રજનીકુમાર પંડ્યા
વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
![]()
રજનીકુમાર પંડ્યા
વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
![]()
અને એમાં પણ આ તો વિવેકબૃહસ્પતિ ગુજરાત, નર્મદે ગાઈ 'ઊંચી તુજ સુંદર જાત'
ગોધરા – અનુગોધરા સાતવરસીને કેવી રીતે જોશું વારુ? ઉત્તમ રસ્તો, કદાચ કોઈ દુનિયાડાહ્યા માણસો તમને કહેશે, ગઈ ગુજરી ભૂલી જાઓ. એક રીતે વાત પણ સાચી છે કે વેરઝેર સતત પંપાળ્યાં અને ઉછેર્યાં કરવા તે કોઈનેય માટે સારું નથી. પ્રજા જો જૂનું કશું ભૂલે નહીં તો નવું કશું શીખે પણ ક્યાંથી, કહો જોઉં.
આમ તો, ખરું પૂછો તો, કાયદાએ એનું કામ વેળાસર કર્યું હોત – અથવા, કહો કે કાયદાને કાયદાનું કામ કરવા દેવાયું હોત તો આટલી બધી વિગતો ઉખેળ્યા કરવાની કદાચ જરૂર પણ રહી ન હોત. બેસ્ટ બેકરીનો કેસ ગુજરાત બહાર ચલાવવાની ફરજ પડે અગર તો સાતે વરસે સર્વોચ્ચ અદાલતે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરી દરમ્યાન આગળ પડતા અધિકારીઓને કે ચુંટાયેલા હોદ્દેદારોને ફરાર જાહેર કરવાની નોબત આવે એનો અર્થ કંઈ નહીં તોપણ એટલો તો ખરો જ કે અહીં બધું સમુંનમું નથી.
એક પા ભૂલી જવાની વાત અને બીજી પા બધું સમુંનમું નથી તે ઘૂંટવાની વાત, આ બે વાનાં વચ્ચે આંતરવિરોધ નથી શું, એવું પણ કોઈ પૂછી તો શકે. પણ આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર એ છે કે લોકશાહીમાં નાગરિકમાત્રે શાસન સરખું હીંડે એની કાળજી કરવાની હોય છે. એટલે જે સમુંનમું નથી તે ચીંધવાનું, બોલી બતાવવાનું અને સૂઝે તે ઉપાય સૂચવવાનું તેમજ તે માટે લોકદબાણ આણવાનું એ કોઈપણ જાગ્રત લોકતંત્રમાં સૌ નાગરિકો પાસે અપેક્ષિત છે. પણ આ બધી હિલચાલ કાયદાના શાસનને ધોરણે હોય અને એમાં વ્યક્તિગત, વર્ણગત, વર્ગગત, કોમ – અને – સંપ્રદાય – ગત વેરઝેરની ચાલના ન હોય એટલું સમજીને ચાલીએ તો પછી આંતરવિરોધને સારુ કોઈ ગુંજાશ રહેતી નથી.
બેલાશક, વેરઝેરની વાત નથી; અને ન જ હોવી જોઈએ. પણ ખુન્નસ અને ઝનૂન એક વાત છે, જ્યારે તીવ્રતા ને તાલાવેલી બીજી વાત છે. સાથી નાગરિક હોવાને ધોરણે સંવેદન હોવું અને નાગરિક – નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્રહ હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે.
વીતેલાં સાત વરસના ગુજરાતના રાજકારણ અને જાહેર જીવન પર એક નજર નાખીએ ત્યારે સમજાય છે કે પ્રજાને પક્ષે જો આ તીવ્રતા અને તાલાવેલીનું તો સરકારને પક્ષે એને અંગેની કદરબૂજનું ટાંચું પડેલું છે. એનું કારણ કદાચ એ છે કે એક પ્રજા તરીકે આપણે કંઈક વિભાજિત, કંઈક ધ્રુવીકૃત છીએ. નાતજાતકોમથી ચાતરીને સમસંવેદન અને ન્યાયભાવનાને ધોરણે સમગ્ર સમાજની વાત રહીરહીને છૂટી જાય છે.
જો ભારતીય ઇતિહાસના કોઈ એક પેરેલલને સંભારીને આજના ગુજરાત વિશે વાત કરવી હોય તો તત્કાળ હાથવગું દૃષ્ટાંત કલિંગ ઘટનાનું છે. કલિંગના વિજય પછી સમ્રાટ અશોકને થયું કે અરે આ મેં શો વિનાશ વેર્યો ! એમના શાસનમાં તે સાથે એક ગુણાત્મક પરિવર્તન આવ્યું. ગુજરાતમાં ન તો પ્રજાપક્ષે, ન તો શાસકીય સત્તાપક્ષે, આવો કોઈ કલિંગબોધ વરતાય છે.
વસમું લાગે એવી વાત તો કદાચ એ પણ છે કે અહીં કોઈ કલિંગ ઇફેક્ટ નથી તે બોલી બતાવવાનું ઇતિહાસકર્તવ્ય બીજા કોઈના નહીં અને ગિલના હિસ્સે આવ્યું હતું. કેપીએસ ગિલ એ દિવસોમાં અહીં સુરક્ષા સલાહકાર તરીકે આવ્યા હતા, અને પૂર્વે જેમ રિબરોને તેમ આ કિસ્સામાં એમનેય કંઈક યશ મળ્યો હતો. તેઓ અહીં આવ્યા ત્યારે શરૂઆતના દિવસોમાં એમનું એક અવલોકન એ હતું કે બીજે જ્યાં પણ હું આવી કામગીરીસર ગયો છું ત્યાં મેં જોયું છે કે હિંસ્ર ઉત્પાતના આઠદસવીસ દિવસમાં તો માણસોને લાગવા માંડે છે કે જે પણ થયું, ભૂંડું થયું. અહીં જોઉં છું તો એવો કોઈ ચચરાટ અગર અરેરાટ નથી. એટલું જ નહીં, ગિલ એમની ગુજરાતની કામગીરીમાં 'સફળ' રહી પરત ફરવાના હતા એના આગલા દિવસે એક શુભેચ્છામિલનમાં પણ એમણે અમારી સાથે આ વાત દોહરાવી હતી કે અહીં કોઈ કલિંગબોધ નથી.
જોવાનું એ છે કે આપણને – મને અને તમને – આ એક એવી શખ્સિયત કહી જાય છે જે પોતે ઍન્કાઉન્ટર માર્તંડ લેખે અતિપ્રતિષ્ઠ છે. માનવ અધિકાર ચળવળ સાથે એમનો સંબંધ સદૈવ છત્રીસનો રહ્યો છે. માર બુધું ને કર સીધું, એ શૈલીએ પેશ આવતી ધોકાપંથી પ્રતિભા એ હંમેશ એમનો 'વિશેષ' લેખાયો છે. છતાં, કે પછી કદાચ એથી જ, એમને કલિંગબોધની ચિંતા છે. આ કલિંગબોધ એટલે શું? આપણા સમયમાં તો એની સાદી વ્યાખ્યા હમણાં કહ્યું તેમ એવી અને એટલી જ હોય કે સાથી નાગરિકને નાતે પરસ્પર સમસંવેદન અનુભવીએ અને નાગરિક તેમજ શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્રહ સેવીએ.
એરક રીતે, નાગરિક સમાજની કદાચ આ સ્તો ઓળખ અને પરખ છે. નાગરિક – નાગરિક વચ્ચે સહૃદય સમસંવેદનાનું પ્રવર્તન અને શાસનને પક્ષે ન્યાયનું આચરણ. શાસન સરખું હીંડે અને સખણું રહે તે જોવાની ફરજ બેલાશક નાગરિક સમાજની છે. જો આ સમાજ વિભક્ત અને ધ્રુવીકૃત હોય તો તે પોતાની ફરજ નભાવવામાં એટલે અંશે ઓછો ને પાછો પજે એ સાદો હિસાબ છે.
ગોધરા – અનુગોધરા સંદર્ભમાં જેમ શાસન તરીકે તેમ પ્રજા તરીકે આપણે ઊણા ઊતર્યાં છીએ એટલું જો આત્મનિરીક્ષણને ધોરણે સ્વીકારી શકીએ તો ભલે સાત સાત વરસ પછી પણ એ એક મોટી વાત બનશે. આમ તો, જીવવિજ્ઞાનમાં પરંપરાગત સાંભળવા મળતું રહ્યું છે તેમ શરીરના સઘળા કોષ સાતે વરસે નવા થતા હોય છે. જો સભાન જ્ઞાનવિવેક વગરનું , શરીર આમ નવીકરણ સાધી શકતું હોય તો વૈદિક ઉષાનાં ગાનથી માંડી રેનેસાં અને પ્રબોધન પર્વ સરખાં અગ્નિદિવ્યોમાંથી પસાર થઈને તેમ ગઈ સદીમાં આઈન્સ્ટાઈન અને ગાંધી કે ટાગોર સરખાથી સેવાયેલી મનુષ્યજાતિ માટે જરાજીર્ણ સામંતી ઉછેરને વટી જઈ નાગરિક નવરૂપ ધરવું અઘરું ન હોવું જોઈએ – અને એમાં પણ આ તો વિવેકબૃહસ્પતિ ગુજરાત, નર્મદે ગાયા મુજબ ઊંચી તુજ સુંદર જાત.
'જય જય ગરવી ગુજરાત'માં નર્મદે પ્રગટ કરેલો ઉચ્ચ અભિલાષ એ હતો કે સધરા જેસંગ અને અણહિલવાડ પાટણના એ રંગ કરતાં પણ સત્વરે અધિક રંગ થશે. એ હેમચંદ્ર, એ સહસ્રલિંગ, એ સમય, એ લોક, કેવું હશે ! આબાદ કહ્યું હતું કે હેમચંદ્રે કે નદીસરોવર, હર્મ્ય, મહાલય, કશાંથી નહીં એટલું નગર એમાં વસતા લોકોથી રળિયાત બને છે.
સધરા જેસંગથી અધિક રંગ તે શું અને સાત સૈકે નવા બની આવવા જોઈતા પ્રજાકોષ તે શું, એ સમજવાની ચાવી હેમચંદ્રની આ ઉક્તિમાં પડેલી છે. જમાનો બદલાતો ગયો; રાજાશાહી – સામંતશાહી – ઉમરાવશાહીને સ્થાને લોકશાહીની મથામણ ચાલી; કહો કે જૂના પત્તનમાં, પાટણમાં રહેતો જે પટણી હતો તે હવે નાગરિક બનવાના નવપડકારમાં મુકાયો. શું સરકાર કે શું લોક, ૨૦૦૨માં ચુકાયેલો આ ચિરપડકાર નાગરિકતાનો હતો. ત્યારે કોક હિદું હતું તો કોક મુસ્લિમ હતું ; કોક ભાજપી હતું તો કોક કૉંગ્રેસી હતું ; અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોધ્યો જડતો નહોતો, પણ હવે સાતે વરસે –
![]()
છેવટે, અપેક્ષા અને ધારણા હતી તેમ કુપ્પહલ્લી સીતા રામૈયા સુદર્શને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકપદેથી નિવૃત્તિની જાહેરાત કરી, અને છઠ્ઠા સરસંઘચાલક તરીકે હમણાં લગીના સરકાર્યવાહ મોહન મધુકર ભાગવતને સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં તેરસો જેટલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિધિવત્ કાર્યભાર સોંપી પણ દીધો : ભારતીય જનતા પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણીનાં ઉંબર અઠવાડિયાઓમાં આ ઘટનાક્રમ કંઈક આશ્વસ્તકારી તેમજ શાતાકારી બની રહેશે.
૨૧મી માર્ચે દેશે મોહન ભાગવત અભિષિક્ત થયાનું જાણ્યું અને ૨૨મી માર્ચે તો લાલજી એમના વ્યસ્ત કાર્યક્રમો ઉલટસુલટ કરી નાગપુરનો આંટો પણ મારી આવ્યા. કોઈએ કહ્યું, 'મેથ્થાટેક'; કોઈએ કહ્યું – શુભેચ્છા મુલાકાત. ગમે તેમ પણ, અડવાણીને એ તો યાદ હોય જ (અને એ વાતે ગુણ પણ વસ્યો હોય ) કે એમના ઝીણાયન પછી સુદર્શને ખડખડિયું પરખાવ્યું ત્યારે સંઘના ઉચ્ચ અધિકારીઓમાંથી કોઈ એકના ટેકે અડવાણીની પુન: પ્રતિષ્ઠા અંશત: પણ શક્ય બની હોય તો તે બેલાશક ભાગવતને કારણે. ભાગવતની સીધીસાદી દલીલ એ હતી કે પક્ષ પાસે જ્યારે નિંભાડે પાકેલ (સીઝન્ડ) બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે અડવાણી વિપક્ષ નેતા અને એ નાતે છાયા વડાપ્રધાન બન્યા રહે એમાં ઔચિત્ય છે.
ચૂંટણી ટાંકણે ભાજપ અને સંઘના મુખ્ય પદોએ આરૂઢ વ્યક્તિઓ વચ્ચે ધોરણસરનું સમીકરણ હોય તે, બેઉ વચ્ચેનો નાભિનાતો જોતાં અનિવાર્ય હતું અને છે – ખાસ તો એટલા માટે કે પાવર હાઉસ તેમજ પાયદળ બેઉ ધોરણે ભાજપે સંઘ પર મદાર રાખવો રહે છે, અને જ્યારે પણ સંઘ નિષ્ક્રિયતા દાખવે ત્યારે ભાજપને પાછા પડવાની નોબત આવતી હોય છે.
એમાં પણ અડવાણી, થોડા મહિના પર જે રીતે એકધાર્યા આગળ વધતા હત એને બદલે આ દિવસોમાં એનડીએ તરીકે તેમજ ભાજપ સંદર્ભે કંઈક ગતિરોધમાંથી પસાર થઈ રહ્યા છે. બિહારમાં જનતા દળ (યુ)ની અને સવિશેષ તો નીતીશકુમારની જે સ્વીકૃતિ બની રહી છે એની સરખામણીમાં ભાજપ રાષ્ટ્રીય પક્ષ છતાં ઝાંખો દીસે છે. સૌથી મોટો મનોવૈજ્ઞાનિક ઝાટકો એનડીએને અને વડાપ્રધાનપદના દાવેદારને કદાચ ઓરિસ્સા અને નવીન પટનાયક તરફથી લાગેલો છે. વરુણ ગાંધીના વિવાદાસ્પદ ભાષણે – એના પ્રસારિત અંશોના પચાસ ટકા પણ સાચા હોય તોયે – અડવાણી સહિતના ભાજપ શ્રેષ્ઠીઓ માટે વિચિત્ર પરિસ્થિતિ સરજી છે. પક્ષ અને નેતા તરીકે જે છબિ આ દિવસોમાં ઊપસવી જોઈએ તેનાથી કંઈક વિપરીત ચિત્ર વરુણના હિંસ્ર ભાષણથી બન્યું છે. પક્ષના પ્રવક્તાએ 'અમે આ ભાષણમાંનાં વિચારોને સ્વીકારતા નથી તેમજ અમારે તેની સાથે કોઈ સંબંધ નથી' એમ કહી વરુણ ગાંધીને એના ખુદના હાલ પર છોડી દેવું સલાહભર્યું તથા સલામત લાગ્યું છે. છતાં પક્ષના નેતાગણમાં જ માત્ર નહીં દરેક નેતાના મનમાંયે બે ભાગ વચ્ચે ભાંજઘડ ચાલી રહેલ માલૂમ પડે છે. 'વરુણ ગાંધી અમારા ઘોષિત ઉમેદવાર છે' એ ગાણું તેમણે છોડ્યું નથી ; કેમ કે જેમ માલેગાંવ પ્રકરણમાં એક વાર હાથ ખંખેર્યા પછી વખત છે ને 'હિંદુ આતંકવાદીઓ' લોકમાનસમાં હીરો બની જાય તો શું, એવી ચિંતાના માર્યા એમને બિરદાવવાની – 'ઓન' કરવાની વૃત્તિએ ડોકું કાઢ્યું હતું એવો જ કંઈક હાલ આ પણ છે. દરમ્યાન ચૂંટણી પંચે, કેમકે હજુ અદાલતી કારવાઈ અને સજાની પ્રક્રિયા પાર પડી નથી, વરુણ ગાંધીને પોતે ચૂંટણીમાં પડતાં રોકી શકે એમ નથી તે સંજોગોમાં ભાજપને સૂચવ્યું છે કે એક જવાબદાર પક્ષ તરીકે તેણે પોતે જ વરુણને ઉમેદવાર તરીકે ખસેડી લઈને મલાજો પાળી જાણવો જોઈએ. પણ સંઘ પરિવારે એના રામાવતારમાં જે બધી સંજયબજરંગ સંકર વેજાને છૂટી મૂકી છે એ જોતાં એને સારુ આવો મલાજો એ કોઈ મોંકાણથી કમ નથી હોવાનો. આવા વસમા દિવસોમાં ભલે ચાલચલાઉ પણ 'પોતાનું માણસ' નાગપુરમાં અગ્રપદે હોય એથી અડવાણી અલ્પ પણ આસાએશ ન અનુભવે તો જ નવાઈ.
નવા સરસંઘચાલક તરીકે મોહન ભાગવતે સંઘ સ્વયંસેવકોને ભાજપ માટે કામ કરવાનો સીધો આદેશ ન આપ્યો હોય તોપણ પ્રતિનિધિ સભા સમક્ષના સંબોધનમાં લોકોને 'હિંદુ હિતોની દૃષ્ટિએ' મતદાન માતે પ્રેરવાનો તેમજ 'સો એ સો ટકા મતદાન' કરાવવાનો સાગ્રહ અનુરોધ કર્યો છે. અમરનાથ, કંધમાલ, માલેગાંવ અને મુંબઈના ઘટનાક્રમની યાદ આપીને એમણે હિંદુ હિત અને હિંદુ સુરક્ષાના જખમને દૂઝતો રાખવાની કાળજી પણ આ સંદર્ભમાં લીધેલી છે. રાજ્યે રાજ્યે સંઘ પરિવારની વિવિધ સંસ્થાઓ વચ્ચે પૂર્વવત્ સંધાન અને સુવાણ નથી એ સાચું ; પણ ભાજપ ભણી મતોનું નાળચું વાળવા સારુ જે ક્વાયત છેલ્લા દિવસોમાં શરૂ થઈ ચૂકી છે એને મોહન ભાગવતના પદગ્રહણ સાથે વેગ મળશે એવો અંદાજ અસ્થાને નથી.
અલબત્ત, એમનો હાલ સુધીનો રવૈયો જોતાં, ભાગવતનો ભાજપ સાથેનો વ્યવહાર અને અભિગમ સુદર્શન પ્રકારના બૉસિઝમ કદાચ નહીં રહે. ૨૦૦ની સાલથી સરસંઘચાલકપદે રહેલા સુદર્શન, એમના પુરોગામી રજ્જુભૈયા (પ્રો. રાજેન્દ્રસિંહ)થી વિપરીત રાજકારણની નજાકત બાબતે અજાણ અને અસ્પૃષ્ટ જેવા પેશ આવતા હતા. વાજપેયી પ્રધાનમંડળના નાણાં પ્રધાન તરીકે જસવંતસિંહને નહીં લેવાનો, છેલ્લી ઘડીએ પડતા મૂકવાનો 'આદેશ' સુદર્શનના આ વલણનો પ્રથમ સંકેત હતો; એની પરાકાષ્ઠા વચગાળામાં જેમ વડાપ્રધાનના દફતરમાં પ્રવર્તતી 'બંધારણબાહ્ય સત્તા' ઉપરના જાહેર પ્રહારરૂપે તેમ છેવટે શેખર ગુપ્તા સાથે 'વૉક ધ ટૉક' કાર્યક્રમમાં સીધા નાને પડદેથી ઉંમરલાયક નેતાઓને (વાજપેયી – અડવાણીને) નિવૃત્ત થવાની 'સલાહ'રૂપે જોવા મળી હતી. વાજપેયી એમની વ્યાપક સ્વીકૃતિ અને લોકચાહના તેમજ અનુભવને ધોરણે ટકી ગયા એ જુદી વાત છે, પણ વગર સત્તાના સંજોગોમાં સુદર્શને અડવાણીને એક તબક્કે તો અર્ધનિવૃત્તિની અવદશામાં મૂકી જ દીધા હતા. સુદર્શનનું મનોરાજ્ય – કદાચ, મનોમાલિન્ય – દરેક હિંદુ દંપતીએ એકબે નહીં પણ ત્રણચાર બાળકો પેદા કરી મુસ્લિમોની વધતી વસ્તી (જે બહુ ઝડપથી હિંદુઓને લઘુમતીમાં મૂકી દેશે, તેની) સામે હિંદુ બહુમતી અને તાકાત અકબંધ રાખવાની જાહેર સલાહના સતત ઉચ્ચારણ વાટે પ્રગટ થતું હોય એવોયે એક ગાળો દેશે જોયો સાંભળ્યો છે.
અલબત્ત, ૭૮-૭૯ના સુદર્શન નિવૃત્તિ જાહેર કરતા હોય અને ૫૮-૫૯ના ભાગવત હવાલો સંભાળતા હોય ત્યારે ૮૧ વરસના અડવાણીનું ભાજપમાં કેન્દ્રીય સત્તાસ્થાને હોવું એક વિરોધપૂર્ણ સહોપસ્થિતિ જરૂર રચે છે. જોકે, તેમ છતાં અડવાણીને નભાવી લેવાનું ને ટેકો કરવાનું ભાગવતનું લૉજિક 'વિકલ્પના અભાવ'ને આભારી છે. પણ અત્યારે બધાં જ ચિહ્ન છે તેમ ૨૦૦૯ના મે મહિનાના ઉત્તરાર્ધમાં જે પણ સરકાર રચાશે તેની અવધ અને ભાવિ તેમજ તરાહ અને તાસીર ૧૯૯૬ અને ૧૯૯૭ની દેવે ગૌડા ને ગુજરાલ સરકારો જેવી હશે. એનડીએ તૂટી રહ્યું છે તો યુપીએ પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સાથી પક્ષોની સામસામી ઉમેદવાર સાથે તૂટનમાંથી પસાર થઈ રહ્યું છે. એમાંના કોઈ વૈકલ્પિક (ત્રીજા) મોરચા સાથે પણ ચૂંટણી પછી હોઈ શકે છે. મતલબ, બેત્રણ વરસમાં જ નવી ચૂંટણી આવશે અને ત્યારે ભાજપનું નેતૃત્વ અડવાણી પાસે રહેવા સંભવ નથી. દેખીતી રીતે જ, ધોરણસરનાં નિશાન સાથેની તીરંદાજી (કૉલિંગ શૉટ્સ) ત્યારે ભાગવત હસ્તક હશે.
સંઘ પરિવારનો ખુદનો તેમ તેના પરત્વે બીજાઓનો અનુભવ જોતાં હવેનાં વરસોમાં 'કૉલિંગ શૉટ્સ' કપરી કસોટી માગી લેશે. સંઘનો ભાર અનુશાસન પર રહ્યો છે, પણ એક છેડે રાજકીય પક્ષ (ભાજપ) તો બીજે છેડે બજરંગ દળ પ્રકારનાં સ્વૈરાચારી, સ્વેચ્છાચારી સંગઠનો, આ બેઉને એક સાથે રાખવાનું ઉત્તરોત્તર વધુ અઘરું થતું જવાનું છે. કોઈ સ્વતંત્ર પક્ષને તમે ચાંપ દાબો અને ઉઘાડવાસ થાય એવી સંગઠનીય ઢબે બાંધી કે ચલાવી ન શકો. બીજી બાજુ, બજરંગ દળ જેવાં લુમ્પન તત્ત્વોએ સરજેલી પરિસ્થિતિમાં સરજાતા દબાણથી આ પક્ષને સત્તાલગોલગ લઈ જવાની હદે સૂંડલા મોંઢે મત તો મળે છે પણ એમાં લોકશાહીની રીતે કોઈ વિવેક જળવાતો નથી. રાજકીય સત્તા ચાખી ગયેલ સંઘ માટે આ બંને વચ્ચે સંશુદ્ધ સંતુલન બનાવવાનું અશક્યવત્ છે.
હમણાં પૂરતું 'એડ્વાન્ટેજ અડવાણી' પણ અંતે તો, પેલી કહેવતમાંના ….. આગળ ભાગવત જેવો ઘાટ, બીજું શું.
![]()

