વિશિષ્ટ વાચનઃ
ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …
આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાનો આત્મકથનાત્મક અંશ અને દીપક સોલિયા, નરેશ મકવાણા, અમિત જોશી, નિશા પરીખ-સંઘવી, કિરણ જોશી તથા ડૉ. અશ્વિનકુમારના વિશિષ્ટ લેખ સામેલ છે. નડિયાદના જાણીતા (હવે દિવંગત) તસવીરકાર મનહર ચોકસીએ ખેંચેલી પંડિત નહેરુ, રવિશંકર મહારાજ જેવા અગ્રણીઓની અને પૃથ્વીરાજ કપૂર જેવા ફિલ્મ-કલાકારોની યાદગાર તસવીરોનું ફોટોફીચર પણ આ અંકમાં જોવા મળે છે.
મે, ૨૦૨૦નો અંક કોવિડ-૧૯ને કારણે પ્રગટ થઈ શક્યો ન હતો. માટે, આ વખતનો અંક સામાન્ય રીતે આવતાં ૧૪૪ પાનાં- કિંમત રૂ.૮૦ને બદલે, ૧૭૬ પાનાં અને કિંમત રૂ.૧૦૦નો છે.
(સાર્થક જલસો-૧૪, સાર્થક પ્રકાશન, ફોન-વૉંટ્સએપઃ કાર્તિક શાહ, ૯૮૨૫૨ ૯૦૭૯૬)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15
![]()


ક્યારે ય નથી વેઠી એવી અસ્થિરતામાં મુકાઈ ગયા છીએ આજકાલ. ક્યારે ય નહોતી એવી ભંગુરતાને કાંઠે આવી ચઢ્યા છીએ આજ. “…આ સંસાર સુખરૂપછે કે દુઃખરૂપ ?” એવા દ્વિધાભાવમાં સપડાયા છીએ આપણે સૌ. કોરોનાવાઇરસનો ચેપ બધાને મોત આપતો નથી. એના સકંજામાંથી ઊગરી જનારાઓ મોટી સંખ્યામાં છે, પરંતુ જેઓને કોરોનાનો મૃત્યુદંડ મળે છે, તેઓની સ્થિતિ જોઈ/સાંભળી અન્યોને જે પીડા થાય છે, તે અભૂતપૂર્વ એવી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિ મોતનો ભોગ બને તે ક્ષણ સુધી જે પીડા ભોગવતી હશે એ જ પીડા તેમનાં સ્વજનો પછીના સમયમાં ક્યાં ય સુધી ભોગવે છે. આજ સુધી આવું મોત ક્યારે ય જોયું/સાંભળ્યું નથી. ગરુડપુરાણમાં વર્ણવાયેલી નરકપીડા જાણે તાદૃશ થાય છે.
કેવડિયા ખાતે, સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન બે દિવસ મહેમાન રહ્યા અને જુદા જુદા સત્તર પ્રોજેક્ટ્સનું એમણે લોકાર્પણ કર્યું. બધી રીતે ભવ્ય આયોજનો થયાં. આમ પણ વડાપ્રધાનને ભવ્યથી ઓછું બહુ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ભવ્ય ઉદાહરણ છે. વડાપ્રધાન પોતે કરકસર કરીને આટલે સુધી આવ્યા છે. સરદાર પોતે બીજી અનેક જિંદગીમાં ન ખર્ચે એટલો ખર્ચ માત્ર એમના સ્ટેચ્યુ માટે થયો છે. એ રીતે એ એક ભવ્ય અંજલિ છે એની ના પાડી શકાશે નહીં.
વડાપ્રધાને કેવડિયાને વૈશ્વિક નકશા પર મૂકી દીધું છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકીને વિશ્વને કેવડિયા તરફ જોવાની બારી ખોલી આપી છે. એનાથી દેશના અને વિદેશના પ્રવાસીઓ કેવડિયા સુધી આવશે અને આ સ્થળ મોટું પ્રવાસન કેન્દ્ર બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. આમ થશે તો સહેલાણીઓ માટે એક નવું સ્થળ હાથવગું થશે અને તેની આસપાસ હોટેલ ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગો વિકસશે, અન્ય રહેવા-જમવાના કેન્દ્રોનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે ને કોરોના કાળમાં એમ થતું હોય તો તે અંતે તો દેશ હિતનાં ખાનામાં જ જશે.