Opinion Magazine
Number of visits: 9445970
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસમાં સવાલ ઉઠાવનારા અને પક્ષ છોડનારા મોવડીઓની રાજનૈતિક મજલનો આગલો પડાવ શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 May 2022

ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક ચોક્કસ પ્રકારની વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

કાઁગ્રેસમાં હવે કોણ નથી? આ સવાલ જાણે સામાન્ય બની રહ્યો છે. કપિલ સિબ્બલના નામ આગળ પણ હવે પૂર્વ કાઁગ્રેસ લીડર એમ લખવાનું થયું. તેમણે પોતાની એક્ઝિટ કાઁગ્રેસના ચિંતન શિબિર પહેલા જ પ્લાન કરી રાખી હતી. G-23 – એટલે કાઁગ્રેસના એવા 23 ચહેરા જેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફારોની માંગ કરી, જે છે તેની સામે પોતાના વાંધા જાહેર કર્યા છે. આ 23નો આંકડો બદલાયો પણ છે. કપિલ સિબ્બલે કાઁગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત ભલે આ અઠવાડિયે બહાર આવી પણ એક રિપોર્ટ અનુસાર તેમણે ૧૬મી મેએ જ પક્ષને આવજો કહી દીધું હતું અને ૧૫મી એપ્રિલથી તેમણે પક્ષના સભ્યપદને પણ વિલીન કરી દીધું હતું કારણ કે ત્યારે જે સભ્યપદ અભિયાન થયું તેમાં તેમણે પોતાનું નામ જ નહોતુ નોંધાવ્યું. વળી તેમણે સમાજવાદી પાર્ટીના ટેકાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન પણ નોંધાવ્યું.

છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસ પક્ષમાંથી મોટાં નામો, વરિષ્ઠ નેતાઓ નીકળી ગયા છે. સુનિલ જાખડ, હાર્દિક પટેલ, અશ્વિની કુમાર, આર.પી.એન. સિંઘ, અમરિંદર સિંઘ જેવા નેતાઓએ છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસને આવજો કહી દીધું છે. વળી જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સીંધિયા, સુશ્મિતા દેવ પણ કાઁગ્રેસમાંથી પહેલાં નીકળી ગયા છે. કાઁગ્રેસનું બળ જાણે દર દાયકાએ ઓછું થતું ગયું. પક્ષની રાજકીય સફર પર નજર કરીએ તો તો તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલાં હતી ‘ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ’ જે સ્વતંત્રતા સાથે આકારમાં આવી અને ૧૯૭૧માં ઇંદિરા ગાંધીએ જ્યારે પોતાના પિતાને ઓળખતા નેતાઓથી બનેલા આ પક્ષને છોડીને પોતાનો પક્ષ બનાવ્યો. ઇંદિરા ગાંધીનું ૧૯૮૪માં મૃત્યુ થયું ત્યાર બાદ પણ ૧૯૯૧માં દીકરા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી આ પક્ષ ચાલ્યો. ૧૯૯૨ અને ૧૯૯૭ સુધીનો એવો વખત હતો જ્યારે પક્ષનું નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારના કોઇ સભ્યના હાથમાં નહોતું. ૧૯૯૭માં સોનિયા ગાંધીએ પક્ષની લગામ હાથમાં લીધી અને એ હતી કાઁગ્રેસ પક્ષની સાવ જુદા વર્ઝન સાથેની ત્રીજી ઇનિંગ્ઝ. સોનિયા ગાંધીએ ૨૦૦૪માં કાઁગ્રેસ પક્ષને બેઠો કર્યો અને સત્તાનું જોમ ભર્યું. એક દાયકા સુધી કાઁગ્રેસ પક્ષે, સાથી પક્ષો સાથેની સંધિની મદદથી રાજ કર્યું. ૨૦૧૪માં કાઁગ્રેસ પક્ષને ભા.જ.પા.ના જોર સામે પાછી પાની કરવી પડી. ભા.જ.પા.એ સત્તા પર આવ્યા પછી પોતાની લીટી લાંબી કરવાને બદલે કાઁગ્રેસની લીટી ભૂંસવાનું કામ વધારે જોરશોરથી કર્યું. બચાવ કરવામાં કાઁગ્રેસને કાં તો શાલીનતા નડી ગઇ, કાં તો ઝનૂન ઓછું પડ્યું, કાં તો દિશાહિનતાનો વ્યાપ વધી ગયો.

જોવાનું એ છે કે કાઁગ્રેસના ઇતિહાસમાં જેણે પણ પક્ષ છોડ્યો તેણે પોતાનો પક્ષ ખડો કર્યો, તે પોતાની આગવી ઓળખ બનાવી શક્યા. પરંતુ અત્યારે જે સંજોગો છે તેમાં G-23 આવું કંઇ કરી શકશે ખરા? આપણે એવા સંજોગોમાં તો નથી જ્યાં માત્ર બે જ પક્ષ હોય. પરંતુ આ નેતાઓ એવા ચહેરા છે જે કોઇ પણ પક્ષ સાથે પોતાનું નામ જોડાય એવું પસંદ નહીં કરે. G-23વાળી થયા પછી સોનિયા ગાંધીએ ઘણાં પગલાં લીધા જેમ કે કાઁગ્રેસ વર્કિંગ કમિટી ફરી બનાવાઇ જેમાં આ ૨૩ ચહેરાઓમાંના અગત્યના ચહેરાઓને આગળ કરાયા, મહત્ત્વનું પદ સોંપાયું. સંયુક્ત નેતૃત્વની માંગને ધ્યાનમાં રાખી સોનિયાએ ૬ સભ્યોને સમિતિ બનાવી જે તેમને જ આસિસ્ટ કરે તેમાં પણ G-23ના ચહેરા હતા. મુકુલ વાસનિકે આ પગલાં પછી પોતાની જાતને G-23થી દૂર કરી દીધા. ગાંધી પરિવારે G-23ને પ્રત્યાઘાત નહીં પણ પ્રતિભાવ આપ્યો અને કળપૂર્વક એ જૂથને તોડવાની કોશિશ કરી. G-23ને પક્ષમાં આંતરિક પસંદગીઓ માટેની ચૂંટણી થશેનું વચન અપાયું હતું, પણ કોરોના વાઇરસ રોગચાળાને કારણે એ બધું પાછું ઠેલાયું. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોઆની વિધાનસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ નબળો રહ્યો અને ફરી G-23એ સવાલ કર્યા, આ વખતે ૨૩ના ૧૮ થઇ ગયા કારણ કે નવ જણા નીકળ્યા અને નવા ચાર ઉમેરાયા. ઉદયપુરની નવ સંકલ્પ શિબિરના પ્રતિનિધિઓ પણ સોનિયા ગાંધીએ જાળવીને પસંદ કર્યા. પક્ષમાં નેતાઓને મહત્ત્વ અપાયું – જેમ કે ભુપિંદર સિંઘ હૂડાને સમિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનું સુકાન અપાયું અને તેમના વફાદાર ઉદઇ ભાણને હરિયાણા કાઁગ્રેસના પ્રેસિડન્ટ બનાવાયા, પછી ભલે આવું કરવામાં રાહુલ ગાંધીના ખાસ ગણાતા લેફ્ટનન્ટ રણદીપ સિંઘ સૂરજેવાલાને સાઇડમાં કરવા પડ્યા હોય. ટાસ્કફોર્સ – ૨૦૨૪ પણ સોનિયા ગાંધીએ તૈયાર કર્યો જેમાં પણ એ નેતાઓને લેવાયા જેમણે કાઁગ્રેસમાં ફેરફારની જરૂર છેની વાત મૂકી હતી. પક્ષમાં સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રૂપ પણ છે, જે ભારત જોડો યાત્રા પર કામ કરશે. સિબ્બલ જ્યારે પોતાનું રાજ્ય સભા માટેની ઉમેદવારી નોંધાવતા હતા ત્યારે આ કમિટીઓ અને ગ્રૂપ કાઁગ્રેસમાં જાહેર થઇ રહ્યા હતા. કાઁગ્રેસ રાજ્ય સભાની ઉમેદવારી માટે શું કરશે તેની પર જ બધાની નજર ટકેલી છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા રાજ્ય સભામાં નથી અને તેમને પુનઃઉમેદવારીની આશા છે. હવે જો તેમને જે જોઇએ છે તે મળી જશે તો કાઁગ્રેસમાં આ આંતરિક સ્તરે ઊભી થયેલી ક્રાંતિ પર ઠંડું પાણી ફરી વળશે? સિબ્બલે કાઁગ્રેસના નેતૃત્વ અંગે આકરી ટીકાઓ ખુલ્લે આમ કરી હતી અને તેમને કદાય એવો ખ્યાલ આવી ગયો હશે કે હવે કાઁગ્રેસ પક્ષ મારફતે તે રાજ્ય સભામાં નહીં પહોંચી શકે. તે ભા.જ.પા.ના આકરા વિરોધી છે એટલે તે ભા.જ.પા.માં જોડાય તે શક્ય જ નથી.

કાઁગ્રેસ નાના જૂથ બનાવી G-23ની આખી વિચારધારાને વિખેરવા માટે મક્કમ તો છે પણ પક્ષમાં ટેલેન્ટ ન બચે એ ખરેખર જોખમી કહેવાય. મજબૂત નેતાઓએ કાઁગ્રેસને આવજો કહ્યું છે કારણ કે તેમને પક્ષમાં પોતાનું ભવિષ્ય નથી દેખાયું. કાઁગ્રેસના મોવડીઓએ કામના મોવડીઓને રોકવા હવાતિયાં મારવા જ પડશે નહીંતર ‘એક હતી કાઁગ્રેસ…’ના દિવસો માથે આવી જશે.

બાય ધી વેઃ

આ હાલતમાં ભા.જ.પા. પોરસાતો હશે એ ખરું પણ તેમને કાઁગ્રેસ મુક્ત ભારત પોસાય એમ નથી. જ્યાં કાઁગ્રેસનું જોર ઘટ્યું છે ત્યાં પ્રાદેશિક પક્ષો જામ્યા છે. ચૂંટણીનું ગણિત એ જ સાબિત કરી છે કે આવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, ઓરિસ્સા, કેરળ વગેરે રાજ્યોમાં ભા.જ.પા. માટે જીતવું અઘરું થઇ પડે. ભા.જ.પ.ને જીતવા માટે કાઁગ્રેસ સાથે સીધો સામનો થતો હોય તેવી બેઠકોની જરૂર છે. આપની રાજકીય વિચારધારા સામે ભા.જ.પા. માટે લડવાનું આસાન નથી કારણ કે આપ પણ ભા.જ.પા.ની નીતિઓમાંથી બોધ લઇ રહ્યો છે, વળી પક્ષના વિકાસને મામલે આપના નેતાઓ ભા.જ.પા.નું ઉદાહરણ આપે છે કે બે બેઠકોમાંથી ત્રણસો બેઠકો સુધી પહોંચી શકાય છે. ભા.જ.પા.ના વિકાસ મૉડલ સામે આપનું સામાન્ય લોકોના કલ્યાણનું મૉડલ બરાબર ટક્કર આપે છે. આવામાં ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  29 મે 2022

Loading

29 May 2022 admin
← ભરત દવે લિખિત ગ્રંથ : ‘ભારતીય રંગભૂમિ, ખંડ 1-2’
તમે ગમે તે કહો, પણ ગુજરાતમાં સરકાર તો આ જ આવશે … →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved