Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 27

દીપક મહેતા|Opinion - Opinion|19 January 2020

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન

દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ

દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય

શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો દાટ,
લાજ લીધી લાખો લોકોની, ઉપજાવ્યા ઉચાટ.
પ્રથમ તો પૈસા પમાડિયા, લલચાવિયા લોક,
મૂડી વગર કીધા માનવી, ફાંફાં મારતા ફોક.
મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન,
દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ.
કૈંકે વાસણ વેચિયાં, વેચ્યા બંગલા બાગ,
કોઈક કરજ દરિયે પડ્યા, તેનો ન જણાય તાગ.
ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ,
દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય.

કવીશ્વર દલપતરામ

આ પંક્તિઓ લખનાર કવીશ્વર દલપતરામ, મુંબઈનું શેર બજાર, અને અમેરિકાના પ્રમુખ અબ્રહામ લિંકન વચ્ચે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો માનો? પણ એ હકીકત છે. આજે અમેરિકાના પ્રમુખને શરદી થાય તો ભારત સહિત બીજા ઘણા દેશોને છીંક આવવા લાગે છે. અને ૧૯ સદીમાં પણ એવું જ બનેલું. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી તેનાં કેટલાંક રાજ્યોમાં ગુલામીની પ્રથા ઘર કરી ગઈ હતી. અને દક્ષિણનાં રાજ્યોને તેમાં ખાસ કશું ખોટું પણ લાગતું નહોતું. જ્યારે ઉત્તરનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા ઓછી હતી અને તેનો વિરોધ પણ અવારનવાર થતો હતો. પણ અમેરિકાના પ્રમુખ થયા પછી અબ્રહામ લિંકને અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરવાનું નક્કી કર્યું અને તે અંગેનાં પગલાં લેવા માંડ્યાં. દક્ષિણનાં રાજ્યોએ તેનો વિરોધ કર્યો, અને પછી સંઘમાંથી અલગ થઈ ઉત્તરનાં રાજ્યોના લશ્કર સામે પોતાના લશ્કરને મેદાનમાં ઉતાર્યું. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખથી અમેરિકામાં આંતર વિગ્રહ શરૂ થયો.

પ્રેસિડન્ટ અબ્રહામ લિંકન

એ જમાનો હતો સુતરાઉ કાપડની બોલબાલાનો. ગ્રેટ બ્રિટનની મિલો અમેરિકાથી રૂ આયાત કરતી, તેનું કાપડ બનાવતી, અને મોંઘા ભાવે એ કાપડ હિન્દુસ્તાન અને બીજાં સંસ્થાનોમાં વેચતી. પણ આંતરવિગ્રહને કારણે અમેરિકન રૂની આયાત બંધ થઈ ગઈ. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી રૂ આયાત કરવાનું મોટે પાયે શરૂ કર્યું. આથી આપણા દેશમાં રાતોરાત રૂના ભાવ વધીને આસમાને ગયા. કહે છે કે લોકોએ પોતાના ઘરનાં ગાદલાં-તકિયા ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. હવે રૂ ‘સફેદ સોનું’ કહેવાતું હતું. અગાઉ વરસે દહાડે રૂની પાંચ લાખ ગાંસડીની નિકાસ થતી. ૧૮૬૫માં બાર લાખ ગાંસડીની નિકાસ થઈ. રૂની નિકાસની સાથે બીજા કેટલા ય ધંધા-રોજગાર વધ્યા. આ બધાને લોન આપવા માટે નવી નવી ખાનગી બેંકો શરૂ થઈ. તેમણે ઊંચા વ્યાજે પૈસા ધીર્યા. બચતના પૈસા જ નહિ, બેંકો પાસેથી કે ગમે ત્યાંથી પૈસા લઈને લોકોએ એ પૈસા શેરોમાં રોક્યા. વેપારીઓ તો ઠીક, પણ સરકારી નોકરો, મજૂરો, ઝાડુવાળાઓ, બધા શેર બજારના વાદે ચડ્યા. ઘણાએ પોતાનાં ઘર, ઘરેણાં વેચી એ પૈસા શેરમાં નાખ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો હજુ શરૂ પણ નહોતું થયું. ટાઉન હોલની સામે એક મોટું વડનું ઝાડ હતું તેની છાયામાં વેપારીઓ અને દલાલો શેર લિયા-દિયાનો વેપલો કરતા. કહે છે કે આ શેર મેનિયા દરમ્યાન ત્યાં એટલા લોકો રોજ ભેગા થતા કે એ જમાનામાં પણ ત્યાં ટ્રાફિક જામ થઈ જતો. અને કેમ ન થાય?  બેક બે રેકલમેશન કંપનીનો પાંચ હજાર રૂપિયાનો શેર પચાસ હજાર રૂપિયામાં વેચાતો હતો, બેંક ઓફ બોમ્બેનો ૫૦૦નો શેર ૨૮૫૦માં વેચાતો હતો.

સર કાવસજી જહાંગીર

શેર-સટ્ટાનાં આ ઘોડાપૂર સામે લાલ બત્તી બતાવનાર એક જણ હતો : સર કાવસજી જહાંગીર રેડીમની. એવણ હતા બેંક ઓફ બોમ્બેના એક ડિરેક્ટર. એ બેંક આડેધડ લોન આપતી હતી એનો વિરોધ કરી અટકાવવાની મહેનત કરી. પણ શેર-સટ્ટાનાં ઢોલ વાગતાં હોય ત્યારે પીપુડીનો અવાજ કોણ સાંભળે? છેવટે એમણે બેંકમાંથી રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ આવ્યા કોટન કિંગ પ્રેમચંદ રાયચંદ. વહેલી સવારથી તેમના ભાયખલાના બંગલા બહાર લોકોનું ટોળું જામતું. શેઠ સાહેબ ખુશ થઈને એક-બે શેર આપી દે તો ન્યાલ થઈ જવાય! અરે, શેર નહિ, શેરની ‘ટિપ’ આપે તો ય ઘરવાળીનાં ઘરેણાં વેચી શેર લેવાય.

કોટ વિસ્તારમાં ખુલ્લામાં ચાલતું શેર બજાર – ૧૯મી સદી

અમદાવાદ અને ગુજરાતના પણ કેટલાયે લોકોએ પોતાની નોકરીઓ છોડી, ને શેરના સટ્ટામાં પડ્યા. આ રીતે શેરબજાર પાછળ પડનારાઓમાંના એક હતા કવીશ્વર દલપતરામ. ગુજરાત, તેનાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિના ચાહક અંગ્રેજ સરકારના એક ઉચ્ચ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કવીશ્વરના મિત્ર અને માર્ગદર્શક. તેમના થકી દલપતરામ અમદાવાદમાં ફાર્બસે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં વર્ષોથી કામ કરતા હતા. પાંચમાં પૂછાતા હતા, કવીશ્વર તરીકે માનપાન પામતા હતા. નોકરીમાંથી રાજીનામું ન આપવા ફાર્બસે સમજાવ્યા, ઉપરી કર્ટિસે સમજાવ્યા, પણ લક્ષ્મી દેખી મુનીવર ચળે, તો દલપતરામનું શુ ગજું? વર્ષો જૂની નોકરી છોડીને પડ્યા શેરના સટ્ટામાં. શરૂઆતમાં કમાયા, અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. એ માટે બેંક પાસેથી લોન લીધી.

પણ પછી શેર બજાર ઊંધે માથે પટકાયું. કેમ? કારણ, ૧૮૬૫ના જૂન મહિનાની બીજી તારીખે અમેરિકાના આંતરવિગ્રહનો અંત આવ્યો. એ દેશમાંથી ગુલામીની પ્રથા નાબૂદ થઈ. એટલે તરત જ ગ્રેટ બ્રિટનની કાપડ મિલોએ હિન્દુસ્તાનથી રૂ મગાવવાનું બંધ કર્યું અને ફરી અમેરિકાથી રૂ આયાત કરવાનું શરૂ કર્યું. આપણા દેશમાં રૂના ભાવ રાતોરાત તૂટ્યા. રૂના વેપારીઓ ભિખારીઓ થઈ ગયા. તેમણે બેંક પાસેથી લીધેલી લોનના પૈસા ડૂબ્યા. પહેલી જુલાઈને દિવસે કેટલા ય સટોડિયા શેરબજારમાં વલણ ચૂકવી ન શક્યા અને દેવાળું કાઢ્યું. એટલે તેમને લોન આપનારી બેંક એક પછી એક ભાંગી. મુંબઈમાં બેકારી, ઉદાસી, હતાશા, છવાઈ ગઈ. કેટલાય લોકો મુંબઈ છોડી પાછા ‘દેશ’ ભેગા થઈ ગયા. ૧૮૬૪માં મુંબઈની વસતી ૮ લાખ ૧૬ હજારની હતી તે ઘટીને ૧૮૭૨ સુધીમાં ૬ લાખ ૪૪ હજારની થઈ ગઈ.

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ

તે પહેલાં ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની રાણીએ એક ઢંઢેરા દ્વારા બોમ્બે હાઈકોર્ટની સ્થાપના કરી હતી અને તેના પહેલા છ અંગ્રેજ ન્યાયાધીશની નિમણૂક કરી હતી. તેમાંના એક હતા ફાર્બસ. એટલે ૧૮૬૨થી ફાર્બસ મુંબઈમાં હતા, દલપતરામ અમદાવાદમાં. ફાર્બસની તબિયત પણ સારી રહેતી નહોતી. જીવનમાં પહેલી વાર ફાર્બસની સલાહની અવગણના કરી હતી અને શેર બજારના ફંદામાં ફસાયા હતા. એટલે ફાર્બસને મોઢું બતાવતાં પણ દલપતરામને સંકોચ થતો હતો. પણ આફતમાંથી ઉગારી શકે એવો એક જ જણ હતો, ફાર્બસ. એટલે ઓગસ્ટની શરૂઆતમાં દલપતરામ મુંબઈ આવ્યા. ભારે પગલે ફાર્બસના વાલકેશ્વરના બંગલે ગયા. ફાર્બસને મળી ખબરઅંતર પૂછ્યા. પણ જે વાત કહેવા આવ્યા હતા તે કહેતાં જીભ ઊપડે નહિ. માથું નીચું ઢાળીને બેસી રહ્યા. આંખમાં ઝળઝળિયાં. અનુભવી, ચતુર ફાર્બસ સમજી ગયા. કહે : ‘કવીશ્વર, સપડાઈ ગયા લાગો છો.’ તો ય દલપતરામની જીભ ઉપડે નહિ. ‘કાંઈ ફિકર નહિ. મોટા મોટા જજો તથા બેરિસ્ટરો સપડાયા છે. જે વાત હોય તે કહો.’ અને દલપતરામે બધી વાત પેટછૂટી કરી. બીજી થોડી વાતો કરી બંને છૂટા પડ્યા. દલપતરામના ગયા પછી ફાર્બસે બેન્કના ડાયરેક્ટર ખરસેદજી નસરવાનજી કામાને અને પ્રેમચંદ રાયચંદને બોલાવ્યા. ચર્ચા કરી નક્કી કર્યું કે બેન્કે ત્રણ હજાર રૂપિયા લઈ દલપતરામનું બાકીનું ૧૭ હજારનું દેવું જતું કરવું અને બંગલો પાછો સોંપવો. એ જ વખતે ફાર્બસે પોતાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે બાકીની રકમ બે-ચાર દિવસમાં કવીશ્વર પાસેથી મળી જશે.

પ્રેમચંદ રાયચંદ

બીજે દિવસે દલપતરામને બોલાવી બધી વાત કરી. વાત સાંભળી તેઓ કહે : પણ મારી પાસે તો એક રૂપિયો પણ નથી, ત્યાં બે હજાર ક્યાંથી આપું? દલપતરામની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો ખ્યાલ આવતાં બાકીની રકમ પણ ઊભી કરવાનું ફાર્બસે માથે લીધું. ૬૦૦ રૂપિયા પ્રેમચંદ રાયચંદે અંગત રીતે આપ્યા. સર મંગળદાસ નથ્થુભાઈએ ૪૦૦ આપ્યા. વિનાયક શંકરશેટે ૧૫૦ આપ્યા. કરસનદાસ માધવદાસે ૧૦૦ રૂપિયા આપ્યા. ઠક્કર કરસનજી નારણજી અને રતનજી શામજીએ ૧૫૦ આપ્યા. વિનાયકરાવ વાસુદેવે ૧૦૦ રૂપિયા આપ્યા. તોય હજી ૫૦૦ રૂપિયા ખૂટતા હતા. એટલે ફાર્બસે લુવાણા ઠક્કર હંસરાજ કરમસીને બોલાવીને કહ્યું : ‘૧૦૦ કવિતા રચીને તેનું પુસ્તક કવીશ્વર તમને અર્પણ કરશે તેની ખાતરી હું આપું છું. પણ એક કવિતાના પાંચ રૂપિયા લેખે ૫૦૦ રૂપિયા તમે હમણાં જ આપો.’ બીજે દિવસે ફરી દલપતરામને બોલાવી ખૂટતી રકમ તેમના હાથમાં મૂકી. પછી અમદાવાદમાં કર્ટિસનો સંપર્ક કરી દલપતરામને નોકરીમાં પાછા લેવા કહ્યું. પણ તેમની જગ્યાએ તો વ્રજલાલ શાસ્ત્રીની નિમણૂક થઈ ગઈ હતી. તેને છૂટા કેમ કરાય. ફાર્બસ કહે, બંનેને રાખો. દલપતરામનો પગાર હું આપીશ. છેલ્લે દિવસે બંને મળ્યા ત્યારે દલપતરામનાં કેટલાંક પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પોતાની પાસે હતાં તે ફાર્બસે પાછાં આપી દીધાં. અને ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. તેમના ગયા પછી ફાર્બસની માંદગી ખૂબ વધી. હવાફેર અને સારવાર માટે પૂના લઈ ગયા. અને ત્યાં જ ૩૧મી ઓગસ્ટે ફાર્બસનું અવસાન થયું, માત્ર ૪૪ વર્ષની વયે.

ફાર્બસના આવા અકાળ અવસાનનો ઘા દલપતરામ માટે કારમો હતો. ફાર્બસ વિરહ નામનું લાંબુ કાવ્ય રચ્યું તેમાં લખ્યું :

દાખે દલપતરામ, પામરનો પાળનાર,
મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો.

બીજે જ વર્ષે, ૧૮૬૬ના મે મહિનામાં હંસરાજ શેઠના આમંત્રણથી દલપતરામ સકુટુંબ મુંબઈ આવ્યા. શેઠે આગતાસ્વાગતા કીધી. કવીશ્વરને અને તેમનાં કુટુંબીજનોને ભેટો આપી. સાતમી મેએ મુંબઈના ભાટિયા મહાજનોએ સભા ભરી દલપતરામને માનપત્ર આપ્યું. વરસાદ શરૂ થતાં પહેલાં જૂનની શરૂઆતમાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. દસેક વર્ષ પછી દલપતરામના આંખના દર્દે ફરી જોર કર્યું. અમદાવાદમાં ઉપચાર થાય તેમ નહોતું. એટલે ૧૮૭૭માં કવીશ્વર ફરી મુંબઈ આવ્યા અને સર મંગળદાસની વાડીમાં ઊતર્યા. તે અગાઉ ૧૮૭૪માં ડો. ભાઉ દાજીનું તો અવસાન થયું હતું. બીજા ડોકટરોને બતાવ્યું. તેમણે કહ્યું : ‘મોતિયો આવે છે, પણ હજી પાક્યો નથી. પાકે પછી આવજો તો ઉતારી આપશું.’ હતાશ થઈને ત્રણેક અઠવાડિયાં પછી કવીશ્વર અમદાવાદ પાછા ગયા. પણ પછી ૧૮૭૯માં અમદાવાદમાં નવી શરૂ થયેલી રણછોડલાલ ડિસ્પેન્સરીમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું, પણ સફળ ન થયું. આંખો લગભગ ગઈ. હોસ્પિટલમાંથી જ ગુજરાત વર્નાક્યુલર સોસયટીની નોકરીમાંથી રાજીનામું મોકલી દીધું.

દલપતરામે મુંબઈની છેલ્લી મુલાકાત લીધી ૧૮૮૭માં. એ વર્ષે અમદાવાદમાં ‘દલપતમહોત્સવ’ ઉજવવાનું નક્કી થયું. ત્રણેક વર્ષની મહેનત પછી તે માટે સાડા બાર હજાર રૂપિયા એકઠા થઈ શક્યા હતા. મહોત્સવ સમિતિએ નક્કી કર્યું કે દલપતરામનું એક તૈલચિત્ર તૈયાર કરાવી હેમાભાઈ હોલમાં મૂકવું. પણ તે વખતે આવું ચિત્ર તૈયાર કરી શકે એવો કોઈ કલાકાર અમદાવાદમાં નહોતો. એટલે સમિતિ પોતાને ખર્ચે મે મહિનામાં દલપતરામને મુંબઈ લાવી. બોર્ન એન્ડ શેફર્ડ નામની કંપનીમાં તેમનું તૈલચિત્ર તૈયાર થયું. મૂળ બ્રિટિશ કંપની કલકત્તામાં ૧૮૬૩માં શરૂ થઈ હતી અને છેક ૨૦૧૬માં બંધ થઈ. તેની મુંબઈ શાખા ૧૮૭૬માં શરૂ થઈ અને ૧૯૦૨ સુધી કામ કરતી હતી. ચિત્રનું કામ પૂરું થયે દલપતરામ પાછા અમદાવાદ ગયા.

દલપતરામના જન્મને ૨૦૦ વર્ષ થયાં. પણ તેમની કેટલીક કવિતા ૧૯મી સદીમાં નહિ, પણ ૨૦૨૦માં લખાઈ હોય તેવી લાગે છે. તેવી એક ગરબીની થોડી પંક્તિઓ સાથે કવીશ્વરને આદરાંજલિ આપીએ :

દેશમાં સંપ કરો સંપ કરો,
દિલે દેખી કુસંપથી ડરો રે, દેશમાં …
હાં રે તમે ટંટા ધરમના ટાળો,
જે જે પ્યારો લાગે તે ધર્મ પાળો, દેશમાં …
હાં રે છળ દગા કપટ દો છોડી,
આખા દેશની થઈ આબરૂ થોડી રે, દેશમાં …
હાં રે વાંચો દલપતરામની વાણી,
પક્ષપાત વિના સત્ય પ્રમાણી રે, દેશમાં …

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 18 જાન્યુઆરી 2020

Loading

19 January 2020 admin
← ગઝલ / થી
કાશીબહેન મહેતા : ‘પ્રેમ જ્યારે નિ:સ્વાર્થ બને છે ત્યારે તેમાંથી ઈશ્વરનું સ્વરૂપ પ્રગટે છે.’ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved