી પરસેવો પાડી જીવતર ટૂંકું કરવા મથતા ઠાકોર અને ગરીબ સમૂહો માટે જગુઆર ગાડીમાં બેસી ‘મારો ઠાકોર સમાજ, મારો ગરીબ સમાજ’ના નામે ગોકીરો મચાવતા અલ્પેશની અવદશા લગભગ હાર્દિક જેવી જ થઈને રહી. કાઁગ્રેસમાંથી કૂદકો મારી ભા.જ.પ. ભેગા થઈ લીલી શાહીના જોરે ઠાકોર સમાજનો ચહેરો બદલી નાખવાનાં તેમનાં રાજકીય શમણાંને ભા.જ.પે. જ ભાંગીને ભુક્કો કરી નાંખ્યાં છે.

ઉના હત્યાકાંડ પછી જિજ્ઞેશ મેવાણીના સંઘર્ષની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે એ વાત સાચી, પરંતુ છેવટે તેમણે પણ ધારાસભ્ય (અલબત્ત, રાહુલ ગાંધીની કૃપાથી) હોવા છતાં રાજકીય રીતે ટકવા સ્વાભાવિક ક્રમમાં કાઁગ્રેસની જ ચાળ પકડવી પડી છે. કાઁગ્રેસ પર પસંદગી ઢોળવાનું તેમનું કારણ એટલું જ કે ભા.જ.પ. તેમને વૈચારિક રીતે સહેજ પણ રાશ આવે તેમ નથી. તે એક ભરોસાપાત્ર દલિત રાજકીય ચહેરો હોવા છતાં આખો દલિત સમાજ તેમની પડખે હોય તેવું આજે તો વરતાતું નથી.

ગુજરાત કાઁગ્રેસમાં સત્યાવીસ વરસથી સંગીતખુરશીની રમત ચાલે છે. ઉપરના ત્રણેય નવા ઊભરતા રાજકીય ચહેરાઓને ગુજરાત કાઁગ્રેસનું નેતૃત્વ દાદ આપતું નથી. વસૂકી ગયેલી આ નેતાગીરી માટે મરવાના વાંકે જીવતી કાઁગ્રેસ મોટી રાજકીય મરણમૂડી છે. ગુજરાત કાઁગ્રેસને બેઠી ન થવા દેવાની આ ટોળકીએ ભા.જ.પ. પાસેથી સોપારી લીધી છે, તેવું આજે તો સૌ તટસ્થ નિરીક્ષકોને લાગે છે. તેમનાં અંગત રાજકીય-આર્થિક હિતો પણ આમાં જ સમાયેલાં છે.

કાઁગ્રેસહિતેચ્છુ, 'નયા માર્ગ’ના તંત્રી, સદ્‌ગત મિત્ર ઇન્દુભાઈ જાની તેમની કૉલમમાં દરેક હાર વખતે બળબળતા હૃદયે હંમેશાં લખતા કે કાઁગ્રેસે નક્કી કર્યું છે કે ‘હમ નહીં સુધરેંગે.’ ઇન્દુભાઈની વાત સો ટકા સાચી છે. તેમને કોઈ નવું નેતૃત્વ ઊભરવા દેવું જ નથી. તેમણે પોતે થઈને કાઁગ્રેસને ટકાવવા મહેનત હરગિજ કરવી નથી, સંઘર્ષ કરવો નથી, સંગઠન ઊભું થવા દેવું નથી. માત્ર અને માત્ર રાજકીય ઐયાશી જ કરવી છે. ‘ખુદ તો મરું હું ભલે પણ વૈધવ્ય અર્પું હું તને’ એ ધોરણે પક્ષની અંદર જ કાપાકાપી કરીને મોજ માણી રહ્યા છે. ગાંધી, નહેરુ, સરદારની વિચારધારાના વારસદાર હોવાનો ઠેકો લઈને ફરતા આ ગણ્યાગાંઠ્યા નેતાઓને આ વિચારધારા સાથે સહેજે પણ નહાવા-નિચોવાનો સંબંધ નથી. નિસબત છે માત્ર રાજકીય-આર્થિક હિતો અકબંધ રાખવાની, તે પણ ચાલુ ભાષામાં કહીએ તો ભા.જ.પ. સાથે 'સેટિંગ’ કરીને. ભા.જ.પ.ને પણ આમાં કોઈ ખોટનો સોદો લાગતો ન હોય એ સ્વાભાવિક છે. કાઁગ્રેસીઓ ભલે હવે સરદારનું નામ બોલતા થયા હોય, પણ હજી હમણાં સુધી સરદારને સિફતપૂર્વક કાઁગ્રેસે વખારે નાખ્યા હતા. આ મોકો બખૂબી ઝડપીને, નરેન્દ્ર મોદી સરદાર પોતાના જ હોય તેવો માહોલ ઊભો કરવામાં કામિયાબ નીવડ્યા છે. ગાંધી-સુભાષનો પણ એવો જ રાજકીય લાભ મોદી લેવાના. એમાં મોદીનો વાંક નથી. વાંક છે કાઁગ્રેસનો.

ગુજરાત કાઁગ્રેસના પુરખાઓ ઝીણાભાઈ દરજી, રતુભાઈ અદાણી, સનત મહેતા, મહંત વિજયદાસજી, નરસિંહ મકવાણા, પ્રબોધ રાવળ, નટવરલાલ શાહ, નવીનચંદ્ર રવાણી, રઉફ વલીઉલ્લા સહિતના નેતાઓ લોકોની નાડ પારખનારા નિસબતી છતાં અંગત જીવનમાં ધોરણસરની સાદગી સાથે જીવનારા રાજપુરુષો હતા. અત્યારે તો ઇસ્ત્રીટાઇટ કપડાંમાં સજ્જ થઈને, માંડવાના છાંયડે ખુરશીઓમાં ગોઠવાતા, કહેવાતા સંઘર્ષશીલ કાઁગ્રેસીઓનો જ ફાલ બચ્યો છે. હાલમાં જગદીશ ઠાકોર અને તે પહેલાં અનેક પ્રદેશ પ્રમુખો આવ્યા અને ગયા, પણ તેઓ હરગિજ સફળ ન થાય તેની પૂરતી કાળજી ગુજરાત કાઁગ્રેસની એક ટોળકી લે છે.

નેવુંના દાયકામાં પ્રદેશ કાઁગ્રેસની રાજકીય વગને વૈચારિક ધાર આપવાના કામમાં ગુજરાતમાં ડાબેરી ઝોક ધરાવતો એક બૌદ્ધિક સમૂહ ખૂબ જ સક્રિય હતો. ધરાતલનાં કર્મશીલ જૂથોને સક્રિયપણે લોકજાગૃતિ અને સંગઠનનાં ગુજરાતવ્યાપી કામોમાં જોતરવાનું કામ આ બૌદ્ધિક સમૂહોએ અસરકારક રીતે નિભાવ્યું હતું. તેમાં સક્રિય રહેલી બૌદ્ધિક પ્રતિભાઓમાં પ્રા. રજની કોઠારી, પ્રા. ઘનશ્યામ શાહ, પ્રા. હસમુખ પટેલ, હરુભાઈ મહેતા, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, ડૉ. વિદ્યુત જોશી, રતિલાલ દવે, નરહરિ પરીખ, અચ્યુત યાજ્ઞિક, ભાનુભાઈ અધ્વર્યુ વગેરેનો સમાવેશ થતો હતો. આજે તો કાઁગ્રેસમાં આવા બૌદ્ધિક છત્રનો સાવ અભાવ છે. જે રડ્યાખડ્યા બે-ચાર બૌદ્ધિકો કાઁગ્રેસની પડખે દેખાય છે, તેમની હેસિયત સાવ જ સીમિત છે.

એક જમાનામાં સેવાદળ એ કાઁગ્રેસની કેડર (આર.એસ.એસ.ની જેમ) ઊભી કરવાનું મજબૂત માધ્યમ હતું. (આ લખનાર પણ ૫૦ વર્ષ પહેલાંના સેવાદળની પેદાશ છે.) આજે તો આ સેવાદળની ભૂમિકા આરવાળાં સફેદ ટોપી, શર્ટ અને પૅન્ટ પહેરી હાઈકમાન્ડના નેતાઓના આગમન સમયે માત્ર બ્યૂગલ અને બૅન્ડ વગાડવા પૂરતી સીમિત રહી છે.

સામા પક્ષે ગુજરાતમાં ૨૭ વર્ષથી અને દેશમાં સાત વર્ષથી એકધારી સત્તા ભોગવતાં ભા.જ.પ. અને આર.એસ.એસ. લગીરે જંપ વાળીને બેસતાં નથી. આમ તો હિન્દુત્વના ભગવા લૂગડે લપેટાયેલા રાષ્ટ્રવાદ અને જ્ઞાતિવાદનું સંમિશ્રણ મોદીને ફળ્યું છે. અગાઉ પણ વારંવાર કહેવાયું છે તેમ આ સંમિશ્રણના લોંદાને પકવવાનો ગુજરાત એ નિભાડો પુરવાર થઈ ચૂક્યું છે. ભા.જ.પ.થી છેટી રહેલી આદિવાસી અને દલિત મતબૅંકોને અંકે કરવા પણ એમણે છેલ્લાં વરસોમાં પાકું લેસન કર્યું છે. પરિણામે છેલ્લી (૨૦૧૯માં) લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને ૪૨ ટકા આદિવાસી વોટ મળ્યા હતા. તેવી જ રીતે દલિતોના ૩૪ ટકા વોટ મળ્યા હતા, જે ૨૦૦૯ની ચૂંટણીમાં ૭ ટકા જ હતા. આમ, આદિવાસી અને દલિત મતોનું પ્રમાણ ૨૦૦૯થી ૨૦૧૯ સુધીમાં ભા.જ.પે. ઠીક ઠીક માત્રામાં હાંસલ કર્યું છે અને કાઁગ્રેસના પ્રતિબદ્ધ આદિવાસી અને દલિત મતોમાં ભા.જ.પે. ઠીક ઠીક ગાબડું પાડ્યું છે. અમારા આદિવાસી કાર્યક્ષેત્રમાં ભા.જ.પ./આર.એસ.એસ.ની નોંધપાત્ર સક્રિયતા છેલ્લાં તેર વરસથી એકધારી રીતે જોઈ શકાય છે. સામે પક્ષે કાઁગ્રેસનું એક ચકલું ય ફરકતું દેખાતું નથી. આખા ગુજરાતની લગભગ આ જ સ્થિતિ હશે, અને છે. મુસ્લિમ મતો ભા.જ.પ.ને ભાગ્યે જ મળે છે, પણ આડકતરી રીતે તેની કાળજી AIMIMના અસદુદ્દીન ઓવૈસી સભાનતાપૂર્વક નિભાવીને, ભા.જ.પ.નો રસ્તો સાફ કરી આપે છે.

આ પરિસ્થિતિમાં ગુજરાતની હાલની પરિસ્થિતિ પાંચ રાજ્યનાં પરિણામો પછી શું છે તે તપાસીએ.

પ્રથમ દૃષ્ટિએ તો લાગે છે કે ૨૦૨૨માં ભા.જ..પ ફરી સત્તાનું શિખર સહેલાઈથી સર કરશે. પરંતુ કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય આનાથી જુદો પડે છે. એક હકીકત તો પુરવાર થઈ ગઈ છે કે પાટીદાર મતોનું ચૂંટણી જીતવામાં ખૂબ જ મોટું મહત્ત્વ છે. ગુજરાતમાં પંદર ટકા જેટલા પાટીદારોમાં લેઉઆ પાટીદારોનું ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. જ્યારે કડવા પાટીદારો મહદ્‌ અંશે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. ઐતિહાસિક હકીકત એ છે કે લેઉઆ પાટીદારો ઘણે અંશે સંગઠિત છે, જ્યારે કડવા પાટીદારો તેમના થોડાક સંપન્ન મોવડીઓનાં જૂથો દ્વારા દોરવાય છે. લેઉઆ પાટીદારોમાં સૌથી બિનવિવાદાસ્પદ મોટું નામ નરેશ પટેલનું છે. તે છેલ્લી બે-ત્રણ પેઢીથી આમ પણ ધંધાકીય રીતે ખૂબ સંપન્ન છે, જ્યારે કડવા પાટીદારોનાં જૂથોના નેતાઓ ભા.જ.પ.ના પ્રતાપે નવસંપન્નો છે.

બિનભા.જ.પી. સરકાર ગુજરાતમાં શક્ય છે જ તેવી ધારણાથી, નીવડેલા ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર નરેશ પટેલને આગળ કરી પાટીદાર મતબૅંકમાં ગાબડું પડાવવા મેદાનમાં આવ્યા હતા. નરેશ પટેલ સહિત કાઁગ્રેસ અને બિનકાઁગ્રેસી રાજકીય નેતાઓ સાથે મુંબઈમાં ચૂંટણીલક્ષી મૅરેથોન બેઠકો તેમણે કરી. પાટીદારોની વોટબૅંક નરેશ પટેલના નેતૃત્વ હેઠળ ભા.જ.પ.માંથી ખસી જાય તો ભા.જ.પ.ને રાજકીય રીતે મોટો પડકાર ઊભો થઈ શકે, તેવું પ્રશાંત કિશોર સહિતના રાજકીય નિષ્ણાતો માને છે. તેથી જ પ્રશાંત કિશોરના પ્લાન છ પ્રમાણે નરેશ પટેલ કાઁગ્રેસમાં દાખલ થઈ મુખ્ય મંત્રીનો ચહેરો બને તો કાઁગ્રેસમાં ગુણાત્મક પરિવર્તન આવી શકે તેવી તેમની પાક્કી ધારણા હતી.

પરંતુ પ્રશાંત કિશોરના કાઁગ્રેસ સાથેના જોડાણ પર આ લખાય છે ત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. એવા સંજોગોની ધારણા કરીને વિચારાયેલા પ્લાન ‘B’ પ્રમાણે, ગુજરાતમાં ૧૯૭૫ની જેમ એક ત્રીજો મોરચો બને, જેનું નેતૃત્વ નરેશ પટેલ કરે. ગુજરાતમાં રાજકીય રીતે ઠીક ઠીક કાઠું કાઢી રહેલી નવીસવી આમ આદમી પાર્ટીને પણ નરેશ પટેલ હોય, તો આવા ત્રીજા મોરચાનો કોઈ છોછ ન રહે. ગુજરાતનાં કર્મશીલ જૂથો માટે પણ આ મોરચામાં મોકળાશ મળી શકે. કાઁગ્રેસ ઇચ્છે તો વિધિવત્‌ આ મોરચાનો ભાગ બની શકે અથવા તો કાઁગ્રેસનાં ઘણાં મોટાં માથાં આ ત્રીજા મોરચામાં જોડાય તેવી સંભાવનાઓ રહે.

અગાઉ જણાવ્યું તે રીતે ભૂતકાળમાં કાઁગ્રેસ પાસે કર્મશીલો અને બૌદ્ધિકોનું એક રાજકીય છત્ર હતું, તેમ ભા.જ.પ. પાસે પણ સંતો–મહંતો, કટાર લેખકો, કવિઓ અને કવયિત્રીઓનું એક મોટું પ્રચારમંડળ છે. તેમ છતાં જો નરેશ પટેલ ગુજરાતની આગામી ચૂંટણીઓમાં મન મૂકીને મેદાનમાં આવે તો ગુજરાતનું આખું ય ચિત્ર રસપ્રદ અને ચોંકાવનારું બને. બાકી તો ૧૯૮૦માં માધવસિંહે મેળવેલ ૧૪૯ બેઠકોનો વિક્રમ સી.આર. પાટિલના નેતૃત્વમાં અને વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિક્કાર સક્રિયતા સાથે સહેલાઈથી તોડી શકશે. તે પછી હાલનું પ્રદેશ કાઁગ્રેસનું રાજીવભવન ભાડે આપવાની નોબત આવશે.

આ લખતી વખતે મને એક પ્રસંગનું સ્મરણ થાય છે. મારા આદિવાસી ક્ષેત્રમાં આજથી ૧૫ વર્ષ પહેલાં અંતરિયાળ બાલારામ–અંબાજી રોડ પર વસતો એક આદિવાસી ડોકરો (ડોસો) ભીખા ડુંગાશિયા યાદ આવે છે. ભીખો ગાંધીજીની છેવાડાના માનવીની વિભાવનામાં એકદમ બંધબેસતું પાત્ર. એક હજાર ચોરસ ફૂટની જમીન પર નાની ખેતી કરીને વૃદ્ધ પત્ની સાથે જીવનગુજારો કરે. બહારની દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો કોઈ જ સંપર્ક નહીં. હું ઘણી વખત તેના તૂટલાફૂટલા છાપરા નીચે બેસું. એક દિવસ વાતવાતમાં મેં મજાકપૂર્વક એને રાજકારણનો સવાલ પૂછ્યો.

અમારા આદિવાસી ક્ષેત્રમાં વયના બાધ વગર એકવચનથી થતાં સંબોધનોમાં એક પ્રકારનો અંગત સ્નેહ છલકાતો હોય છે. ભીખા ડોકરા (ડોસો) સાથેનો સંવાદ કંઈક આવો હતો :

સવાલઃ ડોકરા, થેમાં વોટ કીણી આલજ્યો?

ભીખોઃ બાવજી, વોટ તો હેમાં પેંજાને જ દેવા. એક વેળા કમળને આલજ્યો (પણ) દિલ્લી સરકારમાં કેમળે હરખું રાજ ને કેરજ્યું એટલે ફિરી પેંજાને જ આલજ્યો.

સવાલઃ કેમળે કીમ રાજ ને કરેજ્યું? પેંજાએ થેમાંને હું આલજ્યું.

ભીખોઃ વાત માંડે કે ગાંધી ડોકરો હેમરો નેતા હુતો. ઈણી કને રાજ કેરવાનું ડિબ્બૂ ઉણારે નેરુને, નેરુએ ઈણી સોરી ઇન્દ્રાને, ઇન્દ્રાએ ઉણાર સોરા રાજીયાને, રાજીયાએ ઈણી બાયડી હોનીયાને આલજ્યું. રુપ્ચ્યા સાપણારું આ ડિબ્બૂ હોનીયાએ કેમળવાળાને ને આલજ્યુને દો રાજ ને કેરી હકા. દો ડિબ્બૂ તો ઈમાડી હોનીયા પાંહે જ હે.

આ વાતચીતનો અર્થ એવો થાય છે કે અમે તો પંજાને જ વોટ આપીએ, પણ એક વાર કમળને વોટ આપ્યો. પણ કમળવાળા પછી હારી ગયા. કારણ કે ગાંધીજી દેશના નેતા હતા અને એમણે ડબ્બું (એક ડબલું) નહેરુને આપ્યું, નહેરુએ એમની દીકરી ઇન્દિરાને આપ્યું. ઇન્દિરાએ મરતી વખતે તેના છોકરા રાજીવ ગાંધીને તે આપ્યું, જે પાછળથી રાજીવનાં પત્ની સોનિયા પાસે આવ્યું. તે ડબલું સોનિયા પાસે જ રહ્યું અને કમળનાં ફૂલોવાળાને તેમણે ન આપ્યું. એટલે સત્તા પર આવ્યા છતાં સત્તા ખોવી પડી. આ ડબ્બું એટલે ચલણી નોટ છાપવાનું મશીન, એવું ભીખાકાકાને અભિપ્રેત હતું. વાત થોડા હસવા જેવી લાગે, પણ તેમાં પૂરો એક સંદેશ છે કે કાઁગ્રેસ ગાંધીજીનો વારસો અકબંધ રીતે સાચવવામાં ઊણી ઊતરી છે. સોનિયા ગાંધી પાસે હવે જે ડબલું રહી ગયું છે તે સાવ જ કટાઈ ગયું છે અને મોદીએ તેના પર સલ્ફ્યુરિક ઍસિડ નાખીને અડધુંપડધું ઓગાળી પણ દીધું છે. હાલની સ્થિતિ જોતાં ગાંધીના વારસાનું આ ડબલું કાઁગ્રેસ પાસેથી નામશેષ થઈ જશે એવું આમાંથી તારવી શકાય. હવે તો કાઁગ્રેસે પોતાના નવસર્જન માટે સોનિયા પાસેનું જૂનું ડબલું બદલી બીજા કોઈકને નવું ડબલું ઘડવાની જવાબદારી સોંપવી પડે. અન્યથા કાઁગ્રેસમુક્ત ભારત જોવાના દિવસો બહુ દૂર નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 05-07 તેમ જ 10

Loading

૨૫ જૂન ૧૯૭૫, ૧ જુલાઈ ૧૯૪૬

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 June 2022

નૂપુરના કર્કશંકાર વચ્ચે લખવા બેઠો છું, ત્યારે ખરેખર તો ચિત્તમાં રમતી બે તારીખો, પચીસમી જૂન અને પહેલી જુલાઈ છે. ૧૯૭૫માં ચાલુ પખવાડિયે બંધારણ સભાએ નહીં કલ્પેલ રીતે કટોકટીરાજ લાદવામાં આવ્યું હતું અને સ્વરાજ પણ જાણે તહસનહસ થતું લાગ્યું હતું. ૧૯૪૬ના જુલાઈની પહેલીએ, સ્વરાજ વરસેકમાં આવવાનું હતું અને વસંત-રજબની શહાદત સાથે સ્વરાજ સમક્ષનો રક્તભીંજ્યો એજન્ડા સહસા ઊઘડી આવ્યો હતો.

ખિલાફત અને અસહકારના દિવસોમાં દેશે હિંદુ-મુસ્લિમ એકતાનો જે અહેસાસ કર્યો હતો એ ઉત્તરોત્તર ક્યાં ય ખોવાતો ચાલ્યો અને છેવટે સ્વાતંત્ર્ય ને વિભાજન સાથે આવ્યાં. હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં સાવરકરે સ્પષ્ટોક્તિ કરી હતી કે આપણે ત્યાં ઓછામાં ઓછાં બે રાષ્ટ્રો તો છે જ – હિંદુ ને મુસ્લિમ. તે પછી બેત્રણ વરસે, ૧૯૪૦ના લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો ઠરાવ કર્યો હતો.

સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસે દેશની હિંદુ/મુસ્લિમ વ્યાખ્યાઓથી ખાસી પરહેજ કરી હતી. ૧૯૧૬માં તિલક-ઝીણા સહભાગિતા સાથે લખનૌ કરાર વાટે ધોરણસરની બેઠક વહેંચણીપૂર્વક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) નીયે કોશિશ થઈ હતી. આગળ ચાલતાં, તે પછી પંદરસત્તર વરસે ગાંધીના આમરણ અનશનને પગલે પુના કરાર થયો હતો. દેશનાં દીનદલિતને રાષ્ટ્રજીવનમાં સાંકળવાની દિશામાં એ પણ એક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) હતી.

સ્વરાજનું પંચોતેરમું વરસ સંકેલવામાં છે ત્યારે લખનૌ ને પુના કરારોને સાથે મૂકીને જોતાં શું સમજાય છે? ધર્મકોમ અગર વર્ણને ધોરણે વિભક્ત-વિભાજિત અને વળી સામસામી ઓળખોમાં નહીં ગંઠાતાં, નહીં અટવાતાં સરવાળે એક સહિયારી ઓળખની દિશામાં બંધારણીય કોશિશભેર રાજપથ ને જનપથની એ ભૂમિકા છે. છેલ્લા દસકાઓમાં દુનિયાભરમાં જે બે સંજ્ઞાઓ રાષ્ટ્રવાદ સંદર્ભે આપણી સામે આવી છે – કૉન્સ્ટિટ્યુશનલ નૅશનલિઝમ અને સિવિક નૅશનલિઝમ – બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદ, તે આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે.

