Opinion Magazine
Number of visits: 9485213
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોકીદારોના નામની રાજકીય ઝુંબેશો સુરક્ષાકર્મીઓની દશા સુધારશે ? દેશની નીતિમત્તાની સુરક્ષા કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|5 April 2019

બુધવારના સમાચાર મુજબ અમદાવાદના સાયન્સ સિટી રોડ વિસ્તારમાં, ગોવિંદભાઈ વાઘેલા નામના 59 વર્ષના એક સાચુકલા ચોકીદારનું મોત થયું. બાંધકામ હેઠળના બંગલાનો ઝાંપો તેમની પર પડ્યો. બિલ્ડર સામે ચોકીદારનું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અને વારસદારોનું જ્ઞાતિગત અપમાન કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્રેવીસમી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ગોવિંદભાઈ દોઢ વર્ષથી તો એ બંગલાની ચોકી કરતા હતા. પણ અત્યારે દેશમાં ચાલી રહેલી ‘ચોકીદારી’ સાથે એને કંઈ લેવાદેવા ન હતી. રાહુલ ગાધીના ‘ચોકીદાર ચોર હૈ’ને પગલે નરેન્દ્ર મોદીની ‘મૈં ભી ચોકીદાર’ની – રેલવેની ચાના કપથી માંડીને અવકાશ સુધી ફેલાઈ ચૂકેલી – હુંસાતુંસી ચોકીદાર ગોવિંદભાઈનો જીવ ન બચાવી શકી. એમના જેવાનાં જીવતર સુધારવાનાં  કોઈ લખ્ખણ પણ એ ખેંચતાણમાં નથી. આખા દેશમાં બેઇમાની રોકવાની વાત તો સાવ દૂરની છે. એ ઝુંબેશ એટલે માત્ર ચૂંટણીની શોબાજી.

આવી શોબાજીમાં પ્રિયંકા ગાંધીએ વળી નવો નુસખો અજમાવ્યો. તેમણે ગંગા-યાત્રા અને ‘બોટ પે, ચર્ચા’ કરી. પણ નદીઓની અને ગંગાની શુદ્ધિ માટે અરધી સદીથી વધુ લડત ચલાવીને અંતે આમરણાંત ઉપવાસથી જાન આપી દેનારા કર્મશીલ જી.ડી. અગ્રવાલનો તેમણે ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. નદીઓના આ ચોકીદારના પત્રોનો ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) સરકારે ભાગ્યે જ સરખો જવાબ આપ્યો હતો. કૉન્ગ્રેસે અગ્રવાલજીને સાથ આપ્યો ન હતો. અત્યારે ચૂંટણી ટાણે કૉન્ગ્રેસને ગંગામૈયા યાદ આવ્યાં. 2014ની ચૂંટણી ઝુંબેશમાં ભા.જ.પ.ના આગેવાન નરેન્દ્ર મોદીને ચાવાળો યાદ આવ્યો. કૉન્ગ્રેસના મણિશંકર ઐયરે ચાવાળા મોદીના  દિવસોને યાદ કર્યા. એટલે ગુજરાતના મુખ્ય મંત્રીએ સિફતથી ચાયવાલા લેબલને તેમની વડા પ્રધાન પદ માટેની ઝુંબેશમાં ગોઠવી દીધું. તેનો ચૂંટણી જીતવામાં શું ફાળો એ ચોક્કસ કહી ન કહી શકાય. પણ એટલું સાફ દેખાય કે ચાવાળા અને એ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે લારી-ગલ્લા-પાથરણાંવાળાની હાલતમાં જવલ્લે જ ફરક પડ્યો. તે બધા મહેનતકશો શાસકોને મન શહેરના ગેરકાયદે દબાણ જ છે.

સત્તાધારીઓએ સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ નામના લોકતરફી કાયદાની સાડાબારી રાખી નથી. ઑગસ્ટમાં તો અમદાવાદમાં પોલીસ અને મ્યુનિસિપાલિટીએ ચલાવેલી દબાણ હઠાવવાની ઝુંબેશને પરિણામે લારી-ગલ્લા-પાથરણાવાળાઓનું જીવવું ભારે થઈ પડ્યું. પણ ચાવાળાને નામે મતો માગી ચૂકેલા ભા.જ.પ.નાં પેટનું પાણી ય ન હાલ્યું. ચૂંટણી ગઈ ને ચાવાળો ય ગયો. તે પહેલાં ભા.જ.પે. દેશવાસીઓને ‘ઇન્ડિયા શાઇનિન્ગ’નાં સપનાં દેખાડ્યાં. પણ તે પૂરાં કરવા માટે તેમના હાથમાં સત્તા જ ન આવી. બે મહિના ઉપર વડા પ્રધાન મોદીએ સફાઈ કામદારોના પગ ધોયા. પણ પાંચ મિનિટના કૅમેરાના ઝગઝગાટ સિવાય કામદારોની જિંદગીમાં કોઈ ફેર ન પડ્યો. તેના દોઢેક મહિના પહેલાં જ મુંબઈ પાસેના પનવેલમાં ત્રણ સફાઈ કામદારો ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યા. આ જ રીતનાં ત્રણ મોત હમણાં રવિવારે રાત્રે બાવળામાં નોંધાયાં. વડા પ્રધાને સફાઈ કામદારોનાં પગ ધોયાં તે પહેલાંનાં વર્ષોમાં તો આ કામદારોના પુનર્વસન તેમ જ  વિકાસ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવતા રાશિમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણીમાં ‘ગરીબી હટાઓ’ સૂત્ર આપ્યું. પણ આ દેશમાં ગરીબી હઠતી નથી, વિકાસના નામે ગરીબો જ હઠતાં રહે છે. ધોરી માર્ગો, બંધો, ઉદ્યોગો, ફેલાતાં શહેરો ગરીબોનો ભોગ લેતા જ રહે છે.

શહેર ગામડાંનાં વંચિત વર્ગના લોકોને જે અનેક કપરી નોકરીઓ અપાવે છે તેમાંની એક તે ચોકીદારીની છે. શહેરોમાં શૉપિન્ગ સેન્ટરો, કૉર્પોરેટ ઑફિસો, બૅન્કો, એ.ટી.એમ., એપાર્ટમેન્ટો, સોસાયટીઓ એમ બધે જ ગણવેશ પહેરેલાં ચોકીદારો દેખાય છે અને વધતા જાય છે. દેશમાં ખાનગી ચોકીદારોનો આંકડો પચાસથી નેવું લાખની વચ્ચે મૂકવામાં આવે છે. દરેક શહેરમાં તેમને નોકરીએ રાખનાર સિક્યોરિટી એજન્સીઝનો આંકડો પણ સરેરાશ દોઢસોએ પહોંચે છે. દસ કલાકથી વધુ સમયની નોકરી માટે મહિને વધુમાં વધુ વીસ હજારથી વધુ વેતન મેળવનાર આ ચોકીદારોનું લગભગ બધે જ શોષણ થાય છે. ‘પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન ઍક્ટ 2005’ નામના કાનૂનમાં ચોકીદારોના વેતન સહિતની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેમનો લગભગ પૂરો  ભંગ  થાય છે. બહુ ઓછો પગાર, કામના પુષ્કળ કલાકો, પેશાબ-પાણી સહિતની દરેક બાબતમાં નહીંવત સગવડો, ઠંડી-વરસાદ-તડકામાં ય નજીવા આશરા નીચે ફરજ, જવાબદારી અને જોખમ, આરામ અને રજાનો અભાવ, ઉપેક્ષા અને અપમાનની વચ્ચે પણ દેશભરના ચોકીદારો મજબૂરીથી પોતાની ફરજ બજાવતા રહે છે. તેમના સંગઠનો ભાગ્યે જ થાય છે.

પણ ગુજરાત સરકારના પોતાનાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ(જી.આઈ.એસ.એફ.)ના જવાનોના સંગઠને તેમનાં શોષણની સામે ઑક્ટોબર 2011માં ગાંધીનગરમાં પંદરેક દિવસની ભૂખ હડતાળ કરી હતી. આ ત્રણેક હજાર ચોકીદારોમાંથી પોણા બસોની તબિયત લથડી હતી. સરકારે બંધો, વિદ્યુતમથકો, સરકારી કચેરીઓ, વિધાનસભા સહિત અનેક મહત્ત્વનાં સ્થળોએ ફરજ પર મૂકેલા જી.આઇ.એસ.એફ.ના સુરક્ષાકર્મીઓની સ્થિતિ આજે ય સારી નથી. પંદર-પંદર વર્ષથી કામ કરતા આ ચોકીદારોને પાંચથી દસ હજાર રૂપિયા જેટલો જ પગાર મળે છે. અત્યારે ‘મૈં ભી ચોકીદાર’માં જોડાયેલા મંત્રીઓ, ભા.જ.પ.ના  હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાની આજુબાજુ બધે જ જોવા મળતા ચોકીદારોની હાલતનો વિચાર કરવો જોઈએ. ચોકીદાર ચોર હૈ કહેનારાઓએ પોતાના ઘર પણ કાચના છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.

ચોકીદાર ઝુંબેશમાં અભિપ્રેત શાસન અને જાહેર વહીવટનાં મૂલ્યોની રખેવાળી ગયાં પાંચ વર્ષમાં નહીંવત થઈ છે. જીવવાના અધિકારની ચોકી સરકાર કરી શકી નથી તે લિન્ચિન્ગના સંખ્યાબંધ બનાવોમાં અને રેશનાલિસ્ટોની હત્યાઓની તપાસની બાબતે દેખાયું છે. લોકશાહી અધિકારો અને સિદ્ધાન્તોની રક્ષા તો બાજુ પર રહી, સરકારે તેમની પર તરાપો મારી છે. તેણે નોટબંધીમાં રિઝર્વ બૅન્કની, રાકેશ અસ્થાના વિવાદમાં સી.બી.આઈ.ની, ચૂંટણીની તારીખો તેમ જ હવે મોદી પરની ફિલ્મની રિલિઝ બાબતે ચૂંટણી પંચની અને વાઇસ-ચાન્સલરોની નિમણૂકોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્વાયત્તતાને નબળી પાડી દીધી છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કલાકારો, બૌદ્ધિકોના વાણી-વિચાર-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના રખોપાં પણ શાસકો કરી શક્યા નથી. આ યાદી લાંબી થઈ શકે.

જાણીતા દલિત બૌદ્ધિક કાન્ચા ઇલૈયાએ ‘મૈ નહીં ચૌકીદાર’ એવા મથાળાથી અંગ્રેજી લેખ  લખ્યો છે. સુરક્ષાકર્મીઓનાં ક્લાસ અને કાસ્ટના દૃષ્ટિકોણથી લખાયેલા આ લેખમાં ઇલૈયા ચોકીદારોની ગરીબી, નિરક્ષરતા, તેમનો દલિત વર્ગ, મોદી દ્વારા ચાયવાલા લેબલનો ઉપયોગ જેવા મુદ્દા કરે છે. અંતે તે કહે છે : ‘આ ભૂમિકા સાથે મને વડા પ્રધાનની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશ વખોડવા જેવી લાગે છે. કોઈપણ સ્વમાની ચોકીદાર ભારતમાં આ નોકરી પસંદ ન કરે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ ઝુંબેશ ચલાવવા માગતો હોય તો એણે પહેલાં પોતાના સભ્યોને ઉદ્યોગપતિઓ અને ધંધાવાળાઓને બારણે ચોકીદાર તરીકેની નોકરી અપાવવી જોઈએ …. હું ચોકીદાર બનવા નથી માગતો કારણ કે એમાં માનવ ગૌરવ અને સ્વમાનને કોઈ અવકાશ નથી. એ નોકરીને જ દૂર કરી નાખવી જોઈએ. કારણ કે તે સામાજિક, નૈતિક, ચૈતસિક અને આર્થિક રીતે માનવીય રોજગારીની વિરોધમાં છે. આપણે બધાએ બૂમ પાડીને કહેવું  જોઈએ : ‘અમારે ચોકીદાર નથી બનવું.’

*********

10 એપ્રિલ 2019

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 05 ઍપ્રિલ 2019

Loading

5 April 2019 admin
← જંકફૂડનો મહિમા
સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે, ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે →

Search by

Opinion

  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved