ગયા અઠવાડિયે આપણે જોયું કે ઇઝરાયેલ બળુકો રાષ્ટ્રવાદ(મેચો નેશનાલિઝમ)ને અનુસરતું હોવા છતાં તે એક મર્યાદા પાળે છે. યહૂદીઓનો પક્ષપાત કરવાનો, મુસલમાનોને અન્યાય કરવાનો, પડોશી મુસ્લિમ દેશો સાથે માથા ફરેલ થઈને વર્તવાનું; પણ દેશની અંદર મર્યાદા પાળવાની. એટલું જ નહીં, દેશની અંદર એકંદરે બધા જ યહૂદીઓને સાથે રાખીને વિકાસલક્ષી અભિગમ અપનાવવાનો.
શા માટે ઇઝરાયેલના શાસકો બહુમતી યહૂદી રાષ્ટ્રવાદને અનુસરતા હોવા છતાં દેશની અંદર મર્યાદા પાળે છે? એક તો એ કે જો દેશની અંદર બહુમતી રાષ્ટ્રવાદીઓ માથાફરેલ બનીને ફરે તો બહુમતી રાષ્ટ્રવાદ બહુ ઝડપથી ફાસીવાદમાં પરિણમે. ઇટલી, જર્મની અને બીજા કેટલાક મુસ્લિમ દેશોને આનો અનુભવ થઈ ગયો છે. એ લાંબો સમય ટકી પણ ન શકે, કારણ કે તેની કિંમત લઘુમતી સાથે બહુમતી કોમને પણ ચૂકવવી પડતી હોય છે. નરી બર્બરતાનું આયુષ ટૂંકુ હોય છે. બીજું કારણ એ કે જો દેશની અંદર બહુમતી કોમમાં જ વિખવાદ હોય તો દેશ વિકાસ સાધી ન શકે અને સાચી શક્તિ લશ્કરી તાકાતમાં નથી, ભૌતિક વિકાસમાં છે. ત્રીજું કારણ એ કે દેશની અંદર બહુમતી પ્રજામાં જ શાસકો કે શાસક પક્ષ સામે તેના માથાફરેલ વલણને કારણે અસંતોષ પેદા થાય તો શત્રુ સામે ટકી ન શકાય. નાનકડો ઇઝરાયેલ દેશ મોટા મુસ્લિમ દેશોથી ઘેરાયેલો છે.
આટલી સમજદારી હોવાને કારણે ઇઝરાયેલના શાસકો (પછી તે ગમે તે પક્ષના હોય) દેશની અંદર મર્યાદા પાળે છે. ચાવીરૂપ જગ્યાએ તેજસ્વી માણસોને મૂકે છે, પછી ભલે તે ટીકા કરતો હોય કે આપણા કરતાં વધુ પ્રતિષ્ઠા ધરાવતો હોય. આપણી જેમ કોડીની આવડત નહીં ધરાવતા લોકોને મહત્ત્વનાં કામ સોંપવામાં નથી આવતાં.
ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી ભારતમાં ઇઝરાયેલના પ્રસંશકોની જમાત ઘણી મોટી છે. એ બધા જ હિંદુ છે એ કહેવાની જરૂર નથી. કૉન્ગ્રેસની અંદર પણ ઇઝરાયેલના પ્રસંશકો મોટી સંખ્યામાં હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું તો પૂછવું જ શું! એ પ્રસંશાનું કારણ દુશ્મનોની વચ્ચે ઇઝરાયેલ ટકી રહ્યું એ હતું. એ પ્રસંશાનું કારણ વિકટ પરિસ્થિતિની વચ્ચે વિકાસ સાધવાની ક્ષમતા હતું. પણ આ એટલા માટે બની શક્યું કે દેશની અંદર મુસ્લિમ પ્રશ્ન છોડીને મર્યાદા પાળવાની નીતિ કોઈ ઇઝરાયેલી શાસકોએ છોડી નહોતી. સંઘવાળાઓ ઇઝરાયેલના પ્રસંશક છે તો તેમને ઇઝરાયેલની સફળતાના આ રહસ્યની પણ જાણ હોવી જોઈએ.
તો પછી શા માટે હિંદુ રાષ્ટ્રવાદીઓ દેશની અંદર માથાફરેલની જેમ વર્તે છે? શા માટે નિંદાને સાંભળવા તૈયાર નથી? શા માટે લોકતંત્ર અને સમવાય ઢાંચા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે? શા માટે વિરોધ પક્ષોને કચડી નાખવામાં આવી રહ્યા છે? શા માટે નાના માણસોને મોટી જગ્યાએ બેસાડવામાં આવી રહ્યા છે? અમારું રાજ છે, અમે ગમે તે કરીએ એવું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે. અને આજનું તેમનું વલણ જોતાં સ્વાભાવિક સવાલ થાય કે તો પછી ઇઝરાયેલભક્તિ કઈ વાતની હતી? ઇઝરાયેલની સફળતા માટેની કે સફળતા માટેનાં કારણો માટેની. કોઈ ૯૦ વરસનો વૃદ્ધ જો તંદુરસ્ત નજરે પડતો હોય તો આપણે પહેલો પ્રશ્ન પૂછીએ કે તંદુરસ્તીનું રહસ્ય શું? તમે કેવી રીતે જિંદગી જીવ્યા? ઇઝરાયેલ ઇઝરાયેલ કેવી રીતે બન્યું એ દુનિયા જાણે છે. એનું રહસ્ય પૂછવા તેલઅવીવ જવાની જરૂર નથી.
તો પછી હિંદુ રાષ્ટ્રવાદીઓ દેશની અંદર, દરેક બાબતે અને હિંદુઓ સાથે પણ માથાફરેલ થઈને કેમ વર્તે છે?
આના બે ખુલાસા હોઈ શકે.
પહેલો ખુલાસો એવો છે કે તેઓ હિંદુઓની જાણીતી સંસ્કારિતા અને સભ્યતા માટે શરમ અનુભવે છે. ઇતિહાસમાં હિંદુઓ હારતા આવ્યા એનું કારણ છે; હિંદુઓની ઉદારતા, સહિષ્ણુતા, અહિંસા, વસુધૈવ કુટુંબમકમ્ ની ભાવના. બહુ થયું, સભ્યતા ગઈ ભાડમાં. જેવા સાથે તેવા થઈને જીવો. મહાન હિંદુ દેશ માટે ગર્વ અનુભવનારાઓ હિન્દુત્વવાદીઓ હિંદુ જેને માટે જગતમાં ઓળખાય છે તે હિંદુ વારસાને જ નકારે છે. ટૂંકમાં સભ્યતા માટે શરમ અનુભવે છે. વિનાયક દામોદર સાવરકરે મરાઠીમાં ‘સહા સોનેરી પાન’ નામનો નાનકડો ઇતિહાસગ્રંથ લખ્યો છે. એમાં હિંદુઓએ કરેલી હિંસા, વિધર્મીઓ સાથે કરેલા અન્યાય અને અત્યાચાર સુદ્ધાંને હિંદુઓનાં સોનેરી શૌર્ય તરીકે ઓળખાવ્યાં છે. ત્રણ હજાર વરસના ભારતના ઇતિહાસમાં તેમને આવાં માત્ર છ જ સોનેરી પૃષ્ઠો મળ્યાં! આ ઉપરાંત તેમણે બુદ્ધ અને મહાવીરની આકરી નિદા કરી છે. આના પરથી કલ્પના કરી શકો છો કે હિંદુઓનો પીંડ શેનો બનેલો છે. હિન્દુત્વવાદીઓ હિંદુઓના એ પીંડથી શરમાય છે. તેમને એ પીંડથી પીંડ છોડાવવો છે. તેમને એ પીંડ બદલવો છે. માથાફરેલપણાનો આ પહેલો ખુલાસો થયો.
બીજો ખુલાસો ફાસીવાદ છે. ફાસીવાદનાં લક્ષણ તો હવે દેશમાં લોકો જાણવા લાગ્યા છે. વિરોધ કરવાના અને રાજકીય પ્રતિસ્પર્ધા કરવાના દરેક પ્લેટફોર્મ્સ ખતમ કરી નાખવાનાં. લોકપ્રતિનિધિગૃહો, ન્યાયતંત્ર, મીડિયા, વિરોધ પક્ષોની ખસ્સી કરી નાખવાની એટલે આપણને જે અવાજો સાંભળવા નથી અને પ્રજા સાંભળે એમ ઈચ્છતા નથી તેને રૂંધી શકાય. માટે ઉદ્યોગપતિ રાહુલ બજાજને કહેવું પડ્યું છે કે દેશમાં ભયનું વાતાવરણ છે.
આ બે ખુલાસામાંથી તમને કયો ખુલાસો ગળે ઊતર છે? સભ્ય હોવા માટેની શરમ કે પછી હિંદુ જોહુકમીવાદ? ફાસીવાદ? ઇઝરાયેલના યહૂદી રાષ્ટ્રવાદનું એક લક્ષણ નોંધવું રહ્યું. તે લઘુતાગ્રંથિગ્રસ્ત નથી. આપણે ત્યાંનો બળુકો રાષ્ટ્રવાદ લઘુતાગ્રંથિજન્ય છે. માટે કોઈ બેફામપણે બોલે, કોઈ બેફામપણે જેનીતેની સાથે ધોલધપાટ કરે. અડધી રાતે ગેરબંધારણીય કામો કરવામાં આવે. ઇઝરાયેલમાં આવું થતું નથી અને એ તેના ટકી રહેવાનું મુખ્ય કારણ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 ડિસેમ્બર 2019
![]()




ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.
પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.
નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.