Opinion Magazine
Number of visits: 9458113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન નૈયા : કુમુદલાલ ગાંગુલી અશોક કુમાર કેવી રીતે બન્યા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 April 2023

રાજ ગોસ્વામી

હિન્દી સિનેમાના ગોલ્ડન સમયની યાદોને જો મમળાવવી હોય તો પ્રાઈમ વીડિયો પર એક અફલાતૂન વેબ સિરીઝ ‘જ્યુબિલી’ આવી છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણી તમને આ સિરીઝ મારફતે મુંબઈની એ દુનિયામાં લઇ જાય છે જેને આપણે માયાનગરી તરીકે જાણીએ છીએ અને જેના વિશે આપણે ખાલી સાંભળ્યું – વાંચ્યું જ છે.

‘50ના દાયકામાં હિન્દી સિનેમાનો વ્યવસાય કેવી રીતે આકાર લઇ રહ્યો હતો અને તેની પર ભારત-પાકિસ્તાનના વિભાજનની કેવી અસર પડી હતી, તેનું આ સિરીઝમાં મોહક ચિત્રણ છે. સિરીઝમાં, મુંબઈની રોય ટોકીઝ નામની ફિલ્મ કંપની, તેના માલિક શ્રીકાંત રોય, તેમની ફિલ્મ સ્ટાર પત્ની સુમિત્રા અને કંપનીના એક નવોદિત એક્ટર મદન કુમારની વાર્તા છે.

દિલચસ્પ વાત એ છે કે આ ત્રણે પાત્રો અસલી શખ્સિયતો પર આધારિત છે (સિરીઝમાં બાકીનાં પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે). હિન્દી સિનેમામાં એક્ટર્સ-એક્ટ્રેસિસની ઘણી રસપ્રદ દંતકથાઓ છે. એમાં એક મશહૂર દંતકથા કુમુદલાલ કુંજીલાલ ગાંગુલીની અશોક કુમાર બનવાની છે. તેઓ હિમાંશુ રાય અને દેવિકા રાણીની બોમ્બે ટોકીઝમાં લેબ ટેકનિસિયન તરીકે કામ કરતા હતા અને અપ્રતીમ ધગશ અને હોંશિયારીથી હિન્દી ફિલ્મોના પહેલા લોકપ્રિય હીરો તરીકે સ્થાપિત થયા હતા.

‘જ્યુબિલી’માં, વિક્રમાદિત મોટવાણીએ આ ત્રણ જણાની વાર્તાનો પાતળો છેડો પકડીની તેની આસપાસ એક મનોરંજક વેબ સિરીઝનું પોત વિકસાવ્યું છે. સિરીઝની વાર્તા પ્રમાણે, રોય ટોકીઝ જમશેદ ખાન નામના એક નવા એક્ટરને મદન કુમાર તરીકે તેની નવી ફિલ્મમાં લોન્ચ કરવા માંગે છે, પરંતુ સુમિત્રા જમશેદના પ્રેમમાં પડી જાય છે અને મુંબઈ છોડીને લખનૌ ભાગી જાય છે.

શ્રીકાંત રોય તેની ફિલ્મ પૂરી કરવા માટે આ બંનેને પાછા લઇ આવવા એક ટેકનિસિયન બિનોદને લખનૌ મોકલે છે. બિનોદ બંનેને મનાવી તો લે છે, પરંતુ પાછા ફરતાં વિભાજનનાં કોમી તોફાનોમાં જમશેદની હત્યા થઇ જાય છે (કે પછી બિનોદ એવો કારસો ગોઠવે છે?). હવે એકલી સુમિત્રા જ મુંબઈ પછી આવે છે. પણ જમશેદ વગર ફિલ્મ કેવી રીતે બંને? શ્રીકાંત સાથે મળીને ફિલ્મની એ ભૂમિકામાં બિનોદ પોતાને ગોઠવી દે છે અને મદન કુમારના નામે હિન્દી સિનેમાને એક હોનહાર એક્ટર મળે છે.

કંઇક આવું જ બોમ્બે ટોકીઝમાં બન્યું હતું. મુંબઈના મલાડ ઉપનગરમાં 1934માં હિમાંશુ રાય અને દેવિકા રાણી ચૌધરીએ (રાણી મુખરજીના દાદાના મોટા ભાઈ) સશધર મુખરજીની મદદથી બોમ્બે ટોકીઝ નામનો સ્ટુડીઓ સ્થાપ્યો હતો. આ સશધર મુખરજીનાં કિશોરવસ્થામાં જ સતી દેવી ગાંગુલી નામની એક બંગાળી છોકરી સાથે લગ્ન થયાં હતાં. સતી દેવીને ત્રણ ભાઈ હતા, જે પાછળથી મશહૂર એક્ટર બન્યા – અશોક કુમાર (કુમુદ), અનુપ કુમાર (કલ્યાણ) અને કિશોર કુમાર (આભાસ).

જીજાજી સશધર મુખરજીના પ્રતાપે સાળા કુમુદલાલને નવી શરૂ થયેલી બોમ્બે ટોકીઝમાં નોકરી મળી હતી. કુમુદલાલ પરીક્ષામાં નાપાસ થયા હતા અને ઘરમાં ઝઘડો થતાં ગુસ્સામાં બહેન પાસે મુંબઈ આવી ગયા હતા. ત્યાં જીજાએ તેને પોતાની સાથે બોમ્બે ટોકીઝની લેબમાં લઇ ગયા હતાં. એમાં મજા પડી ગઈ એટલે પાછા ગામ જવાનું માંડી વાળ્યું.

કુમુદલાલે પાંચ વર્ષ સુધી લેબમાં કામ કર્યું. એ દરમિયાન, ટોકીઝની બીજી જ ફિલ્મ ‘જીવન નૈયા’થી તેમનો જન્મ અશોક કુમાર તરીકે થયો. તેમનો આ ‘જન્મ’ દિલચસ્પ છે. ટોકીઝની પહેલી ફિલ્મ ‘જવાની કી હવા’ (1935) હતી, જેમાં દેવિકા રાણીની સાથે નઝમુલ હસન નામનો હીરો હતો. નઝમુલ હસન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. એ ઊંચો, પાતળો અને દેખાવડો હતો. એ લખનૌના કોઈ શાહી ઘરાનાનો હતો. એ કાયદાશસ્ત્રનું ભણવાનું મૂકીને મુંબઈ આવ્યો હતો, જ્યાં હિમાંશુ રોયે બોમ્બે ટોકીઝની પહેલી ફિલ્મ માટે સાઈન કર્યો હતો. એ ફિલ્મ પૂરી થતાં સુધીમાં ફિલ્મની હીરોઈન અને બોમ્બે ટોકીઝની માલકણ દેવિકા રાણી સાથે તેને પ્રેમ થઇ ગયો અને બંને જણાં હિમાંશુ રાય, બોમ્બે ટોકીઝ અને મુંબઈને છોડીને ભાગી ગયાં.

હિમાંશુ રાય ‘જીવન કી હવા’ પછી બંનેની ભૂમિકાવાળી ‘જીવનનૈયા’ શરૂ કરવાના હતા. સ્ટુડીઓની હાલત બહુ સારી નહોતી. બીજી જ ફિલ્મમાં તેની હીરોઈન અને હીરો નાસી જાય એ કેવી રીતે પોષાય? પાછી એ હીરોઈન હિમાંશુ રાયની પત્ની હતી. માલિક અને પતિ બંનેના અહમનો સવાલ હતો. હિમાંશુ રાયે સશધર મુખરજીને મોકલીને બંને પ્રેમીઓને કલકત્તાની ગ્રાન્ડ હોટેલમાં શોધી કાઢ્યાં. સશધરે દેવિકાને પાછી આવવા મનાવી લીધી. હસન કલકત્તામાં જ રહી પડ્યો.

મશહૂર કહાનીકાર સઆદત હસન મંટો આ અંગે લખે છે, “હસન માયાવી નગરીની હીરોઈનને અસલી દુનિયામાં ખેંચી ગયો હતો, પણ તેને એ લોકોમાં સામેલ થવા માટે કલકત્તામાં છોડી દેવામાં આવ્યો હતો, જેને લાગણીઓથી ઓછો પણ રાજનૈતિક, ધાર્મિક અને ભૌતિક કારણોસર તેના પ્રિયજનોએ ત્યજી દે એ નક્કી જ હતું. જ્યાં સુધી એ દૃશ્યોની વાત છે જે આગાઉથી શૂટ કરી લેવામાં આવ્યાં હતાં એ હવે કચરો બની ગયાં હતાં. હવે સવાલ એ હતો કે તેની જગ્યા કોણ લે?”

જવાબ હતો કુમુદલાલ ગાંગુલી. એવું કહેવાય છે કે હિમાંશુ રોય નજમુલ હસન જેવા બીજા આકર્ષક હીરોને લઈને ફરીથી દેવિકા રાણી અને ફિલ્મને ખોવા માંગતા નહોતા. જેથી કોને લેવો .. કોને લેવોની ગડમથલમાં કુમુદલાલનું નામ આવ્યું. કુમુદલાલ ઔસતન દેખાવનો હતો અને ઉપરથી હિમાંશુનો નોકર પણ હતો. હિમાંશુને ફિલ્મની વાર્તા અને તે વખતની સુપરસ્ટાર દેવિકા રાણીમાં વધારે ભરોસો હતો. પરિણામે, બોમ્બે ટોકીઝની બીજી ફિલ્મ ‘જીવન નૈયા’માં કુમુદલાલને અશોક કુમાર તરીકે લોન્ચ કરવાનું નક્કી થયું.

એક સુખદ અકસ્માતે શરૂ થયેલી એ કારકિર્દી પછી તો અશોક કુમારને છ દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં છવાયેલા રાખવાની હતી એટલું જ નહીં, 1940માં હિમાંશુ રોયના અવસાન અને દેવિકા રાણીની નિવૃત્તિ પછી તેઓ સશધર મુખરજીની ભગીદારીમાં બોમ્બે ટોકીઝ ખરીદી પણ લેવાના હતા.

‘જીવન નૈયા’માં એક તવાયફની છોકરી લતા(દેવિકા)ના વિવાહ શહેરના એક ધનવાન મુરતિયા રણજીત (અશોક કુમાર) સાથે થાય છે, પરંતુ ચંદ (એસ.એન. ત્રિપાઠી) નામનો એક ખલનાયક છોકરીને બ્લેકમેઈલ કરે છે. એમાં રણજીત તેને ત્યજી દે છે અને પછી કેવી રીતે બંને સુખરૂપ ભેગાં થાય છે તેની વાર્તા હતી. રોયના દોસ્ત અને બાવેરિયાના ફિલ્મમેકર ફ્રાન્ઝ ઓસ્ટેન નિર્દેશિત ‘જીવન નૈયા’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. 1936માં, દેવિકા સાથે આવેલી તેમની ફિલ્મ ‘અછૂત કન્યા’થી અશોક કુમાર સ્ટાર બની ગયા હતા.

અશોક કુમારમાં કેવી પ્રતિભા હતી તેની એક બીજી સાબિતી ‘જીવન નૈયા’નું એક ગીત ‘કોઈ હમદમ ન રહા છે.’ જે.એસ. કશ્યપ નામના ગીતકારના શબ્દોમાં અને સરસ્વતી દેવી નામની સંગીતકારની ધૂનમાં આ ગીત અશોક કુમારે ખુદ ગાયું હતું. ફિલ્મની સાથે આ ગીત પણ ત્યારે હિટ રહ્યું હતું.

30 વર્ષ પછી, 1960માં, અશોક કુમારના લઘુ બંધુ કિશોર કુમારે ખુદની વાર્તા પરથી ‘ઝૂમરું’ બનાવી ત્યારે તેમણે તેમાં ‘કોઈ હમદમ ના રહા’ ગીત ગાયું હતું. એ ગીત અશોક કુમારવાળા ગીત કરતાં પણ મોટું એટલું મોટું હિટ સાબિત થયું કે આજે પણ તે એટલુ જ લોકપ્રિય છે.

કિશોરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું નાનો હતો ત્યારે દાદામૂનીનું આ ગાતો હતો અને મને એટલું ગમતું હતું કે મારા હોમપ્રોડક્શન ‘ઝૂમરું’માં મારે તેની પહેલી પંક્તિ લેવી હતી. કુમારે મોટાભાઈની પરવાનગી માગી તો દાદામૂનીએ શરત મૂકી હતી કે મૂળ ગીતમાં છેડછાડ ન કરતો. કુમારે તેનો ભરોસો આપ્યો હતો અને મૂળ ગીતને ચઢે તેવું બહેતર વર્ઝન બનાવ્યું હતું. (જ્યુબિલી સિરીઝમાં, મદન કુમારના નાના ભાઈને ગાવાનો શોખીન બતાવ્યો છે.)

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 26 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એમણે સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું.

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 April 2023

તવારીખની તેજછાયા : કલાની સ્વરાજયાત્રા, ‘રાષ્ટ્ર’થી લોક ભણી

પ્રકાશ ન. શાહ

કેવળ અને કેવળ પોતીકી તરેહના કળાકાર હકુ શાહનું આત્મકથ્ય ‘માનુષ’ ગુજરાતીમાં ઊતરી રહ્યું છે, ત્યારે ચિત્ત સ્વાભાવિક જ સ્વરાજલડત અને સ્વરાજનિર્માણના વ્યાપક ફલક પર, ભલે ચિત્રકળાનું ઓઠું લઈને, થોડાંએક છબછબિયે ચઢવા ચહે છે. સ્વરાજ પછી તરતનાં વરસોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને એની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી દેશના ચિત્રકળાનકશે વડોદરાને મૂકી આવે છે. એન.એસ. બેન્દ્રે અને કે.જી. સુબ્રમણ્યન્‌ સરખા ગુરુજનોએ ફોરતાં પરિસર ને પરિવેશમાં જે બધી સર્જક પ્રતિભાઓનું પ્રફુલ્લન થયું એમાં ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, હમણાં જ ગયા તે વિવાન સુંદરમ્‌થી માંડીને હકુ શાહ પણ. સગવડ ખાતર એમને આપણે વડોદરા જૂથ જેવું નામ આપીને હાલ પૂરતું ચાલીએ. આ નામ પણ, જો કે, તારતમ્યની રીતે એકજૂટ, એકલઠ્ઠ, બધી વાતે ને બધો વખત બેસતું નથી.

બંગાળ-શાંતિનિકેતન મંડળીના ઉદય અને વિકાસ સબબ એટલો એક મુદ્દો આપણી હાલની વાતચીત પૂરતો જરૂર કરીશું કે યુરોપીય સંપર્કે રિનેસાંસની છાલકે આપણે ભીંજ્યા જરૂર, પણ બંગાળ મંડળીનો ઠીક હિસ્સો ‘સ્વ’ની ખોજમાં – અને એ રીતે રાષ્ટ્રભાવના તેમ ‘સ્વદેશી’ આદિથી પરિચાલિત હતો. ટાગોર કુટુંબના જ અવનીન્દ્રનાથે ચીતરેલાં ભારતમાતા આ સંદર્ભમાં તરત સાંભરે છે. પણ રવીન્દ્રનાથની ગતિ રાજલક્ષ્મી નહીં એટલી સમાજલક્ષ્મી ભણી છે, રાષ્ટ્ર કરતાં જન/ લોક ભણી છે. આ સ્કૂલના નંદબાબુ(નંદલાલ બોઝ)માં તમે એનો પ્રકર્ષ જોઈ શકો.

ગાંધીની હાકલે કાઁગ્રેસે શહેરોને બદલે ગ્રામપ્રદેશમાં અધિવેશન યોજવાનું નક્કી કર્યું ત્યારે સુરત કને હરિપુરામાં સુભાષબાબુના પ્રમુખપદે મળેલી કાઁગ્રેસ ટાંકણે સભામંડપ, નિવાસશિબિર આદિ સહિત સમગ્ર પરિસરનું કલાવિધાન ગાંધીનિમંત્ર્યા ને રવીન્દ્રદીધા નંદલાલ બોઝે કરેલું. એમનો અભિગમ જે તે પંથક બહારની કોઈ આયાતી સામગ્રી કરતાં સવિશેષ તો જે તે જનપદે સુલભ તળપદ સામગ્રી સંયોજવાનો હતો.

વાતની શરૂઆત આપણે હકુ શાહના પુસ્તક પ્રકાશન નિમિત્તે કરી હતી, અને વડોદરા-બંગાળ જૂથ જેવું જાડું વિભાજન કરતે કરતે સહસા રવીન્દ્રનાથ ને ગાંધીજીના લોકવિરલ સખ્ય પર આવી ઠર્યા તો એની આસપાસ પણ થોડીક ગુફ્તગુ કરી જ લઈએ. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી કાયમ માટે ભારત આવી રહ્યા હતા ત્યારે, 1914-15માં ત્યાંના આશ્રમવાસીઓની એક ટુકડી તેમણે શાંતિનિકેતન મોકલી આપી હતી. દેશમાં આવ્યા પછી આ ટુકડીની ભાળ લેવા તેઓ પહોંચ્યા ત્યાં એમનો ને દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર(કાકા)નો સંપર્ક થયો. કાકા તે પછી ગાંધીજીના થઈને રહ્યા. રવીન્દ્રનાથની એ મીઠી ફરિયાદ હતી કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા!

એ જ અરસામાં કાકાએ પોતાના મિત્ર, મુઝફ્ફરપુરમાં ત્યારે અધ્યાપક, કૃપાલાનીને તેડ્યા કે ગાંધીને મળવા આવો. આમ તો કાકા ને કૃપાલાની હિમાલયના હેવાયા હતા, પણ હવે વિકલ્પે એમની પસંદગી ગાંધી પર ઢળી. ગમે તેમ પણ, અહીં પાછા કલાવાર્તામાં આપણે પ્રવેશ કરશું જરી? ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠનો આરંભ કર્યો ત્યારે કૃપાલાની બનારસ હતા. એમને તેડાવ્યા અને 1923થી 1928 એ અહીં આચાર્ય તરીકે પંકાયા અને એમની એ ઓળખ કાયમી બની રહી. 1970-1982નાં એમનાં અંતિમ વર્ષોમાં મારો નિકટ પરિચય રહ્યો. ખાસાં પચાસ વરસના અંતરે એક વાર મેં એમને વિદ્યાપીઠકાળના પ્રિય વિદ્યાર્થીઓ વિશે પૂછ્યું તો એમણે સંભારેલાં પાંચ-સાત નામોમાં એક આપણા ભારતવિખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું હતું. કૃપાલાનીને અંતરનો આનંદ હતો કે કનુભાઈની કલાપ્રીતિ જોતાં પોતે એમને વિશેષ પ્રગતિ માટે શાંતિનિકેતન મોકલવાનું ગોઠવી શક્યા હતા.

ગુજરાત-બંગાળના ભાવાત્મક સંધાન અને અર્થપૂર્ણ આપલેની આ પિછવાઈ પર જરી વડોદરા જૂથ વિશે. લોકાયન અને ગ્રામાયનનું જે નવ્ય વલણ આપણે નંદબાબુ નિમિત્તે નોંધ્યું એનો જ એક અવનવો આવિષ્કાર કદાચ હકુ ઘટના રૂપે જોવા મળે છે. પોતાનાં છાત્રયુવા વર્ષો સંભારીને હકુ ભાઈએ લખ્યું છે કે મણિ સર (કે. જી. સુબ્રમણ્યન્‌) અમને જ્યાં કારીગરો કામ કરતા હોય ત્યાં લઈ જતા, મેળાઓમાં લઈ જતા. પરંપરામાં થતાં કામો સાથે અમારો એક સાર્થક આપલેનો નાતો બંધાતો, અને એમાંથી સર્જનાત્મક વળાંકો પણ સધાતા આવતા. આ સુબ્રમણ્યન્‌ મૂળે તો અર્થશાસ્ત્રના મેધાવી છાત્ર અને રાષ્ટ્રીય આંદોલનમાં પૂરેવાય પડેલા. પણ એમને રાષ્ટ્રીય જુવાળ ને રાજકીય ખેંચાણ વચ્ચે કશુંક ખૂટતું વરતાતું. એ ભાવઠ ભાંગી નંદબાબુની નિશ્રામાં. ચૈતન્યનો જે સંસ્પર્શ ગાંધીમાહોલમાં ને સુબ્રમણ્યન્‌ સરખાની સંનિધિમાં થયો, એણે હકુ શાહની વિશ્વદૃષ્ટિ (ને એથી કલારમણા) કંઈક ન્યારીનિરાળી જ કરી મેલી. શ્રમિક-બૌદ્ધિક જુવારાં ભાંગવાની જે ગાંધીગતિ તે અહીં કારીગર ને કળાકાર વચ્ચેનાં જુવારાં વટીને ચાલી. ક્રાફ્ટ અને આર્ટ વચ્ચેનું પારસ્પર્ય પમાયું. પકડાયું. એક આખું જાણે કે સામે આવ્યું.

જુઓ, હકુભાઈ કહેતા, ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વસાવા પરિવારોને તમે મળ્યા છો કદી? તે ‘સેવિયા’ બનાવી સેવ પાડે છે. આ સેવિયાને વળી શણગારાય અને ગીતો પણ ગવાય. ને એનો આકાર? કોઈ ચોરસસપાટ એવો નિર્જીવ નહીં પણ બળદ શો સજીવ. કોણે કહ્યું, આર્ટિઝન ને આર્ટિસ્ટ જુદા છે? તમારી આ સ્કૂટરસવાર કોલેજકિશોરીઓ કેવી જવારિયાં લહેરાવતી જાય છે? ભાઈ, એ તો આદિવાસીએ એની જીવાતી જિંદગીના અભિન્ન અંગ શાં જવારદાણા થકી પાડેલી ટીપકી ભાત છે. માટે તો એને જવારિયું કહે છે … આ ધાટીએ એમણે સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું. ઉદયપુર પાસે શિલ્પગ્રામની સંકલ્પના સાકાર કરી. શુભા મુદ્ગલનું ગાન ને હકુ શાહની ચિત્રકારી, એની જુગલબંધી શું ‘હમન હૈ ઈશ્ક’ પ્રકારનુંયે કામ કર્યું તો ‘નિત્ય ગાંધી’નીયે એક સૃષ્ટિ વિકસાવી. મુદ્દાની વાત એ છે કે સ્વરાજસંસ્કારે જેમ નીચે લગી ઝમવાપણું હશે તેમ નીચેથી ઉપર ભણી પૂગવાપણું પણ છે. જન સાધારણનો આ જે જગન, હકુ શાહ એના જોગંદર હતા.

પ્રગટ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ઍપ્રિલ 2023
સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધીરુબહેન પટેલ, સત્યજિત રે અને ‘આગંતુક’ …

સોનલ પરીખ|Opinion - Opinion|26 April 2023

માળીને બગીચામાં નીંદામણ કરતો જોઈ ‘કયા છોડ નકામા છે, ને મૂળમાંથી જ ખેંચી કાઢીને ફેંકી દેવા જેવા છે, તે નક્કી કરનાર આપણે કોણ?’ આવું વિચારી શકતો ઈશાન આશ્રમ છોડી ઘેર આવે છે ત્યાંથી ‘આગંતુક’ નવલકથા શરૂ થાય છે અને એ ઘર છોડે છે ત્યાં તે પૂરી થાય છે. આ છોડવું – ત્યાગવું જ નવલકથાનું પ્રાણતત્ત્વ છે. ધીરુબહેનને અંતિમ પ્રયાણ વખતે ‘આગંતુક’ યાદ નહીં આવી હોય?

વર્ષો પહેલા દીપકભાઈ મહેતાએ રેડિયો પર ધીરુબહેન પટેલની મુલાકાત લેતાં પૂછેલું, ‘ધીરુબહેન, તમે ખાદીધારી ગાંધીજન, પણ ગાંધીવાદી નહીં અને નારીઅધિકારો અંગે ખૂબ સભાન છતાં નારીવાદી નહીં એવું હું કહું. તમે શું કહો છો?’ ત્યારે ધીરુબહેન હસી પડ્યાં, ‘સાચું સમજ્યા છો. હું એકે વાદમાં બંધાઉં એવી નથી.’ પછી ગંભીર અવાજે કહે, ‘કોઈએ ન બંધાવું જોઈએ.’

ધીરુબહેન પટેલ

ધીરુબહેન પ્રચલિત અર્થમાં ધાર્મિક નહીં, પણ કૃષ્ણ અને રમણ મહર્ષિને સમર્પિતભાવે લગભગ પૂજતાં. પ્રચલિત અર્થમાં સમાજસેવિકા નહીં, પણ પૂરેપૂરી સામાજિક નિસબત ધરાવતાં. પ્રચલિત અર્થમાં ઊર્મિશીલ નહીં, પણ ઊંડાણપૂર્વક ચાહી શકે અને ઘરની દીવાલોમાં ધરબાઈ ગયેલી અનેક બહેનોની સર્જનાત્મકતાને ખીલવી શકે. એમના જેવી સાદી છતાં જાજરમાન, બુદ્ધિના તેજથી ઓપતી, ભરપૂર મૂલ્યનિષ્ઠા ધરાવતી, મજબૂત અને સર્જનાત્મક સ્ત્રીઓ કદાચ ગાંધીયુગમાં જ પાકતી. એ યુગની સ્ત્રીઓની એક જુદી આભા હતી, જે ધીરુબહેનમાં દેખાતી. એમનાં જીવન અને સર્જન વિશે આ દિવસોમાં ખૂબ લખાઈ ચૂક્યું છે. વાત કરીએ એમની સાહિત્ય અકાદમી પારિતોષિક મેળવેલી સુંદર નવલકથા ‘આગંતુક’ની.

‘આગંતુક’ 1996માં લખાઈ અને તેને 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત ….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહીં, ભગવાં કપડાંનો ય ત્યાગ કરીને મુંબઈ પાછો ફરી રહ્યો છે ત્યાંથી આ કથા શરૂ થાય છે. ગુરુજીના અવસાન પછી ગાદીપતિ થવા ઉત્સુક પ્રતાપગિરિથી ઈશાનનું તેજ સહન થતું નહીં, પણ ઈશાનને કશાનો મોહ નહોતો. ન ગાદીનો, ન આશ્રમનો, ન ભગવાં કપડાંનો ય.

મુંબઈ આવીને ઈશાન તેના ભાઈ આશુતોષના ઘરે જાય છે. આશુતોષની પત્ની રીમા આ ‘આવી પડેલી ઉપાધિ’ને દિયર અર્ણવને ત્યાં ‘પાર્સલ’ કરી દે છે. બંને ઘરે ઈશાન ‘આગંતુક’ તરીકે રહે છે. કોઈ આસક્તિ વિના, કોઈનો ય અનાદર કર્યા સિવાય સાક્ષીભાવે સ્નેહ વરસાવતો રહે છે. ‘મહામાયા માત્ર એક જ ડગલા પર પ્રકાશ પાડતી હતી. બીજો પગ ઉપાડતી વખતે વળી પાછી એક ડગલા જેટલી જગ્યા દેખાશે. જે લઈ જાય છે તે જાણે છે ક્યાં જવાનું છે, ક્યાં થઈને જવાનું છે.’ ભગવાં ત્યાગી ચૂકેલા ઈશાનની ભીતર ભરેલો ભર્યો ભર્યો ભગવો આ અનુભવોથી વધુ ને વધુ અર્થપૂર્ણ બનતો જાય છે.

અર્ણવને ત્યાં ઈશાનને નોકરની ઓરડીમાં રહેવું પડે છે. પણ નોકર ફ્રાન્સિસ ઈશાનમાં ફાધર હેરિસને જુએ છે ને મુગ્ધ બની જાય છે. કથા હવે થોડો વળાંક લે છે. અર્ણવના બિલ્ડિંગના સૌથી ઉપલા માળના બધા જ ફ્લૅટ જેના કબજામાં છે, એ એન. માણેકલાલની સુંદર દીકરી ઇપ્સિતા એક વાર લિફ્ટમાંથી બહાર નીકળતાં ઈશાનને જોતાં જ ‘ઈશાનબાબા ?’ કહેતી તેના ચરણમાં નમી પડે છે. અર્ણવ–શાલ્મલી છક થઈ જાય છે. ઇપ્સિતા અને એનો ભાઈ રજત આશ્રમમાં રહી ચૂક્યાં છે ને ઈશાનબાબાથી પ્રભાવિત છે. રજતને કોઈ જીવલેણ રોગ થયો છે અને તે બચે તેમ નથી. ઇપ્સિતાને લાગે છે, ઈશાનબાબાનું અહીં આવવું એ ‘મિરેકલ’ કદાચ રજતને બેઠો કરે. ઈશાન રજતમાં જીવવાની પ્રબળ ઇચ્છા જગવે છે ને રજતમાં ધીરે ધીરે જીવનશક્તિનો સંચાર થવા લાગે છે – આ ચમત્કારની વાત પ્રસરતાં જ ‘બાબા’નાં દર્શનાર્થે ટોળાં આવવા લાગે છે. હવે ઈશાનના ભાઈઓ એને પોતાને ત્યાં રાખવા હરીફાઈ કરે છે. ઇપ્સિતાનું સૌંદર્ય ઈશાનના ભીતરી ભગવા રંગ પર અસર કરી શક્યું નથી, પણ એને એન. માણેકલાલનો ઘરજમાઈ થયેલો જોવા ભાઈઓ ઉત્સુક છે. શહેરી સંસારીઓના સ્વાર્થી સંબંધો અને ધારણાઓ બાબતે લેખિકા સમભાવપૂર્વક હસે છે. ઈશાન બધું સમજે છે. કહે છે, ‘સર્વં કૃષ્ણમયં જગત્!’ – સાકાર પણ સાચું, નિરાકાર પણ સાચું. શુદ્ધ પ્રેમ પણ સાચો ને લાગણી ય સાચી.’ એ રજતને સમજાવે છે, ‘લાગણીને તુચ્છકારથી ન જોવાય, રજત! ઈશ્વરના આ લીલામય જગતની એ પણ એક માધુરી છે. એનું સન્માન કર, પણ એમાં ડૂબી ન જા.’ 

છેવટે પોતાની આસપાસ ચમત્કારી બાબા હોવાની વાડ રચાવાની શક્યતા ઊભી થતાં એ મુંબઈ છોડીને ચાલ્યો જાય છે. ગુરુજીની વાત એ અવારનવાર સંભારે છે – ‘પહુંચ જાના … ચાહે કહીં ભી રહો, ચલતે રહના.’ મુંબઈથી નીકળતી વખતે ક્યાં જવું એ નક્કી નથી. એને ગુરુજીની વાત યાદ આવે છે : ‘ગુરુજી ઘણી વાર વૃંદાવનની વાત કરતા હતા. એક વખત નજરે જોઈ લેવું. કોઈ ઓળખતું તો નથી, શાન્તિથી રહેવાશે … જોઈએ, વેદાન્તી મન પર કૃષ્ણનું કામણ અસર કરે છે કે નહીં ….’ કથાનાયકની તથા લેખિકાની સાધુતા અને સંન્યાસનો સાચો અર્થ પ્રગટાવતી દૃષ્ટિ તથા વિધાયકતા એ આ કથાનું આકર્ષણ છે.

ઈશાને મુંબઈ છોડ્યું, પણ ધીરુબહેનને છોડ્યાં નહીં હોય – કેમ કે લગભગ 25 વર્ષ પછી ‘આગંતુક’નો ઉત્તરાર્ધ પણ ધીરુબહેને લખ્યો હતો. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બંને ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયા હતા. બંનેને સમાવતું પુસ્તક પણ ઉપલબ્ધ છે. જેમણે ‘આગંતુક’ નવલકથા વાંચી છે તેમને આ પુસ્તક વધુ સમૃદ્ધ બનાવશે અને જેમણે હજુ સુધી નથી વાંચી એમને મળશે આટલાં વર્ષોની ધીરજ ધર્યાનું અતિ મીઠું ફળ. ગુર્જર પ્રકાશન દ્વારા ‘આગંતુક’ છપાઈ ત્યારે 156 પાનાંની હતી. એમાં છ પ્રકરણ હતા અને હવે છ પ્રકરણ નવા ઉમેરાયાં છે.

આગંતુક શબ્દથી યાદ આવે છે સત્યજિત રેની છેલ્લી ફિલ્મ. એનું શીર્ષક પણ આ જ હતું. ‘અતિથિ’ નામની તેમની જ નવલિકા પરથી 1991માં આ ફિલ્મ બની હતી. કલકત્તામાં રહેતી અનિલા બૉઝના ઘરમાં એક પત્ર આવે છે, ‘હું મનોમોહન મિશ્રા, તારો કાકો છું. વિદેશથી આવ્યો છું. મારાં સગાંસંબંધીમાં તારા સિવાય બીજું કોઈ નથી, તેથી હું થોડા દિવસ તારે ત્યાં રહેવા આવીશ.’ અને એન્થ્રોપોલોજિસ્ટ મનોમોહન એક દિવસ અનિલાના બારણે આવીને ઊભો રહે છે. વર્ષોથી ખોવાયેલા ને અચાનક આવી ચડેલા આ કાકા પર અનિલા અને તેના પતિ સુધીન્દ્રને જાતજાતની શંકાઓ છે, પણ એમનો દીકરો સાત્યકિ કાકાનો દિલોજાન દોસ્ત બની જાય છે. યજમાન દંપતીની શંકાઓને કારણે કાકાને કફોડી સ્થિતિઓમાં મુકાવું પડે છે, પણ તેઓ દરેક વખતે વધારે પુખ્ત અને સમજદાર જ નહીં, પ્રતિભાશાળી અને માઈન્ડ રિડર સાબિત થતા જાય છે. તેઓ ઑસ્ટ્રેલિયા જતા રહે છે અને અનિલા-સુધીન્દ્રને એમના ભાગે આવેલી વારસાની રકમ આપતા જાય છે ત્યાં ફિલ્મ પૂરી થાય છે.

આ ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યો હતો. 25 વર્ષ પછી તેની પણ સિક્વલ બની હતી, ‘આગંતુક પોરે’. ‘આગંતુક’માં કાકા તરીકે ઉત્પલ દત્તે કરેલો રોલ એમાં ધૃતિમાન ચેટર્જીએ કર્યો હતો. જો કે આ ફિલ્મ સ્ક્રીન પર આવી નહોતી, એને સત્યજિત રેએ લખી નહોતી અને એના દિગ્દર્શક ઓર્કો સિન્હાના કહેવા મુજબ તેમાં પહેલી ફિલ્મ કરતાં જુદી જ વાર્તા હતી. જ્યારે ‘આગંતુક’ નવલકથાનો ઉત્તરાર્ધ ધીરુબહેન પટેલે પોતે જ લખ્યો હતો, એ પ્રગટ થયો અને એમાં મૂળ વાર્તાનો વિસ્તાર હતો.

માળીને બગીચામાં નીંદામણ કરતો જોઈ ‘કયા છોડ નકામા છે, ને મૂળમાંથી જ ખેંચી કાઢીને ફેંકી દેવા જેવા છે, તે નક્કી કરનાર આપણે કોણ?’ આવું વિચારી શકતો ઈશાન આશ્રમ છોડી ઘેર આવે છે ત્યાંથી શરૂ થતી ‘આગંતુક’ એ ઘર છોડે છે ત્યાં પૂરી થાય છે. આ છોડવું-ત્યાગવું જ નવલકથાનું પ્રાણતત્ત્વ છે. ધીરુબહેનને અંતિમ પ્રયાણ વખતે ‘આગંતુક’ યાદ નહીં આવી હોય?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 માર્ચ 2023

Loading

...102030...1,0281,0291,0301,031...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved