Opinion Magazine
Number of visits: 9458240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન : સમૃદ્ધ બને તે પહેલાં વૃદ્ધ થઇ જશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 January 2023

રાજ ગોસ્વામી

જે સમાચાર ઘણાં વર્ષોથી ‘આવું આવું’ કરતા હતા તે ઓલરેડી આવી ગયા છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ(ડબલ્યુ.પી.આર.)નો આધાર લઈને, રોઈટર સમાચાર સંસ્થાએ સંભાવના વ્યક્ત કરી છે કે એવું શક્ય છે કે જનસંખ્યાની બાબતમાં ભારત ચીનને પાછળ છોડીને ક્યારનું ય આગળ નીકળી ગયું છે. આ સંગઠન અનુસાર, 2022ના અંતે ભારતની જનસંખ્યા 138 કરોડ હતી. 17મી જાન્યુઆરીએ ચીને તેની જનસંખ્યાના જાહેર કરેલા આંકડા (141.20 કરોડ) અનુસાર જોઈએ તો ભારત અને તેની વચ્ચે બહુ અંતર રહ્યું નથી.

એમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે અનુમાન જ કર્યું હતું કે એપ્રિલ 2023માં ભારતની જનસંખ્યા ચીન કરતાં વધી જશે, પરંતુ ડબલ્યુ.પી.આર.ની ગણતરી પ્રમાણે ભારતે આ માઈલસ્ટોન જાન્યુઆરીમાં જ પાર કરી દીધો છે. મેક્રોટ્રેન્ડઝ નામના એક રિસર્ચ પ્લેટફોર્મ તરફથી જારી રિપોર્ટ પ્રમાણે ભારતની જનસંખ્યા 1.428 બિલિયન થઇ ચૂકી છે. ભારત દરેક દાયકામાં તેની જનસંખ્યાના આંકડા જાહેર કરે છે પરંતુ કોવિડની મહામારીને લઈને 2021માં તેને ટાળી દેવામાં આવ્યા હતા.

ડબલ્યુ.પી.આર.નો રિપોર્ટ કહે છે કે ભારતમાં જનસંખ્યાનો વિકાસ ઓછો થયો છે પણ તેની ગતિ 2050 સુધી જારી રહેશે. બીજી તરફ, ચીનની જનસંખ્યા ઓછી થઇ રહી છે. 2022ની સરખામણીમાં ચીનની જનસંખ્યા 2022માં 8.5 લાખ ઓછી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આકલન મુજબ 2022 અને 2050 વચ્ચે વિશ્વની જનસંખ્યામાં જેટલો વધારો થવાનું અનુમાન છે, તેની અડધાથી વધુ જનસંખ્યા માત્ર 8 દેશોમાં નોંધાશે; ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ગ્રીસ, ઇથોપિયા, કોંગો, નાઇજીરિયા અને ટૅન્ઝાનિયા.

ચીનમાં જનસંખ્યા ઘટવા પાછળ ઘટતો જન્મદર છે. ચીનમાં હવે એવી સ્થિતિ છે કે જેટલાં બાળકો જન્મ લે છે તેનાથી વધુ લોકોનાં મુત્યુ થાય છે. ચીન સરકારે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં દેશમાં 95.6 લાખ બાળકોએ જન્મ લીધો હતો, જયારે 104.1 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1966માં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ-ત્સે—તુંગે, ચીની કોમ્યુનિઝમનું શુદ્ધિકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દસ વર્ષ પછી, 1976માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઇ હતી. જો કે તે દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું ભયાનક નુકસાન થયું હતું. 

ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી જ માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચ વર્ષીય યોજના હતી, તેવી રીતે માઓએ 1958થી 1962 વચ્ચે આર્થિક અને સામાજિક સુધારની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી મોટી યોજનાઓ ઘડતા હોય છે અને પછી વગર વિચારે તેનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફોરવર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને તેના સ્થાને કોમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઈરાદો હતો.

તેમાં કૃષિ ક્ષેત્રે ભયંકર પાયમાલી થઇ હતી અને તેમાં જન્મ કરતાં મૃત્યુની સંખ્યા વધી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે 1960 અને 1961 વચ્ચે 7 લાખ લોકો માર્યા ગયા હતા. જો કે ત્યારે જન્મદર ઘટ્યો નહોતો અને એ ચિંતાનો વિષય હતો. એટલા માટે જ ત્યાં જન્મસંખ્યાને કાબૂમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા હતા. એમાંનો એક પ્રયાસ હતો ‘વન ચાઈલ્ડ પોલિસી.’ 1980ના આ કાનૂન મુજબ પતિ-પત્ની એક જ બાળકને જન્મ આપી શકતાં હતાં અને તેમને જ સરકારી નોકરીઓ મળતી હતી. 

જાણકાર લોકો કહે છે કે આ નીતિના કારણે નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે; એક તો જન્મદર ઓછો છે અને બીજું ઉંમરવાળી આબાદી વધતી જાય છે. ચીને પાછલાં અમુક વર્ષોમાં બાળકોનો જન્મદર વધે તે માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી. 2016માં ચીને ‘વન ચાઈલ્ડ પોલિસી’માં સુધારો કરીને બે બાળકો અને 2021માં ત્રણ બાળકોની છૂટ આપી હતી.

ઘટતો જન્મદર લેબર માર્કેટમાં આ ચિંતાનું કારણ છે? નવા આંકડા જાહેર કરતી વખતે નેશનલ પીપલ્સ કઁગ્રેસની કૃષિ અને ગ્રામ્ય બાબતોની કમિટીના વાઈસ-ચેરમેન કાઈ ફેંગે કહ્યું હતું કે ચીનમાં હજુ પણ માંગના પુરવઠા સામે લેબર સપ્લાયનો પુરવઠો ઘણો વધુ છે એટલે લોકોએ જનસંખ્યામાં કમી આવી છે તેની ચિંતા કરવા જેવી નથી.

ચીન સુપરપાવર બનવા તરફ ગતિ કરી રહ્યું છે તેને લઈને ભારત સહિતની પશ્ચિમની હરીફ અર્થવ્યવસ્થાઓ માટે કાયમ ચિંતા રહી છે પરંતુ ચીનની તાકાતમાં વિશ્વાસ ધરાવતા નિષ્ણાતો પણ એ મતના હતા કે ચીનનો અનુમાનિત વિકાસ છેવટે એક સ્તર પર આવીને ધીમો થઇ જશે. એ સ્તર ધાર્યા કરતાં વહેલું આવ્યું હોવાનો મત હવે મજબૂત થઇ રહ્યો છે.

તેનો સંકેત તેની જનસંખ્યાના અને તેની અર્થવ્યવસ્થા ગયા વર્ષે 3 ટકાના દરે જ વધી હોવાના તાજા ડેટામાંથી મળ્યો છે. સરકારનું અનુમાન એવું હતું કે અર્થવ્યવસ્થા 5.5 ટકાના દરે વધશે. અર્થવ્યવસ્થાની ધીમી ગતિ ચીનની ઝીરો-કોવિડ પોલિસીના કારણે છે. ચીને કોવિડના કેસ શૂન્ય પર લાવવા માટે આક્રમક નીતિ અપનાવી હતી પરંતુ લોકો વારંવારનાં લોકડાઉન્સથી ત્રાસી જતાં હજુ ગયા મહિને જ એ પોલિસીમાંથી પારોઠાનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 

જનસંખ્યા દરમાં ઘટાડો તેના માટે મુસીબત બની શકે છે. જાણકાર લોકો કહે છે કે આ નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથમાં કદાચ ક્યારે ય સુધારો નહીં થાય. 1980 અને 2015 વચ્ચે ચીનમાં કામ કરતી વસ્તી (વર્કિંગ-એજ પોપ્યુલેશન) 59.4 કરોડથી વધીને એક અબજની થઇ હતી. 1980માં, ચીનમાં કામ કરતી વસ્તીની અપેક્ષાએ યુવા અને ઉંમરવાન વસ્તી 68 ટકા હતી, જે 2015માં ઘટીને 38 થઇ હતી. એનો અર્થ એ થયો કે કામ ન કરતી દરેક વ્યક્તિની સામે કામ કરતી વ્યક્તિની સંખ્યા વધુ હતી.

નિષ્ણાતો કહે કે આ ટ્રેન્ડ હવે રિવર્સ થશે. હવે યુવાન વસ્તી ઘટશે અને ઉંમરવાન વસ્તી વધશે. કામ કરવા જોગ યુવા વસ્તી વધુ હોય અને તેના પર નાની તેમ જ ઉંમરવાન વસ્તીની દરકાર કરવાનું દબાણ ન હોય તેવી પરિસ્થિતિ જ ચીનની હરણ ઝડપે આર્થિક વિકાસ માટે કારણભૂત હતી. પાછલા એક દાયકામાં હજારોની સંખ્યામાં ચાઇનીઝ લોકો નિવૃત્ત થયા છે અને તેની જગ્યાએ આવતા યુવાનોની સંખ્યા ઓછી થઇ છે.

ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે સાચું, પરંતુ પ્રતિવ્યક્તિ (પર કેપિટા)ની દૃષ્ટિએ તે હજુ ય માધ્યમ-આવકવાળો દેશ છે. અમેરિકા છોડો, તેને યુ.કે.ની જેમ પ્રતિવ્યક્તિ ઉચ્ચ-આવકવાળી અર્થવ્યવસ્થા બનવું હોય તો તોતિંગ આર્થિક વિકાસ કરવો પડશે. વિકાસનું તેનું આ ગાડું ઉંમરવાન વસ્તીની વધતી સંખ્યામાં આવીને ફસાઈ જવાનું છે. ચીન સમૃદ્ધ બંને તે પહેલાં વૃદ્ધ થઇ જવાનું છે.

એ જો ઝડપથી વિકાસ નહીં કરે તો તેનો ભાર ઘરડાંની કમરે આવવાનો છે. 2013ના એક અભ્યાસ અનુસાર, ચીનના એક ચતુર્થાંશ જેટલાં વૃદ્ધ લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને ચીનમાં- જાપાન અને સાઉથ કોરિયા જેવા અન્ય ધનિક ઇસ્ટ એશિયન દેશોની માફક – સિનિયર સિટીઝન્સને ટેકો મળી રહે તેવી કોઈ ખાસ વ્યવસ્થા નથી. તેમની સંભાળ રાખવા વાળાં બાળકો હોય ત્યાં સુધી ઘરડી વસ્તીની કોઈ સમસ્યા નથી, પરંતુ વન ચાઈલ્ડ પોલિસીના પરિણામે આજે ત્યાં વસ્તીનો ઊંધો પિરામીડ સરજાયો છે; 4-2-1. ચાર દાદા-દાદી અને બે પેરેન્ટ્સ એક બાળકના આશ્રયે જીવે છે.

વૃદ્ધોની સંખ્યા વધે, તેમને સરકારી યોજનાઓનો કોઈ ટેકો ન હોય અને બાળકો તેમની સંભાળ રાખવામાં ઘસાઈ જાય તેનું સરવાળે પરિણામ દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા અને ખાસ તો ચીનનો મુકાબલો કરવા માટે ભારત માટે અહીં પાઠ ભણવા જેવું છે. એક તો તેણે જન્મદર નિયંત્રિત કરવા માટે ચીન જેવા કોઈ કાયદા લાવવા ન જોઈએ જે ઊલટા પડે અને બીજું, ભારતમાં સિનિયર સિટીઝન્સ(ચીનની જેમ, અમુક રાજ્યોમાં તેની સંખ્યા યુવાનો કરતાં વધુ છે)ની આબાદીનો ભાર પરિવારો પર ઓછો પડે તે માટે સરકારે વિશેષ યોજનાઓ વિચારવી જોઈએ.

ત્રીજું, ભારતે તેનાં તમામ રાજ્યોની આર્થિક પ્રગતિ પર ભાર આપવો જોઈએ. અત્યારે પ્રગતિનું ગાડું અસામાન ચાલી રહ્યું છે. અમુક રાજ્યોની પ્રગતિ સારી છે અને અમુકની ડામાડોળ છે. સર્વગ્રાહી પ્રગતિ માટે ભારતે તેની સામાજિક સમસ્યાઓ અને વિરોધાભાસોને મિટાવી દેવા જોઈએ. વધુ મહિલાઓ રોજગારીમાં જોડાય તેવી પ્રેરણા મળવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે તકો વધવી જોઈએ. આરોગ્ય વ્યવસ્થા ચુસ્ત થવી જોઈએ અને શિક્ષાનું સ્તર સુધારવું જોઈએ.

લાસ્ટ લાઈન:

“ગરીબી એટલે માત્ર પૈસાનો અભાવ નહીં; માણસ તરીકેની તેની પૂરી સંભાવનાને સાકાર કરવાની ક્ષમતા ન હોય તે પણ ગરીબી જ કહેવાય.”

— અમર્ત્ય સેન, અર્થશાસ્ત્રી 

પ્રગટ : ‘ક્રોસલાઈન’ “ગુજરાતી મિડ-ડે”; 22 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતીયોમાં સાર્વજનિક શિષ્ટાચારની કમી કેમ છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 January 2023

રાજ ગોસ્વામી

ન્યૂયોર્કથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં, કથિત રીતે નશામાં ધૂત એક પુરુષ પ્રવાસીએ તેની એક વૃદ્ધ મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કર્યો હતો. આ ઘટના 26 નવેમ્બરના રોજ બની હતી.

બેંગકોકથી કોલકત્તા આવતી થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં, ભારતીય પ્રવાસીઓ વચ્ચે છુટ્ટા હાથની મારમારી થઇ. એક પ્રવાસીએ આખો વીડિયો શૂટ કર્યો અને સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યો. થાઈ એર હોસ્ટેસો બિચારી જોતી જ રહી ગઈ. આ ઘટના 22 ડિસેમ્બરના રોજ બની હતી. 

ઇન્સ્તમ્બૂલથી દિલ્હી આવતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટમાં એક પુરુષ પ્રવાસીએ ભોજન બાબતે એવો દુર્વ્યવહાર કર્યો કે એર હોસ્ટેસ રડી પડી. તેની વહારે આવેલી બીજી એર હોસ્ટેસે પેલા સાથે ઝઘડો વહોરી લીધો અને સંભળાવ્યું કે “શટ અપ, હું વિમાનની કર્મચારી છું, તારી નોકર નહીં.” આ ઘટના 16 ડિસેમ્બરે બની હતી.

દિલ્હીથી મુંબઈ જવા માટે તૈયાર એર ઇન્ડિયાની ટેકનિકલ કારણોસર 8 કલાક મોડી પડી એટલે પ્રવાસીઓએ કોકપિટના દરવાજા પાસે જઈને હલ્લો કર્યો અને પાઈલટને ધમકાવ્યો. એક પ્રવાસીએ દરવાજા પર મુક્કા મારીને બૂમ પાડી કે, “દરવાજો નહીં ખોલે તો તોડી નાખીશ.” આ ઘટના 2જી જાન્યુઆરીએ બની હતી.

ઇન્ડિગોની ફ્લાઈટમાં પાઈલટની ફરિયાદ પરથી ત્રણ પુરુષ પ્રવાસીઓની પોલીસે એટલા માટે ધરપકડ કરી હતી, કારણ કે તેમણે વિમાનની એર હોસ્ટેસો સાથે નિર્લજ્જ વ્યવહાર કર્યો હતો. આ ઘટના 2020ની 10મી એપ્રિલે બની હતી.

ભારતના હવાઈ મુસાફરો કેટલા બદ્દ-તમીજ હોય છે તેનાં લેટેસ્ટ ઉદાહરણો છે. ભૂતકાળમાંથી બીજાં ઉદાહરણો પણ છે. 2014માં, ન્યુયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં ડ્રિંક આવતાં વાર લાગી એટલે પુરુષ પ્રવાસીએ એર હોસ્ટેસની છેડતી કરી હતી. એ જ વર્ષે, મેંગલોર પોલીસે દુબઈથી આવતી ફ્લાઈટમાં દારૂ પીને ધમાલ કરતા એક પ્રવાસીની ધરપકડ કરી હતી. 2018માં, બાલી-ઇન્ડોનેશિયાની એક હોટેલમાંથી રૂમની ચીજવસ્તુઓ ચોરતા એક ભારતીય પરિવારનો વીડિયો વાઈરલ થયો હતો. 

બહાર ફરવા જાય જાય ત્યારે ફ્લાઇટ્સમાં રાજાપાઠમાં આવી જવું, સડકો પર કચરો ફેંકવો, સાઈટ-સીઈંગમાં ખૂણો જોઈને ‘ઊભા’ થઇ જવું, ચીસો પાડીને અવાજે બોલવું, દુકાનોમાં ચીજવસ્તુઓને અડાઅડ કરવું, હોટેલના રૂમમાંથી ટુવાલ કે શેમ્પુ-સાબુને બાપુજીનો માલ સમજીને બેગમાં મૂકી દેવાં, રેસ્ટોરન્ટમાં ખાતી વખતે અવાજ કરીને ચાવવું, વેઈટરને ‘એઈ…એઈ’ કહીને બોલાવવો, બીચ પર ગોરી સ્ત્રીઓના ફોટા ખેંચવા, ફ્લાઈટમાં, બસમાં, ટ્રેનમાં બાજુવાળાઓના મોબાઈલમાં ડોકિયાં કરવાં વગેરે ભારતીય મુસાફરોમાં જોવા મળતો આમ વ્યવહાર છે. વિમાનના કર્મચારી ગણની કાયમી ફરિયાદ હોય છે કે ફ્લાઇટ્સમાં ભારતીય પ્રવાસીઓ એવી રીતે વર્તતા હોય છે જાણે એ તેમનું ઘર હોય.

2007માં, યુરોપના 15,000 હોટેલ સંચાલકોના એક સરવેમાં ભારતીયોને બીજા નંબરના નઠારા પ્રવાસીઓમાં સ્થાન મળ્યું હતું. એ સરવેમાં આપણા માટે ‘આશ્વાસન’ એ હતું ફ્રેંચ લોકોને પહેલું અને ચીની લોકોને ત્રીજું સ્થાન મળ્યું હતું (જાપાનીઝ, અમેરિકન અને સ્વિસ લોકોને દુનિયાના શ્રેષ્ઠ પ્રવાસીઓ તરીકે સ્થાન મળ્યું હતું). સારા કે ખરાબની 10 કેટેગરીમાં, એ હોટેલોના મેનેજરોએ સભ્યતાની બાબતમાં ભારતીયો સૌથી તળિયે બેસાડ્યા હતા.

2019માં, આર.પી.જી. એન્ટરપ્રાઈઝના ઉધોગપતિ હર્ષ ગોયંકાએ, સ્વીત્ઝરલૅન્ડના ગસ્ટાડ શહેરની એક હોટેલ બહાર ‘ભારતીય મહેમાનો’ માટે મુકવામાં આવેલી ખાસ નોટિસનો ફોટો ટ્વીટ કરીને સોશ્યલ મીડિયામાં હલચલ પેદા કરી દીધી હતી. તેમાં ભારતથી આવેલા પ્રવાસીઓ માટે એવી સૂચનાઓ લખવામાં હતી કે એક બાજુ શરમ પણ આવે અને બીજી બાજુ અપમાન પણ અનુભવાય. જેમ કે – “બ્રેકફાસ્ટ બુફેમાંથી કોઈ ખાવાનું સાથે લઇ ન જવું, બ્રેકફાસ્ટ અહીં જ ખાવા માટે છે, લંચ બેગ જોઈતી હોય તો પૈસા ભરીને મળી શકશે, બાલ્કનીમાં જોર-જોરથી ન બોલવું, કોરિડોરમાં નીચા અવાજે બોલવું, અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવે છે અને તેમણે શાંતિ પસંદ છે.”

પૂજા સહાય નામની એક આન્ત્રપ્રેન્યોરે એક સમાચારપત્રને કહ્યું હતું કે યુરોપ અને સાઉથ ઇસ્ટ એશિયાની હોટેલના મેનેજરો ભારતીયોનું નામ સાંભળે છે અને ભડકે છે. પૂજા કહે છે કે તે સાત વખત થાઇલેન્ડ ગઈ છે અને દરેક વખતે હોટેલના મેનેજરે તેને ફરિયાદ કરી હતી કે બીજા દેશોના નાગરિકો રૂમ છોડીને જાય પછી 17થી 20 મિનિટમાં સાફ-સફાઈ થઇ જાય છે પણ ભારતીય પ્રવાસીઓના ગયા પછી રૂમ સાફ કરતાં 40થી 45 મિનીટ લાગે છે.

કોઈને આ એકલદોકલ વાત લગતી હોય તો 2018ના એક કિસ્સાને યાદ કરવા જેવો છે. દેશની એક તમાકુ પ્રોડકટ કંપનીના 1,300 કર્મચારીઓએ સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા જતા ક્રૂઝ શીપ પર પાર્ટીના નામે એટલી ધમાલ કરી હતી કે ક્રૂઝની કંપની રોયલ કેરબિયન ઈન્ટરનેશનલે ક્રૂઝ પરના બીજા પ્રવાસીઓની માફી માગવી પડી હતી અને તેમણે રીફંડ કરવું પડ્યું હતું.

મૂળ સમસ્યા એ છે કે ભારતીયોમાં એટીકિટ(શિષ્ટાચાર, વિવેક, તમીજ)નો અભાવ છે. આ એક સામાજિક મુદ્દો છે. શિષ્ટાચાર સામાજિક અસરનું પરિણામ છે. એક સમાજ તરીકે આપણે બહુ સદીઓ સુધી ગરીબી, નિરક્ષરતા અને બીમારીઓમાં રહ્યા છીએ. ગમે એમ કરીને જીવન ટકાવી રાખવું એ જ એક સૌથી મોટી પ્રાથમિકતા અનેક પેઢીઓ સુધી રહી હોવાથી, બીજી બાબતો ગૌણ અથવા બિનજરૂરી બની ગઈ હતી. જેમ કે આધુનિક જીવનનો પાયો યુરોપમાં નંખાયો હતો એટલે ત્યાં રોટી, કપડાં અને મકાનની સમસ્યાઓથી નિશ્ચિંત થયેલા લોકોએ વ્યક્તિગત અને સાર્વજનિક શિષ્ટાચારને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું હતું. એટલે ત્યાંની પેઢીઓ સભ્ય અને શાંત વાતાવરણમાં મોટી થઇ હતી અને આપણી પેઢીઓ બૂમાબૂમ અને ધક્કામુક્કીના વાતાવરણમાં મોટી થઇ હતી.

આ સામાજિક સંસ્કારની સમસ્યા છે. તમે ભારતમાં ગમે ત્યાં જાવ, લાઈન તોડીને આગળ જતા રહેવું, ધક્કામુક્કી કરવી, જોર જોરથી વાતો કરવી, વાહનમાંથી કે ઘરમાંથી કચરો ફેંકવો, શાંતિ જાળવવાની હોય ત્યાં બૂમાબૂમ કરવી, લોકોને અડાઅડ કરવું, લિફ્ટમાં સૌથી પહેલાં ઘુસી જવા ઉતાવળ કરવી અથવા બીજાને રોકવા લિફ્ટ બંધ કરી દેવી, ગમે ત્યાં થૂંકવું, જોર જોરથી બારણાં બંધ કરવાં, રેસ્ટોરન્ટમાં ખાવાનું ચાવતી વખતે અવાજ કરવો, જાહેર દીવાલ કે સીટ પર ચુન્ગમ ચોંટાડી દેવી, (પુરુષ હોય તો) જાહેરમાં પેશાબ કરવો, વેઈટર કે ઘર ચાકર સાથે ઉદ્ધતાઈથી વર્તવું, સાર્વજનિક જગ્યાઓ પર દીવાલો ચીતરવી જેવી અનેક ‘ખાસિયતો’ જોવા મળશે.

એક સમાજ તરીકે આપણે ત્યાં સાર્વજનિક શિષ્ટતાની બહુ દરકાર કરવામાં નથી આવતી. સામાજિક વ્યવહાર દેખાદેખીથી આવે છે. એ ઘરોમાં પણ જોવા મળે છે. ભારતમાં કેટલા ય ઘરોમાં નાના-મોટા સૌ ઉદ્ધતાઈથી વર્તતા હોય છે અને કોઈને કોઈ વાંધો નથી પડતો. જ્યારે એક પેઢી તેની અગલી પેઢીની અશિષ્ટતા જોઈને મોટી થઇ હોય પછી એવો વ્યવહાર સાર્વજનિક બની જાય છે. ઘણીવાર તો પરિવારો જ તેમના સંતાનોને આક્રમકતા અને ઉદ્ધતા શીખવાડે છે.

આપણે ત્યાં નમ્રતાને કમજોરીનો અથવા ‘સ્ત્રૈણ’ ગુણ માનવામાં આવે છે. દાખલા તરીકે, ઘરોમાં દરેક છોકરીને નમ્રતા રાખવાનું ભાષણ આપવામાં આવે છે પણ છોકરાને એ લાગુ નથી પડતું. છોકરો હોવું એટલે જાણે આક્રમક અને ઉદ્ધત હોવું એવું ગણિત છે. હિન્દી ફિલ્મોના મોટા ભાગના હિરો ઉદ્ધત વ્યવહાર કરે છે અને તેને મર્દાનગી ગણવામાં આવે છે.

અને આપણે દેશની વિધાનસભાઓમાં થતી મારામારીની તો વાત પણ કરતા નથી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શિક્ષણનીતિમાં શિક્ષણ હશે, નીતિ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 January 2023

રવીન્દ્ર પારેખ

2023નું નવું વર્ષ સખત ઠંડી લઈને આવ્યું છે. જાન્યુઆરીના પહેલા જ નવ દિવસમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઠંડીથી એક જ હોસ્પિટલમાં 131 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાં. એ પછી આખા દેશમાં ઠંડી વધવાના સમાચારો આવ્યે જ જાય છે. ગુજરાતમાં નલિયામાં તાપમાન એટલું ઘટ્યું કે તેની પાણીની પાઈપમાં બરફ જામી ગયો. આખા ગુજરાતમાં ઠંડી, ઠંડી પડવાનું નામ જ નથી દેતી ! આવી ઠંડીમાં રાજકોટમાં ગયા મંગળવારે સવારે આઠના સુમારે 8માં ધોરણની એક વિદ્યાર્થિની રિયા સાગર પ્રાર્થના પછી, વર્ગખંડમાં એકાએક ઢળી પડે છે ને હોસ્પિટલમાં સારવાર મળે ત્યાં સુધીમાં, દસ જ મિનિટમાં મૃત્યુ પામે છે. તેની માતાના કહેવા મુજબ તેને કોઈ બીમારી ન હતી. આ મામલો ટાઢો પડે ત્યાં તો વલસાડની કોલેજનો એસ.વાય.બી.એ.નો આકાશ પટેલ કોલેજ પરિસરમાં જ સવારે ચાલતાં ચાલતાં ઢળી પડે છે ને તેને હોસ્પિટલે ખસેડાય છે, પણ તબીબો તેને મૃત જાહેર કરે છે. આ ઘટનાઓમાં ઠંડીએ ભાગ ભજવ્યો હોવાનું લાગે છે. વિદ્યાર્થીઓનાં મોતનું સાચું કારણ તો આવતાં આવશે, પણ રિયાની માતાનું સ્પષ્ટ કહેવું છે કે તે ઠંડીને કારણે મૃત્યુ પામી છે. ડોક્ટરનું પણ માનવું છે કે ઠંડી વધારે હોય તો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જાય છે. સ્કૂલો યુનિફોર્મની સાથે સાથે સ્વેટર પણ સ્કૂલનું જ પહેરવાનો આગ્રહ, વિદ્યાર્થીઓ પાસેથી રાખે છે ને એમાં ઠંડીથી પૂરતું રક્ષણ મળતું નથી. એ સ્થિતિમાં ઉપર બીજું કોઈ ગરમ વસ્ત્ર પહેરવાની છૂટ પણ શાળા આપતી નથી. સંસ્થાઓ જડતા નથી જ છોડી શકતી તેનું આ વધુ એક વરવું ઉદાહરણ છે.

જો કે, એ પછી રાજકોટના અને સુરતના જિલ્લા શિક્ષણાધિકારીઓ પરિપત્ર બહાર પાડે છે કે પોતાનું જ નક્કી કરાયેલું સ્વેટર વિદ્યાર્થીઓને પહેરાવવાનો આગ્રહ સ્કૂલો રાખી શકશે નહીં ને બીજાં કોઈ ગરમ કપડાં વિદ્યાર્થીઓ પહેરીને આવે તો તેને રોકી શકાશે નહીં. શાળાનો સવારનો સમય પણ સ્કૂલોને 8 વાગ્યાનો કરવાના આદેશો અપાયા છે. એમાં કસૂર થશે તો તંત્રોએ શિક્ષાત્મક પગલાં ભરવાની ચેતવણી પણ આપી છે, પણ આ બધું રાંડયાં પછીનાં ડહાપણ જેવું છે. દુ:ખની વાત એ છે કે ‘અગમચેતી’ જેવો શબ્દ જ આખાયે શિક્ષણ વિભાગના કોર્સમાં નથી. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનો કહેર ચાલે છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં 131 માણસો ઠંડીથી ઓલરેડી ગુજરી ગયા છે ને તે વાત દુનિયા જાણે છે, આબુમાં  – 6 ડિગ્રી કે નલિયામાં – 1.4 ડિગ્રી તાપમાન નોંધાયાનું મીડિયામાં દિવસોથી ગાજી ચૂક્યું છે, તો ય સ્કૂલનો સમય બે વિદ્યાર્થીઓનાં મોત ન થાય ત્યાં સુધી સાતથી આઠ કરાતો નથી. શિક્ષણ વિભાગને આની જાણ જ ન હોય તેમ તે તો ટાઢોબોળ જ છે અને વાલીઓને પણ બહુ પડેલી ન હોય તેમ તેઓ પણ મગનું નામ મરી પાડતાં નથી. એને તો છોકરું ભણવા જાય એટલે ભયો ભયો. પછી એ સ્કૂલમાં શું કરે છે કે એની સાથે સ્કૂલમાં શું થાય છે તે વાત જ સિલેબસમાં નથી આવતી. સ્કૂલનાં યુનિફોર્મ સાથેનાં સ્વેટરોમાં ઠંડી રહેતી ન હોય તો ય, બીજાં ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ વિદ્યાર્થીઓને અપાતી જ નથી. એ છૂટ માટેનો પરિપત્ર પણ તો વિદ્યાર્થિનીનાં મોત પછી કરાય છે. કોઈ ન મરે ત્યાં સુધી શિક્ષણ વિભાગને ઠંડી વધારે છે એની ખબર જ પડતી નથી. આ રીઢાપણું અધમ પ્રકારની નિર્લજ્જતાની ચાડી ખાય છે. આ એવી જાડી ચામડીઓ છે કે એને ટાઢ, તડકો કે વરસાદ, કૈં સ્પર્શતું નથી. આમ તો નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે, પણ એમાં શિક્ષણ હોય તો હોય, નીતિનો તો છાંટો સરખો ય નથી. જ્યાં માનવતા જ બાજુએ મુકાતી હોય ત્યાં શિક્ષણ હોય તો ય શું ને ન હોય તો ય શું? ઓછું ભણેલો મંત્રી જો વધુ ભણેલા કલેકટર કે કમિશનરની મંતરતો હોય, તો ભણીગણીને વિદ્વાન થવાની વાત પર ભરોસો રાખવાનું કોઈ કારણ ખરું? ટૂંકમાં, શિક્ષણનું આટલું મૂલ્ય આઝાદી પછી આપણે કમાયા છીએ ! આમ જોઈએ તો ભ્રષ્ટાચારના આખાને આખા હાથી પસાર થઈ જાય છે ને બીજી તરફ નાની અમથી વાતમાં પણ આપણે સિદ્ધાંત, આદર્શ ને નીતિની મેથી મારતા રહીએ છીએ. જ્યાં માનવીય ધોરણે વ્યવહારુ બનવાનું હોય ત્યાં જડ અને જ્યાં સખત હાથે કામ લેવાનું હોય ત્યાં ‘વ્યવહાર’ સાચવવાનું વલણ આપણા આ કહેવાતા વિકાસનાં મૂળમાં છે.

*

આ વાતને થોડી હળવાશથીયે જોવી જોઈએ. બાળક નાનેથી જ સમાનતાનો પાઠ શીખે એ માટે આપણે સ્કૂલોમાં યુનિફોર્મ દાખલ કર્યા. હવે તો પ્રિ-નર્સરીમાં પણ યુનિફોર્મ છે. સારું છે કે બાળક ગણવેશ પહેરીને જ જનમતું નથી. એક સમયે લગભગ બધે જ સફેદ શર્ટ અને ખાખી પેન્ટનો યુનિફોર્મ હતો. એ પછી સ્કૂલોને ફેશનેબલ થવાનું મન થયું. દરેક સ્કૂલે પોતાનો યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે નક્કી કર્યો. યુનિફોર્મ આમ તો વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ જાગે એ માટે હતો, પણ સ્કૂલો યુનિફોર્મને લઈને જુદી પડી. યુનિફોર્મથી રંગીન સમાનતા આવી. યુનિફોર્મ પરથી સ્કૂલ કેટલી મોંઘી છે એનો ખ્યાલ પણ આવે એ રંગીન સમાનતાનો હેતુ હશે. આવું એટલે થયું કે વિદ્યાર્થી કઇ સ્કૂલનો છે તે દૂરથી જ યુનિફોર્મ પરથી ખબર પડે, કેમ જાણે જોનાર પાસે બધી સ્કૂલના યુનિફોર્મની યાદી ને સરનામાં ગજવામાં પડ્યાં છે ! કોઈ બાળક રખડતો જણાય કે કોઈ અકસ્માતનો ભોગ બને તો યુનિફોર્મ પરથી જે તે સ્કૂલનો સંપર્ક સરળ બને એ હેતુ જુદા જુદા યુનિફોર્મનો હોય એમ બને, પણ વિદ્યાર્થીના ગળામાં જ તેનું ઓળખકાર્ડ લટકતું હોય તો તે પરથી પણ ઓળખ શક્ય બને ને ! એ ખરું કે સમાનતા શીખવવા અસમાન યુનિફોર્મથી, વિદ્યાર્થીઓને જુદા પાડવા આટલું તો કરવું જ પડે ! વારુ, એ તો વિદ્યાર્થી છે, એ કૈં છાપાં, ચેનલ તો જોતો નથી, એને મોબાઈલ પર એવા મેસેજ તો મળતા નથી કે ખબર પડે કે ચૂંટણીમાં કઇ જાતિ, જ્ઞાતિ, ધર્મનો ઉમેદવાર જે તે કોમ્યુનિટીને જોઈને ઊભો રખાય છે? એ તો એટલું જ બંધારણ ભણ્યો છે કે સૌને સમાન રીતે રહેવા-જીવવાનો અધિકાર છે. એ જાણે છે કે સમાનતા સ્કૂલમાં જ હોય છે ને તે યુનિફોર્મથી જ આવે છે. જોયું ને, વિદ્યાર્થી સમાનતાના પાઠ શીખે એ માટે શિક્ષણ ખાતું સ્કૂલોને કેવી કેવી સ્વતંત્રતા યુનિફોર્મથી જ આપવા લાગે છે …

શિક્ષણ વિભાગ કેટલું જાણે છે તે તો નથી ખબર, પણ આ સ્કૂલોનું ય પોતાનું શાસન હોય છે. બધી સ્કૂલો આમ જ કરે છે કે બધી સ્કૂલોનો ઇરાદો એક જ હોય છે, એવું કહેવાનું નથી, પણ સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે કરાવે તેથી વધુ ઇતરપ્રવૃત્તિઓ હવે પોતે કરે છે. એક સમયે મેદાન વગરની સ્કૂલ દેખાતી ન હતી. હવે મેદાન તો રેલીઓ, સભાઓ માટે જ રહી ગયાં છે. એ હવે સ્કૂલની ઓળખ લગભગ નથી ને વ્યાયામ માટે તો જિમ પણ છે જ ને !

એક સમય હતો જ્યારે વાલીઓ અનુકૂળ લાગે તે દુકાનેથી સંતાનો માટે પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્વેટર, સ્કાર્ફ વગેરે ખરીદતાં ને સ્કૂલ ચાલુ થાય એટલે વિદ્યાર્થી યુનિફોર્મમાં સજ્જ થઈને સ્કૂલે પહોંચતો. સ્કૂલો બિચારી ભલી બહુ ! જીવદયામાં માને. તેને વાલીઓની દયા આવી. તેણે પોતે એવી વ્યવસ્થા ઊભી કરી કે ગણવેશનું કપડું, સિલાઈ, પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્કૂલ બેગ વગેરે .. સ્કૂલમાંથી જ મળી રહે. વાલીઓને તો ભાવતું હતું ને વૈદે કીધા જેવું થયું. સ્કૂલોમાં ભણવાયું હશે જ, પણ વાલીઓની શૈક્ષણિક ખરીદીનું મુખ્ય મથક પછી તો સ્કૂલો જ બની રહી. સ્કૂલો દૂર દૂર એટલે રખાઇ કે તેની બસમાં વિદ્યાર્થીઓ આવ-જા કરી શકે ને સ્કૂલને ફી ઉપરાંતનો લાભ પણ મળે. આમે ય વાલીએ વાહનની તો કોઈ વ્યવસ્થા કરવાની જ હતી ને પૈસા બીજાને ખટાવવાના હતા, તો થોડું સ્કૂલ કમાય તેમાં વાલીઓને શું કામ દુખવું જોઈએ? સ્કૂલનું ચાલે તો યુનિફોર્મની જેમ બસ પણ સ્કૂલમાં જ બનાવે. ભવિષ્યમાં એવું કૈં થાય તો નવાઈ નહીં !

કેટલીક સ્કૂલો ડાયરેક્ટ મિલોમાંથી કાપડ ખરીદતી થઈ. આ સ્વવલંબનથી થયું એવું કે સ્કૂલો કાપડ મિલમાંથી ખરીદે ને વાલીઓને વેચે ને એમ વિદ્યાર્થીઓ વગર ભણાવ્યે જ નફાના દાખલા શીખે. કેટલાક વાલીઓને નફાની ગંધ આવી ને તેને લાગ્યું કે તે પણ પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ વગેરે ખરીદી શકે એમ છે. તેણે સ્કૂલ પાસેથી તે અંગેની રજા માંગી, પણ સ્કૂલો એમ ઇતર પ્રવૃત્તિઓમાંથી થતો નફો જતો કરે તો તેની શાખ અને શાખાઓને બટ્ટો લાગે ! એટલે તેણે ફરમાન કાઢ્યું કે વાલીઓએ બાળકો માટેની બધી ખરીદી સ્કૂલમાંથી કરવાનું ફરજિયાત છે. છેતરાવા માટે બીજે શું કામ જવાનું? સ્કૂલો નથી? વિદ્યાર્થીએ સ્વેટર પહેરવાનું થાય તો તે પણ સ્કૂલમાંથી જ ખરીદવાનું ફરજિયાત થયું. એવું નથી કે પૈસા લઈને સ્કૂલો સ્વેટર આપતી નથી, આપે છે. એ જુદી વાત છે કે એ પહેરવાથી ટાઢ વિદ્યાર્થીને વાય છે ને ગરમી વાલીને ચડે છે.

એ અક્કલનો ઇસ્કોતરો તો એ વિચારે અધમૂઓ થઈ જાય છે કે વેપારને બહાને અંગ્રેજો આવ્યા ને દેશને ગુલામ કરીને રહ્યા – એના જેવું તો આ કૈં નથી ને? વાલી બિચારો એ વાતે મૂંઝાય છે કે થોડાં થોડાં નાણાં ખર્ચીને તેણે સ્કૂલ જેવાંમાંથી કેવી નાની નાની ગુલામી વેચાતી લીધી છે ! સાલું, સમજાતું જ નથી કે છેલ્લાં 75 વર્ષથી એ એવી તે કેવી સ્વતંત્રતા ભોગવી રહ્યો છે કે અટકવાનું નામ જ નથી દેતી? અમિતાભ બચ્ચને કોઈ કરોડપતિ વિજેતાને ન પૂછેલો સવાલ વાલીઓને ને વ્હાલીઓને રહી રહીને એ થયા કરે છે કે વિદેશીઓ તો વિદેશના હતા એટલે ગયા, પણ આ દેશીઓ તો આ જ દેશના છે ને એ જવાના નથી, તો એનાથી મુક્તિ મેળવવા છેવટે કરવાનું શું? છે કોઈ જવાબ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2023

Loading

...102030...1,1251,1261,1271,128...1,1401,1501,160...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved