IMEC કોરિડોરથી માંડીને ઊર્જા સુરક્ષા સુધી, અખાતી ગઠબંધનનું પતન ભારત માટે છેલ્લા એક દાયકામાં ખડી થયેલી સૌથી મોટી કૂટનીતિક કસોટી છે

ચિરંતના ભટ્ટ
યમનના મુકલ્લા પોર્ટ પર ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જે દૃશ્યો સર્જાયા તેણે દાયકાઓ જૂની ઔપચારિક મિત્રતાના ભ્રમને બાળીને ખાખ કરી દીધો છે. સાઉદી વાયુસેનાએ યુ.એ.ઈ.(UAE)ના શસ્ત્રોના જથ્થા પર બોમ્બમારો કરીને અખાતી સ્થિરતાના પાયારૂપ ગણાતા રિયાધ અને અબુ ધાબી વચ્ચેના ગઠબંધનમાં “માળખાકીય ભંગાણ” (structural rupture) ખડું કર્યું. અત્યાર સુધી ચાલતી મુંગી હરીફાઈ હવે ખુલ્લા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. આ કોઈ સામાન્ય રાજદ્વારી ખટરાગ નથી; આ મધ્ય પૂર્વની સત્તાનું મૂળભૂત પુનર્ગઠન છે, જેની પર આખી દુનિયાએ તો ધ્યાન આપવું જ પડશે પણ આપણી કેન્દ્ર સરકારે પણ આ મામલા પર ધ્યાન આપવું પડશે.
ભાઈઓમાં ભંગાણ
સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ. આ પહેલાં ક્યારે ય એકબીજાની સામે નથી થયા, તેમની વચ્ચે ક્યારે ય કોઈ યુદ્ધ નથી થયું. એક સરખી સુન્ની (જો કે શિયા મુસલમાનો પણ ત્યાં છે જ પણ સુન્નીઓની પકડ વધારે છે) ઓળખ અને ભૌગોલિક નિકટતાથી બંધાયેલો આ સંબંધ ‘ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ'(GCC)ની એકતાનો આધારસ્તંભ હતો. છતાં આજે એવી હાલત એ છે કે : સાઉદી જેટ્સ અમીરાતી લશ્કરી પુરવઠાને નિશાન બનાવી રહ્યા છે, અને સાઉદી-સમર્થિત ‘પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલ’ (PLC) એ યુ.એ.ઈ.ના દળોને ચોવીસ કલાકમાં યમન છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
અનુભવી વિશ્લેષકો અને જીઓપૉલિટિકલ ફેરફારોના નિરીક્ષકો આ આખી ઘટનાથી દંગ થઇ ગયા છે. આ ટકરાવ યમનમાં પ્રોક્સી (proxy) દળોને કારણે થયો છે, જ્યાં બંને રાષ્ટ્રોના એક સરખા દુ:શ્મન ઈરાન-સમર્થિત હૂથી બળવાખોરો છે. આ તો એવી વાત થઈ કે બે અગ્નિશામકો આગ ઓલવવાને બદલે એકબીજા પર પાણીનો મારો ચલાવવા માંડે. સાઉદી મંત્રાલયે યુ.એ.ઈ. પર “અત્યંત ખતરનાક” વર્તણૂકનો આરોપ મૂક્યો, તો અબુ ધાબી માને છે કે સાઉદી અરેબિયાએ સાથી દેશ પર બોમ્બમારો કરીને સહયોગને બદલે વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો.
મુકલ્લામાં વિસ્ફોટ: શતરંજની બાજી કેમ પલટાઈ?
આ ઘટના પાછળની અકળામણને અને ટ્રીગરને સમજવા માટે નકશો સમજવો જરૂરી છે. આ સંઘર્ષનું કારણ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ (STC) એ હદરમૌત અને મહરા પ્રાંતો પર કબજો જમાવ્યો—જે યમનની અંદાજે 80 ટકા તેલ સંપત્તિ ધરાવે છે અને સાઉદી અરેબિયા સાથે 425 માઈલ લાંબી સરહદ શેર કરે છે. મુકલ્લાનું મહત્ત્વ આગવું છે. તે અરબી સમુદ્રનું પ્રવેશદ્વાર છે, જે બાબ અલ-મન્ડેબ અને રાતા સમુદ્ર(Red Sea)ના સાંકડા માર્ગો (choke points)ને બાયપાસ કરીને દરિયા વાટે વેપારનો રસ્તો આપે છે.
દક્ષિણ યમનને સ્વતંત્ર દેશ બનાવવા માટે STCના પ્રયાસને ટેકો આપીને, પોતાની અતિશય લશ્કરી મહત્ત્વાકાંક્ષાઓને કારણે “લિટલ સ્પાર્ટા”તરીકે ઓળખાતા અબુ ધાબીએ, ગલ્ફ દેશોમાં “મોટા ભાઈ” ગણાતા સાઉદી અરેબિયાને સીધો પડકાર આપ્યો. તેણે સાઉદીની સમુદ્ર સુધીની પહોંચમાં અવરોધ નાખ્યા, તેને કાપવાનો પ્રયાસ કર્યો. કોલિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 80થી વધુ લશ્કરી વાહનો લઈ જતી બે નૌકાઓ રિયાધને જાણ કર્યા વિના અમીરાતી સૈન્ય મથકોમાં મોકલાઈ હતી. રિયાધે લશ્કરી વાહનોના આ હસ્તાંતરણને ભૂલ તરીકે નહીં પણ જાણીજોઈને કરાયેલી વ્યૂહાત્મક ઘેરાબંધી તરીકે જોયું.
વિચારધારાનો સંઘર્ષ: મુત્સદ્દી વિરુદ્ધ રણનીતિકાર
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને અમીરાતી રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ (MBZ) વચ્ચેની અંગત તિરાડ અસ્તિત્વ ટકાવી રાખવાની બે અલગ અલગ વ્યૂહરચના દર્શાવે છે.
સાઉદી મોડેલ (સત્તાનું કેન્દ્રિકરણ):
- યમનના કાદવમાં હાથ બગાડ્યા બાદ, MBS ‘વિઝન 2030’ માટે સરહદો સુરક્ષિત કરવા “કાયદા આધારિત મુત્સદ્દીગીરી” અપનાવી રહ્યા છે. જો કે, આ કોઈ લિબરલ અભિગમ નથી પણ “સાઉદી ફર્સ્ટ” સિદ્ધાંત છે જે સંપૂર્ણ પ્રાદેશિક વર્ચસ્વની માંગ કરે છે અને કોઈ નાના ભાગીદારની દખલગીરી સાંખી લેવા તૈયાર નથી.
અમીરાતી મોડેલ (નેટવર્ક):
MBZ “હોબ્સિયન (Hobbesian) દૃષ્ટિકોણ” અપનાવે છે, જે સુદાનના RSFથી લઈને સોમાલિયાના સોમાલીલેન્ડ સુધીના બિન-રાજકીય જૂથોને સશક્ત બનાવે છે. આ કારણે રાજ્ય બનાવવાની જવાબદારી લીધા વગર જ પોતાનો પ્રભાવ વધારી શકાય છે, જેને સાઉદી અરેબિયા પોતાની રાજ્ય-કેન્દ્રિત વ્યવસ્થા માટે પડકાર માને છે.
આર્થિક હરીફાઈ આ આગમાં ઘી હોમનારી સાબિત થાય છે. યુ.એ.ઈ.ને ઓપેક પ્લસ(OPEC+)માં ઉત્પાદન ક્વોટા તોડવા બદલ “serial cheater”નું લેબલ મળ્યું છે. એ યુ.એ.ઈ. “મધ્ય પૂર્વના સિંગાપોર”નો તાજ મેળવવા રિયાધ સાથે સ્પર્ધામાં ઉતર્યું છે. હવે એ લોકો ભાગીદાર નથી પણ એક જ લક્ષ્ય મેળવવા હોડમાં લાગેલા બે સ્પર્ધકો છે.
ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ અહીં ખડું થશે?
એમ થવાની શક્યતા નથી પણ એવું નહીં જ થાય એવું માની લેવું પણ મુર્ખામી ગણાશે. સૌથી મોટું જોખમ પ્રાદેશિક વિભાજન છે.
ના, આનાથી ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. પરંતુ તેને અવગણવું મુર્ખામી ગણાશે. સાચો ખતરો પ્રાદેશિક વિભાજન છે.
૧. પ્રોક્સી અરાજકતા: હૂથી-વિરોધી દળો અંદરોઅંદર લડી મરશે, જેનાથી ઉત્તર યમન ઈરાનને ભેટમાં મળી જશે.
૨. “અકળાયેલા રાષ્ટ્રોનું ગઠબંધન”: વિશ્લેષકોનું માનવું છે કે યુ.એ.ઈ.ને અલગ કરવા સાઉદી અરેબિયા ઇજિપ્ત અને તુર્કીની નજીક જઈ શકે છે.
૩. વૈશ્વિક સ્તરના ગુંગળામણના મુદ્દાઓ: રાતા સમુદ્રના કોરિડોરમાંથી 12% વૈશ્વિક વેપાર થાય છે. એ પ્રવેશદ્વાર એ કોરિડોર હવે દારૂગોળાનો ઢગલો બની ગયો છે. અહીં કંઇપણ ઊંચનીચ થશે તો તે ઊર્જાના ભાવમાં ભડકો કરશે જેના કારણે એવા આર્થિક આંચકા થશે કે કોઈ સેના તેને રોકી નહીં શકે.
ભારતે કયા મામલે વ્યૂહાત્મક રહેવાની જરૂર છે?
વાર્ષિક 162 અબજ ડોલરના અખાતી વેપાર અને આ પ્રદેશમાં વસતા 90 લાખ ભારતીયો સાથે, ભારત માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર આ મામલે મૂક પ્રેક્ષક નહીં બની શકે.
૧. IMECને અત્યારે વેન્ટિલેટર પર મૂકો (અને પ્લાન B શોધો): ઇન્ડિયા મિડલઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) મરણ પથારીએ છે. આ કોરિડોર સાઉદી-યુ.એ.ઈ.ના રેલવે જોડાણ પર આધારિત છે. જો આ બંન્ને વચ્ચે જ કંઇ ઠેકાણે ન હોય તો બંન્ને દેશો વચ્ચેની ટ્રેનો ચાલવાની નથી. આ તબક્કે ભારતે તાત્કાલિક ઈન્ટરનેશનલ નોર્થ–સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ને પુનર્જીવિત કરવો જોઈએ અથવા ઓમાન સુધીના સીધા દરિયાઈ માર્ગો શોધવા જોઈએ.
૨. ઊર્જા સુરક્ષાનું રક્ષણ: બંને રાજધાનીઓ સાથે સક્રિય સંપર્ક સાધીને ઊર્જા કરારો સુરક્ષિત કરવા જરૂરી છે. આપણે એ ચોકસાઈ રાખવી જોઈએ કે તેલના આપણા પુરવઠાનો ઉપયોગ તેમના આંતરિક ઝઘડામાં હથિયાર તરીકે ન થાય. એ લોકો બાખડે અને આપણને ઈંધણ ન મળે એ તો પાડાને વાંકે પખાલીને ડામ જેવી હાલત થશે.
૩. પ્રવાસી ભારતીયોની સુરક્ષા: MEA (વિદેશ મંત્રાલય) એ તાત્કાલિક કટોકટી પ્રોટોકોલ સ્થાપિત કરી દેવા જોઈએ. યુ.એ.ઈ.માં 35 લાખ અને સાઉદીમાં લાખો ભારતીયો છે આવામાં સંજોગો તંગ થાય તો આપણી પાસે ઇવેક્યુએશન પ્લાન હોવો જોઇએ.
૪. વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવવી જોઈએ: આ સંજોગોમાં કોઈપણ એકનો પક્ષ લેવાનું દબાણ કરાશે તો આપણે તેનો પ્રતિકાર કરવો જોઇએ. ભારતે પોતાની જાતને બે દેશો વચ્ચેનો તણાવ ઘટાડવામાં મદદ કરનારા કડી કે સેતુ તરીકે પોતાનુ્ સ્થાન બનાવવું જોઇએ. આપણે એવા દેશોમાંથી એક છીએ જે MBS અને MBZ બંને સાથે નિખાલસતાથી વાત કરી શકીએ તેમ છે.
૫. સંરક્ષણ ભાગીદારીમાં સંતુલન: બંને સાથે નૌકાદળનો સહયોગ ચાલુ રાખવો જોઇએ, પરંતુ કોઈ એક પક્ષ તરફી દેખાવાનું ટાળવું જોઇએ. અત્યારે યુ.એ.ઈ. નેવી સાથેનો કોઈ પણ સંયુક્ત અભ્યાસ રિયાધ ચોક્કસ શંકાની નજરે જોશે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે.
૬. પાકિસ્તાનના પરિબળને નજરમાં રાખવું જોઇએ: બંને કિંગડમ્સ પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. વિભાજિત ગલ્ફ ઇસ્લામાબાદને તેની સુરક્ષા સેવાઓ સૌથી વધુ બોલી લગાવનારને વેચવાની તક આપે છે, જે ભારતની પ્રાદેશિક સલામતનીની ગણતરીને જટિલ બનાવી શકે છે.
૭. આર્થિક મુત્સદ્દીગીરીનો ઉપયોગ: FTA વાટાઘાટોને વેગ આપવો જોઇએ પણ સંતુલન પણ જાળવવું જોઇએ. ભારતીય વ્યવસાયોને તટસ્થ પક્ષો તરીકે સ્થાપિત કરો જે બંને રાજ્યોના આર્થિક વૈવિધ્યકરણ (diversification) માટે જરૂરી છે, પછી ભલે તેમની વચ્ચેના રાજકીય સંબંધો ગમે તેવા હોય.
સાઉદી-યુ.એ.ઈ. વચ્ચેના “વ્યૂહાત્મક લગ્ન” હવે હાઈ-વૉલ્ટેજ છૂટાછેડામાં ફેરવાયા છે. ભારતે અત્યારે વ્યૂહાત્મક ધીરજ રાખવાની જરૂર છે. ઊર્જા, પ્રવાસી ભારતીયો અને વેપાર જેવા ભારતના મુખ્ય હિતો કાયમી રહેવાના છે, પરંતુ આ તમામને સુરક્ષિત કરવાનો રસ્તો અત્યારે બારૂદી સુરંગોથી ભરેલો છે.
બાય ધી વેઃ
હવે “મોટા ભાઈ” આંખ આડા કાન કરવા તૈયાર નથી, અને “લિટલ સ્પાર્ટા”ને હવે ઓર્ડર નથી લેવા, પણ સત્તા જોઇએ છે. વર્તમાન પરિસ્થિતિ બે શક્તિશાળી શિકારીઓ જેવી છે, એવા શિકારીઓ જે એક સમયે એક જ જંગલમાં શિકાર કરતા, જંગલમાં પોતાની મર્યાદાઓ સમજીને કામ કરતા પણ હવે તેમને શિકાર કરવા માટે આ જંગલ નાનું પડે છે. સાઉથ બ્લોક, સમજદારીપૂર્વક રસ્તો કાઢજો. ભલે બે ભાઈઓ ઝઘડી રહ્યા હોય, પરંતુ ભારતનું હિત એ સુનિશ્ચિત કરવામાં છે કે આપણે અંદર હોઈએ ત્યારે તેઓ ઘરને આગ ન લગાડી દે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જાન્યુઆરી 2026
![]()



