આમાં કોઈનાથી કંઈ બોલાય નહીં. ભ’ઈ! કમાયા છે તો ખરચે. બે લાખની કંકોતરી આપે, કે પાંચ લાખની, ઉપરથી તારાનો ભૂકો કરીને નવદંપતી પર વરસાવે કે સૂર્યને મંચ પાછળ ટાંગે, આપણો શો વાંધો હોય, ભલા? મોટેરાંઓને ઘેર લગન, તે તો ભવતારણ, અને પીડાઉગારણ. આપણે એમાં કોઈ વાંધોવચકો નહીં. લગનમાં કોણ નાચ્યાં, કેવા ફેંટા પહેર્યા, કોણ પરી જેવું લાગ્યું ને કોણ રાજા જેવું, આપણે કબૂલમંજૂર, ગાંધીની દોઢસો વરસની જે ઉજવણી હોય તે, આપણે તો સાચાં મોતીની ચટણીનાં પિરસણ, ત્યાં લગનમાં હતાં, એ જ કથા ને ત્યાં કોણ-કોણ હતાં, દેવાધિદેવ ઇન્દ્ર? સાક્ષાત્? ના હોય!
– પણ અખબારનું એક પાનું આ ગુલાબી ફેંટાઓને નામે અને લાલ જાજમોને નામે લખી આપે મીડિયાવાળા, ત્યારે તો એનો ડૂચો વાળીને કચરાપેટીમાં પધરાવવાનું જ દિલ થાય. આ નવી ખુશામતિયા જમાતને નથી દેખાતું નવયુવાન, ડિગ્રીધારી બેકારોનું દુઃખ, નથી એમની આંખે દેખાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરી નોકરીની લાંબા સમયથી વાટ જોતા નવલોહિયાઓની તરફડતી ચિંતા, દિલ્હીમાં વિરોધપ્રદર્શનો કરતો, આખા દેશમાંથી એકઠો થયેલો જનસમુદાય, પેલા રૂપાળાઓની સ્પર્ધામાં નોંધપાત્ર ન ગણાય, એમની તસવીર ન છપાય, સ્થળસંકોચ ખરોને? દેશની જીવલેણ સમસ્યાઓની વાત સમાચાર ન ગણાય, એને માટે તમે ગણ્યાંગાંઠ્યાં અખબારો કે વિચારપત્રો પાસે જાવ, ધંધાદારી છાપાં તો જંકફૂડની બારીઓ પર મળતું ચટાકેદાર જ ધરવાનાં.
– પછી સર્જાય સ્પર્ધા. પેલા અબજોપતિ, તો આપણે કંઈ લાખોપતિ નથી શું ? લગ્નના ઠાઠ એમને ત્યાં, તો આપણો લાખેણો કંઈ નાખી દેવાનો છે ? કરો ઠઠારા આપણે ય તે, ખરચો સજાવટ પાછળ, અને મંચ પર ભજવાતાં નાટકો પાછળ, પચાસ હજારનાં કપડાં ને પચાસ હજારનાં ઘરેણાં, દેખાડો કરવામાં પાછાં પડીએ તો નાક નાનું થઈ જાય! લગ્નની ઋતુમાં આખો સમાજ ચેપીરોગથી પીડાતો હોય એવું, ને જે નરવાં રહી શક્યાં હોય તેની સામે રોગગ્રસ્તો સૂગથી જુએ, છેક આવાં? તમને તો કશો ઉમંગ જ નથી, યાર, મઝા કરોને શુભમંગલમાં, ખાવ, પીઓ, ઝાપટો મિષ્ટાન્ન બરાબર! બગાડ? એમાં વળી બગાડ કેવો? ગરીબો? ક્યાં છે ગરીબો? વધે તે વહેંચીશું એમને, બસ? પછી કોઈ વાંધો? પૈસા ખરચનાર પાસે અને જલસામાં સામેલ થનાર પાસે બધા જવાબો અને સ્પષ્ટતાઓ.
વળી આ વૈભવ, અથવા ખૂની ભભકાઓની પ્રશસ્તિ માટે છાપાળવી ભાષા નોંધી છે તમે ? અમુકતમુક પ્રકારનાં (અહીં વસ્ત્રોનું વર્ણન) કપડાં અને મોજડીમાં એ શોભતાં હતાં (નારીનર બંને). તાકાત છે કોઈની કે એમ લખે કે નહોતાં શોભતાં! એમના ચહેરા પર ખુશી ઝળકતી હતી, એયે લખવું પડે! છાપું ખરીદનારે આ બધી માહિતી માટે ચાર કે પાંચ રૂપિયા ખર્ચ્યા હશે? ફૂલો કયા રંગના વાપર્યાં, ગણેશની પ્રતિમા સામે ચાંદીનું નાળિયેર ગોઠવ્યું કે સોનાનું, વરકન્યાએ કયું અને મહેમાનોએ કયું પરફ્યુમ વાપર્યું, મહેંદી મૂકવા કોણ આવેલું અને બ્યુટીપાર્લર કયું, આ બધી વિગતો કેમ રહી ગઈ? ખબરપત્રીઓ પહોંચી ન વળ્યા? દેશના ધનપતિઓ સંપત્તિના ઉપયોગ અને પ્રદર્શન માટે સ્વતંત્ર છે, વાઘનું તો મોં ગંધાય એમ ન બોલાય. શિસ્ત તો માધ્યમો દ્વારા પળાવી જોઈએ, માત્ર શિસ્ત નહીં, જેને શુદ્ધ વિવેક કહેવાય છે, એ જાળવવાનું કામ સમૂહ- માધ્યમોનું અને જેની પહોંચ વ્યાપક છે એવાં અખબારોનું. આવકની અત્યંત અસમાન વહેંચણીવાળા આ દેશમાં કે જ્યાં કામ કરવા જે તૈયાર છે તે સહુને પણ કામ નથી મળતું. એવી લાચાર સ્થિતિમાં જીવન પસાર થઈ રહ્યું છે, અને આ હકીકત હવે સહુ જાણે છે, ત્યારે સંપત્તિનાં આવાં વરવાં પ્રદર્શનોના પ્રસાર-પ્રચાર શા માટે? સાદાઈ અને કરકસર તો આજે લગભગ દુર્ગુણ ગણાવા લાગ્યા છે ત્યારે સંપન્નોને કશી સલાહ નથી આપવાની એમણે શું કરવું જોઈએ, તે એમના પર છોડીએ, પણ આ ઠાઠમાઠની કથાઓ બહેલાવવી અને મમળાવવી અને સામાન્ય પ્રજાને માથે મારી એમને જંકફૂડની આદત પાડવી, જેમને પડી ગઈ હોય, એમની આદત મજબૂત બનાવવી અને સંયમની મજાક ઉડાવી, વેડફાટનું ગૌરવ કરવું, શેને માટે? નીરવ મોદીના ખંડેરની કણી મળી ખરી? ગ્લેમર – સત્તા અને સંપત્તિ સાથે જોડાયેલા જ છે, એને માથે લઈને નાચવાનું નહીં જ અટકે આ દેશમાં?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 15
![]()


કહી શકશો, આ શબ્દો ક્યારે, કોણે, લખ્યા અને છાપ્યા હશે? ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ તે પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો પ્રગટ થયા હતા, સુરતથી પ્રગટ થતા માસિક ‘સ્વતંત્રતા’માં. એ માસિક શરૂ કર્યું હતું ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ નામના એક પચીસ વર્ષના નોન-મેટ્રિક યુવાને. અગાઉ મુંબઈમાં ‘આર્યમિત્ર’ અને ‘મુંબઈ સમાચાર’માં અખબારમાં કામ કરવાનો થોડો અનુભવ લીધેલો તેની મૂડી, અને કેટલાક મિત્રોનો સાથ.
કોણ હતા, આ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ? બાપદાદાની મૂળ અટક તો હતી ‘નીમકસારી.’ અકબર બાદશાહે કુટુંબના આદિપુરુષ નારણદાસ તાપીદાસને સુરત અને ભરૂચ જિલ્લાનાં કેટલાંક ગામોમાં પાકતા નમક (મીઠા) પર કર ઉઘરાવવાનો હક્ક આપેલો. એટલે તેઓ ‘નીમકસારી’ તરીકે ઓળખાયા. પણ પછીથી કુટુંબની અટક દેસાઈ થઇ. એ કુટુંબનાં સૂર્યરામ અને પ્રાણકુંવરને ત્યાં સુરતની દેસાઈ પોળમાં ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે ઇચ્છારામનો જન્મ. પિતા સૂર્યરામે અંગ્રેજ સરકારના લશ્કરમાં સાત રૂપિયાના પગારે સિપાઈ તરીકેની નોકરીથી કારકિર્દી શરૂ કરેલી. પહેલા અફઘાન યુદ્ધમાં લડવા કાબુલ ગયેલા. લડાઈમાં પંદર-સોળ ઘા સામી છાતીએ ઝીલીને પાછા આવેલા. માસિક ૪૬ રૂપિયાના પેન્શન સાથે નિવૃત્ત થયેલા.
૧૮૮૦ની એક સવારે ઇચ્છારામના બાળપણના દોસ્ત મગનલાલ ઠાકોરદાસ મોદી (સુરતની એમ.ટી.બી. કોલેજ શરૂ કરવા માટે બે લાખ રૂપિયાનું દાન આપનાર. રૂના મોટા વેપારી.) ખાસ ઇચ્છારામને મળવા મુંબઈથી સુરત આવ્યા. તે વખતે ઇચ્છારામ કાનના દુખાવા અને તાવથી પીડાતા હતા. પણ તેની દરકાર કર્યા વગર મગનલાલે કહ્યું: “આમ સસરાનું ખાઈને ક્યાં સુધી પડ્યો રહીશ? ચાલ મારી સાથે મુંબઈ. અહીં બેકારીમાં સબડવા કરતાં તો મુંબઈમાં મરવું સારું.” અને મગનલાલ લગભગ પરાણે ઇચ્છારામને મુંબઈ લઇ ગયા. તાવ તો રસ્તામાં જ ઉતરી ગયો. કાનનો દુખાવો પણ ઘટી ગયો. હકીકતમાં મગનલાલને સુરત મોકલ્યા હતા એક જાણીતા વ્યાપારી અને જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથ્થુભાઈએ. તેઓ નવું અઠવાડિક કાઢવા માગતા હતા અને તેના અધિપતિ (તંત્રી) તરીકે ઇચ્છારામની ભલામણ થઇ હતી. આ વાત જાણતાં જ ઇચ્છારામ તો રાજીના રેડ. મુંબઈમાં કવિ નર્મદને મળ્યા, મણિલાલ નભુભાઈને મળ્યા, રતિરામ દુર્ગારામ દવેને મળ્યા, બીજા કેટલાક અગ્રણીઓને મળ્યા. સૌનો સહકાર માગ્યો. મળ્યો. નવા અઠવાડિક માટે કવિ નર્મદે નામ સૂચવ્યું: ‘ગુજરાતી.’ અને ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ‘ગુજરાતી સાપ્તાહિક’નો પહેલો અંક બહાર પડ્યો. પહેલા ચાર મહિના દર અઠવાડિયે નકલો મફત વહેંચી. છતાં પહેલા વર્ષને અંતે ગ્રાહકોની સંખ્યા ફક્ત ૧૪૫! પણ સાથોસાથ બે હજાર નકલ મફત વહેંચાતી. ઇચ્છારામ પર સુરત રાયટ કેસના વખતથી ફિરોઝશાહ મહેતાનો ઊંડો પ્રભાવ હતો. આથી ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ ત્યારથી ‘ગુજરાતી’ સાપ્તાહિકનું વલણ સતત કોન્ગ્રેસ તરફી રહ્યું. એ વખતે કોંગ્રેસની તરફેણ કરતું તે મુંબઈનું એકમાત્ર પત્ર હતું.
જે સમાચાર આવું આવું થવાનો ડર હતો, તે આવી ગયા છે. આશા, અપેક્ષા તો એવાં હતાં કે તંત્રીમહોદય શુભેચ્છકોની લાગણી હૈયે ધરશે, પરંતુ એમ ન બન્યું. સામાન્યપણે નિયમિત ન મળતું ‘નયામાર્ગ’ સમયસર મળ્યું! તેમાં શરૂઆતના સાંપ્રતના પાનાંમાં છેલ્લી નોંધ ‘નયામાર્ગ’ને તા. ૩૧-૩-૨૦૨૦થી વિરામ આપવાની છે. વિરામ કાયમ માટે છે. વળી, ચાલુ રાખવા વિશે પત્રવ્યવહાર ન કરવાની છેલ્લી અરજ છે, તેથી આ વાત ગુજરાતના પાક્ષિક વિચારપત્રના પાને લાવવી રહી.
‘નયામાર્ગ’ ૧૯૮૧થી ઇન્દુભાઈ સંભાળતા હતા. તે પૂર્વે ભીખુભાઈ વ્યાસ તેના પ્રથમ તંત્રી હતા. ‘નયામાર્ગ’ના પાયામાં સનત મહેતા અને ઝીણાભાઈ દરજી. એક સમાજવાદી, બીજા ગાંધીવાદી. પાયાનાં બંને તત્ત્વો ‘નયામાર્ગ’ બંધ થાય છે, ત્યાં સુધી બરાબર જળવાયાં. ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે’ આ પાક્ષિક પ્રતિબદ્ધ રહ્યું. ગુજરાત પાસે આવું બીજું સામયિક નથી, તેથી જ દુઃખ કરવાપણું છે. ઊંઝા પરિષદે ઠરાવ્યા મુજબની જોડણીમાં તે પ્રસિદ્ધ થતું હતું. જોડણી અંગેની પુરવણીઓ તેમણે કેટલોક સમય નિયમિત છાપી. પોતાનું સામયિક બંધ કર્યા પછી મહેન્દ્ર મેઘાણીને જ્યારે કંઈક લખીને કે સંપાદિત સ્વરૂપે રજૂ કરવાનો સોલો ઊપડતો, ત્યારે ઇન્દુભાઈને તે માટે ‘નયામાર્ગ’નાં પાનાં ફાળવતાં દિલીઆનંદ અનુભવાતો. આવી ઉદારતા અન્ય સામયિકોએ કેળવી હોવાનું જાણ્યું નથી.