
—————————-
અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં
ગયા રવિવારે [04 ઍપ્રિલ 2021], ૮૨ વર્ષની વયે જન્નતનશી થયેલા ગુજરાતી ગઝલના અંતિમ પહેરદાર, ખલીલ ધનતેજવીની જો કોઈ આત્મકથા કે જીવનચરિત્ર્ય હોય, તો તેનું શીર્ષક 'ખેત સે રાશન તક' એવું રાખી શકાય. તેમની જિંદગીની સફર એટલી જ છે; ગામના ખેતરમાંથી શરૂ થાય છે, અને રાશનપાણી માટે શહેરમાં ખતમ થાય છે. વચ્ચે કવિતા અમસ્તી જ આવી ગઈ!
કવિતા કેવી રીતે આવી તે તેમણે લખ્યું પણ છે. ૨૦૧૬માં, ખલીલભાઈએ તેમની કારકિર્દીની કથા નામે 'સોગંદનામું' લખ્યું હતું. તેમણે આત્મકથા લખવાનું ટાળ્યું હતું. કેમ? તેમના શબ્દોમાં, "આત્મકથા લખવા માટે પોતાની આસપાસનું ઝીણું-જાડું, સારું-નરસું, ગમતું-અગમતું બધું જ સમેટી લેવું પડે! કેટલાક માણસોએ પ્રોત્સાહિત કર્યો હોય ને કેટલાકે પજવ્યો પણ હોય તો એ બધાનાં નામોલ્લેખ સાથે કોણે કયારે ક્યા પ્રકારની પજવણી કરી એ બધું સ્પષ્ટ લખવું પડે, ને એમાં મોટા ભાગે નિકટના જ માણસો આવી જતા હોય. એટલા માટે આત્મકથા લખવાનું પડતું મુક્યું. પજવનારાઓને ય પડતા મુક્યા."
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફળિયાવાળા, ભેંસોવાળા, હાથેથી દળવાની ઘંટીવાળા, ચુલાવાળા, નદીએ બેડાં ભરવાવાળા, છાણ-વાસીદુંવાળા અને ખેતરમાં ચાર કાપવાવાળા ધનતેજ ગામમાં સૂર્યોદય પહેલાં ખલીલભાઈનો જન્મ. "મારા જન્મ પછી જ સૂરજ ઊગ્યો હતો." ખલીલભાઈ લખે છે, "અર્થાત્ હું અંધારામાંથી અજવાળામાં આવ્યો, એ પછી જ જગતને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયો હતો." એ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ની રોજ હતી.
તેમનું નામ ખલીલ તેમના દાદા તાજ મહંમદે પાડ્યું હતું. તેમના મૌલવીને ખલીલ અધૂરું લાગ્યું, એટલે પાછળ ઈબ્રાહીમ જોડ્યું; ખલીલ ઈબ્રાહીમ. ખલીલ એટલે મિત્ર અને ઈબ્રાહીમ એટલે હજરત મોહમંદ પયગંબરના પુરોગામી સત્તરમી પેઢીના પયગંબર ઈબ્રાહીમ. ખલીલભાઈ કહે છે, "સમય જતાં ઈબ્રાહીમ અને ખલીલ છૂટા પડી ગયા. વર્ષો પછી ખલીલની આભા નીચે ઈબ્રાહીમ ઢંકાઈ ગયો અને ખલીલ પંકાઈ ગયો."
ખલીલભાઈ પંકાયા કવિતા-ગઝલથી. ખલીલભાઈ ગુજરાતના આટલા મોટા શાયર થયા, તેની પાછળ સાહિત્યની કેટલી બધી સમૃદ્ધિ હશે એવો આપણને વિચાર આવે, પણ હકીકત એ છે કે તેમના બેકગ્રાઉન્ડમાં દૂર-દૂર સુધી સાહિત્યનાં સગડ નથી. ખલીલભાઈ લખે છે, "મારા ગામમાં પાંચ હજાર વર્ષ પૂર્વેય કોઈ લેખક કે કવિ થયો હોવાની કોઈ ભાળ મળતી નહોતી! મારા સમવયસ્કો કે સમકાલીનોમાં ય કોઈ લેખક-કવિ નહોતો!"
તેમણે કિશોરાવસ્થામાં એક વાર તેમના દાદાને ચાર પંક્તિઓ સંભાળવી હતી, તો દાદાએ ખુશ થઈને પૂછ્યું, "ક્યાંથી ઉતારી લાવ્યો છે?"
"ઉતારી નથી!" કિશોર ખલીલે કહ્યું, "આપમેળે જ ઉતરી છે!"
દાદા વિસ્મયથી જોતા રહી ગયા, અને રહસ્ય ખોલ્યું, "તારા બાપાને પણ શાયરીનો શોખ હતો. એણે શાયરીની આખી ડાયરી ભરી છે." એ ડાયરી જડી તો તેમાં મિર્ઝા ગાલિબ, મોહમ્મદ ઈબ્રાહીમ ઝૌક, મીર-તકી-મીર, મિર્ઝા મોહમ્મદ રફી સૌદા જેવા ધુરંધર શાયરોની શાયરીઓ હતી.
ખલીલભાઈ (ઉપર જે શેર લખ્યો છે તે પ્રમાણે) ખેતરના માણસ. બીજું કશું ન આવડે, પણ જે આવડતું હતું એમાં તેમનો એટલો ઝપાટો હતો કે ગામમાં એ સૌથી તેજ યુવાન કહેવાતા. એમાં કવિતા કેવી રીતે આવી, તેનું વિસ્મય તેમને પણ છે. એ લખે છે –
"ગામમાં મને સૌથી નોખો તારવી આપતી બાબતોમાં એક તો ખેતરમાં સીધા ચાસ કાઢવાની બાબત, નદીના પૂરમાં તરવાની બાબત અને જાનમાં સૌથી મોખરે ડમણિયું લઈ જવાની બાબત! આમાં ચોથી બાબત ઉમેરાય છે, તે છે કવિતા! કવિતા મારામાં અણધારી અને ઓચિંતી આવી હતી. કવિતાની પહેલી પંક્તિ આવી ત્યારે હું ખેતરના શેઢે ચાર વાઢતો હતો અને મારા હાથમાં કલમને બદલે દાતરડું હતું! હું કવિતાને ઓળખતો નહોતો એટલે કવિતાને શોધવા પણ ગયો નહતો! કવિતાની મને જરૂર પણ નહોતી. ખેતર, ખેતરનો શેઢો, ચાર વાઢવાની તલ્લીનતા અને દાતરડું! આમાં કવિતાનું ગૌત્ર મારે ક્યાં શોધવું!"
કદાચ અંગત અને સહિયારા જીવનમાં તેમણે અકસ્માતો અને ગરીબી બહુ જોઈ હતી, એટલે એ વેદના શબ્દો મારફતે વ્યક્ત થઇ હશે. બાર વર્ષની ઉંમરે, ચોથું ધોરણ પાસ કરીને, તેઓ ખેતરમાં જોતરાઈ ગયા હતા. એ લખે છે, “બાળપણ તો હું ક્યારનું ગુમાવી ચુક્યો હતો. કિશોરાવસ્થાને પણ એને જોઈતી ધીંગામસ્તી હું આપી શક્યો નહીં. ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નહીં. સમય કરતાં થોડો વહેલો હું મોટો થઇ ગયો! મારું બાળપણ ખેતરમાં રગદોળાયું! નદીના પૂરમાં તણાયું! મારી કિશોરાવસ્થા દામ્પત્યજીવનની રજાઈમાં ઢબુરાઈ ગઈ! હું ભરપૂર રીતે બાળપણને માણી શક્યો નહીં! કિશોરાવસ્થાને ઓળખવાનો ય સમય મળ્યો નહીં અને ઊંચકીને લગ્નજીવનના સમુદ્રમાં ધકેલી દેવાયો! કિશોરાવસ્થામાં જ હું પ્રૌઢ પુરુષ બની ગયો!”
એ જીવનને પાટે ચઢાવવા માટે ખલીલભાઈ શબ્દોના સહારે પૈસા કમાવા માટે વડોદરા આવ્યા, અને ખેતર છૂટી ગયું. તેમણે અખબારમાં કામ કર્યું, સામાયિક શરૂ કર્યું, વાર્તાઓ લખી, ગઝલ સંગ્રહો બહાર પાડ્યા, નાટકો લખ્યાં ફિલ્મો (ખાપરો-ઝવેરી, ડોકટર રેખા, છૂટાછેડા, નગરવધુ, તુલસી જેવી દીકરી. ચુંદડી ચોખા) બનાવી. આ વ્યવસાયિક જદ્દોજહદ (તેમણે ગામેગામ ફરીને કાપડ પણ વેચ્યું હતું) અને બીમારીઓ થતા પ્રિયજનોની વસમી વિદાઈની પીડાઓ તેમની ગઝલોમાં વ્યક્ત થતી રહી.
ખલીલભાઈ લખે છે, “વેદનાને વિસારે પાડવા કલમનો સહારો લીધો. જાત વિશે વિચારવાને બદલે કવિતા માટે વિચારવા માંડ્યું. એમાં ય પેલું દુઃખ ડોકિયાં કરી જાય છે. મેં કવિતાથી શરૂઆત કરી હતી, પણ ત્યાં સીમિત ન રહ્યો. મેં ‘જાસાચિઠ્ઠી’ સિવાય બધું જ લખ્યું છે. હું મારા મનમાં રૂંધાતી વેદનાને વ્યક્ત કરવા લખું છું. અજાણ્યા અને અણધાર્યા વળાંકો મારા માર્ગમાં એક પછી એક આવતા ગયા અને હું એ વળાંક ઓળંગીને આગળ વધતો જ રહ્યો.”
ગયા રવિવારે ખલીલભાઈ છેલ્લા વળાંક પરથી ગાયબ થઇ ગયા!
વર્ષો પહેલાં પેલી ગઝલમાં તેમણે બીજો પણ એક શેર લખ્યો હતો :
અપની નીંદો કા લહૂ પોંછને કી કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં સો જાતા હૂં
સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી સાભાર
![]()


આ જ પ્રજાએ થાળી વગાડીને અને રાતના દીવા પ્રગટાવીને પુરવાર કર્યું કે પ્રજાને નેતૃત્વમાં વિશ્વાસ છે. પ્રજા થાળી ઠોકતી વખતે જાણતી હતી કે કોરોના જવાનો નથી, એને એ પણ ખબર હતી કે દીવાનું અજવાળું પકડીને કોરોના ઘરો સુધી પહોંચવાનો છે, પણ પ્રજાએ એ વિશ્વાસથી કર્યું ને સરકારનો વિશ્વાસ વધાર્યો. પછી તો એ વિશ્વાસ ન ટકે એવું બંને પક્ષે વર્ષ દરમિયાન ઘણું બન્યું. તાજેતરમાં જ વડા પ્રધાને રસીકરણનો મહિમા કરવા તેને ઉત્સવ તરીકે ઉજવવાની હાકલ કરી ને કરફ્યુને કોરોના કરફ્યુ તરીકે ઓળખાવવાનું કહ્યું. આ તેમણે રાજયોના મુખ્ય મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં કહ્યું ને સૌએ તે સાંભળ્યું પણ ખરું. એ જ દિવસે દેશમાં 1.31 લાખ નવા કેસ આવ્યા હતા અને 802 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતની વાત કરીએ તો એ દિવસે 4,021 કેસ નવા ઉમેરાયા હતા ને 35 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હજારો મૃત્યુ થયાં હોય ત્યાં ઉત્સવની માનસિકતા કોઈ સાધુસંતની પણ ભાગ્યે જ હોય, વળી આ સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ને રસીકરણ એ જ એક માત્ર ઉપાય હોય તો પણ, કોઈ રીતે ટીકાકરણને ઉત્સવ તરીકે લઈ શકાય નહીં. ટીકા મૂકવામાં એવું કૈં નથી જે આનંદ કે ઉત્સવની લાગણી જન્માવે.
ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની સ્થાપના કરી એ મોટી ભૂલ હતી, તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈતી હતી. હિન્દુત્વવાદી હિંદુ ભાઈઓને તેમનો અભિપ્રાય ધરાવવાનો, તેને વ્યક્ત કરવાનો, તેને માટે પ્રચાર કરવાનો અને તેને સાકાર કરવા માટે રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો અધિકાર છે. તેમણે આ બધું કર્યું પણ છે અને સત્તા સુધી પહોંચી ગયા છે. યાદ રહે, તેમને આ બધું કરવાની મોકળાશ ભારતીય રાષ્ટ્રે આપી હતી અને એ આપે તો જ તેને ભારતીય રાષ્ટ્ર કહી શકાય. નાગરિક અધિકાર, લોકતંત્ર, સેક્યુલરિઝમ અને કાયદાના રાજ વગરનું ભારતીય રાષ્ટ્ર ન હોઈ શકે. બાકી આઝાદી પછી ભારતીય રાષ્ટ્રના પહેલી પેઢીના શાસકો પાસે એટલી તાકાત હતી અને એટલી લોકચાહના હતી કે તેઓ ધારત તો હિન્દુત્વવાદીઓને ઘોડિયામાં જ દૂધ પીતા કરી શક્યા હોત.