Opinion Magazine
Number of visits: 9458210
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાહીડમરી સ્ત્રીની ભડલીવાણી

સાબીલા ખાન : અંગ્રેજી • બકુલા ઘાસવાલા : ગુજરાતી / મુક્તાનુવાદ|Opinion - Opinion|27 January 2023

એક ડાહીડમરી સફળ સ્ત્રીને એની સિદ્ધિયાત્રાનાં રહસ્યો વિશે મેં પૂછેલું અને એણે સ્મિતપૂર્વક  જે કહેલું તે આ : 

“મારી સફળતા માટે માર્ગ જડ્યો એટલે

 મેં નગણ્ય લોકો સાથે  

નાની નાની લમણાંઝીક કરવાનું છોડી દીધું.

જેઓ મારી પાડાપંચાત કર્યા કરતા તેવા લોકો સાથે માથાકૂટ છોડી દીધી …..

મારાં સાસરિયાંને નજરઅંદાજ કર્યાં ….

ને મારી હયાતીનો અહેસાસ કરાવવાનું બંધ કર્યું ….. 

લોકોની મારાં માટેની અપેક્ષાપૂર્તિ માટે કાપરકૂટલાં બંધ કર્યાં …..

જેમને મારી કદર નથી તેવાં લોકો સાથે હક્ક માટે ચડભડ છોડી …..

એક વ્યક્તિ કાયમ બધાંને ખુશ કરી શકતી નથી તેનો અર્થમર્મ સમજી …..

તેઓ મને ખોટી રીતે ગણે છે તે ગણિત ગણવાનું બંધ કર્યું …..

વા સાથે લડાઈ વહોરનારાં સાથે મેં લપછપ જ છોડી દીધી …..

અને મેં સંઘર્ષ શરૂ કર્યો 

મારી દૃષ્ટિ માટે 

મારાં સપનાંઓ સાકાર કરવાં માટે 

મારા આદર્શોને ચરિતાર્થ કરવા માટે 

 અને મારી નિયતિ માટે 

જે દિવસથી મેં નાની નાની રકઝક છોડી જીવવાનું શરૂ કર્યું 

ત્યારથી મારી સંતુષ્ટિસભર સિદ્ધિયાત્રાનું પગરણ મંડાયું.” 

કેટલીક  ફાજલ બાથંબાથી તમારા વખતને લાયક જ નથી…..

ડહાપણ તો એમાં જ છે કે સંઘર્ષનો માર્ગ તમારી રીતે પસંદ કરો. 

*************

Sabila Khan 

I once asked a very successful woman to share her secret with me. She smiled and said to me..

“I started succeeding when I started leaving small fights for small fighters.

I stopped fighting those who gossiped about me…

I stopped fighting with my in laws…

I stopped fighting for attention…

I stopped fighting to meet peoples expectation of me…

I stopped fighting for my rights with inconsiderate people..

I stopped fighting to please everyone…

I stopped fighting to prove they were wrong about me….

I left such fights for those who have nothing else to fight…

And I started fighting for

my vision,

my dreams,

my ideas and

my destiny.

The day I gave up on small fights is the day I started becoming successful & so much more content.”

Some fights are not worth your time….. Choose what you fight for wisely.

સાબીલા ખાનની વોલ પરથી બકુલાબહેન લઈ આવ્યાં, જ્યારે અહીં બકુલાબહેનની ફેઇસબૂક દીવાલેથી સાભાર.

Loading

ઇલા ભટ્ટ : અસંગઠિત બહેનોનાં ઉદ્ધારક

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2023

એક એક ડગ માંડવાથી કેટલી લાંબી સફર ખેડાઈ શકે છે, તે ઇલાબહેનનાં કાર્યો થકી જોઈ શકાય છે. સ્થાનિક સ્તરે એક નાનકડા સમૂહ અને નાનકડી પહેલથી આરંભાયેલી ‘સેવા’નાં કાર્યોથી આજે વિશ્વની લાખો બહેનો પોતાનાં જીવન તારી રહી છે. એક છત્ર હેઠળ એકવીસ લાખ જેટલી અસંગઠિત બહેનો સંગઠિત થઈને એકબીજાંની તારણહાર બને તેવું વિશ્વભરનું એકમાત્ર ઉદાહરણ ‘સેવા’ છે.

આ માતબર કાર્ય આજે અશક્ય લાગે છે, હવે તો નેટવર્કિંગ અર્થે ટૅક્નૉલૉજીની સહાય છે છતાં ય. કારણ કે આ બહેનો જોડાવવાના અર્થે જ માત્ર ‘સેવા’માં નહોતી જોડાઈ. ગરીબ, વંચિત વર્ગની બહેનોના પ્રશ્નો જીવનમરણના હતા, રોજગારીના હતા, જે બહેનો રાતદિવસ મજૂરી કરતી હતી તેમની બચતના હતા, અમદાવાદની મિલો બંધ પડી ગયા પછી પરિવારના ગુજરાનના હતા, બાળકોનાં શિક્ષણના, ઘરમાં આવતા પ્રસંગોના અને અણધારી આવતી બીમારીના સુધ્ધાં. આ ઉપરાંત કેટલા ય પ્રશ્નો એવા ય ખરા જે અંગે બહેનો મુખરે ય નહોતી. જ્યારે પરિવારની કરોડરજ્જુ બહેનો હોય અને બધી જવાબદારી એમના માથે હોય તેમ છતાં આર્થિક મુદ્દે મહદંશે તેમની અવગણના થતી રહેતી. બહેનોના આ બધા સવાલોના ઉત્તરમાં ‘સેવા’ ઊભરી આવી અને તેનું કાર્ય પછી તો વિસ્તરતું જ ગયું અને તેની સાથે સાથે ઇલાબહેનનું વ્યક્તિત્વ પણ. અને એટલે જ તેઓ તેમના ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં’ પુસ્તકમાં એવું લખી શક્યાં કે, “ગામડાંની સ્ત્રીઓમાં મને ભારતનું હૃદય સાંપડ્યું છે.”

આઝાદી મળ્યા પછી રાષ્ટ્રનિર્માણનો જે ઉત્સાહ જાગ્યો તેમાં ઇલાબહેન પહેલી પેઢીનાં ગણાય. તે વખતે અગ્રિમ પ્રશ્ન રોજગારીનો હતો, તેમાં પણ પરંપરાગત રીતે પુરુષોને કામ આપવાનો. બહેનો અને તેમાં પણ શ્રમજીવી, સ્વાશ્રયી, ગરીબ અને વંચિત વર્ગની બહેનોની ગણના તો દૂરદૂર સુધી નહોતી. પરંપરાગત રીતે બહેનોના ભાગે ખેતી, મજદૂરી ઉપરાંત ઘણાંયે કામો હતાં જ, પણ આર્થિક ઉપાર્જનમાં તેમની ગણતરી થાય તેવો અવકાશ નહોતો. ઇલાબહેન કહેતાં તેમ મુદ્દો બહેનોને માત્ર પગભર કરી દેવાનો નહોતો; બલકે તેમના તરફનાં વલણને બદલવાનો સુધ્ધાંનો હતો. એકવીસમી સદીમાં પણ આ કાર્ય જોજનો દૂર લાગે છે ત્યારે તેમણે તો 1972માં શરૂઆત કરી હતી. તે વખતે સ્વાભાવિક રીતે પડકાર મોટો હતો, અને તેમાં માનસિકતા અને વલણ બદલવા અર્થે ઘણી વાર ઇલાબહેનને સંઘર્ષમાં ય ઊતરવું પડ્યું. અમદાવાદના માણેકચોકમાં તેમણે શાકભાજી વેચતી મહિલા ફેરિયાઓ માટે તંત્ર સામે કરેલો વિરોધ જાણીતો છે.

આ નાનકડા સંગઠનથી અમદાવાદ શહેરની મહિલાઓને મધદરિયે જાણે તરાપો મળ્યો હોય તેવો અહેસાસ થયો. તેની મદદથી બહેનો સુખરૂપ કિનારે પહોંચવા માંડી. જીવનની હાલાકીઓનો ઉકેલ જેમ જેમ બહેનોને ‘સેવા’ના નેટવર્કથી દેખાતો ગયો તેમ તેનો વ્યાપ પ્રસર્યો. અને આ વ્યાપને સતત બદલાઈ રહેલા જમાના સાથેની દૃષ્ટિ આપવાનું કાર્ય ઇલાબહેન દ્વારા થતું રહ્યું. તેમણે ૧૯૯૬માં સેવાનિવૃત્તિ લીધા પછી ય તેઓ માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહ્યાં અને તેથી ‘સેવા’નો વિચાર નિરંતર વિકસતો રહ્યો, કટોકટીમાંથી પાર પડતો રહ્યો અને આવનારાં પચાસ વર્ષોમાં ‘સેવા’નાં વિઝનથી હજુ જરૂરિયાતમંદ બહેનો તેમાં સમાવિષ્ટ થતી રહેશે. ‘સેવા’નાં કાર્યોને આટલે સુધી પહોંચાડીને ઇલાબહેને 89 વર્ષે વિદાય લીધી અને તેમના જીવનના ચાર દાયકા સંપૂર્ણ રીતે બહેનો માટે અવિરત સેવા માટેના રહ્યા. યોગ્ય સમયે નિવૃત્તિ લઈને માર્ગદર્શકની ભૂમિકામાં આવ્યાં.

ઇલાબહેનનું કાર્ય રચનાત્મક રહ્યું અને એટલે સ્થાનિકથી વિશ્વવ્યાપી બનવા છતાં તેમનું જીવન વિવાદ રહિત રહ્યું. ગાંધીજીના જીવનના રચનાત્મક કાર્યનાં પાસાંને તેઓ સારી પેઠે સમજ્યાં હતાં અને અમલી પણ બનાવી શક્યાં. આવું વલણ મહદંશે મહત્ત્વની ઘટનામાં તેમનું રહ્યું છે. ઇલાબહેનનું સેવામય જીવનકાર્ય એટલું પોંખાયું કે માન-ઇલકાબો ખૂબ મળ્યાં, પણ છતાં તેમની સાદગી આંખે ઊડીને વળગતી. સાદગી માત્ર વસ્ત્રોની નહોતી, સુવિધા બાબતે ય તેમણે અવરજવર માટે પોતાની એક રિક્ષા રાખી હતી. અમદાવાદમાં કાળા રંગની રિક્ષામાં ઇલાબહેનને જોવાં સામાન્ય બાબત હતી. ઉપરાંત, નાના નાના કાર્યક્રમોમાં ય અગ્રહરોળમાં કોઈ આડંબર વિના બેસેલાં ઇલાબહેનને અનેક લોકોએ જોયાં હશે. તેમની અતિવ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ, ‘સેવા’ની બહેનો અને અન્ય કોઈ માટે પણ તેમના ઘરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં.

ઇલાબહેનની સિદ્ધિઓ એટલી બુલંદ છે કે તેમાં સદ્દગુણોનું આવરણ ન ચઢાવીએ તો ય ચાલે. જૂજ વ્યક્તિઓ પોતાના આટલા મોટા એક સમૂહમાં પ્રભાવ છતાં જમીની સ્તરે રહી શકે છે. ઇલાબહેન એ રીતે જીવ્યાં અને તેથી જ નવા કેટલાક ઉમદા વિચારે ય આપી શક્યાં. તેમાંથી એક એટલે ‘અનુબંધ : સો માઈલનો સંબંધ’. આ નામે પુસ્તકેય થયું. આ વિચારને ટૂંકમાં ઇલાબહેને આ રીતે રજૂ કર્યો છે : “હું માનું છું કે જો રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો — ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅંકિંગ સેવાઓને સ્થાનિક રીતે, ઘણે અંશે સો માઈલના ફરતા વિસ્તારમાંથી જ, મેળવી શકાય તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણ — અવનતિનો આપણે ઉકેલ લાવી શકીએ … પ્રત્યેક સો માઈલના સંબંધો આપણને એક દિવસ ભૂખ, ગરીબાઈ, શોષણ અને પર્યાવરણીય અવનતિ વગરના વિશ્વ ભણી લઈ જશે તેવી મારી શ્રદ્ધા છે.”

ઇલાબહેનલિખિત અને અન્ય ઠેકાણે ય તેમના જીવન વિશેની માહિતી અને વિચાર વિશે લખાણો ઉપલબ્ધ છે. એવા કેટલાક લેખોનો સંચય આ અંકમાં કર્યો છે. તેમની વિદાય વેળાએ જે કંઈ લખાયું તેમાંનું કેટલુંક અહીં સમાવિષ્ટ કર્યું છે. પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તેથી કેટલાક લેખોમાં સંપાદન કર્યું છે. તેમના જીવનમાં કેટલાક અતિ નજદીક રહેલાં અને પરિવારનાં સભ્યો પણ આ અંકમાં ઇલાબહેન વિશે અભિવ્યક્ત થયાં છે. ઇલાબહેનનું જીવનકાર્ય અને તેમનું વિચારભાથું વાચકને મળી રહે તેવો આ અંકનો ઉદ્દેશ છે. નવજીવન ટ્રસ્ટનો ઇલાબહેનને આ અંક થકી અંજલિ આપવાનો પ્રયાસ છે. આખરે તેમનાં કાર્યોએ ગાંધીજીનાં રચનાત્મક કાર્યોને દીપાવ્યાં છે.

e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘સંપાસદકીય’, “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2022 – જાન્યુઆરી 2023; પૃ. 383-384

Loading

ગુજરાતી પુસ્તક-પ્રકાશનની વિકાસયાત્રા : ૧ 

દીપક મહેતા|Opinion - Opinion|26 January 2023

લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય;

એક દિવસમાં એટલું, છાપથી જૂઓ છપાય.

દીપક મહેતા

‘છાપાખાના વિષે’ નામના કવિ દલપતરામના કાવ્યની આ પંક્તિઓ ૧૯મી સદીમાં મુંબઈ ઇલાકામાં છાપકામના આગમનને પ્રતાપે જે ક્રાંતિ સર્જાઈ તેનો ખ્યાલ આપે છે. ઇન્ટરનેટને પ્રતાપે જે ક્રાંતિ આવી તેના કરતાં આ છાપકામને પ્રતાપે આવેલી ક્રાંતિ સહેજ પણ ઓછી નહોતી.

હવે જૂઓ આ ચિત્ર, જે નરસિંહરાવ દિવેટીયાએ ‘સ્મરણમુકુર’માં આલેખ્યું છે: “મારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી. દરેકના, પોતપોતાના ‘બુધવારિયાં’ આવ્યાં. પાણી પીવાની ઓરડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે ને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે: ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે. લગારે ભૂલ નથી. તારી ને મારી નકલ બરાબર છે.”

અને હવે ત્રીજું ચિત્ર, કવિ નર્મદની કલમે આલેખાયેલું : “પછી અહીં (સુરતમાં) મેં મારા દોસ્તાર ૧૮૫૧ના વખતના ‘જ્ઞાનસાગર’ છાપનાર જદુરામને પકડ્યો ને કહ્યું કે કોઈ પણ ઠેકાણેથી પિંગળનું પુસ્તક અપાવ. પછી અમે ઘણે ઠેકાણે ફર્યા. તેમાં એક વખત અમે એક ગોરધન નામના કડિયાને ત્યાં ગયા. ત્યાં મેં કેટલાંક મારાં બનાવેલાં પદો ગાયાં ને તે કડિયો ખુશ થયો ને બોલ્યો કે મારા ગુરુ લાલદાસ મોટા કવેસર હતા, તેનાં પુસ્તકો સઘળાં મારી પાસે છે તેમાં જોઈશું. તમે કાલે આવજો. પછી હું બીજે દહાડે તેની પાસે ગયો ને ત્યાં પટારો ઊઘડ્યો. તેમાંથી છંદ રત્નાવલી નામનું પુસ્તક નીકળ્યું. તેણે મને કહ્યું કે હું ઘેર તો નહિ આપું, પણ અહીં આવી લખી લો. પછી હું રોજ સવારે કલમ, ખડિયો, કાગળ લઈને તેને ઘેર જતો ને પિંગળ લખતો.”

આ સ્થિતિ હતી ૧૯મી સદીના મધ્યભાગના ગુજરાતની. અઢારમી સદીના છેલ્લા દાયકામાં મુંબઈમાં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ ચૂકી હતી. અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયર’માં કમ્પોઝીટર તરીકે કામ કરતા બેહરામજી છાપગરે ગુજરાતી છાપવા માટેનાં બીબાં બનાવ્યાં છે એવી જાહેરાત ૧૭૯૬માં ‘બોમ્બે કુરિયર’માં છપાઈ હતી. તેમાં બેહરામજીની મદદથી અમે ગુજરાતી બીબાં બનાવ્યાં છે અને એટલે હવે અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું એવી જાહેરાત કરી છે.

પણ વાત આટલેથી અટકતી નથી. આ જ બોમ્બે કુરિયર પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં એક ત્રિભાષી પુસ્તક પ્રગટ થાય છે : Illustrations of the Grammatical Parts of the Gujarati Marahatt and English Languages. લેખક ડો. રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. બેહરામજીએ બનાવેલાં ગુજરાતી બીબાં જ આ પુસ્તક છાપવામાં વપરાયાં છે. પુસ્તકનું પ્રકાશન તેના કર્તાએ પોતે કર્યું છે. (આ કર્તા શબ્દ ‘લેખક’ કરતાં ઘણો વધુ વ્યાપક છે. ‘કર્તા’માં લેખક ઉપરાંત અનુવાદક, રૂપાંતરકાર, સંપાદક, ચિત્રકાર, વગેરેનો પણ સમાવેશ થાય છે. ૧૯મી સદીમાં પારસીઓ ‘કર્તા’ને બદલે ‘બનાવનાર’ શબ્દ વાપરતા.) આ પુસ્તક પર ક્યાં ય કિંમત છાપી નથી. પણ ૪૬૭ નકલ આગોતરી ખરીદનારાનાં નામ છાપ્યાં છે. આમ, પુસ્તકનો કર્તા જ તેનો પ્રકાશક પણ હોય એ સૌથી પહેલો વિકલ્પ. એ માટેની જરૂરી રકમ તે કાં તો પોતાના ગજવામાંથી કાઢે. બે પાંદડે સુખી હોય તેવા લેખક-લેખિકા આજે પણ પોતાના પૈસા પ્રકાશકને આપીને પુસ્તક પ્રગટ કરાવે છે. આવાં પુસ્તકો અંગ્રેજીમાં venity publications તરીકે ઓળખાય છે. આ રીતે આજે પણ ઘણાં પુસ્તકો પ્રગટ થાય છે. ડો. ડ્રમંડે અપનાવ્યો તે બીજો વિકલ્પ. જેમાં આગોતરા ગ્રાહકો પાસેથી પુસ્તકની કિંમત અગાઉથી વસૂલ કરી શકાય. આ રીતનો બીજો લાભ એ કે પુસ્તકની કેટલી નકલ છાપવી તેનો આગોતરો અંદાજ આવી શકે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના મધ્ય ભાગ સુધી આ રીતે આગોતરા ગ્રાહક નોંધવાની રીત ઘણી પ્રચલિત હતી.

તો પુસ્તકમાં જાહેર ખબરો છાપીને જરૂરી રકમ ઊભી કરવી અને એ રીતે કર્તા પોતે પ્રકાશન કરે એ ત્રીજો વિકલ્પ. આ જાહેર ખબરો મોટે ભાગે સગાં-સંબંધી, મિત્રો, વગેરે પાસેથી મેળવાતી હોય. આ રીતે જાહેર ખબરો છાપવાથી પુસ્તક છાપવાનો બધો નહિ તો ય થોડો ખર્ચ તો નીકળી રહે. એટલું જ નહિ, એક જમાનામાં વ્યવસાયી પ્રકાશકો પણ પુસ્તકમાં જાહેર ખબરો છાપાતા. આ રીતે પ્રકાશકની આવક થોડી વધતી.

ફરદુનજી

ગુજરાતી પુસ્તક પ્રકાશન રૂપી શકુંતલાના જનક વિશ્વામિત્ર બન્યા બેહરામજી છાપગર, પણ તેના પાલક પિતા કણવ બન્યા તે તો ફરદુનજી મર્ઝબાન. બંને મૂળ સુરતના. બેહરામજીનો જન્મ ૧૭૫૪માં, ફરદુનજીનો ૧૭૮૭માં. બંને સુરત છોડી મુંબઈ આવ્યા. બીજા કેટલાક વ્યવસાયો પર હાથ અજમાવી જોયા પછે ફરદુનજીએ ૧૮૧૨માં માત્ર ગુજરાતી છાપકામ કરતું પહેલવહેલું છાપખાનું મુંબઈના કોટ વિસ્તારની જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં શરૂ કર્યું. તેમણે પોતે એ છાપખાનાને નામ આપ્યું જ નહોતું. પણ લોકો તેને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખતા. ૧૮૧૪ પહેલાં આ પ્રેસમાં છપાયેલું કોઈ પુસ્તક આજે જોવા મળતું નથી. પણ ૧૮૧૪માં છાપીને પ્રગટ કરેલું સંવત ૧૮૭૧નું પંચાંગ જોવા મળે છે. ૧૮૧૫માં બે પુસ્તકો તેમણે છાપ્યાં: ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’ બીજું પુસ્તક તે ફારસી ગ્રંથનો ફરદુનજીએ પોતે કરેલો ગુજરાતી અનુવાદ. બંને પુસ્તકના કર્તા, મુદ્રક, પ્રકાશક અને વિતરક, ફરદુનજી પોતે! 

ફરદુનજીના દીકરા બેહરામજીએ લખેલી નોંધોને આધારે તેમના દીકરા કેકોબાદે લખેલું ફરદુનજીનું જીવન ચરિત્ર ૧૮૯૮માં પ્રગટ થયેલું. તેનું લાંબુ લચક નામ: ‘ફરદુનજી મર્ઝબાનજી, ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ.’ તેમાં ફરદુનજીએ છાપેલાં પુસ્તકોની યાદી આપેલી છે. તે પ્રમાણે ફરદુનજીએ પોતે ‘બનાવેલાં’ ૨૫ પુસ્તકો છાપ્યાં હતાં. જ્યારે બીજાનાં બનાવેલાં બાવીસ પુસ્તક છાપ્યાં હતાં. અલબત્ત, કેટલાક વિપરિત સંજોગોને કારણે ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે તેમણે કાયમ માટે મુંબઈ છોડ્યું અને તે વખતે પોર્ટુગીઝ સરકારના તાબા નીચેના દમણમાં જઈને વસ્યા. થોડા વખત પછી ત્યાં પણ તેમણે છાપખાનું શરૂ કરેલું. પોતાનાં પુસ્તક છાપવા માટે લેખક છાપખાનું શરૂ કરે એ ટ્રેન્ડ તે પછી ઘણાં વરસ ચાલુ રહ્યો. પોતાનો બૃહદ્દ શબ્દકોશ છાપવા માટે નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું, જે આજે પણ ચાલે છે. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ બીજાનાં પુસ્તકો તો છાપતા, પણ તેમનાં પોતાનાં ઘણાંખરાં પુસ્તક પણ એ જ પ્રેસમાં છપાયેલાં.

ફરદુનજીએ દમણમાં શરૂ કરેલું છાપખાનું તે આજના ગુજરાત રાજ્યમાંનું બીજું છાપખાનું. તો પહેલું કયું? લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઈવીએ ૧૮૨૦માં સુરત ખાતે શરૂ કરેલું મૂવેબલ ટાઈપ વાપરતું – શિલાછાપ નહિ – છાપખાનું તે આજના ગુજરાતનું પહેલું છાપખાનું. તેમાં છાપીને બાઈબલના નવા કરારનો અનુવાદ (જે તેમણે પોતે જ કરેલો) ૧૮૨૧ના જુલાઈમાં બહાર પડ્યો. આજના ગુજરાતમાં છપાયેલું આ પહેલું પુસ્તક. તે સાથે પુસ્તક પ્રકાશન ક્ષેત્રે ખ્રિસ્તી મિશનરીઓએ પ્રવેશ કર્યો. મુખ્યત્ત્વે ખ્રિસ્તી ધર્મનાં કે તેનો પ્રચાર કરતાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યાં. ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા ‘યાત્રાકરી’ ૧૮૪૪માં આ જ પ્રેસમાં છપાયેલી. જેમ્સ બનિયનની ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો રેવરન્ડ વિલિયમ ફલાવરે. નર્મદના નર્મકોશનું છાપકામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે છોડી દીધું ત્યારે તેનો બાકીનો ભાગ આ ‘સુરત મિશન પ્રેસ’માં જ છપાયો હતો. છેક ૧૯૫૯માં બંધ કરવામાં આવ્યું ત્યાં સુધી આ સુરત મિશન પ્રેસ ગુજરાતી મુદ્રણ અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે સતત કામ કરતું રહ્યું. વખત જતાં ધર્મસત્તા એ ગુજરાતી પુસ્તક પ્રકાશનનું એક મહત્ત્વનું અંગ બની રહ્યું. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય તરફથી આજે પણ મોટી સંખ્યામાં પુસ્તકો પ્રગટ થાય છે.

મુંબઈ ઇલાકામાં છાપકામની શરૂઆત થઈ તે પછી થોડાં વરસે બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત થઈ. પણ આ કેવળ અકસ્માત નહોતો. પરંપરાગત શિક્ષણ પદ્ધતિના કેન્દ્રમાં શિક્ષક હતા. જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં પાઠ્ય પુસ્તક કેન્દ્રમાં આવ્યું. શિક્ષક અને વિદ્યાર્થી, બંનેના હાથમાં એક જ પુસ્તક હોય. શિક્ષક જે કાંઈ ભણાવે તે એ પુસ્તકને આધારે. છાપકામ આવ્યું તે પહેલાં આમ થવું શક્ય જ નહોતું. જેમની પાસે હસ્તપ્રત હોય તે બીજા સાથે વહેંચવા માટે કેટલા અનાતુર રહેતા એ આપણે નર્મદના દાખલા પરથી જોઈ શકીએ. મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખત પછી આ લાંબા લચક નામને બદલીને નામ ટૂંકુ કરી નાખ્યું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ કાગળ પર તો આ સંસ્થા ‘ખાનગી’ હતી પણ તેના સભ્યોની નિમણૂક સરકાર કરતી અને ઘણાખરા સભ્યો અંગ્રેજ હતા અને મુંબઈના ગવર્નર, હોદ્દાની રૂએ તેના અધ્યક્ષ બનતા. 

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

આ સોસાયાટીએ મુંબઈ અને આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્કૂલો તો શરૂ કરી, પણ તેમાં ભણાવી શકાય એવાં છાપેલાં પુસ્તકોનો સ્થાનિક ભાષાઓમાં અભાવ હતો. નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરી છાપવાં જોઈએ. પણ એ માટેના પૈસા ક્યાં? સારે નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલફિસ્ટન બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર, અને હોદ્દાની રૂએ સોસાયટીના અધ્યક્ષ બન્યા. ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવવાની તાતી જરૂર છે એ હકીકત તેમના ધ્યાનમાં આવી. ‘દેશી’ ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવા તેમણે એક અલગ સંસ્થા ઊભી કરી : ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક્સ કમિટી. તેને માટે તાત્કાલિક ફાળો ઉઘરાવ્યો જેમાં ૪,૨૫૦ રૂપિયા ભેગા થયા. સોસાયટીના સેક્રેટરી તરીકે કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસની નિમણૂક કરી. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં આ સોસાયાટીએ કુલ છ ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં. ગુજરાતી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો તે આ છ. અમદાવાદમાં તૈયાર થયેલી હોપ વાચન માળાનાં ૧૮૫૯માં પ્રગટ થયેલાં પુસ્તકો નહિ. 

આ પાઠ્ય પુસ્તકો નિમિત્તે સરકારે પણ પુસ્તક પ્રકાશન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જે આજ સુધી ચાલુ રહ્યો છે. વખત જતાં નંદશંકર મહેતાની નવલકથા ‘કરણ ઘેલો,’ નર્મગદ્ય (સરકારી) જેવાં સાહિત્યમાં સીમાચિહ્ન જેવાં બનેલાં પુસ્તકો પણ સરકારે છાપ્યાં. પોતે છાપેલાં પુસ્તકો વેચવા માટે સરકારે મુંબઈમાં ‘ગવર્ન્મેન્ટ બુક ડેપો’ શરૂ કર્યો. શરૂઆતનાં કેટલાંક વર્ષો સુધી તેમાં ખાનગી વ્યક્તિ કે સંસ્થાએ પ્રગટ કરેલાં પુસ્તકો પણ વેચવા માટે રાખતા. આજે તો કેન્દ્રની અને રાજ્યોની સરકારો તરફથી ઢગલાબંધ પુસ્તક પ્રગટ થાય છે. આ ઉપરાંત સરકારે સ્થાપેલી અનેક સંસ્થાઓ પણ નિયમિત રીતે પુસ્તકો પ્રગટ કરે છે.

(ક્રમશ:) 
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી 2023
e.mail : deepakbmehta@gmail.com 

Loading

...102030...1,1221,1231,1241,125...1,1301,1401,150...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved