ઔરંગાબાદ દુર્ઘટના પછી
એક મૃતકે
ચિત્રગુપ્ત સમક્ષ
મરણોત્તર નિવેદન નોંધાવ્યાના
વાવડ છે.
એણે લખાવ્યા મુજબ :
એવું લગીરે નહોતું કે
અમે થાકેલા હતા.
અમે તો રોજ થાકતા હતા ..
ક્યાંક
મશીન ચલાવીને
શાળ ચલાવીને
હળ ચલાવીને
દાતરડું ચલાવીને
કોદાળી ચલાવીને
દવાઓનું પૅકિંગ કરીને
નહેર બાંધીને
બીજાં અનેક શારીરિક શ્રમનાં કામ કરીને ..
પરંતુ એ થાક, થોડું ઊંઘી લઈને
ઉતારી દેતા હતા.
ફરી પાછા કામે લાગી જતા.
ફરી થાકતા, ફરી કામ કરતા.
પણ કાલે એવું બન્યું કે
અમે પૂનમની અજવાળી રાતે
દૂર દેખાતા રેલવેના સિગ્નલની
લાઈટ જોઈને ચાલવા માંડેલા
મનમાં હતું કે બસ ત્યાં પહોંચી જાશું
એટલે ઘરે પહોંચ્યા જ સમજો.
બસ પછી કોઈ ચિંતા નહીં રહે.
પણ અધવચ્ચે, પાટા પર ભરોસો મૂકી
નસીબથી થાકેલા
અમે ઊંઘી જ ગયા
ને બીજી બાજુ
અમારાં ભાઈબહેનોએ બનાવેલો
માલસામાન ભરી આવતી માલગાડીમાં
ક્યાંકથી મોત બેસી ગયું.
અમને તો ખબર જ ન રહી કે
મોત માલગાડીમાં છૂપાઈને આવે છે.
ભાન જ ના રહ્યું કે
મોત ભરેલી માલગાડીને
ક્યારે ગ્રીન સિગ્નલ અપાયું
અને
અમારા માટે
રેડ સિગ્નલ !
વાવડ એવા છે કે
ચિત્રગુપ્તે મૃતકને નામ લખાવવા કહ્યું
ત્યારે એણે કહ્યું કે
હવે હું
નામ મટીને
માત્ર આંકડો બની ગયો છું!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020
![]()


વર્ષ 1608માં વિલિયમ હૉકિન્સ ‘હેક્ટર’ નામના તેમના વહાણમાં સુરત પહોંચ્યા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તે જ વર્ષે, તદ્દન અસંબંધિત બીજી ઘટના એ હતી કે, ઇંગ્લેન્ડમાં વિલિયમ શેક્સપિયરે તેમની છેલ્લી બે કરુણાન્તિકાઓમાંની એક, ‘કોરિયોલેનસ’, લખી. આ નાટક પહેલી સદીના રોમન લશ્કરના સેનાપતિ કેઈયસ માર્સિયસના જીવન પર આધારિત હતું. ઈતિહાસ જણાવે છે કે ઈટાલીની વોલ્સી પ્રજાના શહેર કોરિયોલી પરની અઘરી લડાઈ જીત્યા પછી તેને ‘કોરિયોલેનસ’નો ખિતાબ મળ્યો હતો. આ શહેર ઘણું સમૃદ્ધ હતું, અને સામ્રાજ્ય માટે મુગટ જેવું હતું : મુગટ એટલે કે ક્રાઉનને લેટિન ભાષામાં ‘કોરોના’ કહે છે, તેના પરથી શહેરનું નામ ‘કોરિયોલી’ પડ્યું હતું. નાટકનું વિષયવસ્તુ છે કોરિયોલેનસનું અભિમાન, પૂર્વગ્રહ અને પડતી. પડદો ખૂલે છે ત્યારે રોટીરમખાણ ચાલી રહ્યાં છે અને ભૂખ્યાં લોકો માને છે કે કોરિયોલેનસે અનાજના ભંડારને લૉક ડાઉન કે તાળાબંધીમાં મૂકી રાખ્યા છે, માટે તેઓ એ કોઠાર ખુલ્લા મૂકવાની માગણી કરી રહ્યા છે. કોરિયોલેનસ જવાબમાં લોકો માટે ભારે તિરસ્કાર દર્શાવે છે અને કહે છે કે તેમણે લશ્કરી સેવા આપી નથી. માટે તે અનાજ મેળવવાને લાયક નથી. એ પછી કોણ વધારે દેશપ્રેમી છે, રાજમુગટ કે પ્રજા (અથવા કહો કે, ‘કોરોના કે ક્રાઉડ’) એ વિશે ચર્ચા થાય છે. કોરિયોલેનસની કરુણાન્તિકાના મૂળમાં આ ભારોભાર અહંકાર રહેલો છે.
સામાન્ય સંજોગોમાં તો એ જાણવામાં કદાચ રસ ન પડે, પણ અત્યારે એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૧૫ ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ હૅન્ડ વૉશિંગ ડે’ તરીકે ઉજવાય છે. કોરોનાથી પહેલાં પણ હાથ ધોવાનું આટલું બધું મહત્ત્વ શી રીતે ઊભું થયું, તેની પાછળ વિજ્ઞાનની રસિક અને કરુણ કથા રહેલી છે. જીવાણુઓનાં કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે તેવા મતલબની ‘જર્મ થિયરી’ની ઘોષણા કરનાર લૂઈ પાશ્ચર કે જીવાણુઓના નાશ માટેની એન્ટીસેપ્ટિકની પ્રક્રિયાના પ્રર્વતક જોસેફ લિસ્ટર હજુ પોતાના અભ્યાસો-સંશોધનોનાં પરિણામોને ચકાસતા હતા. કોઈ એક ચોક્કસ જીવાણુ અને તેના કારણે ફેલાતા ચોક્કસ રોગ અંગેનો રોબર્ટ કોખનો સિદ્ધાંત ૪૦ વર્ષ પછી પુરવાર થવાનો હતો. જીવાણુથી થતા રોગનો સામનો કરતી પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મ થયો ન હતો. પાઉલ એહરલિકની જીવાણુને શોધી શોધી મારી શકે તેવી જાદુઈ ગોળી (મૅજિક બુલેટ) ‘સાલવરસન’ના આગમન માટે વિશ્વને ૭૦ વર્ષ રાહ જોવાની હતી. વિષાણુ ઉર્ફે વાઇરસની ઓળખ ઘણી દૂર હતી.