Opinion Magazine
Number of visits: 9563707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બધાં એટલું બધું ભલું કરવા માંગે છે કે હવે ભલું ન થાય તો સારું એમ થાય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 May 2023

રવીન્દ્ર પારેખ

આપણે ખૂબ ભલા સમયમાં અત્યારે જીવી રહ્યાં છીએ. જે આવે છે તે આપણું ભલું કરવા જ આવે છે. કોઈ કહે છે કે તંદુરસ્તી માટે દૂધ પીઓ ને આપણે દૂધ મોઢે માંડીએ કે બીજો કહે છે દૂધ નુકસાન કરી શકે છે. કોઈ વીડિયો શેર કરે છે કે પાણી પીવાય એટલું પીઓ ને આપણે પાણી પીવા જઈએ કે બીજો વીડિયો ટપકે છે કે વધારે પડતું પાણી નુકસાનકારક છે. આખો દિવસ આવું તો એટલું ભલું થતું રહે છે કે આપણને આપણાં મગજ વિષે પ્રશ્ન થાય કે એ પોતે કોઈ નિર્ણય લેવા સક્ષમ છે કે કેમ? જો છે, તો લોકો આટલી નિસ્વાર્થ સેવા શું કામ આપતાં હશે? હવે તો નિસ્વાર્થપણું ય વાગે છે. લોકો એટલા ભલા થઈ ગયા છે કે ફોરવર્ડ થયેલો મેસેજ પોતે પછી જોશે, પણ પહેલાં મિત્રોને, ગ્રૂપમાં ફોરવર્ડ કરશે ને એ એટલું લાંબું ચાલે છે કે મેસેજ વાંચવાનું જ ચુકાઈ જાય છે. હવે તો પોતે ન વાંચીને બીજાને ફોરવર્ડ કરવાની ફરજ લોકો બજાવી રહ્યા છે. વિચાર આવે છે કે મલાઈ વગર આટલી ભલાઈ થાય છે તો ખરેખર મલાઈ હોય તો શું થાય? બને કે ભલાઈ કરીને થાકેલા મિત્રો મલાઈ મોકલવામાં આળસ કરી જાય.

પૈસા કૈં ઝાડ પર લાગતા નથી, એમ કહેવાય છે, પણ મૈસુરમાં સુબ્રમણ્યમ્‌ રાયના આંબાના ઝાડ પર કરોડ રૂપિયા ઊગી નીકળ્યા ને તે આઈ.ટી. અધિકારીને દરોડા દરમિયાન મળી આવ્યા, એમાં દેશનું ભલું હશે, બીજી તરફ કૈં પણ ખબર પડે એ પહેલાં આપણાં ખાતામાંથી પૈસા પગ કરી જાય એમાં હેકરનું ભલું હશે, એમ જ ને?  જામનગરમાં હિંદુસેનાએ ‘ધ કેરાલા સ્ટોરી’ બહેનોને આજના શોમાં મફત બતાવવાનું આયોજન કર્યું છે. છે ને કમાલ ! સરકાર મફત અનાજ આપે છે તો હિંદુસેના મફત ફિલ્મ આપે છે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર્મેન્ટ દ્વારા 14,567 ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે, જેનો સંપર્ક કરવાથી વડીલોની સમસ્યાઓનું સમાધાન થાય છે. સિનિયર્સને સલાહની જરૂર હોય તો શારીરિક, માનસિક, કાનૂની માર્ગદર્શન મેળવી શકે છે, પણ ગજવામાં હાથ તો સિનિયરે જ નાખવો પડે એમ છે. આટલી ભલાઈ સરકાર કરે છે, પણ સિનિયર્સને રેલવે કન્સેશન આપવાનું સરકારે બંધ કર્યું છે તે એટલે કે સિનિયર્સ દોડાદોડી ન કરે. વૃદ્ધો વ્યાજની આવક પર જીવતા હતા, એમને આવક ઓછી કરવામાં સરકારે એટલે મદદ કરી કે ખોટા ખરચા ન કરે. આવી મદદના પરપોટા ફૂટતા જ રહે છે, પણ ખરી મદદ તો વૃદ્ધોએ પોતાને કરવાની રહે. એમ કરીને બધાં જ સિનિયર્સને સ્વાવલંબી રાખવા માંગે છે, એવું નહીં?

રહી વાત યુવાનોની તો એનું ભલું કરવા એક્ટરો ને ક્રિકેટરો સાગમટે મેદાનમાં ઊતર્યા છે. ભારત વસ્તીમાં અને યુવા વર્ગમાં મોખરે છે, તો દેશના યુવાનોનું ભલું કરવા હિન્દી ફિલ્મ જગતના કલાકારો એલચી, પાનમસાલાની જાહેરાતો લઈને યુવકોને આકર્ષી રહ્યા છે. ખાવાનું મળે કે ન મળે, પણ યુવાનો પાનમસાલા સુધી પહોંચે એને માટે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, રીતિક રોશન જેવા અનેક કલાકારો તનતોડ મહેનત કરી રહ્યા છે, કારણ એ લોકો જાણે છે કે એલચી જ ઓક્સિજન છે. એ ઠસાવવા આ સાહેબો મોઢામાં એલચી ઓરતા પણ બતાવાયા છે, જેથી યુવાનો, વૃદ્ધોને ખ્યાલ આવે કે જીવવા માટે પાનમસાલા કે એલચી કેટલાં જરૂરી છે ! એક વખત અનાજ નહીં હોય તો ચાલશે, પણ પાનમસાલા કે એલચી વગર તો રહેવાય જ કેમ? એ ભાન આ ફિલ્મી કલાકારો રોજ જાહેરાતોમાં કરાવતા રહે છે. દેશનું યુવાધન શારીરિક, માનસિક, આર્થિક રીતે દાવમાં મૂકવાનો બધો યશ આ મહાન કલાકારોને આપવો ઘટે.

એક જાહેરાતમાં તો સ્ત્રી પણ સેશે ફાકતી બતાવાઈ છે. ખબર નહીં કેમ, પણ આવી જાહેરાતો એક્ટ્રેસો પાસે નથી કરાવાઈ. બને કે હવે પછી એનું પ્લાનિંગ થાય. એટલું થાય તો દેશની મહિલાને પણ પાનમસાલાની ટેવ પડે ને ઘરમાં રાંધવાનું બંધ થાય. પાનમસાલાથી જ પેટ ભરવાનું હોય તો રાંધીને કામ પણ શું છે? એ રીતે અનાજની બચત થશે ને તેની નિકાસ કરીને સરકાર કમાણી કરી શકશે. આ રીતે આખા દેશના યુવક-યુવતીઓને પાન-એલચી અભિયાનમાં જોડીને હિન્દી ફિલ્મી કલાકારો કેવો ભોગ દેશને ધરી રહ્યા છે એ વિચારીએ છીએ તો છાતી આપોઆપ જ 56ની થઈ ઊઠે છે. આમ તો કેટલાક ફિલ્મી કલાકારોને પદ્મશ્રીથી સરકારે નવાજ્યા છે, પણ ‘પાન’ પુરસ્કારથી થોડા વધુ કલાકારોને નવાજવા જોઈએ ને ‘પાન’ આધારિત તપાસ પણ કરવી જોઈએ, જેથી રિકવર કરવા કલાકારોએ કેટલી એવી એડ કરવી જોઈએ એનો એમને ને લોકોને ખ્યાલ આવે. આમ તો આ કલાકારો પાન-એલચીની જાહેરાતો દ્વારા સમાજ સેવા જ કરતા હોય છે, એટલે બિચારાઓ કેટલુંક કમાઈ જતા હશે તે તો તેઓ જ જાણે ! ખરેખર તો સરકારે જ આવાં આર્થિક વિકલાંગો માટે કોઈ નિધિની સ્થાપના કરવી જોઈએ જેથી કલાકારોએ ને ભવિષ્યમાં એમની વિધવાઓએ કોઇની પાસે હાથ ન લંબાવવો પડે. આફ્ટર ઓલ, આ કલાકારો કામ તો સરકારનું જ કરે છે ને !

એક તરફ સરકાર લોકોને તમાકુ ગુટખા ખાતાં રોકવા લાખો કરોડોની જાહેરાત કરે છે ને બીજી તરફ તમાકુ કે તમાકુ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ નથી મૂકતી એમાં પણ લોકસેવાનો જ મહિમા છે. તે એ રીતે કે તમાકુ ન ખાવાની જાહેરાતનો ખર્ચ તો થાય જ છે, તે ક્યાંથી કાઢવો? સિમ્પલ ! તમાકુ વેચાશે તો તમાકુ ન ખાવાની જાહેરાત થઈ શકશે ને ! એક એડ અક્ષયકુમાર સિગારેટ પીતા મિત્રને તમાકુ છોડવાની સલાહ આપતી કરે છે ને બીજી એડ ‘જુબાં કેસરી’ની કરે છે. બને કે પેલો મિત્ર અક્ષયકુમારના કહેવાથી સિગારેટ છોડે ને એના જ કહેવાથી ‘જુબાં કેસરી’ કરવા નીકળી પડે, કારણ એની જાહેરાત તો અક્ષય ઉપરાંત શાહરુખ અને અજય પણ કરે છે તો એ પ્રોડક્ટ કેટલી આરોગ્યવર્ધક હશે ! હવે યુવાનો અનાજ ખાવાને બદલે પાન-એલચીથી જ પેટ ભરે એમ બને. એવું થાય તો સરકારનું કેટલું અનાજ બચે ને એ અનાજ ગરીબોને મફત વહેંચી શકાય ને ગરીબો પણ અનાજના પૈસા બચે એમાંથી પાન-એલચી જેવી ટોનિક આઈટમ ખરીદી શકે.

એ કલાકારોને વંદન કરવા જોઈએ, જેમને એમ લાગ્યું કે પાન-એલચીની જાહેરાતમાંથી કમાવું ન જોઈએ. આ તો સેવા છે, એમાંથી હોજરી ન ભરાય. અમિતાભ બચ્ચને અને અક્ષયકુમારે કંપનીને રકમ પાછી વાળી. જો કે, યુવકોને પાન-એલચીની ટેવ છૂટી ન જાય ને એ ન ખાઈને આરોગ્યને જોખમમાં ન મૂકે એટલે જાહેરાતો ચાલુ રાખીને બંને કલાકારોએ લોકસેવાનું કામ ચાલુ રાખ્યું છે, એ માટે એમને મન મૂકીને ‘થાબડીએ’. કાર્તિક આર્યન જેવા એક્ટર પર તો જાહેરાતોનો એવો પ્રભાવ પડ્યો કે જાહેરાતથી થતી નવ કરોડની આવક જતી કરી. જો કે, એણે પૈસા છોડીને નવયુવકોને પાન-એલચી ખાવા પ્રોત્સાહિત કર્યાં હોત તો સેવા થઈ હોત, પણ એ તો જેવી જેની મરજી !

આમ તો સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ કરોડોમાં રાચનારા જીવો છે, પણ તેમને ય થાય કે યુવાનો ક્રિકેટ જુએ છે તો એ પણ જુએ કે કેવી રીતે પાન-એલચી ખાઈને પોતે આમ ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા ને મહાન ક્રિકેટર બન્યા ! એટલે એ બંને એડમાં ફટકાબાજીની વાત કરતાં કરતાં સેશે મોઢામાં ઓરતા દેખાય છે. હવે આટલા મોટા ક્રિકેટરો સેશે ફાકવા માત્રથી ક્રિકેટર થઈ શકતા હોય તો યુવાનો પાન-એલચી ખાવાથી દૂર રહે? એ ખાવાના જ ! એટલે માત્ર એક્ટરો જ નહીં, ક્રિકેટરો પણ લાઈફ સેવિંગ પાન-એલચી ખવડાવવા જીવ રેડી રહ્યા છે. એમને યુવાનોની ચિંતા છે એટલે એમને જાહેરાતો દ્વારા પાન-એલચી ખાવા ખેંચે છે. આજ સુધી એલચીની જાહેરાત આવતી ન હતી, એની જાહેરાત હવે એક્ટરો ને ક્રિકેટરો ભેગા મળીને કરે છે જેથી યુવા વર્ગ ટાર્ગેટ થઈ શકે.

આમ તો યુવાનોને કામકાજ ખાસ રહ્યાં નથી એટલે આઇ.પી.એલ.ની મેચ સ્ટેડિયમમાં જઈને જોવાનો સમય મળી રહે છે. કમાલ એ છે કે એક્ટરો ને ક્રિકેટરો હવે સરખા લોકપ્રિય છે. એટલે બંને એડમાં પણ સાથે આવતા થયા છે. ધોની ને તેંડુલકર ને બીજા પણ ક્રિકેટરો મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં કેમ રોકવા ને એના ’ફટકા’ કેમ ખાવા તે લોકોને શીખવે છે. કેટલાક તો રમી, વાઇલ્ડ રમી કેમ રમવી એ પણ જાહેરાતોમાં શીખવતા હતા. એ પછી ગેમનો વિકાસ થયો ને ક્રિકેટ પર વાત આવી. ડ્રીમ-11. એમાં પૈસા લગાવીને કેમ કમાવી શકાય એની જાહેરાત ધોની, હાર્દિક પંડયા અને રોહિત શર્મા જેવા ક્રિકેટરોએ કરી. આ બધા કરોડોમાં વેચાયા હોય એટલે રમનારને સ્વાભાવિક જ કમાણીનું મન થાય. યુવાનો હવે ક્રિકેટ જોતાં જ નહીં, પણ પૈસા લગાવીને ક્રિકેટ રમતા પણ થયા છે. આખી યુવાનીનો એક્ટરોએ અને ક્રિકેટરોએ આ રીતે જેટલો ઉપયોગ ભારતમાં કર્યો છે એટલો જગત આખામાં ક્યાં ય થયો નથી. દેશની યુવાનીને ધંધે લગાડવા બદલ એક્ટરોને અને ક્રિકેટરોને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.

શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2023

Loading

ગાંધીવિચારનો પ્રકાશ : ચંડીપ્રસાદજી ભટ્ટ

ઉષા ઠક્કર|Gandhiana|4 May 2023

ઉષા ઠક્કર

શાંતિ અને હિંસાથી સંતપ્ત માનવજીવન પર ગાંધીવિચાર અમીછાંટણાનું કામ કરે છે અને જ્યારે ગાંધીવિચારના સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન ઘડનાર વ્યક્તિના અનુભવો સાંભળવા મળે ત્યારે આશાનું અજવાળું ફેલાય છે. હાલમાં ગાંધીવિચારનાં સત્ત્વ અને તત્ત્વને જીવનમાં આત્મસાત કરનાર ચંડીપ્રસાદજી ભટ્ટને મળવાનો સરસ અવસર મળ્યો. મળવાની તારીખ અને સ્થળ બંને ઐતિહાસિક. તારીખ હતી ૬ એપ્રિલ અને સ્થળ હતું મણિભવન. ૬ એપ્રિલ, ૧૯૧૯ના ગાંધીજીએ દમનકારી રોલેટ કાયદા સામે રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનો શંખનાદ કરેલો. તે સમયે ગાંધીજી મણિભવનમાં રહેલા. અને ૬ એપ્રિલ, ૧૯૩૦ના દાંડીમાં ગાંધીજીએ મીઠું ઉપાડીને કાયદાનો સવિનય ભંગ કરેલો.

‘ચિપકો આંદોલન’ વિશે ઘણું વાંચેલું અને સાંભળેલું, પણ તેના પ્રણેતા ચંડીપ્રસાદજી ભટ્ટ પાસેથી જ તેમના કાર્ય અને ચિપકો આંદોલન વિશેની વાતો અને હકીક્ત ભણવાનો આનંદ અનોખો જ હતો. હમણાં જ ‘ચિપકો આંદોલન’નાં પચાસ વર્ષ પૂરાં થયાં.

ચંડીપ્રસાદ ભટ્ટ

ચંડીપ્રસાદજીનું વ્યક્તિત્ત્વ શાંત અને પ્રભાવશાળી. ખાદીનાં વસ્ત્રોમાં તેમની ગરિમા અને પ્રતિભા સ્વભાવિક રીતે જ ઝળકે. કોઈ પણ જાતના આડંબર વિના તે સહજ રીતે પોતાના અને સાથીઓનાં કાર્યની વાતો કરતા રહ્યા. ક્રમબદ્ધ વિચારો સરળશૈલીમાં વહેતા રહ્યા. લોકોની તકલીફો, મુશ્કેલીઓ અને તેમના સંઘર્ષ અને ઉપાયો શોધવાની મથામણની વાતો પણ આવતી રહી. અમે સૌ મંત્રમુગ્ધ બની તેમનાં વાણી અને કાર્ય સાથે જોડાતાં ગયાં.

ચંડીપ્રસાદજી પદ્મભૂષણ (૨૦૦૫), રેમન મેગસેસે એવૉર્ડ (૧૯૮૨) અને ગાંધી પીસ પ્રાઈઝ (૨૦૧૩) જેવાં પુરસ્કારોથી સન્માનિત થયા છે. તેમનું સમગ્ર જીવન અને કાર્ય ગાંધીમૂલ્યો અને ગાંધીવિચાર પર આધારિત છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગોળેશ્વરમાં રહેતા આ પર્યાવરણવાદી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત છે.

તેમના જીવનની વિકાસયાત્રા મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી છે. યુવાવસ્થાથી જ તેમના પર ગાંધીવિચાર પ્રત્યે અનેરું આકર્ષણ હતું. ૧૯૫૬માં જયપ્રકાશ નારાયણ બદ્રીનાથ ગયેલા. ત્યારે પીપલકોટીમાં ચંડીપ્રસાદજીએ તેમનું ભાષણ સાંભળ્યું અને સાંભળીને તેમના જ શબ્દોમાં ‘મારા માટે સમાજકાર્યનાં દ્વાર ઊઘડી ગયાં.’ તે પછીના વર્ષમાં તેમણે સાથીઓ સાથે પદયાત્રા કરી, જેમાં દરેક ગામડે ગ્રામ-સ્વરાજ્ય અને સર્વોદય અંગેની ચર્ચા થતી. તદુપરાંત, તેમનો સંપર્ક વિનોબા ભાવે અને દાદા ધર્માધિકારી જેવા ચિંતકો સાથે પણ રહ્યો.

ચંડીપ્રસાદજીના મત મુજબ હિમાલય ક્ષેત્ર વિવિધતા અને પ્રાકૃતિક સમૃદ્ધિથી ભરપૂર છે. પણ તે સાથે યાદ રાખવું જોઈએ કે હિમાલય અત્યંત સંવેદનશીલ પર્વત શ્રૃંખલા છે. તેના ભૂગર્ભમાં ઊથલ-પાથલ થયા કરે છે અને ધરતીકંપ, ભૂસ્ખલન અને પૂર જેવી આફતો આવ્યા કરે છે. આમાંથી થોડી પ્રકૃતિજન્ય છે, અને વધારે માનવસર્જિત. વિકાસના નામે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે. ચીનના આક્રમણ પછી આ ક્ષેત્રમાં વિકાસને લગતાં કામો વધી ગયાં છે, જેમ કે, મોટા રસ્તાઓ કે મોટા મકાનો કે મોટા ઉદ્યોગો.

ચંડીપ્રસાદજી અને તેમના યુવા સાથીઓએ ૧૯૬૦ના દશકમાં દશૌલી ગ્રામ-સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી. તેનો હેતુ હતો કે જંગલની આજુબાજુ રહેનારા લોકોને વનસંપદાના માધ્યમથી સન્માનજનક રોજગાર મળે. પણ તેમના માર્ગમાં રાજ્ય સરકાર, જિલ્લ પ્રશાસન અને વનવિભાગ તરફથી અનેક અવરોધો આવ્યા અને સંસ્થાએ શાંતિપૂર્વક તેમનો સામનો કર્યો.

૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશના વનવિભાગે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના કાષ્ઠ-કલા કેન્દ્રને અંગૂનાં વૃક્ષ આપવાની ના પાડી. પહાડોની ખેતીમાં આ વૃક્ષના લાકડાનો ઘણો ઉપયોગ થતો હતો. જો આ લાકડું ન મળે તો સંસ્થાનાં જંગલો પાસે નાના ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ થાય. એટલું જ નહીં, વન વિભાગે તો અંગૂનાં વૃક્ષોને નીચેના મેદાનોમાં રહેલી કંપનીઓને વેચવાનું શરૂ કર્યું.

દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના સભ્યોને પરાજ્ય સ્વીકાર નહોતો. તેઓ ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. તે દરમિયાન તેમને ખબર પડી કે વનવિભાગે રમત-ગમતનાં સાધનો બનાવતી અલાહાબાદની સાઈમન કંપનીને ગોપેશ્વરથી એક કિલોમીટર દૂર મંડલ વનમાંથી અંગૂનાં વૃક્ષ કાપવાની પરવાનગી આપી દીધી છે. પરિસ્થિતિ તો વિકટ હતી. તેમાં ખબર પડી કે સાઈમન કંપનીના માણસો ગોપેશ્વર પહોંચી ગયા છે. હવે તો ઉપાય શોધવો જ રહ્યો. ચંડીપ્રસાદજીનું હૃદય વલોવાયું અને ઉત્તેજનાથી તે બોલી ઉઠ્યા, “આપણે વૃક્ષ કાપવા નહીં દઈએ. જો તેઓ વૃક્ષ પર કુહાડી મારશે તો આપણે અંગવાષ્ઠા કરી લઈશું.” ત્યાંની ભાષામાં ‘અંગવાષ્ઠા’ એટલે આલિંગન. જ્યારે કોઈ વૃક્ષ પર કુહાડી ઊંચકાય, ત્યારે લોકોએ વૃક્ષને અલિંગનમાં લઈ લેવાનું. ચંડીપ્રસાદજીએ લોકોને કહ્યું કે ઠેકેદારની કુહાડી પહેલાં આપણાં પર અને પછી વૃક્ષ પર. આપણે તો વૃક્ષોને ચોંટીને-ચિપકીને રહેવાનું. ‘ચિપકો’ શબ્દને નવો ક્રાંતિકારી અર્થ મળ્યો અને ગોપેશ્વરમાં ૨૭ માર્ચ, ૧૯૭૩ના ‘ચિપકો આંદોલન’નો જન્મ થયો.

ઉત્તરાખંડમાં ઘણી વનસંપદા છે. પણ સરકારની વિકાસકાર્યો માટેની ઉતાવળ અને ટેકેદારોનો લોભ પ્રકૃતિમાં અસંતુલન પેદા કરે છે. આડેધડ વૃક્ષો કાપવાથી કુદરતી આફતો આવે છે. તેનો અહેસાસ ચિપકો આંદોલનકારીઓને હતો. ચંડીપ્રસાદજીને જાણ હતી કે અલકનંદા નદીમાં ૧૯૭૦માં આવેલ મોટા પૂરે રસ્તાઓ, પુલ, ખેતરો અને પશુઓનો મોટા પ્રમાણમાં નાશ કરેલો.

જ્યારે તેમને ખબર પડી કે મંડલ ક્ષેત્રમાં જંગલમાં વૃક્ષો પર માર્કિંગ થઈ ગયું છે અને સાઈમન કંપનીના માણસો તેમને કાપવા આવી રહ્યા છે, ત્યારે આ તેજસ્વી ગાંધીજન અને તેમના સાથીઓ સક્રિય થઈ ગયા. નાના મંડલ ગામમાં ચિપકો આંદોલનકારી ગ્રામજનોની મોટી સભા જોઈને સાઈમન કંપનીના માણસો વૃક્ષ કાપ્યા વિના જ પાછા ફર્યા. સરકારે થોડાં વૃક્ષો આપી તડજોડની તૈયારી દાખવી પણ આંદોલનકારીઓની દૃષ્ટિ વ્યાપક બની હતી. વનસંપદાનો ઉચિત અને ન્યાયપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને તેના પ્રબંધ અને રક્ષણ માટે સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.

મંડલના જંગલ કાપવાનું કામ તો બંધ રહ્યું, પણ પછી તરત ખબર પડી કે હવે સાઇમન કંપનીને ફાટા ક્ષેત્રમાં વૃક્ષ કાપવાની મંજૂરી મળી છે. સત્યાગ્રહીઓના સામર્થ્યની પરીક્ષાનો ફરી સમય આવ્યો. લોકો અને ચંડીપ્રસાદજી સક્રિય બન્યા. લોકો ઢોલ-નગારાં અને ગીતોના માધ્યમથી ભેગા થતા ગયા. લોકોને અન્ય સ્થાન પર આકર્ષિત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. પાંચ વૃક્ષ કપાયાં ત્યાં તો ફરી સતર્ક ગ્રામજનો ભેગા થઈ ગયા. અને જંગલ કાપવા માટે આવેલ માણસો ત્યાંથી પલાયન થઈ ગયા. હવે મહિલાઓમાં પણ જાગૃતિ લાવવાના પ્રયત્નો સફળ થવા લાગેલા. છેવટે ૧૯૭૩ના અંતે સાઈમન કંપનીની વૃક્ષ કાપવાની પરવાનગી સમાપ્ત થઈ.

૧૯૭૪માં રેણી ગામના વનનો ગંભીર મામલો સામે આવ્યો. રેણી ક્ષેત્રના જંગલનાં વૃક્ષોની લિલામીની તૈયારી થઈ. ચંડીપ્રસાદજી અને તેમના સાથીઓએ તો ઠેકેદારોને કહી દીધું કે જો વૃક્ષો કપાશે તો રેણીના જંગલોમાં ‘ચિપકો આંદોલન’ થશે. ચંડીપ્રસાદજીને વિશ્વાસ હતો કે સાધનહીનનો દૃઢ સંકલ્પ જ સશક્ત હથિયાર છે. વનવિભાગના માણસોએ આમતેમ કરી ચંડીપ્રસાદજીને ત્યાં સમયસર ન પહોંચવા દીધા. ગામના પુરુષો તો ચમોલી જિલ્લામાં આવી ગયેલા,
કારણ સરકારે જાહેર કરેલું કે ૧૯૬૨માં જેમની જમીન સરકારે લઈ લીધેલી તેમને વળતર ચૂકવવામાં આવશે. ગામમાં ફક્ત સ્ત્રીઓ અને બાળકો જ હતાં. આ વાતનો અંદાજ આવતાં ચંડીપ્રસાદજી અને થોડા સાથીઓ રેણી પહોંચ્યા. ત્યાં જઈને ખબર પડી કે મહિલાઓના સાહસને કારણે રેણીનું વિશાળ વન બચી ગયું છે.

વીસેક જેટલી મહિલાઓ અને થોડી બાલિકાઓએ વૃક્ષ કાપવા માટે આવતા મજૂરોને પાછા વળવા સમજાવ્યા અને કહ્યું કે આ જંગલ તો અમારું પિયર છે. તેને ન કાપો ઠેકેદારના માણસો અને આવેલા થોડા અધિકારીઓ સત્તાના મદમાં હતા. કોઈકે તો દારૂ પણ પીધેલો. એક માણસે તો બંદૂક કાઢી. ડર્યા વિના મહિલાઓ ઊભી રહી અને ગૌરાદેવીએ તેમને પડકારીને કહ્યું કે પહેલાં બંદૂક ચલાવો અને પછી અમારા પિયરને કાપીને લઈ જાઓ. મજૂરો તો નાસવા લાગ્યા. બીજાઓ પણ ધીરે ધીરે ખસકવા લાગ્યા. આ બહાદુર મહિલાઓએ જોયું તો ભૂસ્ખલનને કારણે એક તૂટેલી પગદંડીને સિમેન્ટના પાટિયાથી જોડવામાં આવેલી. તેમણે જંગલ તરફ જતી આ પગદંડીને જોડતું પાટિયું તોડી નાખ્યું. પૂરી રાત આ મહિલાઓ આ સ્થળ પર બેસી ગીતો ગાતી રહી અને ચોકી કરતી રહી.

વન બચી ગયું. ચંડીપ્રસાદજી અને સાથીઓ સાથે સરકાર સમિતિઓ દ્વારા વાતચીત કરતી રહી, પણ આંદોલનકારીઓનો તો એક જ જવાબ હતો અમે આંદોલન પાછું નહીં ખેંચીએ. આ આંદોલનની ચિનગારીઓ ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ. છેવટે વિશેષજ્ઞોની તપાસ સમિતિએ 1976માં અહેવાલ આપ્યો. તેની ભલામણોને ઉત્તરાખંડની સરકારે સ્વીકારી અને ઉત્તરાખંડની અલકનંદા અને તેની સહાયક નદીઓના જલાગમ ક્ષેત્રોમાં દસ વર્ષ સુધી વૃક્ષ કાપવાની મનાઈ જાહેર કરવામાં આવી.

‘ચિપકો આંદોલન’ની સફળતાએ દેશ-વિદેશમાં વિશેષજ્ઞો, પર્યાવરણવાદીઓ અને નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. ચંડીપ્રસાદજી જણાવે છે કે આંદોલન સાથે રચનાત્મક કાર્ય પણ આવશ્યક છે. વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. અને તે સાથે નવા છોડ અને નવાં વૃક્ષ પણ વાવવાં જોઈએ. વનીકરણનું કામ ઘણું મહત્ત્વનું છે. આજે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંસ્થા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી રહી છે. છાત્રો અને યુવાવર્ગ તેમાં સહર્ષ જોડાઈ રહ્યા છે અને મહિલાઓનો સાથ તો છે જ. ‘ચિપકો આંદોલન’માં મહિલાઓનું યોગદાન અપૂર્વ છે. વનસંપદાનું રક્ષણ કરીને તેમણે ફરી પુરવાર કર્યું છે કે આત્મબળ અને સંક્લ્પની શક્તિ શારીરિક બળપ્રયોગ કરતાં વધુ અસરકારક છે. ચંડીપ્રસાદજીને તેમના કાર્યમાં પત્ની દેવેશ્વરીજી અને સુપુત્ર ઓમપ્રકાશજીનો પૂરો સાથ છે.

ચંડીપ્રસાદજી કહે છે કે અહિંસા મનસા, વાચા અને કર્મણા હોવી જોઈએ. અને સત્યાગ્રહ પણ સૌમ્ય- સૌમ્યતર અને સૌમ્યતમ હોવો જોઈએ. આ વાતની પ્રતીતિ ‘ચિપકો આંદોલન’માં થાય છે. ક્યારે ય કોઈ પ્રકારની હિંસા નથી થઈ, અહીં ઉપાયોની નવીનતા છે અને સિદ્ધાંતોની શાશ્વતતા છે. વિરોધીઓ સાથે પણ સદ્દવ્યવહાર આવશ્યક છે. ચંડીપ્રસાદજીની મીટિંગોમાં અને ચર્ચા-વિચારણામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ આવે, સરકારી અધિકારીઓ પણ આવે અને સમાજના બધા વર્ગોનું પ્રતિનિધિત્વ તો હોય જ. મુક્ત મને ચર્ચા થાય અને નિર્ણયો લેવાય. સમાજકાર્ય માટે બધાને સાથે લઈને આગળ વધવું અનિવાર્ય છે. અને છેવટે તો આપણે આપણા કામની જવાબદારી સ્વીકારવી રહી. આજે માનવસર્જિત કાર્યો પ્રકૃતિમાં અસંતુલન વધારે છે, તે પ્રત્યે ચંડીપ્રસાદજી આપણું ધ્યાન દોરે છે.

ગાંધીવિચારના અભયના સિદ્ધાંતને સમજાવતા ચંડીપ્રસાદજી છે કે અસત્ય અને અનિષ્ટ તત્ત્વોનો ભયરહિત થઈ અહિંસક માર્ગથી સામનો કરવો જોઈએ. તદુપરાંત, કથન અને વર્તન એવાં હોવાં જોઈએ કે વિરોધીઓને પણ વિશ્વાસ થાય. કથન અને વર્તનની એકરૂપતા જરૂરી છે.

માનવજીવન, પ્રકૃતિ અને ગાંધી-સિદ્ધાંતો સાથે ચંડીપ્રસાદજી સહજતાથી સંબંધ જોડે છે અને ભારપૂર્વક જણાવે છે કે આજે પણ ગાંધીવિચાર પ્રસ્તુત છે, પ્રાસંગિક છે અને સુસંગત છે.

(સાભાર સૌજન્ય : “જન્મભૂમિ પ્રવાસી”; 16 એપ્રિલ, 2023)
મુદ્રણ સૌજન્ય : કેતન રુપેરા

Loading

બરફની હાજરી

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|4 May 2023

બરફની હાજરી મગજમાં હોવી જરૂરી.

એટલી દરકાર તો આપણે લેવી જરૂરી.

કટુવાણી કામ બગાડનારી હોય સર્વદા,

આ વાત સૌએ બસ સમજવી જરૂરી.

મધુવાણી ઠંડા દિમાગની જ નીપજ છે,

ઉશ્કેરાટને ઉકળાટ વેળા તજવી જરૂરી.

હસતો ચહેરો છે નિશાની બરફ હાજરી,

પરાવાણી પ્રત્યેક મુખે ઉચ્ચરવી જરૂરી.

વૈખરી વદનાર કામ બગાડી અપ્રિય થતા,

વસમા વખતે સબર સ્હેજે ધરવી જરૂરી.

પોરબંદર
E.mail : joshichaitanya568@gmail.com

Loading

...102030...1,1101,1111,1121,113...1,1201,1301,140...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved