Opinion Magazine
Number of visits: 9563309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટ બંધ થાય તેથી કૈં કાળું નાણું બંધ નહીં થાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 May 2023

રવીન્દ્ર પારેખ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19 મે, 2023 ને રોજ 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરીને આખા દેશને આંચકો આપ્યો છે. આનાથી મોટો આંચકો 2016ની 8 નવેમ્બરની રાતના 8 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500ની અને 1,000ની નોટોને ચલણમાંથી રદ્દ કરીને આપ્યો હતો. એ રાત્રે 12 પછી 15.44 લાખ કરોડની 86 ટકા નોટ એક જ ઝાટકે રદ્દ થઈ ગઈ હતી. આવા આંચકાઓ મંત્રીઓની બદલીઓ કરીને, સર્જિકલ સ્ટ્રાઈક કરીને, 370મી નાબૂદ કરીને અપાતા જ રહ્યા છે. એટલું છે કે દેશની પ્રજાને સતર્ક ને ચિંતિત રાખવાના ઉદ્દેશોમાં સરકાર મહદ્દ અંશે સફળ રહી છે. 2016માં હજાર, પાંચસોની નોટો રદ્દ થતાં જ રોકડની જરૂર એકદમ વધી, એટલે RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ 2,000ની નોટો છાપવામાં આવી. નોટ છાપવાનો હેતુ બર આવતાં, હવે છ વર્ષે 2,000ની નોટ પાછી ખેંચવાનો રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે. આ નિર્ણય ‘જોર કા ઝટકા ધીરે સે લગે’ એ પ્રકારનો છે. આમ તો રિઝર્વ બેન્કે 2,000ની નોટોને ચલણમાંથી બહાર કરવાનું 2017-‘18થી જ શરૂ કર્યું હતું ને 2019-‘20થી તો બે હજારની નોટો છાપવાનું પૂર્ણપણે બંધ જ છે. છેલ્લાં ચાર વર્ષમાં રિઝર્વ બેન્કે જ બે હજારની 102 કરોડ નોટ રદ્દ કરી છે. અહીં સવાલ એ થાય કે 2016 પહેલાં જેનું અસ્તિત્વ જ ન હતું એ બે હજારની નવી નોટો રદ્દ કરવાની સ્થિતિ  કેમ આવી? એ સાચું કે નોટબંધીને કારણે ચલણની જરૂર ઊભી થતાં નવી નોટ બહાર પાડવી પડે એમ હતું, પણ બે હજારની નોટ બહાર પડવાને કારણે જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું. હવે ચલણમાંથી એ નોટ પાછી ખેંચીને રિઝર્વ બેન્ક કદાચ પ્રાયશ્ચિત કરી રહી છે.

23 મેથી કોઈ પણ ચાર્જ વસૂલ્યા વગર બે હજારની નોટ ખાતામાં ભરવાનું કે બદલવાનું શરૂ થશે ને તે 30 સપ્ટેમ્બર, 2023 સુધી ચાલશે, પણ પ્રજાને રઘવાઈ થઈને દોડવાનો અનુભવ છે એટલે એ તો આ મામલે લાઇન નહીં લગાવે ત્યાં સુધી જંપવાની નથી. એને 2016નો, કલાકો લાઇનમાં ઊભાં રહેવાનો ને મરવાનો અનુભવ છે, એટલે એ નવો અનુભવ લેવા જૂના અનુભવની ફાળ સાથે તત્પર હોય તેમાં નવાઈ નથી. પ્રજા તો 23મીથી 20 હજારની મર્યાદામાં, એટલે કે 2,000ની 10 નોટને હિસાબે ખાતામાં જમા કરાવવા કે બદલાવવા દોડશે કે 2,000ની બે નોટને હિસાબે બેન્કોમાં બદલી કરવા ફોર્મ ભરશે ને કેવાયસીની પ્રક્રિયા પૂરી કરશે, એવી વાત હતી, પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.) તરફથી એવો ખુલાસો આવ્યો છે કે 2.000ની 10 નોટની બદલીમાં કોઈ ઓળખ આપવાની નથી કે નથી તો કોઈ ફોર્મ પણ ભરવાનું. રહી વાત ગામડાંની તો લોકો બિઝનેસ કોરસપોન્ડન્ટની મદદથી 2,000ની બે નોટ બદલાવી શકે છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને બે હજારની નોટો ઇસ્યુ ન કરવાની તાકીદ પણ કરી છે. ટૂંકમાં, રિઝર્વ બેન્કે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ બે હજારની નોટ ખેંચવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પછી પણ કોઈ ફેરફાર આવે તો તેની તૈયારી લોકોએ રાખવાની રહે. હા, રિઝર્વ બેન્ક પોતે પણ નોટ બદલી માટે પોતાની પ્રાદેશિક શાખાઓ પર વ્યવસ્થા ઊભી કરશે એટલે જરા પણ પેનિક થવાની જરૂર નથી, વળી 30મી સપ્ટેમ્બર સુધીનો પૂરતો સમય છે, એટલે બહુ લાઇન નહીં લાગે, પણ જેની પાસે બે હજારની વધુ નોટો છે ને એક સાથે બે હજારની 10થી વધુ નોટો બદલી ન શકાય એવો નિયમ હોય ત્યારે વીસ વીસ હજાર જમા કરાવવા માણસો ઊભાં કરવા પડે ને એ મફતમાં નહીં થાય તો થોડી ખોટ ખાઈને પણ બે હજારની નોટોને ઠેકાણે પાડવા અમીરો કોશિશ કર્યાં વગર નહીં જ રહે ને એ કારણે પણ લાઈન લાગવાની શક્યતાઓ વધે જ છે. એવું બે હજારની બબ્બે નોટો બદલાવવાની બાબતે પણ ખરું જ !

આ બબ્બે નોટોની કે વીસ હજારની લિમિટ કેમ, આ અંગે પુછાતા રિઝર્વ બેન્કના જ પૂર્વ ડેપ્યુટી ગવર્નરે  સ્પષ્ટતા કરી છે કે નોટો અસલી છે કે નકલી, એની ચકાસણી કરવામાં સમય લાગે ને એ દરમિયાન અન્ય ગ્રાહક સેવાઓ ન ખોરવાય એટલે આ મર્યાદાઓ મુકાઈ છે. એનો અર્થ તો એ પણ ખરો કે બ્લેકની નોટો સાથે નકલી નોટોનું જોખમ પણ છે જ. 2016ને યાદ કરીએ તો 2,000ની નોટો બહાર પડી તે અરસામાં જ 2,000ની નકલી નોટો પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવેલી. એ સૂચક છે કે ભારતની સમાંતરે જ બે હજારની નોટો પાકિસ્તાનમાંથી બહાર પડવાનું શરૂ થયેલું ને ઘણી નકલી નોટો ભારતમાં પધરાવવામાં આવેલી. હકીકતે તો 2,000ની નોટો બહાર પાડવાનું પગલું જ નોટબંધીની આખી યોજના પર વિપરીત અસર પાડનારું હતું. તે એટલે કે જમાખોરી રોકવા જો હજાર, પાંચસોની નોટો રદ્દ કરી હોય, તો બે હજારની નોટોથી તો જમાખોરી ઑર વધે એમ હતું. હજારની બે નોટ તિજોરીમાં રાખવા કરતાં બે હજારની એક નોટ રાખવાનું વધારે સગવડ ભર્યું હતું, કારણ એથી જગ્યા ઓછી રોકાતી હતી ને વધુ નોટો સાચવવાની સગવડ આપોઆપ જ ઊભી થતી હતી. બીજું એ કે પાંચસોની નોટ બંધ કરીને પાંચસોની નવી નોટ જેમ બહાર પાડી એમ જ હજારની નોટ બંધ કરીને હજારની નવી નોટ બહાર પાડવાની હતી, તેને બદલે બે હજારની નોટો બહાર પાડી. એમ થતાં જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું ને એની સમાંતરે નકલી નોટોનું ચલણ પણ વધ્યું. આ બધાંનો કાઁગ્રેસ, આપ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) જેવા વિપક્ષોએ એમ કહીને વિરોધ કર્યો કે નોટબંધી જેવો નિર્ણય નિષ્ણાતોને વિશ્વાસમાં લીધા વગર લેવાયો હતો, એમાં તથ્ય પણ હતું, પણ એનું કશું ઉપજયું નહીં.

હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત આવી છે તો સપ્ટેમ્બરની ત્રીસમી સુધીમાં જેટલી નોટો બહાર પડી છે એનાથી વધુ નોટો પાછી આવે એમ બને. ઘણી નોટો પાછી ખેંચાઈ હોવા છતાં હજી 3.62 લાખ કરોડની નોટો ચલણમાં છે. આમ તો નોટબંધીનો આખો વેપલો કાળું નાણું બહાર કઢાવવાનો હતો, પણ ત્યારે પરિણામ નોટની બદલીમાં વધુ આવ્યું હતું. હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત છે તો એમાં પણ બ્લેકના વ્હાઇટ થવાની તકો વધે એમ બને.

એ તો 30મી સપ્ટેમ્બરે ખબર પડે, પણ 23મી મેની રાહ જોયા વગર જ લોકો સોનામાં બે હજારની નોટોને  રોકવા જ્વેલર્સને ત્યાં ઉપડ્યા તો એમને માટે વેપારીઓએ સોનાનો ભાવ 63 હજારથી વધારીને 72 હજાર કરી દીધો, તો ક્યાંક 2,000ની નોટના 1,950 આપવાનું પણ બન્યું, તો, કોઈકે લાખોનો ટેક્સ ભરવાનો બાકી હતો, તે ભરી દઈને બે હજારની સેંકડો નોટોને ઠેકાણે પાડી દીધી. કેટલાક પેટ્રોલ પંપવાળાઓએ 500નું પેટ્રોલ પુરાવાય તો જ બે હજારની નોટ લેવાનું કબૂલ્યું. એ જ રીતે ગાડીની ખરીદીમાં ડાઉન પેમેન્ટ બે હજારની નોટમાં કરવાનો આગ્રહ પણ રખાયો. સુરતમાં એ.પી.એમ.સી.માં ખેડૂતોએ અને આંગડિયાઓએ તો બે હજારની નોટો લેવાનો જ ઇન્કાર કરી દીધો. આ રીતે નોટો લેવાનો ઇન્કાર કરી શકાય નહીં, કારણ 2,000ની નોટો લીગલ ટેન્ડર તરીકે હજી નકારાઈ નથી, તે ત્યાં સુધી કે 30મી સપ્ટેમ્બર પછી પણ કોઈ પાસેથી 2,000ની નોટ મળી આવે તો તેની સામે કાનૂની કાર્યવાહી નહીં થાય એવી સ્પષ્ટતા પણ રિઝર્વ બેન્કે કરી છે. શિરડીનાં સાંઈ સંસ્થાને તો ‘ભેંશ ભાગોળે..’ની જેમ અત્યારથી જ દાન પેટીમાં બે હજારની નોટો ન નાખવા અનુરોધ કર્યો છે. આવી તો કૈં કૈં રમતો હજી થાય તો નવાઈ નહીં ! નથી લાગતું કે અપ્રમાણિકતા જ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે?

હવે 2,000ની નોટ બંધ કરીને રિઝર્વ બેન્ક નવી નોટ બહાર પાડશે કે 500ની નોટો જ મોટાં ડિનોમિનેશન માટે પૂરતી થઈ પડશે એ અંગે નિષ્ણાતોનો મત એવો છે કે હવે લોકો ઘણું ખરું મોટી રકમ ડિજિટલ પેમેન્ટથી ચૂકવતાં થયાં છે એટલે મોટી નોટો બહાર નહીં પડે તો ચાલે, પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે જમીનની, મકાનોની ખરીદીમાં આજે પણ પચાસ ટકા લગભગ બ્લેકના ચૂકવાય છે ને એ રકમ એવી હોય છે કે તેનું 200-500ની નોટોમાં ચૂકવણું સગવડ ભરેલું ન જ હોય. રિઝર્વ બેન્કે નાણાંકીય વ્યવહારો સરળ કરવા હોય તો હજારની બંધ પડેલી નોટો નવેસરથી છાપવી જોઈએ. એ સાચું છે કે એ નોટો મોટે ભાગે તિજોરીઓનું જ વજન વધારતી હોય છે, પણ કાળું નાણું આપણે જ અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકાર્યુ હોય ત્યાં બીજો ઈલાજ નથી. એ પણ છે કે મોટી રકમ હવે સોનાચાંદી કે હીરાઝવેરાતમાં પણ રોકાય છે. એટલે મોટી નોટોથી જ કાળું નાણું વધે છે એ વાત પૂરી સાચી નથી. એમ તો ભારતીય ચલણમાં પાંચ હજારની અને દસ હજારની નોટો પણ હતી ને એ પણ મોરારજી દેસાઈની સરકારે 16 જાન્યુઆરી, 1978ને રોજ રદ્દ કરી હતી. આઝાદી પછીની એ પહેલી નોટબંધી હતી. એ નોટબંધી પણ કાળું નાણું બહાર કઢાવવાની ગણતરીએ જ થઈ હતી, પણ આજ સુધી એવું બન્યું નથી કે કાળું નાણું નાબૂદ થયું હોય. થોડો ટેક્સ ભરીને, ઘણો ટેક્સ બચાવવાની માનસિકતા લોકોમાં એ હદે ઘર કરી ગઈ છે કે નોટબંધી એક ઉપાય હોઈ શકે, પણ તે કાળું નાણું રોકવાનો એક માત્ર ઉપાય નથી જ ! રોકડી વાત એ છે કે નાણું બંધ થાય તો કદાચ કાળું નાણું બંધ થાય ને સૌ જાણે છે કે નાણું બંધ થાય એમ નથી, તો કાળું નાણું તો ક્યાંથી બંધ થવાનું…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 મે 2023

Loading

કર્ણાટકની ખિસકોલીઓ : છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2023

રમેશ ઓઝા

ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. આ ઘટના નવી છે, પણ અપૂર્વ નથી. રાષ્ટ્રજીવનમાં કેટલીકવાર એવું બનતું હોય છે કે રાજકીય સમજ ધરાવનારા, ખુલ્લા સમાજનું મૂલ્ય સમજનારા અને માટે પ્રતિબદ્ધતા ધરાવનારા, કાયદાના રાજની કિંમત સમજનારા, મૂલ્યનિષ્ઠ જાહેરજીવન ઇચ્છનારા, સત્તાનું રાજકારણ કરનારા કોઈ પણ પક્ષ સાથે સીધો સંબંધ નહીં ધરાવનારા અર્થાત્ સ્પષ્ટ રાજકીય ભૂમિકા ધરાવનારા, પણ નિર્દલીય નાગરિકો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ભારતમાં ૧૯૭૭માં આવું બન્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી પછી સામાન્ય ચૂંટણી જાહેર કરી હતી. કેટલીક પળ અસ્તિત્વની પળ હોય છે.

૧૯૭૭માં આ લખનાર જેવા હજારો યુવકો દેશ પર ઈમરજન્સી લાદનાર અને એ દ્વારા નાગરિકની આઝાદીને કુંઠિત કરનાર કાઁગ્રેસને પરાજીત કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેઓ એકબીજાને ઓળખતા નહોતા કે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નહોતા. દરેકની એક જ નિસ્બત હતી; લોકતાંત્રિક ભારતીય રાષ્ટ્રને બચાવી લેવું જોઈએ. ચૂંટણી જાહેર થયા પછી મુંબઈમાં પાંચ ગાર્ડનમાં યોજાયેલી વિરોધ પક્ષોની એ પહેલી સભા હતી. જયપ્રકાશ નારાયણે લોકફાળા માટે અપીલ કરી હતી. હું એક ડબામાં લોકો પાસેથી ફાળો ઉઘરાવતો હતો ત્યાં એક બી.ઇ.એસ.ટી.ની બસ આવી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને મારા ડબ્બામાં થોડાક પૈસા નાખ્યા. આવા અનુભવ મારા જેવા બીજા અનેક યુવકોને ત્યારે થયા હશે. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

દરેક યુગ જુદો હોય છે, દરેક યુગના રાજકીય પ્રશ્નોનું સ્વરૂપ જુદું હોય છે એટલે હસ્તક્ષેપનું સ્વરૂપ પણ જુદું હોય છે. ઈમરજન્સી એ ઇન્દિરા ગાંધીની ઊઘાડી તાનાશાહી હતી જ્યારે અત્યારે લોકશાહી માર્ગે લોકશાહીને ક્ષીણ કરવામાં આવી રહી છે. આખું જગત કહે છે કે ભારતીય લોકતંત્ર ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) છે, જેમાં નિયમિત ચૂંટણીઓ તો યોજાય છે, પરંતુ પ્રતિપક્ષોને મુકાબલો કરવા માટે એક સમાન અનુકૂળતા (લેવલ પ્લેઇંગ ફિલ્ડ) આપવામાં આવતી નથી. વિરોધ પક્ષોને મળતા પૈસાના સ્રોતને સૂકવી નાખવામાં આવે છે. પોતાને મબલખ પૈસા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૈસા અને સત્તાના જોરે મીડિયા, ચૂંટણીપંચ, ભાડૂતી ફિલ્મ નિર્માતાઓ એમ દરેકને ખરીદવામાં આવે છે. આ રીતે વિરોધ પક્ષો સામે અનૂકુળતાની પ્રચંડ અસામનતા પેદા કરીને અથવા પ્રચંડ પ્રતિકૂળતા પેદા કરીને તેમની લોકતાંત્રિક જમીન આંચકી લેવામાં આવે છે.

આ સિવાય ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) અને ઉદારતાયુક્ત લોકતંત્ર (લિબરલ ડેમોક્રસી) વચ્ચે ફરક છે. એ નાગરિકના અધિકારોને પણ કુંઠિત કરે છે. બીજા પ્રકારનું ઉદારતાવાળું લોકતંત્ર સાચું લોકતંત્ર છે. પ્રાણવાન લોકતંત્ર છે. એમાં નાગરિકોને ડરાવવામાં નથી આવતા. ધર્મ, પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને નામે નાગરિકોને સતાવવામાં નથી આવતા. વિરોધીઓની પાછળ ટ્રોલિંગ કરનારા શ્વાનોને છોડી મૂકવામાં નથી આવતા. ઇતિહાસ સાથે અને કોઈના ભણતર સાથે ચેડાં કરવામાં નથી આવતા. ચૂંટણીકીય લોકતંત્ર માત્ર લોકતંત્રનું બાહરી કલેવર હોય છે એમાં અસ્થી, મજ્જા અને પ્રાણ નથી હોતાં. દેખીતી વાત છે કે ઉપર કહ્યા એવા નાગરિકોને આ ફરક પણ સમજાતો હોય. તેઓ બુદ્ધિમાન છે, જાતવફાઇ ધરાવે છે અને ઉપરથી સમાજ માટે નિસ્બત ધરાવે છે. તેમને ખબર છે કે આવી સ્થિતિ તેમની આવનારી પેઢીનું અને દેશનું નખ્ખોદ વાળશે.

દેખીતી રીતે ઊઘાડી તાનાશાહી કરતાં આ છૂપી તાનાશાહી વધારે ખતરનાક હોય છે. ઊઘાડી તાનાશાહી બંદૂકના જોરે ટકી રહે છે, જ્યારે છૂપી તાનાશાહી પ્રજાના એક વર્ગના મસ્તિષ્ક પર કબજો કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પ્રજાનો એક વર્ગ હોંશેહોંશે પોતાનું અહિત કરીને તેમને ટેકો આપે છે.

આવી સ્થિતિમાં હવે જ્યારે પ્રજા સામે પ્રજા હોય ત્યારે સુજાણ નાગરિકે હસ્તક્ષેપ કરવામાં સાવધાની રાખવી પડે છે. અને સાવધાની તેમ જ સંયમ ન રાખી શકે તો સુજાણ શેનો!

૧૯૭૭ પછી પહેલીવાર સુજાણ નાગરિક સમાજે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો. અત્યંત ગણતરીપૂર્વક અને અસરકારકપણે. તેમની નિસબત હતી પ્રાણવાન લોકતંત્રને પાછું ધબકતું કરવું. મબલખ પૈસા, ગોદી મીડિયા, પ્રચારાત્મક ફિલ્મો, આંગળિયાત ચૂંટણીપંચ વગેરેએ પેદા કરેલી પ્રતિકૂળતાઓ વચ્ચે વિરોધ પક્ષોને અનુકૂળતા પેદા કરી આપવી. એ એટલા માટે કે સત્તાપરિવર્તન સિવાય લોકતંત્ર બચવાનું નથી અને સત્તાપરિવર્તન માટે રાજકીય પક્ષોનું હોવું અને જીતવું જરૂરી છે. આ કામ પ્રબોધન દ્વારા કરવાનું હતું, પ્રજાની વચ્ચે વિગ્રહ પેદા કરીને નહીં.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે દેશનાં અને કર્ણાટકના ૧૨૦ જેટલાં નાગરિક સમાજનાં સંગઠનોએ ભેગા મળીને ઇડેલુ નામનાં પ્લેટફોર્મની રચના કરી. ઈડેલુનો અર્થ થાય છે, જાગો. વેક અપ, કર્ણાટક. આની શરૂઆત ચૂંટણી જાહેર થઈ એના છ મહિના પહેલાં કરવામાં આવી હતી. એમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ જોડાયાં હતાં અને તેમણે તેમની ક્ષમતા અનુસાર કામની વહેંચણી કરી લીધી હતી. દેશ સામે જોખમ કઈ વાતનું છે એ વાત ગામડિયો પણ સમજી શકે એટલી સરળ ભાષામાં સમજાવતું આજની પરિભાષામાં નેરેટિવ્ઝ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ પણ દૃશ્ય શ્રાવ્યનાં અનેક માધ્યમોમાં. ૫૫૦ પોસ્ટર, ૮૦ વીડિયોઝ અને લોકસંગીતના ઢાળમાં ગીતોનાં સાત આલ્બમ. તેની દસ લાખ કોપીઝ તૈયાર કરવામાં આવી હતી અને હાથોહાથ કોપીની કોપી કરવાનું અને વહેંચવાનું કહેવામાં આવ્યું હતું. લોકોને છેતરપિંડીનાં સ્વરૂપ વીશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ તમારી સમક્ષ મુસલમાનો વિષે, ટીપુ સુલતાન વિષે, કેરળ વિષે શું કહેશે એ પણ કહેવામાં આવ્યું હતું. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે બરાબર ચૂંટણી વખતે કેરળ વિષે તમને એક ફિલ્મ બતાવવામાં આવશે.

તેમણે ૨૫૦ વર્કશોપ કર્યાં હતાં. ૧૦૩ મતદારક્ષેત્રોમાં વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. પૂરો સમય આપનારા પાંચ હજાર યુવક યુવતીઓ વચ્ચે આ મતદારક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યા હતા. આ સિવાય પોતાની અનુકૂળતાએ સમય આપનારાઓ અલગ. ૧૯૨ ટીમ બનાવવામાં આવી હતી. ચાર જથ્થાની રચના કરવામાં આવી હતી જેણે કર્ણાટકમાં સંગીત, ફિલ્મ, નુક્કડનાટક વગેરે પ્રબોધનનાં માધ્યમો સાથે યાત્રા કરી હતી. મત તોડનારા અગંભીર રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઉમેદવાર ઊભા ન રાખે અને જો રાખશે તો તેઓ લોકોને જણાવશે કે તેઓ કોના માટે કામ કરે છે. ૪૯ અગંભીર ઉમેદવારોએ ઈડેનુના કહેવાથી ઉમેદવારી પાછી લીધી હતી.

તમને આ વાતની જાણ હતી? ક્યાંથી હોય! જાણ કરવાની મનાઈ છે. તમને કદાચ ખબર નહીં હોય કે ઈડેનુએ ચૂંટણીપૂર્વે સર્વે કર્યો હતો અને તેનો સર્વે ૯૫ ટકા સાચો ઠર્યો છે, જ્યારે કે બીજા માતબર અખબારોનાં એક્ઝીટ પોલ પણ ખોટા સાબિત થયા હતા. બીજું ઈડેનુના કોઈ માણસને તમે ટી.વી. પરની ચર્ચમાં નહીં જોયો હોય. છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે થાય.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 મે 2023

Loading

ધર્માંધતાઃ સામાજિક સ્થિરતા અને શાંતિને પાંગળી કરવા રાજકરાણીઓને ગમતું શસ્ત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 May 2023

હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી

ચિરંતના ભટ્ટ

જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે દેશમાં માહોલ ભયંકર હતો. આ હકીકત નવી નથી, અજાણી નથી. કોમવાદ એક લોકશાહી રાષ્ટ્રને હચમચાવી શકે છે એ ખબર હોવા છતાં એને પૂરી રીતે દૂર રાખવાનું પણ શક્ય નથી. ઇતિહાસની એક વાસ્તવિકતા એ છે કે જ્યારે અંગ્રેજોના સંકજામાંથી ભારતને છોડાવવાનો હતો ત્યારે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બન્ને એમ માનતા હતા કે આ લોકોને અહીંથી કાઢવા હશે તો ભાગલા સ્વીકારવા સિવાય કોઇ બીજો રસ્તો નથી. 1947નો ભારત દેશ બહુ જુદા જ સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો અને 2023માં ભારત સાત દાયકાથી વધુ સમયથી આઝાદ દેશ હોવા છતાં કોમવાદની ગુલામીમાં લોકશાહીની પીઠે કોરડા ફટકારાઇ રહ્યા છે. ત્યારે પણ કટ્ટરવાદીઓએ કોમવાદની આગ પર પોતાની રોટલી શેકી હતી, પણ ત્યારે આપણા રાજકારણીઓની માનસિકતા તદ્દન જુદી હતી, તેમને સત્તાનો મોહ નહોતો પણ એક સ્થિર, સશક્ત રાષ્ટ્ર ખડું થાય તેમા રસ હતો. સરદાર પટેલે કંઇક આવા અર્થની વાત કરી હતી કે, “અમારો હેતુ લઘુમતીઓને કોઇ ચોક્કસ પદમાં બાંધી દઇ પ્રતિબદ્ધ કરી દેવાનો નથી. બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ખરા અર્થમાં રચાય તે બધાના જ હિતમાં છે અને માટે જ લઘુમતીએ પણ બહુમતીની નિષ્પક્ષતામાં વિશ્વાસ મૂકવો જોઇએ. લાંબા ગાળે એ ભૂલી જવું જ ઠીક રહેશે કે આ દેશમાં બહુમતી અને લઘુમતી જેવું કંઇ છે અને ભારતમાં માત્ર એક જ સમુદાય છે એ વાત મનમાં રાખવી.” સરદાર પટેલનું તોસ્તાન જેવું બાવલું બનાવનારાઓ સરદાર પટેલના આ વિચારોથી કદાચ અજાણ હશે અથવા તો તેમને સગવડિયો સ્મૃતિભ્રમ થયો હશે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની સમજને નેવે મૂકી દઇને હિંદુવાદનો દેકારો અત્યારે જે રીતે ચાલી રહ્યો છે,  તે ખરેખર ચિંતાજનક છે. વિવિધતામાં એકતાની વાતનો જ્યાં ગૌરવ લેવાતું હતું એ જ દેશમાં અત્યારે કોઇ જુદો જ સૂર આલાપાઇ રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં હવાનું પ્રદૂષણ તો વધ્યું જ છે પણ વૈચારિક ધુમ્મસે લોકોની સમજને રૂંધી છે, મર્યાદિત કરી દીધી છે. ભાગલા પડ્યા ત્યારે જે તંગ માહોલ હતો તે એક બહુ મોટા સ્થળાંતરને કારણે હતો. એ બદલાવનાં વર્ષોમાં પ્રગતિવાદી સાહિત્યકારો, પ્રગતિવાદી નાટ્યકારોનો અવાજ લોકો સુધી પહોંચવામાં કશું પણ આડે નહોતું આવતું. પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું એ એક ભાગલા અને આજે એક ધર્મના લોકો જ્યાં રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકોને ઘર ન મળે એ આપણા ઘર આંગણે થતા ભાગલા અને તેમાં સતત નાના નાના ટૂકડા થતા જ રહે છે. એક રાષ્ટ્રમાં અલગ અલગ ધર્મના ખાના બની રહ્યા છે, જેમાં ઝનૂન છે, ગુસ્સો છે, ધિક્કાર છે, બહુમતી ધર્મના વાદની સરમુખત્યારશાહી છે. ધર્મ આધારિત આતંકવાદનો ફેલાવો પણ એક સત્ય છે અને એ કારણે વૈશ્વિક રાજકારણમાં બહુ મોટા પરિવર્તન આવ્યા, ઇસ્લામોફોબિયા પણ ફેલાયો. પણ આતંકવાદને કોઇ ધર્મ નથી હોતો. વાડાબંધી સમાજમાં થાય ત્યારે આતંકીઓ નહીં પણ આમ આદમી પીસાતો હોય છે. ધર્મ કોઇ પણ હોય તેનો ઉપયોગ માનસિક શાંતિ માટે થવો જોઇએ, આતંક કે અરાજકતા ફેલાવવા નહીં.

વિશ્વના કોઇપણ દેશની માફક ભારત પણ અનેક બદલાવોમાંથી પસાર થયો છે. વૈદિક સંસ્કૃતિ, હૂણોનું અહીં આવવું, મુગલોનું દેશને પોતાનો કરીને રહેવું અને પછી અંગ્રેજોનો સામ્રાજ્યવાદ – આ બધામાંથી પસાર થયેલો દેશ વિખેરાયો, જોડાયો એવું ઘણું ય થયું. શાસકો બદલાયા અને રાજકીય પરિવર્તનના પ્રવાહોએ દેશને બદલવાનું ચાલુ રાખ્યું, ક્યાંક બધું ય એક તાંતણે બંધાયેલું રહેતું પણ આંતરિક વૈમનસ્યના રાજકારણે ભારતનો મિજાજ બદલ્યો છે. એક સમયે ધૂલ કા ફૂલ નામની ફિલ્મમાં ગીત આવતું, ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ – સાહિલ લુધિયાનવીના આ શબ્દોમાં ભારતની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની ઓળખ ઘૂંટાતી. હવે ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધી કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જાણે દર્શકોના મનમાં સૌહાર્દના નહીં, પણ ધિક્કારનાં બીજ વાવવાના સીધા અથવા આડકતરા પ્રયાસો થાય છે. સરદાર પટેલ અને નહેરુ જેવા નેતાઓએ લધુમતીને સલામતી આપી, વિશ્વાસ કેળવીને એક થવાની વાત કરી હતી, જ્યારે આજે શાસકોનો આડકતરો સૂર છે હિંદુવાદનો વાવટો ફરકાવો, બીજા ધર્મોને નીચા બતાડો. ધર્માંધતા વર્તમાન રાજકારણીઓને માટે જાણે હુકમનું પાનું છે. ધર્માંધતાની તલવાર ફરે ત્યારે સ્ટેન સ્વામી જેવા કેટલાયના જીવ હોમાય છે અને વિરોધ દર્શાવવા સાંતા ક્લોઝના પૂતળાં બાળવામાં આવે છે તો મસ્જિદની બહાર જય શ્રી રામની નારેબાજી પણ થાય છે. હિંદુત્વવાદીઓ પોતાને ભારતીય પરંપરાનો હિસ્સો ગણાવવા સજ્જન સંભાષણો પણ કરે છે પણ વાસ્તવિકતા તો એ છે કે હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી. ભારતીય ઉપખંડનો ઇતિહાસ સમૃદ્ધ છે પણ ભારતીય રાષ્ટ્રએ તો હજી હમણાં જ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે – આ બન્ને અંગે જેમને સ્પષ્ટતા નથી એ લોકોને જેણે તાજમહેલ બનાવડાવ્યો છે એ શાહજહાં સામે એવો વાંધો પડે છે કે એ દેશદ્રોહી હતો – પણ સવાલ એ થાય કે ભારતની એક રાષ્ટ્ર તરીકે રચના થઇ તેના ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલો આ બાદશાહએ કયા રાષ્ટ્રનો દ્રોહ કર્યો હશે, ભલા!?

વિવાદો, તોડફોડ, હિંસા અને બીજા ધર્મો કે ધર્મ ગુરુઓ પ્રત્યે અપમાનજક વિધાનો કરવા કંઇ નવી વાત નથી. ૧૯૨૪માં મહંમદ પૈયગંબર વિશે રાજ પાલે ઉર્દૂ ચોપાનિયા રંગીલા રસૂલમાં લખ્યું ત્યારે પણ વિવાદ થયો તો ૮૦ના દાયકામાં સલમાન રશ્દીના સેતાનિક વર્સિઝનો વિરોધ થયો અને ગયા વર્ષે લેખકે એક હુમલામાં એક આંખ ગુમાવી, તો ૨૦૦૮માં એમ.એફ. હુસૈનના પેઇન્ટિંગનો વિરોધ થયો હતો. બહુમતી ધર્માંધતાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય ધર્મ પ્રત્યેના, ખાસ કરીને મુસ્લિમ ધર્મ પ્રત્યેના ધિક્કારની ધાર કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું. લવ જિહાદ, ગૌહત્યા, ધર્માંતરણ જેવા મુદ્દે ‘લિંચિંગ’નો ભોગ બનેલા મુસલમાનોના ઘણા કિસ્સા છે. વળી સાવરકરના ચાહકોની પીઠ થાબડવાથી માંડીને ‘સિલેબસ’ બદલવાના ખેલ જેવું ઘણું બધું ચાલી રહ્યું છે. દરેક પક્ષનો પોતાનો એજન્ડા હોય છે અને એજન્ડાના ખેલમાં જીતવા માટે તેઓ માનવાધિકાર, લોકશાહી, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતા જેવી આપણા રાષ્ટ્રની ઓળખને કોમવાદની આગમાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હોમી દે છે.

બિનસાંપ્રદાયિક ભારતમાં ફેલાઇ રહેલી ધર્માંધતા ખતરાની ઘંટી છે. અગ્રણીઓ અને સશક્ત બહુમતીએ ધર્માંધતા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે પણ બહુમતીઓ જો વાદ અને ધર્મનો તફાવત સમજ્યા વિના રાજકારણીઓની વાતોના ચક્રવ્યૂહમાં ફસાશે તો તેઓ પોતાની સ્વતંત્રતા ક્યારે ગુમાવી બેસશે તે તેમને પોતાને પણ નહીં ખબર પડે. વર્તમાન શાસક પક્ષને ધર્માંધતાની બાજી ખેલવાનું ગમે છે પણ એનાથી રાષ્ટ્ર બૌદ્ધિક, આર્થિક, સામાજિક દૃષ્ટિએ પાંગળું બનશે એવું ભવિષ્ય તેમને કાં તો દેખાતું નથી અથવા તેમને તેની પરવા નથી. દરેક ધર્મના નાગરિકે પોતાના ધર્મનો દુરુપયોગ ન થાય, તે માનસિક શાંતિ માટે વપરાય ન કે વૈમન્યનું ઝેર ફેલાવવા તેની તકેદારી રાખવાની અંગત જવાબદારી લેવી જોઇએ.

ભારતના નાગરિક તરીકે સંપ અને પ્રેમથી રહેવાની ચાહ જો દર્શાવી શકીશું તો રાજકારણીઓ પાસે બીજા કોઇ રસ્તા નહીં બચે. સોશ્યલ મીડિયાથી સમાજમાં પ્રસરતા ધિક્કારને ધક્કો મારી વાસ્તવિકતામાં ઐક્ય દેખાડવાની હિંમત ભારતીયોએ કરવી પડશે.

તાજેતરમાં એક્ટર આશુતોષ રાણાએ કરેલું એક કાવ્યપઠન વાઇરલ થયું છે, એમાંથી પણ આપણે કંઇ શીખીશું – સમજીશું તો લેખે લાગશે …

બાંટ દિયા ઇસ ધરતી કો, ચાંદ સિતારો કા ક્યા હોગા?

નદિયોં કે કુછ નામ રખે, બહતી ધારોં કા ક્યા હોગા?

શિવ કી ગંગા ભી પાની હૈ, આબે ઝમઝમ ભી પાની,

મુલ્લા ભી પિએ, પંડિત ભી પિએ, પાની કા મઝબહ ક્યા હોગા?

ઇન ફિરકાપરસ્તોં સે પૂછો ક્યા સૂરજ અલગ બનાઓગે?
એક હવા મેં સાસ હૈં સબ કી, ક્યા હવા ભી નઇ ચલાઓગે?

નસ્લોં કા કરેં જો બંટવારા, રહબહ વો કૌમ કા ઢોંગી હૈ,

ક્યા ખુદા ને મંદિર તોડા થા યા રામ ને મસ્જિદ તોડી હૈ?

બાય ધી વેઃ

‘ધી કેરલા સ્ટોરી’ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ થઇ જેમાં ધર્માંતરણનો ભોગ બનેલી ૨૬ છોકરીઓ જેમને ફરી પાછી હિંદુ ધર્મમાં લવાઇ છે તેમને પણ હાજર રખાઇ. આ ‘ઇવેન્ટ’માં જે પણ વાત થઇ એમાં વારંવાર આર્ષ વિદ્યા સમાજમ્‌ નામના સનાતન ધર્મ શીખવતા આશ્રમની તરફેણમાં વાત કરાઇ, ત્યાં ડોનેશન આપવાની અપીલ પણ કરાઇ કારણ કે તે આશ્રમ ધર્માંતરણના ચુંગાલમાં ફસાયેલા લોકોને પોતાના ધર્મ તરફ પાછા વાળે છે. આ જ આશ્રમ ભૂતકાળમાં વિવાદમાં સપડાઇ ચૂક્યો છે કારણ કે પોતાની ઇચ્છાથી કોઇ બીજા ધર્મમાં – ખ્રિસ્તી કે મુસલમાન ધર્મમાં પરણેલી છોકરીઓને અહીં બળજબરીથી લવાતી હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઇ ચૂકી છે. જે છોકરીએ ફરિયાદ નોંધાવી હતી તેણે પોલીસને એમ કહ્યું હતું કે અહીં બીજા ધર્મમાં શું બૂરું છે એ વિશે જ વાત કરવામાં આવે છે, તેમની પર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રખાય છે, વાતો રેકોર્ડ કરાય છે, જાજરૂ જાય તો દરવાજા બંધ કરવાની છૂટ નથી અપાતી અને આટલું ઓછું હોય તેમ છોકરીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી તેઓ ડરીને જ બીજા ધર્મના સાથી સાથે છેડા ફાડી નાખે. આ પણ ‘ધી કેરલા સ્ટોરી પાર્ટ – ૨’ બની શકે. જો તમે ‘ધી કેરલા સ્ટોરી’ જોઇ હોય તો સુધીર મિશ્રાએ બનાવેલી ફિલ્મ ‘અફવા’ જોવાનું પણ ચૂકતા નહીં, ઘણું બધું સમજી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023

Loading

...102030...1,0901,0911,0921,093...1,1001,1101,120...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved