Opinion Magazine
Number of visits: 9458198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બજેટ 2023: લોકપ્રિય નહીં પણ વહેવારુ બજેટ જ તારી શકશે અસંતુલિત અર્થંત્રને

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 January 2023

ભા.જ.પા.ની સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી માંડીને 2016-17 સિવાયના નવ બજેટમાં મોદી સરકાર ક્યારે ય પણ ફિસ્કલ ડેફિસીટ એટલે કે રોજકોષિય ખાદ્યના ટાર્ગેટને અચીવ નથી કરી શકી.

ચિરંતના ભટ્ટ

2024ની ચૂંટણીઓ પહેલાંનું આ બજેટ નિર્ણાયક જ હોય તે સ્વાભાવિક છે. રોગચાળા પછીનું આ પહેલું બજેટ છે. વિશ્વમાં પણ યુક્રેન રશિયાના સંઘર્ષ જેવા સંજોગોને કારણે બહુ પરિવર્તનો આવ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો કરીને બેરોજગારી અને ફુગાવાના મુદ્દામાં ઘી હોમી રહ્યા છે, ત્યારે મોદી સરકારે આગામી ચૂંટણી પહેલાના આ બજેટમાં લોકપ્રિય ચીજોના તલ હોમવા જ પડશે. જો કે ધનવાનોને ધનવાન બનાવતા આક્ષેપોને મોદી સરકાર કંઇ બહુ ગંભીરતાથી લેતી હોય એમ લાગતું નથી. વૈશ્વિક અર્થતંત્ર મંદીના સપાટામાં છે, યુ.એસ. ફેડરલ રિઝર્વે નક્કી કર્યું છે કે ગમે તે ભોગે ફુગાવાને ફગાવી દેવો, ચીન બમણા જોરથી ફરી રેસમાં જોડાયો છે અને જાપાનની હાઇપર-ઇઝી મોનિટરી પૉલિસીનું જોર ઘટ્યું છે. દુનિયામાં આ બધું ચાલી રહ્યું હોય ત્યારે ભારત કોઇ એવા વાયદા તો નહીં કરે જે પાળવાના મુશ્કેલ હોય. છે અને આ બધી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતને જો વૈશ્વિક આર્થિક સત્તાની દોડમાં આગળ વધવું હોય તો બહુ બધા પડકારોની ત્રિરાશી માંડવી પડશે.

ભા.જ.પા.ની સરકાર 2014માં સત્તા પર આવી ત્યારથી માંડીને 2016-17 સિવાયના નવ બજેટમાં મોદી સરકાર ક્યારે ય પણ ફિસ્કલ ડેફિસીટ એટલે કે રોજકોષિય ખાદ્યના ટાર્ગેટને અચીવ નથી કરી શકી. 2014-15ના બજેટ માટે જે ટાર્ગેટ અપાયું હતું તે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – GDPના 3 ટકા જેટલું હતું જે આગલા બજેટમાં 3.5 ટકા કરાયું અને સાકાર પણ કરાયું હતું. અપેક્ષા કરતાં ઓછા જી.ડી.પી. અને વધુ ટેક્સ કલેક્શનને કારણે GDPના 6.4 ટકા જેટલું જે ફિસ્કલ ડેફિસીટનું ટાર્ગેટ નક્કી કરાયું હતું જે 31મી માર્ચ સુધીમાં માંડ પૂરું થશે. આગામી નાણાંકીય વર્ષ માટે ફિસ્કલ ડેફિસીટના ટાર્ગેટ 4.5 ટકાથી ઓછા રાખવા એવું કેન્દ્ર વિચારે છે એવી ચર્ચા છે. ભારતને બીજા દેશોનું અર્થતંત્ર ધીમું પડ્યું હોવાનો ગેરલાભ વેઠવો પડે છે કારણ કે ભારતની નિકાસ ઘટી છે. કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન ભારતે કરોડો ડૉલર્સના ખર્ચે લોકોને ખાધા-ખોરાકી પહોંચાડી હતી – ખાસ કરીને ગરીબોને વળી ફ્રી વેક્સિન્સ, નાના વ્યાપારને ઓછા દરે અપાયેલી સસ્તી લોન્સ વગેરેને કારણે ફિસ્કલ ડેફિસીટ GDPના 9.3 ટકા થઇ ગઇ હતી.

છેલ્લા બે-એક બજેટ તો પેન્ડેમિક બજેટ રહ્યા જેમાં હેલ્થકેર પર સરકારે વધુ ખર્ચ કરવો પડ્યો એમાં વેક્સિન ડિપ્લોમસીથી માંડીને સ્થાનિક માળખાંકીય સુવિધાઓની વાત આવી ગઇ, વળી છેવાડાના માણસોને સાચવવા માટે પણ નાણાં ફાળવાયાં – આમાં જાહેર ક્ષેત્રના કેપિટલ એક્સપેન્ડિચરે વિકાસ સાચવી લીધો.  2016માં નોટબંધી અને જી.એસ.ટી.એ આપણા વિકાસની ગતિ ધીમી પાડી. રોગચાળા પછી અર્થતંત્ર તો બેઠું કરવાનું જ હતું પણ સાથે બેરોજગારી, અનૌપચારિક ક્ષેત્રોના પ્રશ્નો પણ ખડા થયા.

હવે રાજકીય ચોપાટની વાત કરીએ તો નિર્મલા સિતારામન્‌નું બજેટ આ વર્ષે લોક લક્ષી હોય તે બહુ જરૂરી છે કારણ કે માથે ચૂંટણી ઊભી છે. આર્થિક અને રાજકીય ફરજોના દોરડા પર સંતુલન કરીને બજેટના માંચડા પર ચાલવું સહેલું નથી. ચૂંટણી માથે છે ત્યારે અત્યાર સુધી લોકોને રિઝવવા માટે જે સરકારે બજેટ નથી બનાવ્યું, એણે હવે લોક લક્ષી બજેટ પણ બનાવવું પડશે. નાની બચત યોજનાઓ માટેની સરળતાઓ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્સ્યોરન્સ જેમાં જરૂર પડે તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરવી, વરિષ્ઠ નાગરિકોને વિદેશી આવક પર કર મુક્તિની મર્યાદા વધારવા જેવાં પગલાં સરકાર આ બજેટમાં લે તેવી શક્યતાઓ છે. ભા.જ.પા. સરકાર ટેક્સેશનને મામલે કડક રહી છે પણ હવે આ સંજોગો બદલાશે કે કેમ એ જોવું રહ્યું? કરવેરાના દર ઘટાડવાની દિશામાં પણ સરકાર વિચાર કરે તો મધ્યમ વર્ગને રાહત રહે. વળી વંદે ભારત ટ્રેન જેવી સવલતોમાં વધારો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેના ઇક્વિટી રોકાણો પર મુક્તિની મર્યાદામાં વધારો પણ થઇ શકે છે. ચૂંટણી એક વર્ષ બાદ જ છે ત્યારે સરકાર રાજ્ય સંચાલિક કંપનીઓ વેચીને નાણાંકીય ભંડોળ વધારી ન શકે તે સ્વાભાવિક છે અને આ કારણે નાણાં મંત્રી પગારદારો માટે બહુ નોંધપાત્ર ટેક્સ બ્રેક નહીં આપી શકે તો ગરીબોને મદદરૂપ એવી સબસિડી પણ સરકારે ઘટાડવી જ પડશે. ફુગાવાનું નિયંત્રણ પણ સરકાર માટે જરૂરી છે જે બજેટ ડેફિસીટ પર જરૂરી કાપ મુકવાથી જ થઇ શકશે.

મોદી સરકારનો અભિગમ બજેટ પ્રત્યે ‘કોઇની પણ સાડાબારી રાખવી નહીં’ પ્રકારનો રહ્યો છે. વળી સબ કા સાથ સબ કા વિકાસથી માંડીને આત્મનિર્ભર જેવા નવા શબ્દો સરકારે આપ્યા છે જેમાં મૂળે તો સર્વાંગી વિકાસ અને આયાતો ઘટાડવા પર ધ્યાન અપાયું. મોદી સરકારે બજેટનો ઉપયોગ સામાજિક એજન્ડા અને આર્થિક વિઝન આપવા માટે કર્યો છે. જો કે જે કહેવાયું છે તે થયું નથી – બેરોજગારી અને મોંઘવારીનો બોજ તો છે જ વળી આર્થિક વિકાસ પણ એટલો ઝડપી નથી જેટલો બીજી સરકારોમાં રહ્યો છે.

રાજ્ય સ્તરે સ્રોતોની તંગી, વીજળીની વહેંચણી, સવલતોમાં સરિયામ ખોટ અને 6 ટકાનો ફુગાવો એ વાતની સાબિતી છે કે ભારતમાં મેક્રોઇકોનોમિક અસંતુલન આંખે ઊડીને વળગે એવું છે – સદ્દનસીબે કોલર ઊંચો કરવા માટે કોવિડ-19 રોગચાળા પછીનો વિકાસ છે પણ એ પણ ધીમો પડી રહ્યો છે કારણ કે બેંકોના વધતા ઇન્ટ્રેસ્ટ રેટ્સને કારણે નિકાસ ઘટી છે. ફિસ્કલ પંપ્સને કામે લગાડવા કરતા સ્થિરતા પર ધ્યાન આપવામાં ભારતના અર્થતંત્રને લાભ છે.

ચીનની સામે ઉત્પાદક દેશ તરીકે ભારતને એક મજબૂત સ્પર્ધક તરીકે રજૂ કરવાની વડા પ્રધાનની મહેચ્છા પૂરી કરવા માટે જે માળખાની જરૂર હશે તે ખડા કરવા તરફ ધ્યાન અપાશે. ભારત સરકારનું પોતાનું કેપિટલ એક્સપેન્ડિચર ભારે રહ્યું છે અને પૈસા ખડા કરવા માટે રાજ્યના એસેટ્સને ખાનગી પ્લેયર્સને લીઝ પર આપવાનો વારો આવશે. જે તવંગરો સામે વિરોધ પક્ષોને વાંધો છે એ લોકો જે રેલવે, રોડ અને એરપોર્ટમાં રોકાણો કરશે. મોદી સરકારે એર ઇન્ડિયા તાતા ગ્રૂપને વેચવામાં ચાવીરૂપ રોલ ભજવ્યો પણ એ ઘટના ચૂંટણી પહેલાં નહોતી થઇ. ચૂંટણી માથે હોય ત્યારે ખાનગીકરણની શક્યતાઓ ઘટાડવી જ પડે નહીંતર લોકોને એ આંખમાં કણાની માફક ખૂંચે.

કાઁગ્રેસે જ્યાં ચૂંટણીમાં જીત મેળવી છે ત્યાં લોકપ્રિય નીતિઓનું અમલીકરણ કરાયું છે જેમ કે સરકારી કર્મચારીઓ માટે પહેલાં જેવી પેન્શન યોજના. જો કે આ નીતિઓ આવે તો ભવિષ્યના ટેક્સ પેયર્સનો બોજ વધે. 1લી ફેબ્રુઆરીનું બજેટ ધુંઆધાર લાગી શકે છે પણ વિકાસની પકડ ઢીલી પડશે તો વર્ષ દરમિયાન રાજકીય દબાણોને આધારે દેશમાં કામગીરી થવા માંડે એમ પણ બને.

બજેટ લોકપ્રિય ન હોય પણ વહેવારુ હોય તે જરૂરી છે કારણ કે વૈશ્વિક મંદીની આગાહી છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોના પડકારો ઉકેલાઇ શકાય તો આપણું અર્થતંત્ર બહેતર બને.

બાય ધી વેઃ

નિર્મલા સિતારામન્‌થી ભલે બીજાઓ ખુશ ન હોય પણ સાહેબના વિઝનને એ માફક આવે છે. મોદી સરકારનો નાણાંકીય દૃષ્ટિકોણ જાહેર કે ખાનગી બેમાંથી એકપણ ક્ષેત્રને પૂરેપૂરો સદ્યો નથી. રોકાણ દરોમાં ઘટાડો અને વિકાસની ધીમી ગતિને કારણે બેરોજગારી વધી, આવકનું સર્જન પણ ઘટ્યું. સરકારે નાણાં ભંડોળ એકઠું કરવું, રેવન્યુ પેદા કરવાના નવા રસ્તા શોધવા, ઓછામાં ઓછી ઉધારી કરવી, સ્થાનિક ખાનગી ક્ષેત્રોને રોકાણ કરવા પ્રોત્સાહન આપવા જેવા પગલાં લઇને પરિસ્થિતિ બદલવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જાન્યુઆરી 2023

Loading

બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 January 2023

રમેશ ઓઝા

ન્યાયતંત્ર ઉપર લગભગ રોજેરોજ આઘાત કરનારા ઉપ રાષ્ટ્રપતિ ધનગર અને કેન્દ્રના કાયદા પ્રધાન કિરણ રિજુજીમાંથી કિરણ રિજુજીએ સોમવારે અચાનક સૂર બદલતા કહ્યું કે સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે પરસ્પર આદરનો સંબંધ છે, કોઈ મહાભારતનું યુદ્ધ નથી, અમારી વચ્ચે સંવાદ ચાલતો રહે છે અને સરકાર સર્વોચ્ચ અદાલતની છાતી પર ચડી બેઠી છે, વગેરે પ્રકારની છાપ તો મીડિયાએ ઊભી કરી છે. તેમણે આર.એસ. સોઢી નામના દિલ્હીની વડી અદાલતના એક નિવૃત્ત ન્યાયમૂર્તિને પણ શોધી કાઢ્યા હતા જેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત બંધારણને હાઇજેક કરી ગઈ છે. હજારેક નિવૃત્ત ન્યાયમૂર્તિઓમાંથી એક નિવૃત્ત ન્યાયમૂર્તિ સરકારના પક્ષે આગળ આવ્યા છે. બીજા પણ શોધવામાં આવતા હશે. ટૂંકમાં ચારે બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી હતી. પણ એની વચ્ચે કેન્દ્રના કાયદા પ્રધાને સૂર બદલ્યો.

દરમિયાન જે દિવસે બંધારણના બેઝિક સ્ટ્રકચરને હાથ લગાડવામાં આવશે અને શાસકોને તેમ જ લોકપ્રતિનિધિઓને હાથ લગાડવાનો અધિકાર આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે, એમ પોતાની આત્મકથામાં કહેનારા લાલ કૃષ્ણ અડવાણી ચૂપ છે. તેમણે અલબત્ત બંધારણની સમીક્ષા કરવાને નામે એક પંચ રચીને બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં ફાંકુ પાડવાનો પ્રયાસ કર્યો હતો એ હું કહી ચુક્યો છું.

તો ચારે કોરથી સર્વોચ્ચ અદાલત ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને લોકતંત્રના પ્રહરી ચૂપ છે અને રહેવાના છે તો પછી અચાનક સૂર બદલવાની જરૂર કેમ પડી?

એનું કારણ ઈઝરાયેલ છે.

ઈઝરાયલમાં આરેય દેરી નામનો એક ખેપાની માણસ છે અને તે ‘શાસ‘ નામના પક્ષના સ્થાપકોમાંનો એક છે અને અત્યારે સર્વેસર્વા છે. એ માણસ ઝનૂનીઓમાં પણ ઝનૂની છે. આપણી ભલે ત્રણ પેઢી બરબાદ થઈ જાય પણ મુસલમાનોને દબાવીને રાખવા જોઈએ, એવી તામસી મનોવૃત્તિ ધરાવનારા યહૂદીઓનો તે હીરો છે. આવા ઘણાં યહૂદીઓ ઈઝરાયેલમાં વસે છે અને તેમના જોરે આ દેરી ૧૯૮૮ની સાલથી દેશની જે તે સરકારમાં પ્રધાનપદું ભોગવતો આવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ સરકારની સ્થિરતા માટે અને ઝનૂની યહૂદીઓ રસ્તા પર ઊતરીને ત્રાસ ન આપે એ સારુ દેરીને પ્રધાનમંડળમાં લેવો પડે છે.

પણ એમાં બન્યું એવું કે દોઢ લાખ અમેરિકન ડોલરની લાંચ લેવાના કેસમાં દેરીને ત્રણ વરસની જેલની સજા થઈ. જેલની સજા ભોગવીને બહાર આવ્યો અને ઇઝરાયેલમાં લોકસભાની ચૂંટણી યોજાઈ. ૧૨૦ સભ્યોની લોકસભામાં શાસક લિકુડ પક્ષને માત્ર ૩૨ બેઠકો મળી અને દેરીના પક્ષને ૧૧ બેઠક મળી. આ બન્ને પક્ષ ઈઝરાયેલની લોકસભામાં સૌથી મોટા પક્ષ છે અને એ પછી પણ બહુમતી થતી નથી. દેરી લિકૂડ પક્ષના વડા પ્રધાનપદના દાવેદાર નેતાન્યાહુની મજબૂરીનો લાભ લેવાનું ચૂક્યો નહોતો અને રાજકીય કદમાં તેમ જ આર્થિક લાભોમાં વધારો થાય એવાં ખાતાં મેળવવાનો સોદો કર્યો.

માત્ર આરોપી નહીં પણ સજા પામેલા ગુનેગારને દેશની સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા એની સામે ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે વાંધો લીધો અને પ્રધાનપદ માટે દેરીને અપાત્ર ઠેરવ્યો. હવે? હવે વડા પ્રધાન નેતાન્યાહુ અને તેમના પ્રધાનોએ સર્વોચ્ચ અદાલત સામે મોરચો માંડયો કે સર્વોચ્ચ અદાલત ઇઝરાયેલના બંધારણને અને ઇઝરાયેલ રાષ્ટ્રને હાઈજેક કરી ગઈ છે. સાચા લોકતંત્રમાં પ્રજાના પ્રતિનિધિઓ અને પ્રજાએ પસંદ કરેલી સરકાર સર્વોપરી ગણાય, વગેરે. એ જ દલિલો જે આપણે ત્યાં કરવામાં આવી રહી છે. સર્વોચ્ચ અદાલત ઉપર હુમલા કરવામાં વડા પ્રધાન નેતાન્યાહુ મોખરે હતા. નેતાન્યાહુ આજના યુગના નેતાઓનું માથું ભાંગે એવા નફ્ફટ માણસ છે.

કારસો ઈઝરાયેલની સર્વોચ્ચ અદાલતની છાતી ઉપર ચડી બેસીને તેને કચડી નાખવાનો હતો. ઇઝરાયેલના બંધારણની ઐસીતૈસી કરાવાનો હતો. કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવાનો અને ક્યારે ય નહીં છોડવાનો હતો, પણ પ્રજાએ ખેલ બગાડી નાખ્યો. લોકોએ ઠેકઠેકાણે દેખાવો કર્યા અને એક દિવસે તો એક લાખ લોકોએ તેમાં ભાગ લીધો. નેતાન્યાહુ પાસે દેરીને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો. આપણે ત્યાં પણ કાયદા પ્રધાને સૂર બદલ્યો એનું આ કારણ છે.

જગત આખામાં ઘટનાની પાછળ ઘટનાઓ આકાર લઇ રહી છે અને તેને કારણે વિશ્વનાં રાજકારણમાં નવા વળાંકનાં સંકેતો નજરે પડી રહ્યા છે. પ્રજાની વચ્ચે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. જે લોકો નફરતનો છોડ ઉછેરીને પોતાનાં અને પોતાનાં સંતાનોનાં ભવિષ્યને હોમી દેવા માગતા નથી, એવા બુદ્ધિશાળી સમજદાર નાગરિકોને કાયદાનું જવાબદાર રાજ્ય જોઇએ છે અને તેને માટે સ્વતંત્ર ન્યાયતંત્ર પહેલી શરત છે. બેજવાદાર માથાભારે રાજ્ય કોઈના લાભમાં નથી એ તેઓ જાણે છે. અત્યારે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ, ધર્મગુરુઓ, પત્રકારો, જજો સુદ્ધાં વેચાઈ રહ્યા છે ત્યારે કાયદાનું ધોરણસરનું રાજ્ય બચાવવું કેવી રીતે અને કોને ભરોસે! નાગરિકોએ પોતે મોરચો સંભાળી લીધો છે અને રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. આજે ભારત સહિત જગતના એકાદ ડઝન દેશોમાં લોકો રસ્તા પર છે જેની જાણકારી ગોદી ગલૂડિયાં તમને નથી આપતા. ઇઝરાયેલની આવડી મોટી ઘટનાની તમને જાણ હતી?

કિરણ રિજુજીએ સર્વોચ્ચ અદાલત ઉપરનો કારસો ઢીલો કર્યો એનું બીજું પણ એક કારણ છે. બી.બી.સી.એ નરેન્દ્ર મોદી ઉપર બનાવેલી ફિલ્મ અને તેનાં પર ભારતમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ. ભારતની પ્રજા એ ફિલ્મ નહીં જોઈ શકે, દુનિયા તો એ જોવાની જ. તેને રોકવાનો કોઈ ઈલાજ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જાન્યુઆરી 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—181

દીપક મહેતા|Opinion - Opinion|28 January 2023

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં?

મુંબઈના ગવર્નરના બદલાતા જતા બંગલા   

સવાલ : ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કોલેજ, ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે, ૧૮૬૨માં શરૂ થયેલી બોમ્બે હાઈ કોર્ટ, ૧૮૬૫માં શરૂ થયેલી ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એક જ સ્થળે થયો હતો. એ જગ્યા તે કઈ?  જવાબ આજના લેખને અંતે. 

૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખ એ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈનો જન્મ દિવસ. સમય સાંજ પહેલાંની સાંજ. સ્થળ : બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરનો પરળ (પરેલ) ખાતે આવેલો વિશાલ બંગલો. એક પછી એક નામવંત ગોરાઓ આવતા જાય છે. કોઈ પાલખીમાં, કોઈ ઘોડા ગાડીમાં, કોઈ ઘોડેસ્વાર થઈને. સૌથી પહેલા આવે છે ઓનરેબલ સર જેમ્સ મેકિન્‌ટોશ, રેકોર્ડર્સ કોર્ટના જજ. બીજા આવનારાઓમાંના કેટલાક : મુંબઈ ખાતેના લશ્કરના વડા જનરલ ઓલિવર નિકોલ્સ, મેડિકલ બોર્ડના પહેલા સભ્ય હેલેનસ સ્કોટ, ચાર્લ્સ ફોર્બ્સ, સર્જન જનરલ ડોક્ટર રોબર્ટ ડ્રમંડ, મેજર એડવર્ડ મૂર, વિલિયમ અર્સકિન, અને બીજાઓ. બીજા બધા આવી ગયા પછી પધારે છે ગવર્નર જોનાથન ડંકન. સૌ ઊભા થઈને તેમનું અભિવાદન કરે છે. તેમની અનુમતિ લઈને સર જેમ્સ મેકિન્‌ટોશ પોતાનું ભાષણ વાંચવાનું શરૂ કરે છે : “આજે આપણે એક સાવ નાની સોસાયટીની શરૂઆત કરી રહ્યા છીએ. પણ તેની સ્થાપના પાછળનો હેતુ ઘણો મોટો છે : જ્ઞાન માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો આદર. આપણે જે વિશાળ દેશ પર રાજ્ય કરીએ છીએ, જેના વિકાસ અને પ્રગતિ માટે સતત પ્રયત્નો કરીએ છીએ, તે દેશના લોકો, તેમની સંસ્કૃતિ, ભાષાઓ, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય વગેરેના વારસાનો આપણે અભ્યાસ કરીએ અને તે દ્વારા આપણા દેશના લોકોને હિન્દુસ્તાનથી વધુ સારી રીતે પરિચિત કરીએ એ આપણી ફરજ બની રહે છે. આજે શરૂ થતી ધ લિટરરી સોસાયટી ઓફ બોમ્બે આ દિશામાંનું પહેલું પગલું છે. સર વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ દ્વારા જે કામ આદર્યું છે તેનું અનુસંધાન આપણી સોસાયટી કરી શકશે એવી આશા રાખીએ.” આ સભામાં સોસાયટીના પહેલા પ્રમુખ તરીકે સર્વાનુમતે સર જેમ્સ મેકિન્‌ટોશની વરણી કરવામાં આવી.

 સર જેમ્સ મેકિન઼્ટોશ

આ સોસાયટીએ પહેલું કામ કર્યું લાઈબ્રેરી ઊભી કરવાનું. છેક ૧૭૮૯માં મુંબઈમાં એક લાઈબ્રેરી શરૂ થઈ હતી. તેમાં મુખ્યત્ત્વે મેડિકલ અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ આખી લાઈબ્રેરી નવી સોસાયાટીએ ખરીદી લીધી. ૧૮૨૬માં આ સોસાયટી રોયલ સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ સાથે ભળી ગઈ અને બની બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. ૧૮૭૩માં ધ જ્યોગ્રોફિકલ સોસાયટી ઓફ બોમ્બે અને ૧૮૯૬માં ધ એન્થ્રોપોલોજિકલ સોસાયટી ઓફ બોમ્બે તેમાં ભળી ગઈ. ૧૮૪૧થી ‘જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’નું પ્રકાશન શરૂ થયું. ૧૮૪૧ સુધી આ સોસાયટીનું સભ્યપદ ફક્ત અંગ્રેજો જ મેળવી શકતા. ૧૮૪૧થી ‘દેશીઓ’ પણ સભ્ય બની શકે એમ ઠરાવાયું. આઝાદી પછી ૧૯૫૪માં રોયલ એશિયાટિક સોસાયટીથી અલગ થઈને મુંબઈની સોસાયટી બની ધ એશિયાટી સોસાયટી ઓફ બોમ્બે. છેવટે બોમ્બેનું સત્તાવાર નામ મુંબઈ બન્યા પછી તે બની ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ.

ગવર્નર્સ હાઉસ, પરળ, ૧૮૬૬માં

આમ, લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની શરૂઆત મુંબઈના ગવર્નરના બંગલામાં થઈ. ભલે થોડી આડવાત થાય, પણ મુંબઈના ગવર્નરના રહેઠાણનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. પોર્ટુગીઝ શાસન દરમ્યાન લગભગ બધા ગવર્નર બોમ્બે કાસલમાં રહેતા. આ બોમ્બે કાસલ આજે આઈ.એન.એસ. આંગ્રેનો એક ભાગ છે. સુરત ઉપરાંત સારો એવો વખત મુંબઈમાં રહેનારા પહેલા અંગ્રેજ ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર પણ બોમ્બે કાસલમાં રહ્યા. ૧૭૫૭ સુધી બ્રિટિશ ગવર્નરો ત્યાં રહ્યા. આ કાસલની જમીન પર અગાઉ મનોર હાઉસ નામનું મકાન હતું.

પછી ૧૭૫૭માં જોન સ્પેન્સરનું મકાન ખરીદી લઈને સરકારે તેને ગવર્નરનું રહેઠાણ બનાવ્યું. પણ પછી લાગ્યું કે આ મકાનની આસપાસ બહુ ગીચ વસ્તી છે એટલે તે ગવર્નરને રહેવા લાયક નથી. એટલે ગવર્નર્સ હાઉસને પરળ (પરેલ) ખસેડવામાં આવ્યું.  ૧૬૭૩માં બંધાયેલું આ મકાન મૂળ તો પોર્ટુગીઝ ફ્રાન્સિસકન સંપ્રદાયનું દેવળ હતું. પણ ૧૭૧૯માં બ્રિટિશ ગવર્નરે એ મકાન લઈ લીધું અને ઉનાળામાં ત્યાં રહેવા લાગ્યા. કારણ ત્યાંની આબોહવા શહેર કરતાં ઘણી સારી હતી! ગવર્નર આવી વસ્યા એ પછી આસપાસનો વિસ્તાર ખૂબ વિકસ્યો અને મુંબઈનો ‘પોશ એરિયા’ ગણાવા લાગ્યો. ૧૭૭૧માં ગવર્નર વિલિયમ હોર્નબીએ માત્ર ઉનાળામાં જ નહિ, આખું વરસ અહીં રહેવાનું શરૂ કર્યું. આ ગવર્નર હોર્નબીના નામ પરથી જ હોર્નબી વેલાર્ડ અને હોર્ન્બી રોડ નામ પડેલાં. તેમણે દેવળના મુખ્ય ભાગને બેન્કવેટ હોલ અને બોલરૂમમાં ફેરવી નાખ્યો. પણ પછી એ વિસ્તારમાં એક પછી એક કોટન મિલ આવતી ગઈ અને હવા પ્રદૂષિત બની ગઈ. એટલે ગવર્નર્સ હાઉસને મલબાર હિલ ખસેડવામાં આવ્યું. ૧૮૯૦ના પ્લેગ વખતે પરળના મકાનમાં હાફકીન રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ.

મલબાર હિલ પર ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન) બંધાયું તે પહેલાં એ જગ્યા ‘મલબાર પોઈન્ટ’ તરીકે ઓળખાતી. ગવર્નર વિલિયમ મેડોઝ અને સર ઈવાન નેપિયન ઘણી વાર શિકાર કરવા ત્યાં જતા ત્યારે એક રૂમના નાનકડા મકાનમાં રહેતા. (મેડોઝ સ્ટ્રીટ અને નેપિયન સી રોડ નામ આ બંને પરથી પડેલાં.) પછી એ જગ્યાએ મરીન વિલા નામનો બંગલો બંધાયો. ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનનાં પત્નીનું પ્લેગને કારણે પરળના બંગલામાં અવસાન થયું ત્યારે ગવર્નર્સ હાઉસને તાબડતોબ મલબાર પોઈન્ટ ખસેડવામાં આવ્યું. ત્યારથી આજ સુધી પહેલાં બોમ્બે પ્રેસિડન્સીના, પછી મુંબઈ રાજ્યના, અને હવે મહારાષ્ટ્રના ગવર્નર ત્યાં જ રહે છે.

ત્રણ બાજુએ દરિયાથી વીંટળાયેલા રાજ ભવનમાં કુલ પાંચ મકાન છે : જલ ભૂષણ, જે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને બંધાવ્યું હતું. દેશના વડા પ્રધાન જ્યારે મુંબઈની મુલાકાતે આવે ત્યારે સાધારણ રીતે જલ ચિંતન નામના બંગલામાં રહે છે. તો સર બાર્ટલ ફ્રેરેએ બંધાવેલો બંગલો હવે જલ લક્ષણ તરીકે ઓળખાય છે અને દેશના પ્રમુખ મુંબઈની મુલાકાતે આવે ત્યારે ત્યાં રહે છે. જલ વિહાર બંગલો એ વિશાળ બેન્કવેટ હોલ છે. જલ સભાગૃહ અથવા દરબાર હોલ નામની ઈમારતમાં શપથવિધિ અને બીજા મહત્ત્વના સમારંભો થાય છે.

ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી, ૧૯૦૪માં

મુંબઈ શહેરનાં સૌથી વધુ પ્રખ્યાત પગથિયાં કયાં, એવો સવાલ કોઈ પૂછે તો તરત જવાબ મળે : ટાઉન હોલનાં પગથિયાં. આ ટાઉન હોલ અને એશિયાટિક સોસાયટી પણ એકબીજા સાથે જોડાયેલાં છે. સોસાયટીની સ્થાપના થઈ તે પછી સાત વરસે ટાઉન હોલ બાંધવાની યોજના તૈયાર થઈ. બાંધકામ શરૂ પણ થયું. પણ પછી પૈસાને અભાવે લટકી પડ્યું. પૈસા લાવવા ક્યાંથી? લિટરરી સોસાયટી ઓફ બોમ્બેએ એ માટે લોટરી કાઢી. દસ હજાર રૂપિયા ભેગા થયા. તેમાંથી ફક્ત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પૂરતી ઈમારત બાંધી શકાઈ. હા, જી. મુંબઈનું પહેલવહેલું મ્યુઝિયમ પણ આ મકાનમાં હતું. ૧૮૭૨માં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તૈયાર થતાં તેની નવી ઈમારતમાં તે ખસેડાયું. આ મ્યુઝિયમ હવે ડો. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. પછી ધીમે ધીમે કામ આગળ વધતું ગયું અને ૧૮૩૩માં ટાઉન હોલનું મકાન બંધાઈ રહ્યું. ગ્રીક અને રોમન સ્થાપત્યની તેના પર દેખીતી અસર છે. આ ઈમારત બાંધવા માટેના બધા જ પથ્થર ઇંગલન્ડથી લવાયા હતા. ૧૯૩૦માં મુંબઈના ગવર્નર સર જોન માલ્કમે કહ્યું હતું કે આના કરતાં વધુ ભવ્ય બીજી કોઈ ઇમારત હિન્દુસ્તાનમાં તો બંધાઈ નથી. વચમાં ઘણાં વરસ આ ઇમારત બિસમાર હાલતમાં રહી હતી. પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેને બને તેટલી અસલ હાલતમાં લાવવાના પ્રયત્નો થયા છે.

મુંબઈનાં પ્રખ્યાત પગથિયાં

એશિયાટિક સોસાયટીનું સૌથી મોંઘુ ઘરેણું છે એની લાઈબ્રેરી. તેમાં એક લાખ કરતાં વધુ પુસ્તકો છે, જેમાં ઘણાં દુર્લભ પુસ્તકોનો સમાવેશ થાય છે. અંગ્રેજી પુસ્તકો ઘણી મોટી સંખ્યામાં છે, પણ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને કેટલીક યુરોપિયન ભાષાઓનાં પુસ્તકો પણ અહીં છે. તેમાંનાં દુર્લભ પુસ્તકોની જાળવણી માટે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા અંગત સંગ્રહો પણ આ લાઈબ્રેરીને ભેટ મળ્યા છે. જેમાં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જગન્નાથ શંકરશેઠ, સર કાવસજી જહાંગીર, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઈન્દ્રજી, પુ.લ. દેશપાંડે વગેરેના સંગ્રહોનો સમાવેશ થાય છે.

૧૯મી સદીનાં કેટલાંક મહત્ત્વનાં અખબારો અને સામયિકોની ફાઈલો પણ અહીં સચવાઈ છે, જેમાંની ઘણી હવે ડિજિટલ ફોર્મમાં જોવા મળી શકે છે. ૧૮૪૧થી શરૂ થયેલ આ સોસાયટીના જર્નલને પણ સી.ડી. રોમ પર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ અહીં છે. તેમાં સંસ્કૃત, અરબી, ફારસી, ઉર્દૂ, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આ હસ્તપ્રતોની જાળવણી માટે પણ અહીં અદ્યતન સગવડો છે.

એક જમાનામાં મુંબઈનાં જાહેર સ્થળોએ ઘણા અંગ્રેજોનાં પૂતળાં જોવા મળતાં. હવે એમાંનાં ઘણાંખરાં જીજા માતા ઉદ્યાન(વિક્ટોરિયા ગાર્ડન)ની પછીતે પધરાવાયાં છે. પણ એશિયાટિક સોસાયટીના મકાનમાં હજી અંગ્રેજ વિદ્વાનોનાં પૂતળાં કે તૈલચિત્રો સચવાયાં છે. તેમાં સ્થાપક-પ્રમુખ સર જેમ્સ મેકિન્‌ટોશ, માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, જોન માલ્કમ, ચાર્લ્સ ફોર્બ્સ, વિલિયમ અર્સ્કીન, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગન્નાથ શંકરશેઠ, ડો. ભાઉ દાજી લાડ, ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કે.ટી. તેલંગ, મહામહોપાધ્યાય ડો. પી.વી. કાણે, વગેરેનાં પૂતળાં કે તૈલચિત્રો અહીં છે. આમાંનાં કેટલાક તૈલચિત્રોને પછીથી દરબાર હોલમાં ખસેડાયાં છે. ઉપરાંત કેટલાંક તૈલચિત્રો દરબાર હોલમાં નવાં મૂકવામાં આવ્યાં છે. તેમાં રેવરન્ડ ડો. જોન વિલ્સન, ડો. એસ.પી. પંડિત, ડો. સર જીવણજી મોદી, અને ડો. સર રામકૃષ્ણ ભાંડારકરનો સમાવેશ થાય છે.

ઓગણીસમી સદીના આરંભે સ્થપાયેલી એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ આજ સુધી અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ ટકી રહી છે. તો ઘણી સંસ્થાઓ ઊગ્યા પછી વહેલી કે મોડી આથમી ગઈ. મુંબઈની આવી કેટલીક સંસ્થાઓની વાત હવે પછી.

 *

જવાબ : એલ્ફિન્સ્ટન કોલેજ, યુનિવર્સિટી ઓફ બોમ્બે, બોમ્બે હાઈ કોર્ટ, ફાર્બસ ગુજરાતી સભા – આ બધી સંસ્થાઓનો જન્મ એશિયાટિક સોસાયટીના મકાનમાંના ટાઉન હોલમાં થયો હતો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 28 જાન્યુઆરી 2023

Loading

...102030...1,1211,1221,1231,124...1,1301,1401,150...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved