હજુ વીસમી જુલાઈએ સ્તો કથિત પ્રકાશોત્સવમાં દિલીપ ચંદુલાલ (૨૧-૬-૧૯૩૮ • ૨૪-૭-૨૦૧૯) ઉપસ્થિત નહીં રહી શક્યાનો સહજોલ્લેખ કરવાનું બન્યું ત્યારે ખયાલ નહોતો કે તરતના દિવસોમાં જ એ સ્મૃતિશેષ હશે. સ્મરણયાત્રી કાકાસાહેબ સરખી કલમ હોય મારી કને તો ‘નાપાસ થવાના લાભ’ એવા માથાબંધ સાથે અમારી મૈત્રી વિશે સોજ્જું લખી શકું.
૧૯૫૭માં ઇન્ટર આટ્ર્સમાં નપાસ થતાં હું લૉ આટ્ર્સમાંથી એલ.ડી.માં ગયો, અને તેજસ્વી કારકિર્દી ધરાવતા દિલીપ સી. ત્રિવેદીએ સાયન્સ અડધેથી છોડી આટ્ર્સમાં દાખલ થવાનું નક્કી કર્યું એમાં અમારો મેળ પડતાં પડી ગયો. આજુબાજુના વિદ્યાર્થી વર્તુળમાં, મને લાગે છે, ‘ટાઈમ્સ’ અને ‘સંસ્કૃતિ’ વાંચતા કદાચ અમે બે જ હોઈશું. પાછળથી દિલીપ કહેતો હતો કે એક વાર મેં (દિલીપે) વાતવાતમાં અમૃતા શેરગિલ અને અમૃતા પ્રીતમને ગોટવી માર્યા ત્યારે તમે સુધાર્યું એટલે મને તમારી સાથે રસ પડ્યો. આ તો જાણે કે સ્થૂળ વિગત થઈ પણ અમારો તાર જોડાઈ ગયો તે જોડાઈ ગયો. લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં પણ એની પહેલથી અમે સાથે રહ્યા. એની સોબતમાં સંઘ-ગાંધી છેડેથી માર્ક્સમાં પ્રવેશનુંયે એક સુવાણ રહ્યું. જો કે અમારી ભૂમિકામાં, મારો ઝુકાવ પ્રતિલોમ ગાંધી અને ગાંધીસાત્ માર્ક્સનો ધીરેધીરે બની રહ્યો. એ ગાંધીચાહક નહીં એવું નહીં પણ માર્ક્સ-સંધાન કદાચ સવિશેષ પાકું. જીવનરસ પણ ઉત્કટ (મને યાદ છે, એણે હરબાળા સાથે ગોઠવ્યું એ ગાળામાં અમે કેટલું સાથે ફર્યા હોઈશું … એક વાર શહેરમાં હતાં ને વરસાદ પડ્યો એટલે દાસ ખમણમાં આશ્રય લીધો. રાજેન્દ્ર શાહની ક્ષમાચાયના સાથે દિલીપે અને મેં ‘નિરુદ્દેશે મુગ્ધ ખમણ’ લલકારેલું અને હરબાળાએ હોદ્દાની રૂએ અમારી કાવ્યબાનીને દાદ પણ આપેલી.)
અમે એમ.એ. થયા તે પછી મારી કામગીરી અધ્યાપન-સંપાદન-પત્રકારત્વ એમ ચાલી, એની જી.પી.એસ.સી. ઊંચા ક્રમે પસાર કરી સરકારમાં. દાખલ થતા સાથે એનો હરિકૃષ્ણ પાઠક જોડે અને તેથી મારો અને પાઠકનો પણ ગાઢ પરિચય. (ઇચ્છુ કે પાઠક પાસેથી દિલીપ વિશે એક રૂડો ચરિત્રલેખ મળે.) સરકારમાં એની કામગીરી, મુલાકાતી/ફરિયાદી/અરજદારને તહેદિલ સાંભળવાની સમજવાની ને ઝાઝું બોલ્યા વગર કામ ઉકેલી આપવાની.
પુત્ર પ્રહરના હિમોફિલિયાને કારણે હરબાળાએ એ ક્ષેત્રે કામ ઉપાડ્યું એમાં તો સહકાર હોય જ. (હરબાળા-દિલીપને કહ્યે મેં મોરારિબાપુને વિનંતી કરી એમનો સહયોગ પણ આ માટે મેળવેલો.) પણ થોડાં વરસ લાયન્સ ક્લબમાં હોદ્દે રહેવાનું બન્યું ત્યારે, ક્લબના અસલ ચાર્ટર પ્રમાણે નાગરિક જાગૃતિના વ્યાપક અર્થમાં કામ કરી દિલીપે સુખી મધ્યમવર્ગ જે તબકાને ખાસ જાણતો સમજતો નથી એ તબકાને અંગે વૈચારિક ઊહાપોહ જગાવ્યો, પછી એ મુદ્દા દલિત અધિકાર અને સામાજિક ન્યાયના હોય કે બિનસાંપ્રદાયિકતાના.
સરકારમાં હતો અને અનામતવિરોધી ઉત્પાતે એને અટક છોડાવી. લાંબો વખત એની એક નૈતિક છાપ રહી હશે તે એકવાર રથ, દિલીપ અને હું ગૃહરાજ્ય મંત્રી હરેન પંડ્યાને મળવા ગયા ત્યારે સમજાયું હતું. મેં ‘દિલીપ’ એમ ઓળખાવ્યા એટલે એમણે વળતું પૂછ્યું, ‘ચંદુલાલ’? પાછળ નજર કરું છું ત્યારે સમજાય છે કે દલિત અધિકાર અને બિનસાંપ્રદાયિકતા આંદોલન એ બે એવાં નિમિત્ત બની આવ્યાં જેણે અમારું મૈત્રીબંધન દૃઢતર કર્યું.
વાચનનો નાદ એનો કદી ન છૂટ્યો. કોઈ કોઈ પુસ્તક બાબતે મારી અપડેટ એને આભારી હોય એવુંયે બનતું રહ્યું છે. ઘણીવાર મને લાગ્યું છે કે મારે ભાગે લખવાબોલવાનું આવતું રહ્યું એટલે જે તે ક્ષેત્રમાં આવા દેખીતા મૂગા મિત્રો કરતાં હું વધુ જાહેર થયો, બાકી –
છેલ્લા દિવસોમાં વાંચવાનું શક્ય ન રહ્યું. પણ હરબાળાએ આઈ.સી.યુ.માં મારે અંગે સાર્થક સંવાદ શ્રેણીનું પુસ્તક બતાવ્યું ત્યારે એમાંની છબીઓ આંખ ભરીને જોઈ એમ સાંભળ્યું છે.
જે હૃદ્ગત છે એને અલવિદા તો ક્યાંથી કહેવાનું હોય.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 09
![]()


જો વાચક માતા-પિતા, શિક્ષક કે વિદ્યાર્થી હોય, તો તેણે ફરજિયાત આ ફિલ્મ જોવાની જરૂર છે. તેમાં પણ જો પિતા નીચેના મધ્યમવર્ગના કે ગરીબ હોય કે વિદ્યાર્થી વંચિત હોય અને હોંશિયાર હોય પણ બહુ જ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો હોય, તો તો તેણે જોવી જ.
એક મિશનરી વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે કહેવાતો સંસ્કારી અને સભ્યસમાજ અને તેના નેતાઓ તેને મદદ કરવાને બદલે તેને કેટલા હેરાન કરે છે, તેનું નક્કર ઉદાહરણ આ ફિલ્મ આપે છે. સમાજની વિચિત્રતા એ છે કે તે હંમેશ ઇચ્છે છે સંતો અને સજ્જનો અને સમાજસેવકો, પણ જેવા તે આવે છે, તેવો સમાજ તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. સ્થાપિત હિતો અને રાજકીય નેતાઓ સમાજને કેટલા નુકસાનકારક છે, તે આ ફિલ્મ કહે છે. વાતો મોટી-મોટી કરે છે, પણ ખરે સમયે હટી જાય છે અને તેના બદલે બીજું કોઈ સારું કામ કરે, તો તેને નુકસાન કરે છે. તેઓ માફિયા ઊભા કરે છે, પોતાના ફાયદા માટે અને આ માફિયાઓને કોઈ આડા આવે – એ તેમના માન્યતા હોય છે – કે તરત હેરાનગતિ શરૂ!
એક તરફ આ દેશનું લોકતંત્ર અત્યારે બહુમતીવાદ, રાષ્ટ્રવાદ, વર્ણવાદ, હિન્દુવાદ, એકપક્ષવાદ જેવાં ભાવાવેશમાં કહો કે તણાઈ રહ્યું છે. બીજી તરફ દલિત, આદિવાસી, લઘુમતી જેવા કચડાયેલા તબકાઓ સાથે સરેઆમ હિંસાની ઘટનાઓ ઘટી રહી છે – અને એની હ્રદય વિદારક ચીસોને રાષ્ટ્રવાદના મહિમાગાનથી ઢાંકવામાં આવી રહી છે. એ હકીકત આંખમાથા પર કે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદ તથા પ્રબળ પ્રચાર તંત્રનાં જોરે બહુમતીથી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યો છે, પણ એનો અર્થ એવો કદાપિ ન કાઢવો જોઈએ કે એમનાં હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદને ન માનનારા અને એમના હિંદુત્વ આધારિત શાસન સાથે અસહમતી ધરાવનારા સહુ હારી ગયા છે; અને પોતાના તમામ લોકતાંત્રિક અધિકારો ગુમાવી બેઠા છે. જે રીતે વીતી ગયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રીએ પોતે એમનો વિરોધ કરનારા સહુને દેશવિરોધી હોવાનાં ખોટાં ખાનામાં મૂકી ઝૂડવાનું શરૂ કર્યું એ એમની શક્તિ અને અશક્તિ બન્ને દર્શાવે છે. એમની શક્તિ એ કે એમનાં આવા લોકભોગ્ય વલણને બહુમતી હિંદુ સમાજનો “મોદી .. મોદી ..”નાં ગગનભેદી નાદ સાથે દેશ-વિદેશમાં ભરપૂર સાથ મળ્યો. અશક્તિ એ કે એમનામાં લોકતાંત્રિક લડાઈ લોકતંત્રનાં ધારાધોરણો પ્રમાણે લડવાની ક્ષમતાનો કોઈ અંશ પણ દેખાયો નહીં.