રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘ભારતનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એના ગામડાંઓને વિકસિત કરવાં પડશે.’ ગ્રામોત્થાનમાં જ દેશોત્થાનનું સપનું જોનારા ગાંધીજીના આ વિચારને પોતાનો જીવનમંત્ર બનાવી, તેમના પગલે ચાલનારા કંઈ કેટલા ય લોકો ભારતના ખૂણે ખૂણે બેસીને ચૂપચાપ કામ કરી રહ્યા છે, – ગ્રામોત્થાનનું –દેશોત્થાનનું. આવું જ ખૂણે બેસીને ઝીણું કાંતનાર, સમાજના વિકાસ માટે જીવન સમર્પિત કરી દેનાર એક વિરલ વિભૂતિ એટલે મણિભાઈ સંઘવી. આવો, એમણે સ્થાપેલી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ'નો અને એની કામગીરીનો નાનકડો પરિચય મેળવીએ …
જે વયે સૌ નિવૃત્તિ ઝંખતા હોય છે, તે ઉંમરે કચ્છના એક અદના ગાંધીજન એવા મણિભાઈ સંઘવીએ મહેરામણ અને અફાટ રણથી ઘેરાયેલા કચ્છ જિલ્લાના વાગડ જેવા અતિ પછાત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે તથા ગામડાંઓમાં સાચું સ્વરાજ લાવવા, રાપર તાલુકાના નીલપર ગામના, સોનટેકરી પરિસર પર, ‘ગ્રામ સ્વરાજ સંઘ' નામની સંસ્થા સ્થાપીને સેવાની જે ધૂણી ધખાવેલી. તેને આજે ૪૧-૪૧ વર્ષનાં વાણાં વાઈ ગયાં છે. આટઆટલાં વર્ષોમાં વિભિન્ન પ્રકારે સાતત્યપૂર્ણ રીતે સેવાકીય પ્રવૃત્તિઓનો એક અખંડ પ્રવાહ વહેતો રહ્યો છે.
ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.
સંસ્થાના જન્મ સમયે એટલે કે વર્ષ ૧૯૭૯માં હજુ તો તે પાપા પગલી માંડતી થઈ હતી, ત્યાં જ અતિવૃષ્ટિમાં વિનાશક વરસાદને કારણે થયેલી મચ્છુ હોનારત થકી જે તારાજી સર્જાઈ ને બાપુજીની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક સેવા અર્થે દોડી ગયા. આ હોનારતે રાપર-ભચાઉ તાલુકાના પણ અનેક ગરીબ પરિવારો પાસે ભાંગ્યાં-તૂટ્યાં ઘર અને ઘાસનાં ઝૂંપડાં પણ છીનવી લીધેલાં. તે વખતે સંસ્થા પાસે સાઈકલ લેવા માટેના નાણાના પણ ફાંફા હતા, પણ આવી પરિસ્થિતિ વખતે જંપીને બેસી રહે તો તે મણિભાઈ શાના ? તરત ટહેલ નાખી … મણિભાઈની આગવી સૂઝ અને ચીવટભર્યા આયોજન તથા કાર્યનિષ્ઠાને પરિણામે ઘરવિહોણાંને ઘર બનાવી આપવા રકમો આવતી થઈ, બહુ ટૂંકાગાળામાં મણિભાઈની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.
હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરાઉપર (વર્ષ – ૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા … ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧,૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને રૂ. ૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી, તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

વાગડની આ ઊબળ-ખાબડ અને રેતાળ જમીન પિયત પાણીનો ખૂબ વ્યય કરે. તેથી પૂરતું વળતર ન મળે. તેનો ઉપાય શોધ્યો સિમેન્ટના પાઈપોથી વાડીઓમાં પાણી પહોંચાડવાનો. આ યોજના નીચે ૧૪૧ ગામોના ૧,૦૨૯ ખેડૂતોને ૪,૬૯,૭૩૩ ફૂટ સીમેન્ટ પાઇપ આપી લાખો રૂપિયાનું ઉત્પાદન વધાર્યું અને સેંકડો લોકોને રોજગારીની તક પૂરી પાડી દુષ્કાળમાં રોજગારી અર્થે થતાં સ્થળાંતરને અટકાવ્યું.
આવાં તો અનેકાનેક કામો થયાં પણ સંસ્થાના સ્થાપક મણિભાઈ સંઘવીએ પૂજ્ય માતાજીના જાણીતા વિધાન ‘તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો’ને પોતાનો જીવનમંત્ર માનેલો. આ વિધાનને અનુસરીને ચૂપચાપ જે કામો થતાં રહ્યા તેની એક આછેરી ઝલક મેળવીએ.
શિક્ષણ
સમાજમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા બાળકોને સુટેવોના ઘડતર સાથેની ગાંધી વિચારધારા મુજબની અનુબંધની કેળવણી આપવાના પણ મંડાણ કર્યા, તેના પરિપાક રૂપે આજે સંસ્થાના વલ્લભપુર અને નીલપર કેમ્પસના મળીને કુલ ૫૦૦ જેટલા વંચિત સમુદાયોનાં કુમાર – કન્યાઓ પ્રતિવર્ષ ઉત્તમ શિક્ષણનો લાભ મેળવી રહ્યાં છે. આ વિસ્તારના વંચિત સમુદાયોમાં કન્યા કેળવણીનું પ્રમાણ હજીએ નહિવત છે તેથી સંસ્થાએ કન્યા કેળવણી માટેનો એક વિશેષ યજ્ઞ આદર્યો છે, જેમાં સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. દાન આધારિત આ યજ્ઞમાં પ્રતિ વર્ષ ૧૨૫ બાળાઓને મફત નિવાસી શિક્ષણ આપવામાં આવે છે, ને તેની પાછળ દર વર્ષે રૂપિયા ૨૫ લાખ જેટલો ખર્ચ થાય છે.
પર્યાવરણ સુરક્ષા –
પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧,૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બાર ગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી, સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. ભારતનાં સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે દેશી વૃક્ષો જેવાં કે લીમડો, બોરડી, વડ, ગુગળ, દેશી વગેરેનું જે લોકો મુખ્યત્વે વૃક્ષો કાપીને કોલસા બનાવે છે, એ લોકોમાં વૃક્ષો ઓછાં કપાય, દેશી વૃક્ષોને સમજીને કાપે ને કોલસા માટે માત્ર ગાંડા બાવળનાં વૃક્ષોનો ઉપયોગ કરે, આ જાતના સંસ્કાર પડે, પર્યાવરણ બાબત નિસ્બત કેળવાય અને લોક જાગૃતિ વિકસે એ પણ સંસ્થાનો મુખ્ય હેતુ છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોનાં છોડ આપીને તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.
રાહત પ્રવૃત્તિઓ –
કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય … બે-ચાર ઉદાહરણ લઈએ …. ઈ.સ. ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનોને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણાં બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ. ૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧,૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.
હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪,૪૯૬ પરિવારોને તુરત સેમી-પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સીવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧,૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડાં સામે રક્ષણ આપે તેવાં પાકાં મકાનો બનાવી આપ્યાં. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧,૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું.
પોતાના વિસ્તારમાં તો સંસ્થાએ કામ કર્યું જ છે, પણ જે પ્રદેશની ભાષા પણ ન્હોતી આવડતી એવા તમિલનાડુમાં આવેલ ત્સુનામીમાં પણ સેવાર્થે દોડી જનાર સંસ્થાઓમાં આપણી સંસ્થા અગ્રેસર રહી છે. અજાણ્યા પ્રદેશમાં આરોગ્યસેવા, બાળકો માટે વિશેષ કામગીરી, રાહત છાવણીઓની સફાઈ, કામચલાઉ નિવાસોનું નિર્માણ, શાળાનું પાક્કું મકાન બાંધવું, કમ્પ્યુટર ક્લાસ ચલાવવા, તથા એન.જી.ઓ. સંકલન જેવાં અનેકવિધ મહત્ત્વનાં કામો થઈ શક્યાં તેનો આનંદ છે.
હજી તો કંઈકેટલું કહેવાનું બાકી રહી જાય છે. અરે ! હા .. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧,૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.

લોકજાગૃતિ અને લોકસંગઠન
અહીં અંતરિયાળ વાંઢો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકો યથાર્થ રીતે તેનો લાભ લઈ શકે તે માટે સંસ્થા વર્ષોથી લોકસંગઠન અને લોકજાગૃતિના કાર્ય કરે છે. ક્રાયના સહયોગ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ અહીં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો સ્ટેપ નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે. તેમનાં આ કામનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. તેમના પ્રયત્નો થકી ૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકી છે. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરવવા મથામણ ચાલે છે. ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧,૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ૧૪૦ વાંઢોમાં વીજળીનું જોડાણ અપાવવામાં આવ્યું છે. ૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે, જ્યારે ૭૬ વાંઢને સરકારના સહયોગથી પાકા રસ્તા વડે જોડાણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે. ૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.
સેવાકીય પ્રવૃતિઓ
ભર ઉનાળે બે માસ સુધી ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલાં ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી રહે છે.

પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …
બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીને કોઈએ પૂછ્યું કે આટઆટલાં કામ તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એમણે વિનમ્રભાવે જવાબ આપેલો કે, ‘ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટાં કામ કરાવી શકે છે …. બાપુજીના દેહાવસાન બાદ તેમનાં અનુગામીઓએ આ કાર્ય પરંપરાને જીવંત રાખી છે. આ બધું નજીકથી નિહાળવા આપ સૌ સંસ્થાની મુલાકતે આવશો તો અમને બહુ જ ગમશે ….
સૌને જય જગત ….
સૌજન્ય : રમઝાનભાઈ હસણિયાની ફેઈસબૂક દિવાલેથી સાભાર
![]()


એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.

ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે. 