'સંવિત્તિ' : એક સાર્થક સાહિત્ય-સેતુ
'સંવિત્તિ' ઝંખે છે કે એ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે, ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે
ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું એક નવપ્રસ્થાનની રાહ જોઇ રહ્યો છું. એક એવો પ્રભાવકારી બદલાવ -ઑપરેટિવ શિફ્ટ – એક ઍક્શન, એક ઍક્ટિવિટી, જે સાહિત્ય અને જનસામાન્યને જોડે. સાહિત્યને જિવાતા જીવનની વચ્ચોવચ લઈ જાય. શ્લોકને લોકમાં રમતો કરે. એકવચનીયને બહુવચનીય રૂપે ફેલાવે. શિષ્ટ-પ્રશિષ્ટને પ્રજાજનોમાં પ્રસરાવે. કહેવાનો મતલબ એ છે કે સાહિત્યકારને એના અતિઆત્મરતિથી લેપાયેલા ધૂંધળા ઓરડેથી છૂટો કરી નગરચૉકમાં લઈ આવે. સાહિત્યને યુનિવર્સિટીઓની જડસુ દીવાલોમાંથી બહાર કાઢીને નવપ્રાણિત કરે. ઉપકારક સાહિત્ય-સેતુ રૂપે સ્થિર થાય.

વાત એમ છે કે તાજેતરમાં મને એક સાર્થક સાહિત્ય-સેતુની ભાળ મળી છે. એ છે વડોદરાની સંસ્થા, 'સંવિત્તિ'. સંવિત્તિ એટલે, સંવેદના – સૂઝસમજ – અનુભૂત જ્ઞાન. 'સંવિત્તિ' મહિલાઓ માટે છે. એનો ધ્યાનમન્ત્ર છે : 'વીમેન લિવિન્ગ બાય લિટરેચર' – નારીજીવન સાહિત્યસંગે. સંસ્થાનો આશય શું છે? પીડિતા યુવતીઓને કિશોરીઓને અને આર્થિક કે સામાજિક રીતે અશક્ત કે માનસિક રીતે અસ્વસ્થ તેમ જ વિકલાંગ અનાથ સ્ત્રીઓને કે રોગગ્રસ્ત વૃદ્ધાઓને સાહિત્યની રીતેભાતે જીવન જીવવાને સમર્થ બનાવવી. 'સંવિત્તિ' પોતાના સાહિત્યિક કાર્યક્રમો લઈને પ્હૉંચી જાય છે વૃદ્ધાશ્રમોમાં કે જૅલમાં કૅદી હતાશ સ્ત્રીઓ પાસે. આદિવાસી કે ગ્રામીણ અરે પોલીસકર્મી બેનો પાસે કે ક્યારેક સ્લમનાં બાળકો પાસે પણ જઇ પ્હૉંચે છે. મને લાગે છે, હું કશા આવા જ નવપ્રસ્થાન વિશે કહી રહ્યો છું.
એની વિશેષતા એ છે કે એમાં સાહિત્યસર્જન એક ઈવેન્ટનું -ઘટનાનું – રૂપ પકડે છે; અ કાઈન્ડ ઑફ હૅપનિન્ગ. 'સંવિત્તિ'-કારોની રજૂઆત એવી તો પ્રભાવક હોય છે કે સામે બેઠેલાં સૌ સીધાં જ સાહિત્યપદાર્થ સાથે જોડાઇ જાય. સહભાગીતા શરૂ થાય અને એ દરેકની શક્તિમતિ અનુસારનાં અનુ-સર્જન થવા માંડે. જેમ કે, સુરેશ જોષીકૃત ટૂંકીવાર્તા 'થીગડું' વંચાતી ન હોય, કહેવાતી હોય. સાંભળનારાં સાવધચિત્ત થઇ સાંભળે. પછી પાત્ર બની જાય -'પ્રભાશંકર' 'પારવતી' કે 'મનુ'. સૌ એને ભજવે. ઝૂમી ઊઠે. અને એમ કથાને દિલોદિમાગથી જીવવાનો આનન્દ લૂંટે. સાહિત્ય અંતરમાં ઝિલાય. કલા ઉત્સવ બની જાય.
ઑપરેટિવ શિફ્ટની આ વાત નવી નથી. જુઓ, પેઈન્ટિન્ગમાં ઈન્સ્ટૉલેશન આર્ટનો પ્રવેશ થયો -મોટો શિફ્ટ. ચિત્રકૃતિઓના સદ્યોવેદી – પાલ્પેબલ – ભૌતિક અવતારો પ્રગટવા લાગ્યા. દૃશ્ય ચિત્રકલા શ્રાવ્ય સ્પર્શ્ય અને ચલચિત્રાત્મક બની. જુઓ, શિષ્ટ-પ્રશિષ્ટ નાટ્યપરમ્પરા હતી. ભવાઇ જાતરા નૌટંકી પ્રગટ્યાં. નાટક લોકજીવનનો હિસ્સો બની ગયું. નાનપણની એ વાત મને યાદ છે – રાત પડે ને અમે મોહન દરજીના ચૉગાનમાં ભવાઈ જોવા ધૂળમાં બેસી જઇએ !
સાહિત્ય, સંસ્કૃત પછી પ્રાકૃત / અપભ્રંશમાં અવતર્યું. તેમાં ય સરળ સેતુ માટેની સામાન્ય જનોની માંગનો ફાળો મોટો હતો. જુઓ, 'ભાગવત' 'રામાયણ' અને 'મહાભારત'-ને સુગમ રીતિ-પદ્ધતિના કથાકારો ન મળ્યા હોત તો વાત પોથીઓમાં ઢબુરાયલી રહી હોત. દર વર્ષે 'રામલીલા' જેવી હાસ્યરંજિત હળવાશભરી પ્રવૃત્તિ ન સંભવી હોત. 'ગામઠી ગીતા' ન રચાઈ હોત. ગાયન વાદન અને નર્તનના કલાધરો લોકમાં પ્હૉંચી જવા તલપાપડ હોય છે. એમની એ ધગશને કારણે પણ કબીર કે નરસિંહ-મીરાં જનહૃદયમાં વસ્યાં છે. સામાજિક દુરિતો પર કોલકાતાના કાલિઘાટ પેઈન્ટર્સ પોતાનાં ચિત્રો વડે પ્રહારો પણ કરતા. ગૃપમાં ચિત્રો કરતા – ઘણી વાર તો પરિવારનું દરેક સભ્ય ચિત્રને પૂરું કરે. એ ગૃપ-સર્જકતાને કારણે ચિત્રકૃતિ સરળ થઇ જતી પણ એથી એની સોશ્યલ અપીલ તીવ્ર થઈ જતી. જનમાનસમાં કાલિ અને દુર્ગા આદિ દેવીમાતાઓની ચિરંજીવી છબિઓ જે અંકાઈ છે તે એમની આ વિલક્ષણ પદ્ધતિનું પરિણામ છે.
'સંવિત્તિ'ની સ્થાપના થઇ છે, ૨૦૧૭-માં. બીજરૂપ વિચાર હતો સાહિત્યકાર, અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં ઍસોસિએટ પ્રૉફેસર, ડૉ. દર્શિની દાદાવાલાનો. બીજ ફળ્યું છે. સંસ્થાનો આકાર બંધાયો છે. 'સંવિત્તિ ફાઉન્ડેશન' ટ્રસ્ટ અને સોસાયટીની સ્થાપના થઈ છે. દર્શિની મૅનેજિન્ગ ટ્રસ્ટી અને પ્રમુખ છે. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને લૉર્ડ પ્રૉ. ભીખુ પારેખ પૅટ્રન છે. 'સંવિત્તિ'-ને સ્વામી બ્રહ્માત્માનન્દજીના શુભાશિષ સાંપડ્યા છે. વડોદરાની નામાંકિત વ્યક્તિઓ ટ્રસ્ટીમંડળમાં છે. ઍડવાઈઝર્સ અને વૅલવિશર્સ પણ સાંપડ્યાં છે. કાર્યક્રમનું સંકલન-સંયોજન કરનારી મહિલાઓને 'સંયોજક', કૃતિ રજૂ કરનારને 'સાહિત્યમિત્ર', રજૂઆતમાં સહયોગી થનારને 'સહયોગી' અને એ સૌને સામે બેસી સાંભળનાર-ઝીલનાર મહિલાઓને 'સહૃદય' જેવાં સૂચક પદ અપાયાં છે. આમ 'સંવિત્તિ' સુઆયોજિત સંગઠન રૂપે કાર્યરત છે અને પોતાના ધ્યેયને વિશે ચૉક્સાઈથી વિકસી રહ્યું છે.
પુરા કાળે કાવ્યનો પાઠ થતો. કથાનું કથન થતું. શબ્દ સાંભળવા માટે હતો. સર્જન એક કાર્ય -ઍક્શન – હતું. ભાવન પણ કાર્ય હતું. સર્જન કરનારાં અને શ્રવણ કરનારાં એકબીજાં સામે હાજર હતાં. પરન્તુ સાહિત્યનો શબ્દ આપણા જમાનામાં આવતાંવૅંત લેખન વાચન અને પ્રકાશનનો મામલો બની ગયો – જાણે ટાઢોહિમ પથરો ! સર્જક ગેરહાજર હોય ને છપાયેલા શબ્દ જોડે વાચકોએ માથાં ફોડવાનાં – એમ જ ક્હૅવાય ! ક્રમશ: સાહિત્ય યુનિવર્સિટીઓમાં ઢંગધડા વગરનાં લૅક્ચરો વડે ચર્ચાતું ને ટીચાતું ચાલ્યું. બેઢંગ પરિસંવાદોમાં એના બૂરા હાલ પણ થયા.
સરવાળે સાહિત્ય આજે યુનિવર્સિટીઓમાં કેદ છે. ધુરીણ સાહિત્યકારોના મનઘડંત આદર્શવાદમાં અને સૅમિસ્ટર સિસ્ટમની જંજાળમાં સપડાયેલું છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મૂંગાં-નાં-મૂંગાં રખાયાં છે. પ્રશ્નોત્તર નામનું ઈન્ટરઍક્શન છે જ નહીં. પાઠ્યપુસ્તકો વર્ગમાં કોઇ લાવતું નથી. ઘરે હશે? પરીક્ષાઓમાં ચોરીઓનો પાર નથી. લાગે કે ડિગ્રીઓની છૂટે હાથે લ્હાણી થઇ રહી છે. કરમની કઠણાઈ તો જુઓ, પ્રજા લગી સાહિત્ય પ્રસરી શકતું નથી ને પ્રજા સાહિત્યને અલાબલા સમજે છે ! મને તો સાહિત્યનો જયવારો આટલાંતેટલાંમાં નથી જ દેખાતો -સિવાય કે આપણામાં હૉંશ જાગે ને આપણે 'સંવિત્તિ' જેવા અનેક સાહિત્ય-સેતુઓ રચીએ …
નૉંધપાત્ર વાત એ છે કે અત્યારસુધીમાં 'સંવિત્તિ'-એ આશરે ૧૫૦ કાર્યક્રમો કર્યા છે. હાલ એમાં ટૂંકીવાર્તાઓનું કહો કે કથાસાહિત્યનું સાધન હાથ ધરાયું છે. જેસલ-તોરલ કે પંચતન્ત્રની વાર્તાઓ, 'લોહીની સગાઇ', 'થીગડું', 'ઍગામૅમ્નોન', 'મળેલા જીવ', 'લાસ્ટ લીફ', 'જૉનાથન લિવિન્ગ્સ્ટન સીગલ', 'સુદામાચરિત્ર', ટાગોરકૃત 'ભિખારીન્', 'અરેબિઅન નાઇટ્સ' વગેરે ૨૦૦ જેટલી રચનાઓનો વિનિયોગ થયો છે.
સાહિત્ય આજે અનુ-આધુનિકતાના પ્રસરણશીલ સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પ્રસરીને એણે હાંસિયામાં સબડતાં મનુષ્યો લગી ખાસ પ્હૉંચવાનું છે. આ સમય છે નારીપીડા અને વંચિતોની વ્યથાઓને ઉકેલવાનો; એની પાછળ છુપાયેલાં સત્તાતન્ત્રોને આ પ્રકારનાં સુયોજિત ઍક્શન્સ વડે ઢંઢોળવાનો. નૉંધો કે 'સંવિત્તિ'-કારો નારીવાદનાં પરિભાષાબદ્ધ જડબાંતોડ વ્યાખ્યાનો નથી કરતાં; સ્ત્રી-સશક્તિકરણની ચાંપલી ચાંપલી વાતો નથી કરતાં; પરન્તુ દુખિયારી સ્ત્રીઓને સાહિત્યરસે ભીંજવે છે, એમનાં મનહૃદયને સંતર્પે છે, અને એમ એમના આત્મબળને જગાડે છે. 'સંવિત્તિ' ઝંખે છે કે મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને એમની ખુદની સંવિત્તિની પ્રભા પ્રસરે. ચોપાસ નારીચેતના સ્વયં પ્રકાશે.
પ્રાણસભર સાહિત્યનું પ્રસરણ નહીં થાય તો એ ગૉંધાઇને સડી જશે. સામે બેઠેલાંઓનાં આત્મામાં સાહિત્ય રોપાય છે ત્યારે એમની સર્જકતા પણ ખીલે છે. સર્જકતાથી સર્જકતા – વર્તુળ રચાય છે. સાહિત્યનું એક ભાવિ ભળાય છે. હું ઈચ્છું છું કે 'સંવિત્તિ'-નો પરિઘ વડોદરાથી વિસ્તરીને ગુજરાતભરમાં પ્રસરો. અભિનન્દન અને હાર્દિક શુભેચ્છાઓ.
= = =
[સૌજન્ય : શનિવાર તારીખ ૬/૪/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ]
![]()


મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી.
પણ જેમજેમ વાંચવાનું થયું, તેમ સમજાતું ગયું કે ગુજરાતીમાં જ્ઞાન તો અઢળક છે. મનુભાઈ પંચોળીનું એક પુસ્તક વાંચવામાં આવ્યું : ‘આપણો વૈભવ અને વારસો’. તેમાં માંડ અઢીસો પાનાંમાં છેક આર્યોથી લઈને સાતમી સદી સુધીના ભારતના ઇતિહાસનાં જે મહત્ત્વના પ્રવાહો અને નિરીક્ષણો તેમણે આપ્યાં છે, તે આશ્ચર્યચકિત કરનારાં છે. આ ઇતિહાસ રાજામહારાજાઓનો નથી, લોકજીવન-સમાજજીવન અને ધર્મનો પણ છે. તેમાં વિગતોનો અને સાલવારીઓનો ખડકલો નથી, મિથ્યાભિમાન નથી ને લઘુતાગ્રંથિ પણ નથી. તે વાંચ્યા પછી જે વિચારભાથું મળે છે, તે વર્તમાનમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે એવું છે.