અમે જાણીએ
ને તમે ય જાણો
આઝાદી તો મધરાતે મળેલી, ભૈસાબ.
રાતના કાળાડિબાંગ અંધકારમાં
અમને ક્યાંથી દેખાય એ આઝાદીનાં રૂપરંગ ને આકાર?
અમે શું જાણીએ?
તમે મોટા લોકોએ
કેવી મોથ મારેલી એ મધરાતે?
તમે અંગ્રેજોને જુતાં મારેલા કે પગ પખાળેલા?
તમે દેશને આડા ઊભા કેટલા ઘા મારેલા?
તમે દેશને વહેંચેલો કે વેચેલો?
અમે શું જાણીએ?
અમે તો સાવ અભણ માણહ.
તમે ધોળીફક ખાદી પેરીને રાજગાદીએ બેઠા
બગીગાડીઓમાં બેહીને તમે સંસદમાં પેઠા
અમે તો દૂરના દૂર રહેલા, છેટાને સાવ જ એંઠા
અમને શું ખબર પડે ભૈસાબ?
મધરાતના એ અંધારામાં તમે કૂલડીમાં શું ગોળ ભાંગેલો?
ને આમે ય અમારી ઝૂંપડીમાં
તો સળગતો હતો
ભગરી ભેંસના લડધામાંથી કાઢેલી ઓહનો દીવો
ને દીવાના ટમટમતા પ્રકાશમાં
અમે તો જોઈ રહેલા
અમારી છાણ લીંપેલી દીવાલ પર
લટકતા અમારા બાબા ભીમરાવને.
અમે જાણીએ
ને તમેય જાણો
આઝાદી તો મધરાતે મળેલી, ભૈસાબ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 16
![]()


ટ્વીટર પર એક ઉડતી ટિપ્પણી વાંચીઃ ‘નિષ્ફળતાને સફળતા તરીકે રજૂ કરવામાં વડાપ્રધાન મોદીનો જવાબ નથી.’ તેનો સંદર્ભ વડાપ્રધાનનું સ્વાતંત્ર્ય દિનનું ભાષણ હતું. આશરે દોઢ કલાકનું તેમનું રાષ્ટ્રજોગ ભાષણ સાંભળ્યા કે વાંચ્યા પછી થાય કે કાં આપણે પરગ્રહથી આવીએ છીએ કે પછી આ ભાઈ પરગ્રહથી આવતા લાગે છે. કોઈ પણ માણસ વાસ્તવિકતાથી આટલા સુખપૂર્વક વિમુખ રહીને શી રીતે વાત કરી શકે? વિશેષ પ્રતિભા જોઈએ તેના માટે. જૂઠાણાં અને આત્મમુગ્ધતાના આસવનું સંયોજન થાય, તો જ આ સિદ્ધ અવસ્થા શક્ય બને.