મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.
હવે વિચારો કે કંપની સરકારને આ અભિગમોમાંથી કયો અભિગમ માફક આવે? ભારતના લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવવામાં આવે એ તો ઉત્તમ છે, પણ એમાં જોખમ છે. વટલાવવા જતાં સમૂળગા ઉચાળા ભરવાનો વારો આવે. બીજું ભારતમાં પ્રવર્તતા ધર્મોનું સ્વરૂપ એવું છે જેમાં કોઈની સત્તા નથી. ઇષ્ટદેવની પણ નહીં. બાપ અને દીકરાના ઇષ્ટદેવ નોખા હોય. ચીકણી માટીના લોંદાની જેમ તેનો આકાર ભલે બદલાયા કરે, પણ અસ્ત ન થાય. આશ્ચર્યો પરસ્પર હતાં. પશ્ચિમના લોકો ભારતીય ધર્મોનું સ્વરૂપ જોઈને આભા થઈ ગયા હતા અને ભારતના લોકો ઈસાઈ ધર્મનું સ્વરૂપ જોઇને આભા થઈ ગયા હતા. આમ મિશનરીઓની ધર્મપ્રચારની આક્રમકતા કંપનીને બહુ માફક આવે એવી નહોતી.
ઉદારમતવાદીઓ કે માનવતાવાદીઓનો અભિગમ તો જરા ય ન પોસાય. જેવો વહેવાર ઈંગ્લેંડમાં બ્રિટિશ પ્રજા સાથે કરવામાં આવે છે એવો જ જો ભારતમાં ભારતની પ્રજા સાથે કરવામાં આવે તો શોષણ કઈ રીતે કરવું? શોષણ કરવા માટે માણસાઈને તો કોરે મૂકવી જ પડે. બીજી સમસ્યા વ્યવહારુ હતી. ઉદારમતવાદી અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે ભારતીય સમાજવ્યવસ્થાના સ્વરૂપમાં; ભારતીય પ્રજા ઈચ્છે નહીં અને સ્વીકૃતિ આપે નહીં ત્યાં સુધી હાથ નહીં લગાડવાનો. બળજબરીનો તો સવાલ જ નથી.
એક હદથી વધુ બળજબરી કરવામાં તો અંગ્રેજોને પણ ડર લાગતો હતો, પરંતુ સાવ હાથ જ લગાડીએ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવું કેવી રીતે અને રાજકાજ અને શોષણ કરવાં કેવી રીતે? અંગ્રેજોને એમ લાગ્યું હતું કે ભારતીય સામાજિક-રાજકીય વ્યવસ્થા ચોક્કસ આકાર વિનાની છે અથવા તો તેનો જેવો જે આકાર છે તે સંસ્થાનવાદી શોષણ માટે અને સામ્રાજ્ય વિસ્તારવા માટે અનુકૂળ નથી. આખો દેશ એક કેન્દ્રીય સત્તા દ્વારા અને વહીવટી તેમ જ ભૌતિક માળખા દ્વારા જોડાયેલો ન હોય તો સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ માટે અનુકૂળતા પેદા ન થઈ શકે. તેમની પ્રાથમિકતા સામ્રાજ્ય અને સંસ્થાન હતી અથવા કહો કે સત્તા અને સંપત્તિ હતી.
આ સ્થિતિમાં અંગ્રેજોને પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓનો અભિગમ માફક આવે એવો હતો. બંનેના અભિગમમાં શોષણને છોડીને બીજો કોઈ ફરક નહોતો. સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે અંગ્રેજ સામ્રાજ્યના ભાગ બનીને આજના ગુલામો આવતી કાલના સભ્ય બ્રિટિશ નાગરિકો બનશે. ગુલામી અને શોષણ તેમની મુક્તિ માટે જરૂરી છે અને તે કદાચ ઈશ્વરી યોજના છે. સામ્રાજ્યવાદીઓથી ઊલટું, પાશ્ચાત્યવાદીઓને સત્તા અને શોષણમાં રસ નહોતો. પાશ્ચાત્યવાદીઓ એક રીતે માનવતાવાદી હતા, પરંતુ પશ્ચિમના દર્પણથી. તેઓ કરુણાશીલ પણ હતા, પરંતુ પશ્ચિમના દર્પર્ણથી. ‘આવો, અમે જે સભ્યતા વિકસાવી છે તેને સ્વીકારો. એમાં જ જગત આખાની પ્રજાનું કલ્યાણ છે. અમે તમારા દુશ્મન નથી, પણ તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. વિચારી જુઓ, તમારી સભ્યતામાં જો સત્ત્વ હોત તો આમ બટકી પડી હોત! સમય સાથે ચાલો, વાસ્તવિકતા સ્વીકારો અને પરિવર્તન માટે તૈયાર થાઓ. અમે તમે ખ્રિસ્તી બનો એવો આગ્રહ નથી ધરાવતા, પરંતુ પશ્ચિમની સભ્યતાનો સ્વીકાર કરવાનું કહીએ છીએ.’ આ ભાષા મારી છે, પણ એકંદરે તેઓ લગભગ આ જ ભાષામાં ભારતીય પ્રજાને પશ્ચિમની સભ્યતા સ્વીકારવા કહેતા હતા.
અંગ્રેજ શાસકો સામ્રાજ્યવાદીઓની તો ખરી જ પણ પાશ્ચાત્યવાદીઓની ભૂમિકા પણ માફક આવે એવી હતી. ભારતની પ્રજા શક્ય એટલા પ્રમાણમાં પૂર્વના સંસ્કાર છોડે અને પશ્ચિમના સંસ્કારો અપનાવે એમાં લાભ હતો. ભારતની પ્રજાનો દૃષ્ટિકોણ બદલાય તો તે સહેલાઈથી બ્રિટિશ શાસનને સ્વીકારતી થઈ જાય. પ્રતિકારનું પ્રમાણ ઘટી જાય.
હવે હાથ લગાડવા માટેનાં કે નહીં લગાડવા માટેનાં ક્ષેત્રો ચાર હતાં. ધર્મ, ધર્મ અને પરંપરા આધારિત રીતિરિવાજ, ભાષા અને ન્યાયતંત્ર. આમાં પહેલાં બેમાં હાથ લગાડવામાં જોખમ હતું એટલે સંભાળીને ચાલવાનું હતું. મિશનરીઓ પહેલાને એટલે કે ધર્મને હાથ લગાડતા હતા અને અંગ્રેજ શાસકો સલામત પ્રમાણમાં હાથ લગાડવા પણ દેતા હતા. તેઓ હિંદુ અને ઇસ્લામ ધર્મની આલોચના કરતા હતા, મર્યાદા બતાવતા હતા, મનઘડંત અર્થઘટનો કરતા હતા, અને હાંસી પણ ઉડાડતા હતા. શાસકો મિશનરીઓને આવો પ્રચાર કરવા દેતા હતા એનું કારણ એ હતું કે એ રીતે હિંદુઓ અને મુસલમાનોનું મોરલ તૂટે. તેમની અંદર લઘુતાગ્રંથિ પેદા થવી જોઈએ અને શરમનો ભાવ પેદા થવો જોઈએ. જો મિશનરીઓ આટલું કામ કરી આપે તો પાશ્ચાત્યવાદીઓને પણ કોઈ વાંધો નહોતો.
ધર્મ અને પરંપરા આધારિત સામાજિક રીતિરિવાજોને જો હાથ લગાડવો હોય તો એ કામ શાસકો જ કરી શકે. આમાં જોખમ તો હતું, પણ એ જોખમ ઉઠાવવું જોઈએ? ભારતીય પ્રજાને જો પશ્ચિમની સભ્યતાને અનુકૂળ બનાવવી હોય તો એ જરૂરી હતું. આ સિવાય તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવી કે સતી જેવી કમકમાં આવે એવી ક્રૂર પ્રથા સ્વીકારવી શક્ય નહોતી. કદાચ અંગ્રેજ તરીકેની લાજ તેઓ અનુભવતા હતા. અંગ્રેજ શાસકોએ ધીરે ધીરે ભારતીય પ્રજામાં સામાજિક સુધારા કરવા માંડ્યા હતા અને પ્રતિબંધો લાદવા માંડ્યા હતા. તેમણે આ કામ ભારતીય સુધારકોને પેદા કરીને અને તેમને સહાય કરીને કર્યું હતું કે જેથી ઓછામાં ઓછો અવરોધનો સામનો કરવો પડે. ભારતીય પ્રજાનો સુધારકવર્ગ લોકોમાં સુધારાનો પ્રચાર કરે અને પછી અંગ્રેજો જરૂર પડે તો કાયદો કરે. જેમ કે રાજા રામ મોહન રોયને આગળ કરીને અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મુક્યો હતો.
આનો પણ વિરોધ તો થયો જ હતો. રાજા રામ મોહન રાયનું કામ આસાન નહોતું. તેમણે ઘણાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અનેક સુધારકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે રોટીબેટી વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક સુધારકો સુધારાનો પ્રચાર તો કરતા હતા, પણ અંગત જીવનમાં કસોટીની પળ આવે ત્યારે પીછેહઠ કરતા હતા. આના પરથી કલ્પના કરો કે ત્યારનો યુગ કેવો હશે અને સુધારકોને કેવી વસમી સ્થિતિનો સામનો કરવો પડતો હશે. ૧૮૫૭નો બળવો થયો એના કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક કારણ સામાજિક રીતિરિવાજમાં અંગ્રેજોએ કરેલો હસ્તક્ષેપ હતો. ૧૮૫૭ પછી અંગ્રેજોએ સામાજિક સુધારાઓ કરવાનું બંધ કરી દીધું હતું.
ભાષા અને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવામાં કોઈ મોટું જોખમ નહોતું. ઊલટું ભાષા દ્વારા તો ભારતીયોનું ભાવવિશ્વ બદલી શકાય એમ હતું. સામ્રાજ્યવાદીઓ અને પાશ્ચાત્યવાદીઓ જે પ્રકારનો ભારતીય ઘડવા માગતા હતા એવો ભારતીય ભાષા દ્વારા ઘડી શકાય એમ હતું. બસ એક જ કામ કરવાનું હતું. ભારતીય ભાષાઓની જગ્યાએ અંગ્રેજીને શિક્ષણ અને વહીવટીતંત્રની અને એ રીતે અંગત સુખાકારીની ભાષા બનાવવામાં આવે. એ પછી બધું આપોઆપ થઈ જશે. જે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદને જેવો ભારતીય જોઈએ છે એ મળી જશે.
લેખ પૂરો કરતાં પહેલાં હું તમને કહું કે ભારતીય ભાષાઓ પર અંગ્રેજી ભાષા લાદનારા અંગ્રેજોએ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ પણ કર્યું છે અને માત્ર તેમણે જ તેમાં પહેલ કરી છે અને સિંહફાળો આપ્યો છે તો એ જાણીને તમને આશ્ચર્ય થશે. પણ આ પણ સત્ય હકીકત છે. એ કઈ રીતે એ હવે પછી જોઈશું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ફેબ્રુઆરી 2020
![]()







હેમન્તકુમારનાં જ બીજાં બે પુસ્તકો કલમ-370 અને નાગરિકતા અને નોંધણી: સી.એ.એ.+એન.આર.સી.+એન.પી.આર. તેમાં અંગ્રેજી અખબારોમાંથી અનુવાદિત અનુક્રમે બાવીસ અને છવ્વીસ લેખો છે. અહીં વિષયોની પાયાની સમજ આપતા કુલ ચાર લેખો સહિત તેમની બાબતે સરકારના નિર્ણયોની તરફેણમાં તેમ જ વિરોધમાં લખાયેલાં ગહનતાપૂર્ણ લેખો વાંચવા મળે છે. વિરોધી લેખોનું પ્રમાણ અને પ્રતીતિજનકતા સ્વાભાવિક રીતે જ વધારે છે.
પડદા પાછળનું ગુજરાત (પ્રકાશક : ફારોસ મીડિયા) એ રાજ્યના નિવૃત્ત ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ આર.બી. શ્રીકુમારે લખેલાં ‘ગુજરાત બિહાઇન્ડ ધ કર્ટન’ પુસ્તકનો રમણ વાઘેલાએ ડર વિના કરેલો અનુવાદ છે. ગોધરાકાંડને પગલે 2002માં થયેલાં કોમી રમખાણોના જ આખા ય સમયગાળામાં શ્રીકુમાર ઉચ્ચ પોલીસ અધિકારીની ફરજ બજાવતા હતા. રમખાણો દરમિયાન બેદરકાર રહેલી પોલીસને અને હિંસાચાર કરનાર અપરાધીઓને બચાવવા માટે ખુદ રાજ્ય સરકારે જે આયોજનબદ્ધ પ્રયાસો કર્યા તેનો લેખકે આ પુસ્તકમાં પર્દાફાશ કર્યો છે.
ગયાં જ અઠવાડિયે પ્રસિદ્ધ થયેલાં ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર (દર્શક ઇતિહાસ નિધિ) ગ્રંથની મહત્તા એ છે કે તેમાં વરિષ્ઠ ઇતિહાસ સંશોધક શિરીનબહેન મહેતાએ નારીચેતના અને નારીવાદી ચળવળ વિશેની વિધવિધ માહિતી તેમ જ અભ્યાસ સામગ્રીની યાદી સવા સાતસો પાનાંમાં સાગમટે મૂકી છે.
આધુનિકતાના અગ્રણી ગુજરાતી કવિ અને વિવેચક નિરંજન ભગતની બીજી મૃત્યુતિથિ પહેલી ફેબ્રુઆરીએ તેમના પરના અધ્યયનગ્રંથ કાળની કેડીએ ઘડીક સંગ(ગૂર્જર)નું પ્રકાશન થયું. ગ્રંથના 74 લખાણોને ‘વિરલ વ્યક્તિત્વ’, ‘સાહેબનાં સંભારણાં’, ‘દૃષ્ટિ અને સૃષ્ટિ’, ‘કાવ્યાસ્વાદ’, ‘અનુવાદ: સંપાદન’ ,’સ્વાધ્યાય’, ‘કેફિયત-પ્રતિભાવ’ અને ‘જીવનવહી’ એવા વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે. ગ્રંથનું સંપાદન રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે અને કિરીટે દૂધાતે કર્યું છે.
ગાંધી-સંબંધિત ઇતિહાસને લગતું, ભાવનગરના પૂર્વ અધ્યાપક ગંભીરસિંહ ગોહિલે લખેલું મૌલિક અને રસપ્રદ સંશોધનાત્મક પુસ્તક છે મહાત્મા : સ્વરાજ્યની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો (થ્રીએસ પબ્લિકેશન). ગાંધીજી જે શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા તેના પૂર્વ આચાર્ય એવા લેખક આ પુસ્તકને ‘મહાત્મા ગાંધીના કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર સાથેના સંબંધો વિશેનો લેખસંગ્રહ’ ગણાવે છે. સત્તર લેખોમાં રાજકોટ સત્યાગ્રહ, ગોખલે ચરિત્ર તેમ જ ક્રિકેટના સંદર્ભે ગાંધીજી વિશેના લેખો અને તેમના સૌરાષ્ટ્રમાં પ્રવાસો પરનાં પરિશિષ્ટ ખાસ નોંધપાત્ર છે. ઉઘડતાં શીર્ષક-પાનાં પર લેખકના નામની તરત જ નીચે પ્રત-સંપાદક (કૉપી એડિટર) તરીકે કેતન રુપેરાનું નામ વાંચવા મળે છે. આ પહેલી વાર જોવા મળ્યું છે, અને અપનાવવા જેવું પણ છે.
ગાંધીની નજરે દુનિયા (ગૂર્જર) ગ્રામ અને કૃષિશિક્ષણની સણોસરાની લોકભારતી સંસ્થાના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લાના છવ્વીસ લેખોનો સંચય છે. પ્રસ્તાવનામાં કુમારપાળ દેસાઈ નોંધે છે કે લેખકે અહીં અનામત, કાશ્મીરની સમસ્યા, સમાન નાગરિક ધારો, વસ્તીનિયંત્રણ જેવા મુદ્દાઓ પર ગાંધીજીએ શું કહ્યું હોત તેની ‘ગંભીર અને તર્કબદ્ધ ચર્ચા’ પણ અહીં મળે છે.
શિક્ષણક્ષેત્રને લગતું એક પુસ્તક વ્યક્તિના જીવનનો, અને બીજું પુસ્તક સંસ્થાની કામગીરીનો આલેખ આપે છે. વહાલનું અક્ષયપાત્ર (સંસ્કાર સાહિત્ય મંદિર) કચ્છના વ્યક્તિવિશેષ હરેશ ધોળકિયા માટેનો અભિવાદન ગ્રંથ છે. સંપાદકો જીના શેઠ અને વીરેન શેઠે સવા ચારસો પાનાંના ગ્રંથનું પેટા શીર્ષક ‘એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ’ એમ આપ્યું છે, જે પુસ્તકનાં પાનાં ફેરવતા સાર્થક લાગે છે. તેમાં એકસો પાંત્રીસ જેટલાં વિદ્યાર્થીઓ-સ્વજનો-શુભેચ્છકોએ લખ્યું છે. હરેશભાઈનાં પુસ્તકો-પુસ્તિકાઓ-સંપાદનોની સંખ્યા પણ લગભગ એટલી જ છે. બાળપણ એક અવિરત ખોજ એ ભાવનગરની ‘શૈશવ’ સંસ્થાએ બાળમજૂરો અને વંચિત બાળકો માટે 1994 થી 2019 દરમિયાન કરેલાં કામનો તવારીખ અને તસવીરો સાથેનો પોતે પ્રકાશિત કરેલો વાચનીય અહેવાલ છે.
ઝારખંડની ભા.જ.પ. સરકારે સંથાલ લેખક હાંસદા સૌવેન્દ્ર શેખરના ‘ધ આદિવાસી વિલ નૉટ ડાન્સ’ (જૉય બર્ક ફાઉન્ડેશન) વાર્તાસંગ્રહ પર ઑગસ્ટ 2017થી છ મહિના માટે સરકારી પ્રતિબંધ મુક્યો હતો. સરકારમાં તબીબ તરીકે ફરજ બજાવતાં ડૉક્ટર શેખરના સંગ્રહનો આદિવાસી નાચશે નહીં નામે અનુવાદ અંગ્રેજીના અધ્યાપક રૂપાલી બર્ક અને સાહિત્ય વિષયના અધ્યાપક ચિરાગ ત્રિવેદીએ કર્યો છે. આદિવાસીઓની દુર્દશાના સંદર્ભે આ દસ વાર્તાઓ ધર્મ-જાતિ-પ્રાન્તના પૂર્વગ્રહો, કોમી હિંસા, સ્ત્રીઓનું યૌન શોષણ, ડાકણ-કુરૂઢિ, સંકુલ આંતરસંબંધોનું આલેખન કરે છે.
ચિત્રગ્રીવા નામની રસાળ અનુવાદિત કિશોરકથાનું પેટાશીર્ષક છે ‘વિશ્વયુદ્ધ લડી ચૂકેલા કબૂતરની વાર્તા’. અહીં મહેનતુ અને રુચિસંપન્ન યુવા ફીચર લેખક વિશાલ શાહ બંગાળી લેખક ધનગોપાલ મુખરજીનાં 1927માં બહાર પડેલાં સંદેશાવાહક કબૂતર પરનાં ‘ગે-નેક : ધ સ્ટોરિ ઑફ અ પિજન’ પુસ્તકને ગુજરાતીમાં લાવ્યા છે. પુસ્તકના છેલ્લાં પૂઠા પરની નોંધમાં જણાવાયું છે : ‘સંદેશાવાહક કબૂતર(મેસે ન્જર પીજન)નાં જન્મ, ઉછેર, તાલીમ અને એનાં સાહસને કેન્દ્રમાં રાખીને કહેવાયેલી આ વાર્તા ક્યારેક હૃદયને સ્પર્શી જાય છે, તો ક્યારેક તેને આરપાર વીંધી નાખે છે.’
અમૃતા પ્રીતમ અને ઇમરોઝના પ્રણય સંબંધનું આલેખન કરતાં ઉમા ત્રિલોકનાં કાવ્યાત્મક અંગ્રેજી પુસ્તક ‘શી લિવ્ઝ ઑન’નો એ જીવે છે (ડબ્લ્યુ બીજી પબ્લિકેશન) નામે વાચનીય અનુવાદ અંગ્રેજીનાં અધ્યાપક માર્ગી હાથીએ કર્યો છે. તેનાથી ગુજરાતીમાં ઊતરેલાં ‘અમૃતા-સાહિત્ય’માં ઉમેરણ થાય છે.
સ્વશિક્ષિત ભાષાનિષ્ણાત વજેસિંહ પારગીના આગિયાનું અજવાળું (અરૂણોદય) નામના કવિતા સંગ્રહની સોમાંથી લગભગ દરેક રચનામાં એક ચોટ છે. મુક્ત પદ્ય ગણી શકાય તેવી રચનાઓના કવિ પ્રસ્તાવનામાં લખે છે : ‘રોજબરોજનું ભીંસાતું જીવન જીવતાં મનમાં કંઈક ગોરંભાતું રહેતું. આ ગોરંભો ઘાણીએ ફરતાં ફરતાં બળદ વાગોળી લે એમ લઘુકાવ્યરૂપે આલેખાયો છે.’ એક નમૂનો : ‘રહેવા દો / દીવો પેટાવવાનું / કે / તારા ઊતારવાનું / કે / સૂરજ ઊગાડવાનું …. નહીં કરી શકો તમે દૂર / માની કૂખમાંથી મને મળેલો / અંધકાર’.
ગુજરાતીના અધ્યાપક અમૃત પરમારનો પહેલો વાર્તાસંગ્રહ પંખીઘર (પ્રકાશક : લેખક પોતે) વધુ સંકુલ વાર્તાઓની આશા જન્માવે છે. તમામ પંદર વાર્તાઓનો એકંદર વિષય ગ્રામીણ જીવનથી શહેરી જીવન તરફનાં સંક્રમણનો છે. પરિવર્તન પ્રકિયા સાથે સંકળાયેલાં સામાજિક વર્ગ, જીવનશૈલી, મનોવૃત્તિઓ, આકાંક્ષાઓ, ગરીબી, દૂષણો, પરિવેશ, ભાષા જેવાં ઘણાં પાસાંને લેખક આવરી લે છે.