એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. I want to be hanged, for then the vengeance of my countrymen will be all the more keen. મદનલાલનું આ નિવેદન ફરી વાંચો. એમાં તેમણે બે મહત્ત્વની વાત કરી છે. એક, હું માફી નથી માગતો કે નથી ઇચ્છતો. હું તો દેહાંતદંડની સજા માગું છું. બે, હું (મારા/અમારા/ભારતીયો) ઉપરની તમારી સત્તાને સ્વીકારતો જ નથી. તમને (અંગ્રેજોને) અમારા ઉપર સત્તા ચલાવવાનો કોઈ અધિકાર જ નથી.
મદનલાલ ઢીંગરાએ ભારતીયોની ગેરહાજરીમાં અદાલતમાં આ જે નિવેદન કર્યું હતું અથવા સાવરકર કહે છે એમ પોલીસે ઢીંગરાના ખિસ્સામાં રહેલું એ લેખિત નિવેદન જપ્ત કરી લીધું હતું તો પછી એ આખેઆખું નિવેદન અક્ષરસ: અખબારો સુધી પહોંચ્યું કેવી રીતે? એ સાવરકરે પહોંચાડ્યું હતું, કારણ કે તે સાવરકરે પોતે તે લખ્યું હતું અને તેની એક કોપી તો તેમની પાસે હતી જ. સાવરકર શૌર્યપરક અતિશયોક્તિના રાજા હતા. સાવરકર લખે છે કે ઢીંગરાનાં એ નિવેદનને લઈને ઇંગ્લેન્ડમાં છાકો પડી ગયો હતો. અખબારોમાં ચીસો પાડતી હેડલાઈન હતી અને આખા ઇંગ્લેન્ડમાં ચોર ને ચૌટે ઢીંગરાનાં નિવેદનની જ વાતો થતી હતી. એ નિવેદને અંગ્રેજોના મસ્તિષ્ક ઉપર કબજો જમાવ્યો
હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.
જ્યારે ઇંગ્લેંડમાં આ ઘટનાઓ બની રહી હતી અને સાવરકર ‘લંડનચી બાતમીપત્રે’માં તેનો ચિતાર આપતા હતા, ત્યારે એમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઢીંગરા તેમનો શિષ્ય હતો, સાવરકર માટે તેમના મનમાં ભક્તિભાવ હતો, ઢીંગરાએ ખૂન કરવાની આજ્ઞા માગી હતી અને સાવરકરે આજ્ઞા આપીને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં, પિસ્તોલ આપતી વખતે ‘ખૂન કરવામાં જો નિષ્ફળ નીવડે તો મોઢું નહીં બતાવતો’, એવી ચીમકી પણ આપી હતી, વગેરે. આ તો જાણે સ્વાભાવિક છે. કોઈ મૂર્ખ હોય એ જ એ સમયે આવું લખે અને સાવરકર મૂર્ખ નહોતા. સાવરકરે આવો દાવો અંગ્રેજોએ તેમને શરતી માફી આપી અને છૂટા થયા એ પછી પણ નહોતો કર્યો. સાવરકરે આવો દાવો દેશને આઝાદી મળી ત્યાં સુધી ક્યારે ય નહોતો કર્યો એ પણ જાણે સમજી શકાય એમ છે. સાવરકરે આનો ઉલ્લેખ તેમની આત્મકથામાં પણ નથી કર્યો. આઝાદી પહેલાનાં કોઈ લખાણમાં સાવરકરે વાઈલીના ખૂનનો શ્રેય લીધો નથી.
તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.
ધનંજય કીરે સાવરકરના ચરિત્રની બીજી આવૃત્તિ સાવરકરના અવસાન પછી પ્રકાશિત કરી હતી જેમાં આ વાત કહેવામાં આવી છે. હવે સાવરકર હયાત નહોતા એટલે કોઈ વાતનો ભય નહોતો. તેમણે પ્રસ્તાવનામાં દાવો કર્યો છે કે તેમણે સાવરકરની દીર્ઘ મુલાકાત લીધી હતી અને નવાં પ્રમાણો ઉપલબ્ધ થયાં હતાં. જીવનચરિત્ર લેખકે ચરિત્ર નાયકની મુલાકાત પહેલી આવૃત્તિ વખતે પણ લીધી હતી. પણ ત્યારે સાવરકર કાં બોલ્યા નહોતા અથવા ચરિત્રલેખકે મુશ્કેલીના વખતે તેનો ઉલ્લેખ નહીં કરીને મદદ કરી હતી. ધનંજય કીર સાવરકરના જીવનચરિત્રની બીજી આવૃત્તિમાં કહે છે કે વાઈલીના ખૂનનો સંપૂર્ણ શ્રેય સાવરકરને જાય છે. તેમણે ઢીંગરાને નિકલ પ્લેટેડ રિવોલ્વર આપી હતી અને કહ્યું હતું કે, ‘જો આ વખતે નિષ્ફળ નીવડે તો તારું મોઢું મને બતાવતો નહી.’ ‘આ વખતે’ શબ્દપ્રયોગ પણ સૂચક છે. ઢીંગરા સાવરકરના કબજામાં હતો અને તેમના દ્વારા સંચાલિત યંત્રની માફક વર્તતો હતો. તે એમ માનવા લાગ્યો હતો કે તે ભારતની આઝાદી ખાતર પોતાનું બલિદાન આપી રહ્યો છે. ઢીંગરા સામેના ખટલા વખતે સાવરકર તેમનો જોસ્સો જાળવી રાખવા કહેતા હતા કે તે શહીદ તરીકે અમર નીવડવાનો છે અને સદીઓ સુધી ઇતિહાસ તેને યાદ કરવાનો છે. આ બધું ધનંજય કીરે સાવરકરનો હવાલો આપીને સાવરકરના મૃત્યુ પછી પહેલીવાર કહ્યું છે. એક બીજી બાત પણ નોંધવી રહી. ખરે ટાણે મૂંગા રહીને છ દાયકા પછી ઢીંગરાની બહાદુરીનો શ્રેય લેવો એ ઢીંગરા સાથે અન્યાય નથી? વીર ઢીંગરા કે સાવરકર?
ધનંજય કીરે સાવરકરના ચરિત્રમાં આ ઉમેરો સાવરકરના અવસાન પછી કર્યો હતો અને પુસ્તકનું નામ બદલીને ‘વીર સાવરકર’ કર્યું હતું. અનુકૂળતા મુજબ ફેરફાર કરવાની આ પ્રવૃત્તિ સાવરકર પણ કરતા હતા. તેમનાં પુસ્તકની બે આવૃત્તિ ભાગ્યે જ એક સરખી જોવા મળશે. જેમ કે ૧૮૫૭ના વિદ્રોહના ઇતિહાસની પહેલી આવૃત્તિમાં તેમણે મુસલમાનોના યોગદાનની ભારોભાર પ્રસંશા કરી છે, પરંતુ પાછળથી જ્યારે તેઓ મુસ્લિમવિરોધી હિન્દુત્વવાદી બન્યા એ પછીની આવૃત્તિમાં મુસલમાનોની કરેલી પ્રસંશા તેમણે કાઢી નાખી હતી.
ગમે તેમ સાવરકરે ભલે ત્યારે નહોતું કહ્યું કે ઢીંગરા તેમના કબજામાં હતો, પરંતુ અંગ્રેજોને તેની જાણ હતી. અંગ્રેજો શું ભારતીયો પણ આ જાણતા હતા. ગાંધીજીએ તો એ જ સમયે વાઈલીની હત્યા પછીના બીજા પખવાડિયે લખેલા લેખમાં આનો ઈશારો કર્યો છે જે આગળના લેખમાં ગાંધીજીને ટાંકીને કહેવામાં આવ્યું છે. ગાંધીજીએ લખ્યું હતું કે ઢીંગરા નિર્દોષ છે. સજા તો ઢીંગરાને ઉશ્કેરનારને થવી જોઈએ. અંગ્રેજો સાવરકર સુધી પહોંચવા માટે તક શોધી રહ્યા હતા અને એ તક તેમને નાસિકમાં નાસિકના કલેકટર ડૉ એ.અમ.ટી. જેકસનના અનંત ક્ન્હેરેએ કરેલા ખૂન વખતે મળી ગઈ હતી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 ડિસેમ્બર 2021
![]()
અધ્યાપનકાળના કેટલાક બનાવો (3) …
સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.
જો કે અમદાવાદ કદી પણ મારું સ્વપ્ન ન્હૉતું. મારી પસંદગી ન્હૉતી. મારે જાત પર જોર લાવીને પસંદ કરવું પડેલું. તો પણ એક વાતે છેલ્લે સારું લાગેલું કે ગુજરાતી સાહિત્યને માટેના એક ઉત્તમ વિભાગમાં છું. એમ પણ લાગેલું એ વાતે કે ક્યારેક મારી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશી વિભાગના અને સમગ્ર ભાષાભવનના અધ્યક્ષ હતા.
યાદ કરતાં યાદ આવે છે કે ભવનના બહુ ઓછા મિત્રો બહુ ઓછી વાર મારા ઘરે આવેલા છે. કોઇ કોઇ તો વારંવાર બોલવવા છતાં નહીં આવેલા. ક્રમે ક્રમે એમ જાણવા મળેલું કે અમદાવાદમાં ભલભલા સાહિત્યકારોના ઘરે ભલભલા સાહિત્યકારો નથી ગયા. એટલું ખરું કે મરણપથારી જેવા છેલવારકા પ્રસંગે ડોકિયું કરી આવ્યા હોય.
મને અને રશ્મીતાને – વડોદરા બાજુના રસિક જીવોને – એ અમદાવાદી લુખ્ખાસ સમજાતી ન્હૉતી. પણ સ્વીકારી લીધેલું કે એવી એમની શૈલી છે. જો કે રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, લાભશંકર ઠાકર અવારનવાર આવતા.
‘શબરી’-માં રહેવા ગયા પછી તો મેં રમૂજમાં કહેવા માંડેલું – અમે તો રાહ જોઇશું જ પણ જ્યારે આવો ત્યારે અમારે ઘરે રામ સ્વરૂપે આવજો. મને જણાવતાં આનન્દ થાય છે કે
વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.
એમની સાથેની મારી અંગતતા સાવ વિલક્ષણ હતી. બધું છતાં ઉમાશંકરનું આકર્ષણ રહેતું, મને ગમ્યા કરતા. હું કંઈ ‘સંસ્કૃતિ’-નો લેખક નહીં. અલબત્ત, મારી એક વાર્તા ‘હર્ષદલાલ હ. અને બીજાં’ એમને બહુ ગમેલી. એમણે ‘સંસ્કૃતિ’-માં પ્રકાશિત કરેલી – ૧૯૯૨ જેટલાં વહેલાં. એટલો પૂર્વાનુબન્ધ હતો. બીજો પૂર્વાનુબન્ધ એ હતો કે બોડેલીથી હું પ્રિન્સિપાલની હેસિયતે યુનિવર્સિટી-મીટિન્ગો માટે અમદાવાદ આવતો. ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ પ્રિન્સિપાલ, તે એ ય આવતા. અમે બન્ને કવિ-કુલપતિને મળવા જતા. ફાઇલો કોરાણે મૂકીને ઉમાશંકર અમારી સાથે ખુલ્લા મનની ઘણી વાતો કરતા.
એટલે, ભવનમાં જોડાયા પછી મને એક ઇચ્છા બહુ થતી કે એમને એમના ઘરે નિરાંતે મળાય તો કેવું સારું. પણ ભવનના સાથીઓ કહે : એમને ઘેર ઍપૉઇન્ટમૅન્ટ વિના ન જવાય; ફોન કરવો પડે. ત્યારે એઓ વિભાગીય અધ્યક્ષ ન્હૉતા રહ્યા તો પણ એવું કેમ હશે, એવું મને ખૂંચ્યા કરે …
ત્યારે મારે ત્યાં ફોન નહીં, કેમ કે દુર્લભ હતા, ખાસ્સા દુર્લભ. ભવનનો ઑફિસ-ફોન વાપરી શકાતો’તો પણ એ બાપડો એક-નો-એક તે ગિરદી બહુ રહેતી. એટલે ફાવટ ન આવે. મેં નક્કી કરેલું કે મળે ત્યારે પૂછી લેવું – ફોન કર્યા વિના આવી શકાય? એમણે તરત કહેલું : હા-હા, શું કામ નહીં; માત્ર ભાળ મેળવી લેવી કે હું અમદાવાદ બહાર તો નથી ને …
એમની એ સમ્મતિનું પરિણામ એ આવ્યું કે શરૂમાં હું એકલો અને પછીથી રશ્મીતા તેમ જ બન્ને દીકરા – અમે સૌ – એમને ત્યાં જતાં થઈ ગયેલાં. બેસતા વર્ષે અચૂક જઇએ. પણ વળતું પરિણામ અતિ સુન્દર આવ્યું. ઉમાશંકર પણ અમારે ત્યાં, કૅમ્પસના ઘરે, બી-૩માં, આવતા થઈ ગયા.
મારી નવલકથા ‘ખડકી’ પ્રકાશિત થઈ ત્યારે એઓ અમારે ત્યાં પહેલી વાર આવેલા. પુસ્તક પ્રકાશિત થાય એટલે ઘરે મિત્રોને બોલાવવા અને શિરો ખવડાવવો એ મારો શિરસ્તો હતો. મારા ગુરુ સુરેશ જોષી પાસેથી શીખ્યો છું. આજે પણ ચાલુ છે. રશ્મીતા બનાવે. ‘ખડકી’ વિશે મેં થોડી વાત કરેલી. એ સાંભળીને ઉમાશંકરે કહેલું – સુમન પાસેથી આપણને હવે કસબાના જીવનની નવલકથાઓ મળશે. ત્યારે શિરો એમને બહુ ભાવેલો. એટલે આવે ત્યારે દરેક વખતે કહે : થોડો શિરો ખાઈશ : અમને પણ બહુ ઉમળકો રહેતો કે કેટલી સારી વાત છે.
એક સાંજે એવું બન્યું કે હું ને રશ્મીતા સ્કૂટર પર એમને મળવા ગયાં. જવાબ મળ્યો કે – એ તો તમારે ત્યાં આવવા નીકળી ગયા છે …! અમારા આનન્દાશ્ચર્યનો પાર નહીં. ફોન વિનાની એ બિન-તારી દિલ્લ્ગી યાદ આવતાં આજે પણ રોમાંચિત થવાય છે.
જઈને જોયું તો કવિશ્રી બી-૩ના આંગણાંમાં બેઠેલા. બન્ને બાજુ એક એક ઊંચા આસોપાલવ ને વચ્ચે અમારો પાટી ભરેલો જૂનો પણ સારો ખાટલો, તે પર બેઠેલા. ફૂલ-છોડવા, પવન, પંખીઓ, રોડ પરનાં વાહનો ને ઝૂમતાં વૃક્ષો વચ્ચે કવિશ્રી પૂર્વરાગ – મદીર જોડે વાતો કરતા’તા …
ચાલતા આવે. ક્હૅતા – કૅમ્પસમાં નીકળી પડવું પહેલેથી ગમે છે મને. થોડું દૂર પડે, પણ ચાલવાનું તો થઇ જાય …
બન્ને દીકરાને પોતાના મિત્ર ગણતા. મને ઈન્લૅન્ડ લખ્યું હોય તો ડાબી બાજુનો પત્ર અમને બન્નેને સમ્બોધ્યો હોય; ને જમણી તરફનો દીકરાઓને. સ્કૂલ ઑફ આર્કિટૅક્ચરમાં દીક્ષાન્ત પ્રવચન માટે ગયા હશે કોઇ વરસે. ભરી સભામાં અંગ્રેજીમાં પૂછેલું : મારો મિત્ર મદીર શાહ તે તમારે ત્યાંનો જ ને … વગેરે.
એમનો સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ પ્રગટ્યો તેને અર્ઘ્ય આપવાના મૂળ ભાવથી મેં પુસ્તિકા લખી – ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’. (૧૯૮૨). પુસ્તિકા પૂરી પ્રકાશિત થાય એ પહેલાં જ કેટલાકોએ ટીકા શરૂ કરી દીધેલી. એની વ્યથાકારક વાર્તા હવે પછી કરીશ.
= = =
(November 29, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()

