એનું નામ જ કુસુમ. નામ જેવું જ સુકુમાર વ્યક્તિત્વ. કોઈને નડવાની-કનડવાની તો વાત જ કેવી. એ અડે તો પણ ફૂલ સમી માર્દવતાથી ! ફૂલ બનીને એણે સુગંધ વહેવડાવી; તે પણ પોતાના વ્યક્તિત્વની નહીં, એણે સુગંધ વહેવડાવી એના યુગના એક એવા પ્રખર કર્મીની, જેના વિચારોએ વીતેલા યુગોનું નવનીત, વર્તમાન યુગનું ઔષધ અને ભાવિ યુગની નવી ક્ષિતિજોનો ઉઘાડ કરી આપ્યો.
કુસુમ વિનોબાની કલમ હતી. બાબાએ એમના જમાનાની ફાઉન્ટન-પેનનો અનુવાદ કર્યો હતો – ઝરની. આ કુસુમ બાબાની ઝરની હતી. બોલ બાબાના મુખેથી ઝરે ન ઝરે, ત્યાં કુસુમની આંગળીઓ ઝરની બનીને બોલાયેલા બોલને અંકિત કરી દેતી. આમ તો રિપોર્ટરો તરીકે કુંદર દિવાનથી માંડીને મુંદડા, નિર્મળા, મીરા, કાલિન્દી જેવા અનેક લહિયા આવ્યાં ને ગયાં, પણ સૌથી વધારે સમય તો આ કુસુમ જ એમનો પડછાયો બનીને એમની સાથે પદયાત્રામાં અને પાછળથી ‘વિનોબા-નિવાસ’માં પવનાર રહી. વિનોબાનું ‘અંતિમ પર્વ’ પ્રકાશિત થયું, તે કુસુમની કૃપાથી. એ જ રીતે, ભૂદાન-ક્રાંતિના પરોઢનું વર્ણન પણ કુસુમની કલમે જ, વર્ષો પહેલાં ‘ક્રાંતિ કી ઓર’ શીર્ષકથી પ્રગટ થયું, તે પણ એની જ કરણી !
એનું પૂરું નામ – કુસુમ દેશપાંડે. મૂળ અમરાવતી, મહારાષ્ટ્રની. નિર્મલા દેશપાંડે એની ચચેરી બહેન ! નિર્મલાની આંગળી પકડી એ વિનોબા પાસે પહોંચી – બિહાર યાત્રામાં. સ્નાતક તો નાગપુર યુનિવર્સિટીમાં થઈ, પરંતુ વિદ્યા અને વ્રત એમ બેઉ સ્નાતકોનું સ્નાન તો વિનોબાની હરતી-ફરતી વિદ્યાપીઠે જ કરાવ્યું. કુસુમની ડાયરીઓ દ્વારા પ્રકૃતિના વિધવિધ રંગોની રંગોળી સાથે ભૂદાનની અભિનવ ક્રાંતિના ભારતના ગામેગામ પડઘાયેલા સંદેશને પણ એણે દુનિયા સુધી પ્રસાર્યો.
હૃદય એનું કૂણાં માખણ સમું. પાંચ વર્ષો સુધી એની સાથે રાત-દિવસ વિનોબા-પદયાત્રામાં રહેવાનું થયું, પરંતુ ક્યારે ય એની ભ્રમરો તણાયેલી જોવા ન મળી. લગભગ સમવયસ્ક હોવા છતાં, મોટીબહેન બનીને એણે મને સાચવી. એને ઊંચે સાદે બોલતાં જ આવડતું નહોતું. ધીરે ધીરે પોતાના વ્યક્તિત્વને સમેટતી એ ક્યારે વિનોબાને આખેઆખી સમર્પિત થઈ ગઈ, એનું ઓસાણ જ ન રહ્યું. એનું ભાન થયું, વિનોબાની આસામ યાત્રામાં. પદયાત્રા દરમ્યાન, વિનોબાએ ભારત-ચીનની સરહદે, શિવસાગર જિલ્લાના લખીમપુર ખાતે मैत्री आश्रमની સ્થાપના કરી અને ગુણદા તથા લક્ષ્મી બાઈદેવ સાથે પોતાના પ્રતિનિધિ રૂપે કુસુમને પણ અધિષ્ઠિત કરી, ત્યારે ! બાબાની આજ્ઞા હતી એટલે મૈત્રી-આશ્રમમાં રહી. મૈત્રીનો સંદેશ ફેલાવવાનું કાર્ય સ્વીકારી તો લીધું, પરંતુ બાબાનો વિયોગ એ સહી ન શકી. ધીરે ધીરે તબિયત એટલી લથડતી ગઈ કે વિનોબાને પાછી પદયાત્રામાં, પોતાને ઘેર બોલાવી લેવી પડી.
તેર વર્ષની પદયાત્રા બાદ, વિનોબા પવનાર આશ્રમમાં સ્થિર થયા ત્યારે, વળી પાછા વાહનયાત્રામાં બિહાર ગયા ત્યારે પણ સાથે જ હતી. પવનાર-નિવાસ દરમ્યાનની કુસુમની ડાયરીઓ ‘મૈત્રી’ માસિકમાં છપાતી. એમાં રોજેરોજની નાની-મોટી તમામ હલચલ, એવી સુંદર રીતે આલેખાતી રહી કે ‘મૈત્રી’ના વાચકો સર્વપ્રથમ ‘विनोबा-निवास से’ જ વાંચતા.
ધીરે ધીરે બાબાની વાણી ઓસરતી ગઈ, વચ્ચે-વચ્ચે મૌનના ગાળા આવ્યા, ત્યારે પણ ‘બાબા-કુટિ’નો એક ખૂણો જ એની બેઠક-ઊઠકનું કેન્દ્ર બની રહ્યો, અને બાબાના શબ્દને જ નહીં, એમના મૌનને પણ એ અંગીકૃત કરતી રહી. એના નામ કુસુમની જેમ, એને ફૂલો ખૂબ ગમતાં. વિનોબા-યાત્રામાં સ્વાગતમાં મળતાં ફૂલહાર એ બાબા-કુટીની ‘ૐ’ છબી સામે ધરી દેતી. આશ્રમમાં તો સાક્ષાત્ ભરત-રામ હતા, સાથોસાથ અનેક દેવ-દેવીઓની મૂર્તિ ! થોડીક તો ખંડિત મૂર્તિઓ પણ ! રોજ વહેલે પરોઢિયે, ત્રણ વાગે ઊઠી સ્નાન કરી આશ્રમની ફૂલવાડીનાં ફૂલ એ ચૂંટતી અને એકેક મૂર્તિને શ્રદ્ધાપૂર્વક માથે ચઢાવતી. પછી તો ‘વિનોબા-સમાધિ’ પણ ઉમેરાઈ અને આ ફૂલમાલણને જાણે પ્રભુની આરતી ઉતારવાનું મંગળકાર્ય પણ મળી ગયું.
છેલ્લાં વર્ષોમાં, તો મહેમાનો-મુલાકાતીઓનું સ્વાગત કરવાનું કામ એણે ઉપાડી લીધેલું, ત્યારે એની મહેમાનગતિની જે નિષ્ઠા પ્રગટ કરી તે અદ્ભુત હતી. યાદ આવે છે, જ્યારે બાલી ટાપુનાં શ્રીમતી ઓકા મહેમાન બનીને થોડા દિવસ આશ્રમમાં રહેવા આવ્યાં, ત્યારે ખડે પગે હાજર રહીને કુસુમે જે સેવા કરી હતી, તેમાં ‘अतिथि देवो भव -’ આજ્ઞાનું શબ્દશઃ પાલન જોવા મળેલું. આ તો આશ્રમના મહેમાનોની વાત. પરંતુ રોજેરોજ મુલાકાતીઓનાં જે ટોળેટોળાં આવે, તેમને પણ આશ્રમ, આશ્રમવાસીઓ, તથા વિનોબાના વિચારોની જે વિસ્તારપૂર્વક લ્હાણી કરતી, તે પણ અદ્ભુત જ હતું. જીવનભર એને જે કામ મળ્યું, તેને શિર પર આદરપૂર્વક ચઢાવી, પોતાની શક્તિનું બુંદેબુંદ એણે ખર્ચી બતાવ્યું.
આવી આપણી કુસુમને છેલ્લાં વર્ષોમાં સ્મૃિતભ્રંશ થયો. એકની એક વાત એક જ માણસ સાથે કરતી રહે, અરુણ ત્યાં જાય તો મળતાં વેંત પૂછે मीरां कैसी है ? – વળી કલાકે મળવાનું થાય તો ફરી પૂછે – मीरां कैसी है ? – સભામાં બાબાનાં સ્મરણો કહેવાનું સોંપાય, તો એકનો એક પ્રસંગ ફરી-ફરી દોહરાવ્યા કરે ! ભૂલી જવાના આ રોગે એની તમામ સ્મૃિતઓને હરી લીધી. આવી કુસુમપ્રિયા કુસુમની અંતિમ માંદગી પણ ‘કુસુમ’ને કારણે જ થઈ ! વહેલી સવારે ફૂલ ચૂંટતાં પગ લપસ્યો, પડી. પગ ભાંગ્યો ! ફરી એક વાર પડી અને એવી પડી કે પથારીમાંથી ઊભી જ ન થઈ ! છેલ્લી માંદગી ઘણી લાંબી ચાલી. ડૉક્ટરે તો ઘણા વહેલા કહી દીધું હતું કે હવે પથારીમાંથી ઊભાં થાય તો જ નવાઈ ! પણ કોણ જાણે કેમ, એને ‘કશાક’ની રાહ હતી. ૧૧મી સપ્ટેમ્બર તો વીતી ગઈ, પણ દિવાળી આવવાની બાકી હતી !
દિવાળી પણ આવી ને ગઈ ! પંદરમી નવેમ્બર આવી ! એ દિવસે તો કીર્તન-પાઠ કરવાનાં હોય ! એ બધું પૂરું કર્યું. અને સોળમી નવેમ્બરે બપોરે અઢી વાગે અંતિમ શ્વાસ વિનોબાનાં ચરણોમાં વિસજિર્ત કરી એ ‘વિનોબા-નિવાસે’ પહોંચી ગઈ ! ૩૦ નવેમ્બર-૧૯૩૦માં એ જન્મી, ૧૬ નવેમ્બર ૧૫ની બપોરે એ વિદાય થઈ.
એક એવું ફૂલ, જેમાં સુગંધના દીવા થયા, વંદન કરો !
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2016; પૃ. 15
![]()


કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિત દિન બારમી મેએ બહાર પડેલા, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માકર્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વિશ્વીકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.
મુકુલભાઈના ઉપર્યુક્ત જીવનકાર્યની અભ્યાસપૂર્ણ છણાવટ ઉપરાંત આ દસ્તાવેજી મહત્ત્વ ધરાવતા પુસ્તકમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી પણ મળે છે. જેમ કે પી.આર.એલ.માંથી મુકુલની હકાલપટ્ટી સામે સુપ્રીમ કોર્ટમાં લડનારા ગિરીશ પટેલની આંખોમાં હાર પછી આંસુ આવી ગયા હતા. ત્યારે મુકુલે તેમને દિલાસો આપતાં કહ્યું હતું : ‘એક વાત તો સ્પષ્ટ થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રે મારું કોઈ સ્થાન નથી કારણ કે વિજ્ઞાન અને કામદાર સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી !’ પી.આર.એલ. એ એવી પણ ગોઠવણ કરી હતી કે મુકુલને ભવિષ્યમાં ક્યાં ય નોકરી ન મળે. જામનગરમાં રિફાઈનરીની સ્થાપના વખતે તેમણે રિલાયન્સ સામે પરવાળાં બચાવવા માટે કેસ કર્યો હતો અને ‘પોટા’ના કેટલા ય આરોપીઓને તેમણે બચાવ્યા હતા એ માહિતી તેમનાં પત્ની નિર્ઝરી સિન્હાના લેખમાં મળે છે. તેમાં અને હર્ષ મંદેરના લેખમાંથી એ પણ જાણવા મળે છે કે મુકુલ અને તેમના સાથીઓએ ગોધરાકાંડ કોમવાદી કાવતરું નહીં પણ એક ભીષણ અકસ્માત હોવાનું સાબિત કરવા માટે બહુ સંશોધન કર્યું હતું. મંદેર એ પણ જણાવે છે કે મુકુલ કામદારો અને ઝૂંપડાવાસીઓનાં કેસો માટે ફી ન લેતા. તે પત્રકાર રના અયૂબને ટાંકીને નોંધે છે કે સરકારના જૂઠાણાંનો રોજબરોજ પર્દાફાશ કરતી ‘ટ્રુથ ઓફ ગુજરાત’ વેબસાઈટ મુકુલ તેમના પુત્ર મિહિરની મદદથી કિમોથેરાપીની પીડા વચ્ચે પણ ચલાવતા. મિઝોરમના બનાવટી એન્કાઉન્ટર્સ અંગેની ઊલટતપાસમાં સિન્હાએ ત્યાંના સુરક્ષાકર્મીઓને કેવી રીતે ખુલ્લા પાડ્યા તેની રસપ્રદ માહિતી મનીષા સેઠી લખે છે. મિહિર દેસાઈનો લેખ જણાવે છે કે મુકુલે પોતાના વૈજ્ઞાનિક સંશોધનને આધારે ગુજરાતના ભૂકંપનું એપિસેન્ટર સરકાર કહે છે તેનાથી જુદું હતું એ બતાવી આપ્યું હતું. કોમી રમખાણો પછી ન્યાય માટેની લડતનાં વર્ષોમાં મુકુલને મોટો હાર્ટ એટેક આવ્યો હતો અને નિર્ઝરીબહેનને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મુકુલ ફેફસાંના કૅન્સરથી ગયા વર્ષે ત્રેંસઠની ઉંમરે અવસાન પામ્યા. અજિત સાહીના લેખમાં તેમના ટ્રેડ યુનિયન લૉયર તરીકેના કામ અને તેમાં ય કલ્યાણજી આણંદજીની પેઢીના કર્મચારીઓની લડતની પ્રેરક વાત છે. પ્રવીણ મિશ્રા લખે છે : ‘મુકુલના જીવનના અનેક રંગ હતા – કર્મશીલ, વિજ્ઞાની, વકીલ, રસોઈયા, કવિ, ગાયક, પ્રેમી, પિતા, બિરાદર અને દરેક સાથીની ચિંતા કરનાર તેમ જ તેમને વિશેની ગેરસમજની કોઈ ચિંતા ન કરનાર, એવા બહુ મોટા માણસ હતા.’ અઠંગ આશાવાદી મુકુલ સિન્હાના લોકશાહી અને બંધારણની અંદરના વિશ્વાસને વ્યક્ત કરતાં વક્તવ્યો પણ પુસ્તકના તસ્વીરકાર પ્રવીણ નોંધે છે. ઉપેન્દ્ર બક્ષી મુકુલ સિન્હાને નાગરિકની ફરજો અને તેના પાલન અંગેના ‘બંધારણના અનુચ્છેદ ૪અ-નો જીવતોજાગતો દાખલો’ ગણાવે છે. મુકુલના કામમાં વિજ્ઞાન, કાનૂન અને માનવઅધિકાર ત્રણેયનો સુમેળ સધાયો હતો એમ પણ બક્ષી માને છે.