સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હાલ હિટ ચાલી રહી છે. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની છે. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળે છે પણ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો નથી. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજય ધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.
ભારતમાં સમાજ સુધારણાની વાત કરવામાં આવે એટલે મોટે ભાગે આપણને પાઠયપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલાં નામ જ યાદ આવે છે. રાજાઓના ઇતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઇતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ગના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ ?
સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જોઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાની સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે જેણે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરુ છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સાતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતી કેમ કે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં, એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહ્મણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઊભી રહેનાર અને એમને માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.
સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યાં અને એટલું જ નહીં સમાજ જેને નાજાયઝ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. છ, સાવિત્રીબાઈ એટલે એ સ્ત્રી કે જેઓ વિધવા સ્ત્રીઓનું મુંડન બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે મુંડો કેમ છે એવો સવાલ જો ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહ્મણ સ્ત્રીઓના વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં. સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિયત્રી. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું કાવ્યફૂલે. આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મુકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારા સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જોતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.
ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુક-તમુક સરકારી યોજનાઓ પણ હશે એમના નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જોડાયું છે પણ સાવિત્રીબાઈ અને જોતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જોતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘સાદ સંવાદ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2016
http://www.sandesh.com/article.aspx?newsid=3214851
![]()


ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃિતગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણાં સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જો કે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા(અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!
ભારતની આઝાદીનો ઇતિહાસ ફરી ફરીને અનુકૂળતા મુજબ તાજો કરીને વર્તમાનમાં વિજય મેળવવાની રાજકીય પક્ષો અને નેતાઓની કોશિશો અખંડ રહી છે. ભાગલા માટે જવાબદાર લેખાવીને ગોળીએ દેવાયેલા મહાત્મા ગાંધીએ તો પોતાના મૃતદેહ પર પણ ભારત અને પાકિસ્તાનના નોખા અસ્તિત્વને નકાર્યું હતું. ભાગલા અનિવાર્ય લાગતા હતા એવા સંજોગોમાં એમણે મહંમદ અલી ઝીણાને પ્રથમ વડાપ્રધાન બનાવવાની ઑફર પણ કરી જોઈ.