આ મુદ્દો નહીં પકડાયાથી શું થાય છે એ સમજવા આપણે ઉત્તર ઝીણાનાં બે દૃષ્ટાંતો પકડવાં જોગ છે. હમણાં અમદાવાદનાં હિંદુ મહાસભા ને લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનોની જિકર કરી, લગભગ એ જ ગાળામાં ઝીણાએ અલીગઢના ભાષણમાં એક વિલક્ષણ તર્ક લડાવ્યો હતો : ઇંગ્લૅન્ડમાં મજૂર પક્ષ ને રૂઢિચુસ્ત પક્ષ – લેબર ને કૉન્ઝર્વેટિવ – બે રાજકીય જમાવડા છે જે વારાફરતી સત્તા પર આવી શકે છે. હિંદમાં હિંદુ બહુમતી છે, મુસ્લિમ લઘુમતી છે. એટલે વારાફરતી સત્તા પર આવવાની સગવડ જ નથી જે ઇંગ્લૅન્ડમાં છે. ઝીણાના આ તર્કની માંડણી જ ખોટી બુનિયાદ પર હતી; કેમ કે લેબર કે કૉન્ઝર્વેટિવ એ રાજકીય-આર્થિક-સામાજિક કાર્યક્રમને ધોરણે રચાયેલ પક્ષો છે. એ રીતે એમનું રાજકારણ બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની પરિધિમાં છે. ઊલટ પક્ષે, હિંદુ કે મુસ્લિમ એ પ્રકારની પક્ષબાંધણી કે રાષ્ટ્રવ્યાખ્યાનો પાયો ધર્મકોમઅધિષ્ઠિત છે. આ પ્રકારનું રાજકારણ (ભલે રાષ્ટ્રકારણના સ્વાંગમાં પણ) ઓળખનું રાજકારણ છે જે તમને ભાગલા સુધી લઈ જાય અને નવા સંદર્ભમાં પણ પરસ્પરસ્પર્ધી કોમવાદના ધોરણે વહેંચાયેલા રાખે. ઉત્તર ઝીણાના હિંદુ અડધિયાનું જે જનસંઘ-ભા.જ.પ. રાજકારણ આપણે ત્યાં વિકસ્યું એનું આ પરિપ્રેક્ષ્યમાં આકલન થતું નથી તે દેશજનતાની કરમકઠણાઈ છે.

જેમ ઝીણાના અલીગઢ ભાષણનો ઉલ્લેખ કર્યો તેમ બીજાયે એક ભાષણનો ઉલ્લેખ કરવા જોગ છે. પાક બંધારણસભામાં એમણે એ મતલબનું હતું કે આપણું બંધારણ અમલમાં આવશે તે પછીનાં થોડાંક જ વરસોમાં પાકિસ્તાનમાં ન કોઈ મુસ્લિમ હશે, ન કોઈ હિંદુ હશે – એમના ધરમમજહબ અલબત્ત પોતપોતાનાં હશે પણ તે સૌ પાકિસ્તાની હશે. ઝીણાના પાક ઉદ્‌ગારો, કેમ કે તે મજહબી ઓળખના રાજકારણની પૃષ્ઠભૂ પર આવ્યા હતા, એની અસર ધૂળ પરના લીંપણથી વધુ ન થઈ. રથી અડવાણીએ પાકિસ્તાનની કટાસરાજ મુલાકાત વેળાએ ઝીણાને નવેસર જોવાની જે શક્યતા ખોલવા ચહી તેનુંયે ક્યાં કોઈ ખરીદાર હતું? જનસંઘે જનતા અવતાર પછી ભારતીય જનતા પક્ષ તરીકે કામ કરવાનું નિરધાર્યું ત્યારે અપેક્ષિત શક્યતા ઓળખના રાજકારણમાંથી નાગરિક રાજકારણ ભણી નવપ્રસ્થાનની હતી, પણ તે ધર્મકોમના રાજકારણના જૂના ચીલે પાછી ફંટાઈ ગઈ. વિકાસ કહો, સુશાસન કહો, એ વરખ હશે તો હશે, ધૂળ પરનું લીંપણ, બીજું શું.

બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની શિક્ષાદીક્ષાનો સ્વરાજ પછી આવી મળેલો મોટો અવસર જેવી આંદોલન, કટોકટી રાજ ને જનતા રાજ્યારોહણનાં વર્ષોનો હતો. હેબિયસ કોર્પસ અને રાજદ્રોહના આરોપ તો દૂરની વાત થઈ, પણ કાયદાના શાસન (રુલ ઑફ લૉ) માટેની બંધારણીય ભૂમિકા મજ્જાગત બને તે અપેક્ષિત હતું. પણ કાલાન્તરે કટોકટીરાજના સૌથી મોટા લાભાર્થી તરીકે સત્તાની ગલિયારીમાં સ્થિતપ્રતિષ્ઠ ભા.જ.પી. રાજવટમાંએ માટેની માનસિકતાનું ઉછેરગત ટાંચું સતત પડતું રહ્યું છે.

મૌલાના આઝાદે એક તબક્કે સૌ મુસ્લિમ દેશબાંધવોને સંબોધીને સરસ કહ્યું હતું કે ખુદાએ સરજેલ મુલકમાં કોઈ એક ટુકડો જ પાક કેવી રીતે હોઈ શકે– તમે સમજો કે તમે કેવળ લઘુમતી નથી, આ દેશની બીજા ક્રમે આવતી બહુમતી પણ છો. ઉત્તર ઝીણાથી વિપરીત, મૌલાના આઝાદની નસીહત બંધારણીય રાષ્ટ્રવાદ અગર નાગરિક રાષ્ટ્રવાદ તરફની હતી એમ પણ તમે કહી શકો.

આ વાનું ન પકડાયું એટલે પાકિસ્તાન સરજાયું. પ્રજાસત્તાક સ્વરાજની ભારતીય કોશિશ પણ પ્રસંગે મોચવાતી રહી. ઓળખના અતિરંજિત રાજકારણમાં જનસંઘ(ભા.જ.પ.)ને અણધારી મદદ કટોકટીરાજના મનમુરાદ અમલમાંથી – ખાસ કરીને સંજય બ્રાન્ડ તુર્કમાન ઘટના આદિને કારણે મળી. વિલક્ષણ વિપર્યાસ તો એ જોવા મળ્યો કે કટોકટીના જેલબંદી જનસંઘને મન સંજય કદાચ હીરો હશે, અને વચલાં વરસોમાં એમની પાટે આવેલ વરુણ પણ. તુર્કમાન ઘટના ને શાહબાનુ ઘટના બેઉએ અલગ અલગ છેડેથી હિંદુ જમાવટને બળ આપ્યું. ઓળખના રાજકારણની અપ્રીતિકર અજાયબી તીન તલાક બાબતે વેળાસર સુધારો નહીં સ્વીકારી શક્તી મુસ્લિમ નેતાગીરીની માનસિકતામાં જોવા મળે છે. તીન તલાક કોઈ ધર્મતત્ત્વનો મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. બંધારણીય / નાગરિક રાજકારણ ને સમાજકારણની દૃષ્ટિએ તે લૈંગિક ન્યાય અગર જેન્ડર જસ્ટિસનો મુદ્દો છે. નમો ચાહકોને સમજાવું જોઈએ કે આ કોઈ હિંદુ મતનો મુસ્લિમવિજય નથી, નાગરિક ધારાધોરણ ભણી નવયુગી કદમ છે. હિંદુમતે પોતાને પણ આ કસોટીએ મૂલવવાનું રહે છે. અસ્પૃશ્યોના અધિકાર સબબ શાહુમહારાજથી જુવારુ રાખતા કે એથી પણ વધુ તો સંમતિવયના કાયદાનો (‘અમારા ધર્મમાં તમારી દખલ નહીં’ એ ધોરણે) વિરોધ કરતા તિલક મહારાજ બાબતે સમાદરપૂર્વક પુનર્વિચારની તૈયારી હિંદુમતને છે કે કેમ, વિચારીએ.

જ્ઞાનવાપી પ્રકરણમાં આ સંદર્ભે શું કરીશું ? ઔરંગઝેબનું દાનપત્રક ઉજ્જૈનના મહાકાલેશ્વર પાસે હોઈ શકે એ હકીકતને એની મૂર્તિભંજક પ્રતિષ્ઠા સામે કેવી રીતે જોઈશું? હિંદુ રાજાઓએ એકમેકના રાજ્યની લૂંટમાં મંદિરોને બાકાત નહોતાં રાખ્યાં તે વિગતનું શું કરીશું? અયોધ્યાને બાદ રાખી અન્યત્ર ‘સ્ટેટસ કો’નો કાયદો એક વાટાઘાટગત સમજૂતીનો રસ્તો હતો અને પ્રજા જૂનાં વેરઝેર ભૂલી આગળ વધે એવો એવો આશય હતો અને છે.

આ ક્ષણે ચર્ચાનો છેડો નથી. માત્ર, ઉતાવળે પણ સમેટતાં એટલું જ કહીશું કે હિંદુરાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની છેલ્લા બે’ક સૈકાની રાજકીય વિભાવનાબાંધણીને પરબારી ઊચકીને છેલ્લાં હજાર વરસના ઇતિહાસને લાગુ પાડવાની કાલવ્યુત્ક્રમ (એનેક્રોનિસ્ટિક) અંધારીમાંથી બહાર આવીએ અને અમન, એખલાસ ને ઈન્સાફના ધોરણે કાયદાના શાસન વાસ્તે સમર્પિત થઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 01-02 

Loading

નૂપુર શર્માનું સસ્પેન્સન વહેતા જખ્મ પર બેન્ડેડ સમાન છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2022

કોઈ પણ દેશના રાજદૂતોને સાગમટે કામ કરવાનું ત્યારે જ આવે, જ્યારે તેમનો દેશ બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં સામેલ થયો હોય. જેમ કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે એ બંને દેશોની દુનિયાભરની રાજધાનીઓમાં પથરાયેલી એલચી કચેરીઓમાં કામ વધી ગયું હતું. એક સાથે તમામ રાજદૂતોઓએ યુદ્ધમાં તેમના યજમાન દેશોનું સમર્થન મેળવવા માટે અધરાત-મધરાતે દીવા બાળવા પડ્યા હતા.

કંઇક એવી જ હાલત, ખાડી દેશોમાં ભારતની એલચી કચેરીઓની 5મી અને 6ઠ્ઠી જૂને થઇ હતી. એ કોઈ યુદ્ધનો માહોલ તો નહોતો, પરંતુ કતાર, ઓમાન, કુવેત, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાન, યુ.એ.ઈ., બહેરીન, ઈરાન, લીબિયા, તુર્કી અને આ તરફ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, માલદીવ તેમ જ ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગોએ, ભારતીય એલચીઓને બોલાવીને કે તેમના કાર્યાલયોમાં બયાનો જારી કરીને, જે રીતે ભારતીય અધિકારીઓને જવાબો કે સ્પષ્ટતાઓ આપવા ફરજ પાડી, તે એક નાનકડી લડાઈથી ઓછું નહોતું.

નજીકના ભવિષ્યમાં આવું પહેલીવાર બન્યું હતું. છેલ્લે કદાચ 1999માં, કારગીલ યુદ્ધ વેળા ભારતીય એલચીઓને સાગમટે વિદેશી રાષ્ટ્રો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવાનું બન્યું હતું. એ પછી આ અઠવાડિયે એક સાથે આટલા બધા ભારતીય એલચીઓ મુસ્લિમ દેશોમાં લાગેલી ડિપ્લોમેટિક આગને ઠંડી પાડવાનું ભગીરથ કામ કરવાનું આવ્યું હતું. કેમ?

ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની (હવે ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવક્તા નવીન કુમાર જિન્દલે મહોમ્મદ પૈગંબરને લઈને કરેલી એક અભદ્ર ટીપ્પણીનાં પગલે મુસ્લિમ દેશોમાં ભડકો થયો હતો. નૂપુર શર્માએ, 27 મેના રોજ, “ટાઈમ્સ નાઉ” ચેનલ પર જ્ઞાનવ્યાપી મસ્જિદ વિષય પરની એક ડિબેટ દરમિયાન, પૈગંબરના અંગત જીવનને લઈને બેજવાબદાર ટીપ્પણી કરી હતી. એ ડિબેટની એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ હતી.

ફેક ન્યૂઝ પર ફેક્ટ-ચેકિંગ કરતી “ઓલ્ટન્યૂઝ” નામની વેબસાઈટના પત્રકાર મોહમ્મદ ઝુબેરે, ટ્વીટર પર સૌ પહેલાં નૂપુર શર્માની આ ભડકાઉ ટીપ્પણી પર લોકોનું અને ખાસ તો દિલ્હી પોલીસમાં ધ્યાન ખેંચ્યું હતું. પાછળથી, નવીન કુમાર જિન્દલે પણ પૈગંબરનું અપમાન થાય તેવી ટ્વીટ કરીને બળતામાં ઘી હોમ્યું હતું. એમાં નૂપુર શર્માએ “મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે” તેવું કહીને મોહમ્મદ ઝુબેર સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરીને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે તેના ઇન્ટરવ્યૂને એડિટ કરીને મુકવામાં આવ્યો છે. વધારામાં, નૂપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ ટેગ કર્યા હતા.

દેખીતી રીતે જ, ઝુબેર પરનો એ આરોપ ખોટો હતો, કારણ કે ત્યાં સુધીમાં તો ચેનલ પરની આખી ડિબેટનો વીડિયો વાઈરલ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ રીતે જ નૂપુર જે બોલી હતી એ જ સંભળાતું હતું. બીજી બાજુ, નૂપુર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી, તેને મદદ કરવા માટે ગોઠવાયેલા એક ઇન્ટરવ્યૂમાં નૂપુરે કહ્યું હતું કે, “વડા પ્રધાનની ઓફિસ, ગૃહ પ્રધાનની ઓફિસ અને પાર્ટી અધ્યક્ષની ઓફિસનો તેને ટેકો છે.”

મુસીબત શરૂ થઇ 3જી જૂને. એ દિવસે વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિદ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ત્રણે એ દિવસે કાનપુર ગ્રામ્યમાં રાષ્ટ્રપતિના વતનના એક કાર્યક્રમમાં ઉપસ્થિત  હતા. એ જ વખતે, શુક્રવારની નમાજ પછી કાનપુર શહેરમાં નૂપુર શર્માની ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યાં. ટ્વીટર પર તેને લઈને માહોલ ગરમ હતો, ત્યારે જ દેશના અને રાજ્યના ત્રણ સર્વોચ્ચ વડાની હાજરીમાં તોફાનો થાય તે હકીકતની ઉપેક્ષા થાય તેવું નહોતું.

વિશ્વનું ધ્યાન ખેંચાયું

નૂપુર શર્મા અને ભા.જ.પ. આ વિવાદથી પીછો છોડાવા મથી રહ્યા હતા, પણ મેળ ન પડ્યો. જે નુકશાન થવાનું હતું તે થઇ ચુક્યું હતું. ભા.જ.પ. કે સરકારને કંઈ સમજાય તે પહેલાં, આંતરરાષ્ટ્રીય સ્તરે તાબડતોબ નૂપુરના બયાનના પડઘા પડ્યા. સૌથી પહેલાં ઓમાન સલ્તનતના વરિષ્ઠ મુફ્તી અહેમદ બિન હમાદ અલ ખલીલીએ આકારો પ્રત્યાઘાત આપીને કહ્યું કે ભા.જ.પ.ની પ્રવક્તાની ટીપ્પણી “પ્રત્યેક મુસ્લિમ સામે યુદ્ધ” છે. તેનાં પગલે ખાડીને દેશો પણ જાગ્યા અને એક પછી એક તેમણે નૂપુરના બયાનને વખોડતાં નિવેદનો બહાર પાડ્યાં અને ભારતના એલચીઓને બોલાવીને ઠપકો આપ્યો. કુવેતે તો માંગણી કરી કે ભારત સરકાર આ ટીપ્પણી બદલ માફી માંગે.

ભારતને એ ખબર ન પડી કે મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં, પૈગંબરને લઈને થયેલી અભદ્ર ટીપ્પણીને લઈને જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાંની માંગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ “પૈગંબરની માન-મર્યાદાની રક્ષા કરવા માટે” ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી.

ભારત માટે એક જબ્બર ડિપ્લોમેટિક સંકટ સર્જાયું હતું. મોટા ભાગના મુસ્લિમ દેશો ભારતના અત્યંત મધુર સંબંધો છે. જે કુવેતે ભારત પાસે માફીની માંગણી કરી હતી, ત્યાં મહેમાન બનેલા મોદીએ તો એવું કહ્યું હતું કે “કુવેત મારું બીજું ઘર છે.” ખાડીના દેશોમાં કુલ 89 લાખ ભારતીયો નોકરી-ધંધો કરે છે. આ દેશોના સૌથી મોટા રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ ભારતીયોની માલિકીની છે. એકલા સંયુક્ત આરબ અમિરાતની કુલ આયાતમાં ભારતની હિસ્સો ૯૨ ટકા છે. ભારતનું અડધો અડધ રેમિટેન્સ યુ.એ.ઈ., સાઉદી અરેબિયા, કતાર, કુવેત અને ઓમાનમાંથી આવે છે. ભારતનું ૬૦ ટકા ક્રુડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ટેલિવિઝનની ડિબેટોમાં કે જાહેર રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાનો વિરુધ બેરોકટોક ગમે તેમ બોલવામાં આવતું હતું. ખાસ કરીને, જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે ધાર્મિક ઉન્માદ જગાવવામાં આવતો હતો. ત્યાં સુધી કે કોણ વધુ કટ્ટર છે તેની જાણે હરીફાઈ થતી હોય તેવાં બયાનો કરવામાં આવતાં હતાં. એમાં ન્યૂઝ ચેનલોને ટી.આર.પી. દેખાતી હતી એટલે ડિબેટો જ એવી રીતે ગોઠવવામાં આવતી કે અભિવ્યક્તિની આઝાદીના નામે હિંદુ-મુસ્લિમ ધર્મના કથિત “રખેવાળો” ગમે તે હદ સુધી જતા હતા. નૂપુર શર્મા અને જિંદલે “વહાલા” થવાની હરીફાઈમાં એવું નિવેદન કર્યું હતું જે બદનસીબે ભારતમાં મુસ્લિમો પૂરતું સીમિત રહે તેવું ન હતું. શિવલિંગના વિવાદમાં પૈગંબરને ઢસડવા જતાં મુસ્લિમ દેશો ઊભા થઇ જશે એવું બંનેએ વિચાર્યું નહીં હોય અને વિચાર્યું હોય તો પણ “ઉપરથી ટેકો છે” એવો આત્મવિશ્વાસ પણ હશે.

સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે આ વણ જોઈતી મુસીબત હતી. એક અઠવાડિયા પહેલાં જ, ભા.જ.પ.ની સરકારનાં 8 વર્ષ થયાં તેનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ રાજકોટમાં ગૌરવ સાથે કહ્યું હતું કે આઠ વર્ષમાં તેમણે એક પણ કામ એવું નથી કર્યું કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય. અને અહીં, એક સાથે ૧૬ દેશો ભારતની નિંદા કરી રહ્યાં હતાં અને માફી માગી રહ્યાં હતાં. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ નૂપુર શર્માના એક બયાને શરમજનક સ્થિતિ ઊભી કરી હતી.

દસ દિવસ સુધી નૂપુર શર્માના નિવેદન સામે આંખ આડા કાન કર્યા પછી, મુસ્લિમ દેશોના દબાવમાં આવીને આખરે ભા.જ.પ. અને સરકારે નિર્ણાયક કદમ ઉપાડવું પડ્યું, પહેલાં તો પાર્ટીએ બયાન જારી કરીને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલની ટીપ્પણીથી ખુદને અલગ કરી. એ પછી એક બીજું બયાન જારી કરીને નૂપુર શર્માને છ વર્ષ માટે અને જિંદલને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પાર્ટીએ કોઈ નામ લીધા વિના કહ્યું કે, “ભા.જ.પ. કોઈ પણ ધર્મના વડાના અપમાનને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભા.જ.પ. કોઈ પણ ધર્મ કે સમુદાયનું અપમાન કરે તેવી વિચારધારાની વિરુદ્ધમાં છે. ભા.જ.પ. આવા વિચારો કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી. અમુક “ફ્રિન્જ તત્ત્વો”ની ટિપ્પણીઓ ભારત સરકારનો મત નથી,” વળતાંમાં, નૂપુર અને નવીનને પણ તેમની બયાનબાજીની ગંભીરતા સમજાતાં માફી માગી અને પાર્ટીના નિર્ણયને માથે ચઢાવ્યો.

હવે શું?

રાજકીય વિચારકો માને છે કે ભારત અને મુસ્લિમ દેશોના સંબંધો પરસ્પર સ્વાર્થ આધારિત છે, એટલે આ બંને પ્રવક્તાઓ સામે લેવાયેલાં પગલાંથી વિવાદ શાંત થઇ જવો જોઈએ. ભારત માટે ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતાં ભારતીયોની સલામતી અગત્યની છે. એ દેશોને પણ ભારતીયોની અને ભારતમાંથી ચીજવસ્તુઓની આયાતની જરૂર છે. ખુદ મોદી અનેક દેશોમાં જઈને આ આર્થિક સંબંધો મજબૂત કરી આવ્યા છે. બંને પ્રવક્તાઓ પર તલવાર વિંઝાઈ તેનાથી દેશોને સંતોષ થશે અને ભા.જ.પે. પણ સરકારની સાખ બચાવવા માટે બંનેનો ભોગ લેવામાં મોડું ના કર્યું.

સરકાર સ્તરે આ દેશો હવે કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારત કેટલો વિભાજીત દેશ છે તેની ખબર વિશ્વને ખબર પડી ગઈ છે. મોદી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ગાંધી અને બુદ્ધની, અહિંસા અને સર્વધર્મ સમભાવની, શાંતિ અને સહિષ્ણુતાની વાતો કરતા હોય છે. ભારતમાં હિંદુ-મુસ્લિમના ધ્રુવીકરણના સમાચારો દેશ-દરાજ જતા તો હતા, પણ તેને આંતરિક મામલો ગણીને વિશ્વ ધ્યાન આપતું નહોતું.

પરંતુ પૈગંબરને નિશાન બનાવીને ભારતે તેની જાંઘને ખુલ્લી કરી નાખી છે. મંચ પરથી થતાં ભાષણો અને જમીન પરની હકીકતમાં કેટલો વિરોધાભાસ છે તે વાત હવે દુનિયાની નજર બહાર નહીં જાય. અત્યાર સુધી હેટ સ્પીચ ભારતના શ્રોતાઓના કાન પૂરતી સીમિત હતી. પહેલીવાર તેના શબ્દો દુનિયાના શ્રોતાઓના કાને વાગ્યાં.

વિડંબના એ છે કે, ભારતને આ વખતે અમેરિકા જેવા પશ્ચિમી રાષ્ટ્રોએ માનવાધિકારનું લેકચર આપ્યું નહોતું (હજી આ અઠવાડિયે જ, અમેરિકાએ જારી કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટમાં, ભારતમાં ધાર્મિક સ્થળો અને માણસો પર વધતા જતા હુમલાઓથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી). આ વખતે ભારતને તેની ઉદારતા અને સર્વધર્મ સમભાવની ભવ્ય પરંપરાની યાદ અપાવનારાં એ રાષ્ટ્રો હતાં જે ખુદ અનુદાર અને ધાર્મિક છે.

ભારતના રાજકીય પક્ષો અને પ્રબુદ્ધ નાગરિકો સમય-સમય પર નફરતી ભાષણોથી દેશને, સરકારને ચેતવતા હતા, પરંતુ તેમને સાંભળવાને બદલે તેમને જ દેશદ્રોહીનાં લેબલ ચીટકાડીને કલંકીત કરવામાં આવ્યા હતા. આજે વિશ્વના દેશોએ એ જ નફરત સામે અવાજ ઉઠાવ્યો તો ભા.જ.પે તેના અધિકૃત પ્રવકતાઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહી કરી, એટલુ જ નહીં, તેણે તેના પ્રવકતાઓ અને નેતાઓએ હવે પછી શું બોલવું અને ના બોલવું તેની ગાઈડલાઈન્સ જારી કરી છે.

સસ્પેન્સન અને ગાઈડલાઈન્સ બંને આવકારદાયક કદમ છે, પણ એ પૂરતાં છે? દુનિયામાં ભારતની નિંદા થઇ તેના બીજા દિવસના સંપાદકીય લેખમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે સંક્ષેપ્તમાં પણ માર્મિક રીતે તેનો જવાબ આપ્યો હતો. તે લખે છે, “દુનિયાને બતાવવા માટે થઈને નફરતી બયાનની ટીકા કરવી એ વહેતા જખ્મ પર બેન્ડેડ ચોંટાડવા જેવું છે. સરકાર જો એમ માનતી હોય કે (ટી.વી. પર) બે સાઉન્ડ-બાઇટ્સ એ સમસ્યા છે અને બે સસ્પેન્સન તેનું સમાધાન છે તો તે ભૂલે છે. લઘુમતીઓને નિશાન બનાવતાં શાસક પક્ષના સભ્યોના મોઢામાંથી આવતાં નફરતી ભાષણો જ અસ્વીકાર્ય છે.

એનાથી ખતરનાક વિભાજન ઊભું થાય છે અને એમાં દેશનું અહિત છે. આવો સંદેશો (પાર્ટીમાં) છેક ઉપરથી આવવો જોઈએ. એના માટે ખાડીના કોઈ દેશની જરૂર નથી.”

પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3551,3561,3571,358...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved