Opinion Magazine
Number of visits: 9458615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માટીના મોલઃ માણસજાતે જીવવા માટે પોષણક્ષમ માટીને જીવાડવા કવાયત કરવી પડશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 June 2022

એકનું એક ભલે લાગે પણ એક કાયમી સત્ય એ છે કે માટીનું પતન જેટલું ઝડપથી થઇ રહ્યું છે એટલી જ ઝડપથી આખી ય દુનિયાની વસ્તી પણ વધી રહી છે

સૌથી પહેલાં એક ડિસક્લેઇમર એટલે કે અસ્વીકરણ કે, – આ લેખને કહેવાતા ગૉડમેન સદ્દગુરુના ‘માટી બચાવો’ એટલે કે ‘સેવ ધી સૉઇલ’ અભિયાન સાથે એટલી જ લેવા દેવા છે જેટલી માટીના મહત્ત્વ સાથે વઘારમાં પડેલી આગળ પડતી રાઇને હોઇ શકે – એટલે કે જરા ય નહીં. હા, એટલું ખરું કે ‘સેવ ધી સૉઇલ’ના હોબાળાને કારણે આપણે સોશ્યલ મીડિયા પર કે પ્રસાર-પ્રચાર માધ્યમોમાં દાઢી અને બાઇક ધારી ગુરુને જોઇને ઉત્સુકતા થઇ હોય તો માટી બચાવવાના પ્રશ્નની ગંભીરતા સમજવી જોઇએ – માઇનસ સદ્દગુરુ.

જાત-ભાતના પ્રદૂષણોની ચર્ચા માંડીએ તો થોથાં ભરાય. પાણીની તંગી, હવાનું પ્રદૂષણ, અનાજની તંગી, ધ્વનિ પ્રદૂષણ જેવું તો કેટલું ય છે જેનો કોઇ અંત નથી. વળી સતત આધુનિકીકરણ તરફ પગલાં ભરતી આ દુનિયામાં બગાડના પ્રકારોમાં પણ ઉમેરા થતા રહે છે. ઇ-વેસ્ટ જેવા નવા બગાડો અને પ્રદૂષણો પોંખતા હોઇએ ત્યારે સાવ પ્રાથમિક ગણાતી માટીની ચિંતા કરવાનું ભૂલી જઇએ એમ થાય તે સ્વાભાવિક છે. આપણું અન્ન, રોજ બ રોજના વપરાશની જાતભાતની ચીજો જ નહીં પણ આપણા શરીરના વિકાસમાં કામ લાગતાં પોષક તત્ત્વો પણ જમીન એટલે કે માટીમાંથી જ મળે છે. એ પણ કડવી વાસ્તવિકતા છે કે માટી મરી રહી છે અને આપણે વૈશ્વિક સ્તરની ખાદ્ય તંગીની દિશામાં ધસી રહ્યાં છીએ. ભૂખે ન મરવું હોય તો માટી બચાવવી પડશે. યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ અનુસાર દુનિયાની 52 ટકા ખેતી લાયક જમીનનું પતન થઇ ગયું છે. આ રિપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં આપણે અનાજ ઉત્પાદન કરવા માટે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી અડધોઅડધ જમીનમાં સારી ગુણવત્તાનું ધાન ઉગાડવા જરૂરી પોષક તત્ત્વો પણ નથી. એકનું એક લાગે પણ એક કાયમી સત્ય એ છે કે માટીનું પતન જેટલું ઝડપથી થઇ રહ્યું છે એટલી જ ઝડપથી આખી ય દુનિયાની વસ્તી પણ વધી રહી છે. આગામી 20 વર્ષમાં દુનિયાની વસ્તી 9.5 બિલિયન થઇ જશે. આપણને એવો આત્મવિશ્વાસ હોય કે બધું બદલાઇ જશે કારણ કે માણસ પણ તો સડસડાટ પ્રગતિ કરે છે, વળી અત્યાધુનિક ટૅક્નોલૉજી પણ માણસજાતનો સાથ આપશે – એવું કશું જ થવાનું નથી. આ મામલે આપણે ખાંડ ખાવી પડશે – હા સવાલ એ ખરો કે ખાંડ ખાવા માટે ઉગાડવી પડે એવી શેરડી ત્યારે કેટલી ઊગતી હશે તેની કોઇ ગેરંટી નથી – સિન્થેટિક સુગર લેવી પડશે, કદાચ. આ એટલા માટે કારણ કે આગામી 20 વર્ષમાં અત્યારે આપણે જેટલું અનાજ ઉત્પન્ન કરીએ છીએ તેનું 40 ટકા જ કરી શકતા હોઇશું. વૈજ્ઞાનિકો સતત એ બાબતે આપણને ચેતવી રહ્યા છે કે હવે આપણી પાસે ખેતી લાયક જમીન / માટી હવે માંડ 40-50 વર્ષ ચાલે એટલી જ છે. જો હવે આપણે આ બાબતે નહીં ચેતીએ તો રોટલા ભેગા થવા જેટલું અન્ન લાવવાના ફાંફા પડશે. અત્યારે આપણને આ બધું સાંભળી વાંચીને એમ થાય કે આ તો બધું રિપોર્ટમાં આવે – આવું કંઇ થવાનું નથી. માનો કે ન માનો પણ માટીને મામલે એ તબક્કો દિવસે દિવસે નજીક આવી રહ્યો છે જ્યાંથી પાછા ફરવાનો આપણી પાસે કોઇ રસ્તો નહીં હોય. માટીનું, જમીનનું પતન અટકે એ માટે સરકાર પગલાં લે એની માંગ કરવાનો વખત પાક્યો છે.

આમ તો કાર્બનનું ઉત્સર્જન, ગ્રીન પાવર પ્રોડક્શન, સસ્ટેનેબલિટી જેવા પર્યાવરણીય અભિયાન આપણને સતત યાદ કરાવે છે કે આપણે જે હાલતમાં છીએ તે જોખમમાં છે. પરંતુ બીજું બધું ય બાજુએ મૂકીને તદ્દન પ્રાથમિક કહેવાય અને જે આપણને જીવાડે છે તેવી માટીને આપણે અવગણીએ એ ખોટું. આપણી આવનારી પેઢીઓના પેટ ભરવા ખાવાનું જ નહીં હોય તો ગ્રીન એનર્જી કે કાર્બન ઉત્સર્જનના પ્રશ્નો સંબોધવાનો કોઇ અર્થ જ નથી.

તેલ – એટલે કે ઓઇલની માફક આ માટી (સોઇલ) પણ મર્યાદિત સ્રોત છે. ખેતી કરવામાં આપણે જમીનમાંથી જેટલાં પોષક તત્ત્વો લઇ લઇએ છીએ એટલા ‘રિસ્ટોર’ નથી કરતા. માત્ર અમેરિકામાં જ ભૂતકાળમાં હતી એ સ્તરની માટી પુનઃસ્થાપિત કરવામાં બીજા ૨૦૦ વર્ષ નીકળી જાય તેમ છે. ધૂળ અને માટીને હળવાશથી ન લેવાં કારણ કે તેનાથી આખે આખી સંસ્કૃતિઓ પણ ધોવાઇ જાય છે. જમીનના ધોવાણથી માત્ર ફળદ્રુપ જમીનની ખોટ જાય છે તેમ નથી. પ્રદૂષણ વધે અને નદી-ઝરણાંઓમાં કાંપ પ્રદેશ વિસ્તરે – આમ પાણીનાં વહેણમાં અવરોધ આવે, જળચરોનો નાશ થાય. પડતર જમીનમાં પાણીનો સંગ્રહ ન થાય અને પૂરનું જોખમ વધે. આ રીતે જમીનની સાથે સંસ્કૃતિઓ પણ ધોવાઇ જાય. માટીની ગુણવત્તા નબળી પડે તો માત્ર ધાન પર અસર નથી થતી પણ હવાથી ઉડીને જળાશયો પર પડતી માટીને કારણે લીલનું પ્રમાણ વધે જે પાણીમાંનો ઑક્સિજન લઇ લે અને જળચર અને જળ વનસ્પતિનો નાશ થાય. મેક્સિકોની ખાડીના અમુક હિસ્સાઓમાં ડેડ ઝોન્સ વિકસી ચૂક્યાં છે. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને માટીનું જતન કરવું જોઇએ કારણ કે ધરતીના સ્તર પર રહેલાં માટીના ૧૮ ઇંચના સ્તરમાં સુક્ષ્મ જીવો હોય છે જે ફળદ્રુપતા, ખેતી, માટીની સ્વસ્થતા માટે અનિવાર્ય હોય છે.

માટી જીવંત હોય છે, કૃત્રિમ ખાતર જે બે-ચાર પોષક તત્ત્વોના વિકલ્પનું કામ કરે છે તે માટીના સંકુલ બંધારણ માટે પૂરતા નથી. માટીની કુદરતી શક્તિ માટે જરૂરી એવી સૂક્ષ્મ જીવ સૃષ્ટિને હળવાશથી ન લેવી જોઇએ, તે માટી અને અન્ન બંન્નેની પૌષ્ટિકતા વધારે છે.

આપણે તો ખેતી પ્રધાન રાષ્ટ્ર છીએ જ પણ આખી દુનિયા ધાન પર નભે છે. માટીને બચાવીશું નહીં તો ભવિષ્ય જોખમમાં છે. ખેડૂતોની ફિકર હોય તો તેમની સફળતા ખાતર પણ સ્વસ્થ માટી અનિવાર્ય છે. માટીનું ધોવાણ અટકાવવું, તેનાં પોષક તત્ત્વોનું પતન ન થાય અને તે વધે તેની તકેદારી રાખવી, માટીમાં રહેલા કાર્બનની રક્ષા કરવી જરૂરી છે – આ માટે સરકારો, વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ એક થવાની જરૂર છે. સત્તાની ખેંચતાણમાં, ઉદ્યોગોના સિક્કા જમાવવામાં, સ્વાર્થ માટે જંગલો ખતમ કરવામાં, માંસાહારને પહોંચી વળવા ઢોરો માટે ચરવાની જમીનો વિસ્તારવામાં ખરેખર જ પગ તળેથી જમીન ખસી જશે.

બાય ધી વેઃ

કબીરનો જાણીતો દોહો છે, ‘માટી કહે કુમ્હાર સે તુ ક્યા રૌંદે મોય, એક દિન ઐસા હોયેગા, મૈં રૌદુંગી તોય …’ – આ દુહાનો વિચાર વિસ્તાર કરવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ તે આપણે જાણીએ છીએ. રાજકીય હેતુ ખાતર અને સોશ્યલ મીડિયા પર કૂલ દેખાવા માટે સેવ ધી સોઇલના ત્રાગાં કરવાની કોઇ જરૂર નથી. આ ગંભીર પ્રશ્નો છે જેને ગંભીરતાથી ઉકેલવા વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના કામને સમજી નીતિઓ બદલવાનો વખત આવ્યો છે. માટી સુરક્ષિત હશે તો માણસજાત સલામત રહેશે. ઉપરછલ્લાં અભિયાનોથી પુનર્જીવન નહીં મળે, દેખીતી રીતે પ્રામાણિક લાગતાં અભિયાનોમાં હાઇ સોસાયટીની પોકળ નૈતિકતાનું ક્લેવર માત્ર હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  19 જૂન 2022

Loading

‘નર્મકોશ’ની પ્રિ – બુકિંગ જાહેર ખબર

અંકિત દેસાઈ|Opinion - Opinion|18 June 2022

નર્મદને અર્વાચીનોમાં આદ્ય અમસ્તો નથી કીધો. 'વીરસત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી'નું ગાન કરનાર નર્મદે ગુજરાતીમાં સૌથી પહેલી આત્મકથા આપી એ તો ખરું જ. પરંતુ 'મુંબઈ સમાચાર' અખબારમાં નર્મદે છપાવેલી આ જાહેર ખબર જોઈને તો એવું પણ અર્થઘટન કરવાનું મન થાય કે નર્મદે ગુજરાતી પુસ્તકોના પ્રિ-બુકિંગ પણ સૌથી પહેલાં શરૂ કર્યા હતા!

જી હા, તાજેતરમાં જ તંત્રી નીલેશ દવેના સફળ નેતૃત્વમાં યોજાયેલા 'મુંબઈ સમાચાર'ની દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો, ત્યારે એક હોર્ડિંગ પર નર્મદના 'નર્મકોશ'ની આ ઍડવર્ટિઝમેન્ટ જોઈને ચોંકી જવાયેલું. ચોંકી શું જવાયેલું, મને તો થ્રિલ થયેલી! કે અહો, આ પણ કેવી ઐતિહાસિક જાહેર ખબર !

બનેલું એમ કે અમે બધા, એટલે કે 'મુંબઈ સમાચાર'ના કૉલમિસ્ટ્સ અને પત્રકારો 'મુંબઈ સમાચાર' પ્રેસના સૌથી પહેલાં પ્રિન્ટિંગ મશીન સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા ગયાં હતાં. મનમાં હતું કે એક મિનિટમાં બાર પાનાં કાઢી શકતાં, હાથેથી ચલાવવાના એ મશિનને સ્પર્શીશું તો બસો વર્ષની અવિરત યાત્રાનો એક નાનકડો અંશ હોવાનું ગૌરવ થશે ! પણ ક્યાંથી એ મશિનની પાછળ લગાવાયેલા બેનર્સમાં અમને તો ખજાનો જડી ગયો.

'મુંબઈ સમાચાર'ના એ પ્રિન્ટિંગ મશિનની પાછળ 'ધ નર્મદાશંકર લાલશંકર દવે'એ વર્ષ 1873માં પ્રકાશિત થયેલા 'નર્મકોશ'ની પ્રિ- બુકિંગની જાહેર ખબર છાપવામાં આવી હતી. એ જાહેર ખબર પણ જાનેવારી 1873મા પ્રકાશિત થઈ હતી. પણ મને થ્રિલ થવાનું કારણ એ હતું કે એ એડવર્ટિઝમેન્ટ માત્ર કોઈ પુસ્તકના 'પ્રિ – બુકિંગ'નો દસ્તાવેજ જ નથી, પણ નર્મદે 'મુંબઈ સમાચાર' સાથે કરેલા કોલોબ્રેશનની પણ આ જાહેરાત સાક્ષી છે !

મારું હારું ઈન્સ્ટાગ્રામનું કોલોબ્રેશન તો આજકાલનું ફીચર, કે ઈવન બ્રાન્ડિંગ કે માર્કેટિંગમાં બે બ્રેન્ડ્સના કોલોબ્રેશનનો ઇતિહાસ તો પચાસ – સો વર્ષથી ભણાવાય છે, પણ અમારા નર્મદાશંકરે તો તેમના 'નર્મકોશ' માટે છેક ૧૮૭૩મા કોલોબ્રેશન કરેલું કે 'ઘરાકોએ નામ ઠામ ને નકલ એ "મુંબઈ સમાચાર'' ઓફીસમાં નોંધાવવા ને ત્યાંથી જ તેઓને મારી વતીની રસીદ આપવામાં આવશે’.

થ્રિલ થવાનું બીજું કારણ એ કે નર્મદ તો પ્રોફેશનલ રાઈટર હતો, કલમને ખોળે તેણે માથું મૂકી દીધાની ઑફિશિયલ નોંધ પણ ઉપલબ્ધ છે જ. પણ નર્મદે 1873મા છપાયેલી આ પ્રિ – બુકિંગ જાહેર ખબર વાંચીને એ પણ સ્પષ્ટ થાય છે કે આખેઆખો 'નર્મકોશ' તૈયાર કર્યા પછી ય નર્મદને એવો ફાંકો નહોતો કે તે સાહિત્યની સેવા કરી રહ્યો છે ! બલકે એના‌ મનમાં તો રાઈટિંગ – ઈન ધિસ કેસ રિસર્ચ વર્ક – એ પ્રોફેશન હતું, એટલે એ ભાઈએ એડવર્ટિઝમેન્ટમાં સાહિત્ય સેવા – ફેવાનો ફાંકો મારવા કરતાં 'નર્મકોશ'ને ખરીદનારા માટે ધરાર 'ઘરાકો' શબ્દ વાપર્યો હતો! છેને ટ્રાન્સપરન્સી ! બાકી અહીં તો દર ચોથો લેખક અને પાંચમો કવિ ગામ આખા પાસે મેવા ઉઘરાવે છે અને પાછો પોતે મીઠ્ઠી ભાષામાં કહે છે 'હું તો સાહિત્યની સેવા કરું છું.'

પણ હવે જો આવા સેવાવીરો આસપાસમાં જડે તો એમને દંભી ગણી લેવા! નર્મદના સમ છે તમને. શું કહ્યું ? અથવા તો પછી કોઈ આ પેઢીનો બક્ષીના ગોત્રનો ગુજરાતી લેખક એવો ફાંકો મારે કે ગુજરાતીમાં 'પ્રિ-બુકિંગ'ની પ્રથા મેં શરૂ કરેલી તો એની સામે 'મુંબઈ સમાચાર'‌માં છપાયેલી આ જાહેરાત ધરી દેજો. મને કોઈ એવો કે એવી જડશે તો હું ય એમને આ જ બતાડીશ કે જૂઓ અર્વાચીનોના ડેડી નર્મદાશંકર ડિસ્કાઉન્ટની ઑફર સાથે છેક 1873માં આ જાહેર ખબર પેપરમાં છપાવી ગયેલા !

નર્મદ ખરેખર ગ્રેટ હતો. નર્મદ અનેક બાબતોમાં પાયોનિયર હતો. વળી, મજાની વાત એ કે નર્મદ તેના કામ બાબતે બહુ ક્લિયર હતો … એ ગૂંચવાયેલો નહોતો.

તા.ક. – નર્મદ પહેલાં ય કોઈ પ્રિ- બુકિંગની જાહેર ખબર આપી હોય એવું બનવાજોગ છે. જો એવું કોઈ હોય તો જણાવશો !

સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—150

દીપક મહેતા|Opinion - Opinion|18 June 2022

જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે

‘સર’નો ઈલ્કાબ મેળવનારા પહેલા હિંદુ હતા મંગળદાસ નથુભાઈ 

કુટુંબ, કબીલો, ખાનદાન, વંશ, ઘરાણું, અંગ્રેજીમાં કહે ‘ફેમેલી.’ કુટુંબની પરંપરા, એની જાળવણી, એક જમાનામાં ખૂબ મહત્ત્વની મનાતી. એ જાળવવા માટે માણસો ખુવાર થઈ જતા, પણ ખચકાતા નહિ. હવે વાત માંડવી છે મુંબઈનાં આવાં કેટલાંક ખાનદાનની. ભલે આજે તેમાંનાં ઘણાંનાં નામ ભૂલાઈ ગયાં હોય, પણ મુંબઈના જીવનને ઘડવામાં, મુંબઈના લોકોને નાની-મોટી સગવડ પૂરી પાડવામાં, પોતાની જમાતના જ નહિ, સૌ કોઈ માટે મોટી મોટી સખાવતો કરનારાં કેટલાંક કુટુંબોની કથા માંડીએ હવે.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું અસલ મકાન

૧૮૪૫ના નવેમ્બરની પહેલી તારીખથી શિક્ષણ આપવાનું શરૂ કરનાર ગ્રાન્ટ મેડિકલ કોલેજ તે માત્ર મુંબઈ ઈલાકાની જ નહિ, આખા દેશની પહેલવહેલી મેડિકલ કોલેજ. એટલે તે પહેલાં મુંબઈ ઇલાકામાં એક પણ ‘દેશી’ ડોક્ટર નહોતો. હા, હોસ્પિટલ હતી, તેમાં ડોકટરો હતા, પણ બધા અંગ્રેજ. અને ત્યાંની સારવાર પોસાય કાં અંગ્રેજ અમલદારોને, કાં બહુ તવંગર ‘દેશી’ઓને. તો એ વખતે માંદા પડે ત્યારે લોકો શું કરતા? કોની પાસે જતા? વૈદરાજ પાસે. આ વૈદરાજ જોશી તરીકે પણ ઓળખાતા. આવા એક બહુ જાણીતા વૈદરાજ હતા કરસન જોશી કે કરશણા જોશી. મુંબઈથી લગભગ ૮૦ કિલોમીટર દૂર આવેલા કેળવે-માહિમના વતની. ઈ.સ.૧૬૯૧ના અરસામાં પોતાના કુટુંબ-કબીલા સાથે મુંબઈ આવ્યા અને વૈદનો વ્યવસાય શરૂ કર્યો. ઝાઝી મૂડી તો હતી નહિ તેમની પાસે. છતાં એક નિયમ રાખેલો : પામતા-પહોંચતા દરદી આવે તેની પાસેથી ફી લેવાની. ગરીબ-ગુરબાં પાસેથી નહિ લેવાની. એટલું જ નહિ, બહારગામથી આવેલા ગરીબ દરદીઓનું રહેવા-ખાવાનું ખરચ પોતે આપતા અને ઘરે પાછા જવા માટે વાટખરચી પણ આપતા! એટલે એમની નામના માત્ર મુંબઈમાં જ નહિ, તેની આસપાસ પણ ફેલાઈ હતી. ઈ.સ. ૧૭૦૧માં જન્મેલો દીકરો ધરમ જોશી પણ બાપને પગલે ચાલ્યો. ધરમ જોશીને ત્રણ દીકરા. નાનો ગોવિંદ પોતાને વતન જઈને રહ્યો એટલે તેને વિષે ઝાઝું જાણવા મળતું નથી. પણ હર જોશી અને સદાશિવ જોશીએ કુટુંબનો વ્યવસાય ચાલુ રાખ્યો. બંનેની નામના પણ પુષ્કળ થઈ. તે એટલે સુધી કે એક અજ્ઞાત કવિએ તો કવિત પણ જોડી કાઢેલું :

જે દૂરી દેશનો ગરીબ દરદમાં ફશે, તે મુંબઈમાં હર જોશી પાસે જશે.
માવજત જેની જ્યાં પિતા પેરે થાય, રોડે ત્યાં સુધી તે મફતનું ખાય.
ઘણાઓએ તેવણનો આશરો લીધો, વતન જાયે ત્યારે તો સામણ સીધો.

કાલબાદેવી રોડ, ૧૮૯૦

આજનો કાલબાદેવી રોડ એક જમાનામાં ઉજ્જડ વેરાન હતો. એ વિસ્તારમાં કાલબાદેવીનું મંદિર બંધાયું તે પહેલાં આ રસ્તા પર આ જોશી કુટુંબે પોતાની વિશાળ હવેલી બંધાવી હતી. અને એટલે એ રસ્તો ‘હર જોશી રોડ’ તરીકે ઓળખાતો હતો. પણ કહે છે ને કે ‘ચડે તે પડવા માટે.’ હર જોશીના વંશજો ખાનદાની વ્યવસાયને જાળવી શક્યા નહિ. વળી હવે મુંબઈમાં બીજા વૈદો પણ આવી વસ્યા હતા. એટલે લોકો હર જોશીના વંશજો પાસે જવા કરતાં વિઠોબા, ભવાનીશંકર, જગન્નાથ, જેવા બીજા વૈદો પાસે જવા લાગ્યા. હર જોશીના કેટલાક વારસોએ નાની-મોટી નોકરી શોધી લીધી.

જોશી કુટુંબનું વંશવૃક્ષ

અહીં એક વાત નોંધવા જેવી છે. ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી જે-જે લોકો ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી મુંબઈ આવી વસ્યા તે બધા દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા હતા. કારણ એક તો મુંબઈના સાત ટાપુઓ જ એક બીજા સાથે જોડાયા નહોતા એટલે જમીન રસ્તા જેવું ભાગ્યે જ કશું હતું. અને ખાસ કરીને ગુજરાત અને મુંબઈ વચ્ચે તો રસ્તા હતા જ નહિ. બી.બી.સી.આઈ.ની મુંબઈ-અમદાવાદ વચ્ચેની ટ્રેન તો છેક ૧૮૭૦માં શરૂ થઈ. એટલે જે ગુજરાતીઓ અહીં આવ્યા તે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરોએથી દરિયાઈ રસ્તે મુંબઈ આવેલા.

આ રીતે આવેલા એક ગુજરાતી તે રૂપજી ધનજી. વતન ભાવનગર પાસેનું ઘોઘા ગામ. અને મુંબઈ આવવા વહાણે ચડ્યા પોર્ટુગીઝ હકુમત હેઠલના દીવ બંદરેથી. રહેતા પણ દીવ અને પોર્ટુગીઝ સરકારને જરૂરી માલસામાન મેળવી આપવામાં આડતિયા તરીકે કામ કરતા. શુ થયું એ તો રામજી જાણે, પણ ૧૬૯૨માં દીવ છોડી રૂપજી ધનજી દરિયા વાટે મુંબઈ આવ્યા. એ પહેલાં ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખથી મુંબઈ પરથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ શરૂ થઈ. મુંબઈ આવીને રૂપજી શેઠે કામ તો દીવમાં કરતા હતા તે જ કર્યું. પણ અહીં તેઓ પોર્ટુગીઝ સરકારને બદલે બ્રિટિશ સરકારને જરૂરી માલ-સામાન પૂરો પાડવા લાગ્યા. તેમના દીકરા મનોરદાસે બાપીકો ધંધો તો ચાલુ રાખ્યો, પણ સાથોસાથ શરાફીનો ધંધો પણ શરૂ કર્યો, એટલું જ નહિ, મુંબઈના નગર શેઠ બન્યા. મનોરદાસને પાંચ દીકરા. નાના નાગરદાસ નાનપણથી જ અપંગ અને વહેલા ગુજરી ગયા. પણ બીજા ભાઈઓ અને ભત્રીજાઓએ શેઠ કેશુરદાસ રણછોડદાસને નામે સરાફી ધંધો ખૂબ વિકસાવ્યો અને હિન્દુસ્તાનના બીજા પ્રાંતો સાથે વેપારી સંબંધો વિકસાવી આડતિયાના ધંધામાં લાખો રૂપિયા કમાયા. શેઠ રામદાસ અને તેમના ભત્રીજા શેઠ દેવીદાસે પોતાની અલગ પેઢી રામદાસ હરજીવનદાસના નામે કાઢી હતી.

ઈ.સ. ૧૮૦૭ના અરસામાં રામદાસ શેઠ ગુજરી ગયા ત્યારે પોતાની પાછળ વિધવા બાઈ રામકોર બાઈ અને બે દીકરાઓ મૂકતા ગયા હતા. તેમાંના નથુભાઈની ઉંમર હતી સાડા છ વરસ અને વિઠ્ઠલદાસની ઉંમર હતી ત્રણ વરસ. દીકરાઓ નાના હોવાથી રામદાસશેઠે પોતાની મિલકતના એડમિનિસ્ટ્રેટર તરીકે બે ભત્રીજાઓને નીમ્યા હતા. પણ નથુભાઈ અને વિઠ્ઠલદાસ બંને નાની ઉંમરના હતા તેનો ગેરલાભ લઈને પેલા બે ભત્રીજાઓ મોટા ભાગની મિલકત હડપ કરી ગયા. પુખ્ત વયના થયા પછી એ મિલકત પાછી મેળવવા માટે કોર્ટ-કચેરીનાં પગથિયાં ચડવામાં જ નથુભાઈનાં ઘણાં વરસ ગયાં. છેવટે સારી એવી મિલકત તેઓ પાછી મેળવી શક્યા હતા. ત્યાર બાદ વાલકેશ્વર ખાતે એક ધરમ શાળા અને શિવાલય બંધાવવાનું તેમણે શરૂ કર્યું, પણ તે પૂરું થાય તે પહેલાં જ ૪૧ વરસની ઉંમરે તેમનું અવસાન થયું.

સર મંગળદાસ નથુભાઈ

મંગળદાસ નથુભાઈનો જન્મ મુંબઈમાં ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. જ્ઞાતિ કપોળ વાણિયા. નથુભાઈ શેઠ ગુજરી ગયા ત્યારે દીકરા મંગળદાસની ઉંમર અગિયાર વરસ. ફરી એ જ વાત. પિતાએ નીમેલા વકીલો મિલકત હડપ કરવા માગે છે એ વાતનો ખ્યાલ મંગળદાસને આવી ગયો. મુંબઈની મેઈન વોરિંગની અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા એ છોડીને મિલકત બચાવવા પાછળ મંડી પડ્યા. સોળ વરસની ઉંમરે ૧૮૪૮માં રુખમણીબાઈ સાથે ભારે ધામધૂમથી લગ્ન કર્યાં ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો ખરચ કિધેલો, જે એ વખતે ઘણી મોટી રકમ ગણાય. સોળ વરસના લગ્નજીવનમાં તેમને ઘરે ત્રણ દીકરા અને બે દીકરીનો જન્મ થયો હતો. મંગળદાસની ૩૨ વરસની ઉંમરે ૧૮૬૪માં પત્નીનું અવસાન થયું. એ જમાનામાં પુરુષ એક પછી એક બે-ત્રણ-ચાર લગ્ન કરે તે સ્વાભાવિક ગણાતું. પણ મંગળદાસે બીજાં લગ્ન કર્યાં નહિ. એટલું જ નહિ, સદ્ગત પત્નીની યાદમાં પચાસ હજાર રૂપિયાના ખર્ચે કલ્યાણમાં હોસ્પિટલ શરૂ કરી હતી. પોતાના વસિયતનામામાં તેઓ યુનિવર્સિટી ઓફ બોમ્બેને સાડા ત્રણ લાખ રૂપિયાનું દાન આપી ગયા હતા. આજે પણ આ યુનિવર્સિટી તરફથી દર વરસે ‘સર મંગળદાસ નથુભાઈ ટ્રાવેલિંગ સ્કોલરશીપ અને બીજી બે સ્કોલરશીપ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે અપાય છે.

મંગળદાસ શેઠનું એકંદર વલણ સુધારાવાદીઓ તરફી હતું. એ વખતે હોળી ટાણે જે બિભત્સ ગીતો જાહેરમાં ગવાતાં અને આવતી-જતી છોકરીઓ અને સ્ત્રીઓની જે છેડતી થતી તેના પર તેમણે મુંબઈ પોલીસમાં અરજી કરીને પ્રતિબંધ મૂકાવ્યો. પરિણામે એ બદી નાબૂદ તો ન થઈ પણ તેનું પ્રમાણ ઘણું ઘટી ગયું.

મંગળદાસ શેઠનું વલણ ઘણે અંશે સમાજ સુધારાની તરફેણ કરનારું હતું. સ્ટુડનટ્સ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટીએ બહારકોટમાં છોકરાઓ માટે સ્કૂલ શરૂ કરી ત્યારે તેને મંગળદાસે ઘણી આર્થિક મદદ કરી હતી. આ જ સોસાયટીએ છોડીઓ માટેની પાંચ નિશાળ શરૂ કરી ત્યારે એ નિશાળોને પણ તેમણે છુટ્ટે હાથે દાન કર્યું. નામદાર જગન્નાથ શંકરશેઠે પોતાની માલિકીની જમીન દાનમાં આપીને તેના પર હિંદુ સ્મશાનભૂમિ ઊભી કરવાની દરખાસ્ત રજૂ કરી ત્યારે કેટલાક સનાતનીઓએ તેનો વિરોધ કર્યો હતો. પણ મંગળદાસે આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. તો સાથોસાથ તેઓ ઉદારમતવાદી પણ હતા. સુરતથી મુંબઈ આવીને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખથી ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું તે માટેની બધી મૂડી શેઠ મંગળદાસ નાથુભાઈએ રોકેલી. પછીથી ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયું તે પણ મંગળદસ શેઠની મૂડીથી. છતાં ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સોનાપુરની દરખાસ્તનો વિરોધ કર્યો ત્યારે મંગળદાસે તેમના વિચાર સ્વાતંત્ર્યનો આદર કર્યો.

દેશમાંથી કંપની સરકારનું રાજ ગયું અને રાણીનું રાજ આવ્યું તે પછી મુંબઈ ઈલાકાના વહીવટ અંગે સલાહ-સૂચન કરવા નિમાયેલી કાઉન્સિલના મંગળદાસ સભ્ય નિમાયા હતા – એક વાર નહિ, ચાર વાર. કાઉન્સિલમાંની તેમની ઉમદા કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારે સી.એસ.આઈ.ના ઈલકાબથી નવાજ્યા હતા અને ત્યારથી તેઓ ‘ધ ઓનરેબલ મંગળદાસ નથુભાઈ’ બન્યા હતા. તો મુંબઈ ઈલાકાના હિંદુઓમાં ‘સર’નો ઈલ્કાબ મેળવનારા મંગળદાસ સૌથી પહેલા હતા. ૧૮૭૫માં રાણી વિક્ટોરિયાએ તેમને સર નાઈટનો ખિતાબ આપ્યો હતો. ૧૮૭૭માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવ્યા ત્યારે તેમણે મંગળદસ શેઠને રૂપાનો ચાંદ આપેલો. એટલું જ નહિ, મંગળદાસના દીકરાઓના લગ્નમાં જાતે હાજર રહ્યા હતા. ૧૮૯૦ના માર્ચ મહિનામાં મંગળદાસનું અવસાન થયું.

ઘણા વખતથી વણઉકલ્યો એક કોયડો સર મંગળદાસ નથુભાઈ અંગે ખાંખાંખોળાં કરતાં આપોપાપ ખૂલી ગયો. એ કોયડો તે કિયો, અને એ ઉકલ્યો તે કઈ પેરે, એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx    

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 જૂન 2022

Loading

...102030...1,3491,3501,3511,352...1,3601,3701,380...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved