Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 September 2021

જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેકવાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા તેના આંતરવિરોધને કારણે એક દિવસ તૂટી પડશે અને એ દિવસ બહુ દૂર નથી. ત્યારે કલ્પના નહોતી કરી કે ચીની વ્યવસ્થાનું તૂટી પડવું તો બાજુએ રહ્યું, બહુ નજીકના ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે જગતના કહેવાતા સભ્ય દેશો સામે પ્રશ્ન પડશે કે ચીનનો મુકાબલો કેમ કરવો? ચીનને અનુસરીને કે ચીનની સામે સંગઠિત થઈને મોરચો રચીને?

જો તમે ભારતના અને વિશ્વના લોકશાહી દેશોના રાજકારણ ઉપર નજર રાખતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આ દેશો બન્ને દિશામાં ફાંફા મારી રહ્યા છે. આ દેશોમાં લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોને શિથિલ કરીને ચીનને અનુસરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પાછા લોકતાંત્રિક સભ્ય હોવા માટે ગર્વ પણ અનુભવે છે. હવે જ્યારે ચીનની સરસાઈ વધી રહી છે ત્યારે ત્યાંના શાસકો અને પ્રજા (મુખ્યત્વે પ્રજા, જેને લઈને શાસકો) એમ માનતા થયા છે કે ચીનની સફળતાનું કારણ લોકશાહીનો અભાવ અને મારે એની ભેંસની નાગાઈ છે. આપણે કહેવાતા લોકહિતના નામે લોકોની વચ્ચે ચર્ચા થવા દઈએ છીએ, જેમાં સમયસર નિર્ણયો લેવાતા નથી તો કેટલીકવાર નિર્ણયો બદલવા પડે છે કે પડતા મૂકવા પડે છે જેને પરિણામે તક હાથમાંથી સરકી જાય છે. આનો લાભ ચીનને મળે છે. ચીનના શાસકો નિયંત્રણમુક્ત આઝાદ છે. આપણે ત્યાં પણ શાસકોને આવી આઝાદી મળવી જોઈએ. તો જ અને તો જ ચીનનો મુકાબલો થઈ શકશે.

આ સિવાય અને આ ઉપરાંત બીજો અભિગમ એવો છે કે ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ. શીતયુગમાં જગતને આનો લાંબો અનુભવ છે. અમેરિકાના નેતૃત્વમાં નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને સોવિયેત રશિયાના નેતૃત્વમાં સીટો (કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) તો એ જમાનાના બે વિખ્યાત મોરચા હતા. જાણે કે આખું જગત આ બે દેશોએ વહેંચી લીધું હતું. આ સિવાય આરબ દેશોના, મુસ્લિમ દેશોના અને બીજા મોરચા હતા. વીતેલી સદીનો અનુભવ એવો છે કે કોઈ મોરચા સફળ થયા નથી, પણ એ છતાં મોરચાનો એક રોમાંચ હોય છે. આપણે મળીને પ્રતિસ્પર્ધીને સીધોદોર કરી દેશું.

ચીનની સફળતાનું રહસ્ય ચીનમાં લોકશાહીનો અભાવ અને ચીની શાસકોની નાગાઈ છે એવું જે કહેવામાં આવી રહ્યું છે, એમાં તથ્ય જરૂર છે, પણ સંપૂર્ણ સત્ય નથી. ભારત તો ઠીક, પણ પહેલી હરોળના લોકશાહી દેશો સુદ્ધાં ચીન સામે હાંફી રહ્યા છે, એનાં કારણ પણ એ જ છે જે ચીનમાં જોવાં મળી રહ્યાં છે. એ છે, લોકશાહી વ્યવસ્થાની અંદર સત્તાકીય સ્વાર્થની નાગાઈ અને લોકશાહી વ્યવસ્થામાં છીંડા પાડવાં. ભારતની વાત કરીએ તો ભારત હજુ હમણાં સુધી, ૨૧મી સદીના પ્રભાતે, ૨૧મી સદીના ટાઇગર અને ચીન પછીના રનર અપ તરીકે ઓળખાતું હતું. શા માટે ભારતે એ તક ગુમાવી દીધી? કારણ દેખીતું છે; કાઁગ્રેસ કે ભા.જ.પ., આ સરકાર કે તે સરકાર જશ ન ખાટી જવા જોઈએ. દેશ ભલે ખાડે જાય પણ તમને જશ ખાટવા નહીં દઈએ એવી જે લોકશાહી અંતર્ગત સત્તાકીય નાગાઈ હતી, એનું પરિણામ લોકશાહી દેશોની નિષ્ફળતા અને ચીનની સફળતા છે. ચીનની ઉઘાડી નાગાઈ સામે લોકશાહી દેશોના શાસકોની છૂપી નાગાઈ પરાજીત થઈ છે. લોકશાહી વ્યવસ્થા પરાજીત નથી થઈ.

બીજું, આર્થિક રીતે સંપન્ન લોકશાહી દેશોએ આર્થિક રીતે વિકસી રહેલા કે અવિકસિત ગરીબ લોકશાહી દેશોને ક્યારે દિલથી મદદ કરી છે? જગતના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશે (અમેરિકા) જગતના સૌથી મોટા લોકશાહી દેશ(ભારત)ને ક્યારે ય મદદ કરી નથી. દિલથી શું, દિલ વિના પણ મદદ કરી નથી. તેનું મિત્ર તો પાકિસ્તાન હતું. લોકશાહી દેશોએ જેટલા મોરચા રચ્યા છે કે રચ્યા હતા તેના કેન્દ્રમાં પ્રજાકેન્દ્રીય અને પ્રજાલક્ષી લોકતાંત્રિક શાસનવ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ ક્યારે ય નહોતો. એ બધા મોરચાઓ કાં તો લશ્કરી હતા અથવા આર્થિક હિતના હતા. ગામના ઉતાર જેવા શાસકો અને એવા શાસિત દેશો અમેરિકા અને બીજા વિકસિત લોકશાહી દેશોના મિત્ર રહ્યા છે.

તો વાતનો સાર એ છે કે લોકશાહી નિષ્ફળ નથી નીવડી, લોકશાહી દેશોમાં શાસન કરનારા શાસકો નિષ્ફળ નીવડ્યા છે. દુષ્ટ શાસકો જગતની શ્રેષ્ઠ શાસન વ્યવસ્થાને પણ નિષ્ફળ બનાવી શકે છે એમ પ્રાચીન યુગથી મનીષીઓ કહેતા આવ્યા છે અને લોકશાહીના ઉદય પછી તો લિંકન અને નેહરુ જેવા અનેક મુત્સદીઓ અને રાજનીતિશાસ્ત્રજ્ઞો કહેતા આવ્યા છે. છૂપી નાગાઈ હંમેશાં ઉઘાડી નાગાઈ સામે પરાજીત થાય એ સનાતન સત્ય છે. પણ સનાતન સત્ય તો એ પણ છે કે બંધિયારપણું ખુલ્લાપણા સામે હંમેશાં પરાજીત થતું હોય છે. તમે તમારા સગાંસંબંધીઓ તરફ એક નજર કરી જુઓ. જે પરિવારોમાં મોકળાશ અને આઝાદી વધુ હશે એ પરિવારો આર્થિક અને બીજી દરેક રીતે વધારે સુખી હશે. મોકળાશ સમૃદ્ધિ રળી લાવે છે એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. બાકી તો છૂપી નાગાઈ ઉઘાડી નાગાઈ સામે હંમેશાં પરાજીત થવાની છે.    

બીજા વિશ્વયુદ્ધ પછીના સાત દાયકામાં લોકશાહી અર્થવ્યવસ્થા વિકસવી જોઈતી હતી. જો સામ્યવાદનો એટલો બધો ભય હતો અને ભવિષ્યને લઈને ચિંતિત હતા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા સામે લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવી જોઈતી હતી. આવી સલાહ આપવામાં પણ આવી હતી, પણ ત્યારે તેને કાને ધરવામાં આવી નહોતી. ત્યારે લોકશાહી દેશોના શાસકોએ લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવાની જગ્યાએ લોકશાહીનો લાભ લેનારી મૂડીવાદી અર્થવ્યવસ્થા વિકસાવી હતી. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ પરિપક્વ થયા પછી કલ્યાણ રાજને જાકારો આપ્યો અને સાપીણ જેમ પોતાનાં બચ્ચાંને જ ખાય એમ લોકશાહીને ખાવાનું શરૂ કર્યું. જેટલી પ્રજાની ભાગીદારી ઓછી એટલો લાભ વધુ.

ટૂંકમાં કહીએ તો એક બાજુએ શી ઝિંગપિન્ગોએ અને બીજી બાજુએ લોકશાહી દેશોમાં શેઠજીઓએ જગત આખામાં પ્રજા ઉપર, શાસકો ઉપર, શાસનવ્યવસ્થા ઉપર અને એકંદરે રાજ્ય ઉપર કબજો કર્યો છે. બન્ને પક્ષે પ્રજાને બને એટલી બહાર રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે એક ઉઘાડી નાગાઈ છે અને બીજી છદ્મ નાગાઈ છે અને છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે પરાજીત થઈ રહી છે.

તો પછી આનો ઉપાય શું? આર્થિક રીતે મહાસત્તા બની ગયેલું ચીન લશ્કરી રીતે પણ તાકાતવાન બની ગયું છે અને હવે તો તેનો વિસ્તારવાદ છડેચોક નજરે પડી રહ્યો છે. એશિયા અને પ્રશાંત મહાસાગરના ૧૮ દેશો એવા છે જેની જમીન અથવા પાણી ઉપર ચીને કબજો જમાવ્યો છે કે દાવો કરી રહ્યું છે. ૧૮ એ કોઈ નાની સંખ્યા નથી. જાગતિક રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે. જ્યારે વાસ્તવિકતાનો સામનો ન કરવો હોય ત્યારે અભ્યાસપંચ રચવાનો આપણે ત્યાં શિરસ્તો છે એમ જ્યારે કોરી વાસ્તવિકતા સ્વીકારતા ડર લાગતો હોય ત્યારે મોરચા રચો એવો વિશ્વદેશોનો શિરસ્તો છે. આ ન્યાયે ચીનનો મુકાબલો કરવા માટે ભારત, જપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મળીને ‘ક્વાડ’ નામે ઓળખાતો quadrilateral security dialogue નામનો ચતુર્ભૂજીય કે ચતુષ્કોણીય મોરચો રચ્યો છે. એની બેઠક ગયા અઠવાડિયે મળી હતી જેમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા.

‘ક્વાડ’નું કોઈ ભવિષ્ય નથી એ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેઓ ‘ક્વાડ’માં આવતા હતા અને ભાગતા હતા, ચીનને ગાળો આપતા હતા અને જ્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લેતા હતા. ઓસ્ટ્રેલિયાની નીતિમાં પણ સાતત્ય નથી. આ વખતે ઓસ્ટ્રેલિયાનું વલણ પીછેહઠ કરનારું હતું. ભારતના નેતાઓ હજુ હમણાં સુધી નક્કી નહોતા કરી શકતા કે ચીનના નેતાઓ સાથે હિંચકે બેસીને ઢોકળાં ખાવાં કે પછી મોરચામાં અગ્રેસર રહેવું. ગયા વરસની ગાલ્વાનની ઘટના પછી ભારત માટે ઢોકળાં ખાવાં-ખવડાવવાનો વિકલ્પ બંધ થઈ ગયો છે.

જો ચીનના માર્ગે ચીનનો મુકાબલો કરવો હોય તો ચીનની જેમ ઉઘાડી નાગાઈ કરતાં શીખી લેવું જોઈએ અને જો એ શક્ય ન હોય તો મોકળાશ દ્વારા વિકાસ તરફ લઈ જનારા લોકશાહી માર્ગની ગુણવત્તા સુધારવી જોઈએ. આ અકસીર ઈલાજ છે અને એમાં શાસંક રહેવાની જરૂર નથી. બાકી, ઇન્ડિયા ઈઝ ધ મધર ઓફ ઓલ ડેમોક્રસીઝ પણ કહેવું અને લોકશાહીની ઘોર ખોદવી એ બન્ને સાથે ન ચાલી શકે. આગળ કહ્યું એમ છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે જીતી ન શકે. નેવર, ક્યારે ય નહીં, આ સનાતન સત્ય છે. આ બાજુ ચીનના શાસકોએ ચીની પ્રજાને ડરાવવાનું શરૂ કરી દીધું છે કે જુઓ, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે માટે તમારે ખામોશ રહીને શાસકોને મદદ કરવાની છે.

સવાલ એ છે કે પ્રજાના ખામોશ રહેવાથી રાજા વધારે શક્તિશાળી બને કે વધારે નાગો બને? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 સપ્ટેમ્બર 2021

Loading

30 September 2021 admin
← મનહરલાલ ચોકસી એટલે મનહર અંતરજ્યોત
કાયદાનું પાલન કરાવવાને નામે પણ લૂંટ જ ચાલે છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved